Martyrs of Indian Freedom Struggle [14] : Santhal Rebellion (1855)

કાન્હૂ અને સીધૂઃ ૧૮૫૫નો સંથાલ વિદ્રોહ

ભારતના ઇતિહાસમાં સંથાલ આદિવાસીઓનો વિદ્રોહ ખાસ ઉલ્લેખને પાત્ર રહ્યો છે. આજે પણ સંથાલો પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢના મોટા ઇલાકાઓમાં વસે છે. ૧૭૯૩માં લૉર્ડ કૉર્નવૉલિસે જમીન મહેસૂલની કાયમી જમાબંધી પદ્ધતિ લાગુ કરી. આ સાથે જમીનની માલિકી સરકારના હાથમાં ચાલી ગઈ. પહેલાં આદિવાસીઓ જંગલને પોતાનું સમજીને એની પેદાશોનો ઉપયોગ કરતા હતા પરંતુ મહેસૂલ વધારવા માટે કંપની સરકારને નવી જમીનો જોઈતી હતી એટલે જંગલો કાપવાનું શરૂ થયું. સંથાલોને ભોળવીને બીરભૂમ જિલ્લામાં મોકલી દેવાયા. ત્યાં એ સીધા જ જમીનદારો અને શાહુકારોની ચુંગાલમાં સપડાયા અને સંથાલો પોલીસ દારોગાના જુલમોનો પણ શિકાર બનવા લાગ્યા. ૧૮૩૮માં સંથાલોના ગામ દામિની-કોહમાંથી માત્ર બે હજાર રૂપિયાની આવક થતી હતી, તે ૧૮૫૧માં વધીને ૪૪,૦૦૦ રૂપિયા થઈ અને બીજાં માત્ર ત્રણ વર્ષમાં ૬૮,૦૦૦ રૂપિયા સુધી પહોંચી.

એક વાર બે ભાઈઓ કાન્હૂ અને સીધૂ પોતાની ઝૂંપડીમાં બેઠા હતા ત્યારે એમણે કંઈક ચમત્કાર અનુભવ્યો. એમને ‘ઠાકુરજી’નાં દર્શન થયાં. તે પછી એમણે પોતાને પ્રદેશના રાજા જાહેર કર્યા અને સૌને બીજા કોઈની આણ ન માનવાનો આદેશ આપ્યો. ઠાકુરજીએ જ એમને રાજા બનાવ્યા હતા. સંથાલો ઠાકુરજીનો પડ્યો બોલ ઝીલવા તત્પર રહેતા. આમાં જ બ્રિટિશ હકુમતને પડકાર હતો.

૧૮૫૫માં કલકત્તાની મૅસર્સ મૅકી ઍન્ડ કંપનીએ જ્યાં સંથાલોને એમનાં ગામો ખાલી કરીને વસાવ્યા હતા તે બીરભૂમમાં જ લોખંડનું કારખાનું ખોલ્યું. આ ઉપરાંત, કોલસાની ખાણોનું કામ શરૂ થયું અને ગળીનાં કારખાનાં પણ બન્યાં. એમણે મોટા પાયે જંગલો કાપવાનું શરૂ કર્યું. આમાં ઘણા યુરોપિયનો અને યુરેઝિયનોને નોકરી મળી. આ લોકોને મન સંથાલ જંગલી જાનવર હતા અને એમની સ્ત્રીઓ માત્ર વસ્તુ હતી.

સંથાલો માટે ઝાડ એટલે એમના પૂર્વજોના આત્માઓનું ઘર. આત્માઓ ઝાડો અને પહાડોની ટોચ પર રહે. સંથાલોમાં ગોરાઓ સામે રોષ વધતો ગયો. બીજી બાજુ, શહેરી હિન્દુઓનો ધર્મ પણ એમની આસ્થા પર દબાણ કરતો હતો. એમણે ઘણાં હિન્દુ આસ્થાનાં પ્રતીકો સ્વીકાર્યાં બૈદ્યનાથ (ભગવાન શિવ)ના મેળામાં એમની આવવા માટે શહેરીઓ પ્રોત્સાહિત કરતા, પણ એ મેળામાં જતા ત્યારે એમને કોઈ સમોવડિયા ન માનતા. એમનો માત્ર નાચગાન અને મનોરંજન માટે ઉપયોગ થતો.

આમ ચારે બાજુથી સંથાલો ભીંસમાં હતા. એવામાં છોટા નાગપુર પ્રદેશનાં ખનિજો અને લાકડાં સહેલાઈથી લઈ જવા માટે રેલવે લાઇનનું બાંધકામ શરૂ થયું. જે બાકી હતું તે પણ હવે પૂરું થયું. કુદરતને ખોળે મુક્ત જીવન જીવવા ટેવાયેલા સંથાલો ગૂંગળામણ અનુભવવા લાગ્યા હતા. એમણે હવે બદલો લેવાનું શરૂ કર્યું. અંગ્રેજોના યુનિફૉર્મધારી સૈનિકોને જંગલની લડાઈનો અનુભવ નહોતો.  સંથાલોનાં તીર રોજેરોજ સૈનિકોની લોથો ઢાળવા લાગ્યાં.

એમનો પહેલો રોષ મહાજનો પર ઊતર્યો. એમણે શાહુકારો અને જમીનદારોનાં ઘરો પર હુમલા શરૂ કરી દીધા. માત્ર દામિની-કોહ નહીં આજુબાજુના પ્રદેશોના સંથાલોમાં પણ સંદેશ પહોંચવા લાગ્યો. એમના હુમલાઓ સામે ‘દિક્કુઓ’ (બંગાળી શહેરીઓ)એ સરકારમાં ફરિયાદો કરી. સંથાલોના સાથી જેવા માઝીઓના એક નેતા બીર સિંઘ માઝીને નાયબે કચેરીમાં બોલાવ્યો અને જોડાથી માર્યો. પોલીસે કાન્હૂ અને સીધૂને પણ પકડવાની કોશિશ કરી.

આથી બળતામાં ઘી ઉમેરાયું. સંથાલો ઉશ્કેરાયા. ૩૦મી જૂને પૂનમ હતી તે દિવસે દસ હજાર સંથાલ ભગનડીહીમાં એકઠા થયા. એમણે કંપનીના સત્તાવાળાઓ અને જમીનદારોને પત્રો લખીને જાણ કરી કે ‘ઠાકુરજી’એ નક્કી કરેલા દરે જ મહેસૂલ આપશું. એમણે પંદર દિવસમાં જવાબ માગ્યો.

૧૮૫૫ની સાતમી જુલાઈએ બધા એકઠા થયા. લડવાનો પાકો સંકલ્પ કર્યો અને નીકળી પડ્યા. એમણે કેટલીયે સરકારી કચેરીઓ પર હુમલા કર્યા. અંતે સરકારે પોલીસ ટુકડીઓ મોકલી, રીતસરનું યુદ્ધ થયું. ૧૫-૨૦ હજાર સંથાલો મોતને ભેટ્યા.

દેશ એટલે શું? ‘સભ્ય’ કહેવાતા ઇતિહાસકારો સંથાલોના વિદ્રોહને માત્ર જંગલ અને જમીન માટેનો વિદ્રોહ કહે છે. પરંતુ એ આ દેશ પર ઠોકી બેસાડાતી નવી આર્થિક વ્યવસ્થા સામેનો વિદ્રોહ હતો અને સંથાલો સમજી શક્યા કે આના ખરા અપરાધી કોણ હતા. એક દિવસના ધિંગાણામાં વીસ હજારનાં મરણ થાય એ ઇતિહાસની મોટી ઘટના છે. આદિવાસીઓનું આપણા પર ઋણ છે તેને માથે ચડાવીએ.

0x0x0

Martyrs of Indian Freedom Struggle [13] : Khasi Insurrection

ખાસી અને ગારો હિલ્સમાં વિદ્રોહ

ખાસી પર્વતીય પ્રદેશ મેઘાલય રાજ્યની ખાસી-ગારો-જૈંતિયા પર્વતમાળાનો એક ભાગ છે. અંગ્રેજોની જોહુકમી સામે ૧૮૨૮માં ખાસી જાતિના રાજા અને પ્રજા  ભડકી ઊઠ્યાં. પરંતુ આ સમજવા માટે આપણે પહેલાં આસામનો ૬૦૦ વર્ષનો ઇતિહાસ જોવો પડશે, આપણે એના પર એક ઊડતી નજર નાખીએ.

ઈ. સ. ૧૨૨૮માં ચીનના મોંગ માઓ પ્રાંતમાંથી સુકફ્ફા નામનો તાઈ ભાષી શાસક આવ્યો અને બ્રહ્મપુત્ર ખીણ પ્રદેશ કબ્જે કરી લીધો. એ અહોમ જાતિનો હતો. તાઈ ભાષીઓ ચીનથી માંડીને અગ્નિ એશિયાના થાઈલૅંડ, વિયેતનામ વગેરે ઘણા દેશોમાં છે પણ એમની જાતિઓ જુદી છે, માત્ર ભાષા  એકસમાન છે. સુકપ્પા પછીના રાજાઓના સમયમાં બ્રહ્મપુત્ર ખીણનું અહોમીકરણ શરૂ થયું. એટલે એ પ્રદેશમાં જે કોઈ રહેવા આવ્યા તે બધા  અહોમ કહેવાયા. અહોમ રાજ્ય ૬૦૦ વર્ષ ટક્યું એમાં ઘણી જાતની અસરો પણ ભળી. હિંદુઓ પણ ત્યાં જઈને વસ્યા અને ધીમે ધીમે ત્યાં વૈદિક સંસ્કૃતિ પણ ફેલાઈ.

લોકોમાં ઘણા વર્ગો હતા અને અહોમ રાજ્ય પાઇકાઓને ભરોસે ચાલતું હતું. પાઇકા આમ તો ખેડૂત કે કારીગર હતા પણ એમને વર્ષમાં ત્રણ મહિના રાજ્યની વેઠ કરવી પડતી. આવા ગરીબ વર્ગોમાં વૈષ્ણવ ધર્મ ફેલાયો. શંકર દેવનો એમાં મોટો ફાળો રહ્યો. વૈષ્ણવોએ ઘણાં સત્રો (આશ્રમો) સ્થાપ્યાં. ખેડૂતો અને મજૂરો માટે આ સત્રો એકઠા થવાનાં સ્થાન બની ગયાં.

૧૭૬૯માં મૂળ અહોમ  લઘુમતીમાં હતા પરંતુ રાજ્ય એમના હાથમાં હતું.  રાજ્યની સ્થિતિ કથળવા લાગી હતી એટલે વેઠ ત્રણ મહિનાને બદલે ચાર મહિનાની શરૂ થઈ. સત્રોના અનુયાયી ખેડૂતો અને કારીગરોમાં આ કારણે અસંતોષ ફેલાયો.  બળતામાં ઘી હોમવાનું કામ મોઆમાર સત્રે કર્યુ. આ મોઆમારિયા વિદ્રોહ તરીકે ઓળખાય છે.

અહોમ વંશ નબળો પડી ગયો હતો. અહોમ રાજા પુરંદર સિંઘાએ વિદ્રોહને દબાવી દેવા ઇસ્ટ ઇંડિયા કંપનીની મદદ માગી. કંપની માટે ભાવતું’તું ને વૈદે બતાવ્યા જેવું થયું. કંપનીના અધુનિક સૈન્યે મોઆમારિયાનો બળવો તો દબાવી દીધો પણ બકરું કાઢતાં ઊંટ પેસી જેવા જેવી હાલત પેદા થઈ. અંગ્રેજોએ હવે પોતાનો પગદંડો જમાવી લીધો. અમુક પ્રદેશ પણ એમને મળી ગયો.

આસામની આ સ્થિતિનો લાભ લઈને બર્માએ ૧૮૨૪માં આસામ પર હુમલો કર્યો. એ વખતે અંગ્રેજી ફોજે એનો મરણિયો મુકાબલો કરીને બર્માને હાર આપી. આથી કંપનીનું સ્થાન વધુ મજબૂત બન્યું હવે એણે રોજના રાજકાજમાં પણ માથું મારવાનું શરૂ કરી દીધું. ૧૮૨૮ સુધીમાં અહોમ રાજાની બધી સત્તા કંપનીએ સંભાળી લીધી.  રાજાના વિશ્ષાધિકારો પણ લઈ લીધા.

રાજા ગામાધાર કોંવર અને એના સાથી ગિરિધર બોરગોહાઈંએ અંગ્રેજોને હાંકી કાઢવાનું નક્કી કર્યું. જોરહટમાં ગોમાધરનો અહોમ રાજા તરીકે પરંપરાગત રીતે રાજ્યાભિષેક થયો. તે પછી ગોમાધર કંઈ કરે તે પહેલાં કંપનીને ખબર મળ્યા. તરત જ અંગ્રેજોની ફોજ આવી પહોંચી, ગોમાધર નાગા પહાડીઓમાં ભાગી ગયો. થોડા વખત પછી કંપનીએ એને પકડી લીધો અને  મોતની સજા કરી પણ પછી  સજા રદ કરીને ને કોઈ અજાણ્યા સ્થળે મોકલી દીધો. એનું મૃત્યુ કેમ થયું તે પણ કોઈને જાણવા નથી મળ્યું.

આટલી પૂર્વભૂમિકા પછી આપણે ખાસી પર્વતીય પ્રદેશમાં થયેલા બળવા વિશે વાત કરીએ. આપણે જોયું કે અંગ્રેજોને રાજાએ સ્થાનિકનો બળવો દબાવી દેવા બોલાવ્યા તેની ભારી કિંમત રાજાએ પોતે જ ચૂકવી. હવે કંપનીના એજન્ટ ડેવિડ સ્કૉટની આણ પ્રવર્તતી હતી.

સ્કૉટને વિચાર આવ્યો કે બંગાળ પ્રાંત સાથે આસામને સાંકળી લેવા માટે આસામથી સિલ્હટ સુધી રસ્તો બનાવવો જોઈએ. એની યોજના પ્રમાણે આ રસ્તો ખાસીના પહાડી પ્રદેશમાંથી પસાર થતો હતો. નોંખ્લાવમાંથી આ રસ્તો  નીકળવાનો હતો એટલે એણે પહેલાં તો નોંખ્લાવના સિયેમ (એટલે કે મુખ્ય સરદાર) ને મનાવી લેવાની કોશિશ કરી. એ આસામથી પાલખી વગેરે ભેટસોગાદો લઈને એ સિયેમ  તીરથ સિંઘ (તિરુત સિંઘ)ને મળ્યો અને એને મનાવી લીધો અને રસ્તો બની ગયો.

એ રસ્તેથી થઈને બ્રિટિશ ફોજની ટુકડીઓ આસામ અને બંગાળ વચ્ચે આવતીજતી થઈ ત્યારે પ્રજાને સમજાયું કે આ રસ્તો  એમના માટે કેટલો જોખમી નીવડશે.  હેઠવાસના માણસો આવીને પહાડો પર કબજો જમાવી લે એવી એમને બીક લાગી. કંપની હવે કરાવેરા નાખશે એવી વાત પણ વહેતી થઈ.  આ એમની સ્વાયત્તતા પર હુમલાની તૈયારી હતી. લોકોનો આવેશ જોઈને તીરથ સિંઘ પણ હવે અંગ્રેજોના પક્ષે રહી શકે તેમ નહોતું કારણ કે લોકો એના પર જ ખિજાયા હતા. તીરથ સિંઘે લોકોની સાથે રહેવાનો ફેંસલો કર્યો.

સ્કૉટ એ વખતે નોંખ્લાવમાં જ હતો.  સિયેમની માને ‘સાહેબ’ માટે લાગણી હતી એટલે એણે સ્કૉટને તીરથ સિંઘની યોજના બતાવી દીધી. એ ત્યાંથી તરત ભાગી નીકળ્યો અને ચેરાપૂંજીમાં અંગ્રેજોના મિત્ર દીવાન સિંઘ રાજાના મહેલમાં પહોંચી ગયો.

૧૮૨૯ની ૪ ઍપ્રિલે તીરથ સિંઘની સરદારી નીચે પાંચસોનું ટોળું અંગ્રેજો રહેતા હતા ત્યાં એકઠું થયું.  લેફ્ટેનન્ટ બેડિંગફીલ્ડ અને લેફ્ટેનન્ટ કર્નલ બર્ટનને બહાર બોલાવ્યા અને થોડી પૂછપરછ પછી બન્નેને મારી નાખ્યા. એ વખતે ત્યાં હિન્દુસ્તાની સિપાઈઓ પણ હતા. એમાંથી સાઠ  ખાસીઓનાં તીરકામઠાંનો ભોગ બન્યા. બ્રિટિશ રાજમાં ભૂકંપ આવ્યો.

તરત જ નવા રસ્તેથી આસામ અને સિલ્હટથી કંપનીની સેના આવી પહોંચી. એમનાં આધુનિક હથિયારો સામે તીરકામઠાં નબળાં સાબિત થયાં અને ખાસીઓ હાર્યા. પરંતુ ગારો આદિવાસીઓ અને ઉત્તર આસામના લોકો ખાસીઓની પડખે રહ્યા અને અંગ્રીજો સાથે ખાસીઓની લડાઈ ચાર વર્ષ ચાલતી રહી.

ડેવિડ સ્કૉટે પાછળથી આ બળવા વિશે રિપોર્ટ આપ્યો તેમાં કબૂલ્યું કે વિદ્રોહીઓ અંગ્રેજી હકુમતને આસામ અને ઈશાન ભારતમાંથી હાંકી કાઢવા માગતા હતા.

આજે ખાસીના આ વીરોની કથા ઇતિહાસના કોઈ રઝળતા પાને મળી આવે તો ભલે.

000

%d bloggers like this: