Martyrs of Indian Freedom Struggle – (34) Kuka Rebellion in Punjab

પંજાબમાં કૂકા વિદ્રોહ

૧૮૫૮થી ૧૯૪૭ સુધીમાં દેશમાં  ચોવીસ આદિવાસી વિદ્રોહ થયા. બધામાં અદિવાસીઓ પોતાની જમીન અને જંગલને બચાવવા માટે સંઘર્ષ કરતા રહ્યા. છેક આદિમ જીવન ગાળનારા આંદામાનીઓ પણ તળભૂમિના નિવાસીઓમાં કોણ મુખ્ય શત્રુ છે તે સમજી શક્યા હતા.  ઝો જાતિના મિઝો, ચિન અને કૂકી, નાગા, આંદામાનના સેંટીનેલીસ –  બધા જ પોતાની સ્વતંત્ર જીવન શૈલી બચાવવા માટે સતત અને વારંવાર બ્રિટિશ સત્તા સાથે ટકરાયા. આ બધાની વિગતોમાં સમાનતા છે અને બહુ ઓછી વિગતો મળે છે એટલે એમાં બહુ ઊંડા ઊતરવું શક્ય નથી. આપણે એ વીરોને સલામ કરીને ૧૮૭૧-૭૨ના પંજાબમાં જઈએ.

પંજાબમાં નામધારી શીખોનો વિદ્રોહ ‘કૂકા વિદ્રોહ’ તરીકે ઇતિહાસમાં જાણીતો છે. એમાં ધર્મનું તત્ત્વ હોવાથી એને લાંબા સમય સુધી સ્વતંત્રતા માટેના સંઘર્ષ તરીકે માન્યતા આપવી કે કેમ તેના વિશે વિવાદ રહ્યો. છેલ્લાં કેટલાંક વર્ષોંમાં એને  સ્વતંત્રતા માટેના વિદ્રોહ તરીકે માન્યતા મળી છે.

મહારાજા રણજીત સિંહનું મૃત્યુ અને પંજાબ

મહારાજા રણજીત સિંહે પોતાના રાજ્યનો વિસ્તાર કરવાનું શરૂ કર્યું તે જ સમયથી ઈસ્ટ ઇંડિયા કંપનીની તાકાતને ઓળખી લીધી હતી. એમને લાગતું હતું કે ભવિષ્યમાં કોઈ ખતરો પેદા થાય તો તે કંપનીનો જ હશે. આથી એમણે કંપની સાથે સારા સંબંધો રાખ્યા હતા. ૧૮૨૯થી ૧૮૩૯નો દાયકો મહારાજા રણજીત સિંહની  સત્તાનો છેલ્લો દાયકો હતો. લથડતી તબીયતને કારણે એ જોઈ શક્યા કે પંજાબ એમના હાથમાંથી સરકી જશે. જો કે એમની હયાતીમાં એવું કંઈ ન થયું, પરંતુ તે પછી અંગ્રેજોએ શીખોને હરાવ્યા, ૨૯મી માર્ચ ૧૮૪૯ના  રોજ બન્ને પક્ષો વચ્ચે સંધિ થઈ  અને અંગ્રેજોએ પંજાબમાં પોતાની આણ સ્થાપી.

અંગ્રેજો એ તરત જ પંજાબમાં ભારતીય સંસ્કૃતિ પર હુમલો કરતા હોય તેમ બે બાબતો પર ખાસ ભાર મૂક્યો. એક તો, એમણે ગૌહત્યા પર પ્રતિબંધનો કાયદો રદ કર્યો, પરિણામે ગોમાંસ ખુલ્લા બજારમાં મળતું થઈ ગયું. બીજું એમણે ખ્રિસ્તી પાદરીઓનો ફેલાવો કર્યો. આથી ઠેર ઠેર વટાળ પ્રવૃત્તિએ જોર પકડ્યું.

કૂકા એટલે શું?

નામધારી શીખોના પંથના સ્થાપક સદગુરુ રામ સિંહ જી મહારાજ સામાન્ય માણસનું જીવન જીવતા હતા અને પિતાની લોહારની કોઢ સંભાળતા. તે પછી એ ખાલસા ફોજમાં પણ જોડાયા. લશ્કરમાં એમણે શીખોનું પતન જોયું. બીજી બાજુ પાદરીઓના વધતા પ્રભાવને કારણે એ બહુ વ્યથિત હતા. ૧૮૫૭ની ૧૨મી ઍપ્રિલે એમણે પાંચ શિષ્યોને દીક્ષા આપી અને ત્રિકોણિયો સફેદ ધ્વજ ફરકાવ્યો. એમણે પાંચ શિષ્યોને સ્વતંત્રતા માટે લડવાનું વ્રત લેવડાવ્યું. પરંતુ એમણે સ્વદેશી, અસહકાર અને અહિંસા પર ખાસ ભાર મૂક્યો.

નામધારી શીખો જાપ કરતાં વચ્ચે પક્ષીઓની જેમ ટહુકાર (કૂક) કરતા એટલે કૂકા તરીકે ઓળખાવા લાગ્યા. કૂકાઓ કોઈ પણ સાધુસંતને ગુરુ ન બનાવી શકે, કોઈ દેવીદેવતાની પૂજા ન કરી શકે અને સાત્ત્વિક ભોજન જ લઈ શકે. વસ્ત્રો પણ સફેદ જ પહેરી શકે અને તે પણ હાથ કંતામણ અને હાથ વણાટનાં. સદગુરુએ નામધારીઓ માટે પાંચ કક્કા (કેશ, કંઘી, કડા, કચ્છા અને કિરપાણ) ફરજિયાત બનાવ્યા. કૂકા પંથ ફેલાતાં લોકો પ્રાચીન મૂલ્યો તરફ વળવા લાગ્યા અને વસ્ત્રોના નિય,મને કારણે બ્રિટિશ કાપડના વેપારને પણ ધક્કો લાગ્યો. સામાન્ય શીખ પણ પંજાબ સરકારથી ત્રાસેલો હતો.  સ્યાલકોટના ડેપ્યુટી કમિશનરનો ૧૮૬૨નો એક રિપોર્ટ દેખાડે છે કે બાબા રામ સિંહ લોકોને  લાઠીની તાલીમ આપતા હતા અને કહેતા હતા કે એમના પાંચ હજાર અનુયાયીઓ હતા.  સરકારે આના પરથી અનુમાન કર્યું કે એકલા સ્યાલકોટ જિલ્લામાં પાંચ હજાર અનુયાયી હોય તો આખા પંજાબમાં એમની સંખ્યા બહુ મોટી થઈ જાય.  સદરુરુ આખા પંજાબમાં ફરતા એપણ સરકાર ની શંકાનું કારણ હતું.આમ કૂકા આંદોલન ધાર્મિક હોવા છતાં સરકારની નજરે એની વ્યાપક અસર હતી. ફરીદકોટ અને સંગરૂરના રાજવીઓને પણ કૂકા પંથ આંખના કણાની માફક ખૂંચવા લાગ્યો હતો.

દરમિયાન ગુરુએ  અફઘાનિસ્તાનના અમીર અને કાશ્મીર અને નેપાલના રાજાઓ સથે પણ સંબંધ વિકસાવ્યા હતા.  અને ગુરુ રામ સિંહ ખ્રિસ્તીઓને વિદેશી ગણતા હતા એટલે સરકાર સાથે ટક્કર ટાળી શકે તેમ નહોતા.

અંતે બ્રિટિશ સરકારે રામ સિંહને રંગૂન મોકલી દેવાનું નક્કી કર્યું.

મલેરકોટલા

મલેરકોટલા નવાબ શેર મહંમદનું ૬૮ ગામોનું એક નાનું રજવાડું હતું. ત્યાં ગૌહત્યાની છૂટ હતી. શીખો આ કારણે એનાથી નારાજ હતા. એના મૃત્યુ પછી એના સગીર વયના પુત્રને ગાદી મળી. અંગ્રેજ રેસિડેંટ બધો વહી વટ સંભાળતો.  એક વખત એક નામધારી સરપંચે રસ્તામાં એક મુસ્લિમ બકાલીને જોયો. બળદ પર ગાજર લાદેલાં હતાં અને એ પોતે પણ ગાજર ખાતો એના પર બેઠો હતો.  શીખ નેતાએ એને બળદ પર દયા ખાવા વિનંતિ કરી. બકાલી ગુસ્સે થયો અને પોલીસ સ્ટેશને પહોંચ્યો. ત્યાં  અફસરે શીખની સામે જ બળદને વધેરી નાખ્યો.  આ જાણીને કૂકાઓ  ક્રોધે ભરાયા અને બાબા રામસિંહના વારવા છતાં તલવારો ખેંચીને મલેરકોટલા તરફ નીકળી પડ્યા. એમણે ત્યાં જઈને શાંતિથી વાત કરીને રસ્તો કાઢવા માટે ડેપ્યુટી કમિશનરને મળ્યા પણ કંઈ વળ્યું નહીં. મુસલમાનો અને ખ્રિસ્તીઓ એક તરફ અને કૂકાઓ બીજી તરફ. અંગ્રેજ સરકાર કૂકાઓની વિરુદ્ધ તો હતી જ.

સામસામી ઝપાઝપીમાં સાત કૂકા માર્યાગયા. પછી કૂકાઓ પણ આક્રમણ કરવા લાગ્યા. અંગ્રેજ ઇનચાર્જ એલ. કોવને બીજા સાડાસાતસો સૈનિકોને બોલાવ્યા અને બધા કૂકાઓને પકડી લીધા. સાત તોપો ગોઠવી અને બધાને ઉડાવી દીધા.

કૂકાઓની શહીદી ઇતિહાસમાં અમર થઈ ગઈ છે.

સંદર્ભઃ

Satguru Ram Singh and Kuka Movement originally in Punjabi by Tara Singh Anjan, Translated into English by Rattan Saldi. Publication Division, 2018

Martyrs of Indian Freedom Struggle (33) : The New Phase of Uprising Battles

વિદ્રોહનો નવો દોર

૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી બ્રિટનની રાણીએ જાહેરનામું બહાર પાડીને ઈસ્ટ ઇંડિયા કંપનીની જગ્યાએ ભારતનું આધિપત્ય પોતાના હાથમાં લઈ લીધું.  રાણીએ રાજાઓને ખાતરી આપી કે બ્રિટન હવે એમના પ્રદેશો પર કબજો નહીં કરે, બદલામાં રાજાઓએ પણ બ્રિટન હસ્તકના મૂળ ઈસ્ટ ઇંડિયા કંપનીએ પ્રાપ્ત કરેલા પ્રદેશો પર હુમલા ન કરવા. રાજાઓની હિંમત તો નહોતી  કે એ બ્રિટિશ ઇંડિયાના પ્રદેશો પર હુમલા કરીને પોતાના ગુમાવેલા પ્રદેશો પાછા લઈ લેવાની કોશિશ કરે, પણ એમને પોતાનાં રાજ્યો અકબંધ રહેશે એવી ખાતરી મળી ગઈ. તે ઉપરાંત હવે એમને પાડોશી રાજ્ય સાથે લડાઈ થવાનો ભય પણ નહોતો કારણ કે એમના સંરક્ષણની જવાબદારી પણ રાણીએ લઈ લીધી હતી એટલે એમણે સૈન્યો પણ રાખવાનાં નહોતાં. ક્યાંય પણ વિખવાદ ઊભો થાય તો એમના ઉપરની સર્વોપરિ સત્તા સમક્ષ  ફરિયાદ કરવાનો એમને અધિકાર હતો. આમ રાજાઓએ ગવર્નર જનરલોની ખુશામત કરવાથી વધારે કંઈ કરવાપણું નહોતું રહ્યું. ૧૮૫૭ કરતાં તદ્દન જુદી સ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું, આથી રાજાઓ મોજમસ્તીમાં પડી ગયા અને બ્રિટન પ્રત્યે વફાદાર રહેવું એ હવે એમના લાભમાં હતું.  છેક ૧૯૪૭ સુધી એમનું એ જ વલણ રહ્યું. આથી બ્રિટનની સત્તાનો વિરોધ કરવાની જવાબદારી ફરી રૈયતના હાથમાં આવી ગઈ.

(૧) ૧૮૫૯નો ગળી વિદ્રોહ

૧૮૫૭ના વિદ્રોહના પડઘા શમે તે પહેલાં જ બંગાળના ગરીબ ખેડૂતોએ વિદ્રોહના નવા દોરનો ધ્વજ સંભાળી લીધો.

ઔદ્યોગિક ક્રાન્તિને પરિણામે બ્રિટનમાં કાપડ ઉદ્યોગનો ઝડપભેર વિકાસ થયો. એમાં કપડાંને રંગવા માટે ગળીની બહુ જરૂર રહેતી. ઈસ્ટ ઇંડિયા કંપનીએ આથી બિહાર અને બંગાળમાં ગળીનું વાવેતર કરવા માટે ખેડૂતોને ફરજ પાડી. દરેક ખેડૂતે પોતાની જમીનનો એક ભાગ  જમીનદારને કે ગોરા પ્લાંટરને (ગળીનું કારખાનું ચલાવનારને) ગળીના વાવેતર માટે આપવાનો હતો.ધીમે ધીમે બ્રિટિશ પ્લાંટરોનું જોર એટલું વધી ગયું કે એ ખેડૂતોને અનાજને બદલે ગળીનો પાક લેવા માટે ફરજ પાડવા લાગ્યા. પ્લાંટરો નધણિયાતી જમીન પર ગળી ઉગાડતા અને ખેડૂત બિનવારસ મરી જાય કે ગામતરું કરી ગયો હોય તેની જમીન પર પણ એ કબજો કરી લેતા.ગળીનો પાક લેવા માટે એ ખેડૂતોને આગોતરા પૈસા પણ લોન તરીકે આપતા. પરંતુ ખેડૂત એ રકમ લેવાનો ઇનકાર ન કરી શકતો.  વાવેતર થઈ જાય તે પછી ફાલ ઊતરે ત્યારે ખેડૂતે એ પ્લાંટરના કારખાનામાં પહોંચાડી દેવો પડતો અને ગળી કાઢી આપવી પડતી. એના બદલામાં એમને નજીવું વળતર મળતું, એમાંથી એ લોન તરીકે મળેલી આગોતરી રકમ પણ ભરપાઈ ન કરી શકતા. ખેડૂતો પર દેવાનો ભાર વધતો જતો.

૧૮૫૯ના માર્ચમાં બંગાળના નાદિયા જિલ્લાના  એક ગામના ખેડૂતો અહિંસક રીતે સંગઠિત થયા અને ગળીના વાવેતર માટે ના પાડી દીધી. તરત જ આ આંદોલન બીજા જિલ્લાઓમાં પણ ફેલાઈ ગયું. આ આંદોલનને શરૂઆતમાં જમીનદારોએ પણ ભારે ટેકો આપ્યો કારણ કે પ્લાંટરો જમીનદારો કરતાં પણ વધારે શક્તિશાળી બની ગયા હતા.

  જો કે, આંદોલન જેમ ફેલાતું ગયું તેમ હિંસાની ઘટનાઓ પણ બની. પ્લાંટરોની બળજબરીનો લોકો જવાબ પણ દેવા લાગ્યા.  ખેડૂતોએ માટે લોન લેવાની ના પાડી એટલું જ નહીં પ્લાંટરોના ગુમાસ્તાઓનો પણ બહિષ્કાર કર્યો. એમને ગામની દુકાનોએ ચડવાની મનાઈ ફરમાવી. એટલે એમને રસોડા માટે જોઈતો સામાન પણ મળતો બંધ થઈ ગયો. ખેડૂતોને દબાવી દેવા માટે પ્લાંટરો હિંસાનો માર્ગ લેવા લાગ્યા પણ ખેડૂતો નમતું નહોતા આપતા. સ્ત્રીઓ પણ ઈંટ-પથ્થર, જે કંઈ હાથમાં આવ્યું તે છૂટથી વાપરતી. કંઈ ન મળે તો રસોડાનાં વાસણો પણ કામે આવતાં. ખેડુતોને જૂથ બનાવીને કારખાનાં પર હુમલા કર્યા અને ક્યાંક પ્લાંટરોએ વિરોધ કર્યો તો એ માર્યા ગયા

ભદ્રલોકનો પણ ગળીના ખેડૂતોને ટેકો મળ્યો. ૧૮૬૦માં દીનબંધુ મિત્રાએ ‘નીલ દર્પણ’ નાટક લખ્યું અને એનો અંગ્રેજી અનુવાદ પણ પ્રકાશિત થયો. આથી યુરોપમાં પણ બંગાળના ખેડૂતોની હાલત વિશે લોકોનું ધ્યાન દોરાયું, ૧૮૬૧માં બ્રિટને આની સામે નમતું મૂક્યું અને ગળીના ખેડૂતોની સમસ્યાનો અભ્યાસ કરવા પંચ નીમ્યું. પંચે ૧૩૪ સાક્ષીઓનાં નિવેદનો નોંધ્યાં અને ગળીના વાવેતરમાં થતા શોષણ પર પ્રકાશ પાડ્યો. પરિણામે બંગાળમાં તો ધીમે ધીમે ગળીનું વાવેતર બંધ પડ્યું પણ બિહારમાં ચાલુ રહ્યું તે છેક ૧૯૧૭માં મહાત્મા ગાંધીએ ચંપારણમાં સત્યાગ્રહ કર્યો તે સાથે બંધ થયું.

૦૦૦

સંદર્ભઃ

૧. https://www.britannica.com/topic/Indigo-Revolt

૨. https://www.worldhistory.org/Indigo_Revolt/

૩. https://indianculture.gov.in/stories/indigo-revolt-bengal#

૦૦૦

(૨) એબરડીનની લડાઈ (આંદામાન) અથવા દૂધનાથ તિવારીની દગાબાજી

૧૮૫૯નું વર્ષ ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી માત્ર ગળીના ખેડૂતોના વિદ્રોહ માટે જ નહીં પણ આંદામાન ટાપુ પર ઍબરડીનમાં ગ્રેટ અંડમાનીઝ જાતિએ અંગ્રેજો વિરુદ્ધ છેડેલા યુદ્ધ માટે પણ જાણીતું છે. ૧૮૫૭ પછી આદિવાસીઓના જેટલા બળવા થયા તેમાં ઍબરડીનની લડાઈ સૌથી પહેલી હતી.

આંદામાન ટાપુઓ ત્યારે ‘કાલા પાની” તરીકે ઓળખાતા.  ૧૮૫૭ના  વીરોને કાં તો ફાંસી આપી દેવાતી અથવા કાલા પાની મોકલી દેવાતા. એમને કઠોર પરિશ્રમની ફરજ પાડવામાં આવતી.  જેમને તરીપારની સજા કરાતી તે ફાંસીએ ચડાવેલા લોકો કરતાં વધારે નસીબવાળા નહોતા. મોટા ભાગે તો એક કે બે વર્ષની અવધિમાં અત્યંત જુલમ અને કાળી મજૂરીને કારણે મોતને ભેટતા. કોઈક એવા હતા કે જંગલમાં કામ કરવા જતા ત્યારે ભાગી છૂટવામાં સફળ થતા અને નિષ્ફળ જાય તો ગાર્ડો એમને ગોળીએ દઈ દેતા.  આવા કેદીઓનો સામનો આદિવાસીઓ સાથે થતો. આદિવાસીઓ એમને જોતા અને મોટા ભાગે તો મારી નાખતા. પરંતુ એમને એક વાત સમજાઈ હતી કે તળભૂમિના આ લોકો બે પ્રકારના હતા – એક તો બેડી ડસકલાંવાળા હતા અને  એમની સાથે કોઈ મુક્ત લોકો પણ હતા.  મોટાભાગે તો એ મુક્ત લોકો એટલે કે ગાર્ડોને જ પોતાના તીરકામઠાંનું નિશાન બનાવતા અને બેડીઓમાં ઝકડાયેલા લોકોને ઉપાડી જતા. તે પછી એમનો વ્યવહાર જોઈને એમને પોતાની જાતિમાં ભેળવી લેતા અથવા મોતને ઘાટે ઉતારી દેતા.

આવો એક કેદી દૂધનાથ તિવારી ૧૮૫૮માં આંદામાન પહોંચ્યા પછી બે જ અઠવાડિયાંમાં ભાગવામાં બીજા નેવું કેદીઓ સાથે  સફળ થયો.  એ બધા જંગલમાં ભોજન અને પાણીની શોધમાં ભટકતા હતા ત્યારે આંદામાનીઓએ એમને જોઈ લીધા અને બધાને  મારી નાખ્યા પણ દૂધનાથ  અને બીજા બે કેદી બચી ગયા અને ભાગી છૂટ્યા. એમને પણ ગંભીર ઈજાઓ થઈ હતી, પણ જંગલમાં ભટકતા રહ્યા.  ફરી એમનો ભેટો આંદામાની સ્ત્રીઓ અને બાળકોના એક જૂથ સથે થયો. ભારે સકહ્ત હુમલામાં બે જણ મર્યાગયા પણ દૂધનાથ મરવાનો ડોળ કરીને પડ્યો રહ્યો.

હવે એને જીવતો જોઈને આંદામાનીઓને નવાઈ લાગી અને મારી નાખવાની તૈયારી કરતા હતા પણ દૂધનાથે દયાની ભીખ માગી એટલે એને  બદલે એને પોતાની સાથે લઈ ગયા અને એને મિત્ર માન્યો. એ એમની સાથે જંગલમાં ખાવાનું શોધવા કે શિકાર કરવામાં પણ સાથે જતો. એમની ચર્ચાઓ અને લડાઈની તૈયારીઓમાં પણ સામેલ થવા લાગ્યો.  જૂથ સાથે ભટકતાં એ જંગલના રસ્તાઓનો ભોમિયો બની ગયો અને આંદામાનીઓની ભાષા પણ શીખી ગયો. પરંતુ હજી એને  શસ્ત્રાગાર સુધી જવા નહોતા દેતા. એમ ઘણા મહિના કાઢ્યા પછી. આંદામાનીઓને દૂધનાથ પર સંપૂર્ણ ભરોસો બેઠો. એમણે પોતાની જાતિની જ એક છોકરી સાથે એને પરણાવી દીધો.

આંદામાનીઓ સાથે લગભગ એક વર્ષ રહ્યા પછી એને ખબર પડી કે  એમણે ઍબરડીનમાં અંગ્રેજોની છાવણી પર હુમલો કરવાની યોજના બનાવી છે. દૂધનાથને એમાં પોતાની મુક્તિ જોવા મળી.

એ પણ હુમલા માટે જતા જૂથ સાથે હુમલા માટે જોડાયો. પરંતુ છેલ્લી ઘડીએ એ સૌની નજર બચાવીને અંગ્રેજો પાસે પહોંચી ગયો અને એમને સાવધ કરી દીધા. આદિવાસીઓ  હુમલો કરે તે પહેલાં જ અંગ્રેજી ફોજ તૈયાર થઈ ગઈ.  તીરકામઠાં બંદુકો અને તોપો સામે નિષ્ફળ ગયાં અને હજારો આંદામાનીઓ માર્યા ગયા.  અંગ્રેજોએ એને પોતાની સાથે લઈ લીધો અને એની જનમટીપની સજા માફ કરી.

સવાલ એ છે કે દૂધનાથ ને અંગ્રેજોએ જ સજા કરીને આંદામાન મોકલ્યો હતો. તે પછી એને આદિવાસીઓએ માનભેર સ્વીકાર્યો. તેમ છતાં એણે એમને દગો દીધો અને એના શોષક અંગ્રેજોની સાથે મળી ગયો.  કદાચ એને  અંગ્રેજો વધારે પોતાના જેવા લાગ્યા!

ગમે તેમ, આ આપણા જેવા સુધરેલાઓના માથે એક કલંક છે.

માનો કે અંગ્રેજોએ એની સજા માફ ન કરી હોત તો એ કઈ રીતે બચી શક્યો હોત?

૦૦૦

સંદર્ભઃ

https://utkarshrai.com/battle-of-aberdeen-andaman-1859-ad/