A Dalit Voice in Gujarati

મિત્રો, 

મારી બારીમાંથી જોતાં મને જે કઈં દેખાય છે તે આપ સૌની સમક્ષ ધરી દઉં છું. આમાં ઘણી વાર પોતાને રસ્તે ચાલ્યા જતા સજ્જનોને પણ બોલાવીને નવી મિત્રતા કરી છે અને એમનો પરિચય પણ કરાવ્યો છે. આ જ રીતે, ગઈકાલે લંડનથી શ્રી વિપુલભાઈ કલ્યાણી ‘ઓપિનિયન’ પ્રસિદ્ધ કરે છે તેનો ૨૬ ઑગસ્ટનો ડિજિટલ અંક મળ્યો. પહેલો જ આ લેખ વાંચ્યો.  નીરવભાઈને તરત લખ્યું અને એમણે મને લેખ મોકલાવી આપ્યો. નીરવભાઈએ પોતાનો પરિચય લેખમાં જ આપ્યો છે એટલે હું પુનરાવર્તન નહીં કરૂં. શ્રી વિપુલભાઈનો પણ આભાર ્માનું છું.

મેં અહીં ભાષા પર પણ લખ્યું છે અને દલિતો પર પણ લખ્યું છે. શ્રી નીરવભાઈનો લેખ એટલે દલિત તરીકે ગુજરાતીને, એમાં સુધારાને મૂલવવાનો પ્રયાસ. ગુજરાતી કેટલી? પ્રદેશો પ્રમાણે ભાષા બદલાય, પણ જાતિ પ્રમાણે પણ? અને એ પણ શું દબામણીનું સાધન બની રહે? પૂછીએ નીરવભાઈને…

‘ગુજરાતી’  મારી માતૃભાષા, ઇંગ્લિશ મારી ફોસ્ટર મધર


નીરવ પટેલ  

અમદાવાદ શહેરનાં પાદરે આવેલું મારું ભુવાલડી ગામ અમારા જ્ઞાતિગોળ  ‘નાની દસકોશી રોહિત સમાજ પરગણા’ ના ૨૬ ગામ પૈકીનું એક ગામ છે. મારા માતા-પિતા ચર્મકામના જ્ઞાતિગત વ્યવસાય સાથે ખેતમજૂરીનું કામ કરી અમારા કુટુંબનું ભરણપોષણ કરતા હતા. એમના વડવાઓ પણ એ જ કામ કરી આજીવિકા રળતા હતા. આ કારણે એમનું સામાજિક અને  વ્યાવસાયિક જીવન કેવળ ૨૫ કિલોમીટરની ત્રિજ્યામાં સમાયેલું હતું. એમને વારસામાં મળેલી માતૃભાષા તથા ત્યાર બાદ આ સીમિત સોશિયલ મોબિલિટીમાં સંભવી શકે તેવા આંતર-સંબંધોને કારણે, એટલે કે મિરઝાપુરના ચામડાના મુસલમાન વેપારીઓ,  માધુપુરાના મારવાડી મોચીઓ,  માણેકચોકના મુસલમાન વોરા કોમના સોનીઓ, અમારા ખેતર-પાડોશી માથાભારે ઠાકરડાઓ, કાશી તોતર પટેલ, શેઠ  શંકરરાત વાળંદ વગેરે જેવાઓના સંપર્કને કારણે  બે હજાર શબ્દોમાં માંડ વિસ્તરેલી  ભાષા મારી ‘માતૃભાષા’ બની. મારી આ માતૃભાષા અન્ય ઉજળીયાત ગુજરાતીઓ કરતા કેવી જુદી હતી એનો એક કિસ્સો સંભળાવું : મારા ગામની નિશાળમાં એકડીયામાં ભણતો ત્યારે એક શિક્ષિકા બહેન મને  ‘ઘ  ઘારીનો ‘ઘ’ બોલીને ‘ઘ’ લખવાનું શીખવાડતા ત્યારે હું ઘણો મુંઝાતો, અને મને છેક કોલેજમાં આવતાં ખબર પડી કે ‘ઘારી’  એક સ્વાદિષ્ટ મિષ્ટાનનું  નામ છે અને જે ઉજળીયાત લોકોનું મિષ્ટ વ્યન્જન છે !  આજે પણ મારા ગામના દલિત બાળકોને કોઈ પતંગના ‘પ’ને બદલે  અમદાવાદ શહેરનો કોઈ ઉજળીયાત માસ્તર ‘ પાસ્તાનો  પ’ બોલીને શીખવાડે તો એટલી જ મૂંઝવણ થાય જેટલી મને મારા બાળપણમાં પડી હતી. મારી માતૃભાષાથી ભિન્ન એવી આજે હું બોલું છું અને લખું છું એવી  શિષ્ટ ‘ગુજરાતી’ ભાષા તો મેં અંગ્રેજી ભાષાની જેમ જ એક ફોરીન લેન્ગવેજ જેટલી જ મુશ્કેલી અને પરિશ્રમથી શીખી છે.    

અલબત્ત, મને વારસામાં મળેલી આ ભાષા બહુ ઓછા શબ્દભંડોળ છતાં અદભૂત શબ્દો, રૂઢીપ્રયોગો, કહેવતો અને ગાણા-ઓઠા-વાતોની વિપૂલ સાહિત્યિક સમૃદ્ધી અને ગામઠી ડહાપણ ધરાવતી હતી. એમાં મધુરતા, કરુણા, ભ્રાતૃભાવ, પ્રેમ, ઉદારતા, સહકાર, સંપ, સહનશીલતા, સહાનુભૂતિ  ક્ષમા, સમતા જેવા અદભૂત ગુણોનું વહન થતું હતું.  આ ભાષાથી અનેક અભાવો અને અનેક  મુશ્કેલીઓ છતાં જીવન જીવવાનું જોમ અને ઉમંગ મળી રહેતા હતા. આજે હું મારી એ  અસલ ગુજરાતી ‘માતૃભાષા’ ગુમાવી ચૂક્યો છું. એ ‘માતૃભાષા’ ના વિશિષ્ટ શબ્દભંડોળ અને એ વિશિષ્ટ  લહેકા-ઉચ્ચારોથી ક્યારેક મેં  ઢેડા, ગામડીયા કે બી.સી. હોવાની ગાળ ખાધી છે અને એટલે જ સ્કૂલ-કોલેજના દિવસોમાં મેં પ્રયત્નપૂર્વક મારી એ ‘માતૃભાષા’ને ભૂલવાની શરૂઆત કરી દીધી હતી અને આજે તો મને વારસામાં આપનાર એ માબાપ પણ નથી રહ્યા કે નથી રહ્યો જીવંત સંપર્ક મારા એ માદરેવતન ભુવાલડી ગામના દલિત માહોલનો.  મારી એ ‘માતૃભાષા’ થી રળિયાત મારા બાળપણને યાદ કરું છું ને મારી એ ‘માતૃભાષા’ના અદભૂત સમૃદ્ધ -સામર્થ્યનો ઝુરાપો અનુભવું છું. એ ઝુરાપામાં જ એક વાર  ભગવદગોમંડળનો સંક્ષિપ્ત કોશ લઈને ટીક કરવા બેઠો હતો એ શબ્દોને,  જે મારા માતાપિતા બોલતા હતા ને મેં વિસારી દીધા હતા ! 
       
હમણાં હમણાંથી  ‘ગુજરાતી ભાષા બચાવો’ કે  ‘માતૃભાષા બચાવો’ના નારા બહુ જોરશોરથી સંભળાય  છે. કેટલાક તો દલિત-આદિવાસીની  ખાસ ચિંતા કરતાં, એક જ ‘ઈ -ઉ’ વાળી સરળ ઊંઝા જોડણીની ઝુંબેશ પણ ચલાવી રહ્યા છે. ત્યારે મને આવો પ્યારો પ્યારો નોસ્તલ્જિઆ અનુભવાય છે.  પણ સાથે સાથે હું વિચારોમાં ય ચઢી જાઉં છું.  સાંપ્રત સમયના પડકારોને ઝીલવામાં સાવ લાચાર મારી એ માતૃભાષાને વિષે પુનર્વિચાર કરું છું તો મને એનો ઝુરાપો ખમી ખાઈને પણ મને ને મારા સમાજને માનવ અધિકારો-માનવ ગૌરવ અપાવે તેવી  વૈશ્વિક ભાષાને અપનાવવા સિવાય કોઈ આરો દેખાતો નથી. લાગે છે હવે મારે સેન્ટીમેન્ટલ થવાનું છોડીને રેશનલ થવાની જરૂર છે. મારે ભાષા થકી ખેલાતા આમ જનતાને પછાત રાખવાના રાજકારણ અને વૈશ્વિક પહોંચ ધરાવતી ભાષા થકી થતા સશક્તિકરણને વિષે પણ વિચારવાની જરૂર છે. 

મારી ભોળી માતૃભાષા ગુજરાતીએ ઘણું ઘણું ઉમદા શીખવ્યું અને એમાં એક તે અઢળક ધીરજ રાખીને ઘણું બધું વેઠી લેવાનું , પણ એણે એક એ ન શીખવ્યું કે વર્ગ અને વર્ણના આધારે થતા અમારા જેવા દલિત-વંચિતનાં  આ શોષણ-દમનના  સાચા કારણો શેમાં પડેલા છે અને એ અન્યાયોને દૂર કરવા માટે નવજાગૃતિ, નવા જ્ઞાન અને  સંઘર્ષ સિવાય કોઈ આરો નથી. એ બિચારી ક્યાંથી શીખવી શકે ?  શોષકોની ભાષાની છાયામાં જીવતી મારી એ માતૃભાષાને ક્યાંથી ખબર પડે કે એમણે જ તો આ શોષણની મહાજાળને પોતાની ભાષામાં અદભૂત રીતે ગોપિત રાખ્યા હતા, બલ્કે અંધશ્રદ્ધા ભાગ્ય, ભગવાન, ભજન, પરભવ, પરલોક, પુનર્જન્મ, સ્વધર્મ  જેવા શબ્દો ઘડીને એને અંધ- લાચાર-પ્રારબ્ધવાદી બનાવી દીધો હતો. આભાર પરાયી ભાષા જે આજે મારી ફોસ્ટર ભાષા બની છે એવી અંગ્રેજીનો, જેણે વૈજ્ઞાનિક ચિંતન આપી દમન-શોષણના કારણો અને એને ઉખાડી ફેંકવાનો ઈલાજ બતાવ્યો.   

‘માતૃભાષા ઝુંબેશ’ માં મુખ્યત્વે તો ગુજરાતી ભાષા જેમના માટે  સત્તા અને શોષણનું  સાધન છે એવા ભદ્ર સમાજના રાજકારણીઓ તથા જેમના માટે પ્રતિષ્ઠા અને આજીવિકાનું સાધન છે તેવા શિક્ષકો, સાહિત્યકારો, ડાયરાના કલાકારો, ભજનીકો, કથાકારો, લેખકો, પત્રકારો, પુસ્તક કે સામયિકોના પ્રકાશકો, ગુજરાતી માધ્યમની શાળા-કોલેજો- યુનિવર્સીટીઓ,  વગેરેએ ભારે કાગારોળ મચાવી મૂકી છે,  અલબત્ત  થોડાક એવા ઉમદા લોકો પણ છે જેમને ગુજરાતી ભાષા પ્રત્યે ખરો પ્રેમ છે કારણકે તેમને ગુજરાતીઓ -આઈ મીન, દલિત, આદિવાસી, મુસલમાન સહીત સૌ ગુજરાતીઓ –  પ્રત્યે ખરો પ્રેમ છે, એ સૌ થકી ઘડાયેલી ગુજરાતની અસ્મિતા પ્રત્યે ખરો પ્રેમ છે. એમને ચિંતા છે કે ગુજરાતી મરી જશે તો આ બાપડા ગુજરાતીઓનું શું થશે? એમને ભય છે કે એ લોકો નર્યા મૂગામંતર થઇ જશે, એ પોતાના રોજ-બ-રોજનાં  વ્યવહારો, પોતાની વાત, પોતાના વિચારો, પોતાની લાગણીઓ, પોતાની કલ્પનાઓ, પોતાની સર્જનાત્મક-સાહિત્યિક-સાંસ્કૃતિ ક અભિવ્યક્તિઓને કેમ કરી શબ્દબદ્ધ કરશે?  એમની મહામૂલી સાહિત્યિક-  સાંસ્કૃતિક વિરાસતનું શું થશે?

ખાસ તો મારે આ બીજા પ્રકારના લોકોને હૈયાધારણ આપવી છે કે તમે નાહકની આટલી ચિંતા ન કરો અમ ગુજરાતી દલિત-આદિવાસીઓ અને અન્ય સૌ ગરીબ-વંચિત-શોષિત સમુદાયોની. અમે  ભાષાનો ઈતિહાસ જાણી ચુક્યા છીએ. અને અમે ભાષાનું રાજકારણ પણ જાણી ચૂક્યા છીએ. સામાજિક અને સામુદાયિક જીવન જીવતા માણસને પ્રત્યાયનની જરૂરી પડે છે અને એટલેજ ભાષાનો જન્મ-વૃદ્ધિ-વિકાસ-વિનિમય થાય છે, એ એનું શબ્દભંડોળ-રૂઢીપ્રયોગો-કહેવતો- -વ્યાકરણ- ઉચ્ચાર વગેરેને વિકસાવે છે, માનવ સમુદાયો એકબીજાના સંપર્કમાં આવીને ભાષાની આ મૂડીનો વિનિમય કરે છે ને આ આદાન-પ્રદાનથી ભાષાઓ બદલાતી રહે છે ને ક્યારેક તો ‘ survival of the fittest’ ના સિદ્ધાંતે વધારે ઉપયોગી ભાષાને સૌ અપનાવી લેતા પેલી ‘માતૃભાષા’  મ્યુઝીયમની ચીજ બની જાય છે. આપણી ઘણી બોલીઓ અને ભાષાઓ જે-તે સમયના ભાષા-સમુદાયોના જીવનમાં  પોતાનું યોગદાન આપીને અલવિદા કહી જાય છે. આપણી પાસે રહી જાય છે એ ભાષાના આર્કાઈવ્ઝ :  શબ્દકોશો, વ્યાકરણો, સાહિત્ય, અને અન્ય સર્જનો.  એટલે આપણી પ્યારી ‘માતૃભાષા’ એવી ગુજરાતી ભાષાના સૌન્દર્યને માણવાનો જેટલો લ્હાવો મળે તેટલો માણી લો, કારણકે એ સમયને હવે ઝાઝી વાર નહિ લાગે,  વધારેમાં વધારે ચાર-પાંચ પેઢી યા  સોએક વર્ષ જેટલો સમય અને આપણી ‘માતૃભાષા’ કાં હિન્દી કાં અંગ્રેજી થઇ જશે, અત્યારે પણ આપણી માતૃભાષા તો  ગુજલીશ કાં હિંગ્લીશ ની નજીકની જ થઇ ગઈ જ છે ને.  

આપણે અજીબ પ્રકારના ગુજરાતીઓ છીએ  : બધું બદલવું છે ને એક ભાષાને વણબદલી રાખવી છે. વડવાઓની ગૂફાઓ છોડી દીધી ને અંગ્રેજી ફ્લેટો અપનાવી લીધા, આપણા સંસ્કૃતભાષી ઋષિઓના વલ્કલ છોડી દીધા ને અંગ્રીજીયતના કોટ-પાટલૂન અપનાવી લીધા, માં ગુર્જરીની ભવાઈ છોડીને હિન્દી સીરીયલો અપનાવી લીધી ને એવું તો ગણે પાર નાં આવે એવું એવું  ઘણું ‘પોતાનું’  છોડીને ‘પારકી’ સંસ્કૃતિ’નું  અપનાવી લીધું ને આ એક ભાષાની આટલી શી માયા? તમે કહેશો કે ભાષા તો સંસ્કૃતિ અને પરંપરાની સંરક્ષક છે. અરે ભાઈ, શું અન્ય લોકોની માતૃભાષામાં સાહિત્ય-જ્ઞાન-માહિતી વગેરે નથી હોતા? યાદ કરો ‘ગાઈડ’ ફિલ્મના પેલા સંસ્કૃત શ્લોકથી જ પોતાને મહાજ્ઞાની સમજતા બે બ્રાહ્મણ પંડિતોને  કે જેમને દેવાનંદ અંગ્રેજી બોલીને ચૂપ કરી દે છે : અંગ્રેજી આતી હો તબ ના? 

એવું તો નથી ને કે તમે પેલા સ્વાર્થી વ્યાવસાયિકો ને ખંધા રાજકારણીઓની જેમ સાચો એજન્ડા છુપાવીને ‘માતૃભાષા’ બચાવવાની ઝુંબેશ  માટે હાલી નીકળ્યા છો? પારકા છોકરાને જતી કરવા નીકળ્યાં હો એમ તમારા છોકરાંને અંગ્રેજી ભણાવીને આ ગ્લોબલીઝેશનના જમાનામાં સત્તા, પ્રતિષ્ઠા ને ધનના એક માત્ર વારસદાર બની રહેવા માગો છો ને દલિત-આદિવાસીના છોરાને ‘માતૃભાષા’ની ગોળી પીવડાવી એમને કાયમના વેઠિયા-મજૂરીયા બનાવવાના આ કીમિયા તો નથી ને ભાઈ? તમે તો બહુ ચાલાક પ્રજા છો ભાઈ ભદ્ર્જનો, તમે તો વખત પારખવામાં પાક્કા છો. સત્તાના ને સંપત્તિના ભાગીદાર બનવા તમે ‘માતૃભાષા’ને છોડીને વખતે ફારસી કે અરબી કે ફ્રેંચ કે ચાઇનીઝને  પણ પોતાની ભાષા બનાવી શકો છો !  કેવળ દલિત-આદિવાસીઓને  જ સ્વદેશીના, માતૃભૂમિના, માતૃભાષાના પાઠ ગોખાવે છે પણ એ લોકો તો ડ્યુઅલ સીટીઝંનશીપ અને મલ્ટી-લીન્ગ્વલ બનીને પોતાના હિતોને વિસ્તારતા જ રહે છે.   બિચારી આ દલિત-આદિવાસી ભોળી પ્રજા છે અને લાચાર પણ, કે એ આમ પોતાના સ્વાર્થ પ્રમાણે ‘માતૃભાષા’ બદલી શકતી નથી.

જગતની પાંચેક હજાર ભાષાઓમાંથી આફ્રિકામાં જ ૨૦૦૦ જેટલી ભાષાઓ બોલાય છે. આફ્રિકાના અશ્વેતો પાસેથી ગુલામીને કારણે પોતાની ‘માતૃભાષા’ છીનવાઈ ગઈ  પણ આજે અંગ્રેજી ભાષા થકી થયેલા સશક્તિકરણની પણ નોંધ લેવા જેવી છે. નવી ભાષાએ સર્જેલા સશક્તિકરણનું ચરમ દૃષ્ટાંત તો નવા આત્મસમ્માન અને ખુમારી સાથે માનવ માત્રની સમાનતા, બંધુતા અને સ્વતંત્રતાની હાકલ કરતો એક હબશી તો અમેરિકાના સર્વોચ્ચ સ્થાને બિરાજે છે.  દરેક ડાયાસ્પોરાની માતૃભાષા બદલાતી હોય છે અને એટલેજ તો આપણને વસનજી કે નાયપોલ કે રશ્દી જેવા વિશ્વવિખ્યાત અંગ્રેજીભાષી સર્જકો પ્રાપ્ત થયા છે.  ઘર આંગણાની વાત કરું તો અંગ્રેજીએ અમને અમારા  ઉધ્ધારક – આંબેડકર આપ્યા !  અને ગુજરાતીએ અમને આર. એસ. એસ.બ્રાન્ડના હિન્દુત્વમાં  માનતા કિશોર મકવાણા ને મુલચંદ રાણા જેવા આપ્યા!  આપણી  ‘માતૃભાષા’ ગુજરાતીએ જ અમને કદી ન ભૂસાય તેવો ‘ઢેડ’ નામનો ડામ દીધો છે   અમારા કપાળે. આ જ માતૃભાષાએ કોઈ શ્રમજીવીને ‘ભંગી’  તો કોઈને ‘ઘાંયજા’ની ઓળખ આપીને એમના માનવ ગૌરવ હણી લીધા છે.  

આપણી પ્યારી ગુજરાતી ભાષા આવા કટોકટી કાળની કસોટીમાંથી પસાર થઇ રહી છે, અંગ્રેજી ને હિન્દી જેવી અન્ય વધારે ઉપયોગી ભાષાઓની સ્પર્ધામાં  આ બાપડીને આવો કાગારોળ કેટલું ટકાવી શકે? સિવાય કે એ પણ વૈશ્વિક દૃષ્ટિકોણ અપનાવી એના ભાષકોની ન કેવળ સાહિત્યિક-સાંસ્કૃતિક બલ્કે વૈચારિક જરૂરીયાતોને પહોંચી વળવા સમર્થ બને. અને એ માટે એ સમાજ વિજ્ઞાનો, પ્રાકૃતિક વિજ્ઞાનોના જ્ઞાનના ભંડારથી પણ સમૃદ્ધ થાય.  ‘વાચા’ નામના અમારા દલિત સાહિત્યના મૅગેઝીનનો મુદ્રાલેખ હતો :  સા વાચા યા વિમુક્તયે. જે વાણીથી, જે ભાષાથી, જે વિદ્યાથી મુક્તિ મળે એને જ હવે તો માતૃભાષા બનાવશે દલિતો-શોષિતો. હું તો ઈચ્છું કે હર કોઈ દલિત બાળક અંગ્રેજી માધ્યમથી જ ભણે, મધરટંગથીય વિશેષ પ્રેમ કરે આ ‘ ઈંગ્લીશ’ નામની  ફોસ્ટર મધરને. બલ્કે હું તો ઈચ્છું કે દલિતોની હવે પછીની બે-પાંચ પેઢીએ તેમની માતૃભાષા જ અંગ્રેજી થઇ જાય. પ્રિય માતૃભાષા, અમે તને અલવિદા કહીએ છીએ. અમે મહેનત કરીને પણ મુક્તિ અપાવે એવી ભાષા, સ્વમાન અપાવે એવી ભાષા શીખી લઈશું. લીલા ચરિયાણની શોધમાં દેશને તરછોડી ગયેલા આપણા ઉજળીયાત ડાયાસ્પોરાએ એમના વડવાઓની માતૃભાષા ‘ગુજરાતી’ છોડી દીધી તો એન.આર.જી ના કેવા સવાયા માનપાન પામે છે મોદીસાહેબના  હાથે !  સમય સંજોગોને કારણે પોતાનું હિત જોઇને પરદેશથી આવેલા પારસીઓએ પોતાની માતૃભાષા છોડીને કેવી ‘ગુજરાતી’ અપનાવી લીધી અને આજે ‘ સવાઈ ગુજરાતી’ તરીકે અન્ય લઘુમતીઓથી વિશેષ સમ્માનનિયતા-વિશ્વસનીયતા પામે છે !  હું તો કહું છું કે ગુજરાતી માતૃભાષા જ નહિ,  આ ગુજરાત અને ભારત નામનો દેશ પણ છોડી દો અને એવા દેશમાં વસો જ્યાં સ્વતંત્રતા, સમાનતા, બંધુતાના મૂલ્યોથી નાગરિક જીવન જીવાતું હોય. પણ એવો દેશ તમને ક્યાં મળશે જ્યાં જ્ઞાતિ-વાયરસથી આભડેલો ભારતીય ડાયાસ્પોરા નહિ હોય?  આ ઇન્ડિયન ડાયાસ્પોરાએ તો આખા જગતને અભડાવી મૂક્યું છે.   

રાજ્યશાસ્ત્રના પ્રોફેસર જયંતી પટેલ મારી બેબસી અને પલાયનને જોઈ  મને  દિલાસો આપે છે : ભાષા તો ન્યુટ્રલ હોય છે, દરેક ભાષાને અર્થો તો એને બોલનારો સમાજ આપે છે. સાચી વાત, સમાનતા અને  ભ્રાતૃત્વના મૂલ્યોમાં ન માનતો કોઈ પણ સમાજ એની ભાષાને  મુક્તિ, સમ્માન અને આનંદની ભાષા નહિ બનાવી શકે.  અંગ્રેજી ભાષામાં પણ રેસિઝમની ભાષા ક્યાં જોવા નથી મળતી : અશ્વેત આફ્રિકનને હજી પણ કોઈક ‘નીગર’ કહીને બોલાવે છે. એટલે  મૂલ્યોમાં નહિ માનતો ભાષક શિષ્ટ નહિ તો સ્લેંગ માં પણ ઝેર ઓકશે જ.  એટલે આપણે ‘ભાષા બચાવો’  કે  ‘ભાષા શુદ્ધિ’ અભિયાનથી ય પહેલા સાચા માનવમૂલ્યોની સ્થાપના માટે અભિયાન ચલાવવું વધારે આવશ્યક છે.  ‘ગુજરાતી’  મારી માતૃભાષા, ઈંગ્લીશ મારી ફોસ્ટર મધર.

106 thoughts on “A Dalit Voice in Gujarati”

  1. આ આખી વેદના તે ભાષાની છે તેના કરતાં સામાજિક અન્યાયની છે. ભાષા તો કેવળ માધ્યમ છે ને તેનો વપરાશ જે કરે તેને અનુરૂપ/અનુકુળ થઈને તે રહે છે.

    આપણા સમાજે જેમને ડાબી બાજુ બેસાડ્યાં તેમાં ફક્ત દલીતો જ નથી. પોતાના સગ્ગા હાથનેય તેમણે ડાબો કરીને અવગણ્યો છે જેના દ્વારા પૈસાની લેવડદેવડ કરાતી નથી !! સફાઈકામ કરનાર કોઈ માણસ હોય કે પોતાનો જ હાથ હોય તેને “સફાઈ જેવા પવીત્રકાર્ય” બદલ સન્માનવાને બદલે હડધૂતવાનું કામ થતું રહ્યું છે, આ દેશમાં.

    ભાષાની જ વાત કરીએ તો આજે પણ પંડીતાઈને પકડી રાખનારાંઓ ભાષાની અઘરાઈને ઓછી કરવા રાજી નથી. ભાષામાં જોવા મળતી અરાજકતાને દુર કરવાનું ગમતું નથી ને છતાં તે લોકોનેય સાચું લખતાં આવડતું નથી ! પંડીતાઈભરી અઘરી ને અરાજકતાવાળી ભાષામાં માનનારાંઓ પોતે પણ શુદ્ધ લખી શકતા નથી પણ પ્રુફરીડરોને લીધે તે સૌ લેખકો, પ્રકાશકો, વીવેચકોનો વટ જળવાઈ રહે છે !! છેલ્લા સમાચાર સાંભળવા છે ? તો સાંભળો, કે હવે તો સારા પ્રુફરીડરોય મળતા નથી !!! કાલે આ બધાંઓનું શું થશે ?! ભાષા અને સાહીત્ય સાથે સંકળાયેલાં સામયીકોમાંથી ભુલો શોધવાનુંય હવે કોણ કરશે ? કારણ કે ભુલો પાર વિનાની હોય છે ! ગાંધીજીએ કોશ તૈયાર કરવાનું સુચન કર્યું ત્યારે તેમના સૌથી પહેલા પત્રમાં “શુદ્ધિપત્રક વિનાનો શબ્દકોશ” હોવો જોઈએ તેવી વાત લખી હતી !! આજે કોશમાંય ઢગલાબંધ ભુલો હોય છે.

    ને હા, નીરવભાઈ, ગુજરાતી ભાષાએ દલીતોને જ અન્યાય કર્યો છે તેમ માનવાની ભુલ ન કરતા…જુઓ એક મજાની વાત અહીં મુકું છું…સાર્થ ગુજ. જોડણીકોશની છેલ્લી આવૃત્તિના પાના નં. ૫૯૧ પર શું લખ્યું છે તે વાંચી જુઓ –

    બાઈ સ્ત્રી (दे. बाईयां) કોઈ પણ સ્ત્રી; બાઈડી (૨) સ્ત્રીના નામ પાછળ લગાડાતો માનવાચક શબ્દ (૩)સાસુ (૪)નોકરડી. બાઈ બાઈ ખોબલે. ધાણી = ભીખ માગવી; એક જાતની રમત)૦કલ્યાણી વિ૦ બાયલું; નમાલું (૨) સ્ત્રી. ભીખ (૩)આજીજી, કાલાવાલા. (–કરવી= ભીખ માગવી.) ૦જી સ્ત્રી. સાસુ. ૦(–ય)ડી સ્ત્રી. કોઈ પણ સ્ત્રી.(૨) પત્ની. (–કરવી= પરણવું. –રાખવી=રખાત રાખવી. બાયડીઓ બેસવી= મોકાણ માંડવી; દુર્દશા થવી.) ૦બાઈ ચાલ(–ળ)ણી સ્ત્રી. એક રમત; ચલક ચલાણું. ૦માણસ ન. બૈરું.

    બોલો પ્રભુ ! છે એકેય સારો શબ્દ નારી માટે ?! નારી તું નારાયણી કહેનારી ભાષાએ જ સ્ત્રી શબ્દને ક્યાં ક્યાં જોડીને કેટલો વગોવ્યો છે ?!

    આ આખો પ્રશ્ન બ્રહ્માના માથામાંથી, બાહુમાંથી, પેટમમાંથી ને પગમાંથી જન્મેલી કહી દેવાયેલી સામાજીક માનસીકતાનો છે. ભાષા બીચારી શું કરે ?

    ફરી એક વાર (ત)મારી બારીએ કીમતી દૃશ્ય તરફ આંખ (આમ તો મગજ)ને દોરી છે, દીપકભાઈ.
    નીરવભાઈને પણ એમના આક્રોશ માટે વંદન.

    1. Ba’i in Hindi Dictionary………….

      બાઈ સ્ત્રી૦ [સં૦ વાયુ] બાત, જો ત્રિદોષોં મેં સે એક હૈ| વિ૦ દે૦ બાત| ક્રિ૦ પ્ર૦—આના| —ઉતરના| —ચઢ઼ના| પદ—બાઈ કી ઝોંક=(ક) વાયુ કા પ્રકોપ| (ખ) કિસી મનોવેગ કા બહુત હી તીવ્ર યા પ્રબલ આવેગ| મુહાવરા—બાઈ ચઢ઼ના=(ક) વાયુ કા પ્રકોપ હોના| (ખ) કિસી પ્રકાર કા બહુત હી પ્રબલ યા મનોવેગ ઉત્પન્ન હોના| બાઈ પચાના=(ક) વાયુ કા પ્રકોપ શાન્ત હોના (ખ) ઉગ્ર યા તીવ્ર મનોવેગ શાન્ત હોના| (ગ) વ્યર્થ કા ઘમંડ ટૂટના યા નષ્ટ હોના| (કિસી કી) બાઈ પચાના=અભિમાન નષ્ટ કરના| ઘમંડ તોડ઼ના| સ્ત્રી૦ [હિં૦ બાવા] ૧. સ્ત્રિયોં કે લિએ એક આદર સૂચક શબ્દ| જૈસે—લક્ષ્મી બાઈ| ૨. ઉત્તર ભારત મેં પ્રાયઃ નાચને-ગાનેવાલી વેશ્યાઓં કે સાથ લગનેવાલા શબ્દ| જૈસે—જાનકી બાઈ, મોતી બાઈ| પદ—બાઈજી=નાચને-ગાનેવાલી વેશ્યા|
      સમાનાર્થક શબ્દ –

  2. They did not let you learn Sanskrit in the past now they may not let you learn English in the name of saving mother language but not promoting Gujarati Lipi in writing Hindi.

    ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?

  3. વિદ્વાન મિત્ર :
    આપે અનેક બંધુઓના અંતરના અવાજને લખાયેલી ભાષામાં વ્યક્ત કરવાની હિમત કરી તે બદલ અભિનંદન. અવાજ કરવાનું છોડતા નહિં.
    કેશવ

  4. આપણા મિત્ર શ્રી નરેશભાઈ માંકડે આ લેખ શ્રી ભરતભાઈ કાપડિયાને મોકલ્યો. શ્રી ભરતભાઈએ ગુજરાતના સમર્થ શિક્ષણશાસ્ત્રી શ્રી દાઉદભાઈ ઘાંચીને ‘ફૉરવર્ડ’ કર્યો અને શ્રી ઘાંચી સાહેબે પ્રતિભાવ પણ આપ્યો. આ આખો ચર્ચાસંપુટ શ્રી નરેશભાઈએ મને મોકલી આપ્યો. શી ઘાંચીસાહેબનો પ્રતિભાવ અહીં રજુ કરવાની મારી ફરજ અદા કરૂં તે પહેલાં એમનો પરિચય શ્રી ભરતભાઈના શબ્દોમાં:
    “પ્રિય નરેશભાઈ
    ડૉ. દાઉદભાઈ ઘાંચી ગુજરાતના શિક્ષણ જગતનું માનાર્હ નામ છે. પચીસેક વરસ અગાઉ તેઓ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટિ , પાટણ ના VC તરીકે નિવૃત્ત થયા. હાલ ખૂબ સરસ સ્વાસ્થ્ય સાથે તેઓ વરસના ૪-૬ માસ ભારત અને એટલો જ સમય વિદેશમાં (તેમના સંતાનો પાસે) રહે છે. તે દરમિયાન વિભિન્ન કોલેજો, યુનિવર્સિટિમાં વિભિન્ન વિષયો પર લેકચર આપવા નિમંત્રિત થાય છે.
    અમારા પરિચયનો પ્રારંભ ૧૯૬૬-૬૭ માં થયેલો. તેમના વાત્સલ્યનો લાભ હજુ ૪૫ વરસ પછી પણ મળતો રહે છે.
    તેમનો પ્રતિભાવ દીપકભાઈને પહોંચાડશો?
    ભરત”

    હવે જોઇએ શ્રી દાઉદભાઈ ઘાંચીનો પ્રતિભાવઃ
    “Language is, but just one among many tools of acculturation , and has a powerful role in the process of empowerment through acculturation . This is the burden of the song so eloquently orchestrated by Dipak Dholakia. Let the powers that be, whether in society or polity, hark to the tunes played by Dipak.It points to the inevtability of a total revolution needed to bring about genuine social change. Otherwise, language alone can camouflage uncomfortable realities and deceive with verbal enchantment that anaesthesizes . It has happened and is also happening in human societies all over the world struggling after the mirage of so called inclusion, equality and dignity.
    I request Dipak to respond.

    ૦૦૦૦
    શ્રી નરેશભાઈએ એમના મિત્રોને સીધા ‘મારી બારી’એ આવવા આમંત્રણ આપ્યું છે, તે મારા માટે હર્ષની વાત છે.
    શ્રી ઘાંચીસાહેબે I request Dipak to respond. લખ્યું છે, અને મારે પ્રતિભાવ આપવો પણ જોઇએ. પરંતુ આલેખમાં તો હું માત્ર નિમિત્ત છું મૂળ લેખક શ્રી નીરવભાઈ પટેલ કઈંક કહે તે પછી મારો વારો આવે!
    આ લેખ સ્વતંત્ર રીતે બીજા વિદ્વાનોને પણ મોકલું છું.

    1. thanks dipakbhai, for your courtesy of offering precedence. and i have to thank you again for putting me in touch with such learned people : shri jugal kishor, shri keshav, shri subodh shah, shri dawoodbhai ghanchi, shri nareshbhai, shri babu suthar, shri naresh kapadiya, shri mayank parmar and a couple of others whose names i can’t decipher. i thank you all, but would like to respond to prof suthar first, for it seems he is much annoyed and i must assuage his hurt feelings. or should i wait for more bricks for me ?

      1. નીરવભાઈ,
        આમાં આભાર એવું કઈં નથી. તમારો પ્રતિભાવ આપો. અહીં સૌ મિત્રો છે. વિચારના વિકાસ માટે દ્વન્દ્વાત્મક પ્રક્રિયા (dialectical process) જરૂરી છે. કોઈ પોતાનો વિચાર ઝાડને કે પથ્થરને જઈને ન કહે. સામે પણ જીવંત વ્યક્તિ જ હોય તો જ વિચાર વ્યક્ત કરવાનું સાર્થક બને છે.

  5. Niravbhai,
    Your “aakrosh” is real, good and completely justified. Congrats !

    However, it is a protest against Social (not linguistic) chauvinism, injustice, exploitation, whatever you may call it. Language is only a medium of communication. It can be used well. Or, it can also be misused to reflect the wrong bias, wrong culture or damaging Values of the user of that language. Please do not blame the messenger alone, blame the society.

    The real culprit is our Varnashram “A-Dharma”. I had to write a whole book (in English) to explain the misguided values and culture that Hindu religion has espoused for centuries.
    I wish you will continue to write in whatever language you are comfortable with. The fittest languages will survive. No regrets, no sentimentalism there.
    Thanks . —Subodh Shah, from NJ, USA.

  6. (૧) કોઈ પણ ભાષા સામાજિક વર્ગો ઊભા નથી કરતી. ગુજરાતી પણ એક ભાષા છે. એટલે એ પણ કોઈ સામાજિક વર્ગો ઊભા નથી કરતી. હા, પ્રજા પોતાની વાસ્તવિકતા પ્રમાણે ભાષાના વાક્યતંત્રનું અને એના શબ્દભંડોળનું સર્જન કરતી હોય છે. જો ગુજરાતી ભાષામાં ice અને snow એવા બે શબ્દો માટે કેવળ એક જ શબ્દ ‘બરફ’ હોય તો એનો અર્થ એ થયો કે એ સમાજ ‘કૃત્રિમ બરફ’ અને ‘કુદરતી બરફ’ એવા ભેદ નથી પાડતી. જો કે, અહીં પણ એક વાત ભૂલવાની નથી. કોઈ પણ ભાષાના વાક્યતંત્રનાં અને એના શબ્દભંડોળનાં તમામ પાસાં જે તે સામાજિક વાસ્તવિકતા સાથે ન જોડી શકાય. એ બન્નેનાં કેટલાંક પાસાં જ એવાં હોય છે જેમને આપણે જે તે સામાજિક વાસ્તવિકતાની નીપજ તરીકે સ્વીકારી શકીએ. હું જે કહેવા માગું છું તે એ કે કોઈ ભાષા એમ ન કહે કે ચાલો ‘સુથાર’ નામનો શબ્દ હું તમને આપું છું. એના વડે સમાજના એક વર્ગને તમે ‘સુથાર’ તરીકે ઓળખો અને પછી એ વર્ગનું શોષણ કરો, એને ત્રાસ આપો.

    (૨) ભાષાનું રાજકારણ અને ભાષકોના રાજકારણની વચ્ચે ભેદ પાડવો જોઈએ. ભાષાનું રાજકારણ ખૂબ જ સુક્ષ્મ વસ્તુ છે. એની ચર્ચા અત્રે પ્રસ્તુત લાગતી નથી. જ્યારે ભાષકોનું રાજકારણ આમ જુઓ તો સપાટી પરની ઘટના છે. એ રાજકારણ પ્રગટ પણ હોય, અપ્રગટ પણ હોય.

    (૩) ‘સવર્ણો’ અને ‘દલિતો’ કોઈ homogeneous કોટિ નથી. એવા સવર્ણો પણ મળી આવશે જે દલિતો કરતાં વધારે દલિત હશે અને એવા દલિતો પણ મળી આવશે જે સવર્ણો કરતાં પણ વધારે સવર્ણ હશે. એમ હોવાથી આ બન્ને સામાજિક વર્ગોની વાત કરતી વખતે વધારે પડતું સામાન્યીકરણ ટાળવું જોઈએ. મને મારું જ ઉદાહરણ આપવા દો. જેમ નીરવ પટેલનાં મા-બાપ જ્ઞાતિગત વ્યવસાય સાથે સંકળાયેલાં હતાં એમ મારાં મા-બાપ પણ. જેમ એમની ભાષા એઓ કહે છે એમ બે હજાર શબ્દોમાં જ મર્યાદિત થઈ ગયેલી હતી એમ મારી પણ. જેમ એમનાં શિક્ષિકાબેન ‘ઘારીનો ઘ’ કહેતાં હતાં એમ મારી ચાલણગાડી પણ ‘અનનાસ’નો ‘અ’ કહેતી અને મને સમજાતું ન હતું કે એ ફળ શું હશે? જેમ એમના શિક્ષકો માન્ય ગુજરાતી બોલતા હતા એમ મારા શિક્ષકો પણ. વળી એ તો અમદાવાદના પાદરે આવેલા એક ગામમાં ભણેલા. હું જ્યાં જનમ્યો હતો ત્યાંથી સૌથી મોટું શહેર, જો એને શહેર કહેવાય તો, લુણાવાડા પચ્ચીસ માઈલ દૂર હતું. મેં શહેર પહેલી વાર કોલેજ ગયો ત્યારે જોયું. એ પણ મોડાસા. મેં ફિલ્મ પહેલી વાર કોલેજમાં ગયો ત્યારે જોઈ. હા, ક્યારેક માહિતીખાતાવાળા ગામમાં આવીને બતાવતા એ ફિલ્મો મેં જોયેલી ખરી. મેં પહેલી વાર પગરખાં પહેર્યાં કોલેજ ગયો ત્યારે. મને પણ એમ જ કહેવામાં આવતું હતું કે કેવળ પટેલો જ ભણે, સુથારોએ તો સુથારી કામ જ કરવાનું. અને એટલે જ જ્યારે હું એસ.એસ.સી.માં પ્રથમ વર્ગમાં પાસ થયો ત્યારે મારા પિતાજી રડવા બેસી ગયેલા: “હવે ક્યાંથી લાવીશ કોલેજની ફીના પૈસા” એમ કહીને? જ્યારે પણ આર્થિક તંગી પડતી ત્યારે બાપા ગામમાં એક વણકર પાસેથી વ્યાજે પૈસા લાવતા. હું માનું છું કે મારા જેવા કંઈ કેટલાય હશે. હું જે કહેવા માગું છું તે એ કે સવર્ણોના અને એ જ રીતે સમાજના કોઈ પણ વર્ગને આપણે homogeneous વર્ગ તરીકે સ્વીકારીને એની સામે આક્રોશ વ્યક્ત કરીએ તો મને એમાં ભારોભાર ગેરસમજ અને ક્યારેક તો અવિવેક પણ દેખાતો હોય છે. એક જમાનામાં આવી ગેરસમજ સ્વીકારી લેવાતી હતી. પણ, હવે સામાજિક વાસ્તવિકતા બદલાઈ ગઈ છે. એક બાજુ, ગ્લોબલાઈઝેશનના કારણે આપણે વધુને વધુને homogeneous બની રહ્યા છીએ તો સામે છેડે આપણે આપણી ઓળખ ઊભી કરવા માટે વધુને વધુ heterogeneous બનવા તરફ જઈ રહ્યા છીએ. આ બેની વચ્ચેનું જે ઘર્ષણ છે એ હજી આપણે સમજી શક્યા નથી. કેમ કે, એ ઘર્ષણનું સ્વરૂપ પણ સતત બદલાયા કરે છે.

    (૪) અંગ્રેજી ભાષા પણ દૂધે ધોયેલી નથી. એ ભાષા બોલતા લોકોએ જ આખાને આખા દેશોને ગુલામ બનાવ્યા છે અને એમને ત્રાસ પણ આપ્યો છે. યુરોપની સામે સૌથી મોટો આરોપ આ જ છે. એ પ્રજાએ enlightenmentની તરફેણ કરી. પછી એમને સૌ પહેલાં આ જ્ઞાન થયું: સામેવાળો (અ)મારા જેવો નથી; એટલે એ અમારી જેમ enlightened નથી. ચાલો, આપણે એને enlightened (એટલે કે ‘ગુલામ’?) બનાવીએ. એ જ રીતે, ફ્રેંચ કે રશિયન પણ દૂધે ધોયેલી નથી. નીરવભાઈને એ ભાષામાં enlightenment દેખાતું હોય તો એનાં મૂળ એમના દલિત વિરુદ્ધ સવર્ણના રાજકારણમાં પડેલાં છે.

    (૫) ‘ભાષા પસંદગી’ સમાજભાષાવિજ્ઞાનમાં ખૂબ વપરાતી એક સંજ્ઞા છે. દરેક માણસને ભાષા પસંદગીની સ્વતંત્રતા હોય છે. જો કોઈ એમ કહેતું હોય કે દલિતોએ અંગ્રેજી ભાષા નથી શીખવાની તો એમની વાત ખોટી છે. અને જો કોઈ નીરવ પટેલ જેવા એમ કહેતા હોય કે દલિતોએ અંગ્રેજી ભાષા જ અપનાવવી જોઈએ તો એ વાત પણ ખોટી છે.

    (૬) આખા લેખમાં નીરવભાઈએ ઘણા બધાને આડે હાથે લીધા છે. એમાં વિવેક જળવાયો નથી. એન.આર.જી.ની વાત કરે છે પણ એ કયા એન.આર.જી.? કોઈ સાહિત્યકાર કે અધ્યાપક એન.આર.જી.ને સરકાર કે સમાજ કોઈ ભાવ પણ પૂછે છે ખરું?

    (૭) ગુજરાતી બચાવો-ની ઝૂંબેશ કઈ દિશામાં જઈ રહી છે એની મને ખબર નથી. પણ, યુનેસ્કો અને બીજી અસંખ્ય સંસ્થાઓ પણ ભાષાધોવાણની પ્રક્રિયાથી ચિંતત છે. જગતભરમાં અસંખ્ય વિદ્વાનો એના પર કામ કરી રહ્યા છે. એટલે એ ચળવળને કેવળ સવર્ણોની કે માસ્તરોની કે સાહિત્યકારોની ચળવળમાં ન્યૂન ન કરી શકાય. માનો કે ગુજરાતી બચાવો – ઝુંબેશ બીજી દિશામાં જઈ રહી હોય તો નીરવ પટેલ જેવા સાહિત્યકારે એની ટીકા કરવી જોઈએ. એને આવા જ્ઞાતિ જે જાતિના રાજકારણમાં ન્યૂન કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ.

    (૮) મને એક વાત સમજાતી નથી: આપણો સાહિત્યકાર આટલો બધો વિચારદરિદ્ર કેમ છે? કેમ એને હજી પણ આવા છીછરા રાજકારણમાં રસ પડતો હશે? આવા કોઈક વિષય પર લખતાં પહેલાં આપણા વિદ્વાનો અભ્યાસ કેમ નહીં કરતા હોય?

    1. Babu Suthar has provided a comprehensive canvas on the subject . He has blended the disiplines of linguistics, sociolinguistics, anthropology, sociology and of course, political science. That is a sort of homogenised heterogenity . The basics that underlie the discourse of Nirav Patel relate to the unpleasant reality of cleavages that continue to raise their heads in the day-to-day life of the people of India as well as Gujarat due to a revolution of expectations characteristic of a developing society.There is a constant interplay, even conflict and confusion in the scenario. The need of the hour is to discuss, to analyse, to understand and to try to generate more light. Let’s continue the search. It will be rewarding, though often frustrating and fatiguing.

    2. નીરવભાઈ ,
      આપે ખુબ જ સરસ લેખ લખીને દલિતો (કહેવાતા લોકો દ્વારા ,અહી સંવિધાન ની માન્યતા ના હોવાથી ઉલ્લેખ કરું છુ),,ની વેદના ને ખરા અર્થ માં રજુ કરી અને મોટે અંશે સફળ પણ રહ્યા છો ,,,,તમારા ઘણા મુદ્દા પણ રસપરદ હતા અને અમુક લોકો પ્રમાણે વિવાદાસ્પદ લાગ્યા ,,,તમારા કામ ને હું ખોટું નથી કહેતો ભાઈ ,પણ મારા મત મુજબ ભાષા એક માધ્યમ હતું,ચાત પોતાની લાગણીનું એક મહત્વ હોય છે જ ,,છતાં મને એમ નથી સમજાતું ભાઈ ,,કે શું લખવાથી દલિતો ની સ્થિતી શુધારી જશે ,,,?,,મારા મત મુજબ તમે તમારી ઉર્જા ને બચાવજો ,,

      બાપુ સુથાર ,,ભાઈ ,
      તમારી કેટલીક વાતો નીરવભાઈ કરતા પણ શિસ્તબદ્ધ નથી ,,
      ”‘સવર્ણો’ અને ‘દલિતો’ કોઈ homogeneous કોટિ નથી. એવા સવર્ણો પણ મળી આવશે જે દલિતો કરતાં વધારે દલિત હશે અને એવા દલિતો પણ મળી આવશે જે સવર્ણો કરતાં પણ વધારે સવર્ણ હશે. એમ હોવાથી આ બન્ને સામાજિક વર્ગોની વાત કરતી વખતે વધારે પડતું સામાન્યીકરણ ટાળવું જોઈએ. ”

      આ વાક્ય કેમ હવે જ બોલી રહ્યું છે ?…જયારે દલિતો પોતાની વેદના ની વાત કરે તો કહેવાતા સવારનો અને બીજા દ્વારા પણ આ વાક્ય સંભાળવા મળે છે ..કેમ આટલા વર્ષો શું હતું ,,,ના પડી હતી વાક્ય બોલવાની ?,,

      વાત સાચી છે કે અંગ્રેજ આપને ગુલામ બની રાખ્યા ,,કેમ અંગ્રેજ પર જ આટલો રોષ ?,,,મુગલો પણ હતા ગુલામ બનાવામાં ?,,અને આર્યો પણ ,,,
      કદાચ અંગ્રેજ ના કારણે જ આપને કેટલીય રૂઢી માંથી છુટી શક્યા છે ,,દલિત પર અન્યાય થયેલો છે એટલે કદાચ નીરવભાઈ કોઈ ને આડે લીધા પણ એમાં તમે એમને ના બોલી શકો ,,,

      આભાર

      1. માફ કરજો મયંકભાઈ, મેં homogeneity/heterogeneityના સંદર્ભમાં જે વિધાન કર્યું છે એ તમને શિસ્તબદ્ધ નથી લાગતું. અને એનું કારણ આપતાં તમે કહો છો કે “આ વાક્ય કેમ હવે જ બોલાઈ રહ્યું છે ?…જયારે દલિતો પોતાની વેદનાની વાત કરે તો કહેવાતા સવર્ણો અને બીજા દ્વારા પણ આ વાક્ય સાંભળવા મળે છે …કેમ આટલા વર્ષો શું હતું? ના પાડી હતી વાક્ય બોલવાની?” સૌ પહેલાં તો તમે સાચેસાચ શું કહેવા માગો છો એ જ મને તો સમજાતું નથી. બની શકે કે તમને સમજવા માટે મારી પાસે જોઈએ એવાં સાધનો ન પણ હોય. પણ, કોઈ વિધાન મોડું કરવામાં આવે તો એ વિધાન અસત્ય કે અર્થહીન હોય એવું જો તમે કહેવા માગતા હો તો માફ કરજો હું તમારી સાથે સંમત થતો નથી. એનું એક કારણ તે એ કે આ વિધાન મેં કર્યું એ પહેલાં કોઈએ પણ કર્યું જ નથી એવો મારો દાવો નથી. દેખીતી રીતે જ, તમે દલિતો અને સવર્ણો વચ્ચેના સંબંધોની જેટલો ઊંડો અભ્યાસ કર્યો છે એટલે મેં નથી જ કર્યો. કેમ કે મારે એની જરૂર જ ઊભી થઈ નથી. પણ, હું માનું છું કે જેમ વિજ્ઞાનમાં બને છે એમ સમાજશાસ્ત્રોમાં પણ કેટલાંક સત્યો મોડાં નજરમાં આવતાં હોય છે. મારું વિધાન મારા નિરીક્ષણ પર આધારિત છે. જો તમારે એની સાથે સંમત ન થવું તો તમારી પાસે એક જ માર્ગ રહે છે: મારા વિધાનને અસત્ય સાબિત કરે એવો સમાજ બતાવો. સવર્ણોનો અને એ જ રીતે દલિતોનો પણ એવો સમૂદાય બતાવો જે સંપૂર્ણપણે homogeneous હોય. એટલે વાત પૂરી. જુઓ મયંકભાઈ, હું કોઈ રાજકીય નેતા નથી. હું સવર્ણોનો કે દલિતોનો કે બીજા કોઈનો પ્રતિનિધિ પણ નથી. હું કેવળ સમાજવિદ્યાઓમાં સ્વીકારવામાં આવેલી અભ્યાસની કેટલીક શિસ્તનો જ પ્રતિનિધિ છું એટલે હું દેખીતી રીતે જ હું એ પ્રમાણે જ વાત કરું.

        તમે કહો છો કે મોગલોએ ભારતીયોને ગુલામ રાખ્યા હતા એ વાત હું કેમ ભૂલી જાઉં છું. તમારી વાત સાચી. પણ, એમ કહેવાથી અંગ્રેજી અને બીજી ભાષાઓએ – જેને વિદ્વાનો languages of empire તરીકે ઓળખાવે છે – એમણે પણ બીજી પ્રજાને ગુલામ બનાવી છે એ વિધાન ખોટું સાબિત થતું નથી. બીજા શબ્દોમાં: મેં મોગલોનો ઉલ્લેખ નથી કર્યો એટલે મેં અંગ્રેજી ભાષાના સંદર્ભમાં કરેલું વિધાન અયોગ્ય છે એવું તર્કશાસ્ત્રની કોઈ પણ પરિચય પુસ્તિકા પ્રમાણે પણ સાચું નહીં પડે. મોગલ ઇતિહાસનો મારો અભ્યાસ નજેવો છે. જો તમે એના પર વધારે પ્રકાશ પાડશો તો સાચે જ મારા જ્ઞાનમાં વૃદ્ધિ થશે.

        તમે એમ કહો છો કે નીરવભાઈએ બધાંને આડેધડ લીધા એ બાબતમાં હું બોલી ન શકું. અરે ભાઈ, તમે તો મને બોલતો બંધ કરવાની વાત કરો છો. તો શું એનો અર્થ મારે એ કરવાનો ખરો કે નીરવભાઈ કે બીજું કોઈ જે કંઈ બોલે એ મારે સાંભળ્યા જ કરવાનું? આવું વિધાન કરીને તમે હકીકતમાં તો ચર્ચાનાં દ્વાર બંધ કરી દો છો. આ તો જોહુકમી થઈ. આવું ન ચાલે મયંકભાઈ. આપને જ્યારે પણ public domainમાં કંઈક લખીએ ત્યારે એના પર ટીકાટીપ્પણી કરવાનો બધાંને અધિકાર હોય છે. કોઈને કોઈને બોલતા બંધ કરીને આપણે જીતી ગયા છીએ એવા વહેમમાં બુદ્ધિજીવીઓ નથી રહેતા. આ તો તમે જાણતા જ હશો. પણ, મેં તમને જરા યાદ દેવડાવ્યું. બુદ્ધિજીવીઓનું સૌ પહેલું લક્ષણ એ છે કે બીજા જે કહે એને ધ્યાનથી સાંભળે. પછી, એની સામે દલીલ કરે. મેં નીરવભાઈના લખાણના કેટલાક ‘રેશનલ’ લાગતા મુદ્દાઓની સામે જ મારું વિશ્લેષણ રજુ કર્યું છે. બાકીનું બધું લખાણ તો રેશનાલિટીના કોઈ પણ માપદંડ પ્રમાણે પાસ માર્કસ્ મેળવે એવું પણ નથી. બધા આક્રોશ પર વારી જાય છે, હું રેશનાલીટી પર.

        નીરવભાઈની મૂળ દલીલ એટલી જ છે કે દલીતોએ પોતાના ઉદ્ધાર માટે ગુજરાતી છોડીને અંગ્રેજી ભાષા જ શીખવી જોઈએ. એક ભાષાવિજ્ઞાની તરીકે અને એક સમાજશાસ્ત્રી તરીકે પણ, મને એની સામે જરા ય વાંધો નથી. મેં મારા લખાણમાં એ સ્પષ્ટતા કરી જ છે. જો એમણે એટલી જ વાત કરવી હતી તો કોઈ સામાજિક વર્ગ સામે ઝેર આંકવાની જરૂર જ ન હતી. એમણે જે વાત કરી છે એ વાત કોઈ પણ પ્રકારનું ઝેર આંક્યા વિના, કોઈ પણ પ્રકારની તોછડાઈ વગર, કોઈને સહેજ પણ દુભવ્યા વિના, કોઈને પણ ઈજા પહોંચાડ્યા વિના કરી શકાઈ હોત. આક્રોશની પણ ભૂમિકા હોય છે પણ ક્યાં સુધી એ શસ્ત્રોથી લડ્યા કરવાનું? મને લાગે છે કે હવે બીજાં શસ્ત્રો શોધવાની જરૂર છે.

        તમે Chandrabhan Prasadનું નામ તો સાંભળ્યું જ હશે. નીરવભાઈ જે વાત કરે છે એ વાત એમણે પણ કરી છે પણ શાલિન ભાષામાં. અને એટલે જ તો આશિષ નાન્દી જેવા વિદ્વાને પણ એમને એમ કહેલું કે કોઈ પણ oppressed સમૂદાયને પોતાની ઉપર દમન આચરતા સમૂદાય સામે કોઈ પણ રાજકીય શસ્ત્ર વાપરવાનો અધિકાર છે. જો કોઈ સમૂદાયને એમ લાગતું હોય કે અંગ્રેજી જ આપણો ઉદ્ધાર કરશે તો એ સમૂદાયે અંગ્રેજી જ શીખવું જોઈએ.

        આ જ Chandrabhan Prasad સાથે મારે એક વાર એક બાબતે ચર્ચા થયેલી. એ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં દલિતો પર યોજાયેલા એક આંતરરાષ્ટ્રીય સેમિનારમાં ભાગ લેવા માટે આવેલા. એમણે કહેલું કે ઉત્તરપ્રદેશમાં માયાદેવીની સરકાર આવ્યા પછી હવે સવર્ણોએ પણ જાજરુ સાફ કરવાની નોકરી કરવી પડે છે. જે પહેલાં દલિતો કરતા હતા એ હવે સવર્ણોએ કરવું પડે છે. અને એમાં અમારો વિજય રહેલો છે. તમે એક સવર્ણ અધિકારીને માયાદેવી સ્લીપર ઉંચકતા કે સાફ કરતા (મને અત્યારે યાદ નથી) ફોટા જોયા હશે. એ દલીલની સામે મેં કહેલું કે જો બદલો એ એક માત્ર political correctnessનું સાધન હોય તો એનો અર્થ એ થયો કે આપણે માનવતાનો વિકાસ કરવાને બદલે, અ-માનવતા તરફ પાછળ જઈ રહ્યા છીએ. મયંકભાઈ, હું જ્યારે પણ આવી પરિસ્થિતિ જોતો હોઉં છું ત્યારે El Mariachi નામની એક સ્પેનિશ ફિલ્મનું છેલ્લેં દૃશ્ય યાદ કરતો હોઉં છું: એ ફિલ્મમાં જ્યારે પણ પોતાની ગેંગનો કોઈ સભ્ય એને સોંપવામાં આવેલું કામ કરવામાં નિષ્ફળ જાય ત્યારે બોસ એની બોચી પર દિવાસળી ઘસીને સિગરેટ સળગાવતો હોય છે. દેખીતી રીતે જ, ગેંગના કોઈ પણ માણસને બોસનું એ વર્તન ગમતું નથી. પણ કરે શું? બોસ છે. કંઈ પણ કરે. છેલ્લે એ બોસની હત્યા થાય છે અને એ ગેંગનો એક સિનિયર સભ્ય બોસ જીવતા છે કે મરી ગયા છે એ જોવા માટે એમની ડોકમાં આવેલી નસ તપાસે છે. એને ખ્યાલ આવે છે કે હવે બોસ આ જગતમાં રહ્યા નથી. પછી એ પણ પેલી ગેંગનું નેતૃત્ત્વ સંભાળી લે છે. પણ, એમ કરતી વખતે એ બોસના ગળા પર દિવાસળી ઘસીને પોતાની સિગારેટ સળગાવે છે. જેમ બોસ એની સાથે વર્તતા હતા એમ એ બોસના મૃતદેહ સાથે વર્તે છે. El Mariachi ગેંગસ્ટર ફિલ્મ છે. એનું આ દૃશ્ય આપણને ઘણું બધું કહી જાય છે. એ સૌથી પહેલા તો એમ કહે છે કે જ્યારે ગુલામ માસ્ટર બને ત્યારે એ માસ્ટરની જેમ વર્તન કરવા લાગતો હોય છે. એને પગલે પેલી ગુલામી નાબૂદ થવાને બદલે બીજા જ સ્વરૂપે ચાલુ રહેતી હોય છે. તમે તો શાણા છો. એટલે હું શું કહેવા માગું છું એ સાનમાં સમજી ગયા હશો.

        આ સાથે હું મારા પક્ષે ચર્ચાનું સમાપન કરું છું. મને નથી લાગતું કે emotionally charged એવી ભાષાની સામે હું વધારે દલીલ કરી શકીશ. એટલે અહીં હું મારાં શસ્ત્રો હેઠાં મૂકું છું અને અંગ્રેજી ભાષા દ્વારા મુક્તિ મેળવવા માટેની તમારી અને નીરવભાઈની ચળવળને સફળતા ઈચ્છું છું.

        1. મયંકભાઈ, હું જરા પણ મારી જાતિથી સભાન નથી. તમને મારી બધી વાત લખવાનો મારી પાસે સમય નથી. બાકી, હું તમને એક જ વાત કહી દઉં કે જ્યારે મારા ગામમાં અસ્પૃશ્યતા હતી ત્યારે હું અને મારો મિત્ર લાલજી વણકર અમે છાના છાણા કુબેરિયા કંદોઈની દુકાન જઈ, બે ડીશ ગોટા મંગાવી, એ ગોટા અને ચટણી પછી એક ડીશમાં મૂકીને ખાતા. એ વખતે (અ)મારો આશય સમાજની એ વાડાબંદીની સામે પડવાનો હતો. આ તો હું હાઇસ્કુલમાં હતો ત્યારની વાત છે. અને ત્યાર પછી તો મારે કેટલાય ‘દલિત’ મિત્રો સાથે ભાઈબંદી થઈ છે. એમને મેં ક્યારેક ‘દલિત’ તરીકે જોયા નથી. એમાંના એકાદ મિત્રને એક શાળામાં નોકરી મળે એ માટે હું ઈન્ટવ્યુમાં પણ ગયો ન હતો. કેમ કે પેલી શાળાના મંડળે એને એમ કહેલું કે જો બાબુભાઈ આવશે તો એમનો નંબર લાગશે. જો એ નહીં આવે તો અમે તમારી પસંદગી કરીશું. ત્યારે હું બેકાર હતો. આપની જાણ સારું. એટલે જ હું એમ કહેવા માગું છું કે બધાંને એક લાકડીએ ન હાંકો, મારા બાપ. આ જગતમાં એવા પણ છે જેમણે…

        2. એકદમ સાચી વાત કરી.. વર્તમાનમાં જો સમભાવ તરફ માનવ સમુદાય વિચારતો થયો હોય અને તે મિશ્રમાંથી કોમન વિચાર રંગ બનવાની સકારાત્મક વિચારવાને બદલે પૂર્વજોના શોષણના બદલા રુપ સુશિક્ષિત લોકો પોતાનો અહંકારભરી ભાષામાં વ્યક્ત કરી બીજા અશિક્ષિત/શોષિત/ગરીબ પોતાના કહેતા સમાજ/ધર્મની ભયંકર બદલાની ભાવનામાં ધકેલવાનું પાપ કરતા હોય છે અને સામાન્ય જીવન નિર્વાહીત કરતા પ્રગતિશીલ બાંધવોના પરિવારને માનસિક સંકુચિતતામાં ધકેલી કોમન માનવજીવન જીવવા મથામણ કરતા માનવીઓ વચ્ચેની કોમન જીવન વ્યવસ્થા વિચારોની આપ લે પર કુઠારા ઘાત કરી સિમિત-કુંઠિત-પોતાની અલગતાનો માહોલ જાળવવાનું પુનરાવર્તીત કરવા પ્રેરવારુપ બની રહે જેથી ઈતિહાસોના પુનરાવર્તનથી ફરીથી માનસિકતા નવી પેઢીમાં સુધારવાનું કામ કરવું જોઈએ નહી કે ઝેર ઘોળવાનું કામ

  7. વિડિઓ જોયા. ખૂબ પીડાદાયક. આઝાદીનાં આટલાં વરસો પછી પણ આ પ્રકારની પરિસ્થિતિ છે. એનો અર્થ એ થયો કે કાં તો ઈશ્વર નિષ્ફળ ગયો છે, કાં તો રાજ્ય, કાં તો પ્રજા, કાં તો માનવતા, કાં તો એ બધાં જ એક સાથે. એક જમાનામાં રાજ્ય સમાજવાદ તરફ ઢળેલું હતું. હવે તો ગ્લોબલાઈઝેશનના પગલે એ મૂડીવાદ તરફ ઢળી ગયું છે. સમાજવાદી લોકશાહી અસ્પૃશ્યતાનો પ્રશ્ન ઉકેલવામાં નિષ્ફળ ગઈ છે, મૂડીવાદી લોકશાહી એમાં સફળ થશે કે કેમ એ અંગે મને શંકા છે. કેમ કે મૂડીવાદી સમાજ તમામ પ્રકારના માનવસંબંધોને નાણાંકીય વ્યવહારમાં ન્યૂન કરી નાખતી હોય છે. શહેરીકરણ અને વ્યક્તિવાદ – જે મોટે ભાગે તો મૂડીવાદી સમાજવ્યવસ્થાની નીપજ છે – આ પ્રશ્નનો ઉકલે લાવી શકે. પણ, એ બન્ને પાછાં બીજાં દૂરિતને જન્મ આપશે. મને લાગે છે કે હવે આપણે either evil or evil ના સમયમાં પ્રવેશી ચૂક્યા છીએ. આપણે કોઈ એક evil પસંદ કરવાનું છે. કયું પસંદ કરવું એ વિષે કોઈ માર્ગદર્શક સિદ્ધાન્તો ઘડી શકાય એમ નથી.

  8. આ દેશનો એક સામાજિક સવાલ, બીજી ભાષા અને ત્રીજી લાગણી એમ ત્રણ બાજુઓમાં ખેંચાતી આ ચર્ચા ચાલી છે. ને છતાં ચર્ચાએ ચોથી બાજુ ઉભી કરી નાખી…..જેમ નેટકોમેન્ટ્સમાં બનતું આવ્યું છે તેમ – મતભેદમાંથી મનભેદની.

    આવી સરસ ચર્ચા જે નવાનવા વિષયોને જુદાજુદા વિચારજગતનો પરિચય કરાવનારી બની રહે છે તેને આવી દિશા મળે તો તે સામાજિક રીતે કે વિચારની રીતે નુકસાનકર્તા જ બની રહે. આશા રાખીએ કે આપણી વૈચારિક ઉગ્રતા વીદ્વાનમતોને રુંધનારી ન બને.

  9. મારા આ લેખ પરના તીખા-મીઠા-કડવા એવા વિવિધ પ્રકારના પ્રતિભાવોની મેં શરૂઆતથી જ આશા રાખી હતી. એટલે મારી સાથે અંશત: કે પૂર્ણપણે સહમત થનાર, વિનયપૂર્વક અસહમત થનાર અને મને ‘રાજકારણી’ કે ‘વિચારદરિદ્ર ‘ વગેરે જેવા વિશેષણોથી નવાજનાર વિદ્વાન પ્રાધ્યાપક શ્રી બાબુ સુથાર સાહેબ જેવા સૌ મિત્રો-મુરબ્બીઓના પ્રતિભાવની હું કદર કરું છું, અને આભાર પણ માનું છું.

    આમ તો શ્રી સુથાર સાહેબના મુદ્દાઓનો મારે ક્રમ પ્રમાણે જવાબ વાળવો જોઈએ, પણ મને એમ લાગે છે કે એમનો છેલ્લો મુદ્દો એટલે કે મુદ્દા નંબર ૮ જે નીચે પ્રમાણે છે એના જવાબમાં સઘળા મુદ્દાઓ નો જવાબ પણ સમાઈ શકશે. અને એ એટલો ટૂંકો છતાં પૂરતો પણ હશે કે એ ફેસબુક કોમેન્ટની શબ્દમર્યાદા પણ પાળશે :

    ‘ મને એક વાત સમજાતી નથી: આપણો સાહિત્યકાર આટલો બધો વિચારદરિદ્ર કેમ છે? કેમ એને હજી પણ આવા છીછરા રાજકારણમાં રસ પડતો હશે? આવા કોઈક વિષય પર લખતાં પહેલાં આપણા વિદ્વાનો અભ્યાસ કેમ નહીં કરતા હોય?’

    હું આપ સૌ સામે એક નિખાલસ કબૂલાત કરવા માગું છું : ‘ઓપીનીયન’ માટે આ લેખ મોકલાવ્યો ત્યારે મેં વિપુલભાઈને લખ્યું જ હતું કે આ પ્યોરલી ‘દલિત પોઈન્ટ ઓફ વ્યુ’ થી લખેલું અંગત કેફિયત જેવું નિવેદન છે. આ ‘અટકચાળું ‘ કરવા પાછળ મારો આશય નિશ્ચિતપણે દલિતોની માતૃભાષા રૂપે ઓળખાતી ગુજરાતી કે કોઈ પણ પ્રાંતીય ભાષાના બદલે વૈશ્વિક ભાષા એવી અંગ્રેજી ભાષા દ્વારા દલિતોનાં ઝડપી અને ચોક્કસ થઇ શકતા સશક્તિકરણના મુદ્દે એક વિમર્શ પ્રવોક કરવાનો છે.

    હું મારી એક ઓર ઓળખ આપતા સહેજ પણ શરમાતો નથી કે નથી તો કશી નાનપ અનુભવતો કે હું નિ:શંકપણે સાહિત્ય કે ભાષા થકી મારું ‘રાજકારણ’ ( કર્ટસી : શ્રી સુથાર સાહેબ ) રમવા માગું છું, એ ‘રાજકારણ’ જે દલિતોને તેમના માનવ ગરિમા સહિતના માનવ અધિકારો મેળવી આપવામાં મદદગાર થાય, એ રાજકારણ જે વર્ણ અને જ્ઞાતિ આધારિત શોષણ, દમનને નાબૂદ કરી માનવ માત્રને સમાનતા, સ્વતંત્રતા અને ભ્રાતૃતાપૂર્ણ સમાજ સર્જવામાં મદદગાર થાય માફ કરજો સાહેબો, હું અન્ય કોઈની જેમ માંન -સમ્માન કે એવોર્ડ અકરામ રળવા સાહિત્ય નથી લખતો, હું મારી કે મારાં કુટુંબની રોજી રળવા સાહિત્ય નથી લખતો, હું પ્રોફેસરની પદવી મેળવવા કે અકેડેમિક કારકિર્દી ઘડવા લેખ નથી લખતો કે ‘ અભ્યાસ’ નથી કરતો. વાંચવું-લખવું મારો વ્યવસાય કે હોબી નહિ, પણ મારી જરૂરીયાત છે, મારી જવાબદારી છે, મારી ફરજ છે. અને મેં ટનબંધ નહિ, પણ મારાં ખપ પૂરતું જરૂર વાંચ્યું છે, આઈ મીન ‘અભ્યાસ’ કર્યો છે.

    મારા ‘અભ્યાસ’ની પ્રાથમિકતાઓ જુદી છે, કારણ કે મારું ધ્યેય જુદું છે, મારું મિશન જુદું છે. મારે ‘ સાહિત્ય’ અને ‘ભાષા’ના ધુરંધર વિદ્વાન થઈને કોઈ યુનીવર્સીટીની ચેર શોભાવવાની પ્રાથમિકતાને બદલે પહેલા આ પૃથ્વી અને માનવીની ઉત્પત્તિ -ઉત્ક્રાંતિથી લઈને આજ લગીની માનવસર્જિત હર સાંસ્કૃતિક-આર્થિક-સાંસ્કૃતિક બાબતો – જેના કારણે માનવીનું માનવી થકી શોષણ-દમન શક્ય બન્યું છે એના ઇતિહાસની ઝાંખી મેળવવી વધારે અગ્રીમતાપૂર્વક જરૂરી છે. અને એમાં ‘ભાષા’ અને ‘સાહિત્ય’ માનવીના શોષણ-દમન માટે કેવી રીતે ઉપયોગમાં લેવાય છે તથા એ જ રીતે જે ‘ ભાષા’ અને ‘સાહિત્ય’ દલિતોના નવજાગરણમાં, એમના સશક્તિકરણમાં કેટલી ઉપયોગી થાય છે એ જાણવું અને સૌ દલિતો-શોશીતોને જણાવવું મારાં માટે વધારે અગત્યનું બની રહે છે.

    ‘કોઈ પણ ભાષાના વાક્યતંત્રનાં અને એના શબ્દભંડોળનાં તમામ પાસાં જે તે સામાજિક વાસ્તવિકતા સાથે ન જોડી શકાય.’ આપને અજીબ નથી લગતું આપનું આ વિધાન? આપ વિદ્વાન સિવાયના હર કોઈ સામાન્ય માણસો જાણે છે કે ભાષા એ સામાજિક નીપજ છે અને એટલે એના હર શબ્દો, રુઢિપ્રયોગો, કહેવતો, કલ્પનો જે તે સમાંજની તત્કાલીન વાસ્તવિકતાઓને જ ઉજાગર કરે છે. અને એમાં ભેદભાવ અને પૂર્વગ્રહ અને શોષણ -દમન સહીત સૌ સામાજિક અન્યાયોની ઝાંખી પણ જોવા મળે છે : એક દૃષ્ટાંત રૂપે કહું તી, સૌ કોઈ પોતાના સ્વાર્થ અને લાભનું જ વિચારતા હોય છે છતાં ‘સુથારનું મન બાવળિયે’ જેવી કહેવત કોઈ જ્ઞાતિ વિશેષને અપમાનિત કરવા માટે જ વપરાય છે. !

    આપ સારી રીતે જાણો છો કે ભાષાના રાજકારણ અને ભાષકોના રાજકારણને નોખા પાડો તો પણ અંતતોગત્વા તો એનો આશય ભદ્ર-ઉચ્ચ વર્ગોની હેજીમનીનો જ બચે છે : પોતાની હેજીમની નિરંતર ને સદાકાળ ચાલુ રહે એ માટે આ ભદ્ર-ઉચ્ચ વર્ગો-વર્ણો-જ્ઞાતિઓ પોતાની માતૃભાષાઓને અવગણીને કે ગૌણ ગણીને કાળે કાળે સંસ્કૃત, ફારસી, અંગ્રેજી અને હવે જાવા વગેરે કમ્પ્યુટર ભાષાઓમાં મહારત હાસિલ કરી લે છે, એ આપના જેવા ‘ગ્રીન-પેશ્ચર’ની લાલચે ન કેવળ ‘માતૃભાષા’ બલ્કે ‘માતૃભૂમિ’ છોડીને વિદેશવાસી થયેલા બહુ સારી પેઠે જાણે છે.

    જે લોકો ખરેખર જ કશો સામાજિક બાબતો વિષે ‘અભ્યાસ’ નથી કરતા, એ લોકો જ આવી વાહિયાત વાત કરે છે : ‘ એક બાજુ, ગ્લોબલાઈઝેશનના કારણે આપણે વધુને વધુ homogeneous બની રહ્યા છીએ, તો સામે છેડે આપણે આપણી ઓળખ ઊભી કરવા માટે વધુને વધુ heterogeneous બનવા તરફ જઈ રહ્યા છીએ. ‘ આર્થિક બાબતો પૂરતા વૈશ્વિકરણના ખયાલને આપ સામાજિક સંબંધોના ઉદારીકરણમાં નાં ખપાવો. આજે પણ તમે અંગ્રેજી ભણેલા ભારતીયો જે અખબાર વાંચે છે એ જોશો તો એમાં બેરોકટોક જ્ઞાતિવાર મેટ્રિમોનીયલ્સની જાહેરાતો આવે છે, અને ઉચ્ચ કે સમકક્ષ જ્ઞાતિના કન્યા કે મુરતિયાએ અરજી કરવી નહિ એવી સૂચના સાથે.

    અને હા, અંતે આપની આ વાત : ‘સવર્ણો’ અને ‘દલિતો’ કોઈ homogeneous કોટિ નથી. એવા સવર્ણો પણ મળી આવશે જે દલિતો કરતાં વધારે દલિત હશે અને એવા દલિતો પણ મળી આવશે જે સવર્ણો કરતાં પણ વધારે સવર્ણ હશે. એમ હોવાથી આ બન્ને સામાજિક વર્ગોની વાત કરતી વખતે વધારે પડતું સામાન્યીકરણ ટાળવું જોઈએ.’ અહીં જ મોટો ટ્રેપ છે. આપ આ ભેળસેળને કેવળ આર્થિક દૃષ્ટિએ જ જુઓ છો, પણ ખરેખર આ પ્રશ્નને આર્થિક ઉપરાંત સામાજિક-સાંસ્કૃતિક હેજીમની રૂપે જોશો તો જણાશે કે ભારતીય સમાજમાં કોટિક્રમના વિભાજનો તો બે જ છે : દલિત અને બિન-દલિત. અને બંને પોતાની રીતે હોમોજીનસ છે.

    આદરણીય સુથાર સાહેબ, આપ ઠીક જ કહો છો કે આ બહુ કોમ્લેક્સ સોશિયલ ઈશ્યુ છે, પણ તેમ છતાં કેવળ ‘સાહિત્ય’ કે ‘ભાષા’ ની આપની
    તજજ્ઞતાના જોરે આપે મારો મૂળ મુદ્દો જ આડે પાટે ચઢાવી દીધો. હું ઝાઝૂ તો ફર્યો નથી, પણ હું જોઈ શકું છે કે ગુલામીની યાતનાઓની સાથે સાથે પણ ગોરાઓએ લાદેલી ‘અંગ્રેજી’ ભાષા આફ્રિકનોની મુક્તિનું કારણ બની રહી છે. એ ભાષાએ એમના માટે આધુનિક જ્ઞાનનાં અને કૌશલ્યના ભંડાર ખોલી કાઢ્યા છે. હું એમ નથી કહેતો કે રેસિઝમ કમ્પ્લીટલી ખતમ થઇ ગયું છે, પણ એની સામે સંઘર્ષ કરવા માટેનું સશક્તિકરણ આ ભાષા થકી ઝડપી બન્યું છે.

    દલિતો માટે તો શિષ્ટ ગુજરાતી અંગ્રેજી જેટલીજ ‘ફોરીન’ બની રહે છે શિક્ષણ ટાણે. અંગ્રેજીની જેમ એને પણ એમને તો શીખવી જ પડે છે. એના કરતા ગ્લોબલાઈઝેશનના આ જમાનામાં આપની જેમ એ પણ ‘ કેવળ પોતાનો’ જ સ્વાર્થ સમજીને અંગ્રેજી અપનાવીને વર્લ્ડ સીટીઝન થઈને જીવનની બહેતર તકો પ્રાપ્ત કરી શકે. ગુજરાતીમાં એક કહેવત છે : પારકાં છોકરાંને જતિ કરવાં. સુથાર સાહેબ, આપ કારીગર એટલેકે કે ‘શૂદ્ર’ વર્ગના વ્યવસાયને છોડીને શિક્ષક એટલેકે ‘બ્રાહ્મણ’ બની ગયા છો તો બિચારા દલિતોને પણ એવી સોશિયલ મોબીલીટિની તક મળે એવું આપ ઈચ્છતા નથી ?
    મારા આ લેખ પરના તીખા-મીઠા-કડવા એવા વિવિધ પ્રકારના પ્રતિભાવોની મેં શરૂઆતથી જ આશા રાખી હતી. એટલે મારી સાથે અંશત: કે પૂર્ણપણે સહમત થનાર, વિનયપૂર્વક અસહમત થનાર અને મને ‘રાજકારણી’ કે ‘વિચારદરિદ્ર ‘ વગેરે જેવા વિશેષણોથી નવાજનાર વિદ્વાન પ્રાધ્યાપક શ્રી બાબુ સુથાર સાહેબ જેવા સૌ મિત્રો-મુરબ્બીઓના પ્રતિભાવની હું કદર કરું છું, અને આભાર પણ માનું છું.

    આમ તો શ્રી સુથાર સાહેબના મુદ્દાઓનો મારે ક્રમ પ્રમાણે જવાબ વાળવો જોઈએ, પણ મને એમ લાગે છે કે એમનો છેલ્લો મુદ્દો એટલે કે મુદ્દા નંબર ૮ જે નીચે પ્રમાણે છે એના જવાબમાં સઘળા મુદ્દાઓ નો જવાબ પણ સમાઈ શકશે. અને એ એટલો ટૂંકો છતાં પૂરતો પણ હશે કે એ ફેસબુક કોમેન્ટની શબ્દમર્યાદા પણ પાળશે :

    ‘ મને એક વાત સમજાતી નથી: આપણો સાહિત્યકાર આટલો બધો વિચારદરિદ્ર કેમ છે? કેમ એને હજી પણ આવા છીછરા રાજકારણમાં રસ પડતો હશે? આવા કોઈક વિષય પર લખતાં પહેલાં આપણા વિદ્વાનો અભ્યાસ કેમ નહીં કરતા હોય?’

  10. નીરવભાઈ,

    ૧. ગુજરાતી ભાષામાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ‘રાજકારણ’ શબ્દ મોટે ભાગે તો હીનતાવાચક બની ગયો છે. અંગ્રેજીમાં એવું નતી થયું. મેં જ્યારે એ શબ્દ વાપર્યો ત્યારે મારા મનમાં એવો કોઈ ભાવ ન હતો. રાજકારણ પણ સત્યના નિર્માણ માટેની એક પ્રક્રિયા હોય છે એવું એક ફ્રેંચ ફિલસૂફના વિધાન સાથે હું સંમત છું અને તમે જે ‘રાજકારણ’ કરી રહ્યા છો એને એ પ્રક્રિયા સાથે સંબંધ છે એમ હું માનું છું. પણ, જો એ શબ્દ વાપરવાને પગલે કોઈ વ્યક્તિને ગેરસમજ તઈ હોય તો મારી ક્ષમાયાચના. હવે પછી જ્યારે પણ હું એ શબ્દ વાપરું ત્યારે જો મેં ચોખવટ કરીને ન કહ્યું હોય તો આ અર્થમાં જ સમજવાનો.

    ૨. તમે મારા લખાણનો ક્રમ પ્રમાણે જવાબ આપ્યો હોત તો ચોક્કસ ગમત. એને કારણે માનો કે મારી કોઈ ગેરસમજ થઈ હોત તો એ સુધારવાની મને તક મળત. પણ, તમે એમ નથી કર્યું, મને લાગે છે કે તમે મારા આ વિધાનતી દુભાયા છો: “મને એક વાત સમજાતી નથી: આપણો સાહિત્યકાર આટલો બધો વિચારદરિદ્ર કેમ છે? કેમ એને હજી પણ આવા છીછરા રાજકારણમાં રસ પડતો હશે? આવા કોઈક વિષય પર લખતાં પહેલાં આપણા વિદ્વાનો અભ્યાસ કેમ નહીં કરતા હોય?” હું આ વિધાનને હજી પણ વળગી રહું છું. પણ, તમારે એક વાત ધ્યાનમાં રાખવી જોઈતી હતી કે મેં આક્ષેપ કેવળ તમારા પર જ નથી મૂક્યો. બીજાઓ પર પણ મૂક્યો છે.

    ૩. તમે તમારી દલીલોના પક્ષમાં એવું કહો છો કે તમે ‘દલિત પોઈન્ટ ઓફ વ્યુ’ની મર્યાદામાં રહીને દલીલ કરી છે. કોઈ પણ પોઈન્ટ ઓફ વ્યુ હોય એમાં ચોક્કસ એવું તર્ક તો હોવું જ જોઈએ. દલિત પોઈન્ટ ઓફ વ્યુમાં તર્ક ન હોય એવું તમે કહેતા હો તો હું તમારી સાથે સંમત થતો નથી. એ પોઈન્ટ ઓફ વ્યુમાં પણ ચોક્કસ એવી પરિભાષા હોય, ચોક્કસ એવી તર્કવ્યવસ્થા હોય. હું આબંડેકરને વાંચું છું ત્યારે મને એમને સમજવામાં કોઈ મુશ્કેલી પડતી નથી. એમાં આક્રોશ છે પણ એ આક્રોશ કોઇ સમૂદાય ઉપર નથી પણ એ સમૂદાય અને અન્યોએ ઊભી કરેલી સમાજવ્યવસ્થા સામે છે. મારે તમને આંબેડકર શીખવવાના ન જ હોય કેમ કે તમે મારા કરતાં એમને વધારે સારી રીતે વાંચ્યા હશે. પણ, મેં જોયું છે કે આંબેડકર સવર્ણ કે દલિત એવી કોટિઓ ઊભી કરી એની મર્યાદામાં રહીને કોઈ એકને કચડી નાખી બીજાને ઉપર લાવવાની વાત નતી કરતા. એઓ સતત casteless સમાજની વાત કરે છે. સવર્ણોમાં પણ ઉચ્ચવચ્ચતા છે એ વાત આપણ ક્યાં નથી જાણતા. એટલે હું તમારી એ વાત સાથે સંમત થતો નથી કે સમાજને આપણે કેવળ દલિત કે બિન-દલિતમાં જ વહંચી નાખવો જોઈએ. આ ખૂબ જ ટુંકી દૃષ્ટિનું વિશ્લેષણ છે.

    ૪. તમે ફેસબુક કોમેન્ટની મર્યાદા વિષે લખ્યું છે. કમનસીબે આ બ્લોગના સંચાલકે એવાં કોઈ નિયંત્રણો મૂક્યાં નથી. જો મૂક્યાં હોત અને મને એ નિયંત્રણો મુંજર હોત તો હું જરૂર એનું પાલન કરત.

    ૫. તમે તમારી જે સફાઈ કરી છે એ ગમી. જેમ કે તમે એવોર્ડ વગેરે માટે નથી લખતા. પણ જો એનો અર્થ તમે એમ કરતા હો કે અમે બધા એના માટે જ લખીએ છીએ તો એમાં તમારી ભૂલ થાય છે. અમે ભૂતકાળમાં એકબે એવોર્ડ નથી સ્વીકાર્યા પણ એની વીગતે વાત અહીં નથી કરતો. એ જ રીતે અમે શ્રી ચીમનભાઈની સકાર હતી ત્યારે ભાષાનિયામકની પોજીશન પણ ન’તી સ્વીકારી એ પોણ આપની જાણ સારું. એટલું જ નહીં, સંદેશમાં જ્યારે મહિને અઢારસો રૂપિયા મળતા હતા ત્યારે મુંબઈના એક અખબારે અમને અઠ્યાવીસ હજારની નોકરીની ઓફર કરેલી એ પણ અમે ન’તી સ્વીકારી. કેમ કે અમને ભણવા અને ભણાવવામાં જ રસ હતો. અરે છેલ્લે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાએ અધ્યાપક (ગ્રીનકાર્ડ સાથે) અથવા તો વિદ્યાર્થી બેમાંથી એકની પસંદગી આપેલી અને અમે અધ્યાપકની નોકરી નકારી વિદ્યાર્થી બનવાનું પસંદ કરેલું. આ પણ આપની જાણ સારું. વચ્ચે વચ્ચે અમને ગુજરાતમાં પાછા આવી ‘દેશસેવા’ કરવાનો હડકવા ઉપડતો હોય છે અને એના એક ભાગ રૂપે અમે એકબે યુનિવર્સિટીઓમાં અરજી પણ કરેલી પણ આ વિશ્વની ચૌદમા નંબરની બેસ્ટ યુનિવર્સિટીમાં પીચ.ડી. કરેલા માણસને કોઈએ ઈન્ટરવ્યુ કોલ પણ ન’તો મોકલ્યો. એ પણ તમારી જાણ સારું. પણ કોઈ ફરિયાદ નથી. એવાં એકાદ બે ઉદાહરણ તમારાં આપશો તો મને પણ જાણવા મળશે કે તમે કેટલા નિસ્પૃહી છો.

    ૬. આ ‘ગ્રીન પેશ્ચર’ શું છે વારુ? મને સમજાતું નથી. દલિત પોઈન્ટ ઓફ વ્યુની કોઈ વિભાવના હોય તો એના વિષે જરા પ્રકાશ પાડજો એટલે હું તમને એનો જવાબ પણ આપી શકું.

    ૭. તમે બે વાર મારી જાત પર પણ ગયા છો જે બતાવે છે કે તમે તાર્કીક દલીલ કરવાની ક્ષમતા ધરાવતા નથી. એક વાર તમે ‘સુથારનું મન બાવળિયે” એ કહેવત ટાંકી છે. પણ, એ કહેવત શા માટે ટાંકી છે? જો તમે ડંખીલા ન હોત તો તમે બીજી એવા જ મતલબવાલી કહેવતો પણ ટાંકી શક્યા હોત. મને તો એ જ સમજાતું નથી કે મેં જે દલીલ કરી છે એની સાથે એને શો સબંધ છે? સાચું કહું? મને એ કહેવત રચનારાઓ પર ગર્વ છે. એમણે એક જાતિના સ્ટીરીઓટાઈપ્સને સમજીને એ કહેવત બનાવી છે અને એ રીતે બનાવી છે કે એ કેવળ સુથારોને જ લાગુ ન પડે. બીજાઓને પણ લાગુ પડે. તમને પણ. પ્રયત્ન કરી જોજો. સલામ છે એ લોકોની સર્જકતાને.

    ૮. બીજી વાર તમે મારા વ્યવસાય પર ગયા છો. મેં ક્યાંય એવું કહ્યું નથી કે દલિતોએ આ કે તે વ્યવસાય ન કરવો જોઈએ. તો પછી મેં સુથારી કામ છોડીને શિક્ષણનો (તમારી ભાષામાં ‘બ્રાહ્મણ’નો) વ્યવસાય શા માટે પસંદ કર્યો છે એવો પ્રશ્ન પૂછ્યો છે. જે મુદ્દો ચર્ચાની એરણ પર જ નથી એની તરફેણમાં કે વિરુદ્ધમાં દલીલો કરવી એને વિદ્વતા કહેવાય કે દલિત પોઈન્ટ ઓફ વ્યુ કહેવાય? મારે પણ એ વિષે વિચારવું પડશે.

    ૯. તમે મારું આ વિધાન (“કોઈ પણ ભાષાના વાક્યતંત્રનાં અને એના શબ્દભંડોળનાં તમામ પાસાં જે તે સામાજિક વાસ્તવિકતા સાથે ન જોડી શકાય.”) ટાંકીને મને પૂછો છો કે “આપને અજીબ નથી લગતું આપનું આ વિધાન?” અને પચી પેલા ડંખ સાથે તમે લખો છો, “આપ વિદ્વાન સિવાયના હર કોઈ સામાન્ય માણસો જાણે છે કે ભાષા એ સામાજિક નીપજ છે અને એટલે એના હર શબ્દો, રુઢિપ્રયોગો, કહેવતો, કલ્પનો જે તે સમાંજની તત્કાલીન વાસ્તવિકતાઓને જ ઉજાગર કરે છે. અને એમાં ભેદભાવ અને પૂર્વગ્રહ અને શોષણ -દમન સહીત સૌ સામાજિક અન્યાયોની ઝાંખી પણ જોવા મળે છે.” પણ ભાઈશ્રી, તમે મારું વિધાન ફરી એક વાર વાંચો. મેં એમ લખ્યું છે કે “વાક્યતંત્રનાં” અને “શબ્દબંડોળનાં” “તમામ પાસાં” સામાજિક વાસ્તવિકતા સાથે ન જોડી શકાય. એનો અર્થ એ થયો કે કેટલાંક પાસાં યુનિવસર્લ હોય કેટલાંક ન હોય. આ ખ્યાલ મોટા ભાગના ભાષાવિજ્ઞાનીઓ સ્વીકારે છે. તો ભાઈશાબ, તમારા દલિત પોઈન્ટ ઓફ વ્યુમાં ભાષાવિજ્ઞાનના સાવ સમાન્ય એવા સિદ્ધાન્તોનો અભ્યાસનો પણ સમાવેશ કરોને જરા. વધારે નહીં તો સેપીર અને વોર્ફનાં મૂળ લખાણોના અભ્યાસનો તો તમારે સમાવેશ કરવું જ જોઈએ. આ એકવીસમી સદીને કેવળ કોઠાસૂઝતી ન ચલાવો.

    ૧૦. છેલ્લે, તમારી ચર્ચાના સ્તરના સંદરભમાં મેં કરેલા વિધાનને હું વળગી રહું છું. તમે જે પ્રતિભાવ આપ્યો છે એ એનો જ એક ઉત્તમ નમૂનો છે. એટલે હું છેલ્લે એ વાતનું પુનરાવર્તન કરું છું કે તમારું ગ્લોબલાઈજેશન વિષેનું, તમારું ભાષાપરિસ્થિતિ વિષેનું, અને તમારું આફ્રિકા વિશેનું જ્ઞાન પણ ખૂબ અધકચરું છે. તમે ડંખ માર્યા સિવાય વાત કરી શકતા નથી. તમારે જ્ઞાનની પછી, પહેલાં તો કોઈક મનોવૈજ્ઞાનિકની જરૂર છે.

    વાચકોને પણ વિનંતી કે હવે પછી નીરવભાઈ કે એમના ટેકેદારો પણ કોઈ તાર્કીક દલીલ કરશે તો હું ચોક્કસ એનો જ્વાબ આપીશ. બાકી, આવાં ડંખીલાં લખાણોની ચર્ચામાં પડવાનો કોઈ અર્થ નથી.

  11. શ્રી સુથારભાઈ ,
    આપને કદાચ વિષયાંતર ના થાય એટલે મૂળ મુદ્દા થી જ વાત કરું તો નીરવભાઈ નો પ્રયત્ન કહેવાતા દલિતો ની વેદના રજુ કરવાનો હતો ,,,હું પણ તેમની ભાષા ની વાત થી સહમંત નથી જ ,એટલે તમે મારી કોમેન્ટ ફરી વાંચો તો જણાશે ,,,બીજી જે વાત કહી કે હવે તમે એકરૂપતા ની વાત કરો છો ,પણ હજી પોતાના મન માં પોતે જાતિ સભાન વ્યક્તિ છો ,,,તમે જે નિરૂપણ કર્યું એના પરથી કહી શકાય કે તમે ભાષા ના ખુબ જાણકાર છો એમાં કોઈ બેમત નથી ,,પણ દરેક વ્યક્તિ પોતાના ક્ષેત્ર માં નિપુણ હોઈ શકે છે ,,દરેક માં નહિ ,,,

    દરેક વિધાન ની ત્રણ બાજુ હોય છે ,,૧)મારી બાજુ ૨) તમારી બાજુ ૩)સાચી બાજુ …
    એટલે આપને સહુ આપણને ફાવે એમ જ કહીએ છે ,,છતાં અહી ભાષા નું વિરુપણ વધુ હોઈ વધુ કોઈ ચર્ચા કરવી નથી ,,,,

  12. maglomania is a disease more dangerous than narcisism, dear suthar saheb, and its additional symptoms are extreme arrogance and the afflicted person’s claim to omniscience and omnipotence. alas, you are an incurable victim. no psychiatrist can help you.

    1. નીરવભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમારા લખાણના સંદર્ભમાં મેં બે જ દલીલો કરેલી: એમાંની એક તમારી તરફેણમાં હતી. એની તો તમે નોંધ સરખી પણ લેતા નથી. અને બીજી દલીલ તમારી ભાષાના સંદર્ભમાં હતી. હું એ દલીલને હજી પણ વળગી રહું છું કે તમારી ભાષા સભ્ય માણસને શોભે એવી નથી. એમાં સમાજના એક ચોક્કસ વર્ગ તરફ તમારો તિરસ્કાર ભારોભાર છલકાય છે. હું એક સલાહ આપું: સવર્ણોને દુશ્મન તરીકે ખભે બેસાડીને શા માટે ફર્યા કરો છો? તમે સવારથી સાંજ સુધી એમને ગાળો બોલ્યા કરો તો પણ પ્રશ્નનો ઉકેલ તો આવવાનો નથી. કેમકે મેં કહ્યું છે એમ બદલાની ભાવના પોલીટીકલ કરેક્ટનેસ તરીકે કામ ન કરી શકે. અહીં અમેરિકામાં એક વાર દલિત શ્રીમંતોની એક પાર્ટીમાં હું ગયેલો. Chandrabhan Prasad આવ્યા ત્યારે. ત્યારે મેં એકબે દલિતોને કહેલું કે તમે આટલાં બધાં વરસોથી અહીં છો તો તમે દલિત વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ્સ કેમ નતી બહાર પાડતા. એવા વિદ્યાર્થીઓને તમે અમેરિકા કેમ નથી બોલાવતા. એમણે કહેલું: એ તો રાજ્ય સરકારે કરવું જોઈએ ને? પછી એમણે સવર્ણો પર એક લાંબું વ્યાખ્યાન આપી દીધેલું. નીરવભાઈ, અહીં એટલી બધી સંસ્થાઓ છે, જે તમારી ભાષામાં કહું તો સવર્ણોએ ઊભી કરી છે, એ બધી જ સંસ્થાઓ નાતજાતના ભેદ વગર ગરીબ કુટુંબોનાં બાળકોને શિષ્યવૃત્તિ આપે છે. એવી એક સંસ્થાએ એકલા ગુજરાતમાં જ બારસો શિષ્યવૃત્તિઓ આપી છે. એ સંસ્થાની તરફેણમાં મેં એક રેડિયો ઇન્ટરવ્યુ પણ આપેલો. અને ગુજરાતમા વસતા મારા અનેક મિત્રોને, જેમાં ફરી એક વાર તમારા શબ્દો વાપરીને કહું તો (જો કે મેં આ શબ્દો ક્યારેય મારા એ મિત્રો માટે વાપર્યા નથી કેમ કે મેં એમને ક્યારેય એ રીતે જોયા નથી) ‘દલિત’ મિત્રોને પણ વાત કરેલી. એમને પણ કહેલું કે કોઈ હોંશિયાર વિદ્યાર્થી આર્થિક કારણસર પછાત ન રહેવો જોઈએ. અહીં ઘણાં ટ્રસ્ટો છે કે કેવળ ગરીબોને જ આર્થિક મદદ કરે છે. આ લોકોને ગ્રીન ફલાણાઢીંકણા તરીકે ઓળખાવવાની જરૂર નથી. અહીં વસતી ભારતીય પ્રજાએ જે સમાજ સેવા કરી છે અને કરી રહ્યા છે એની કલ્પના તમે કરી પણ ન શકો. તમારામં જે કંઈ ઝેર છે એ કાઢી નાખો. માણસને સૌ પહેલાં માણસ તરીકે જોતા થાઓ. સવર્ણ-દલિત તો ત્યાર પછીનો પ્રશ્ન છે. તમે મારા પર megalomaniac હોવાનો આરોપ મૂકીને મને મનોચિકિત્સક પાસે જવાની ભલામણ કરી. હજી બીજા આવા બે ચાર રોગોનાં નામ જોઈતાં હોય તો કહેજો હું શબ્દકોશમાં જોઈને મોકલી આપીશ. હું તો મનોવૈજ્ઞાનિક પાસે જઈશ જ. પણ તમેય જજો. આ ‘લડાઈ’ ચાલુ રાખવા પણ તબિયત સાચવવી જરૂરી છે.

  13. મેં જાણી કરીને જ ‘સુથારનું મન બાવળિયે’ એવો રૂઢીપ્રયોગ વાપર્યો હતો, કારણ કે મને આપના મેગ્લોમેનીયાનો અણસાર આપના પહેલા પ્રતિભાવથી જ આવી ગયો હતો. અન્ય ‘વસવાયાં’ ગણાતી કારિગર જ્ઞાતિઓમાં ‘સુથાર ‘ પણ ગણાય છે, વળી એ મનુસ્મૃતિમાં વર્ણવેલ ‘શૂદ્ર’ વર્ણમાં આવે છે અને આજે પણ ‘અન્ય પછાત વર્ગ’ ની યાદીમાં મૂકાઈને અનામતનો લાભ લે છે. પણ પોતાની જ્ઞાતિ સાથે જોડાયેલા આ સામાજિક પછાતપણાના સંદર્ભોથી જોજનો દૂર અમેરિકન આઈવરી ટાવરમાં બેઠેલા સુથાર સાહેબના જ્ઞાતિઅભિમાનને જબરી ઠેસ લાગી છે આ એક રૂઢીપ્રયોગથી. અરે ભલાભાઈ, એમ કઈ વ્યવસાય બદલે ‘બ્રાહ્મણ’ થઇ જવાય એવી લવચીક આ જ્ઞાતિપ્રથા નથી. ભલા પ્રોફેસર, તો પછી રોજ રોજ ‘ઢેડ’ હોવાની ગાળ ખાતા દલિત સમાજને આ ડંખીલી ભાષા, આ ડંખીલા રુઢિપ્રયોગો, આ ડંખીલી કહેવતો કેટલા કનડતા હશે એનો પણ જરી વિચાર કરી જૂઓ ?

  14. મને એમ થાય છે કે આપના અગત્યના એક-બે મુદ્દાઓના જવાબ મેં આપણી પ્રિય ‘ડંખીલી’ ગુજરાતી ભાષામાં આપ્યા નથી. હા, ઠીક યાદ આવ્યું : એક તો મારે હવે આપને વધારે આદરણીય સંબોધનથી નવાજવા જોઈએ. હવે મારે આપને ‘પ્રોફેસર સુથાર ‘ નહિ બલકે ‘પ્રોફેસર પંડિત’ કહેવા જોઈએ — જે પોતાનું જ્ઞાન પોતે વાંચેલી કેટલીક ખાસ ‘પોથી’ઓમાંથી જ પ્રાપ્ત કરે છે. આપે ઠીક કહ્યું, મારે ‘ સેપીર અને વોર્ફનાં મૂળ લખાણોના અભ્યાસ’ કરવો જોઈએ. ખરેખર, હું પણ એ પછી આપની જેમ ‘મી. પંડિત’ બની જઈશ ? હું આપને પૂછું, આપે અમારા દલિત સામયિકોમાં લખતા અમારા વિદ્વાન લેખકો અને કવિઓ નામે કચરાભાઈ, પુંજાભાઈ, ગોબરભાઈ, કાળીબહેન, ચુંન્થીબહેન, ઢેડીબહેન વગેરેના લખાણો વાંચ્યા છે કદી ? ‘ ભાષા’ અને ‘સાહિત્યને સમજવા માટે આપને કદાચ એ વધારે ઉપયોગી થઇ પડે. પાંચ-પંદર કે પચાસ-પાંચસો ‘થોથા’ થી ભલા પંડિત નથી થવાતું એ વાત તો આપણી ‘ડંખીલી ‘ ભાષામાં આપની જ્ઞાતિથી સહેજ ઊંચા એવા ‘અખા’ સોનીની કવિતા વાંચવાથી પણ સમજાઈ જાત. પણ આપને તો ‘ વિશ્વની ચૌદમા નંબરની બેસ્ટ યુનિવર્સિટીમાં પીએચ. ડી કરેલા માણસ’ હોવાનું ભારે અભિમાન છે ! આપ ‘દલિત સાહિત્ય’ જેવી ક્ષુલ્લક ચીજને ‘જ્ઞાન’ કેવી રીતે માનો ? આટલા બધા જ્ઞાનનું ભારે પોટલું લઈને સતત એ જ્ઞાનના ‘બોજા’ થી સભાન થઈને ફરતો ભારતીય અને તેમાય વળી ગુજરાતી અને તેમાય વળી વર્ણાનુક્રમે આવતો એક શૂદ્ર ‘સ્કોલર’ ‘મેગ્લોમેનીયક’ ન બની જાય તો જ નવાઈ !

  15. નીરવભાઈ, તમે કબૂલ કર્યું કે તમે જાણી જોઈને ‘સુથારનું મન બાવળિયે’ કહેવત વાપરેલી પણ એનાથી મને જરા પણ આશ્ચર્ય થયું નથી. જે માણસ પાસે તાર્કીક દલીલ ન બચી હોય એ આમ જાત ઉપર જાય. તમે પણ એમ જ કર્યું છે. તમારું દલીલ કરવાનું ધોરણ જોઈને મને સાચે જ હવે તો જુગુપ્સા થવા લાગી છે. વળી, એકાદ બે ગાળો બાકી હતી એ પણ તમે તમારી છેલ્લી કોમેન્ટમાં લખી નાખી. જે સુથારને તમે જોયા નથી, જાણ્યા નથી, એ શું કરે છે અને ખરેખર એ ‘આઈવરી ટાવર’માં છે કે બીજે ક્યાંય એનો કંઈ પણ વિચાર કર્યા વિના તમારા મનમાં તમે એક બાબુ સુથારને ઘડ્યો અને પછી એને ગાળો દેવા માંડી. તમે એક કામ કરો. મેક્સિકોમાં પેલા વુડુવાળા કરે છે એમ કરો. બાબુ સુથારનું એક પૂતળું બનાવી રોજે રોજ ગાળો દીધા કરો, સોયો ભોંકો, એનું માથું તલવારથી કાપી નાખો. કારણ કે વુડુમાં લોકો એમની કલ્પનાના માણસ સાથે એ રીતે વેર વાળતા હોય છે. એમ કરવાથી તમને માનસિક શાન્તિ થશે.

    તમારી આ ગાળાગાળી વાંચ્યા પછી એક જ દુર્ઘટના બની. મેં વાંચેલી તમારી કવિતાઓ હમણાં જ ઉલ્ટી થઈને નીકળી ગઈ. કેમ કે મને ખ્યાલ આવી ગયો કે એ કવિતાઓમાં જે આક્રોશ છે એ તો તદ્દન બનાવટી છે. જે કવિતા કોઈ એક સમૂદાય માટે તિરસ્કારનો ભાવ ઊભો કરે એ કવિતા ભલા માનવતા સુધી કઈ રીતે પહોંચી શકે? અમે તો સમગ્ર યુરોપને ટેડકાવતી એમી સેસાર કવિતાઓ વાંચેલી છે. એના ઉપર બનેલી દસ્તાવેજી ફિલ્મો પણ જોઈ છે. એટલે અમને થયું કે આ અવારનવાર હબસી પ્રજાનો ઉલ્લેખ કરતા આપણા એક અગ્રગણ્ય દલિત કવિ કલ્પનાશક્તિની બાબતમાં ભલેને સેસારની હરોળમાં આવે એવા નહીં હોય પણ એમનામાં એવું તો ચોક્કસ કંઈક હશે જે એમને એમની જાત પરત્ત્વે જોવા માટે દબાણ કરશે. પણ, એવું ન બન્યું. તમે તો રીફલેક્સીવીટી ખોઈ બેઠેલા માણસ નીકળ્યા.

    ચાલો ત્યારે. મને તમારા માટે કોઈ ડંખ નથી. અલબત્ત, દયા જરૂર આવે છે. એક માણસ, પોતાની યાતના બીજાને બતાવવા નીકળ્યો પણ એમ કરતાં એ બીજાની યાતનાને જોઈ જ ન શક્યો. કેવી છે આ કરૂણતા! બની શકે કે એ માણસ પોતાની જાતિના આધારે પોતાની યાતનાઓને વેચવા નીકળ્યો હશે. નહીં તો ના બને આવું. સાચું કહું? સુથાર સાહેબ પાસે આઈવરી ટાઈમમાંથી બહાર નીકળવાનો સમય જ ન હતો. પણ, કોઈકે મને કહ્યું કે સાહેબ, તમે ભાષાવિજ્ઞાનના માણસ છો. તમે નીરવભાઈએ જે કંઈ કહ્યું છે એના સંદર્ભમાં કંઈક કહો. મને થયું કે ચાલો, ભાષાવિજ્ઞાનની મદદ વડે એકાદ પ્રશ્ન સરળ બનાવી દઈએ. અને મેં એમ કર્યું પણ ખરું. મેં કવિ નીરવ પટેલને કહ્યું પણ ખરું કે દરેક વ્યક્તિને કોઈ પણ ભાષા શીખવાનો અધિકાર હોય છે. જો કોઈ એમ કહેતું હોય કે દલિતોએ અંગ્રેજી ન શીખવી જોઈએ તો એ દલીલ ખોટી છે. પણ કવિ નીરવ પટેલને મેં એમની દલીલનું જે સમર્થન કરેલું એ દેખાયું નહીં. એને બદલે મેં એમની વૈચારિક દરિદ્રતાની ટીકા કરેલી એ દેખાઈ અને જાણે કે તમે મને સાચો પાડવા ન નીકળ્યા હો એ રીતે દરેક વખતે તમારી વૈચારિક દરિદ્રતા પ્રગટ કરતા ગયા. તમે મારા લખાણના સંદર્ભમાં જે પ્રતિભાવો આપ્યા છે એ વાંચશો તો તમને ખ્યાલ આવશે કે તમે દલીલની સામે દલીલ કરવાને બદલે દલિત જાતિની ઢાલ આગળ ધરતા રહ્યા. તમે સતત એવું કહેતા રહ્યા કે હું દલિત છું એટલે મને આક્રોશ – મન ફાવે એવો – વ્યક્ત કરવાનો અધિકાર છે. તો શું બીજા લોકોને તાર્કીક દલીલ કરવાનો અધિકાર પણ નહીં? નીરવભાઈ, જાતિને કે વર્ણને વચ્ચે ન લાવો. તારકીક દલીલ કરો. માનવતા જાતિ અને વર્ણ કરતાં પણ ઊંચી વસ્તુ છે. જ્યારે માનવતા નિષ્ફળ જાય છે ત્યારે જ જાતિ કે વર્ણના નામે લોકો એકબીજા પર દમન કરવાનું શરૂ કરતા હોય છે. મને દલિતની કે સવર્ણની ચિન્તા નથી. મને માનવતાની ચિન્તા છે.

  16. સુધારો: “જે માણસ પાસે તાર્કીક દલીલ ન બચી હોય એ આમ જાત ઉપર જાય.” વાક્યને આ રીતે વાંચવું: “જે માણસ પાસે તાર્કીક દલીલ ન બચી હોય એ આમ પ્રતિપક્ષની જાત ઉપર જાય.” “પ્રતિપક્ષની’ શબ્દ રહી ગયો હતો.

  17. મને એમ થતું હતું કે આપને લાયક મેં હમણાં જ કશુંક વાંચ્યું છે. હા, ખરું યાદ આવ્યું : શ્રી વિપુલ કલ્યાણીએ ‘ગુજરાતી સાહિત્ય અકાદેમી, લંડન’ની ફેસબુક વોલ પર આપણા મૂર્ધન્ય કવિ સિતાંશુ યશ્શ્ચન્દ્રની અદભૂત કવિતા મૂકી છે. લોકરંજક ગીત-ગઝલથી સદાય છલોછલ રહેતી આપણી ગુજરાતી ભાષામાં આપના જેવા ‘ઉજ્જડ ગામે ઉગેલા એરન્ડાઓ’ ના અભિમાનની બહુ સુંદર ખબર લીધી છે એમાં. આપના લાભાર્થે – બલકે કવિતા પણ ‘ થેરપી’ બની શકે છે આપને આપના મેગ્લોમેનીયાના મહારોગથી મુક્ત કરવા – એ વિશ્વાસથી અહી એને પેસ્ટ કરું છું :

    એરંડો • સિતાંશુ યશશ્ચંદ્ર

    આપણી ભાષાના ઉજ્જડ સીમાડે ઊભો છું હું,
    એરંડો
    ઝોડ જેવું ઝાડ છું, ભોંકાય તો લોહી કાઢે એવા કાંટા
    ઉગાડી શકું છું ફળની સાથોસાથ,
    મૂળિયાં મારાં ઊંડાં છે, ને મજબૂત,
    ડાળીઓ દિશાઓની ભીંત ઉપર કોલસાના ગાંગડાથી ચીતરેલી છે.

    સૂકીભઠ આ જમીનની અંદર
    જળ ક્યાં છે
    એની મને જાણ છે.

    પાણીકળાઓ મારાં મૂળિયાંમાંથી લાકડીઓ બનાવી લે છે.
    હાઈડ્રોલિક એન્જિનિયરો મારી પાસે ભણે છે.

    પથરાઓ પાણીદાર છે, ધૂળ ને ઢેફાં યે ભીનાશવાળાં છે,
    સૂરજે સળગાવી નાખેલા આભમાં ઝાકળજળ ક્યારે આવી પહોંચે છે,
    ને આપણી આંખોમાં, એની
    રજેરજ માહિતી મારી પાસે ન હોય
    તો, તમે શું માનો છો? – હું આમ ટકી રહ્યો હોત
    આપણી સમઝણના જોખમી છેવાડે?

    સીમાડે ને છેવાડે જે આજે થાય છે
    તે આવતી કાલે બગીચાઓમાં ને તુલસીક્યારાઓમાં થવાનું છે,
    એ વાત કહેવા માટે હું આપણી ભાષાનો ઉપયોગ કરું છું.

    ત્રિકાળજ્ઞાનીઓ વરસે એકવાર મારાં પાંદડા ચાવે છે, આંતરડા સાફ
    કરી લે છે, ને પછી સારામાઠા વરતારા કરે છે.

    વાણી વાપરવાની એ રીત આપણે ભૂલી ગયાં છીએ,
    બલકે ગમતીલી ગફલતોમાં નાખી વાણીવિશારદોએ
    એ આવડત સિફતથી સેરવી લેધી છે, આપણી પાસેથી.

    “ગુજરાતી ભાષાનું શું થશે? “ – એવું પાછા પૂછે છે
    આ વિશારદો.

    આબાંવાડિયાં વઢાઈ ચૂક્યાં છે.
    બચેલાં પર પાટિયાં લટકે છે: ફોર એક્સપોર્ટ ઓન્લી.
    ગામ આખાનાં આંબાવાડિયાં વેચાઈ ચૂક્યાં છે.

    જે કંઈ ઊગશે આપણે માટે એ હવે ગામની બહાર ઊગશે,
    આપણી ઈચ્છાઓના અંત્યજવાસની જરાક આગળ.

    કાંટાળી ડાળીઓ પર ઝૂલતાં રસભર્યાં ફળોનો સ્વાદ
    આપણી જીભ એ રીતે જાણે છે
    જે રીતે કોશેટાની ઈયળ ઊડવું કેમ એ જાણે છે
    આવતી કાલે.

    એ આવતી કાલની વાત આપણી બોલીમાં કેમ કરવી,
    એ મને આવડે છે.

    શીખવી હોય તો શીખવાડું,
    મફતમાં,
    તે સહેલી છે,

    સહજ,
    એરંડા જેવી.

    એને ક્યાં ઉગાડવો પડે? સાચવવો પડે? સીંચવો પડે?

    આફુડો ઊગે, ધરાર ઊગે, નિશ્ચે ઊગે આવતી કાલ જેવો-
    જે આજ કરતાં જુદી હોય.

    આજ કરતાં અલગ હોય એને જ આવતી કાલ કહેવાયને?

    આજના જેવી જ આવતી કાલોની ટેવ આપણને પડી ગઈ છે, ક્યારની.

    અજાણી આવતી કાલથી ડરવું શેનું? પતંગિયાથી, પંખીથી, નવજાત બાળકથી?

    આજના છેક છેડે ચાલું છું હું, આગળ આગળ, બીજ બનીને, ઊડું છું,
    અજાણી, ઉત્તેજિત કરતી, ધારદાર, પાણીદાર,
    પિતા જેમ પડકારતી તોય મા જેમ પંપાળતી,
    પથરાઓ ને પાણાઓથી ભરી ભરી,
    એક આઘેની,
    ઘણી આઘેની જગ્યા તરફ;

    ચાલોને?

    (જન્મ : 18 અૉગસ્ટ 1941)
    જન્મદિવસના સહૃદય વધામણાં હજો.

    – સિતાંશુ યશશ્ચંદ્ર

  18. કોઈની કવિતા ટાંકવા જેટલો પરોપજીવી હું નથી. એટલે આ મારી કવિતા, તમારા માટે.

    ઉજ્જડ ગામના એરંડાનું કલ્પાંત

    *

    અહીં વાડી હતી
    વેલા હતા
    છોડ પણ હતા
    પક્ષીઓ પણ હતાં
    કીડા પણ હતા
    મંકોડા પણ હતા
    વટેમાર્ગુ પણ હતો
    પછી આવ્યું કોઈક
    માથાની જગ્યાએ ફેણવાળું
    ફુંક્યું એણે ઝેર
    નાતનું
    જાતનું
    વર્ગનું
    વાડાનું
    એણે પાણી અને ભિનાશને અળગાં કર્યાં અને કહ્યું:
    ભિનાશને અધિકાર છે પાણી પાસેથી વળતર માગવાનું
    જો ભિનાશ ના હોત તો પાણીનું શું થાત?
    એણે અગ્નિ અને હૂંફને અળગાં કર્યાં અને કહ્યું:
    હૂંફને અન્યાય થયો છે
    અગ્નિ મુર્દાબાદ.
    એણે ન કરવાનું બધું જ કર્યું
    એણે પવનને પવનતત્ત્વથી
    માટીને માટીતી
    આકાશને આકાશથી
    અળગાં કર્યાં
    પછી કશું જ અળગું કરવાનું ન રહ્યું ત્યારે
    એ ઉતારવા લાગ્યો કાંચળી
    જ્યાં જગ્યા મળી ત્યાં.
    પણ એની કાંચળીઓ પણ એના જેવી જ ઝેરીલી
    એ પણ ફૂંકવા લાગી ઝેર
    જે કંઈ હાથમાં આવ્યું એના મૂળમાં, કૂળમાં
    એણે એ બધાંની ઇકોતર પેઢી સુધી પ્રસરાવ્યો એનો દાંત,
    એ કહેવા લાગ્યો: વિનાશ એ જ મારો ધર્મ
    હું સર્વનો વિનાશ કરીશ
    હું તર્કને તાબે નહીં થાઉં.
    જ્ઞાન બ્યાન કીસ બલાકા નામ હૈ?
    પછી તો અહિં જે કંઈ હતું એ
    બધું જ નાશ પામવા લાગ્યું.
    કેવળ હું જ ટકી રહ્યો
    એક એરંડો
    આ ઉજ્જડ ગામમાં
    અરધી કૃપા ગંગાસતીની
    થોડી નરસિંહની
    અને બાકી પડી એમાં આવ્યો કોઈ
    સોક્રેટીસ, કોઈ તાઓ.
    હવે પેલી કાંચળીમાંથી કાળક્રમે
    માણસ બનેલા જીવો
    મને કહે છે: તું ઉજ્જડ ગામનો પ્રધાન છે
    પણ, મારું દુ:ખ એ છે કે કોઈ પોતાની જાત સામે જોતું નથી.
    આ કાંચળીઓ આત્મા વગરની છે.

  19. કવિતા મારો ગમતો સાહિત્યપ્રકાર છે, ‘પરોપજીવી’ની ગાળ ખાઈને પણ હું એને વાંચું અને વખાણું. અને આપની કવિતાના કેટલાક ટુકડાઓ, સવિશેષ તો ઉઘાડનો ટુકડો, સાચ્ચે જ મને ગમ્યો અને એને અહી ઉતારીને આપને ધન્યવાદ પાઠવું :

    અહીં વાડી હતી
    વેલા હતા
    છોડ પણ હતા
    પક્ષીઓ પણ હતાં
    કીડા પણ હતા
    મંકોડા પણ હતા
    વટેમાર્ગુ પણ હતો
    પછી આવ્યું કોઈક
    માથાની જગ્યાએ ફેણવાળું
    ફુંક્યું એણે ઝેર
    નાતનું
    જાતનું
    વર્ગનું
    વાડાનું.

    અહી લગીની કવિતા કોઈ સાચા માનવતાવાદી, સમાંનતાવાદી, ભ્રાતૃભાવમાં માનતા કવિએ લખી હોય એવું મને લાગ્યું. જેને પૂરી માનવજાત માટે નિસ્બત હોય, જેને નાત-જાત કે વર્ગ-વર્ણના વાડા થકી માનવીના શોષણ-દમનની નફરત હોય એવા કવિએ લખી હોય એવું મને લાગ્યું. પણ આવા વાડા સર્જનાર, આવા વાડાને સીંચીને એને ઉછેરનાર, એની વૃદ્ધી કરનાર, એને સદાકાળ સાચવીને આવનાર પેઢીઓને વારસામાં આપનાર, અરે પોતાના દેશમાં જ નહિ, પણ એ વિદેશમાં પણ જ્યાં જાય ત્યાં પાળી-પોષીને મોટો કરનાર ‘માથાની જગ્યાએ ફેણવાળું’ એ કોણ છે એ સહુ કોઈ જાણતું હોવા છતાં કવિ નામ દઈ શક્યા નથી. એના માટે, સુથાર સાહેબ, હિંમત પૂર્વકની પ્રામાણિકતા જોઈએ, કારણકે બધી આંગળીઓ અને અંગૂઠા કવિને પોતા તરફ, પોતાની સવર્ણ બિરાદરી તરફ ઇશારા કરે છે.

    અલબત્ત, કવિતા અહીંથી અપેક્ષિત વળાંક લે છે, એ પેરોડી બની રહી છે. એમ કહીએ કે કવિનું ખરું પોત હવે પ્રકાશે છે. અને એથી પણ આગળ કવિની જ ભાષા વાપરીએ તો કવિ પોતાની ‘જાત’ પર જાય છે . એ કલમના બદલે કરવતથી કોઈને વ્હેરી નાખવા માંગે છે, એની શારડીથી કોઈને છેદી નાખવા માંગે છે. કોણ છે એના આવા પ્રકોપનું પાત્ર ? અને એનો દોષ-ગુનો શો છે ? એ છે જેનું નામ દેવાનું જ બાકી રાખ્યું છે તે ‘નીરવ પટેલ’ નામનું એક પામર દલિત કવિડું. એનો ગુનો એટલો કે એણે એના એક લેખમાં દલિતોને પોતાની પ્યારી માતૃભાષા છોડીને અંગ્રેજી અપનાવવાની અરજ કરી. પણ જ્ઞાનનો, સંપત્તિનો અને સન્માનનો એકહત્થું ઈજારો રાખવા માગતી સમાજવ્યવસ્થામાં દલિતો આવું કૌશલ્ય પ્રાપ્ત કરીને વિશ્વ નાગરિક બની જાય તો પછી સવર્ણોની વેઠ કોણ કરે ? બધા ‘બાબુ’ બની જાય તો પછી સવર્ણોની… ધોવા, એમના પાયખાના સાફ કરવાના ‘ગમાર’ ક્યાંથી લાવવા?

    પણ કદાચ ‘નીરવ પટેલ’ નામના દલિત કવિનો એથી પણ વિશેષ મોટો ગુનો એ હતો કે એણે સુથાર સાહેબ જેવા મોટા ગજાના માણસની ‘ગાળો’ ખાવાનો ઇનકાર કરી દીધો, એમને એમની ‘ગાળો’ એમની ભાષામાં જ પાછી આપવાની ધ્રુષ્ટતા કરી, અને સરવાળે એમની પ્રતિભાને ખંડિત કરી. હવે તો સૌ કોઈ જાણતું થયું કે, પરદેશી યુનીવર્સીટીની મસમોટી પીએચ. ડી. ડિગ્રીનું ભારે અભિમાન છે એમને. આપણને આશ્ચર્ય થાય છે કે ભારતમાં જ નહિ બલકે વિશ્વ આખામાં નામાંકિત, જાયન્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ રૂપે જાણીતા સામ પિત્રોડા કે અમર્ત્ય સેન જેવોઓ તો સાવ સામાન્ય માણસની જેમ હળવા ફૂલ થઈને જીવે છે. પણ આ જ તો મોટો ફર્ક છે એમનામાં અને આપણા બાબુભાઈમાં : તેઓ કોઈ આવા મેગ્લોમેનીયાના રોગથી પીડાતા નથી.

    મને રહી રહીને કૈંક યાદ આવે છે : આપે ‘ગ્રીન પેશ્ચર’ નો અર્થ પૂછ્યો હતો અગાઉના એક મુદ્દામાં. મને પણ અહી આપની ભાષામાં જ આપની પેરોડી કરવાનું મન થાય છે : મને એક વાત સમજાતી નથી આપણો આટલો મોટો પ્રોફેસર, પોતાની જાતને સર્વજ્ઞ માનતો પ્રોફેસર હજી અંગ્રેજીમાં આટલો બધો કાચો છે કે એને ‘ગ્રીન પેશ્ચર’ નો અર્થ મારે સમજાવવો પડે ? મને પણ આપની જેમ કહેવાનું મન થઇ જાય છે : ‘આવા કોઈક વિષય પર લખતાં પહેલાં આપણા વિદ્વાનો અભ્યાસ કેમ નહીં કરતા હોય? ’ ડીક્ષનરી ઓફ ઈંગ્લીશ ફ્રેઈઝીસ એન્ડ ઈડીયમસ જોઈ હોત તો પણ ખબર પડી જાત. પણ આપે મને ઠીક તક આપી આ ફ્રેઈઝ્નો અર્થવિસ્તાર કરવાની. એનો સાદો અર્થ તો ‘લીલા ચરિયાણ ‘ થાય છે જેને ચરવા સૌ ઢોર તલપાપડ હોય છે. અલબત્ત, ચરીને એ પાછા પોતાની ગમાણમાં આવી જાય છે. પણ કેટલાંક માનવપશુઓ તો આવા ‘ગ્રીન પેશ્ચર’ની લાલચમાં પોતાની માતૃભૂમિને, પોતાની માતૃભાષાને, અને પોતાના રાંક રૂપિયાને વિદેશના ડોલર-પાઉંડ-યુરો ચરવા સદાને માટે તરછોડી દે છે. અને એમનો દંભ ને ડોળ તો જુઓ : એ જ પાછા દેશભક્તિ અને માતૃભાષાપ્રેમના બણગા પણ ફૂંકતા હોય છે ! વળી એક ઓર વાત : સૌને બરાબરીના ગણીને આવકારતા એ ‘લીલા ચરાણ’ ના દેશોમાં ચરવું તો છે, પણ પોતાની જ્ઞાતિવાદી-કોમવાદી પશુતાથી એ ચરાણોને પ્રદુષિત પણ કરવા છે !

  20. ૧. તમને કવિતા ગમી કે નહીં એમાં મને રસ નથી. મેં તો એને તરતી મૂકી દીધી પછી કોઈને માથું ગમે, કોઈને પગ. કોઈને કંઈ ન ગમે.

    ૨. તમે દલીતોને ગુજરાતી ભાષા છોડીને અંગ્રેજી ભાષા શીખવાની અરજ કરી એની સામે મેં ક્યાંય પણ વાંધો ઊઠાવ્યો નથી. મેં એ વાત અવારનવાર કરી છે અને આ સાથે હું એ વાતનું પુરાવર્તન પણ કરી રહ્યો છું કે દરેક બહુભાષી સમાજમાં કઈ ભાષા શીખવી અને કઈ ન શીખવી એ નક્કી કરવાની કરવાની દરેક માણસને સ્વતંત્રતા હોય છે. દલીતોને પણ એ સ્વતંત્રતા હોય છે અને સવર્ણોને પણ.

    ૩. મેં ત્રણ વાંધા ઊઠાવ્યા છે. એક તે અંગ્રેજી ભાષા વિષેની તમારી સમજના સંદર્ભમાં. તમે અંગ્રેજી ભાષાને મુક્તિની ભાષા તરીકે ઓળખાવી છે અને એની સામે મેં એમ કહ્યું છે કે અંગ્રેજી ભાષા પણ દૂધે ધોયેલી નથી. એ ભાષાના ભાષકોએ આખાને આખા ખંડોને અને દેશોને પણ ગુલામ બનાવ્યા છે. આ એક ઐતિહાસિક હકીકત છે. અને આ વાત કેવળ હું જ નથી કહેતો. ઘના બધા ચિન્તકો કહે છે. એમાં આફ્રિકાના ઘણા બધા સર્જકોનો પણ સમાવેશ થાય છે. મેં મારી દલીલના સમર્થનમાં એક આફ્રિકન લેખકનું નામ પણ આપ્યું છે જે હવે અંગ્રેજી ભાષા છોડીને પોતાની પ્રાદેશિક ભાષામાં સર્જન કરે છે. એ અને એવા ઘણા બધા આફ્રિકન લેખકો એવી દલીલ કરે છે કે અંગ્રેજી એ ‘માસ્ટર’ની ભાષા છે. આપણે સર્જકતાની તરફેણમાં એ ભાષા છોડી દેવી જોઈએ. માનો કે તમને આ દલીલ વ્યાજબી ન લાગી હોય તો તમે એનો અસ્વીકાર કરો. બસ, ત્યાં જ વાત પૂરી થઈ જાય.

    ૬. મેં બીજો વાંધો એ ઊઠાવ્યો છે કે દલિત કે સવર્ણ બન્નેમાંથી એક પણ વર્ગ homogenous નથી. એને કારણે આ આખો પ્રશ્ન ઘણો બધો સંકુલ બની જાય છે. હું આ વાતને પણ વળી રહું છું અને એનાં કારણો પણ છે. જે પ્રત્યક્ષજ્ઞાન છે એને અવગણીને જ્યારે કશાની વાત કરવામાં આવે ત્યારે એમાં એક પ્રકારના રાજકારણનો પ્રવેશ થતો હોય છે. heterogeneity એક વાસ્તવિકતા છે. હું માનું છું કે political correctnessની કોઈ પણ ચર્ચા આ પ્રત્યક્ષ વાસ્તવિકતાને બાજુ પર હડસેલીને કરવાથી સામાજિક અશાંતિ ઊભી થવાની તમામ શક્યતાઓ છે. અનામતવિરોધી આંદોલનનાં મૂળ હું આમાં જોઉં છું. રાજ્યે heterogeneityને ધ્યાનમાં લીધા વિના નીતિઓ ઘડી હતી.

    ૭. મારી ત્રીજી દલીલ એ હતી કે આપણા ઘણા બધા ગુજરાતી સાહિત્યકારો પૂરતા અભ્યાસ વિના, અધકચરી માહિતીના આધારે, લાગણીવશ બનીને દલીલો કરતા હોય છે જે બરાબર નથી. તમારું મૂળ લખાણ પણ આ પ્રકારનું જ છે. એમાં આક્રોશ છે પણ દલીલોનો અભાવ છે. એમાં તમે પ્રતિપક્ષને દલીલ કરવાની તક જ નથી આપતા. તમે તમારા પ્રતિપક્ષને શોષક વગેરેના વર્ગમાં મૂકી દીધો છે. હું મારી આ દલીલને પણ વળગી રહું છું. તમે તમારાં લખાણો બરાબર વાંચો: તમે મને કેટલી ગાળો આપી છે? તમે મને સવર્ણ કહ્યો. સાચું કહું તો તમારી સાથેના આ સંવાદ – જો એને સંવાદ કહી શકાતો હોય તો- જેટલી વાર તમે મારા માટએ ‘સવર્ણ’ શબ્દ વાપર્યો છે એટલી વાર મેં મારી આખી જિંદગીમાં એ શબ્દ સાંભળ્યો નથી. એ જ રીતે તમે ‘સુથાર’ શબ્દ મારી સાથે જે રીતે વાપર્યો છે, અને જે જે સંદર્ભમાં વાપર્યો છે, એ બધા જ સંદર્ભોને જો તમે તાર્કીક દલીલનો એક ભાગ ગનાવતા હો તો હું તમારી સાથે સંમંત થતો નથી. એ જ રીતે તમે મારા માટે megalomaniac શબ્દ પણ વાપર્યો છે. જેટલી વાર તમે મને જવાબ આપ્યો છે એ બદી જ વાર તમે મારા માટે હીનતાવાચક શબ્દો વાપર્યા છે. જો એ પ્રકારની દલીલોને તમે બૌદ્ધિક દલીલો કહેતા હો તો હું તમારી સાથે સંમત થતો નથી. તમારા લખાણને કેટલાક મિત્રોએ ‘આક્રોશ’ ગણાવ્યો છે પણ ના, એમાં આક્રોશ નથી. એમાં ઝેર છે. નર્યું ઝેર છે. તમે એક પણ દલીલ, એટલે કે સમ ખાઈ શકાય એવી એક પણ દલીલ, તર્કના માળખામાં રહીને કરી નથી. એટલું જ નહીં, ઘણી વાર તો તમે મેં કરેલી દલીલને મને પાછી આપી છે. મેં કહ્યું કે તમારે મનોચિકત્સા કરાવવાની જરૂર છે; એની સામે તમે મને કહ્યું કે એવી જરૂર તો મારે છે. મેં કહ્યું કે તમે મારી જાત પર જાઓ છો. તો તમે પણ મને એમ જ કહ્યું. ધીમે ધીમે તમે મારી ભાષા, એટલે કે તમારા પ્રતિપક્ષની ભાષા, બોલવા લાગ્યા.

    ૮. નીરવભાઈ, તમે મારી જાતિ વિષે, મારા શિક્ષણ વિષે, મારા ચારિત્ર્ય વિષે, મારા વ્યવસાય વિષે – એ બધ્ધાંની સામે ઝેર આંક્યું છે તો એની સામે મેં તમને અવારનવાર હું ક્યાં તમારી સાથે સંમત થાઉં છું અને કયાં નથી થતો એની વાતો કરી છે. તમે સંતત સીમાલ્લંઘન કરતા રહ્યા છો અને હું બને ત્યાં સુધી સીમાઓની મર્યાદામાં રહીને દલીલો કરતો રહ્યો છું. હા, ક્યારેક, ખાસ કરીને જ્યારે તમે નિકૃષ્ઠ કક્ષાએ ગયા છો ત્યારે હું પણ સીમા ઓળંગ્યો છું પણ એ માટે હું જવાબદાર નથી. એ બધામાં પહેલ તમે કરી છે.

    ૯. તમે લખો છો કે સામ પિત્રોડા અને અમર્ત્ય સેન “મારી જેમ monomaniacનથી.” મેં તો એમની સાથે કોઈ સંવાદ કર્યો નથી. તમે જરૂર કર્યો હશે. નહીં તો તમે આવા તારણ પર કઈ રીતે આવો? અને હું માની લઉં છું કે તમે અહીં તમારા લેખમાં અને ત્યાર પછી મારી સાથેના ‘સંવાદ’માં વાપરી છે એવી જ ભાષા એમની સાથે પણ વાપરી હશે.

    ૧૦. છેલ્લે છેલ્લે તમે મેં તમને ‘ગ્રીન પેશ્ચર’ વિષે પુછેલું એની વાત કરતી વખતે કેવી ભાષા વાપરી છે એ જુઓ. મેં તમને જ્યારે એ શબ્દનો અર્થ પૂછ્યો હતો ત્યારે એમ પુછેલું કે દલિત ફ્રેમ વર્કમાં એનો કોઈ ખાસ અર્થ થાય છે ખરો? મને એમ કે તમારા ફ્રેમ વર્કમાં એનો કોઈ બીજો જ અર્થ થતો હશે. પછી તમે એ વાતને મારી અજ્ઞાનતા, મારી ડીગ્રી વગેરે સુધી ખેંચી ગયા. આ કામ કાળા માથાનો માનવી ન કરે, એ પેલા ફેણ વાળા માથાનો જ માનવી કરે. પછી તમે એ શબ્દનો અર્થ આપતાં જે કહ્યું છે એ વાત તો હું અહીંના સમૂદાયમાં પણ મૂકવાનો છું. અહીંનાં ‘ઢોર’ પણ વાંચે તો ખરાં કે એમની ભાષાનો એક કવિ એમના માટે કેવા શબ્દો પ્રયોજે છે? તમે એમને દેશને કશું ન આપતાં અને ડોલર, પાઉન્ડ, યુરો ચરતાં ઢોરો તરીકે ઓળખાવ્યાં છે. આ કામ તો એક નહીં, સાત સાત ફેણવાળું માથું ધરાવતો માણસ જ કરી શકે. તમને શું ખબર કે વિદેશમાં વસતાં આ “ગુજરાતી ઢોરોએ” ગુજરાતને કે વિશ્વને શું આપ્યું છે? એ સમજવાનું તમારું ગજુ નથી.

    દુ:ખની વાત એ છે કે અહીં એક એવો માણસ છે જે પોતાની વીતક કથા સામેવાળાને કહી રહ્યો છે પણ એ કથાની શરૂઆતમાં જ એ શ્રોતાને ગુનેગાર જાહેર કરી રહ્યો છે. એ કહી રહ્યો છે કે જો સાંભળ મારા દુ:ખની વાત. પણ, હે શ્રોતા, તારે મારા દુખણી વાત એક ગુનેગાર તરીકે સાંભળવાની છે. તું જ ગુનેગાર છે મારી યાતનાઓનો. જાણે કે એ માટે પોતે જરા પણ જવાબદાર ન હોય. કમસનીબી એ છે કે આ બ્લોગના વાચકો પણ તીરે ઊભા રહીને આ તમાશો જોયા કરે છે. જે માણસે આ ચર્ચાની શરૂઆત કરી એ પણ પલિતો ચાંપીને જતો રહ્યો છે. આ છેલ્લું લખાણ હું એ તીરે બેસીને તમાશો જોતા પ્રેક્ષકોને અર્પણ કરી રહ્યો છું.

    મારા પક્ષે અહીં ચર્ચા પૂરી થાય છે. તમારે જે લવરો કરવો હોય તે કરે જજો. પણ, હા શાન્ત ચિત્તે જરા વિચારજો કે એકવીસમી સદીમાં તમે જે ભાષા વાપરો છો એ ભાષા શું સાચેસાચ દલિતચેતનાની ભાષા છે? એ દરમિયાન હું બીજા દલિતસર્જકોને પણ પૂછતો રહીશ કે આ ભાષા ખરેખર દલિત ચેતનાની ભાષા છે કે નીરવ પટેલની ચેતનાની?

    1. શ્રી બાબુભાઈ અને શ્રી નીરવભાઈ,

      આમ તો મારે કશું જ લખવું નહોતું. પરંતુ શ્રી બાબુભાઈએ કહ્યું છે કે “જે માણસે આ ચર્ચાની શરૂઆત કરી એ પણ પલિતો ચાંપીને જતો રહ્યો છે.” ના. આ બ્લૉગ પરથી હું ક્યાંય જઈ ન શકું એટલે અહીં જ છું. કોઈ આ ચર્ચા વાંચે કે ન વાંચે મારે વાંચવાની જ છે.

      શ્રી બાબુભાઈ ગુજરાતી ભાષાના વિદ્વાન છે અને એમના લેખ પ્રસિદ્ધ કરવાનું મને સૌભાગ્ય સાંપડ્યું છે. એમની પાસેથી શીખવાનું પણ મળ્યું છે.શ્રી નીરવભાઈનો સંપર્ક હાલમાં જ થયો. શ્રી વિપુલભાઈ કલ્યાણીના ઈ-વિચારપત્ર ‘ઓપિનિયન’માં એમનો આ લેખ પ્રકાશિત થયો અને મને એમાં એક દૃષ્ટિબિંદુ મળતાં મેં એ પુનઃપ્રકાશિત કરવાની શ્રી નીરવભાઈ પાસે પરવાનગી માગી. લેખની ભૂમિકા બાંધતાં શ્રી વિપુલભાઈ કલ્યાણીનો ઉલ્લેખ કરીને ઋણસ્વીકાર કર્યો.

      દલિતો ગુજરાતી ભાષા છોડી દે એ હું પસંદ કરૂં છું? મારો સ્પષ્ટ જવાબ ‘ના’ છે. તો શ્રી નીરવભાઈનો લેખ શા માટે પ્રસિદ્ધ કર્યો? એટલા માટે કે મારા અભિપ્રાય સિવાય બીજો પણ એક અભિપ્રાય અસ્તિત્વમાં છે એ સત્યનો મારે સ્વીકાર કરવો જોઈએ. એ અભિપ્રાય વધારે કઠોર હોય તો પણ એનો સ્વીકાર કરવાની મારામાં ક્ષમતા હોવી જોઇએ.

      મને એમનો વિચાર કઠોર લાગવાનું કારણ શું? અને શ્રી નીરવભાઈને ગુજરાતી ભાષા છોડી દેવાની ઇચ્છા થાય એનું કારણ શું? દેખીતું છે કે આની પાછળ સામાજિક વિભાજનની ભૂમિકા છે. હું જે વસ્તુનો સપનામાં પણ વિચાર ન કરી શક્યો હોઉં તે વસ્તુ શ્રી નીરવભાઈને આટલી હદે કઠે છે! મારે આ બાબત વિચારવી જ જોઈએ.

      શ્રી બાબુભાઇએ ઘણી તર્ક્સંગત વાતો લખી છે. તર્કને તર્કથી જ કાપી શકાય, લાગણીથી નહીં. આ વાત તદ્દન સાચી છે. પરંતુ લાગણીને તર્કથી શાંત કરી શકાય? મને લાગે છે કે એનો જવાબ નકારમાં છે. શ્રી નીરવભાઈના લેખમાં ગુસ્સો તો અવશ્ય છે.પરંતુ ગુસ્સાનું કારણ સમજવાની જરૂર ખરી કે નહીં? કારણ આપણે જાણીએ છીએ. હું, તમે, શ્રી બાબુભાઈ અને શ્રી નીરવભાઇ સૌ એ બાબતમાં એકમત છીએ.

      મારો ખ્યાલ એવો હતો કે આપણે આપણી ભાષાની અંદર ઊતરીને જાતિપ્રથાને વાચા આપતાં તત્વો શોધીશું.ભાષાનાં સ્વરૂપની ચર્ચા તો બાહ્ય ચર્ચા થઈ. આપણી ચર્ચાઓ આત્મપરીક્ષણની ન રહી. શક્ય છે કે આપણે શ્રી નીરવભાઈને સમજી જ ન શક્યા. શક્ય છે કે શ્રી નીરવભાઈએ અતિરેક કર્યો હોય.પરંતુ સાથે મળીને એવાં તત્વો તો ખોળી જ શકતા હતા ને?
      ઘણી વાર એવું બનતું હોય છે કે આપણે ‘સમાનતા’ છે એવું માનીને ચાલતા હોઈએ છીએ. જ્યારે આપણું ધ્યાન કોઈ એકાદ અંધારા ખૂણા તરફ દોરે ત્યારે આપણે ત્યાં પ્રકાશનું કિરણ નાખીને જોઈ લેવું જોઈએ કે ત્યા કશું જોખમી તો નથી ને?

      ભાષા માત્ર સાધન છે. ભાષક એનો ઉપયોગ કેમ કરે છે તે મહત્વનું છે. પરંતુ ભાષકના મોંએથી પ્રગટ થાય ત્યારે જ એ ભાષા કહેવાય! ભાષક કરતાં ભાષાનું અલગ અસ્તિત્વ હોઈ શકે? એ સાધન શાનું છે? માણસના મનોભાવો વ્યક્ત કરવાનું જ ને? મનોભાવોની મર્યાદાઓ એ ભાષામાં નહીં આવે? શક્તિશાળીની એક ભાષા અને નબળાની બીજી ભાષા. બન્ને એક જ ભાષાના ભાષકો હોય તો પણ એમની શબ્દોની પસંદગી બદલી નથી જતી? મારો કોઈ બ્રાહ્મણ મિત્ર મને ગુસ્સામાં કહે કે “તમે બ્રાહ્મણ નથી, ચમાર છો.” તો આમાંથી શો અર્થ નીકળે? એ જ કે ચમાર શબ્દ ગાળ તરીકે, કોઈને ઉતારી પાડવા માટે વાપરી શકાય. આમાંથી ચમારનું નીચાપણું પ્રગટ થાય છે.નીચાપણું વ્ય્ક્ત ન થતું હોત તો એનો પ્રયોગ પણ ન થયો હોત. આ ભાષા છે. ભાષા ભાષકના વિચારો, પૂર્વગ્રહો બધું વ્યક્ત કરે છે. મારી ભાષા મારા પૂર્વગ્રહો વ્યક્ત કરશે, નીરવભાઈની ભાષા નીરવભાઈના પૂર્વગ્રહો વ્યક્ત કરશે. ભાષા ભાષકથી સ્વતંત્ર હોત તો ગાંધીજીને ‘હરિજન’ શબ્દ બનાવવાની જરૂર ન પડી હોત.

      નારીમુક્તિ આંદોલનને કારણે આજે અંગ્રેજીમાં પ્રચલિત નરજાતિસૂચક શબ્દો હટી જવા લાગ્યા છે.પુરુષે જો પોતાનો વૈવાહિક દરજ્જો દેખાદવો ન પડતો હોય તો સ્ત્રીએ શા માટે દેખાડવો? એટલે હવે Miss/Mrsને બદલે Msનો ઉપયોગ થવા લાગ્યો છે. હવે spoksmanને બદલે spokesperson શબ્દ પ્રચલિત થયો છે. આમાં નારીની સમાનતા દેખાડવાનો જ હેતુ છે. આ સ્વાભાવિક પ્રક્રિયા છે.સ્ત્રીઓનો વિરોધ પણ વાજબી હતો. શા માટે ‘ડૉક્ટર’ કહેતાં નજર સામે પુરુષ આવે છે અને ‘નર્સ’ કહેતાં સ્ત્રી? આ બધા સ્ટીરિયોટાઇપ્સ છે અને એ બાબતમાં જાગૃતિ આવે તો એના પર વિચાર કરવાનું જરૂરી બની જાય છે. આવા પ્રયોગો અસમાનતાના દ્યોતક હતા અને છે; એટલે જ એમાં ફેરફાર થયા છે.

      મને એમ હતું કે આપણે આ દૃષ્ટિએ ચર્ચા કરીશું. શ્રી નીરવભાઈનો લેખ ભાષા વિશે છે તેના કરતાં તો ભાષામાં ઘુસી ગયેલી સામાજિક અસમાનતા વિશે વધારે છે.આ અસમાનતા તો એમની પાંસળીઓમાં ખૂંપી ગઈ છે. આનો ઉપાય ભાષાની બહાર છે.એનો ઉપાય આર્થિક અને સામાજિક બદલાવમાં છે.પરંતુ ભાષાની અંદર બધું નિર્મળ છે?

      શ્રી બાબુભાઈને મેં ખાસ આ ચર્ચામાં જોડાવા આમંત્રણ આપ્યું હતું. એમના જ્ઞાન માટે આદરની ભાવના ન હોત તો એમને મેં યાદ ન કર્યા હોત. ચર્ચા દરમિયાન એમને મનદુઃખ થાય એવું જે કઈં બન્યું છે તેની જવાબદારી મારી છે અને એમની માફી માગું છું. આશા છે કે શ્રી બાબુભાઈ આ બ્લૉગને એમનો પોતાનો જ માનતા રહેશે.એમના લેખો પ્રસિદ્ધ કરવાની મને હંમેશામ ઉત્સુકતા રહેશે.

      બીજી બાજુ શ્રી નીરવભાઈને પણ મેં જ આમંત્રણ આપ્યું હતું! આ બ્લૉગ પર ભવિષ્યમાં પણ લખતા રહેવાની એમને વિનંતિ કરૂં છું.

      અંતમાં શ્રી બાબુભાઈને ખાતરી આપવા માગું છું કે “પલિતો ચાંપનાર” તરીકેનો આક્ષેપ હું સહર્ષ સ્વીકારૂં છું પણ “પલિતો ચાંપીને ભાગી જનાર” તરીકેનો આક્ષેપ સ્વીકારી શકું એમ નથી.

      1. તમે કહો છો કે “શ્રી નીરવભાઈનો લેખ ભાષા વિશે છે તેના કરતાં તો ભાષામાં ઘુસી ગયેલી સામાજિક અસમાનતા વિશે વધારે છે.” હું તમારા આ મત સાથે સંપૂર્ણપણે સંમત નથી થતો. પણ, એ લખાણમાં એમણે જે પ્રકારની ભાષા પ્રયોજી છે એને અવગણીને જો આપણે વિચારીશું તો આપણને લાગશે કે એમનો લેખ આપણા સમાજમાં ઘૂસી ગયેલી ભાષાકીય અસામનતાનો છે. કોઈ એક સમાજમાં એક કરતાં વધારે ભાષાઓ બોલાય ત્યારે ભાષાકીય અસમાનતાનું નિર્માણ થવાની શક્યતાઓ ખૂબ વધી જાય. એમાંય પણ જો, બીજી ભાષા આર્થિક અને સામાજિક દરજ્જા સાથે સંકળાયેલી હોય તો તો એવું બન્યા વગર ન જ રહે. ફ્રાન્સ, જર્મન, જાપાન, ચીન, રશિયા વગેરેમાં આવું કેમ નથી બન્યું? એનું એક જ કારણ છે કે એ દેશોની પ્રથમ ભાષા પણ આર્થિક અને સામાજિક દરજ્જા સાથે સંકળાયેલી છે.

        આપણે ગુજરાતની વાત કરીએ: ગુજરાતમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી મુખ્ય ભાષાઓ બોલાય છે. આમાંની અંગ્રેજી ભાષાને આપણે ઊંચો દરજ્જો આપ્યો છે. આપણે માનીએ છીએ કે અંગ્રેજી આર્થિક અને સમાજિક દરજ્જાની ભાષા છે. જો કે, અહીં એક આડ વાત જરૂરી બની રહે છે. જગતની કોઈ પણ ભાષામાં એવું કોઈ ઘટક નથી હોતું જેને કારણે એ ભાષા ઊંચા આર્થિક કે સામાજિક દરજ્જાની ભાષા ગણી શકાય. અર્થાત, જેમ ભાષામાં ધ્વનિઘટકો કે રૂપઘટકો હોય છે એમ આર્થિક સત્તાને લગતા કે સામાજિક મોભાને લગતા કોઈ ઘટકો નથી હોતા. ભાષાને ઊંચી કે નીચી જે તે સમાજ બનાવતો હોય છે. એટલે કે જ્યારે શ્રી નીરવ પટેલ એમ કહે કે દલિતોએ ગુજરાતી ભાષાને છોડી અંગ્રેજી ભાષા સ્વીકારવી જોઈએ ત્યારે એઓ એમ કહેવા માગે છે કે દલિતોએ નીચા આર્થિક અને નીચા સામજિક દરજ્જાવાળી ભાષા છોડીને ઊંચા આર્થિક અને ઊંચા સામાજિક દરજ્જાવાળી ભાષા સ્વીકારવી જોઈએ. મેં અવારનવાર કહ્યું છે અને અહીં હું એનું પુરાવર્તન કરવા માગું છું કે એમની આ દલીલની સામે કોઈને વાંધો ન હોવો જોઈએ.

        મને જે વાંધો છે તે એ કે એમને ગુજરાતી ભાષાને સવર્ણોની ભાષા તરીકે ઓળખાવી છે. હું એની સાથે સંમત થતો નથી. ગુજરાતી ભાષા કોઈ એક વર્ણ કે જાતિની ભાષા નથી. અલબત્ત, એના સ્ટાન્ડર્ડાઈઝેશન વખતે આપણે એક ચોક્કસ વિસ્તારની કે એક ચોક્કસ સામાજિક વર્ગની કે એ બન્નેના મિશ્રણવાળી કોઈ એક વેરાયટીને સ્વીકારી છે. એની સામે ઘણી દલીલો થઈ છે અને હજી પણ થતી રહેશે. દેશીવાદી સાહિત્યકારોએ એટલેજ તો સ્ટાન્ડર્ડ ભાષાના પ્રતિકાર રૂપે સાહિત્ય સર્જન શરૂ કરેલું. ગુજરાતી ભાષા કેવળ સવર્ણોની જ નહીં, અનેક વર્ણોની છે. એમ હોવાથી એ બદા જ વર્ણોને સવર્ણોમાં ન્યૂન ન કરી શકાય અથવા તો એ બદામાંથી કોઈ એક વર્ણને જ ગુજરાતી ભાષાનો માલિક ન બનાવી શકાય.
        મારો બીજો જે વાંધો છે તે એ કે અંગ્રેજી ભાષા ન્યૂટ્રલ ભાષા છે એ દલીલ અયોગ્ય છે. શ્રી નીરવ પટેલે આફ્રિકાનું ઉદાહરણ આપ્યું છે. મેં આની સામે બે દલીલો કરી છે. એક તે એ કે અંગ્રેજી ભાષા પર દૂધે ધોયેલી નથી. એ ભાષાએ આખાને આખા ખંડો ગુલામ બનાવ્યા છે. આ ઐતિહાસિક હકીકતને જો આપણ બાજુ પર મૂકવી હોય તો પણ ન મૂકી શકીએ. બીજું, આફ્રિકામાં જ એવા ઘણા બધા વિદ્વાનો છે કે અંગ્રેજી ભાષાને હજી પણ ‘માસ્ટર’ની ભાષા તરીકે જુએ છે. મેં એ વિદ્વાનોનો અભ્યાસ કર્યો છે અને એના આધારે મેં મારી દલીલ મૂકી છે. મેં ઉદાહરણ પણ આપ્યાં છે. હું તો માનું છું કે ગ્લોબલાઈઝેશનની સામે અને પશ્ચિમીકરણની સામે આફ્રિકા જે રીતે લડત આપી રહ્યું છે એ અદભૂત છે. મેં મારી આ વાતના સમર્થનમાં અનેક દસ્તાવેજી ફિલ્મોના પણ ઉલ્લેખો કર્યા છે. આ સંદર્ભમાં જ મેં કહ્યું છે કે ગુજરાતી વિદ્વાનો પૂરતો અભ્યાસ કર્યા વિના, કોઠાસૂઝના બળે, અને ક્યારેક તો કલ્પનાના બળે બીજા દેશોની, એ દેશોની સંસ્કૃતિની વાત કરતા હોય છે. આ ‘અજ્ઞાનતા’ મને અકળાવી મૂકતી હોય છે.

        *

        બીજું, તમે કહો છો એમ ભાષાની અંદર પણ અસમાનતા આવી જાય ખરી. પણ એ અસમાનતા ક્યાં છે અને કયા સ્વરૂપે છે એ જોવું પડે. તમે નારીકેન્દ્રી વિચારણાની વાત કરી છે અને કેટલાંક ઉદાહરણો પણ ટાંક્યાં છે. એ સંદર્ભમાં જ એક વાત: આ વાક્ય લો: “સરકાર શિક્ષકોનો પગાર વધારશે”. આ વાક્યનો એવો અર્થ એવો કરી શકાય ખરો કે સરકાર ‘શિક્ષિકાઓને’ પગાર નહીં વધારે? કેમ કે આ વાક્યમાં ‘શિક્ષિકાઓ’નો સમાવેશ કરવામાં આવ્યો નથી. પણ, ના. એવો અર્થ નહીં કરી શકાય. કેમ કે અહીં ‘શિક્ષકો’ શબ્દ એક જેનેરીક પ્લુરલ તરીકે વપરાયો છે. કમનસીબે ગુજરાતી ભાષાના એક પણ વ્યાકરણમાં આ પ્રકારના પ્લુરલની વાત થઈ નથી. જો કે, ફેમિનિસ્ટ એવું કહી શકે કે જુઓ, અહીં ગુજરાતી ભાષામાં અસમાનતા ઘૂસી ગઈ છે. અહીં સ્ત્રીઓની બાદબાકી કરી નાખવામાં આવી છે. સંરચનાના સ્તરે જોતાં એમની વાત સાચી છે પણ સિમેન્ટિક્સ અને પ્રાગમેટીક્સના સ્તરે જોતાં એમની વાત સાચી નથી. કેમ કે જે વાસ્તવિકતા સંરચનાના સ્તરે અવગણવામાં આવી છે એને સિમેન્ટીક્સ અને પ્રાગમેટીક્સન સ્તરે રીકવર કરી લેવામાં આવી છે (માફ કરજો, હું ગુજરાતી પરિભાષા ઊભી કરી શકતો નથી). હવે જો આપણે સંરચનાના સ્તર પરની આ અસમાનતા દૂર કરવી હોય તો આપણે ભાષાની સંરચના જ બદલવી પડે, જે શક્ય નથી.

        હવે આ ઉદાહરણ લો: “શિક્ષક તો સમાજનો ઘડવૈયો છે”. એનો અર્થ એવો કરી શકાય ખરો કે શિક્ષિકાઓ સમાજનું ઘડતર નથી કરતી? ના. તો પછી અહીં આવતા ‘શિક્ષક’ શબ્દને કઈ રીતે સમજવાનો? શું એ પણ જેનેરીક છે? મારો જવાબ છેઃ હા. તો કોઈ કહેશે કે શું ગુજરાતી ભાષામાં બે જેનેરીક્સ છે? લંડનના એક પ્રોફેસર સાથે મારે આ બાબતે એક વિવાદ થયેલો. એમણે એક યુનિવસર્લ સિદ્ધાન્ત આપતાં એમ કહેલું કે દરેક ભાષામાં એક જ જેનેરીક પ્લુરલ હોઈ શકે. મેં ગુજરાતી ભાષામાંથી ઉદાહરણ આપીને કહેલું કે ના, એ યુનિવર્સલ બ્સલ્યુટ યુનિવર્સલ નથી. બે પણ હોઈ શકે અને કદાચ ત્રણ પણ હોઈ શકે. મેં કહેલું કે ગુજરાતી ભાષામાં બે જેનેરીક્સ છે. એક તે હાયર લેવલનું અને એક તે લોયર લેવલનુ. હાયર લેવલ પર એકવચનીય જેનેરીક વપરાય અને લોઅર લેવલ પર બહુવચનીય જેનેરીક વપરાય. મેં મારા એક પેપરમાં અને મારા થીસીસમાં પણ આની વીગતે ચર્ચા કરી છે. એનો અર્થ એ થયો કે સંરચનાના સ્તર પર અસ્તિત્ત્વ ધરાવતી ‘અસમામતા’ દૂર કરવાનું કામ અઘરું થઈ જાય.

        હકીકતમાં તો તમે જે જાતિ અંગેની અસમાનતાની વાત કરી છે એ શબ્દભંડોળના સ્તરની છે. એ પ્રકારની અસમાનતાને દૂર કરવામાં કદાચ ઓછી મુશ્કેલી પડે. જેમ કે, તમે કહ્યું છે એ Ms એ Mrs. અને Missમાંથી બનાવેલો શબ્દ છે. ગુજરાતીમાં પણ ‘શ્રીમાન’ અને ‘શ્રીમતિ’માંથી ‘શ્રી’ બનાવવામાં આવ્યો છે. મંઝુબેન ઝવેરી હંમેશાં પુરુષ અને સ્ત્રી માટે ‘શ્રી’ જ વાપરતાં. પણ, ‘કુમાર’ અને ‘કુમારી’માંથી જો કોઈ ન્યૂટ્રલ ફોર્મ બનાવવું હોય તો બને ખરું? માનો કે ‘કુમા’ રાખીએ તો –આને કારણે એ સ્ત્રીલિંગ લાગવાની શક્યતાઓ વધી જશે. તદઉપરાંત બીજા પણ પ્રશ્નો ઊભા થશે. એનો અર્થ એ થયો કે શબ્દભંડોળના સ્તરે પણ જે અસમાનતા છે એ તદ્દન દૂર કરી શકાય એમ નથી. અલબત્ત, જેટલી દૂર થાય એટલી તો કરવી જ જોઈએ.

        દલિત સમૂદાય અને ભાષા વચ્ચેના સંબંધોનો મેં વ્યવસ્થિત અભ્યાસ કર્યો નથી. પણ દલિત સમાજ સાથે સંકળાયેલા અમુક શબ્દોના વપરાશ પર આપણે કાયદેસર પ્રતિબંધ મૂક્યો છે ખરો. મને એની કાયદેસર જોગવાઈઓ શું છે એની ખબર નથી. પણ, મારું પ્રાથમિક નિરીક્ષણ એમ કહે છે કે જેમ નારીવિરોધી ભાવ આપણી ભાષાની કેટલીક સંરચનાઓમાં મળી આવે છે એવો દલિત વિરોધી ભાવ આપણી ભાષાની સંરચનામાં જવલ્લે જ મળી આવે છે. હું આ વાત ભાષાઅંતર્ગત સંચરચનાના સંદર્ભમાં આ વાત કરી રહ્યો છું, નહીં કે ભાષાબહિર્ગત. એટલું જ નહીં, હું અહીં બોલીની ભાષાવૈજ્ઞાનિક સંરચનાની વાત નથી કરી રહ્યો. જેમ બીજી સમાજિક બોલીઓમાં બન્યું છે એમ દલિત બોલીની પોતાની સંરચના અને પોતાનું શબ્દભંડોળ હોઈ શકે. હા, એવું બને ખરું કે એક સામાજિક વર્ગ બીજા સામાજિક વર્ગની બોલીને ઉતરતી કે ચડિયાતી ગણતો હોય. હું વડોદરા ભણવા ગયો ત્યારે મારા બધા જ શિક્ષકો મારી બોલીનો ઉપહાસ કરતા હતા. અલબત્ત, મારાથી ખાનગી રીતે. પણ, મને એનો વાંધો ન હતો. મારાં પત્નિ સુરતનાં છે. એ સુરતી બોલી નતી બોલતાં. કેમ કે નાનપણથી જ એમને એમ કહેવામાં આવ્યું છે કે સુરતી નહીં બોલાવી. સભ્ય માણસ દેખાવા માટે માન્ય ભાષા જ બોલવી. મારા એક બે દલિત મિત્રો મારા કરતાં પણ વધારે સંસ્કૃતપ્રધાન ગુજરાતી બોલે છે. એમાં પણ એમની ઓળખની ક્રાઈસીસ જોઈ શકાય. મારા એક પારસી મિત્રએ મને કહેલું કે “તમારા હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટને તમે બહુ ભાવો છો” (એટલે “ગમો છો”) તો બીજા એક પારસી કિત્રએ સુરેશ જોષીનું પુસ્તક જોઈને મને પૂછેલું કે આ પુસ્તક બઝારમાં પ્રાપ્ય છે ખરું? અહીં ભાષા અને ઓળખના મુદદ્દા મહત્ત્વા બને છે. જ્યારેક એક સામાજિક વર્ગ બીજા સામાજિક વર્ગની બોલીને ઉતરતી કક્ષા ગણે ત્યારે લેગ્વેજ એટીટ્યુડનો પ્રશ્ન ઊભો થાય. એના ઘણા બધા અભ્યાસો થયા છે. એ એટીટ્યુડમાં સ્ટિરીયોટાઈપ્સ પણ ગણતરીમાં લેવા પડે. એ સ્ટીરીયોટાઈપ્સ દરેક પ્રજા માટે અને દરેક વ્યવસાય માટે પણ હોય છે. શરીફા વીજળીવાળાએ એમનાં બાએ કહેલી વાતોનું એક સંપાદન કર્યું છે એનો જો તમે બરાબર અભ્યાસ કરશો તો તમને પટેલ માટેના ઢગલાબંધ સ્ટીરીયોટાઈપ્સ મળી આવશે. બરાબર એમ જ લોકગીતોમાં પણ એવાં જસ ટીરીયોટાઈપ્સ મલી આવશે,. ક્યારેક આ સ્ટીરીયોટાઈપ્સ સામાજિક તંગદિલીનું કારણ પણ બની જાય ખરાં. પણ, કોઈ પણ રાજ્ય એ સ્ટીરીયોટાઈપ્સ પર પ્રતિબિંધ ન મૂકી શકે કેમ કે એની સાથે જે તે પ્રજાની એક ચોક્કસ એવી ભાષાસર્જકતા પણ સંકળાયેલી હોય છે. જો રાજ્ય એક સ્ટીરીયોટાઈપ પર પ્રતિબંધ મૂકે તો પ્રજા બીજા સ્ટિરીયોટાઈપ્સ ઊભ કરશે. એથી જ તો એ સ્ટીરીયોટાઈપ્સનો કેટલો અને કયો ભાગ કોઈ ચોક્સક એવી જાતિ પરત્ત્વેનો તિરસ્કાર બની જાય છે એ નક્કી કરવાનું કામ ઘણું અઘરું બની જતું હોય છે. જો કે, ફીલ્ડ વર્ક દ્વારા આ કોયડાનો થોડો ઘણો ઉકેલ લાવી શકાય ખરો.

        આશા રાખું છું કે તમે મારી પાસે જે અપેક્ષા રાખેલી એ મેં થોડે ઘણે તો સંતોષી જ છે.

        1. શ્રી બાબુભાઈ,
          આભાર. તમારી પાસેથી આવી જ શાસ્ત્રીય ચર્ચાની અપેક્ષા હતી. કોઈ વ્યક્તિ (ઉદાહરણઃ શ્રી નીરવભાઈ પટેલ) કહે કે મને ભાષાએ જખમી કર્યો છે ત્યારે આપણી એ જોવાની ફરજ બની રહે છે કે સ્થિતિ શું છે.

          માત્ર શબ્દભંડોળ જ નહીં, એની ઉત્પત્તિ અને એની સાથે સંકળાયેલો અર્થ અને સંદર્ભ મહત્વનો છે. મેં ઉદાહરણ આપ્યું છે કે “તમે બ્રાહ્મણ નથી, ચમાર છો”. અહીં ‘ચમાર’ એક જાતનો સ્ટીરિયોટાઇપ છે.આવા સ્ટીરિયોટાઇપ વ્યક્તિની નહીં, પરંતુ વ્યક્તિઓના વર્ગની સમાન અથવા મુખ્ય લાક્ષણિકતા ખાસ સંદર્ભમાં વ્યક્ત કરે છે. દાખલા તરીકે શ્રી નીરવભાઈએ pun તરીકે ‘સુથારનું મન બાવળિયે’નો પ્રયોગ કર્યો છે. (એ તમારી જાતિગત ઓળખાણ હોવાથી જ એમણે આ પ્રયોગ કર્યો છે, એ દેખીતું છે). આવા બીજા સ્ટીરિયોટાઇપ બનાવી શકાયઃ બ્રાહ્મણનું મન લાડુમાં, ચમારનું મન ચામડામાં, વાણિયાનું મન ગલ્લામાં વગેરે. આ બધી મુખ્ય લાક્ષણિકતાઓ છે. આમ છતાં, બે વાક્યોઃ “ચમારનું મન ચામડામાં” અને “તમે બ્રાહ્મણ નથી, ચમાર છો” માં ચમાર-૧ ચમાર-૨ કરતાં જુદો છે! સંદર્ભને કારણે જ એ જુદા પડે છે. એટલે શબ્દભંડોળ વિશે તમે જે વાત કરો છો તે સાચી હોવા છતાં અધૂરી છે.

          આ સંદર્ભ આપણી સામાજિક વ્યવસ્થામાંથી આવે છે. આનો ઇન્કાર થઈ ન શકે. તમે અમેરિકામાં છો એટલે જાણતા હશો કે “hey, you shoemaker…!”એવી કોઈ ગાળ નથી. કૂતરાંઓને પૂર્ણ પ્રેમ અને સન્માન સાથે રાખતા હોવા છતાં ‘s…of…b…’ જેવી ગાળ છે. આ દેખાડે છે કે કૂતરાં પાળવાનો રિવાજ શરૂ થયો તે પહેલાં એમના તરફ સૌ નફરતની નજરે જોતા હશે. મને ‘ચમાર’ કહેનારા બ્રાહ્મણ મિત્રના મનમાં શો ભાવ હશે? શું તેઓ ચમારની બધી લાક્ષણિકતાઓ જાણતા હશે? નહીં. અથવા મેં કઈં એવું કર્યું એ માત્ર ચમાર જ કરતો હોય એવું એમનું કહેવાનું હશે? કઈં નક્કી નથી.એટલે એ માત્ર ગાળ બની રહે છે.

          આપણે ભાષાની વાત કરીએ છીએ ત્યારે ભાષકથી સ્વતંત્ર એનું અસ્તિત્વ હોવાની અવધારણા આપવી એ તદ્દન અવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ છે. એ અભિવ્યક્તિનું માધ્યમ છે. અને ભાષકના મોઢામાંથી નીકળે તે પછી એ સાધન બને છે, તે પહેલાં નહીં. આ વાત તો હું પહેલાં પણ જુદી રીતે કહી ચૂક્યો છું.અહીં હું એ ઉમેરવા માગું છું કે સાંભળનાર અને સમજનારના કાને કોઈ વાક્ય પડે ત્યારે ભાષારૂપી સ્વતંત્ર સાધન એને ઘસી, માંજી, લૂછીને નથી પહોંચાડતું. અથવા પહેલાં બધું શબ્દભંડોળ, પછી એની વિભક્તિઓ અને પછી ક્રિયાપદો વગેરે અલગ ડબ્બા રૂપે નથી જતું. ભાષાનો અભ્યાસ કરનાર માટે એ બધું અલગ રીતે જોવું એ કામનું છે. પણ સાંભળનાર એવા ભેદ ન કરી શકે. એને માત્ર સંદર્ભ પહોંચે છે. એને આખું જંગલ દેખાય છે, ૩૫૯ કે ૬,૭૪૪ કે ૫૪,૯૩૧ ઝાડો નહીં. એ ભાષાને સમગ્રપણે સાંભળે છે.

          મેં તો બે વાક્યો લઈને ‘ચમાર’ શબ્દના પ્રયોગની અર્થચ્છાયાઓ દેખાડી છે, જ્યારે શ્રી નીરવભાઈએ જે લખ્યું છે તેમાં એમણે બાળપણમાં સાંભળેલા શબ્દો (અથવા એક ઉંમર પછી પ્રત્યક્ષ હાજરીમાં ન સાંભળવા પડે એવા શબ્દો) છે, એમાંથી તો વિશુદ્ધ તિરસ્કાર પ્રગટે છે.એમાં કોઈ અર્થચ્છાયા નથી. સીધેસીધો અમાનવીય તિરસ્કાર છે. આ વાતનો સ્વીકાર કરવાનું અઘરૂં ન લાગવું જોઇએ. એટલે જ મેં કહ્યું કે એમની વાત મુખ્યત્વે આપણી ભાષામાં ઘુસી ગયેલી સામાજિક અસમાનતાની છે, ભાષાની નહીં. આ તરફ શ્રી જુગલભાઈ અને શ્રી સુબોધભાઈએ નીરવભાઇનું ધ્યાન ખેંચવા પ્રયત્ન કર્યો જ છે.હું પણ નીરવભાઈને કહીશ કે તાવનો નહીં, તાવ માટે જવાબદાર બીમારીનો ઇલાજ કરવાની જરૂર છે.જો કે કોઈ પણ ડૉક્ટર મૂળ બીમારીનો ઇલાજ કરતી વખતે તાવ રોકવાની દવા પણ આપતો જ હોય છે, એ પણ સાચું છે. તમે આને ભાષાકીય અસમાનતા ઘુસી ગઈ હોવાનું કહો છો, પણ એ સ્વીકારવામાં મારી સમજશક્તિ કાચી પડતી હોય એમ લાગે છે, કારણ કે હું એવી કલ્પના કરૂં છું કે કહેનાર અને સાંભળનાર માટે વ્યાકરણ, શબ્દભંડોળ અને સંદર્ભ અલગ નહીં હોય.

          તમે અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીની શ્રેણીઓ બનાવી છે તે ગુજરાતમાં અંગ્રેજીના મોહ કે આકર્ષણથી આગળ વધીને વ્યવહારમાં કેટલી સાર્થક છે તેનો મને બહુ ખ્યાલ નથી, પરંતુ મારી ધારણા છે કે ગુજરાતમાં વસતા ગુજરાતીઓનો મુખ્ય વ્યવહાર ગુજરાતીમાં જ થાય છે.

          આમ છતાં જેનરિક પ્લુરલ્સ વિશે તમે એ લખ્યું છે તે વાંચવાનું સારૂં લાગ્યું. આ ચર્ચાનો જુદો વિષય છે એટલે એના પર કશું લખતો નથી.આશા છે કે શ્રી જુગલભાઈ, શ્રી સુબોધભાઈ ફરી ચર્ચામાં જોડાશે. અને શી નીરવભાઈ પણ તમારા જેમ જ શાસ્ત્રીય ચર્ચા માટે આગળ આવશે.સામા્જિક અસમાનતા સામે બોલવાની આપણા સૌની જવાબદારી છે. કોઈને ખોટું લાગ્યું હોય તો એને ખોટું લાગ્યું તે જ ખોટું છે એમ કહેવામાં શાલીનતા નથી, શબ્દો ભલે શાલીન જણાય. કદાચ હું કઈં ન કરી શકું, પણ અફસોસ તો કરી જ શકું.

          1. ભાષા જીભથી કાન વચ્ચેનો વ્યવહાર છે. જીભ જે કહે છે તે જીભવાળાના મનોજગતને વ્યક્ત કરે છે. એ કાનવાળાને ‘બરાબર‘ રીતે ‘પહોંચે’ છે તેનાં કારણોમાં ભાષાની પ્રત્યાયન–વ્યવસ્થાને કારણે…. વ્યાકરણશુદ્ધ વાક્યો ન હોય તો કહેવાની વાત યોગ્ય અર્થઘટન ન કરી શકે. ને છતાં – વ્યાકરણશુદ્ધ હોવા છતાં – અર્થનો અનર્થ ક્યાં નથી થતો ? (આપણી આ આખી ચર્ચામાં ક્યાંક આવું થયાનું નથી લાગતું ?) વાક્યો સાવ સાચાં હોવા છતાં સામે છેડે તે જુદા જ અર્થો પકડાવી દેનારાં બની રહે ! અહીં વ્યાકરણ કામમાં બહુ આવતું જણાતું નથી. કાકુમાં તો વળી વાક્ય તો શું, શબ્દનીય જરુર પડતી નથી ને અર્થ પ્રત્યાયન પામી જાય છે !!

            એક શબ્દના અનેક અર્થો અને અનેક શબ્દોનો એક જ પ્રકારનો અર્થ હોય તે ભાષાની બાબત છે છતાં બોલનાર, તેના સંસ્કારો, તેની દાનત વગેરે પર કેટલો મોટો આધાર રાખે છે ! ભાષા અને સમાજ અને સામાજીકતા એ બધાંને અલગ પાડવાનું શક્ય છે ખરું ?
            વ્યાકરણના માણસો એમનું કામ કરે ત્યારે તેઓ સામાજીકતાનો વીચાર ન કરે તે સમજાય પરંતુ જોડણીકોશમાં અમુક કોમ માટેના અમુક શબ્દો દેશના બંધારણીય કારણોસર ન છપાય પરંતુ મેં દાખલો આપેલો તે સ્ત્રી માટેના ‘બાઈ’ શબ્દના કેવા અને કેટલા અર્થો મુકાયા ? આ મુદ્દે કોશકારે સામાજીકતાનો ખ્યાલ કર્યો નથી. નારીજાતીની અવમાનનાનો અહીં વીરોધ થયો નથી.

            તે જ રીતે સામાજીક બાબતોની વાતે ભાષાને વચ્ચે લાવવાનું જોખમી બને – અહીં બન્યું તેમ. બન્ને બાબતો અલગ હોવા છતાં ક્યાંક તો ભેગી થાય જ છે. ચર્ચાઓમાં એને ભેગી કરતી વખતે જોખમો જ વધે.

            બીજી એક વાત. કોડિયુંના સંપાદનમાં મારે ઘણી વાર શીક્ષકો વગેરે શબ્દોની જાતી માટે સવાલો આવ્યા ત્યારે મેં ક્રિયાપદો વગેરેમાં મીશ્રજાતી બહુવચન તરીકે અનુસ્વારનો ઉપયોગ કરીને કામ લીધું છે. “ત્યાં સૌ શીક્ષકો મળ્યાં” લખીએ તેથી ન્યાયનો સંતોષ થાય ખરો પણ એને કેટલા વાચકો સમજશે ? જોડણીના નીયમોના જાણકાર સીવાય એ દાખડો દાખડો જ રહેવાનો !

          2. વર્ષો પહેલાં સોસ્યુર નામના ભાષાવિજ્ઞાનીએ કહેલું કે વિજ્ઞાનમાં પદાર્થ પોન્ટ ઓફ વ્યુનું નિર્માણ કરતો હોય છે જ્યારે સમાજવિજ્ઞાનોમાં પોઈન્ટ ઓફ વ્યુ જે તે પદાર્થનું નિર્માણ કરતો હોય છે. એ કહે છે કે ભાષાવિજ્ઞાન એક પ્રકારનું સમાજવિજ્ઞાન છે. એનો અર્થ એ થયો કે ભાષા શું છે એ પ્રશ્નનો જવાબ તમારો પોઈન્ટ ઓફ વ્યુ શું છે એના પર આધાર રાખે. ચોમ્સકી, દા.ત. ભાષાને એક મનોવૈજ્ઞાનિક પદાર્થ ગણે છે. એનો અર્થ એ થયો કે માનવચિત્તના સ્તર પર ભાષા એક હોમોજીનિયસ પદાર્થ હોય છે, તો સામે છેડે લેબોવ જેવા ભાષાવિજ્ઞાનીઓ ભાષાને એક સામાજિક પદાર્થ માને છે. એનો અર્થ એ થયો કે એમના માટે ભાષા એક હીટરોજિનિયસ પદાર્થ છે.ચોમ્સકી અંતિમે ભાષાને એક જીવવૈજ્ઞાનિક પદાર્થ તરીકે ઓળખતા થાય છે અને એની ફોર્મલ પ્રોપર્ટીઝની શોધને ભાષાવિજ્ઞાનના મુખ્ય હેતુ તરીકે ઓળખાવે છે. આ મુદ્દો ભાષાવિજ્ઞાનના ક્ષેત્રમાં ઘણો મહત્ત્વનો છે. એનો એક સીધો સાદો અર્થ એ થયો કે ભાષાની વાત કરતી વખતે આપણે કોઈ એક પોન્ટ ઓફ વ્યુ સ્વીકારવો પડે. પણ એનો અર્થ એવો નથી થતો કે સામેના માણસનો પોઈન્ટ ઓફ વ્યુ ખોટો છે. આપણે બે શબ્દો લઈએ: ‘કરમ’ અને ‘કર્મ’. ચોમ્સકી કહેશે કે ગુજરાતી ચિત્તમાં આ બન્ને શબ્દો કોઈ એક જ અમૂર્ત સ્વરૂપે પડેલા હોય છે અને જે માણસ ‘કરમ’ બોલે છે એના ચિતમાં સયુંક્તાક્ષરને સરળ બનાવવનો એક નિયમ પડેલો હોય છે જે નિયમ ‘કર્મ’ બોલતા માણસના ચિત્તમાં નથી હોત. તો લેબોવ એમ કહેશે કે ના, એવું નથી.’કરમ’ અને ‘કર્મ’ એકજ શબ્દનાં બે વેરીએશન્સ છે. એમાંની એક વેરાયટી સમાજના એક વર્ગ સાથે જ્યારે બીજો શબ્દ સમાજના બીજા વર્ગ સાથે જોડાયેલી છે. ચોમ્સકી પોતાની દલીલની તરફેણમાં બીજગણિતના પ્રકારની દલીલ કરશે, લેબોવ આંકડાશાસ્ત્રની મદદથી બતાવશે કે જુઓ ભણેલા મોટે ભાગે ‘કર્મ’ બોલે છે. વગેરે. એમ હોવાથી ભાષા આ જ છે અને બીજું કંઈ નથી એમ કહેવું જરા મુશ્કેલ છે. ભાષાવિજ્ઞાનના ક્ષેત્રમાં આજે ઘણા બધા પોઈન્ટ ઓફ વ્યુ છે અને એઓ પોતપોતાના ક્ષેત્રમાં ઘણું જ ઊંડાણપૂર્વક કામ કરી રહ્યા છે. ઘણી વાર તો એક ભાષાવિજ્ઞાનીએ બીજા ભાષાવિજ્ઞાનીને સમજવા માટે તાલિમ લેવી પડતી હોય છે. દરેક પો.ઓ. વ્યુની એની પોતાની પરિભાષા હોય છે અને એનો પોતાનો ફોર્માલિઝમ હોય છે. આપણે મીઠું ને બીજાં અનેક રસાયણોનો ઉપયોગ કરીએ છીએ પણ એ પદાર્થોના રાસાયણિક બંધારણની વાત આવે તો એ કામ આપણે રસાયણશાસ્ત્રીને સોંપીએ છીએ. કમનસીબે કે સદનસીબે ભાષાની બાબતમાં એવું નથી બન્યું. હું ઘણી વાર મજાકમાં કહેતો હોઉં છું એમ ભાષા ગરીબ ઘરની વહુ જેવી છે. બધા જ એને સિસોટિઓ મારતા હોય છે. જેમ મીઠું ખાનારને – જો એ રસાયણશાસ્ત્ર ન જાણતો હોય તો – મીઠાના રાસાયણિક બંધારણની જાણ નથી હોતી બરાબર એમ જ ભાષાનો ઉપયોગ કરનારને – જો એ ભાષાવિજ્ઞાની ન હોય તો – ભાષાના બંધારણની જાણ નથી હોતી. એટલે જો આપણે બધા જ વધારે નહીં તો પ્રાથમિક સ્તરનો પણ ભાષાવિજ્ઞાનનો અભ્યાસ કરીએ તો આપણે આપણી ઘણી બધી દલીલોને ધારદાર બનાવી શકીએ.

            ફરી એક વાર બહુવચન વિષે. દીપકભાઈ લખે છે કે એ ચર્ચાનો વિષય છે. મને એના સંદર્ભમાં ચર્ચા કરવાનું ગમશે. વળી, જુ.કિ. લખે છે કે એમણે “શિક્ષકો મળ્યાં” એમ લખીને એ પ્રશ્નનો ઉકેલ લાવેલા. પણ, એવું ન કરી શકાય. ગુજરાતી ભાષામાં બહુવચન ચાર રીતે વપરાય છે: (૧) એક કરતાં વધારે સંખ્યા બતાવવા માટે (બે છોકરા), (૨) માનાર્થે (મણીભાઈ આવ્યા), (૩) જેનેરીક -૧ (શિક્ષકોનો પગાર વધશે) અને (૪) ડીસ્ટ્રીબ્યુટીવ સેન્સ પ્રગટ કરવા માટે (“છોકરીઓ આવી” વિ. મીના અને ‘ગીતા આવ્યાં.” મેં ગુજરાતી વ્યાકરણના પંદરેક કોયડા ઉકેલ્યા છે એમાંનો આ પણ છે.). જો તમે ‘શિક્ષકો આવ્યાં” એ વાક્ય શક્ય છે ખરું પણ માટે ગુજરાતી ભાષામાં ત્યારે તો સંરચનાગત અવકાશ નથી. જેનેરીક પ્લુરલને – જે અત્યારે સિમેનટીક્સના કે/અને પ્રાગમેટીક્સના સ્તર પર છે એને વાક્યતંત્રના સ્તર પર લાવવાનું કામ મુશ્કેલ છે. કેમ કે એમ કરતી વખતે આપણે એક સાથે ભાષાના ત્રણ સ્તરને રીસ્ટ્રક્ચર કરવા પડે.

  21. શ્રી દીપકભાઈ,

    તમારી રજૂઆતના સંદર્ભે સૌથી પ્રથમ કોમેન્ટ મેં મૂકી હતી તેના અંગે કેટલુંક ફરી મૂકું છું.

    આપણા સમાજના આ પ્રકારના પ્રશ્નોમાં ભાષા કરતાંય ભાષકોની માનસિકતા વધુ જવાબદાર છે…છતાં સદીઓ સુધી અન્યાય કરનારા અને અન્યાય સહેનારા વચ્ચે જે માનસિકતા પ્રવર્તી હોય તેની રજૂઆત જે ભાષા કરતી હોય તે ભાષા પણ દૂષિત બનતી રહે છે. એટલે આ સવાલ ભાષાનો નથી એમ સાવ તો કહી ન જ શકાય.

    મારો બીજો મુદ્દો એ કહેવાનો હતો કે ફક્ત દલીતોને જ નહીં, આપણા કહેવાતા ઉચ્ચ સમાજે તો સ્ત્રીઓને તો ખરું જ પણ પોતાના ડાબા હાથનેય દલીત ગણીને પોતાની “અતાર્કિક જીવનરીતિ” બતાવી આપી છે !!

    પણ પછી ચર્ચામાં વળાંક આવી જવાથી કાંઠે ઊભી જવાનું વધુ ઠીક લાગ્યું. બાકી તમારા ‘વાતાયને’થી જગતને જોવાનો લહાવો મળે છે…જેને પણ મેં છેલ્લાં વાક્યોમાં મૂક્યું છે. નીરવભાઈને તો મેં વંદન પાઠવ્યાં જ હતાં, હવે અહીં પ્રગટ થયેલી ચર્ચાઓમાંના તાત્ત્વિક અને સાત્વિક અંશોને પણ મારા મનથી વંદન કરું છું.

    1. તમે શા માટે હટી ગયા તે તો સમજી જ શક્યો હતો. મારો ખ્યાલ છે કે કોઈ પણ મુદ્દાની સદ્‍ભાવનાપૂર્વક ચર્ચા થઈ શકે.એટલે હું ઇચ્છતો હતો કે તમે ચર્ચામાં ચાલુ રહો.

  22. આમ તો દીપકભાઈની આ ખૂબ જ સમજણભરી અને સૌજન્યસભર સમાપન-કોમેન્ટ બાદ મારે પક્ષે કશું કહેવાનું રહેતું નથી. અને જો આદરણીય સુથાર સાહેબે પણ પોતાને ‘ સર્વજ્ઞ’ અને મને ‘ જાત પર જતા’, ‘હિન રાજકારણી’ કે ‘કશું વાંચ્યા કે સમજ્યા વગર લખનાર ગાંડિયા લેખક’ હોવાની ગાળો આપીને ધરાર ઉતારી પાડવાની ધ્રુષ્ટતા ન કરી હોત તો, મેં પણ જરૂર એમની વિદ્વત્તાની ‘આમન્યા’ સાચવીને મારી વાત મૂકી હોત.

    આમ તો અમે દલિત લેખકો અવારનવાર કહીએ છીએ કે અમે એક આંખમાં આંસુ અને એક આંખમાં આગ સાથે લખીએ છીએ. અને એ આંસુ ને એ આગ અમને આ વિષમ સમાજવ્યવસ્થામાંથી મળ્યા છે. અને એ અન્યાયી સમાજવ્યવસ્થાને જડમૂળથી નેસ્તનાબૂદ કરીને સમાનતા અને ભ્રાતૃભાવપૂર્ણયુક્ત સમાજ બનાવવા માંગીએ છીએ. જે ‘અપીલ’ની ભાષા સમજે એમને અમે બહુ દર્દભરી અપીલ કરીએ છીએ, પણ જે અમારા દુખદર્દની ધરાર ઉપેક્ષા કરે, ઉપહાસ કરે એમને અમારે નાછૂટકે ‘આઘાત’ આપવા પડે છે.

    હું બહુ દિલગીરી સાથે કબૂલ કરું છું કે આ ચર્ચામાં, હું ઘણો સંવેદનશીલ વ્યક્તિ હવા છતાં, મારે આકરા આઘાત આપે તેવી ‘ભાષા’ ( મારે તો ‘ભાષા’ શબ્દ જ વાપરવો પડેને, કારણ કે સુથાર સાહેબને મારી વાતમાં કોઈ ‘તર્ક’ કે દલીલ’ દેખાતા જ નથી ! ) વાપરવી પડી. સુથાર સાહેબ, આ ચર્ચામાં પડવાથી ન કેવળ આપની, પણ મારી ખુદની શાલીનતા પણ ખંડિત થઇ છે જેનાથી હું દુખી છું. મને યાદ છે, જયારે જ્યારે મારે શ્રી વિપુલ કલ્યાણી કે શ્રી પંચમ શુક્લ સાથે કોઈ કવિતા કે સામાજિક મુદ્દે મતભેદ પડ્યે ચર્ચામાં ઉતરવાનું થયું ત્યારે ત્યારે અમે બહુ શાલીનતાથી ચર્ચાઓ કરી છે. અને એનું કારણ એ બેઉ મહાનુભાવોની ઉચ્ચતમ શાલીનતા છે. ( અને અહી મારે દીપકભાઈ, દાઉદભાઈ, જુગલકિશોરભાઈ – એ સૌના નામ સાભાર ઉમેરવા જોઈએ. કોઈને ઉતારી પાડ્યા વગર પણ પોતાનો જુદો મત વ્યક્ત કરી શકાય, એ શિખવા માટે સુથારસાહેબે આ સૌને ધ્યાનથી વાંચવા જોઈએ, )

    આપે અન્ય દલિત સર્જકોની વાત કરી એ મને ગમ્યું કારણ કે એ વાત પણ આવી ખુલ્લી ચર્ચાઓનો એજન્ડા બને.છે આ રીતે : ‘હું બીજા દલિતસર્જકોને પણ પૂછતો રહીશ કે આ ભાષા ખરેખર દલિત ચેતનાની ભાષા છે કે નીરવ પટેલની ચેતનાની? ‘ હું આપને અત્યારથી જ અભિનંદન આપું કે આપ આનંદો. આપની જેમ નીરવ પટેલને ધિક્કારતા અનેક દલિત સર્જકો આપને અચૂક મળી રહેશે. એના કારણો દલિતોમાં પ્રવર્તતા આપસી જ્ઞાતિવાદ થી લઈને દલિત સાહિત્યને પ્લેટફોર્મ બનાવી મુખ્ય ધારાના રાજકીય પક્ષોમાં ( હાડોહાડ હિન્દુવાદી પક્ષો સમેત ) પોતાની રાજકીય કારકિર્દી ઘડવા માંગતા, કે ‘ લેખક’ હોવાનું લેબલ રળીને પાઠ્યપુસ્તકોમાં આવવા માંગતા કે પ્રતિષ્ઠિત થવા માગતા દલિત લેખકોથી હવે તો ઉભરાય છે દલિત સાહિત્ય. એમને કશી વિચારધારા કે પ્રતિબદ્ધતા
    સાથે કઈ લેવાદેવા નથી. હા, ભલે જુજ પણ, પણ એવા કોઈ દલિત સર્જકો પણ મળી રહેશે જે બહુ પ્રમાણિકતાપૂર્વક મારી સાથે સહમત ન પણ હોય. મને આદર છે એ સૌ માટે. મેં તો આપને અગાઉથી જ જાણ કરી હતી કે મારી કવિતાનો પ્રમુખ સૂર સેટાયર છે, અને આપનાથી પણ ઉચ્ચ કક્ષાના વિદ્વાન વિવેચકોએ ( સિતાંશુ
    યશસ્ચન્દ્ર, સુમન શાહ, રઘુવીર ચૌધરી આડી ) પણ એને બહુ વહેલેરો ઓળખી બતાવ્યો છે.

    અંતે એટલું જ યાદ દેવડાવું કે આપ આપનો ‘લવારો’ બંધ કરશો તો હું પણ મારી ‘લવારી’ બંધ કરી દઈશ. એક દિલી શુભેચ્છા : ગેટ વેલ સૂન ફ્રોમ યોંર ગ્રેટ ડીસીઝ. .

  23. ચર્ચાનું સમાપન કર્યા પછી મારે નીરવ પટેલને કંઈ લખવું ન હતું. પણ, બેએક દિવસ પહેલાં જ એક ઘટના બની. એક મિત્રએ મને ફોન કરીને કહ્યું કે બાબુભાઈ, તમે નીરવ માટે ‘જાત પર જતા’, ‘હિન રાજકારણી’ કે ‘કશું વાંચ્યા કે સમજ્યા વિના લખનાર ગાંડિયા લેખક’ તરીકે ઓળખાવ્યા છે? મેં કહ્યું, “ના ભાઈ, હું એવું ન કરું. તમને એવું લાગે છે ખરું?” તો એ કહે કે પણ નીરવ પટેલે તમારા શબ્દો મૂક્યા છે બ્લોગ પર. તમે વાંચ્યા નથી? એમણે અવતરણચિહ્નનોની વચ્ચે એ શબ્દો મૂક્યા છે. એનો અર્થ એ થયો કે તમે એવું બોલ્યા છો. અથવા તો તમે એવું એમના વિષે લખ્યું છે. એ મિત્રના ફોન પછી હું મેં નીરવ પટેલ માટે મેં જે કંઈ કોમેન્ટ લખી છે એ ફરીથી વાંચી ગયો. હું એમણ લખ્યા છે એવા અપમાનવાચક શબ્દો સામાન્ય સંજોગોમાં નથી વાપરતો. તો પણ, ભાઈ આપણે પણ માણસ છીએ. ક્યારેક કોઈકના પર ગુસ્સો આવી જાય અને ક્યાંક એવું લખાઈ પણ જાય. પણ, મને મારા લખાણમાંથી એ શબ્દો ન મળી આવ્યા. એનો અર્થ એ થયો કે નીરવ પટેલ પેલા ડોન કીહોટેની જેમ પવનચક્કીના પડછાયાઓ સાથે લડી રહ્યા છે. ડોન કીહોટે પવનચક્કીના પડછાઓઓને રાક્ષસ માનીને એમની સામે લડે છે બરાબર એમ ની.પ. પણ એમણે ઊભ કરેલા શબ્દોની સામે લડી રહ્યા છે અને એ શબ્દોને મારા મોઢામાં મૂકી રહ્યા છે. એટલે હવે હું આ બ્લોગના તમામ વાચકોને અને નીરવ પટેલને પણ એક વિનંતી કરું છું: તમે મારા લખાણમાંથી નીરવ પટેલે જે શબ્દો મારા મોઢામાં મૂક્યા છે એ શોધી બતાવો તો હું નીરવ પટેલની માફી માગી લઈશ. અને જો મેં એ શબ્દો ન જડે તો મારે નીરવ પટેલની માફી જોઈતી નથી. તમે જો ધ્યાનતી જોશો તો ‘જાત’વાળા શબ્દો પણ સૌ પ્રથમ એમણે જ વાપર્યા છે. એમણે જ મારા પર ટીપ્પણી કરતાં સુથારનું મન બાવળિયે- એ કહેવતનું ઉદાહરણ આપ્યું છે. ઉદાહરણમાં રહેલો એમને ઝેરીલો ડંખ મને વાગ્યો નથી. પણ, પાછળથી ની.પ. એવું કબૂલ પણ કર્યું છે કે એમણે જાણી જોઈને એ કહેવત વાપરી છે. બોલો શું કહેશો આ પ્રકારની દલીલને?

    મારી સૌ પ્રથમ કોમેન્ટ જોશો તો તમને સમજાશે કે મેં નીરવ પટેલના સંદર્ભમાં આમ કહ્યું છે: “મને એક વાત સમજાતી નથી: આપણો સાહિત્યકાર આટલો બધો વિચારદરિદ્ર કેમ છે? કેમ એને હજી પણ આવા છીછરા રાજકારણમાં રસ પડતો હશે? આવા કોઈક વિષય પર લખતા પહેલાં આપણા વિદ્વાનો અભ્યાસ કેમ નહીં કરતા હોય?” હું મારા આ વિધાનને હજી પણ વળગી રહું છું. હું જી પણ માનું છું કે એમનું લખાણ વિચારદારિદ્રતાની જ એક નીપજ છે. એમના લખાણમાં કોઈ દલીલ નથી. કોઈ કોમવાદી રાજકીય નેતા જેમ એક કોમને બીજી કોમની સામે મૂકીને એક કોમને બદનામ કરે અને બીજી કોમને પેલી કોમ કરતાં જુદું કરવાનું કહે એ એવું કંઈક એમણે કર્યું છે. એમણે દલિત કોમને કહ્યું છે કે ગુજરાતી ભાષાને તમે છોડો અને એની જગ્યાએ અંગ્રેજી ભાષા અપનાવો. કેમ કે ગુજરાતી ભાષા સવર્ણોની ભાષા છે, જ્યારે અંગ્રેજી ભાષા મુક્તિની ભાષા છે. મેં એમના આ વિધાનાની સામે બે મુદ્દા મૂક્યા છે. એક તો એ કે ગુજરાતી ભાષાને સવર્ણોની ભાષામાં ન્યૂન ન કરી શકાય. છેલ્લાં હજાર વરસથી વપરાતી આવતી આ ભાષાનો દરેક જાતિએ ઉપયોગ કર્યો છે અને હજી પણ કરી રહી છે. બીજું, અંગ્રેજી મુક્તિની ભાષા છે એવું કહી શકાય નહીં કેમ કે એ ભાષાના ભાષકોએ આખાને આખા ઉપખંડોને ગુલામ બનાવ્યા છે. સાથોસાથ, મેં એમ પણ કહ્યું કે જે સમાજમાં એક કરતાં વધારે ભાષાઓ બોલાતી હોય ત્યાં કઈ ભાષાનો કોણે કઈ રીતે અપનાવવી જોઈએ એ નક્કી કરવાનો જે તે પ્રજાને સ્વતંત્રતા હોય છે.
    જો ગુજરાતી ભાષાને કેવળ સવર્ણોની જ ભાષા તરીકે ઓળખવામાં આવે તો એમાં કયું તર્ક કામ કરે તો એની પાછળ કયા પ્રકારની રેશનાલિટી કામ કરે છે? હા, જો ની.પ. એમ કહેતા હોય કે અંગ્રેજી આર્થિક સત્તાની ભાષા છે તો બરાબર છે, પણ, મુક્તિની ભાષા? ના ભાઈ ના. ઘણા આફ્રિકન વિદ્વાનો પણ એ વાત સ્વીકારતા નથી. જો આ પ્રકારની દલીલોને માટે વિચારસમૃદ્ધ દલીલ તરીકે ઓળખવાની હોય તો એ પુણ્યશાળી કામ હું બીજા લોકોને સોંપું છું.
    હું માનું છું કે એમનું લખાણ એક ‘છીછરા રાજકારણ’નો જ ભાગ છે. મેં દલિતો અને ભાષાપસંદગી પરના એક સેમિનારમાં હાજરી આપી છે. અને એ પણ આ ચળવળ શરૂ કરનાર ચંદ્રભાનુ પ્રસાદના નેજા હેઠળના. એમણે પણ એ જ વાત કરી છે કે જો દલિતોને એમની વર્તમાન પરિસ્થિતિમાંથી બહાર લાવવા હોય તો એમણે અંગ્રેજી ભાષા – આર્થિક સત્તાની ભાષાને – અપનાવવી પડશે. એમણે એમ નથી કહ્યું કે હિન્દી સવર્ણોની ભાષા છે. જો આ પ્રકારની દલીલને છીછરા રાજકારણની નીપજ ન કહેવાય તો શું કહેવાય? જે દલીલ ઇતિહાસને અને વાસ્તવિકતાને પણ દગો કરીને રચવામાં આવી હોય એને આપણે શું કહીશું? ગુજરાતી સવર્ણોની ભાષા છે એ સાબિત કરતું એક તાર્કીક કે પ્રત્યક્ષ પ્રમાણ તો આપણે જોઈએ કે નહીં. અને જો સવર્ણોની ભાષા હોય તો મને એક અંગત પ્રશ્ન થાય છે: એ ભાષામાં આપણે શા માટે સર્જન કરવું જોઈએ? એ ભાષામાં કરેલાં સર્જનોને મળેલા એવોર્ડ્ઝ આપણે શા માટે સ્વીકારવા જોઈએ? તો પછી એ ભાષામાં કોઈ વિદ્વાને આપણી પ્રસંશા કરી હોય તો આપણે શા માટે એનો પણ સ્વીકાર કરવો જોઈએ? હું અહીં સર્જક ની.પ.ને એક જ વાત પૂછવા માગું છું: જે ભાષાને તમે સવર્ણોની ભાષા તરીકે ઓળખાવો છો એ ભાષામાં તમે સર્જન કરો તો એ સર્જનને મારે કઈ રીતે જોવું જોઈએ?
    મેં લખ્યું છે કે આ પ્રકારના વિષય પર લખતા પહેલાં થોડોક અભ્યાસ તો કરવો જ જોઈએ. તો એમાં ખોટું કહ્યું? આપણે એમ કહીએ કે આફ્રિકામાં લોકોને અંગ્રેજીને કારણે મુક્તિ મળી ગઈ છે તો આપણે એના ટેકામાં કંઈક જોઈએ કે નહીં. જો ની.પ. એમ કહેતા હોય કે મારો અનુભવ એવું કહે છે તો એ ન ચાલે.
    ની.પ. અવારનાવર મને અભિમાની વગેરે શબ્દોથી નવાજ્યો છે. એ જ બતાવે છે કે એમની પાસે દલીલ કરવાનાં કોઈ સાધનો જ નથી. આક્રોશ કોઈ એક વર્ણનો કે વર્ગનો જ ઇજારો નથી હોતો. દિપકભાઈએ મને એક ભાષાવિજ્ઞાની તરીકે ની.પ.ના લેખ વિશે લખવાનું કહેલું. અને મેં લખ્યું. એકેડેમિશયનને પણ આક્રોશથી બીજાને “અધૂરિયા” તરીકે ઓળખવાનો અધિકાર હોય છે. જેમ તમને બીજાને પૂર્ણ વગેરેથી ઓળખવાનો અધિકાર હોય છે એમ જ. તો એની પાસેથી તમે એ અધકાર પણ છીનવી લેવા માગો છો.
    છેલ્લે, નીરવ પટેલે જે શબ્દો મારા નામે ચડાવ્યા છે એ સાચે જ મારા શબ્દો છે એવું પુરવાર ન થાય ત્યાં સુધી આ ચર્ચા આગળ વધેએવી કોઈ શક્યાતઓ મને દેખાતી નથી.

  24. આપ સૌ સમ્માનનીય અને વિદ્વાન વાચકો જોશો કે મેં મારી અંતિમ કોમેન્ટમાં દીપકભાઈની ‘સમાપન કોમેન્ટ’ ને આવકારીને આ વિવાદમાંથી વિદાય લેવાનું જાહેર કર્યું હતું. અલબત્ત સુથાર સાહેબને એમના હઠીલા મહારોગ ‘મેગ્લોમેનીયા’ માંથી જલ્દી સાજા થવાની દિલી શુભેચ્છાઓ પણ પાઠવી હતી. સાથે સાથે મેં એમ પણ કહ્યું હતું કે જો સુથાર સાહેબ એમનો ‘લવારો’ બંધ કરશે તો હું પણ મારી ‘લાવારી’ જરૂરથી બંધ કરી દઈશ. આપ સૌને યાદ દેવડાવું એમણે જ મારા માટે આ ‘લવારો’ શબ્દ બલકે ગાળ પહેલવહેલી વાપરી છે. કારણ કે હવે એમણે પુનઃ મને આમ છંછેડવાનું મુનાસીબ માન્યું છે તો હવે મારે તો મારા શાંત મધપૂડામાંથી સ્વબચાવ માટે પણ બહાર નીકળવું પડે અને અન્યથા શાંત પણ સ્વમાની મધમાખીની જેમ મને, અને બાય ઇન્ફરંસ, સમગ્ર દલિત સમાજને છન્છેડનારનો એની કબર સુધી પીછો કરવો પડે. આપની લખેલી વાતને જ હું દોહરાવીશ : ‘કોઈને બોલતા બંધ કરીને આપણે જીતી ગયા છીએ એવા વહેમમાં બુદ્ધિજીવીઓ નથી રહેતા.’

    સુથાર સાહેબ, આમ તો આપની બધી દલીલો અને તર્ક આપના પેલા ‘મેગ્લોમેનીયા’ ના મહારોગની ઝેરી અસરમાંથી જ જન્મેલા છે. આપ કેવા જુઠ્ઠા છો એ હવે હું સૌ વાચકોને આપના એક્ઝેકટ શબ્દો કે વાક્યો ક્વોટ કરીને બતાવું :

    આપની આ છેલ્લી કોમેન્ટમાં પણ આપ સાવ નફફટ થઈને જરૂર મારા માટે, પણ પ્રછન્ન સંદર્ભે લખો છો :

    ‘હું એમણ લખ્યા છે એવા અપમાનવાચક શબ્દો સામાન્ય સંજોગોમાં નથી વાપરતો. તો પણ, ભાઈ આપણે પણ માણસ છીએ. ક્યારેક કોઈકના પર ગુસ્સો આવી જાય અને ક્યાંક એવું લખાઈ પણ જાય.’

    “મને એક વાત સમજાતી નથી: આપણો સાહિત્યકાર આટલો બધો વિચારદરિદ્ર કેમ છે? કેમ એને હજી પણ આવા છીછરા રાજકારણમાં રસ પડતો હશે? આવા કોઈક વિષય પર લખતા પહેલાં આપણા વિદ્વાનો અભ્યાસ કેમ નહીં કરતા હોય?”

    ‘એને આવા જ્ઞાતિ કે જાતિના રાજકારણમાં ન્યૂન કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ.’

    આપ સૌ વિદ્વાન વાચકો જોઈ શકો છો કે આ સૌ અવતરણો એમણે નિશ્ચિતપણે મારા માટે જ વાપર્યા છે, ભલે એમણે જનરલાઇઝ કરીને એને પ્રછન્નરીતે પ્રહાર કરવાનો પ્રયત્ન કર્યો હોય. હું ઉપરોક્ત અવતરણોનો અર્થવિસ્તાર કરીશ તો આપ સહેલાઈથી એમના આવા વાક્ચાતુર્યને ઓળખી કાઢશો :

    અહી ‘આપણો સાહિત્યકાર’ એટલે કોણ ? તાત્કાલિક સંદર્ભે તો નીરવ પટેલ જ, ખરું કે નહિ ? હવે આગળ ચાલીએ. આવો ‘આપણો’ સાહિત્યકાર જેને મેં હમણાં જ પૂરવાર કર્યું તેમ નીરવ પટેલ નામનો સાહિત્યકાર ‘ આટલો બધો વિચારદરીદ્ર કેમ’ ? પ્રિય વાચકો, ‘વિચારદરીદ્ર’ જેવ ભારેખમ શબ્દપ્રયોગ છતાં એમાં છૂપાયેલો ‘ગાંડિયા લેખક’નો અર્થબોધ તો છૂપો રહી શકતો નથી. અને હું અગેઇન જણાવું કે આ શબો સંદર્ભ જોતા તાત્કાલિક ધોરણે તો નીરવ પટેલ નામના ગાંડિયા લેખક માટે જ વપરાય છે એ નિશ્ચિત રૂપે પૂ રવાર થઇ જાય છે.

    આગળ જતા નિશ્ચિતપણે એ જ સંદર્ભ ચાલુ રહે છે આ અવતરણમાં, જેમાં નીરવ પટેલ નામના લેખકને ‘છીછરા રાજકારણમાં રસ’ લેતો ચીતર્યો છે.

    અને અંતના અવતરણમાં ‘ જ્ઞાતિ કે જાતિના ન્યૂન રાજકારણ’ ખેલવા માટે જ જાણે કે આ લેખ મેં ન લખ્યો હોય એમ ઉલ્લેખ કરે છે. હું આપ સૌ વાચકોને પૂછું કે આપ સૌ નિષ્પક્ષતાથી વિચારો : શું આ સઘળી બાબતો તાત્કાલિક તો મારા જ સંદર્ભે એટલે પ્રાથમિક અને મુખ્ય રૂપે તો મારા એટલે કે નીરવ પટેલ નામના ‘હીન રાજકારણી’ અને ‘ગાંડિયા લેખક’ માટે જ નથી વપરાયા ?

    હવે રહી વાત’જાત’ પર જવાની. હું અને અન્ય સૌ આપની અટક પરથી જ જાણી શકીએ છીએ કે આપ ‘સુથાર’ છો, એટલે કે વર્ણવ્યવસ્થા પ્રમાણે આપ બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય વર્ણમાં નહિ બલકે મનુસ્મૃતિમાં જે અતિ પછાત વર્ણ ગણાયો છે અને એટલે જ આપણા દેશમાં જેમના સામાજિક-શૈક્ષણિક-સંસ્કૃતિક વિકાસ અને સશક્તિકરણ માટે માટે ‘અનામત વ્યવસ્થા’ ફાળવવામાં આવી છે એવા ‘ શૂદ્ર’ વર્ણમાંથી આવો છો. અને તેમ છતા, અથવા એમ કહું કે એટલા માટે જ આપની પહેલી જ કોમેન્ટના પહેલા જ ફકરામાં આપે ‘સુથાર’ શબ્દ વાપરીને આપની જ્ઞાતિ સભાનતાનો પરિચય કરાવ્યો છે. આપની એ શરૂઆતને કારણે જ, એટલે કે આપનાં પછી જ મેં આપ જે ભાષા સમજી શકો છો એનો ઉપયોગ કરીને આપને ધરતી પર લાવવા કોશિશ કરી હતી કે પાંચ-પચાસ પુસ્તકો વાંચીને ‘બાબુ સુથાર’માંથી ‘ બાબુ પંડિત’ થઇ શકાય એટલી લવચીક નથી આપની વર્ણવ્યવસ્થા-જ્ઞાતિપ્રથા.

    મેં મારી છેલ્લી કોમેન્ટ સમજીને લખેલી અપીલમાં મારું દુખ જાહેર કર્યું હતું કે મહેરબાની કરીને મને મારી શાલીનતા છોડવા માટે મજબૂર નાં કરો, સુથાર સાહેબ.
    મારી અપીલની આપે ઉપેક્ષા કરી અને ઉપહાસ પણ. અને આપ આવું આવું નથી બોલ્યા, (બલકે મારે માટે ‘ડોન કિહોટે’ની નવી ઉપાધી પણ ખોલી કાઢી ) એમ કહીને મને જુઠ્ઠો સાબિત કરવાની કોશિશ પણ કરી.

    હવે આપણે તર્ક પર આવીએ : મેં આપના જેટલો અભ્યાસ ન કર્યો હોય એ બિલકુલ બનવા જોગ છે, કારણ કે આપના જેવા અકેદેમીક્સનું તો કામ જ એ છે, એ જ આપને બ્રેડ અને બટર પૂરા પડે છે. આપને તો વાંચવું જ રહ્યું, જન્મજાત ‘સુથાર’ હોઈ ‘બ્રાહ્મીન’ તો નહિ બની શકો આપ, પણ ‘નીઓ-બ્રાહ્મીન’ બનવા એક માત્ર માત્રપ્રયાસ બચે છે. આપને યાદ હોય તો મેં તો અગાઉ પણ કહ્યું છે કે મારે માટે આપની જેમ અભ્યાસ કોઈ કારકિર્દી ઘડવાનું કે સોશિયલ મોબીલીટી મેળવીને વર્ણ-પ્રમોશન પ્રાપ્ત કરવાનું સાધન નથી, અભ્યાસની બાબતમાં દલિત સમસ્યાને લઇને મારી આગવી પ્રાથમિકતાઓ અને આગવી અગ્રીમતાઓ છે. એવું પણ જરૂરથી બને કે મેં વાંચેલા અનેક પુસ્તકો આપે ન વાંચ્યા હોય. પણ એમ કહેવું કે મેં ‘ El Mariachi નામની સ્પેનિશ ફિલ્મ’ જોઈ નથી અને મેં પરદેશના ‘ટોમ, ડીક અને હેરી’ નામના લેખકો વાંચ્યા નથી માટે હું ભાષા કે સાહિત્ય વિષે મારી કેફિયત કે અભિપ્રાય નાં આપી શકું અને એટલા જ કારણે મારું ‘ બાકીનું બધું લખાણ તો રેશનાલિટીના કોઈ પણ માપદંડ પ્રમાણે પાસ માર્કસ્ મેળવે એવું પણ નથી.’ એવું કહેવું મેં નિદાન કરેલા આપના પેલા હઠીલા મહારોગ ‘મેગ્લોમેનીયા’ ના જ લક્ષણો છતાં કરે છે.

    મારું કે મારા દલિત સમાજનું એક્ષ્પોઝર આપના કે અન્ય કોઈ બિનદલિત જેટલું ન હોય અથવા ખરેખર નથી, અને એ ખરેખર કેમ નથી – એજ તો મુદ્દો છે આપને અકારા થઇ પડેલા મારા ‘ અટકચાળા’ જેવા આર્ટીકલ થકી એજન્ડા પર મૂકવાનો. આપ વિદેશમાં અભ્યાસ કરી શકો છો, અભ્યાસ કરવાની નોકરી કરતા કરતા આસાનીથી ડોલરો કમાઈ શકો છો અને અમે આ બધું કેમ નથી કરી શકતા એની પાછળ આપ તો તુરંત ‘મેરીટ’નું કારણ આગળ ધરી શકો છો. પણ એ ચર્ચાને હાલ પૂરતી બાજુ મૂકી મારા ‘ ચપટીક’ એક્ષ્સ્પોઝરની વાત કરું : ૧૯૮૭માં અચ્યુત યાગ્નિક અને મનીષી જાની નામના બે મિત્રો-મેન્ટરો, (આપનાથી જુદી જ માનસિકતાવાળા, અને ખરેખર જ જન્મે બ્રાહ્મણ હોવા છતાં) અને શોકત બાબુલ નામના એક જન્મે મુસ્લિમ (માત્ર જન્મે જ, આપની જેમ માનસિકતાથી જ્ઞાતિવાદી કે કોમવાદી નહિ ) એવા તદ્દન અપરિચિત મહાનુભાવની ભલી ભાવનાથી મારે પ્રોપર લંડન અને એના પરા જોવાનો, એની મ્યુનીસીપલ સ્કૂલોમાં મુખ્યત્વે એશિયન અને આફ્રિકન મૂળના બાળકોને થોડા દિવસ ભણાવવાનો , લેસ્ટર અને લફબરો તથા બ્રેન્ટ બરોના આપના જેવી માનસિકતા ધરાવતા ‘હિંદુઓ’ નો પરિચય મેળવવાનો મોકો ઉભો થયો હતો. ત્યારે મેં બે વાત ખાસ નોધી હતી :

    ૧. હિંદુઓ જ્યાં જાય ત્યાં પોતાની જ્ઞાતિને લઈને જાય છે, એટલું જ નહિ એ જ પ્રમાણ સાથે અન્યોને નીચા કે ઉતરતા મને છે, સામાજિક સંબંધોમાં તથા રહેઠાણમાં અલગાવ રાખે છે.

    ૨. જેની અનેક પેઢીઓએ ગુલામી અને સંસ્થાનવાદના દમન અને શોષણ વેઠ્યા એમના અનેક અશ્વેત સંતાનો એમના પર ‘ બ્લેસીન્ગ્સ ઇન ડીસ્ગાઈઝ’ ની જેમ લદાયેલી અંગ્રેજી ભાષાને કારણે સ્કૂલો -કોલેજો -મોલો વગેરેમાં ખુમાંરીભેર, માનભેર, નાગરિક અધિકારો ભોગવતા જોવા મળ્યા. રખે ઉતાવળે માની લેતા કે મારા આવા નિરીક્ષણનો અર્થ ત્યાંથી રેસિઝમ ખતમ થઇ ગયું છે એમ કહેવાનો છે. હું જે સ્ટોકવેલ વિસ્તારમાં રહેતો હતો ત્યાં કેટલાક અશ્વેત મવાલીઓ એકલ દોકલ ગોરી સ્ત્રીઓની છેડતી કરતા પણ મેં જોયા, અને અમારા ગ્રુપની સગી આંખે રાતની એક ખાલીખમ ટ્રેનમાં એક અસહાય અશ્વેત છોકરીને પીંખી નાખતા એક નરાધમ ગોરાને જોવાનું પણ થયું.

    અલબત્ત, મારા આ સાવ ઉપલકિયા અનુભવોથી હું કશું સામાન્યીકરણ કરવા માંગતો નથી. પણ સુથાર સાહેબ જેવા અનેક દેશી કે વિદેશી વિદ્વાનોની ગાળો ખાઈને પણ હું મારા દલિત સમાજને જરૂરથી કહીશ : વૈશ્વીકરણના આ યુગમાં દલિતોને તેમની માતૃભાષા પકડાવીને પોરસતા લોકો ખરેખર આપમતલબી છે, તેઓ પોતે તો પોતાના સ્વાર્થ માટે સઘળું છોડી દે છે , ભાષા, વતન , માતૃભૂમિ, સંબંધો. નથી છોડતા તો પોતાનો સેલ્ફ-ઇન્ટરેસ્ટ. એ સમયે સમયે વર્ચસ્વ અને આર્થિક પ્રગતિની ભાષાઓ શીખી લે છે : સંસ્કૃત થી લઈને અરેબીક, ઈંગ્લીશ, ફ્રેંચ, જર્મન, ચાઇનીઝ , જાપાનીઝ વગેરે વગેરે. એમનો આશય પોતાનું પ્રભુત્વ ચાલુ રાખીને દલિતોને હંમેશના ‘વેઠિયા’ બનાવવાનો છે, ગુલામ બનાવીં રાખવાનો છે. એમના સશક્તિકરણ માટે ‘અંગ્રેજી’ એક અમોઘ હથિયાર બની શકે છે એ આ જ્ઞાતિવાદી-વર્ણવાદી હિંદુઓ જાણી ગયા છે અને એ સશક્તિકરણને રોકવાનો મરણીયો પ્રયાસ કરી રહ્યા છે.

    હું જાણું છું આવું સ્વીપીંગ વિધાન કરીને હું બેહદ અપ્રિય થઇ રહ્યો છું, અનેક મિત્રો-શુભેચ્છકો ગુમાવી રહ્યો છું, દુશ્મનો બનાવી રહ્યો છું. પણ અગાઉ કહ્યું છે તેમ હું કોઈ ‘લેખક’નું લેબલ મેળવવા માટે લખતો કે લેખક તરીકેની કારકિર્દી ઘડીને ડોલર કે પ્રતિષ્ઠા રળવા માટે લખતો લેખક નથી. હું તો ‘ લેખન’ને, ‘ભાષા’ને, ‘સાહિત્ય’ને દલિત સમાજની મુક્તિ, પ્રગતિ અને વિકાસમાં ઉપયોગી થાય તેવા ઓજાર અને હથિયાર તરીકે વાપરું છું.

    સુથાર સાહેબ, દીપકભાઈ અને આપ સૌ વાચકોએ મને અત્યાર લગી સહન કર્યો, એ બદલ આપનો આભાર માની હાલ પૂરતો છૂટો પડું. મને સુથાર સાહેબને મળવાની, એમની સાથે વાત કરવાની બહુ તાલાવેલી છે. આપ જયારે પણ ઇન્ડિયા પધારો, ત્યારે હું આપને અમારા ‘ઢેઢવાડે’ પધારવાનું ભાવભીનું નિમંત્રણ પાઠવું છું. આપના ખાનપાનની આપને રુચે તેવી ‘મરજાદી’ વ્યવસ્થા હું કરીશ : મારા પાડોશી, આપથી પણ ઉચ્ચ, બલકે સર્વોચ્ચ કહેવાય તેવા બ્રાહ્મણ પાડોશી સાથે અમારે ખાણીપીણીની આપલેના સર્વ વ્યવહારો છે, અને એમને ત્યાંથી બધી વ્યવસ્થા થઇ રહેશે આપને માટે. બાય ધ વે, હું જાણું છું કે બ્રાહ્મણવાદી માનસિકતા વગરના બ્રાહ્મણો હવે ઠીક ઠીક મળી શકે છે, પણ બ્રાહ્મણવાદી માનસિકતાનો શિકાર બનેલા ‘શૂદ્રો’નું જ્ઞાતીભિમાન એટલું હઠીલું છે કે સમતાવાદી સામાજિક કર્મશીલોમાં ય એમની સંખ્યા જૂજ છે. મીડિયા પણ હવે તો અવારનવાર એવા રીપોર્ટ છાપે છે જેમાં સાંપ્રત દલિત હિંસામાં બ્રાહ્મણ, વાણીયા કે ક્ષત્રિયો કરતા ‘શૂદ્રો’ જ વધારે ભાગ ભજવે છે. સુથાર સાહેબ, આ દેશની મહત્વની કોઈ સમસ્યા હોય તો તે આ સામાજિક અસમાનતાની છે અને એને સમજવામાં, એને સુલઝાવવામાં મદદ રૂપ થઇ શકાય તેવા અભ્યાસ-ચિંતનની હું આપની પાસે અપક્ષા રાખું છું.

  25. ના. તમે જે શબ્દો મારા નામે ચડાવ્યા છે એ જ તમારે શોધી બતાવવાના છે. બીજી કોઈ વાત કરવાની જરુર જ નથી. પ્રમાણિક બનો અને પોતે જે કંઈ કહ્યું છે એ માટેની જવાબદારી સ્વિકારો.

  26. શોધી આપનારને ઈનામ

    શ્રી નીરવ પટેલે નીચેના શબ્દો અવતરણચિહ્નોમાં મૂકીને કહ્યું છે કે મેં એ શબ્દો એમના માટે વાપર્યા છે:

    ‘જાત પર જતા’,
    ‘હિન રાજકારણી’
    ‘કશું વાંચ્યા કે સમજ્યા વિના લખનાર ગાંડિયા લેખક’

    આ બ્લોગનો જે કોઈ વાચક મારા લખાણમાંથી બેઠા આ જ શબ્દો (કેમકે એમણે એ શબ્દો અવતરણચિહ્નમાં મૂક્યા છે) શોધી કાઢશે એને ૨૦૧ ડોલરનું ઈનામ આપવામાં આવશે.

    બાબુ સુથાર

  27. અમેરિકા ના હિંદુ મંદિરો માં પણ પુજારી/ગુરૂઓ નું રસોડું જુદું હોયછે અને તેઓ સમૂહ ભોજનાલય માં ભોજન કરતા જોવા મળતા નથી તેમ છતાં મંદિર ના ટ્રસ્ટીઓ તેમને ભારત ની ભાવભીની વિદાય ગીરી આપતા નથી.

  28. આખી ચર્ચા ખૂબ કંટાળાજનક રીતે લંબાઈ રહી છે. એટલે સુથાર સાહેબના પડકારનો જવાબ આપવા માટે એક નાનેરો વિનોદી ટુચકો આપ સૌ વાચકોને વધારે ગમશે :

    ખૂનકેસના આરોપીનો કેસ લડતા બાબુભાઈ જેવા એક ચાલાક વકીલે અરજદારના વકીલને પડકાર ફેક્યો : ચાર્જશીટમાં જેનો અવતરણ ચિહ્નો વાપરીને ઉલ્લેખ થયો છે એવો કશો ગુનો મારાં અસીલે કર્યો જ નથી. મારાં અસીલે કોઈને ‘ જાનથી મારી નાખવાની ‘ ધમકી આપી જ નથી. નામદાર જજે આરોપીના પિંજરામાં ઉભેલા વ્યક્તિને પૂછ્યું : સાચે સાચું કહેજે, તેં ખરેખર શું કહ્યું હતું આ અરજદારને ? આરોપીએ જવાબ આપ્યો : સાહેબ મેં તો એને બસ એટલું જ કહ્યું હતું કે ‘ હું તને ઉપર પહોચાડી દઈશ.’

    ‘ જાનથી મારી નાખીશ ‘ અને ‘ ઉપર પહોંચાડી દઈશ ‘ એવા આ બેઉ વાક્યપ્રયોગો કે જે અંતત : તો એક જ અર્થના સૂચક છે તેમાં અવતરણોની ટેકનીકલ દલીલ વાપરીને ખૂનીને બચાવવા નીકળેલા પેલા બાબુભાઈ જેવા ચબરાક વકીલને જેમ નામદાર જજ ઓળખી પાડ્યા, એમ આપ સૌ વિદ્વાન વાચકો કોરા તર્ક માત્રથી કોઈને પરાસ્ત કરવા ઝઝુમતા સુથાર સાહેબને જરૂર ઓળખી કાઢશો.

    પણ સુથાર સાહેબ, જો ખરેખર જ આપ આપનું લેણું ચૂકવવા માંગતા હો તો આપે આ ઇનામની રકમ તો મને આપવાની જ રહે પણ એ ઉપરાંત પણ મને થોડી રકમ આપવાની થાય. મેં કેટલીય સેશન્સમાં આપના ‘મહારોગ’ના ઉપચાર માટે નાજુક નાજુક નિડલ્સ વાપરીને આપને એક્યુપન્ક્ચર થેરાપી આપી છે અને આપે મને હજી કઈ ઓફર કર્યું નથી.

    અગાઉ પણ ‘ગ્રીન પેશ્ચ્રર ‘ નો અર્થ આપને નહોતો આવડતો ત્યારે એને મારે વિસ્તારથી અને કદી ન ભૂલાય એવી વિશિષ્ટ રીતે સમજાવતો પ્રૌઢશિક્ષણનો સ્પેશીયલ વર્ગ લેવો પડ્યો હતો. ત્યારે પણ આપે કોઈ ગુરુદક્ષિણા ચૂકવી નહોતી.

    અને આજે આપની કોમેન્ટના જવાબના ભાગ રૂપે મારે આપને માટે ‘અવતરણ ચિહ્નોના વિવિધ ઉપયોગો’ એ વિષય પર પ્રૌઢશિક્ષણનો આ ટૂંકો વર્ગ લેવાનો થયો છે, ત્યારે એની ફી પણ આપે ચૂકવવી જોઈએ. આપ નહિ જાણતા હો તો જણાવુ કે હું મસમોટા ડોલરિયા પગારની નોકરી નથી કરતો, હું તો કુટુંબ-ગુજારો થાય એટલાં ‘ રાંક’ રૂપિયા પર નભતો સામાન્ય પેન્શનર છું. મને ઈન્ટરનેટ ઉપરાંત આપની પાછળ વપરાતા મોંઘેરા સમયનો ખર્ચ બિલકુલ પરવડે તેવો નથી.

    આપ જોઈ શકતા હશો કે આપના આ ‘મહારોગ’ ની સારવાર કરતા કરતા એનો ચેપ મને પણ લાગી રહ્યો છે. હું પણ આપ ન જાણતા હો એવી અનેક બાબતોનો ગર્વ લઈને છૂપોછૂપો હરખાવા માંડ્યો છું. અરે જેને લોકો ‘ ભાષાશાસ્ત્રી’ રૂપે ઓળખે છે અને જે પોતે પણ એનું આટલું અભિમાન કરે છે એનું પોતાના ક્ષેત્રમાં જ આવું મોટું અજ્ઞાન કે મારે એને એ સમજાવવું પડે કે ‘ લખેલા કે બોલેલા શબ્દોને યથાતથ મૂકવા માટે કવોટેશન માર્ક્સનો ઉપયોગ ‘ એ તો તદ્દન ‘એલીમેન્ટરી ગ્રામર’ કહેવાય જે કોઈ પણ સ્કૂલ-ગોઈન્ગ વિદ્યાર્થીને આવડે, પણ એ ઉપરાંત પણ એમને બીજા અનેક ઉપયોગોમાં ખપમાં લઈ શકાય એ સમજને ‘એડવાન્સડ ગ્રામર’ કહેવાય.

    બાબુભાઈ માસ્તર, આપનું ભણતર બહુ કાચું રહી ગયું છે. આપની ભાષામાં કહું તો હું આપને ગ્રામરમાં કેવળ પાસમાંર્ક જ આપી શકું. વિશ્વની નામાંકિત યુનીવર્સીટીમાંથી પીએચ. ડી. થયાની શેખી મારતા આપના જેવા ‘ભાષાના પ્રોફેસર’ માટે તો આ બહુ જ શરમજનક વાત કહેવાય ! આપ તો અસ્સલ ‘બાબુભાઈ’ નીકળ્યા.

    આપ જોઈ શકતા હશો કે ઉપરના બે ફકરામાં મેં કેટલાક શબ્દોને અવતરણ ચિહ્નોમાં જ મૂક્યા છે, અને છતાં એ તમામ કોઈ ‘રીપોર્ટેડ સ્પીચ’ ના નમૂના નથી. અને મારી આજ લગીની અનેક કોમેન્ટસ પણ જો આપે ધ્યાનથી વાંચી હશે, તો એમાંથી પણ આપ જેને નથી જાણતા એવા અવતરણ ચિહ્નોના વિવિધ ઉપયોગના નમૂનાઓ એકઠા કરી શકશો. બધી વાર મેં એ સૌને ‘ રીપોર્ટેડ સ્પીચ’ રૂપે વાપર્યા જ નથી.

    મને આપની ભાષામાં જ આપને ઠપકો આપવાનું મન થઇ જાય છે : આપણા લેખકો શા માટે કશું વાંચતા નથી ? શા માટે તેમનામાં આટલું બધું ‘ વિચાર દારિદ્રય’ છે ? અરે ભાષાશાસ્ત્રી સાહેબ, આપે વાંચેલી ‘ એલીમેન્ટરી ગ્રામર’ બુક્સ સિવાય પણ બીજી બુક્સ છે જેને ‘એડવાન્સ્ડ ગ્રામર’ બૂકસ કહેવાય છે, અને આપને એ બધી વાંચવાની બાકી રહી ગઈ છે. મને તો મારી ગામઠી નિશાળોમાં પણ આપના કરતા વધારે વિદ્વાન સાહેબો મળ્યા હતા. અમારા ઇન્ડીયામાં હમણાં જ ‘ટીચર્સ ડે’ ઉજવાઈ ગયો અને મેં એ સૌ સદગત ગુરુઓને મનોમન યાદ કરીને નમન પાઠવ્યા : મંગળદાસ વાળંદસાહેબ, ભોલાનાથ સેવક સાહેબ અને રતનજી દેસાઈ સાહેબ. આપનાથી તદ્દન સામા છેવાડેના : નમ્ર, પ્રેમાળ, જ્ઞાનના ગુમાન વગરના નિરાભિમાની, એક દલિત બાળકને પણ વહાલથી શીખવી શકે તેવા સમતાવાદી-માનવતાવાદી.

    આટલી પૂર્વભૂમિકા પછી હવે મૂળ પાઠ પર આવીએ. અવતરણ ચિહ્નોના વિવિધ ઉપયોગો નીચે મુજબ છે :

    ૧. કોઈના બોલેલા કે લખેલા શબ્દોને યથાતથ એટલે કે શબ્દશ: મૂકવા માટે

    ૨. કોઈ સંવાદ કે કવિતા કે કોઈ ખાસ પસંદ કરેલા પાઠ કે એના કોઈ ખંડને કે યથાતથ કે શબ્દશ: મૂકવા માટે
    અથવા એમને અલગ તારવવા માટે

    ૩. સાહિત્યિક કૃતિઓના શીર્ષકો માટે

    ૪. કોઈ ખાસ હેતું માટે જેને હાઈલાઈટ કરવાની જરૂર ઉભી થાય, જેમને એમ્ફ્સાઈઝ કરવાની લેખકને જરૂર પડે, જેમની ઉપર ખાસ ફોકસ કરવાની જરૂર ઉભી થાય, જે આગવા સંદર્ભ અને સંજોગોને કારણે ‘લોડેડ’ હોય એટલેકે વિશિષ્ટ અર્થબોધનો સંકેત કરતા હોય એવા શબ્દો કે વાક્યો કે ઇવન ફકરાઓ માટે પણ અવતરણ ચિહ્નો વાપરવામાં આવે છે.

    ૫. જયારે કોઈ લેખિત ડીવાઈસમાં ‘બોલ્ડ’ કે ‘ડાર્ક’ કે ‘કેપિટલ’ કે ‘ઇતાલીક્સ’ કે ‘અન્ડરલાઈન’ કરીને જે તે શબ્દ કે વાક્યને ધ્યાનાકર્શક બનાવવાની સુવિધા ન હોય, ત્યારે પણ લેખક અવતરણ ચિહ્નોને એમની અવેજીમાં વાપરીને કામ પાર પાડી શકે છે.

    ૬. અને આ સિવાય કોઈ પણ લેખકની આગવી જરૂરિયાતથી પણ અવતરણ ચિહ્નો વાપરી શકાય.

    મને લાગે છે કે આપ જેને જાણો છો એવા પહેલા પ્રકારના નમૂનાને છોડીને, કેવળ એક-બે નમૂનાઓ મારે આપવા જોઈએ કે જેથી અવતરણ ચિહ્નો કેવળ ‘રીપોર્ટેડ સ્પીચ’ ના જ સૂચક હોય છે એવી આપની ભયંકર અનર્થકારી ગેરસમજ દૂર થાય.

    નીચેના વાક્યો જોઈએ :

    ૧. બધા ‘બાબુ’ નામધારી કંઈ એક સરખા નથી હોતા, ‘બાબુ’ બજરંગી અને ‘બાબુ’ ભૈયા ખૂની છે, પણ ‘બાબુ’ સુથાર એક વિદ્વાન પ્રોફેસર છે.

    બાબુભાઈ, અહી આ વાક્યમાં આપ જોઈ શકશો કે અવતરણમાં મૂકેલા શબ્દો કોઈ ‘ રીપોર્ટેડ સ્પીચ’ નથી. અને છતાં લેખકની એક વિશિષ્ટ જરૂરીયાતને કારણે, સંજોગો અને સંદર્ભોને ઉજાગર કરવા માટે એને અવતરણ ચિહ્નોમાં મૂકવા પડ્યા છે.

    ૨. તું તો સાવ ‘બાબુ’ જ નીકળ્યો.

    અગેઇન, બાબુભાઈ, આ સાવ ટૂંકા લાગતા વાક્યમાં અવતરણ ચિહ્નોમા મૂકેલો ‘બાબુ’ શબ્દ કોઈ ‘ રીપોર્ટેડ સ્પીચ’ નથી. પણ આ બ્લોગને ફોલો કરતા વાચકો જે આ શબ્દનો સાવ તાજો સંદર્ભ જાણે છે તેઓ સૌને માટે એ સંજ્ઞાવાચક ન રહેતા, વિલક્ષણ અર્થ ધરાવતો આગવો અર્થ ધરાવતો શબ્દ પણ બની રહે.

    એમ ધારું તો આપ વાંચતા થાકી જાઓ એટલાં અઢળક નમૂનાઓ આપી શકું.

    હું સમાપનમાં એટલું જ લખું કે આપે જે શબ્દો કે વાક્યોને ‘ કેમોફલેજ ‘ ની યુક્તિ વાપરીને મારાં તરફની ( બલ્કે, બાય ઇન્ફરંસ બધા દલિત લેખકો પ્રત્યેની ) ઘૃણા પ્રગટ કરી હતી એના સારતત્વને ક્રિસ્ટલાઇઝ કરીને મેં અવતરણ ચિહ્નોમાં મૂક્યાં હતા. જેનું તાત્પર્ય આરંભે મૂકેલા પેલા વિનોદી ટૂચકા થકી સૌને પહોંચ્યું હશે.

    1. શ્રી બાબુભાઈ અને શ્રી નીરવભાઈ,
      મને લાગે છે કે તમારા બન્નેની સમતિ હોય તો એકબીજાના ઇ=મેઇલ એડ્રેસ બન્નેને આપી દઉ?

      આનું કારણ એ કે અહીં કોઈ જ્યૂરી નથી એટલે કોઈ અંતિમ ફેંસલો (જો હોય તો) નિશ્ચિત તારીખે (જો એમ થઈ શકતું હોય તો) આપે એમ નથી.

      આમ છતાં આ થ્રેડ પર ચર્ચા ચાલુ રાખવી હોય તો હું તો ‘મારી બારી’ બંધ કરવાનો નથી. તમે ચર્ચા ચાલુ રાખી શકો છો, પણ મારે બીજું ઘણું જોવાનું છે.

  29. આપણે જ્યારે એમ કહીએ કે x-એ મને ‘y’ કહ્યો ત્યારે અવતરણચિહ્નનો બીજો કોઈ જ અર્થ થતો નથી. એટલે ચર્ચાને આડે પાટે ન ચડાવો. એમ હોવાથી તમે અવતરણચિહ્નનાં આપેલાં બીજાં ઉદાહરણો સાચાં હોવા છતાં અહીં લાગુ નથી પડતાં. તમે પહેલેથી જ આખી વાતને આ રીતે ડહોળી રહ્યા છો. છતાં આપણે એમ કામ કરીએ. જો તમને વાંધો ન હોય તો આપણે આ બધું જ લખાણ ચાર દલિતો સર્જકોને સોંપીએ અને એમને કહીએ કે એઓ ન્યાય આપે. આમે ય હું આ ચર્ચાની એક પીડીએફ બુક બનાવીને ગુજરાતી સાહિત્યના સર્જકો અને ચિન્તકોને મોકલવાનો જ છું જેથી એમને પણ ખ્યાલ આવે કે આપણે કઈ કક્ષાની ચર્ચા કરી છે.

    દીપકભાઈ, થેંક્યું વેરી મચ. ચાલો હવે આ વાતન હું અહીં પડતી મૂકું છું. બહુ ડંખ ખાધા. હવે વધારે ઝેર માટે અવકાશ નથી.

  30. Dipakbhai,
    Nasty discussion,started by Nirav Patel.
    From his writing,It seems that Mr.Babu Suthar is against cast system.I believe that Mr. Nirav Patel suffer lots, but its not Mr.Babu suthar’s fault.
    No offense Why most of the Dalit change their surname ,after they become successful?,

    1. શ્ર્રી કેતનભાઈ,
      જ્યાં સુધી હું સમજું છું (કે મેં સમજવાનો પ્રયત્ન કર્યો છે) ત્યાં સુધી આનું એક કારણ નથી. વાત એ છે કે અવટંક કોણે નક્કી કરી? આપણા સમાજમાં નામો અને અવટંકો પણ અનામત રહ્યાં છે! આને સંસ્કતિકરણ કહી શકાય પરંતુ મને લાગે છે કે ખરેખર તો એ સંસ્કૃતને દેવભાષા માનનારા વર્ગના ક્ષેત્રમાં દલિતોનો પ્રવેશ છે. અશોકે કલિંગ જીત્યું એનાથી એનું કલિંગીકરણ થયું એમ ન કહેવાય. મારી નજરે આ પણ એક વિદ્રોહ છે. એક દલિતનું નામ કોદર, કચરો, છીતર જ હોઈ શકે -નીરવ, મયંક નહીં! જે સમાજમાં નામ કે અવટંક વ્યક્તિના મોભાનો ખ્યાલ આપવા માટે પૂરતાં ગણાતાં હોય ત્યાં નામ કે અવટંક બદલવાનું કૃત્ય વિરોધનો સુર બની રહે છે, એક જાતની ઇજારાશાહીમાં ગાબડું છે.
      આનો અર્થ એ નથી કે હું પોતે નામ કે અવટંક બદલવાના વલણનો સમર્થક છું. માત્ર આવું કેમ થાય છે તે સમજવાનો પ્રયત્ન કરતો રહું છું. એમ પણ ન માનશો કે વ્યક્તિગત રીતે કોઈ બ્રાહ્મણે સમાજનું નુકસાન કર્યું છે. આપણે બધા હજારો વર્ષથી ચાલતી આવેલી વિચારધારાના શિકાર છીએ.
      આપણા સમાજમાં એક ભેદવાદી ચિંતન ચાલ્યું છે. અમુક અંશે એ તૂટ્યું છે. આ ચર્ચામાં શ્રી દાઉદભાઈ ઘાંચી પણ જોડાયા હતા.એમણે પોતાની અવટંકનું સંસ્કૃતિકરણ નથી કર્યું. તે સિવાય ઘાંચી અવટંકને વિદ્વત્તા સાથે સંબંધ હોઈ શકે? એ તો કોઈ શેખ કે કુરેશીનું જ કામ!સંસ્કૃતિકરણ શબ્દનો અર્થ વ્યાપક છે. એ સભ્યતાના સ્થાપિત (પરંતુ નિર્વિવાદ નહીં) માપદંડ પર ખરા ઊતરવાનો પ્રયાસ છે. આજે દલિતો શિક્ષણ લે છે તે પણ એ જ પ્રક્રિયા છે અને એ આપણા દે્શમાં આર્થિક, સામાજિક. બધી રીતે પાછળ રહી ગયેલા લોકોને લાગુ પડે છે.બાબુભાઈ પણ ‘સુથાર’ જ રહ્યા છે ને? આ પણ સંસ્કૃતના ઇજારા વાળા વર્ગમાં ‘સુથાર’નો અધિકૃત પ્રવેશ જ છે. આશા રાખીએ કે આપણે આવા બધા ભેદોથી મુક્ત થઈ જશું.

  31. Thanks Ketanbhai, There is a beautiuful article by a famoys sociologist, M.N. Srnivas, on Sanskritization and westernazation. You may get an answer to your question (why people change their last name) from that. Its title is: A Note on Sanskritization and Westernization. He describing changing last name to on eof these two processes. In case of N.P. is “Sanskritization’. I am not saying this, Srinivas says that. I have seen many Dalit friends changing their last name to Gandhi. Even Suthars also do that. Instead of ‘Suithar’ they use ‘Mistry’.

    1. આ મારી અંતિમ કોમેન્ટ છે, અને હવે પછી હું મારાં નામ પ્રમાણે ‘નીરવ’ થઇ જઈશ, આ ‘બારી’ પૂરતો. એટલાં માટે નહિ કે સુથાર સાહેબની કોઈ કોમેન્ટનો મારી પાસે જવાબ નથી, બલ્કે એટલાં માટે કે મારાં આ આર્ટીકલ નિમિત્તે ઉભી થયેલી ચર્ચા થકી હું દીપકભાઈને ઓર એમ્બરાસિંગ સિચ્યુએશનમાં મૂકવા નથી માંગતો. મેં તો અગાઉ પણ કહ્યું જ હતું કે મને ‘ પૈસે’ અને ‘સમયે’ જબરી ખાધ જાય છે આ વિલંબિત ચર્ચામાં જારી રહેવાને લીધે, કારણ કે હું પાંખા આર્થિક સાધનનો માણસ છું અને મારે બીજા પણ મહત્વના કામો હાથ પર છે.

      ગુજરાતીમાં એક કહેવત છે : ‘ પૂંછડે જઈને ફેણ માંડવી ‘ . અંતે સુથાર સાહેબે અત્યાર લગી પ્રચ્છન્ન રાખેલી જ્ઞાતિવાદી માનસિકતાને આખરે જાહેર કરી ખરી ! આપને જેટલી જીજ્ઞાસા મારી સર્નેઈમ બદલવાના કારણો જાણવા માટે છે એટલી જ, બલ્કે એનાથી પણ વધારે મહેચ્છા મને એ આપ સમેત સૌને જણાવવામાં છે. કારણ કે એ નિમિત્તે જ હું મારા સમેત સૌ દલિતોના શોષણ-દમન ને અપમાન- તિરસ્કારની વાત માંડીને કરી શકીશ. અલબત્ત, આપ સૌ જોઈ શકતા હશો કે મેં ક્યારેય મારી જાતિ છૂપાવી નથી, મેં તો મારા આર્ટીકલની શરૂઆત જ મારા પિતાના જાતિગત વ્યવસાયના ઉલ્લેખથી કરી છે.

      મારા પર એક કૃપા કરો : આપ તો ઘણા ઇન્ફ્લુંએન્શીયલ માણસ હશો, અંગ્રેજીના કોઈ સારા પ્રકાશકને શોધીને મારી આત્મકથા લખવાની મને જોગવાઈ કરી આપો. હું જેટલું ગુજરાતી સારું લખી શકું છું એટલું અંગ્રેજી પણ સારું લખી શકું છું. હા, એ જુદી વાત છે કે મારે પણ એકલવ્યની જેમ આપમેળે-આપબળે આગળ વધવું પડ્યું છે અંગ્રેજી શીખવામાં. અમદાવાદની ગુજરીથી માંડીને રસ્તે રઝળતા કાગળીયાઓ ઉઠાવીને ઉઠાવીને મેં એક એક શબ્દ ભેગા કર્યા છે.

      બાય ધ વે, શ્રીનીવાસંનનું નામ મારે માટે નવું નથી, સુથાર સાહેબ. અને ‘સન્સ્ક્રિતાઇઝેશન’ ની પ્રોસેસની વાત પણ મારે માટે નવી નથી. હું કશાને ‘લાસ્ટ વર્ડ’ માનતો નથી, મહમદને પણ નહિ કે મધુસુદનને પણ નહિ. અભ્યાસ અને સંશોધનો તો ચાલતા જ રહે છે, મંડન અને ખંડન પણ એ રીતે ચાલતા જ રહે છે. કોઈ નામ પર આવીને અટકી જવાનું નથી. એકના પરસ્પેક્ટીવની અધૂરપ કે ખામીને એનો અનુગામી પૂરી કરતો જ હોય છે. આપણી જાણ માટે કહું, મેં મારા ખપમાં આવે એવા સમાંજ્શાસ્ત્રો પણ વાંચ્યા છે. અને હું એવો ‘દલિત સાહિત્યકાર’ પણ નથી જે કેવળ અને કેવળ કવિતા કે વાર્તા કે નવલકથાઓ વાંચીને દલિતપ્રશ્ને ઇતિશ્રી કરે.

      આપે સૂચન કર્યું તે મને ગમ્યું, એટલા માટે કે એ થકી આપ મારા એજન્ડાને જ આગળ ધપાવી રહ્યા છો. હું તો ઈચ્છું જ છું કે આ ચર્ચા ઈન્ટરનેટ અને પ્રિન્ટ – એમ બેઉ મિડીયાથી વ્યાપક બને અને એનાથી દલિતો- બિનદલિતો સૌ માહિતગાર થાય. દલિતોએ ‘ ભાષા’ વિષે નિર્ણય લેવાની બહુ તાત્કાલિક જરૂર ઉભી થઇ છે, નહિતર ગ્લોબલાઈઝેશનના આ જમાનામાં તેઓ હતા ત્યાના ત્યાજ ધકેલાઈ જશે. અને દલિતોની ભલાઈ કરતાં, મને આપ જેવા મહાનુભાવોની પાંચ-પચીસ ગાળો સાંભળવી પડે તો એ મારા માટે બહુ મોટી કીમત નથી.

      ફૂટ નોટ :
      અગાઉ પણ કહ્યું જ હતું, મારી આ સમેત કોઈ પણ કોમેન્ટમાં આપ સૌ વાચકોને મારી ‘ શેખી ‘ જણાતી હોય તો એ સુથાર સાહેબે મને આપેલા ચેપનું પરિણામ સમજવું.

      1. અટક બલદવાનો પ્રશ્ન કેતનભાઈએ પૂછ્યો છે, મેં નહીં. એટલે એના માટે મને દોષ દેવાની જરૂર નથી. વળી, કોઈ આપણને સીધો જ પ્રશ્ન પૂછે તો આપણે એને જ જવાબ આપવાનો હોય. કેતનભાઈ ની.પ.ને અટક બદલવાની બાબતમાં પ્રશ્ન પૂછે અને એમાં ની.પ.ને મારી “જ્ઞાતિવાદી માનસિકતા” છતી થતી દેખાય આ કયા પ્રકારની સમજણ છે?

        વળી, મેં એવું કહ્યું નથી કે શ્રીનિવાસનું નામ ની.પ. માટે નવું છે. અહીં એ પ્રશ્ન જ ઊભો થતો નથી. મારી ટીપ્પણી કેતનભાઈની ટીપ્પણીના સંદર્ભમાં છે. મેં એમન કેવળ માહિતી આપી છે.

        માનો કે ની.પ.ને શ્રીનિવાસનું વિશ્લેષણ બરાબર ન લાગતું હોય તો એમણે એમના પર એક લેખ લખીને દલીલ કરવી જોઈએ. જો એઓ એમ કરશે તો ની.પ.ના જ્ઞાનનો લાભ બીજાઓને પણ મળશે.

    1. To understand him, one must have ‘lived experience’…it is his anger and agony speaks … it is his concern that speaks…i like his approach…his anger has ability to purify us…it compells us to think and look within… he is sceptic ..and one has to be so after knowing past n present of our society..it is not babu suthar’s fault…. but it is babu suthars’ faults.the faulty is plural….it is our collective responsibility….Hope after such a dilectical discussion… synthesis will soon come out… we want a ‘ lavaru’ from ‘lavaro’ and ‘lavari’.. Let Babubhai send pdf to Dalit writers…May I suggest few names:
      Chandu Maheriya, Indukumar Jani, Martin Macwan and Prakas N Shah…

  32. ઈલિયાસભાઈ, આ ચર્ચાનું જો મારે સમાપન કરવું હોય તો હું આટલું જ કહીશ: એક જમાનામાં જેમ સવર્ણોથી દલિતો ડરતા હતા એમ હવે હું દલિતોથી ડરવા લાગ્યો છું. આ ચર્ચા દરમિયાન ની.પ.એ જે રીતે મારી જાત પર, મારા શિક્ષણ પર, મારી સમજણશક્તિ પર હુમલા કર્યા છે એ હુમલા અને સવર્ણોએ દલિતો પર કરેલા હુમલાઓની વચ્ચે ઘણું બધું સંરચનાગત સામ્ય છે. તમે કોઈ મને મારો દોષ આંગળી મૂકીને કેમ બતાવતા નથી? મેં ની.પ.ની સામે બે જ દલીલો કરી છે. એક તો એ કે સવર્ણ કે દલિત એકેય સમુદાયને હોમોજિનિયસ ન માની લેવાય અને બીજી તે એ કે આપણા સાહિત્યકારો કેમ અપૂરતા અભ્યાસ વિના દલીલો કરતા હશે. માનો કે આ બે દલિલો ખોટી હોય તો એની સામે છેડે શું સાચું છે એ જ મૂકવાનું હોય. કોઈના પર અંગત હુમલો ન કરવાનો હોય. અંગત હુમલાનો પ્રારંભ નિ.પ.એ કર્યો છે. તમે કહો છો કે બા.સુ.નો ફોલ્ટ છે. જો તમે મને આંગલી મૂકીને એ ફોલ્ટ બતાવો તો હું ની.પ.ની જ નહીં, તમારી પણ માફી માગી લઈશ. મને એમાં જરા પણ સંકોચ થશે નહીં. શું દલિલો કરતી વખતે કોઈને એમ પણ ન કહેવાય કે તમે અધૂરા અભ્યાસના આદારે દલિલો કરો છો? તમે જીવેલા અનુભવની વાત કરો છો. ભાઈ, તમે એવું કેમ માની લો છો કે અમે કોઈ પીડા જ સહન નથી કરી? મેં પણ જાતિવાદને કારણે ઘણું સહન કર્યું છે. છેલ્લે છેલ્લે, ની,.પ. નામના એક દલિતના હાથે પણ સહન કર્યું છે. તમે મારી સૌ પ્રથમ કોમેન્ટ વાંચીને મને એટલું કહો કે મેં ની.પ.ની જાતિનું કે એમના એવા કોઈ પણ સંવેદનશીલ પાસાનું ક્યાં અપમાન કર્યું છે?

  33. “.it is not babu suthar’s fault…. but it is babu suthars’ faults.the faulty is plural….it is our collective responsibility….”
    These are my words which you have mentioned… I don’t blame you… I wrote BABU SUTHARS (we all), a plural form to indicate our collectiveness..And used ‘faults’… My indications are related to past and present (time) not particularly to your response….
    We should not be afraid of Neerav or Neeravs, but we must try to understand their agony behind the response..”Lived experience” are of two kinds…For example. Cleaning a latrine by a Gandhian and by a Valmiki do not suggest the same experience. A Gandhian has the choice to leave it…But a Valmiki does not have that choice… , ‘one arising from being in situations not of our making’ from which one cannot escape and the other ‘arising from situations we consciously put ourselves in’ .

    Babubhai, in our hierarchical society everyone has to face humiliations from those who are above…. But we must keep in mind the lowest has to face more, from all those are above him/her. Its intensity and quality are quite different than our suffering … So agony must be different..and ways of articulation of it have to be different…

  34. Ilyasbhai, I like your one observation which says: “in our hierarchical society everyone has to face humiliations from those who are above.” However, I am of the view that this particular nature of society demands a different kind of ethics of debate: those who are participating in the debates should not humiliate each other. I have criticized NP and have supported my criticism with arguments; which may be wrong, but instead of writing against those arguments, he went on humiliating me in the name of caste, class, and so on. What ‘Sarvanas’ did with ‘Dalit’, a Dalit did the same thing with a ‘Savarna’. This is really a big trap. I do not know whether you are fond of philosophy but a philosopher like Zizek has discussed such traps in great detail in many of his work. You must have seen the movie ‘The Great Dictator’. When a barber becomes a Hitler and delivers a lectures against Nazi, the audience welcomes his speech with clapping. Zizek says that people were doing the same thing when real Hitler was delivering a lecture favoring Nazism. When I speak against hate and say that I hate hating, then…You will understand what I want to say, I am sure.

  35. Nirav Patel has very low standards same as an Indian vote-bank politician, as opposed to Babu Suthar who just asked him some rational questions. Mayavati also do the same thing. She just go completely below standards when asked any rational questions and she don’t have any logical answers with her. Unfortunately, politicians and pseudo-prodalit ‘intellectuals’ like Nirav Patel have been a huge hurdle in our progress and harmony among the Indians. Their only goal is to widen the differences and inject hatred among the Indians. Dilipbhai, I don’t know what your motivation was in putting Nirav Patel’s article, but you are not helping the ‘dalits’ nor ‘savarnas’ here. You are also being a part of this hate-spreading activity of Nirav Patel. I hope you really understand what you are doing.
    I am from Dang district and studied in Gujarati medium throughout till my BA in Gujarati. Then I did a computer course from EMPOWER started by Gujarat government in our district. Now I am doing job as a computer operator in Dang. I come from chamaar gnati and my grand-parents many years ago were the so-called untouchables. But for last 40 years, even in the ‘most backward district’ of Gujarat we have never seen any untouchability etc. anywhere. My mama-mami kaka-kaki all are chamaars and live in different near-by villages. And they have never seen any untouchability as well. But you will be shocked to know that the only time we hear this word untoucables is when some so-called ‘dalit-uddharak’ comes to our village! Usually they are affiliated with some NGO, or if not then they are just some retired people who want to gain some publicity. For us, there is no problem with savarnas and I sure that the savarnas also do not have any problem with us because we do not even consciously think about these things. The only people we have problem from are the likes of Nirav Patel. Because of these kind of people, the world may start thinking that the dalits hate savarnas (or vice versa) and that we want to take revenge against the savarnas.
    I think we all must oppose Nirav Patel like of people otherwise they will take hundreds of years back.
    -Ramesh Chamaar

    1. Shri Rameshbhai,
      Thanks for visiting the blog.
      I am holding brief neither for Neerav Patel, nor for Babubhai Suthar. i know they are capable enough to defend their respective cases, with or without my assistance. Publishing the article by Neerav patel is a repeat act. I have taken from some other source, details are given in the article. My opinion is in my comments. My style of writing is in my comments. Once I decided to publish, it is a public property and every one is free to comment. I found it thought provoking and touched me somewhere. That was the reason I published it. I do not claim to serve either Dalits or Savarnas. Dalits have to serve themselves. Who am I to serve them?
      Your experiences at village are refreshing. I wish we get such news from every corner of the country. I also invite you to write on sociological issues. Feel free to send me your write-ups. Best wishes.

      1. રમેશભાઈએ બહુ સાચી વાત કરી નાખી છે. નીરવ પટેલ જેવા લોકોજ સવર્ણ-અવર્ણનો ભેદ હજી સુધી ચાલુ રાખવા માંગે છે. હું પોતે એક ખુબ ગરીબ અને ‘દલિત’ સમાજમાંથી આવું છું. હું ખેરાલુ તાલુકાના એક આંતરિયાળ ગામડામાં જન્મ્યો અને ત્યાંજ ઊછર્યો છું. અમારે ત્યાં ફક્ત મુરતિયો-કન્યા શોધવા માટે જ જ્ઞાતિ-જાતીની વાત ઉપડતી. આમાં જોકે કોઈ જ બાકાત નથી. એ સવર્ણ હોય કે દલિત હોય, પણ લગ્ન પોતાની જ્ઞાતિમાં જ થાય એ માટે જ બધા પ્રયત્નો કરે. પણ એ તો પોત-પોતાના મરજીની વાત છે. એમાં કોઈ બીજો માણસ એમને બીજીજ જ્ઞાતિમાં લગ્ન કરવાની ફરજ ના પાડી શકે. જો એ એવી ફરજ પાડે તો ખરેખર તો એવાની સામે ક્રિમીનલ કેસ કરવો જોઈએ. આ સિવાય અમારે ત્યાં રમેશભાઈએ કહ્યું એમ ફક્ત કહેવાતા સુધારેલા લોકો આવીને અમને પરાણે અમે સવર્ણોથી જુદા છીએ એવું મનમાં ઠસાવવાનો પ્રયત્ન કરે, ત્યારે જ નાતી-જ્ઞાતિની વાત નીકળે. ઘણીવાર તો આવા લોકો આવીને નીરવ પટેલ જેવી જ ઉશ્કેરણીજનક વાતો કરીને અભણ દલિતોને ભડકાવે છે. જયારે દલિતોના મગજમાં પણ ફક્ત પ્રગતિની વાતો છે અને સવર્ણ પ્રત્યે કોઈ રોષ નથી ત્યારે આવા ઉશ્કેરણીજનક લેખો અને ભાષણો આપીને લાગણીઓ ભડકાવવાનો શો મતલબ? આવા લોકો અને ઓસામા લાદેન વચ્ચે શું ફરક? ઓસામા પણ મુસ્લિમોને જુના સંદર્ભો આપીને જ ભડકાવતો ને?
        દુખ તો એટલુજ થાય છે કે દિલીપભાઈ જેવા સમજુ માણસો પણ નીરવ પટેલ જેવા લોકોને અહી પ્લેટફોર્મ પૂરું પડે છે.
        — દિલીપ પરમાર

        1. ભાઈ દિલિપભાઈ,
          તમારા પ્રતિભાવનો પ્રતિભાવ આપું તે પહેલાં એક વાત તરફ ધ્યાન દોરવાનું જરૂરી લાગે છે. મારૂં નામ દીપક છે, દિલિપ નહી.બધા જ જો મને ‘દિલિપ’ સંબોધીને ઝૂડવા માંડશો તો કાળક્રમે હું પણ માનતો થઈ જઈશ કે આ વાત કોઈ ‘દિલિપ’્ની છે. એટલે નિશાન સાચું તાકવા વિનંતિ છે.

          હવે તમારી વાત. તમે લખો છો કે મારા જેવો “સમજુ” માણસ નીરવ પટેલ જેવા લોકોને અહીં પ્લેટફૉર્મ આપે છે. આ બાબતમાં મારી ‘કહેવાતી સમાપન’ કૉમેન્ટમાં ખુલાસો કર્યો છે. જે અહીં ફરી પેસ્ટ કરૂં છું –

          “દલિતો ગુજરાતી ભાષા છોડી દે એ હું પસંદ કરૂં છું? મારો સ્પષ્ટ જવાબ ‘ના’ છે. તો શ્રી નીરવભાઈનો લેખ શા માટે પ્રસિદ્ધ કર્યો? એટલા માટે કે મારા અભિપ્રાય સિવાય બીજો પણ એક અભિપ્રાય અસ્તિત્વમાં છે એ સત્યનો મારે સ્વીકાર કરવો જોઈએ. એ અભિપ્રાય વધારે કઠોર હોય તો પણ એનો સ્વીકાર કરવાની મારામાં ક્ષમતા હોવી જોઇએ….

          મને એમનો વિચાર કઠોર લાગવાનું કારણ શું? અને શ્રી નીરવભાઈને ગુજરાતી ભાષા છોડી દેવાની ઇચ્છા થાય એનું કારણ શું? દેખીતું છે કે આની પાછળ સામાજિક વિભાજનની ભૂમિકા છે. હું જે વસ્તુનો સપનામાં પણ વિચાર ન કરી શક્યો હોઉં તે વસ્તુ શ્રી નીરવભાઈને આટલી હદે કઠે છે! મારે આ બાબત વિચારવી જ જોઈએ.”

          બીજાના સત્યનું અસ્તિત્વ સ્વીકારવાના મારા પ્રયત્નને કારણે તમને દુઃખ પહોંચ્યું છે તો મને ક્ષમા કરશો.

          બીજી વાત એ કે બ્લૉગના જમાનામાં આજે તો સૌ કોઈ પોતાનું પ્લેટફૉર્મ બનાવી શકે છે. હું કોણ પ્લેટફોર્મ આપનાર? એટલે મેં પ્લેટફોર્મ આપ્યું એમ કહેવા કરતાં એમનો લેખ વાંચવા મળ્યો તે મેં ફરી પ્રસિદ્ધ કર્યો -એમ કહેવાનું વધારે સાચું છે. એનું કારણ ઉપરનાં અવતરણ ચિહ્નો વચ્ચે છે.

          1. દીપકભાઈ,
            તમારા આ લોજીક પ્રમાણેતો ઓસામા બિન લાદેન કે સૈયદ બુખારી જયારે બીજા ધર્મો પ્રત્યે વેર-ઝેર વધે એવા વિચારોને પણ ક્યારેક તમારા બ્લોગ પર જગ્યા મળી શકે. અહી વાત જુદી વિચારધારાની નથી. અહી વાત ભાગલાવાદી અને લોકોમાં એક-બીજા પ્રત્યે નફરત ફેલાવવાની માનસિકતાની છે.
            રહી વાત પ્લેટફોર્મ પૂરું પડવાની. તો નીરવના બ્લોગ પર તો એમનું ઝેર ફેલાવતા જ હતા ને? તમે આવા ઉશ્કેરણીજનક લેખને અને નફરતને તમે તમારા બ્લોગ-મિત્રોમાં પણ ફેલાવી. આને પ્લેટફોર્મ પૂરું પડ્યું નાં કહેવાય તો શું કહેવાય.
            મારીતો અહિયાં એક સાદી વાત છે. અમારા જેવા દલિતોની હાલત આવા બની બેઠેલા દલિતોના મસીહા જે ખરેખર તો દલિત-સવાર્નામાં નફરત ફેલાવવાની જ પ્રવૃત્તિ કરી રહ્યા છે તેમને કારણે દુનિયામાં મુસ્લિમોની જેમ જ શંકાથી જોતા થઇ જાય એવી નથી જોવી. અને આ પાપમાં તમે ભાગીદાર ના બનો તેવી વિનંતી.
            — દિલીપ પરમાર

            1. અહીં આઇડિયોલૉજીનો સવાલ નથી આવતો. સમાજનો એક વર્ગ પોતાની સમસ્યાઓને કઈ રીતે જૂએ છે, એના જુદા જુદા દૃષ્ટિકોણ શા છે, એ સવાલ છે. એક જ સમસ્યા અંગે અનેક જાતના દૃષ્ટિકોણ હોઈ શકે છે. તમને લાગતું હોય કે દલિતોમાં પણ સૌ એક જ રીતે નથી વિચારતા તો આ મુદ્દા પર એક લેખ મોકલો ને!દલિતોની એકવાક્યતામાં કોણ ફાચર મારે છે તેના પર પ્રકાશ પાડો એમ ઇચ્છું છું. હું જરૂર પ્રસિદ્ધ કરીશ. તમે ઓસામા બિન લાદેન, ઈમામ બુખારી કે બાબુ બજરંગી તો નથી જ, એટલે મને તમારા વિચારો પ્રસિદ્ધ કરવામાં તકલીફ નથી. જે લખશો તેનાથી દલિત સમાજમાં જ વિચાર મંથન થશે. તો તમારા વિગતવાર લેખની રાહ જોઉં છું. મારૂં ઇ-મેઇલઃ dipak.dholakia@gmail.com

              1. દીપકભાઈ,
                તમે એકની એક વાત કરે રાખો છો જયારે મેં તમને જુદી વિચારધારા અને નીરવ પટેલના નફરત ફેલાવનારા લખાણ વચ્ચેનો ભેદ જણાવી દીધો છે. તમારી એકની એક દલીલ પરથી લાગે છે કે તમને અમારી વાત સંભાળવામાં રસ નથી પણ પોતાના નફરત ફેલાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવાના નિર્ણયને યોગ્ય ઠરાવવા મથી રહ્યા છો. હું એટલો પણ સમાજ-દ્રોહી નથી કે નીરવ પટેલ અને દીપક ધોળકિયા ના સવર્ણ-અવર્ણ વચ્ચે નફરતની આગ ઓકતા બ્લોગમાં મારો લેખ મુકવા દોડી જાઉં. આ હવે મારી તમારા બ્લોગની છેલ્લી મુલાકાત છે.
                — દિલીપ પરમાર

    2. Raimeshbhai,

      Neerav always celebrates the progress o f Dalits. He can’t be hurdle as u thought it is a very biased observation . He writes in his poem ‘Kalchakra’
      ………………
      At the gate of Jodhpur castle,
      King Gajarajsinh is standing with garlands,
      To welcome the vice chancello,r Dr.Shyamlal
      ………….
      The statue of Manu is burning with shame-
      a valmiki has become a vice chancellor
      a chamarin has become the queen of ayodhya
      (and) a dalit, Narayan is the king of nation.

      Patel acknowledges the progress of Dalit which they have achieved amidst adverse social and economic conditions. Dr. Shyamlal, Mayavati or the president K.R. Narayanan are the representatives of that a long struggle has achieved for the Dalits.
      , .
      Rameahbhai,….EMPOWER programme has just started, it has given its fruits so early…. GOOD…..!!!!!

      Mr. Rameshbhai, your picture is not wholistic. One can not generalise that untouchability is not observed in Dang. Ask the Dangi girls who work in cotton farms particularlly in North Gujarat…what untouchability is and what atrocities they have to suffer…? Ask the Dalit or tribal labourer who build houses for upper caste families.. Do they allow them inside after they come to live in their furnished house? Rameshbhai, there are many such questions….

      Even’ Sawarnas’ will not believe your story that untouchablity doesn’t exist in Dang…
      You have written: ‘But for last 40 years, even in the ‘most backward district’ of Gujarat we have never seen any untouchability etc. anywhere.’ Does Babubhai agree with this ‘super fact’ ?

      I think here lies the real fear….Dalits can easily be divided…
      there are many ‘EMPOWER’ programmes running in the state like Gujarat….and ‘THE EMPOWERED’ are ready to attack on ‘SELF’

      Sorry, if I hurt you, Rameshbhai. But your comments have disturbed me.

      I suugest a book for this issue:
      Shah, Ghanshyam. Harsh Mander, Shukhdeo Thorat , Satish Deshpande and Amit Baviskar . Untouchability: In Rural India. New Delhi: SAGE Publication, 2006.

      iliyas

      1. Iliyasbhai,
        You didn’t understand the point in my post. The point was that there are many places like my village where there is no untouchability etc. for many years now but the likes of Nirav Patel come to our village and spread hatred among us. It is clear from Nirav Patel’s article and comments that his purpose is only to spread hatred among the communities. And that he can not even digest Babu Suthar’s simple but rational questions and just came in to demonizing them same as today’s politicians like Mayavati do.

        “I think here lies the real fear….Dalits can easily be divided…
        there are many ‘EMPOWER’ programmes running in the state like Gujarat….and ‘THE EMPOWERED’ are ready to attack on ‘SELF’”

        Since you wrote this paragraph, I am surprised you did not notice that I had even bigger fear than this – I was worried that everybody in India can be divided if Nirav Patel and his likes keep on spreading hatred and people like Dilipbhai keep on giving them platforms to spread hatred.

        If you and Dilipbhai want to think that Nirav Patel talks about our issues and feelings it is your problem. But it must be clear that for us people like Nirav Patel are not our representatives. We are not traitors to our country who want to spread hatred among us.

  36. @ketan,
    Is it a question? Or your opinion?!
    I assume it is a question. In my village the tradition is not to get married with a person within my village. A boy or girl has to find someone from outside village only. This is irrespective of dalit or savarna.
    If I understand your question correctly, your question is probably more general – if an dalit in my village can get married to a savarna (say, the savarna is from out of my village), right? There is no restriction to do that from anybody. But as Dilip Parmar above has sensibly said, everybody wants to get married in their own caste – of course as long as it is a matter of arrange marriage. Again, this is also irrespective of dalit or savarna. Except a few cases, which are love-marriages between dalit boy and savarna girl or vice-verse. When my parents were/are looking for a girl for me and my brother they invariably look for girls in our caste.
    But as Dilip Parmar said (I think his is one of the most sensible comment in this forum), restricting people to look for a bride or groom in castes other than theirs is also not legal! We can not force someone to choose his or her bride or groom either way.

  37. Hello to all, I think there are many issues involved here. One of them is related to the freedom of speech. I believe in total freedom of speech but at the same time I also believe that such a speech should not be hurting to to others. I always remember Sartre who responded to one women who said to him that she has a freedom to punch on his nose. Sartre said, “Your freedom ends from where my nose begins.” I personally believe that the kind of language NP has used is not the language that a poet like him should have used. His language is the language which makes dialogue impossible. If you look at our discussion you will notice that he has not attended a single issue that I have raised against him. I also believe that blogs are like what Habermas calls ‘public sphere’; therefore the ‘owner’ of a blog must at least tell the participants that they should not use a humiliating language. D did it only after I criticized him for not doing anything on that. I do not know why Vipoolbhai has also published such a hurting text in his Opinion. He should have simply rejected it saying that it does not meet with the minimum standards of the public discussion. But, I am really touched by this second wave of discussion in which some of you have supported me. I am thankful to all of them. I believe in rational discussion and therefore I always look for logic. I did not find much in NP and therefore I criticized him. We are yet to learn how to think about Dalit issues as not only the issue of a one community but as the issue of humanity. I have repeatedly said and I want to repeat it once again that some of the issues are really human issues. They cannot be solved only through economy or by any other means.

    1. @Babu,
      I assume you are the same Babu Suthar as above. I never comment on anyone’s blog. But I saw this Nirav Patel’s article which was meant for spreading hatred in the name of so-called dalit’s voice (and probably Dipakbhai’s intention was to spread the hatred even more, in the name of ‘different ideology’! Though I should also mention that Dipakbhai has never lowered his dignity and language as Nirav Patel). I also saw Nirav Patel’s ridiculous comments not only towards you but to others too. As you have correctly mentioned he can’t answer any of the rational comments from anyone. Nirav Patel is a typical BIGOT: “The mind of a bigot is like the pupil of the eye; the more light you pour upon it, the more it will contract.” (source: Wikipedia).
      I commented here just for one reason. I don’t wish anyone to think that we dalits are like Nirav Patel (nor like Dipakbhai who also wants to spread this hatred spreading and has different excuses). Nirav Patel is not our representative at all. He may have his own vested interests in spreading hatreds among the communities (some have financial some political some to get ‘fame’. I don’t know what Nirav Patel’s is).
      We are also a part of the same country and don’t hate anyone. Also we do have good manners and know how to respectfully talk to someone who have logical arguments and have good heart. I really hope you don’t think all dalits are like Nirav Patel.

  38. Rameshbhai, yes, I am the same Babu Suthar. But, we should not call Np ‘Begot’. Forgive him for the misuse of language. He was perhaps hurt a lot after I described his writing as irrational. If we also use the same kind of language that he has used than there will no much difference between him and us. I understand your anger but…

  39. બીજા રાઉન્ડની ચર્ચા એક મહત્ત્વનો મુદ્દો ઊભો કરે છે: વાણીસ્વાતંત્ર્યને નામે શું ગમે તે વ્યક્તિને ગમે તે બોલવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવું જોઈએ ખરું? ગુજરાતીમાં ઘણાં સામયિકો એવું કહેતાં હોય છે કે લેખકના વિચારો સાથે અમે સંમત છીએ એવું માનવું નહીં. જો કોઈ લેખકે કોઈ રાજકીય વિચારધારાનો પક્ષ લીધો હોય તો આવું વિધાન સમજી શકાય. એ સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે ભાઈ, હું એમની વિચારધારા સાથે સંમત છું એવું કોઈએ માનવું નહીં. પણ, કોઈ માણસ ગાળાગાળી કરે, સામાપક્ષને ઉતારી પાડતી દલીલો કરે, સમગ્ર ઈમિગ્રન્ટ સમૂદાયને એમ કહે કે તમે આખા જગતને અભડાવી માર્યું છે અને એ દલીલ કરતા લેખને પ્રસિદ્ધ કરતું સામયિક કે એને પ્રસિદ્ધ કરતા બ્લોગના સંપાદક એમ કહે કે એમની સાથે અમે સંમત છીએ એવું માનવું નહીં ત્યારે મને એક નીતિવિષયક પ્રશ્ન થતો હોય છે. અને તે એ કે ભલે તમે પેલા માણસની ભાષા સાથે સંમત ન થતા હો, પણ તમે એને પ્લેટફોર્મ આપ્યું છે અને એને કારણે એક સમૂદાય કે થોડીક વ્યક્તિઓની માનહાનિ થઈ છે કે એનું દિલ દુભાયું છે તો એના માટે તમે જવાબદાર ખરા કે નહીં. જો તમે પેલા માણસને એમ કહી દીધું હોત કે હું તમારા આક્રોશ સાથે સંમત છું પણ હું તમારી ભાષા સાથે સંમત નથી. માફ કરજો. હું તમારું લખાણ પ્રગટ નહીં કરું તો કદાચ આમાંનું કશું જ ન બન્યું હોત. મારા પર એક વાર એક વાચકનો પત્ર આવેલો. (હું અહીંથી ‘સન્ધિ’ નામના એક ત્રૈમાસિકનું સંપાદન કરું છું). એ પત્ર ગુજરાતી સાહિત્ય પરિષદના વિરુદ્ધમાં હતો. એમાં જે કંઈ ફરિયાદ કરવામાં આવેલી એ સાચી પણ હતી. તો પણ મેં એમને કહેલું કે સૌ પ્રથમ તમે આ પત્ર ‘પરબ’માં મોકલો. જો એ લોકો છાપવાની ના પાડે તો એ પત્ર સાથે મને આ પત્ર પણ મોકલજો. હું તમારો પત્ર છાપીશ. ભૂતકાળમાં મને એવા ઘણા અનુભવો થયા છે જેમાં મેં કોઈ જાણીતા સાહિત્યકારને કંઈક લખવાનું કહ્યું હોય અને જો મને એવું લાગ્યું હોય કે એમણે ક્યાંક વિવેચકભંગ કર્યો છે તો મેં એમને ચોક્ખું કહી દીધું છે કે મારા સામયિકનો તમે આવો દૂરઉપયોગ ન કરી શકો. ‘ઓપિનિયન’ના તંત્ર પણ આવું કહી શક્યા હોત. અને આ બ્લોગના સંપાદકને તો આ લેખ અહીં પ્રગટ ન કરાવી પૂરેપૂરી સ્વતંત્રતા હતી. એઓ નિ.પ.ને કહી શક્યા હોત કે ભાઈ, મારે તમારો લેખ અહીં મૂકવો છે પણ તમે એમાં જે અપમાનવાચક વિધાનો છે એ કાઢી નાખો તો જ હું એમ કરું. એટલું જ નહીં, નિ.પ.એ મારા વિષે આટઆટલું ખરાબ ભાષામાં લખ્યું તો પણ મેં ટકોર ન કરી ત્યાં સુધી આ બ્લોગના સંપાદક પણ ચૂપ જ રહ્યા હતા. એ ન ચાલે. આ પ્રકારની ચર્ચા જ્યારે આપને બ્લોગ પર શરૂ કરીએ ત્યારે એનું નિયંત્રણ પણ આપણા હાથમાં જ હોવું જોઈએ. જો ચર્ચા વિપથગામી હોય તો ટકોર કરીને એને યોગ્ય રસ્તે વાળવી જોઈએ. આપણ એક જ પ્રશ્ન પૂછીએ: આ ચર્ચાના અન્તે આપણને શું જ્ઞાન મળ્યું? હા હું એટલું જરૂર શીખ્યો કે દલિત વિદ્વાનો સાથે ચર્ચા કરતાં પહેલાં હું દસ વખત વિચાર કરીશ. થેંકસ ટું નિ.પ. જેમણે મને…

    1. શ્રી બાબુભાઈ,
      આ ચર્ચાનો અંત નહીં આવે. આ ચર્ચાનો અંત આત્મનિરીક્ષણથી જ આવી શકે. અહીં મારે એટલું જ કહેવાનું છે કે ‘ઓપિનિયન’્ના તમ્ત્રીએ શું કરવું જોઈએ એ એમણે વિચારવાનો મુદ્દો છે. એમણે શા માટે શ્રી નીરવ પટેલનો લેખ છાપ્યો તે સવાલ અહીં ઊભો કરવામાં ઔચિત્ય નથી. મેં શા માટે એ ફરી પ્રગટ કર્યો તે વિશે મને સવાલ પૂછવાનો હક મારી મરજીથી સૌના હાથમાં સોંપી દઉં છું. મારા અધિકારને હું કાનૂની મુદ્દો નથી બનાવતો કે મને પૂછનાર કોણ? એટલું જ નહીં, એનો જવાબ હું એકથી વધારે વાર આપી ચૂક્યો છું.
      શ્રી રમેશભાઈએ મારા અધિકારની વાત નથી કરી, મારા ઇરાદાની વાત કરી છે. આ બન્નેમાં ઘણો ફેર છે અને મારા પર આક્ષેપ કરવાનો એમનો અધિકાર હું માન્ય રાખું છું. હિન્દીમાં કહેવત છે કે ‘ઓખલી મેં સિર દિયા હૈ તો મૂસલ સે ક્યા ડરના?’ લેખ પ્રસિદ્ધ કર્યો જ છે તો એના પરની ટીકા ટિપ્પણીઓથી બચવાની મારે આશા ન રાખવી જોઇએ. પરંતુ ચર્ચા આડે પાટે જાય અને શ્રી વિપુલભઈ કલ્યાને તરફ વળે એ મને યોગ્ય નથી લાગતું. બે પાડા વધે એમાંઝાડનો ખો ન થવો જોઈએ.આ બાબતમાં આપ સૌનું ધ્યાન દોરૂં છું. હમણાં સુધી ચર્ચાઓ મોડરેટ નહોતો કરતો, પણ શ્રી વિપુલભાઈ કલ્યાણી કે ઓપિનિયનનું નામ આવશે તે ભાગ કાઢી નાખવાનો મારો અધિકાર અબાધિત રહેશે એની સૌને જાણ કરૂં છું.

  40. @Babu,
    As I mentioned to you earlier, please don’t think that all ‘dalit vidvano’ are like Nirav Patel (or even like Dipak Dholakia, for that matter). Nirav Patel or Dipak Dholakia are not our representatives at all.
    I agree to your point about the magazine’s responsibility. I have seen some episodes of the Jerry Springer show on cable when I was working in Rajkot. My English is not good so I rely on Wikipedia description which is very accurate: “Once the audience settles down, he welcomes the viewer to the show, introduces a particular situation, and interviews a guest who is experiencing it. After finishing the interview, Springer announces the entrance of another guest whom the first guest would like to confront. The second guest enters the stage, and a confrontation between the two guests usually occurs, often breaking down into a brawl that is eventually broken up by on-set security personnel. Once the fight is broken up, Springer interviews the second guest about the situation faced by the first guest.
    This cycle is repeated about twice for other sets of guests on the show. Once all guests have told their stories, there is usually a “question and answer” segment where audience members ask guests questions relevant to their situations, although usually their questions come to insult a guest or they flash the audience in exchange for “Jerry Beads” (Mardi Gras-style beads with the show logo). The producers then select the person with the most memorable question to say, “We’ll be right back with Jerry’s final thought.” Springer then ends the show by giving an[3] oratory viewpoint on the principles of refined values in regards to the featured guests.”

    The height of it is In the end, when Jerry Springer ends the segment with the concluding statement, “Until next time, take care of yourselves and each other.” !!!
    Shishir Ramawat had written a good piece on this show: http://shishir-ramavat.blogspot.com/2012/04/blog-post_14.html.
    Dipak Dholakia’s blog is of the same status as the Jerry Springer show!
    But just ignore this Jerry Springer show and take it easy. I can assure you that in Gujarat or in India, there are only a few countable on finger-tip people so nothing to worry about them. Most people in Gujarat and India just want to live in harmony with each other.

    1. પ્રિય રમેશભાઈ,
      તમારા વિચારો વ્યક્ત કરવા માટે મારા બ્લૉગને માધ્યમ બનાવવા બદલ આભાર. મારા ઇરાદા વિશે પણ તમે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે. તમારી નિખાલસતાને કારણે આપણે એકબીજાની વધારે નજીક આવશું એમ મને લાગે છે. તમે એ પણ નોંધ્યું છે કે મેં ભાષાકીય ગરિમા જાળવી રાખી છે.

      અહીં હું ફરી વાર એક વાત કહીશ કે એક સ્થિતિને અમુક વર્ગ કઈ રીતે જૂએ છે? એના જુદા નુદા ઍંગલ હોય છે. બધા ઍંગલ સાથે બધા સંમત ન થાય. પરંતુ ઍંગલ પણ નથી એમ કહેવું એ દાદાગીરી છે. હું પોતે દલિત નથી. બ્રાહ્મણ વર્ગમાં છું. એટલે દલિતો શું વિચારે છે તે મારા માટે પ્રાપ્ત કરેલું જ્ઞાન છે. મારા વિચારો મારા પોતાના વ્યક્તિગત અનુભવોમાંથી પેદા નથી થયા. પરંતુ વિચાર પણ દ્વન્દ્વાત્મક પ્રક્રિયા છે, એટલે કેટલીક બાબતો માટે મને શરમ જેવું પણ લાગતું હોય, કે આવું હતું?

      શ્રી નીરવભાઇએ દલિત સમસ્યાને ભાષા સાથે જોડી. એમણે સલાહ આપી કે દલિતોએ ગુજરાતી ભાષા છોડવી જોઇએ. મેં મારી ‘સમાપન’ કૉમેન્ટમાં એની સાથે અસમતિ દર્શાવી છે. તમારા જેવા મિત્રોની કૉમેન્ટ્સ પરથી પણ એ જ સાબીત થાય છે કે બધા શ્રી નીરવભાઈ સાથે એક જ સુરમાં બોલે એ સ્થિતિ નથી. બધાના પોતાના ઍંગલ છે!

      તમે કહો છો કે દલિતો પણ બધા સાથે સુમેળથી રહેવા માગે છે. આવું જ હોવું જોઈએ. પરંતુ ભારત રૂપી વસ્ત્રમાં ક્યાંક સળ દેખાય તો એના પર ઇસ્ત્રી ફેરવવાનું કામ પણ આપણે જ કરવું પડશે!

      બાકી, હું પોતે રાજકારણી નથી. ચૂંટણી લડવા જેટલા પૈસા પણ નથી. આ દેશના એક પણ રાજકીય પક્ષથી હું સંતુષ્ટ નથી. સરકારની આર્થિક નીતિઓનો વિરોધી છું. પરંતુ, કોઈ એન. જી. ઓ. પણ ચલાવતો નથી, ગઈ કાલ સુધી સરકારી નોકર હતો અને પેન્શન પર જીવું છું. દલિતોના વોટ મારે માગવા પડે, એમનો વોટ બૅંક તરીકે ઉપયોગ કરવો પડે એવા સંજોગો સપનામાં પણ દેખાતા નથી એટલે નફરત ફેલાવીને મને કશું મળવાનું નથે. આ લેખ પ્રગટ થયા પછી પણ કોઈ સવર્ને આ આક્ષેપ નથી કર્યો એ પણ તમે નોંધ્યું હશે. કદાચ નફરત તો એમના સામે વધારવાનો મારો પ્રયાસ ગનાય ને?

      હવે એક હળવી વાત. કદાચ તમને ખો્ટું લાગે તો પહેલેથી જ માફી માગી લઉં છું. તમે શ્રી નીરવભાઈની ગુજરાતીને છોડી દેવાની હિમાયતના પ્રબળ સમર્થક તો નથી ને? કારણ કે તમે ગુજરાતી છોડીને માત્ર અંગ્રેજીમાં જ લખો છો. હું તો ગુજરાતીમાં જ જવાબ આપીશ! આભાર. લખતા રહેશો.

  41. I wrote following email to Dipakbhai, but did not get acknowledement. May be the email address was wrong. I reproduce the same for Dipakbhai as well as for the particiepents of the discussions here and also for the other blogers.
    I wish no bloge/r should be an instrument to spread any kind of hatrate among the readers and people. Whether, we know/agree it or know but the fact is, ” we are all different form of the same energy”. It is fine, if we donot know today, but sooner or later we all will know it, as that’s the destiny.

    પ્રિય દિપકભાઈ;

    પ્રેમ.

    લાંબા સમય પછી “મારી બારી” ની મુલાકાત લીધી. “દલીત વોઈસ ઇન ગુજરાત” અને તેના પ્રતિભાવો વાંચ્યા પછી તમને નિવેદન કરી રહ્યો છું. આ કોઇ સલાહ નથી કે નથી તમારી સ્વતંત્રતા પર પ્રહાર. “મારી બારી” તમારો બ્લોગ છે અને બ્લોગને કેમ સવાંરવો તે તમારે નક્કી કરવાનુ છે. પરંતુ મને લાગે છે કે દરેક બ્લોગરે કમસે કમ માનવીય મુલ્યોને મહત્વ આપી બ્લોગની ગરીમા જાળવવા સજગ રહેવું જોઈએ. દરેક વ્યક્તિને પોતાના વિચારો રજુ કરવાનો મોકો તો મળે પણ સાથે સાથે એ ધ્યાન અવશ્ય રાખવું જોઈએ કે સામેની વ્યક્તિની અસ્મિતાને, ગરિમાને ઠેસ ન પહોંચે.કોઈ આપણી વાત સ્વિકારે કે ન સ્વિકારે તે સામેના વ્યક્તિની સ્વતત્રતા છે. પણ ચર્ચા જ્યારે અહમ પ્રેરીત બની એક બીજાને અપમાનિત કરવા પર ઉતરી આવતી જણાય ત્યારે બ્લોગરે ચેતી જવું જોઈએ અને જે તે વ્યક્તિને આ અંગે ચેતવણી આપી બરતરફ કરવો આવશ્યક બની જાય છે.સામાન્ય માન્યતાઓ થી અલગ વિચારોનુ સ્વાગત કરી શકાય, સામાજીક, રાજ્કિય, શૈક્ષણીક કે અન્ય સમસ્યાઓને જુદા જુદા પરિપ્રેક્ષ્યમાં મુલવી શકાય પરંતુ કોઈપણ વ્યક્તિ જે તેનો મત/વિચાર રજુ કરતો હોય તેનુ સન્માન જળવાય તે દરેક બ્લોગરે ધ્યાન રાખવું જોઈએ.

    મારી વાત થોડી જુદી રીતે સમજાવું કદાચ સમજમાં આવી જાય. ઉદાઃ હું એક હોટલ ખોલીને બેસું તો મારી હોટલમાં દરેક પ્રકારના લોકો આવવાના છે. હું જો ઈચ્છતો હોઉં કે મારી હોટલની સારી શાખ બનવી જોઈએ તો મારે દારુડિયા, જુગારી કે ગુનાખોર લોકોને દુર રાખવા પડે. આપને આટલું લખવાનુ પ્રયોજન ફક્ત એટલું જ છે કે ઘટના “દલીત વોઈસ ઇન ગુજરાત” માં બની તેનુ પુનરાવર્તન ન થાય તેની સાવચેતી રાખવાની જરુર છે.

    નથી હું કોઈ ભાષાશાસ્ત્રી કે સમાજ શાસ્ત્રી, પણ મને કેવળ એટલું સમજાય છે કે પ્રત્યેક વ્યક્તિ બીજ સ્વરુપ છે અને વૃક્ષ થવાની તેની સંભાવના છે. આપણે જે ને નીચમાં નીચ વ્યક્તિ (હિટલર કે મુસોલીની કે નાદીરશાહ કે અન્ય) સમજતા હોઈએ તેનો પણ સમગ્ર અસ્તિત્વ સ્વિકાર કરે છે અને સરખા પ્રમાણમાં તેને હવા, પાણી, ખોરાક અને બીજું બધું પુરું પાડે હે જે મને અને તમને પુરું પાડે છે. જો અસ્તિત્વ કોઈ ભેદ નથી પાડતું તો આપણે ભેદ પાડનાર કોણ? જો અસ્તિત્વ પુરા પ્રેમથી સ્વિકારે છે તો આપણે અસ્વિકાર કરનાર કોણ? આ બધા ભેદ સત્તા ભોગવવાની સ્પર્ધામાંથી ઉભા થયેલા છે. સંત મિખાઈલ નેઈમીનૂ પ્રસિધ્ધ વચન છે,” તું ભેદ પાડનાર ચાળણી નહી પણ એકરસ કરનાર મુશનુ કામ કરજે” આશા છે મારી બારી પણ મુશ બને ચાળણી નહી. અહી આવનાર મુલાકાતી પ્રેમથી ભરાય વૈમનશ્યથી નહી.

    પ્રભુશ્રીના આશિષ.
    શરદ

    1. શ્રી શરદભાઈ,
      તમારે ફરી વાર કૉમેન્ટ મૂકવી પડી તેનું દુઃખ છે. વળી તમે પહેલી વાર આવ્યા છો તેનો આનંદ પણ છે. બે કૉમેન્ટ્સ સ્પૅમમાં ચાલી ગઈ હતી અને સ્પૅમ ચેક નહોતું કર્યું. હવે તમે ફરી એ જ કૉમેન્ટ મૂકીને સારૂં કર્યું છે. બીજી એક કૉમેન્ટ હમણાં જ એ્પ્રુવ કરીને મૂકી. મેં હમણાં સુધી ‘એપ્રુવલ’ની વ્યવસ્થા રાખી નહોતી, પણ હવે જરૂરી જણાય છે કે એપ્રુવલ પહેલાં કોઈ કૉમેન્ટ આપમેળે દેખાય નહીં. તમારી સલાહને હું ગંભીરતાથી સ્વીકારૂં છું.

  42. small correction:
    Whether, we know/agree it or not, but the fact is, ” we are all different form of the same energy”. It is fine, if we donot know today, but sooner or later we all will know it, as that’s the destiny.

  43. ‘આત્મનિરીક્ષણ’ ખૂબ ભારે શબ્દ છે. હું માનું છું કે મારે એકલાએ જ નહીં, જેની પાસે પણ આત્મા જેવું કશુંક છે એ બધ્ધાંએ આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. એ પુણ્યશાળી કામ આપણ બધા જ કરીએ તો કેવું! ખેર, પણ, એ માટે આપણી પાસે શંકરાચાર્ય કહે છે એવો આત્મઅનાત્મવિવેક તો હોવો જ જોઈએ. તમે મને કહો છો કે મારે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. પણ, જો તમે મને આંગળી મૂકીને બતાવશો કે મેં ક્યાં અનાત્મ-કાર્ય કર્યું છે તો મને ચોક્કસ આનંદ થશે. તમે તો આ બ્લોગના સંપાદક છો. એટલે તમારે મને એ બતાવવું જ જોઈએ. એ તમારી જવાબદારી છે. પણ, એ જવાબદારી નિભાવતી વખતે બીજા ચર્ચકોને પણ ધ્યાનમાં લેજો. દોષનો બધો ટોપલો મારા એકલા પર ન ઢોળી દેતા. હું તમારા બ્લોગ પર લખું ત્યારે હું તમારો મહેમાન હોઉં છું. હવે જ્યારે તમે મને એમ કહો છો કે મારે આત્મનિરીક્ષણની જરૂર છે ત્યારે મને એવું લાગે છે કે હું એક મહેમાન તરીકે નિષ્ફળ ગયો છું. મેં, પેલી લોકકથાને અનુસરીને કહું તો, તમારું સરગવાનું ઝાડ કાપ્યું છે. અર્થાત, હું મારી જવાબદારી ચૂક્યો છું. આ બહુ મોટો આરોપ છે. મે ડગલેને પગલે રેશનલ ડીબેટની તરફેણ કરી છે અને હું હજી પણ એ પ્રકારના ડીબેટની જ અપેક્ષા રાખું છું.

    બીજું, હું તમારી એ વાત સાથે સંમત થતો નથી કે સામયિકોને કે બ્લોગ્ઝને પણ કોઈએ કશું જ ન કહેવું જોઈએ કેમ કે એમને પોતાની રીતે નિર્ણય લેવાના અધિકારો હોય છે. હું માનું છું કે સામયિકો અને બ્લોગ્ઝ પણ PUBLIC SPHEREનો જ એક ભાગ હોય છે અને એમ હોવાથી એમનું પણ એક નીતિશાસ્ત્ર હોવું જોઈએ. જો કોઈ સામયિક કે બ્લોગ એ નીતિશાસ્ત્રનું ઉલ્લંઘન કરે તો એને ટકોરવાનો બધાંને અધિકાર મળે છે અને માનો કે કોઈ સામયિક કે બ્લોગને એમ લાગે કે એને શું પ્રગટ કરવું અને શું પ્રગટ ન કરવું એ નક્કી કરવાની absolute સ્વતંત્રતા હોય છે તો એ દલીલ બરાબર નથી. પત્રકારત્ત્વમાં, તમે તો જાણતા જ હશો એમ, gate keepingની પણ એક વિભાવના છે. કોને ‘અંદર’ જેવા દેવા અને કોને ન જવા દેવા એ નક્કી કરવાનું હોય છે. અને એ કામ પત્રકારત્ત્વ કરતું હોય છે. આપણે જ્યારે કોઈ એક સામાજિક વર્ગ તરફ ધિક્કારની લાગણી પ્રગટ કરતું લખાણ ‘અંદર’ આવવા દઈએ ત્યારે આપણે એ નિર્ણયને absolute સ્વતંત્રતાને બદલે કોઈક ચોક્કસ એવી વિચારણાના સંદર્ભમાં ન્યાયી ઠેરવવાનો પ્રયાસ કરવો જોઈએ. એ જવાબદારી જે તે સામયિક કે બ્લોગના તંત્રીની છે, એમની ટીકા કરનારની નહીં.

    1. શ્રી બાબુભાઈ,
      આ પહેલાં પણ મારી કૉમેન્ટમાં લખી ચૂક્યો છું કે કોઈ કહે કે ભાષાને કારણે હું ઘવાયો, તો આપણી સૌની ફરજ છે કે આપણે ભાષાને તપાસીએ.’આત્મનિરીક્ષણ’ શબ્દ માત્ર એ જ અર્થમાં લેવા વિનંતિ છે. સામયિકોને જે કહેવું હોય તે કહી જ શકાય ચે, યોગ્ય એ ગણાશે કે મૂળ તંત્રીને કહો.તમે ‘પરબ’્નો દાખલો આપ્યો છે કે તમે તમારા વાચકને પહેલાં ‘પરબ’ને લખવા સલાહ આપી. બસ, એવું જ છે અહીં પણ.

  44. “ભારત રૂપી વસ્ત્રમાં ક્યાંક સળ દેખાય તો એના પર ઇસ્ત્રી ફેરવવાનું કામ પણ આપણે જ કરવું પડશે!”

    શ્રી દીપકભાઈનું ઉપરનું વાક્ય યાદ રાખીને આ આખી ચર્ચાને જોવા મથું છું.

    આપણને ખબર છે કે વાતની શરુઆત માતૃભાષા અને અંગ્રેજી અંગેની જ હતી. ભાષાના કાર્યક્ષેત્રની ચર્ચામાં થોડો વળાંક આવ્યો ને તેમાં સહેજસાજ વ્યક્તીગત ઉલ્લેખો થયા…ને પછી એમાંથી – વાત ભલે બહુ આઘીપાછી ન થઈ પણ – વાતની ક્યારેક શૈલી, ક્યારેક હેતુ, ક્યારેક દૃષ્ટીકોણ ને એમ બધું થોડાઘણા અંશે દારુખાનાની હવાઈની જેમ ફંટાતું જણાય છે.

    દીપકભાઈએ કે કોઈએ પણ આરંભની ચર્ચા જોશું તો ક્યાંય ન લખવા–છાપવા જેવું લખ્યું જણાતું નથી. પણ વાત જેવી સામાજીકતામાંથી વ્યક્તીતા પર જતી થઈ ત્યાંથી સવાલો ઉભા થયા એમ માનું છું.

    દલીત સાહીત્ય જે જન્મ્યું છે તેમાં ફક્ત તાતી સર્જનાત્મકતા જ હોય તે વાતમાં માલ નથી. એ કોઈ આક્રોશમાંથી જન્મ્યું છે. શ્રી નીરવની રચનાઓમાં દલીતાક્રોશને ઘડીભર બાજુએ મુકીએ તો જે સર્જનાત્મકતા છે તેનું મુલ્ય ગુજરાતીને છે જ. હોવું જ જોઈએ. ને એ સર્જનાત્મકતાની સાથે જ રહેલા આક્રોશનેય માન્ય ગણવો જ રહ્યો, બેત્રણ કારણોસર :

    નારાયણથાઈ દેસાઈએ કહેલું કે ગઈ સદીમાં ગાંધી જેવું વ્યક્તીત્વ આવી ગયું પણ કોઈ નવલકથાએ એને ઝીલી બતાવ્યું નથી. આજે (‘સત્ય’ના પ્રાગટ્ય સમયે) એ ફરીયાદ ખોટી પડે છે તેનો આનંદ છે.

    બીજું, જેમ પ્રાદેશીકતાની વાત કહેતું સાહીત્ય હોય છે તેમ કોઈ અમુક સમાજના મનભીતરને પ્રગટાવતા સાહીત્યની વાતને પણ મહત્ત્વ મળવું જોઈએ.

    સમાજના એક વર્ગની સંવેદનાઓ એકતરફી રીતે દબાતી રહ્યા પછી ભણતર અને સમજણોના વીકાસની સાથે સાથે દબાયેલો અવાજ બહાર નીકળ્યો ને સાહીત્યો સર્જાતાં થયાં, પછી પણ શું એને ખાતરપાણી મળતાં થયાં છે ખરાં ? દલીત સાહીત્ય એ ફક્ત સાહીત્યીક બાબત જ નથી પણ સમાજના સૌથી મોટા સવાલોમાંના એક એવા સવાલનું – ભલે તીવ્રતાથી પણ – પ્રગટીકરણ છે તે વાતના સામુહીક અને સવળા પડઘા પડતા ક્યાંય સાંભળયા ?!

    ત્રીજું, આક્રોશ એક વેગ છે. કહું કે વેગને મળનારું બળ છે. સર્જનના આ એક અનીવાર્ય તત્ત્વનું પણ બહુ મુલ્ય છે. જે ભાષા કે ભાષકો (ખાસ કરીને ભાષાનો વહીવટ હાથમાં રાખનારાંઓ’ આવાં સાહીત્યીક તત્ત્વોને ભાષાકીય કારણોસર તો ખરું જ પણ સામાજીક આભડછેટને કારણે પણ) પેલા આક્રોશને કે એ આક્રોશથી પ્રગટતા સાહીત્યને અવગણે તો તેનોય વીચાર સહુએ કરવો જોઈએ. આ સવાલ એક બાજુ ભાષાનો છે તો તેમ બીજી બાજુ સામાજીક પણ છે.

    લોકભાષામાં પ્રગટતો આક્રોશ સામાન્ય રીતે કઠે છે. પણ સુફીયાણીભાષામાં જે છલ પ્રગટતું હોય છે તે કોણ નથી જાણતું ? રાજકારણ હવે આવો ભાષાનો ગેરલાભ લેતું થયું જ છે, એને પેલા આક્રોશની સરખામણીએ તપાસવા જેવું છે ! ઘણી વાર તો એવું બનતું આવ્યું છે કે અમુક ડીગ્રીના તારસ્વરે ન બોલાય તો કોઈ સાંભળતુંય નથી !!

    હા, ચર્ચામાં ભાષાનો સંયમ બહુ જરુરી જ નહીં, અનીવાર્ય ગણાય. તેવી જ રીતે ગેરસમજોને ક્ષમ્ય ગણીને વાતને મુળ રસ્તે લાવતાં જવાનૂં કામ પણ થતું રહેવું જોઈએ.

    ફરી પાછા ભાષાની મુળ વાત પર આવી જઉં –

    ગુજરાતીભાષા આજે કોના હાથમાં જઈ પડી છે ? ભાષાનું બંધીયારપણું કોઈના ધ્યાન પર આવે છે ખરું ? વીકાસના માધ્યમ તરીકેનું એનું કામ શું અપ ટુ માર્ક છે ? સર્વાંગી વીકાસ કરી લેનારાઓ શું પોતાની માતૃભાષાની મદદે આવે છે ખરાં ? વાતો બહુ મોટી થાય છે પણ તે બધૂં શું સાચી દીશામાં થાય છે ખરું ? ગુજરાતની અંદર રહેનારાઓ કે બહાર રહેનારાંઓમાંનાં મોટાભાગનાંઓ ગુજરાતીને વીકાસના માધ્યમ તરીકે સક્ષમ બનાવવા માટે કાંઈ પ્રયત્નશીલ છે ખરાં ? ગુજરાતીને મુખ્ય વીષય તરીકે લેવાનું સાવ છુટી ગયું છે તેની ચીંતા ક્યાંય જોવા મળે છે ખરી ?

    આ આખી ચર્ચાના મુળમાં ભાષાની સક્ષમતા અને ઉપયોગીતા હતી. ને એ પણ સામાજીકતાના અર્થમાં / સંદર્ભમાં રહેવી જોઈતી હતી પણ કોઈ એક તબક્કે એકાદ બે વાક્યોના અર્થઘટનના નીમીત્તે તે ચર્ચા વ્યક્તીગત બાબતો પર ચડી ગઈ હોય તેવું નથી લાગતું ?

    બ્લૉગરની ભુમીકા સુધી વાત જઈ પહોંચી !! લેખનો મુળ ઉદ્દેશ ભાગ્યે જ વાંધો કાઢી શકાય તેવો હતો અને છે. વાત સાવ નોખે ચીલે ચડી જાય તો પછી જે થાય તે જ થઈને રહ્યું !

    સહુને હવે આ ચર્ચાના બીજા પાટેથી પાછા મુળ પાટા પર આવી જવા અથવા નવો વીષય હાથ ધરવા ને કાંઈ નહીં તો છેવટે મૌન ધરવા વીનંતી સાથે…

    1. શ્રી જુગલભાઈ,
      આભાર. સવાલ માત્ર ભાષાનો હતો. ભાષાએ દલિતોને જખમી કર્યા છે? એ સાચું હોય કે ન હોય, તારણ પર તો તપાસ કર્યા પછી જ આવી શકીએ. શ્રી બાબુભાઈ જેવા વિદ્વાન પાસેથી આશા રાખીએ કે ભાશા નએ સામાજિકતા વિશે લખીને ગાડીને ફરી પાટે ચડાવે.

      નવા વિષયો બ્લૉગ પર તો શરૂ થઈ જ ગયા છે. એક લવાડની ઘટના અંગે હતો, તે પછી રામાયણના પુરાતત્વના સંદર્ભમાં અધ્યયન વિશેની લેખમાળા.

  45. નિ.પ.ની મૂળ વાત આટલી જ હતી: ગુજરાતી ભાષા સવર્ણોની ભાષા છે. અર્થાત શોષકોની ભાષા છે. એ ભાષા દલિતોએ ત્યજી દેવી જોઈએ અને એની જગ્યાએ અંગ્રેજી ભાષાનો સ્વીકાર કરવો જોઈએ. કેમ કે અંગ્રેજી ભાષા મુક્તિની ભાષા છે. આની સામે મારી દલીલ આટલી જ હતી: ગુજરાતી ભાષાને કેવળ સવર્ણોની ભાષા, અર્થાત શોષકોની ભાષામાં ન્યૂન ન કરી શકાય. એ ભાષા છેલ્લાં હજારેક વરસથી બધાજ સામાજિક વર્ગ દ્વારા બોલતી આવી છે જેમાં દલિતોનો પણ સમાવેશ થાય છે. મારી બીજી પૂરક દલીલ એ હતી કે બાળક જ્યારે જનમતું હોય છે ત્યારે એ કોઈ એક ચોક્કસ ભાષામાં પણ જનમતું હોય છે. દરેક ભાષામાં કેટલાક સામાજિક વર્ગો માટે સ્ટીરીયોટાઈપ્સ હોય છે. ગુજરાતી ભાષામાં ગલભગ બધા જ પ્રકારના સામાજિક વર્ગો માટે સ્ટિરીયોટાઈપ્સ છે. પણ, એમાંના દલિતો માટે જે સ્ટિરીયોટાઈપ્સ છે એમાંના મોટા ભાગના સ્વીકારી શકાય એવા નથી. એમ હોવાથી પેલા બાળકની પાસે બે વિકલ્પો રહે છે: એ સ્ટિરીયોટાઈપ્સને સહન કરી લે, અથવા તો એમની સામે બળવો કરે. જો કે, અહીં રાજ્યે પણ ભૂમિકા ભજવવી પડે. રાજ્ય ધારે તો આ સ્ટિરીયોટાઈપ્સના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી શકે. ગુજરાત સરકારે પણ એમ કર્યું જ છે. તો પણ, પ્રજા ક્યારેક એનું ચૂસ્તપણે પાલન નથી કરતી અને એને કારણે સામાજિક તંગદીલી ફેલાતી હોય છે. કેટલાક લોકો બળવાનો વિકલ્પ સ્વીકારે છે. એઓ કહે છે કે ગુજરાતી પડતી મૂકો: અંગ્રેજીને માતૃભાષા બનાવો. જે સમાજ બાયલિંગ્વલ હોય એમાં દરેક માણસને કોઈ એક ભાષાનો માતૃભાષા તરીકે સ્વીકાર કરવાનો અધિકાર હોય છે. એમ હોવાથી જો કોઈ દલિત એમ કહે કે હું અંગ્રેજી ભાષાને મારી માતૃભાષા બનાવીશ તો એની સામે કોઈને પણ વાંધો ન હોવો જોઈએ.
    અંગ્રેજી ભાષાનો માતૃભાષા તરીકે સ્વીકાર કરવાની નિ.પ.ની વાતનો મેં ક્યાંય વિરોધ કર્યો નથી. પણ, મેં એટલું ચોક્કસ કહ્યું છે કે અંગ્રેજી પણ દૂધે ધોયેલી નથી. એ ભાષાએ પણ આખાને આખા ઉપખંડોને ગુલામ બનાવ્યા છે. એમ હોવાથી અંગ્રેજી ભાષાને એનલાઈટનમેન્ટની ભાષા તરીકે હું સ્વીકારી શકું એમ નથી. જો ભારતની સાંસ્કૃતિક નિષ્ફળતાનાં મૂળ અસ્પૃશ્યતામાં પડેલી હોય તો યુરોપની સાંસ્કૃતિક નિષ્ફળતાનાં મૂળ એની બીજાઓને ગુલામ બનાવવાની વૃત્તિમાં પડેલાં છે. યુરોપના અસંખ્ય ફિલસૂફોએ આ વાત કરી છે. એમના માટે પણ એ એક કોયડો છે કે શા માટે એનલાઈટનમેન્ટને વરેલા યુરોપે આખાને આખા ઉપખંડોની પ્રજાને ગુલામ બનાવેલી. ફ્રેંચ ફિલ્મ દિગદર્શકે ગોદારે હોલિવુડ પર હોલોકસ્ટને અવગણવાનો આરોપ મૂકેલો. જ્યારે ક્લાસમાં એની ચર્ચા ચાલી ત્યારે મેં ગોદાર પર કોલોનાઈઝેશનને અવગણવાનો આરોપ મૂકેલો. જો હોલીવુડે હોલોકસ્ટને અવગણવાનો ગુનો કર્યો છે તો હોલીવુડ અને યુરોપ બન્નેએ કોલોનાઈજેશનને અવગણવાનો ગુનો કર્યો છે અને મોટા ભાગનું બોલીવુડ પણ એ બન્ને પડછાયા બનીને જીવી રહ્યું છે. મેં આવી દલીલ મારા એક પેપરમાં કરી છે. આ મારી અંગત વાર કરીને હું એટલું જ કહેવા માગું છું કે અંગ્રેજી મુક્તિની ભાષા નથી.
    વળી નિ.પ.એ આફ્રિકાનું ઉદાહરણ આપીને એમ કહ્યું છે કે અંગ્રેજીએ એમને મુક્ત બનાવ્યા છે. પણ, એમનું એ અર્થઘટન સાચું નથી. આફ્રિકાના લેખકો હવે ધીમે ધીમે પોતાની માતૃભાષામાં લખવા તરફ વળ્યા છે. વળી, ગ્લોબલાઈજેશનમાં એ પ્રજાએ ખૂબ સહન કર્યું છે અન કરી રહી છે. જો અંગ્રેજી એમની મુક્તિની ભાષા હોત તો આજે એઓ જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાં એઓ ના હોત. આંકડા બતાવે છે કે અંગ્રેજી ભાષા એમને મુક્ત કરી શકી નથી. અંગ્રેજી ભાષાએ એમને હકીકતમાં તો એમની પરંપરાથી વિખૂટા પાડી દીધા છે. આ દલીલ પણ મારી નથી. આફ્રિકાના ભાષાવિજ્ઞાનીઓ અને બુદ્ધિજીવીઓની છે.
    મને જે ચિન્તા છે તે એ કે દલિતો (અને સવર્ણો પણ) જે પ્રકારનું અંગ્રેજી ભણી રહ્યા છે એ એમને માતૃભાષા વગરના બનાવી દેશે. એમની પાસે માતૃભાષા પર નિયંત્રણ હોય એવી એક પણ ભાષા નહીં હોય. બની શકે કે આજથી સો એક વરસ પછી એમના અનુગામીઓ અંગ્રેજી ભાષા પર માતૃભાષા જેવું નિયંત્રણ ધરાવતા હશે. પણ, એ માટે આ પેઢીએ જે ચૂકવણું કરવું પડે છે એ શું સ્વીકારી શાકય એમ છે ખરું? જે પ્રજાને કોઈ એક ભાષા પર માતૃભાષા પર હોય એવું નિયંત્રણ ન હોય એ પ્રજા ભાષાનો સર્જનાત્મક ઉપયોગ ન કરી શકે. મારા પર ભારતમાંથી, અને એમાં પણ ખાસ કરીને ગુજરાતમાંથી, ઘણા બધા લોકોના ઈ-મેઈલ આવતા હોય છે. એમનું અંગ્રેજી વાંચીને આપણને દયા આવી જાય. મેં તો આના વિષે લખ્યું પણ છે. આપણી યુનિવર્સિટીઓનાં વેબ પેઈજ પરનું જ અંગ્રેજી જૂઓ. કેટલું હોરીબલ છે!
    મેં એક દલીલ એ પણ કરેલી કે સવર્ણ કે દલિત બન્નેમાંથી એક પણ વર્ગ હોમોજિનિયસ નથી. મારી આ દલીલનો ઠીક ઠીક વિરોધ કરવામાં આવ્યો છે. પણ, આ બ્લોગ પર તાજેતરમાં પ્રગટ થયેલાં લખાણો જોતાં આપણને ખ્યાલ આવશે કે મારી વાત સાચી છે. રમેશભાઈનું લખાણ આ અર્થમાં જોવા જેવું છે.
    હવે પ્રશ્ન રહ્યો નિ.પ.ની ભાષાનો. કોઈ એમાં આક્રોશ જૂએ છે તો કોઈ કવિતા. હું માનું છું કે જે માણસ સામેની વ્યક્તિની ભાષાનો ભોગ બન્યો હોય એ માણસ એ પ્રકારની ભાષા વાપરે ત્યારે એવું માનવું કે એ જેનો વિરોધ કરી રહ્યો છે એના જેવો બની રહ્યો છે. સવર્ણો હરિજનો વિષે કહેતા કે એઓ અડકે તો આપણે અભડાઈ જાઈએ. નિ.પ. એન.આર.આઈ. વિષે કહે છે કે એઓ જ્યાં પણ ગયા છે ત્યાં બધુ અભડાઈ માર્યું છે. નિ.પ. કહે છે કે મારી ભાષાએ (અર્થાત ગુજરાતીએ) એમને અપમાનજનક શબ્દો આપ્યા છે. એ જ નિ.પ. એવી જ ભાષા બીજાઓ માટે વાપરે છે. જો દલીલ તર્કનો વિષય હોય તો એ દલીલ જેમાં કરવામાં આવી છે એ ભાષા નીતિશાસ્ત્રનો વિષય છે. હું માનું છું કે નિ.પ.ની ભાષા એ પ્રકારના નીતિશાસ્ત્રનું પાલન કરવામાં ઘણી બધી રીતે નિષ્ફળ ગયેલી ભાષા છે. બીજું, કોઈ સામાજિક વર્ગ આક્રોશને કોલોનાઈઝ્ડ્ બનાવવાનો પ્રયાસ કરે તો એ બરાબર નથી. દરેક સામાજિક વર્ગને આક્રોશ વ્યક્ત કરવાનો અધિકાર હોય છે પણ ધિક્કાર પ્રગટ કરવાનો અધિકાર કોઈને નથી હોતો. મને ધિક્કારની ભાષા સામે વાંધો છે. પછી, એ ભાષા સવર્ણ તરફતી આવતી હોય કે દલિત તરફથી.
    છેલ્લે, હું તો એટલું જ માનું કે જો કોઈ પટેલ મને ‘છાંડિયા’ કહીને મારું અપમાન કરે તો એનો સીધો અર્થ એ થયો કે મારે એને ‘ડુચા’ કહીને અપમાન ન કરવું જોઈએ. જો હું એમ કરું તો એ ઘટનાને બદલો કહેવાય, આક્રોશ ન કહેવાય. નિ.પ. એ આક્રોશ વ્યક્ત નથી કર્યો, બદલો લેવાનો પ્રયાસ કર્યો છે.
    નિ.પ.ની ભાષા વિષે હજી હું ઘણું બધું કહી શકું એમ છું પણ અત્યારે તો હું એ વાત કરવાનું ટાળું છું. મારી દૃષ્ટિએ જો અહીં કોઈ ચર્ચાના મુદ્દા હોય તો આટલા જ: શું ગુજરાતી ભાષા કેવળ સવર્ણોની જ ભાષા છે? શું ગુજરાતી ભાષા કેવળ શોષકોની જ ભાષા છે? દલિતોએ ગુજરાતી ભાષાને ત્યજીને અંગ્રેજી ભાષાને માતૃભાષા તરીકે સ્વીકારવી જોઈએ ખરી? શા માટે? (મેં તો મારો અભિપ્રાય આપી દીધો છે). અને છેલ્લે, આપણે જે ભાષામાં આ પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા છીએ એ ભાષા કેવી હોવી જોઈએ? બદલાની, આક્રોશની કે તર્કની?

    1. શ્રી બાબુભાઈની આ કૉમેન્ટ પછી ભાષા અને દલિતોને ભાષા દ્વારા થયેલા જણાતા અન્યાય વિશે સૌમ્યતાથી ચર્ચા કરવાનો રસ્તો ફરી ઊઘડ્યો છે. મારે એટલી જ વિનંતિ કરવાની છે કે સૌ સંયમપૂર્વક માત્ર આ મુદ્દા પર ચર્ચા કરે તો આપણે સામાજિક કચવાણને કે શોષણને દૂર કરવામાં મદદરૂપ બનીશું એટલું જ નહીં, ભાષાની પણ સેવા થશે. અજાગૃત પળોમાં આપણે કઈં પણ બોલી નાખીએ તે તો સમજાય પણ હવે તો જાગ્યા છીએ. અહીં એ પણ યાદ રાખવાનું છે કે આ ચર્ચાનો મૂળ મુદ્દો આખી અસ્પૃશ્યતા કે એનાં બીજાં પાસાંની ચર્ચાનો નથી. એ ભાવના જમાનાઓ સુધી રહી છે, એ વાતનો ઇન્કાર સુશિક્ષિત સવર્ણો કે દલિતો – કોઈ કરી શકે એમ નથી. આમ છતાં પહેલાંની સ્થિતિ આજે નથી, એ પણ સત્ય છે. પરંતુ બધું સારૂં છે, એવું માનવું એ બરાબર છે?

      બહુ શરૂઆતમાં શ્રી જુગલભાઇએ સ્ત્રીઓ માટે થતા તુચ્છકાર સૂચક ભાષા પ્રયોગોનું ઉદાહરણ આપ્યું હતું.આવું ઘણું છે.માત્ર ભાષાની રીતે જોઇએ તો જ્યાં ‘ડું-ડો-ડી’ લાગીને મૂળ શબ્દ નવા રૂપે આવે છે. તેમાં ક્યારેક પ્રેમ તો ક્યારેક તુચ્છકાર પણ હોય છે. નાનું – નાનકડું, કાગ-ડો, ગધે-ડો વગેરે મને આવા શબ્દો લાગે છે આપણે હવે એ વિચારવાનું છે કે હજી પણ અર્ધ-જાહેરમાં અમુક જાતિ માટે અમુક શબ્દ પ્રયોગો થાય છે કે નહીં.

      શ્રી બાબુભાઈ ‘ભાષામાં વર્ગભેદ’ અથવા ‘વર્ગભેદમાં ભાષા’ વિશે લેખ લખે એવી વિનંતિ કરૂં છું. આ પહેલાં પણ આ બ્લૉગને એમના લેખ પ્રકાશિત કરવાની તક મળી જ છે. શ્રી બાબુભાઇએ છેલ્લે સવાલ પૂછ્યો છે તેના તરફ પણ ધ્યાન દોરૂં છું.

  46. ૧. ‘ભાષામાં વર્ગભેદ’ કે ‘વર્ગભેદમાં ભાષા’ ખૂબ અઘરો વિષય છે. ફિલ્ડ વર્ક વગર એના પર કામ ન થાય. સૌ પહેલાં તો ડેટા ભેગો કરવો પડે જે અમેરિકામાં બેસીને ન કરી શકાય. કેવળ ઈન્ટયુશનના આધારે આવા સંવેદનશીલ વિષય પર લખવાનું જોખમ ન લેવાય.

    ૨. તમે આપેલાં ‘ગધેડો’, ‘કાગડો’ ઉદાહરણો સાચાં નથી. એમાં આવતો diminutive –ડ- જે તે શબ્દનો એક ભાગ છે. બીજા શબ્દોમાં કહીએ તો એ derivational morpheme નથી.

    ૩. ગુજરાતીમાં diminutive પર ઝાઝું કામ થયું નથી. મોટા ભાગના વ્યાકરણશાસ્ત્રીઓ યાદી આપવાથી આગળ ગયા નથી. જો કે, ભાયાણીએ એ દિશામાં સારી પહેલ કરેલી. જો કે, હું આ diminutive સંજ્ઞા સાથે સંમત થતો નથી. કેમ કે ગુજરાતી ભાષામાં એ તથાકથિત diminutives ક્યારેક વહાલ દર્શાવવા માટે પણ વપરાય છે. જેમ કે કોઈ ગુસ્સે થઈને મને બોલાવે, “એ બાબુડિયા, અહીં આવ.” તો એ diminutive પ્રયોગ થયો. પણ જો મારાં બા મને એમ કહે કે, “બાબુડિયા, ક્યાં છે ભાઈ?” તો એનો અર્થ diminutive નથી થતો. ભાષાવિજ્ઞાનમાં હવે diminutiveને બદલે hypocoristic forms સંજ્ઞા વપરાવા લાગી છે. મને એ સંજ્ઞા વધારે ઉપયોગી લાગે છે. જો કે, આ પ્રકારના શબ્દો બનાવવા માટે આપણ કેવળ –ડ- જ નથી વાપરતા, -ઈ- પણ વાપરીએ છીએ. જેમ કે, ‘મહેશિયો/મહેશીઓ’, ‘રાહુલિયો/રાહુલીઓ’. મંકોડીએ ગુજરાતી ભાષામાં કઈ રીતે અપમાન કરવામાં આવે છે એના પર એક લેખ લખ્યો છે. એ જ રીતે, એમણે ગુજરાતી ભાષામાં કઈ રીતે માન આપવું એના પર પણ એક લેખ લખ્યો છે. જો કે, એમનો અભિગમ સંપૂર્ણપણે ભાષાવૈજ્ઞાનિક નથી. એમને ફિલસૂફી સાથે વધારે સંબંધ છે. જો મને એ લેખો વિષે માહિતી મળશે તો હું તમને મોકલીશ.

    ૪. ગુજરાતીમાં lexical diminutive પણ છે. આ પ્રકારના શબ્દો બીજા શબ્દો બીજા શબ્દોમાંથી બનાવવામાં નથી આવતા. જેમ કે, ‘થોથું’, ‘ડાચું’, વગેરે.

    ૫. ક્યારેક લિંગ અને વચનના ખોટા ઉપયોગ વડે પણ આપણે સામેવાળી વ્યક્તિનું અપમાન કરતા હોઈએ છીએ. કોઈ છોકરાને જો આપણ એમ કહીએ કે “જાને જતી હોય તો.’ તો અહીં લિંગના ખોટા ઉપયોગ વડે આપણે એનું અપમાન કરતા હોઈએ છીએ. એ જ રીતે, વચનનો પણ દૂરઉપયોગ થતો હોય છે. કોઈને કહીએ કે, “જોયા ન હોય મોટા વિદ્વાન’. અહીં જેને સંબોધન કરવામાં આવ્યું છે એ એક જ છે પણ આપણે એના માટે બહુવચન વાપરીએ છીએ.

    ૬. એ જ રીતે, ક્યારે inappropriate semantics વડે પણ આપણે અપમાન કરતા હોઈએ છીએ. એમાં તો ઘણી વાર ખૂન પણ થઈ જતાં હોય છે. કોઈ છોકરી કોઈ છોકરાને ‘બાયલો’ કહે તો એનાં શું પરિણામ આવે એ કલ્પનાનો વિષય છે.

  47. Will caste system die out?

    Dalit – formerly “untouchable” – writer Chandra Bhan Prasad believes that “globalisation, capitalism, consumerism, mechanisation, industrialisation and urbanisation” will make the caste order “obsolete”. It is true that caste-neutral professions have proliferated in India. The lines have begun to blur – a University of Pennsylvania study in shopping malls in Delhi found 60% of sweepers were not Dalits, the lower caste usually associated with the job

  48. પ્રિય મિત્રો,
    પ્રેમ.
    હજારો વર્ષથી ભારતમાં ચાલી આવતી વર્ણપ્રથા અને જ્ઞાતીપ્રથાએ અસંખ્ય જીવોને અસહ્ય યાતનાઓ આપી છે તે નિર્વિવાદ છે. છેલ્લા પાંચ સાત દાયકામાં ગાંધીજી અને બાબાસાહેબ આંબેડકર ઉપરાંત અનેક લોકોએ આ વર્ણપ્રથા ના દુષણો અંગે લોક જાગૃતિ ઉભી કરેલ છે અને તેને કાયદાકિય સંરક્ષણ પણ મળેલ છે. પરિણામ સ્વરુપ વર્ણપ્રથા તો કદાચ ૫૦% ઉપરાંત નાબુદ થઈ ગઈ છે પરંતુ જ્ઞાતિપ્રથા અંગે હજીપણ પુરતી જાગૃતિ નથી. હજી પણ બ્રામણ, વૈષ્ણવના ઘરમાં કે ચમાર, ભંગીના ઘરમાં દીકરી આપવામાં નાનમ સમજે છે.
    માણસ કેવળ સવર્ણ-ક્ષુદ્રમાં જ વહેંચાયેલો નથી. માણસને ગુલામનો ગુલામ રાખવા મથતા સત્તાખોર લોકોએ માણસના એટએટલા વિભાજન(જેમકે સ્ત્રી-પુરુષ,મરાઠી-બિહારી, ગુજરાતી-કચ્છી, અમદાવાદી-કાઠીયાવાડી, રાજકોટીયા-જુનાગઢીયા, શહેરી-ગામડિયા વગેરે વગેરે અસંખ્ય) કરીને મુકી દીધા છે કે માણસ પોતાની અસલી જાતને કદી ઓળખી જ ન શકે અને અંદરોઅંદર જ લડી મરે. આમય સબળ પર શાસન અશક્ય છે તે દરેકને ખબર છે અને માણસને ગુલામ બનાવી રાખવા, તેની પર શાસન કરવા તેને અંદરોઅંદર લડાવી નબળો પાડવો અત્યંત આવસ્ય્ક છે તે દરેક શાસન કરવા માંગનારને ખબર છે.
    ભારતનો ઈતિહાસ ક્ષુદ્રો પરના અત્યાચારોનો સાક્ષી છે. આ અત્યાચારો કોઈ ગુજરાતી બોલનાર કે હિન્દી બોલનાર કે અંગ્રેજી બોલનાર લોકો દ્વારા જ કરવામાં આવ્યા હતા એવું નથી કે જેથી કોઈ ભાષાને કે ભાષાના બોલનારને તેના માટે જવાબદાર ઠરાવી શકાય. પરંતુ શ્રી નિરવભાઈની સમસ્યા એ છે કે એ ગુજરાતમાં જનમ્યા અને ગુજરાતી ભાષાના શબ્દો “ઢેડ” કે “ભંગી” જેવા શબ્દોથી અપમાનીત થયા. કદાચ દક્ષીણભારતમાં જનમ્યા હોત કે ઉત્તર ભારતમાં તો ત્યાંની ભાષાઓ નો ઉપયોગ ત્યાંના લોકોએ તેમને અપમાનિત કરવામાં કર્યો હોત.એટલે ગુજરાતી ભાષાને કોઈ દોષ દેવો તે બાલીશ વાત છે. પરંતુ ઉભય પક્ષે એ સમજવું પડે કે બાળક આખરે ક્રોધ વ્યક્ત કરે પણ કેવી રીતે? બાળક પોતાની જ પાટી કે ચોપડી ફાડી નાખે કે ક્રોધની માત્રા બહુ વધી જાય તો પોતાનું જ માથુ દિવાલ સાથે પછાડે. અહીં પણ શ્રી નિરવભાઈની અને કદાચ બીજાપણ અનેક લોકોની પરિસ્થિતી આવી જ છે અને તે સમજપૂર્વક સ્વિકારવી જ રહી.
    શ્રી નિરવભાઈ પોતે વ્યક્તિગત રીતે અનેક સંઘર્ષો બાદ ભણ્યા, અંગ્રેજી શિખ્યા અને તેમને લાગ્યું હશે કે તેમની ખોવાયેલી ગરીમા કે સન્માન તેમને અંગ્રેજીભાષાએ પરત આપ્યું છે અને તેનુ કારણ છે કે અહીં ભારતમાં અંગ્રેજીભાષાને અને તેના બોલનારને માનપૂર્વક જોવાથી ભારતિયો ટેવાયેલા છે અને તેના મૂળમા છે ૧૫૦-૨૦૦ વર્ષની અંગ્રેજીભાષા બોલનાર અંગ્રેજોની ગુલામી ભારતિયોએ વેઠી છે અને તેને કારણે ભારતિય મનસમાં અંગ્રેજીભાષા સત્તાધીશની ભાષા તરીકે ઉપસેલી છે અને તેથી તેને જાણે અજાણ્યે માન મળે છે અથવા અંગ્રેજીમાં બોલનારને વિદ્વાન સમજી લેવામાં આવે છે અને તે ખાસ કરીને ગુજરાતમાં કારણકે ગુજરાતીઓનુ અંગ્રેજી પહેલેથી નબળું છે. પરંતુ આ પરિસ્થિતિ કેરાલામાં નથી કે અન્ય બીજા અનેક દેશોમાં પણ નથી. પરંતુ શ્રી નિરવભાઈનો અનુભવ ગુજરાત પુરતો મર્યાદિત અથવા ક્રોધાવશ થયેલી પ્રતિક્રિયા વધુ છે. આ બાબતને ચર્ચાનો મુદ્દો બનાવવો બુધ્ધીજન્ય નથી જ. આ ચર્ચા બન્ને પક્ષે લાગણી દુભવવાનુ એક જ કાર્ય કરી શકે.
    મારી સમજ મુજબ નિરવભાઈના મંતવ્યોને ભાષાકિય રીતે મુલવવાની કે તર્ક વિતર્કની જરુર નહતી પરંતુ માનસશાસ્ત્રિય રીતે મુલવવાની જરુર હતી. સમસ્યા આંખની હતી અને ડોક્ટર (બાબુભાઈ) કાનના હતા અને સમસ્યા વકરી ગઈ.
    શેષ શુભ.
    પ્રભુશ્રીના આશિષ.
    શરદ.

  49. એક માણસ મારી પાસે આવે છે. પછી મને કહે છે: “તમે એન.આર.આઈઓએ આખું જગત અભડાવી માર્યું છે. તમે અમારો દેશ છોડીને બીજા દેશમાં ઘાસચારો ચરવા ગયા છો. તમે તમારી માતૃભૂમિને વફાદાર નથી રહ્યા. તમે દેશમાં ફરવા આવો છો ત્યારે તમને કેવું માનપાન મળે છે? અમને કેમ એવું માનપાન મળતું નથી? તમે આવા છો, તમે તેવા છો. તમે વગેરે છો.” પછી હું એને પૂછું છું: “તમે કોણ છો ભાઈ?” એ માણસ કહે છે: “હું દલિત છું. મેં તમારા પૂર્વજોના હાથે અને તમારા સમાજના હાથે પણ બહુ સહન કર્યું છે.” પછી હું એને કહું છું: “ઓહ તમે દલિત છો? તો વાંધો નહીં. તો તમે મને હજી બીજી ગાળો પણ આપી શકો. મારો મનોવિજ્ઞાનનો અભ્યાસ કહે છે કે તમે ખૂબ સહન કર્યું છે અને હજી પણ સહન કરી રહ્યા છો. હું માનું છું કે જેણે સહન કર્યું હોય એને સામેવાળાનું અપમાન કરવાનો અધિકાર હોય છે. જા, હું તેં મને આપેલી ગાળોનો સ્વીકાર કરું છું. હું તારા આક્રોશનો પણ સ્વીકાર કરું છું. હા, જો આવું કોઈ બિન-દલિતે મને કહ્યું હોત તો મેં એને બરાબરનો ખખડાવી નાખ્યો હોત. કેમ કે મારો મનોવિજ્ઞાનનો અભ્યાસ કહે છે કે જે દલિતો નથી એમણે તો કંઈ જ સહન કર્યું નથી. એટલે એમને કશું જ કહેવાનો અધિકાર નથી.” શરદભાઈ, માફ કરજો પણ કોઈ આવી વાર્તા કે ટૂચકો લખે તો એ કેવો લાગે?

    મેં આ બ્લોગ પર અને બીજે પણ અવારનવાર એક વાત કરી છે. જેણે બીજાઓના હાથે અપમાન સહન કર્યું છે એ બીજાઓનું અપમાન ન કરે. અને જો એ એવું કરે તો માનવું કે એ માણસ પોતાના અપમાનનો એક રાજકીય સાધન તરીકે ઉપયોગ કરી રહ્યો છે. માણસાઈ જો વેરઝેર કે બદલાના ખાતરથી ઉછરતી હોત તો જોઈતું શું? આ બ્લોગમાં જ ઇલિયાસભાઈએ કહ્યું છે કે જે સમાજમાં ઉચ્ચાવચ્ચતા હોય એમાં દરેક માણસે કોઈને કોઈના હાથે સહન કર્યું હોય છે. પછી, જો કોઈ એમ કહે કે મેં તારા કરતાં વધારે સહન કર્યું છે એટલે મને તારા વિષે કંઈ પણ કહેવાનો અધિકાર છે તો મને એમાં નથી તો લાગણી દેખાતી કે નથી તો તર્ક. મને એમાં કોઈક છૂપી રાજકીય ઇચ્છા દેખાતી હોય છે. મેં પણ ઘણું સહન કર્યું છે. પણ, નિ.પ.ની ભાષામાં કહું તો હું શુદ્ર છું એટલે મારી એ વ્યથાઓ અર્થહીન બની જાય છે એવું કોઈ ન કહી શકે. કોલેજમાં આવ્યો ત્યાં સુધી બા એક રોટલો બનાવતી અને તાવેથાથી એના પર લીટો દોરીને કહેતી કે જો આમાંનો એક બાજુનો તારો અને બીજી બાજુનો તારા ભાઈનો. મારા સમોવડિયા સવારસાંજ એક એક રોટલો ખાતા. હું બાને કહે તો કે મારે પણ એક રોટલો ખાવો છે. તો એ કહેતી કે તું કમાતો થાય એટલે એક રોટલો ખાજે. દેવું થઈ ગયેલું એટલે બાપા આખું કુટુંબ લઈને એક આદિવાસી વિસ્તારમાં સુથારીકામે ગયેલા. આખા ગામનાં નાનાં છોકરાંમાં હું એકલો જ ચડ્ડીવાળો. સાંજે ગામમાં રમવા જતો તો ગામના આદિવાસીઓ ઘરની બહાર તાડી લઈને બેઠા હોય. એમાંનો એકાદ વળી મારી પાછળ દોડે: “અલ્યો, આ હુતારના સોરાને વટલાઈ દ્યો.” હું રોતો રોતો મૂઠ્ઠીવાળીને ભાગતો અને ઘેર આવીને બાને ફરિયાદ કરતો. બા પછી ગામમાં પેલા આદિવાસીઓ સાથે લડવા જતી. આદિવાસીઓ બધા આનંદીકાકી આયાં એમ કહીને ભાગતા અને ઘરમાં છૂપાઈ જતા. હું એ ગામમાં ચાર વરસ રહ્યો છું. મારી પ્રાથમિક શાળા એક ઘરમાં હતી. એમાં ચાર ધોરણ બેસે. એ ઘરના એક ખૂણામાં એક ખાટલો. ખુરસીટેબલ ન મળે. એક કાળું પાટિયું. લાકડાની ઘોડી પર મૂકેલું. ખાટલામાં અમારા શિક્ષક બેસતા. રોજ બપોરે એક આદિવાસી યુવતિ (જેનું નામ હું આજે પણ ભૂલ્યો નથી) તાડી લેઈને અમારી શાળામાં આવતી. પછી બેઉં તાડી પીતાં અને એકબીજાને અડપલાં કરતાં. એ દરમિયાન ચારેય ધોરણોના વિદ્યાર્થીઓને ભણાવવાની જવાબદારી મારી રહેતી. કેમ કે હું ‘વડો વિદ્યાર્થી’ (પ્રેમાનંદના શબ્દોમાં) કહેવાતો. આ તો તમને જરાક નમૂના આપ્યા.

    આ બધું હું તમને એટલા માટે કહું છું કે અમે પણ સહન કર્યું છે. કેટલીક બાબતોમા કદાચ નિ.પ. કરતાં પણ વધારે. પણ, એને કારણે મને કોઈને કંઈ પણ કહેવાનો અધિકાર નથી મળી જતો. હા, મારે જે કહેવું હોય એ હું કવિતામાં અવશ્ય કહું છું. બીજે તો હું બને ત્યં સુધી તર્ક પ્રમાણે જ જતો હોઉં છું. નિ.પ.ના લખાણના સંદર્ભમાં દિપકભાઈએ મને મારો પ્રતિભાવ આપવાનું કહ્યું ત્યારે મેં એમાંથી જે કંઈ તાર્કીક લાગેલું એ તારવીને હું એમની સાથે ક્યાં સમત થાઉં છું અને ક્યાં નથી થતો એ વાત કરેલી. તમે મારું પ્રથમ લખાણ બરાબર વાંચશો તો તમને ખ્યાલ આવશે કે હું નિ.પ.ના મૂળ મુદ્દા સાથે તો સંમત જ થયો છું. પણ, એમને ખોટું કંઈક બીજ વાતનું લાગ્યું છે. મેં એમને ન ગમે એવું જે કહેલું તે આ છે: “મને એક વાત સમજાતી નથી: આપણો સાહિત્યકાર આટલો બધો વિચારદરિદ્ર કેમ છે? કેમ એને હજી પણ આવા છીછરા રાજકારણમાં રસ પડતો હશે? આવા કોઈક વિષય પર લખતાં પહેલાં આપણા વિદ્વાનો અભ્યાસ કેમ નહીં કરતા હોય?” તમે ધ્યાનથી જોશો તો તમને પણ ખ્યાલ આવશે કે આ ટીકા કેવળ નિ.પ. માટે જ નતી. આપણા મોટા ભાગના સાહિત્યકારો માટે છે. શું તમે એ વાત સાથે સંમત થશો ખરા કે કોઈ દલિત માણસ કંઈ પણ લખે તો આપણે એની દલીલો દરિદ્ર છે, અભ્યાસના અભાવવાળી છે એમ પણ નહીં કહેવાનું? ના, હું માનું છું કે મોટા ભાગના દલિતો એવું નથી ઇચ્છતા. એઓ પણ ઊંચી કક્ષાની દલીલો કરવામાં માને છે. એઓ પણ જે તે મુદ્દાનો અભ્યાસ કરીને એના વિષે બોલવા માગે છે.

  50. પ્રિય બાબુભાઈ;
    પ્રેમ.
    બાબુભાઈ, આપ અતિ વિદ્વાન છો, કપરા સંજોગોનો સામનો કરી અનેક સામાજીક સફળતાના શિખર આપશ્રી એ સર કર્યા છે અને સમાજમા ખુબ સારી પ્રતિષ્ઠા આપે મેળવેલી છે. કદાચ આ રીતનુ આપનુ અપમાન સહન કરવાનો આ પહેલો પ્રસંગ હશે અથવા ખુબ જ લાંબા ગાળા પછીનો. અને આપનુ દર્દ આપના એક એક વાક્યમાં ટપકી રહ્યું છે.
    મારી સમજ છે કે પ્રત્યેક માનવ દેહની અંદર ચૈતન્ય બીરાજમાન છે અને કોઈનુ પણ અપમાન તે તેની અંદર બેઠેલા એ ચૈતન્યનુ અપમાન છે.બાબુભાઈ, આ જગત બહુ રહસ્યમય છે અને બધું નિયમબધ્ધ ચાલે છે. અપમાન કરનારને કે અન્ય કોઈપણ કર્મ કરનારને પોતાના દરેક કર્મનુ પેમેન્ટ કરવું જ પડે છે. કોણ કોને ચુકવી રહ્યું છે તે અકળ છે.સંત મિખાઈલ નેઈમી કહેતા કે, “આપણી ભિતર ઉઠેલાં પ્રત્યેક સ્પદંન પછી તે સુક્ષ્માતિસુક્ષ્મ પણ હોય તો પણ આપણી ઉપર પરત આવે છે જેમ ઉઠેલા આવાજનો ગુંબજ હેઠળ પડઘો પડે તેમ જ.” અને આ વાત હકિકતે સાચી છે.એટલે જીવન સજગતા પૂર્વક જીવવું આવશ્યક છે.
    હવે નિરવભાઈએ કરેલ અને આપને ચોટ પહોંચેલ એ નિવેદનોનુ પૃથ્થકરણ કરશો તો જણાશે કે થયેલ પીડાઓનુ કારણ નિરવભાઈ ઓછા હતા પણ બાબુભાઈ વધારે હતા.બાબુભાઈ, આપણી ઘણી બધી પીડાઓ આપણી ભ્રમણાઓને કારણે અને આપણે આપણી જાતપર લગાવેલાં લેબલો અને એ લેબલો સાથેનુ આપણું આઈડેન્ટીફીકેશનને કારણે હોય છે. આ પીડાઓમાંથી મુક્ત થવાનો માર્ગ છે આપણે આપણા આ લેબલોને ઓળખવા પડે અને તેની સાથેનુ આપણું આઈડેન્ટીફિકેશન તોડવું પડે. ઉદાહરણ તરીકે નિરવભાઈએ એન.આર.આઈને લગતા અપમાન જનક શબ્દો કહ્યા અને આપને તે ચોટ કરી ગયા. શા માટે? તો જવાબ છે બાબુભાઈ એન.આર. આઈ છે. જે હકિકતે એક ભ્રમણા સિવાય કાંઈ નથી. કારણકે આ પૃથ્વીપરની જમીન સંયુક્ત છે પણ ચંદ સત્તાખોરોએ આ પૃથ્વી અને તેની જમીનના ભાગલા પાડી અલગ દેશો ઉભા કરેલા છે જેથી તેઓ અમુક તમુક ભાગપર સત્તા ભોગવી શકે. આ રાજ રમતે પૃથ્વીને ખંડિત કરી અને એક ખંડથી બીજા ખંડ પર જવા પર પ્રતિબંધો અને નિયમો લાગુ કરવામાં આવ્યા. હવે ભારતમાથી તમે અમેરિકા કે અન્ય ખંડમાં રહો એટલે તમે એન. આર. આઈ થઈ ગયા. નકલી ખંડો અને નકલી એન.આર. આઈ.હવે આ નકલી એન.આર.આઈ.નુ બિરુદ બાબુભાઈ ગળામાં લટકાવી પોતાને એન.આર.આઈ સમજી એન.આર.આઈની ટીકાને પોતાની ટીકા સમજે અને પીડા ભોગવે તેમા જવાબદાર કોણ? ટીકા કરનાર કે ટીકાને ઓઢી લેનાર? બસ આવી જ આપણી પીડાઓ અને પીડાના કારણો હોય છે. પણ તે સમજવું અતિ કઠિન છે.
    તમને થશે આ તો બધી ફિલોસોફીની વાતો થઈ. જરા જમીન પર આવો અને વહેવારિક વાતો કરો. પણ હકિકત એ છે કે વહેવારનુ જગત એક છે અને સત્યનુ જગત બીજું છે અને બન્ને જગતના પોતાના નિયમો છે અને ક્યાં વહેવાર છે અને ક્યાં સત્ય છે તે સમજાવું જોઈએ તો આપણી ઘણી બધી પીડાઓ ઓછી થઈ જાય છે. આપણી મોટાભાગની પીડાઓ અહમ જન્ય હોય છે. કોઈ મને લાફો મારે તો શારિરીક પીડાતો બે-પાંચ મિનિટ પુરતી મર્યાદિત હોય, પણ તે લાફાની અહમ જન્ય પીડા વર્ષો સુધી ચચરે છે. જેમ જેમ બોધ વધતો જાય તેમ તેમ આવી પીડાઓમાંથી મુક્તિ મળતી જાય છે. હું હૃદયપૂર્વક ઈચ્છું કે આપ (અન્ય પણ) આવી પીડાઓમાંથી મુક્ત થાઓ.
    બીજું આપને થાય છે કે, “આ ચર્ચામાં વગર વાંકે મારું આટલું બધું અપમાન થયું અને કોઈએ મારી તરફેણ ન કરી સૌ મુક પ્રક્ષક બની રહ્યા. અને દિપકભાઈ કે જેમને આ પલીતો ચાંપ્યો હતો તે પણ નિરવભાઈને કાંઈ બોલ્યા નહી કે ટોક્યા નહી કે રોક્યા નહીં. જે ખરેખર અસહનિય છે” આવો ભાવ થવો સ્વાભાવિક છે. પણ આપ જોશો તો જણાશે કે અન્ય કેટલાંક કહેવાતા દલીત મિત્રોએ નિરવભાઈને સમર્થન નથી આપ્યું. મોટાભાગે આપણને આપણી પોતાની ભુલ સમજાતી નથી. હંમેશા ચર્ચામાં સંવાદ ચાલે ત્યારસુધીજ એ ચર્ચામાં હિસ્સો લેવાય. જેવો એ વિવાદ બને કે ડાહ્યા માણસોએ તેમાંથી નીકળી જવું જોઈએ. તમારી પીડાઓ વકરી ગઈ તેનુ મુખ્ય કારણ એ પણ છે કે તમને સમયસર ક્વીટ થવાનો ખ્યાલ જ ન આવ્યો. તર્ક સમસ્યાનુ સમાધાન નથી હોતું. આપણે ગમે તેવો સુતર્ક કરીએ પણ કોઈ આપણાથી વધુ સારો તર્ક કરી શકે જ છે અને જે ને તર્ક કરતા ન ફાવે તે મોં પર થૂંકીને આપણી બોલતી બંધ કરી શકે છે તે હંમેશા ખ્યાલમાં રાખવું જોઈએ. તર્ક એ બુધ્ધીનુ છોરું છે, જેની સાથે અહમ ભળતાં જ તે આનંદ ઓછો અને પીડા વધુ આપે છે. શક્ય હોય એટલો ભેજાનો ઉપયોગ ઓછો અને હૃદયનો ઉપયોગ વધુ કરવો. કારણકએ હૃદયનુ સંતાન પ્રેમ છે એટલે ચર્ચામાં હાર કદી થતી નથી. પ્રેમ હારીને જીતી જાય છે.
    શેષ શુભ.
    પ્રભુશ્રીના આશિષ.
    શરદ.

  51. શરદભાઈ, આપણે જ્યારે કોઈને એમ કહીએ કે તમે આ કે લેબલ લઈને જીવો છો ત્યારે આપણે જેનો વિરોધ કરતા હોઈએ છીએ એનો જ આશરો તો નથી લેતાને? ‘તમે લેબલ લગાડીને જીવો છો’ એ પોતે જ એક લેબલ નથી બની જતું શું? ફિલસૂફો આવી પરિસ્થિતને મેટાફિઝીકલ ટ્રેપ તરીકે ઓળખાવે છે અને ધર્મ સાથે જ નહીં, ગણિત સાથે સંકળાયેલી ફિલસૂફીમાં પણ આવા ઘણા ટ્રેપ જોવા મળે છે. એને કારણે હું કર્મના સિધ્ધાન્તને એક સિસ્ટમ તરીકે જ જોતો હોઉં છું. એ સિસ્ટમની એક જ ખામી છે. પોતે પોતાના વિષે વિચારી શકતી નથી. ગણિતમાં પણ આવું જ બન્યું છે: બન્ટ્રાડ રસેલ અને વાઈટ હેડે પ્રિન્સિપિઆ મેથેમેટિકા લખ્યું અને એમાં વિજ્ઞાન અને ગણિતનાં વિધાનોની સત્યાર્થતા નક્કી કરવાની પધ્ધતિ આપી. પણ, કમનસીબે એ પધ્ધતિ પ્રમાણે એમના જ પ્રિન્સિપિઆ મેથેમેટિકા ગ્રંથનાં વિધાનોની સત્યાર્થતા નક્કી કરી શકાય એમ ન હતી.

    એક વાર હું દિલ્હીમાં પ્રાકૃત ભાષા ભણવા ગયેલો. ત્યાં એક બુધ્ધ સાધુ અમને પાલિ અને પ્રાકૃત વચ્ચેના સંબંધો પર ભણાવવા આવેલા. મેં એમને એક પ્રશ્ન પૂછેલો: તમે કહો છો કે જેના વિષે આપણે ન જાણતા હોઈએ એના વિષે આપણે ન બોલવું જોઈએ. સાચી વાત છે. પણ, હું આ કે તે નથી જાણતો એવું જાણ્યા વિના કઈ રીતે કહી શકાય? અને જો એમ હોય તો હું x કે y વિષે નથી જાણતો એમ કહું ત્યારે હું એના વિષે નથી જાણતો એટલું તો જાણતો જ હોઉં છું. હું x કે y વિષે નથી જાણતો એ જ્ઞાન x કે y વિષેનું જ્ઞાન નતી એવું પૂરવાર કરવાનાં આપણી પાસે કયાં સાધનો છે? દેખીતી રીતે જ પેલા સાધુને મારો પ્રશ્ન સમજતાં ખાસ્સી વાર લાગેલી.

    અમારી યુનિવર્સર્ટીમાં ભારતથી એક સંસ્કૃતના પ્રકાંડ પંડિત દર વરસે આવે છે. આ વરસે પણ આવ્યા છે. ગયા વરસે એમણે અમને ‘વેદાન્તપરિભાષા’ પર એક કોર્સ આપેલો. મને અત્યારે સંદર્ભ બરાબર યાદ નથી પણ એ ગ્રંથના જ એક શ્લોકના આધારે મેં એમને કહેલું કે કર્મના સિદ્ધાન્તનાં કેટલાંક પાસાં ભક્તિને અશક્ય બનાવી દે છે. એ પંડિતને મારું અર્થઘટન સાંભળતાં જ આઘાત લાગેલો. પણ, છેલ્લે એમણે કહેલું કે આપકી બાત સહી હૈ. પણ, એનો ઉકેલ મારી પાસે નથી.

    જે કર્મનો સિદ્ધાન્ત મને લાગું પડે એ જ જો નિ.પ.ને પણ લાગુ પાડીએ તો? ચાલો આપણે એવો પ્રયત્ન કરીએ. નિ.પ.એ સ્વીકારી લેવું જોઈએ કે એ જે કંઈ છે, એઓ જે કંઈ સહન કરે છે, એમણે જે કંઈ સહન કર્યું છે અને ભવિષ્યમાં પણ કરવાના છે એ બધ્ધામાં કર્મ જ જવાબદાર છે. એમણે ‘હું દલિત છું’ એવું જ્ઞાન સ્વીકારવાને બદલે ‘અહં બ્રહ્માસ્મિ’ એવું જ્ઞાન સ્વીકાર્યું હોત તો એમને કોઈની સામે કોઈ જ ફરિયાદ જ ન રહેત.

    ઠીક છે ચાલો. હવે પાછા આપણે ધર્મ પર આવી જઈશું. પણ, મારી વાત હું એક અંગત ઘટના સાથે પૂરી કરું: એક સંપ્રદાયના એક ગુરુએ ગયા અઠવાડિયે મને બોલાવેલો. મેં એમને કહેલું કે હું એક જ શરતે તમને મળવા આવું. આપણે ધર્મની વાત નહીં કરીએ. હું નાસ્તિક છું. અને એમણે કહેલું: વાંધો નહીં. મારે તો ખાલી વ્યાકરણની જ વાત કરવી છે. પછી હું ગયેલો અને અમે વ્યાકરણની જ વાત કરેલી. લગભગ તમામ ધર્મોના તુલનાત્મક અભ્યાસ પછી મેં નક્કી કર્યું છે કે ઈશ્વર એક તાર્કીક કોટિ છે; જેમ ગણિતમાં કેટલીક ધારણાઓ વગર કોયડા ન ઉકલે એમ ઈશ્વર પણ એક જરૂરી ધારણા છે. એ ધારણાને હકીકતમાં ફેરવી નાખવાની વૃત્તિમાંથી ધર્મનો જન્મ થયો છે.

    પછી ક્યારેક તક ન પણ મળે. પણ, એક બીજી વાત: પ્રો. કાર્ડોનાનું નામ તમે સાંભળ્યું હશે. સંસ્કૃતના પ્રકાંડ પંડિત છે. કેટલાક લોકો એમને આધુનિક પાણિનિ તરીકે ઓળખાવે છે. મેં એમને એક વાર કહેલું: સાહેબ, હું સંસ્કૃતનો વિદ્વાન નથી; મેં વેદો વાંચ્યા નથી. પણ, મારી હાયપોથેસિસ એમ કહે છે કે વેદોમાં અને પ્રારંભના ઉપનિષદોમા ક્યાંય ‘ઈશ્વર’ જેવો શબ્દ નથી. કાર્ડોના સાહેબ પહેલાં તો જરા અકળાઈ ગયેલા. પછી, એમણે કહેલું કે હું તપાસ કરીશ, એમની પાસે કોમ્પ્યુટર પર વેદ ઉપનિષદની ટેક્સટ છે. એનું વિશ્લેષણ કરીને એમણે મને કહેલું: તમારી વાત સાચી છે. પછી એમણે પૂછેલું: પણ, તમે એવી હાયપોથેસિસ પર કઈ રીતે આવેલા? મેં કહેલું: god can’t survive without narratives and there are no narratives in Veda and early Upanishad. કોઈ પણ ધર્મમાંથી જો કથાઓ કાઢી લઈએ તો ઈશ્વર ન બચે અને કથાઓ નો વિકાસ તો બહુ મોડો થયેલો.

  52. પ્રિય બાબુભાઈ;
    પ્રેમ.
    આપની સાથે વાર્તાલાપનો આશય જખમપર મલમનો છે કદાચ આપને રાહત આપે. અહી લક્ષ્ય આપના વિચારો, સંસ્કારો કે સમજને પ્રભાવિત કરવાનુ નથી અને એ માટે મારી કોઈ ક્ષમતા પણ નથી.
    જીવન થોડું થોડું જાગૃતિપૂર્વક જીવતા આવડ્યું છે તેથી અગાઊ થતી ઘણી બધી પીડાઓ ઓછી થઈ ગઈ છે. એટલે ક્યારેક અન્ય મિત્રોને અકારણ પીડાતા જોઊં તો થોડું ઘણૂ શેર કરું છું કદાચ કોઈને મારી વાત રાહત આપી જાય કે જીવનને નવી દૃષ્ટિથી જોવાની એક દિશા મળી જાય. પ્રયોજન બસ આટલું જ છે.
    બાકી કર્મના સિધ્ધાંતો અંગે ચર્ચા કે વાદ વિવાદ કરવાની મારી ક્ષમતા કે શક્તિ પણ નથી. મને તો જાત અનુભવથી ફક્ત એટલું સમજાય છે કે હું ક્રોધે ભરાઊં, ઈર્ષ્યા કરું, કોઈની નિંદા કરું ત્યારે મને પીડા થાય છે કોઈની પાસે અપેક્ષાઓ રાખું, વ્યર્થ વિવાદ કરું ત્યારે મને દુઃખ થાય છે. કોઈને પ્રેમ કરું તો ભિતર સુખ અને આનંદ થાય છે. મને ખબર નથી તમને કે અન્ય બધાને આવું થાય છે કે નહીં. પણ એક અનુમાન કરું છું કે કદાચ મને થાય છે તેવું અન્યને પણ થતું હશે.
    બીજું આપ લખો છો કે, “આપણે જ્યારે કોઈને એમ કહીએ કે તમે આ કે લેબલ લઈને જીવો છો ત્યારે આપણે જેનો વિરોધ કરતા હોઈએ છીએ એનો જ આશરો તો નથી લેતાને? ‘તમે લેબલ લગાડીને જીવો છો’ એ પોતે જ એક લેબલ નથી બની જતું શું? ફિલસૂફો આવી પરિસ્થિતને મેટાફિઝીકલ ટ્રેપ તરીકે ઓળખાવે છે અને ધર્મ સાથે જ નહીં, ગણિત સાથે સંકળાયેલી ફિલસૂફીમાં પણ આવા ઘણા ટ્રેપ જોવા મળે છે.”
    આ અંગે એટલી સ્પષ્ટતા કરું છું કે હું કોઈની તરફ ઉંગલી નિર્દેશ નથી કરતો કે તમે આવા લેબલ લગાવીને ફરો છે. હૂ પોતે અનેક લેબલો લઈને ફરું છું જેમકે, શરદ, ભારતિય, પુરુષ, પિતા, ભાઈ, પતિ, અમદાવાદી વગેરે વગેરે અનેક્ અને આ બધા લેબલો વહેવારિક જગતમાં ખુબ જ ઉપયોગી છે. એ વગર વહેવાર ચાલી ન શકે એનુ મને પુરું ભાન છે. મને લેબલો અંગે કોઈ વિરોધ નથી. હું તો ફક્ત એટલું જ કહું છું કે આ લેબલો જ્યારે મારા માથા પર ચઢી જાય છે અને હું લેબલ સાથે એકરસ (આઈડેન્ટિફાઈડ) થઈ જાઊં છું ત્યારે બેહોશી છવાઈ જાય છે અને આ બેહોશી પીડા બની જાય છે. અને આ દશા બીજાઓની સાથે ઘટતી પણ હું હોઈ રહ્યો છું. દલીત કે હિન્દુનુ લેબલ હોવું એક વાત છે અને જે તે લેબલ સાથે આઈડેન્ટિફાઈડ થવું બીજી વાત છે. અને જે દુખનુ કારણ છે તે લેબલ નહી પણ લેબલ સાથેનુ આઈડેન્ટિફીકેશન છે. બસ આટલી સ્પષ્ટતા કદાચ આપને સમજાઈ જાય તો શક્ય છે પીડા તીરોહિત થઈ જાય. કદાચ નિરવભાઈ માટે ઉત્પન થયેલ દ્વેષભાવ નામશેષ કે હળવો થઈ જાય.
    શેષ શુભ.
    પ્રભુશ્રીના આશિષ.
    શરદ

  53. Sharadabhai, I am writing this in English as I do not have a Gujarati program on my office computer. I do not understand why do you say that I have a dwesh-bhava for NP? Please show me at least one instance of dwesha-bhava that I have expressed in my writing. I am sorry but I can not take this. I have shown number of examples from his writing showing dwesha-bahva against me and many others which you are ignoring. If this is the way you are judging my writing than let us stop here. I want a rational debate , in which everything is supported either by logic or by facts. I have done that. If you can not do than let us stop here. There is no need to our time.

  54. @Dipak Dholakia,
    Nirav Patel’s thought about Dalits leaving Gujarati for their betterment is not even worth spending a second. But it was his opinion though it wasn’t even worth commenting on. If it was not for the hatred spreading activities of Nirav Patel and Dipak Dholakia, I wouldn’t have commented anything here. I type in English because right now with my computer it is the only option.
    Btw, who is this Sharad Shah?! He sounds like those christian missionary people who sometimes come to our village and offer rice in return of dalits being converted to christianity. Whatever logical questions we ask them, they only say monotonously ‘May you be blessed to see how good christianity is…’! Nothing more to say to him. May Sharad Shah be blessed to know how stupid he sounds.

    @Babu Suthar,
    Why do you even bother to come to this hatred spreading blog of Dipak Dholakia? Dipak Dholakia isn’t dalit himself nor he has any idea about the ground realities within dalit families and today’s villages in Gujarat and India. He himself has confessed it. But still he keeps on alluding that the dalits must hate savarnas. He also promote Nirav Patel’s hatred spreading articles by publishing them on his blog. Do you want to be a part of this hatred spreading activities of Dipak Dholakia? Same as Dilip Parmar above, I am never coming back to this blog again. I suggest you also do the same. If you want to see what the modern generation (which includes both dalit and savarnas) think about all these issues, read Jay Vasavada’s blog: http://planetjv.wordpress.com/2011/08/12/%E0%AA%AE%E0%AB%87%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9F%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3%E0%AA%BE%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE-%E0%AA%85/

  55. Friends,
    May I present the last summary, please? Hope all can agree and now retire.
    It is well known that if you wish to convert good friends into enemies, debate religion or politics with them. Now I know that we can add language too, to this list.
    1. The original article was “Aakrosh”, a protest against Social chauvinism, as evidenced by popular language. Language, as a medium of communication, can be used well or can also be misused to reflect the wrong bias, wrong culture or damaging Values of its users. Please do not blame the messenger, blame the culture.
    2. “Aakrosh” is emotion, not to be confused or argued with logic.
    3. The real culprit is our Varnashram “Dharma”. I had to write a whole book (in English) to explain the misguided values and culture that Hindu religion has espoused for centuries. No space here for those things.
    4. I request Dipakbhai to put a time limit and a stop to writings on irrelevant issues (like spirituality, grammar, personalities, etc.) on this excellent blog in the future. Those things almost drove me away from this interesting subject— till now.
    I learnt a lot from scholars here. My thanks to all. — Subodh Shah, USA.

    1. Thanks Subodhbhai,
      I am closing the debate.
      I will have to learn how not to allow a comment to appear without my approval. This is not desirable but it seems it is a necessary evil. Only thing, I am afraid of myself. I may develop a habit and begin enjoying comments attacking others and simultaneously blocking those criticizing me.
      In fact, I have not blocked any comment and brought forth those that went into ‘spam’. I have not tried to block even those questioning my integrity.
      But the discussion ends here. I did try to sum up the debate twice or thrice but it was ignored by the learned friends. Now, this article is not open for more debate after your wise advice. Any comment from now on will be removed.
      I thank all those who participated in the debate.

Leave a reply to GUJARATPLUS જવાબ રદ કરો