પંજાબમાં કૂકા વિદ્રોહ
૧૮૫૮થી ૧૯૪૭ સુધીમાં દેશમાં ચોવીસ આદિવાસી વિદ્રોહ થયા. બધામાં અદિવાસીઓ પોતાની જમીન અને જંગલને બચાવવા માટે સંઘર્ષ કરતા રહ્યા. છેક આદિમ જીવન ગાળનારા આંદામાનીઓ પણ તળભૂમિના નિવાસીઓમાં કોણ મુખ્ય શત્રુ છે તે સમજી શક્યા હતા. ઝો જાતિના મિઝો, ચિન અને કૂકી, નાગા, આંદામાનના સેંટીનેલીસ – બધા જ પોતાની સ્વતંત્ર જીવન શૈલી બચાવવા માટે સતત અને વારંવાર બ્રિટિશ સત્તા સાથે ટકરાયા. આ બધાની વિગતોમાં સમાનતા છે અને બહુ ઓછી વિગતો મળે છે એટલે એમાં બહુ ઊંડા ઊતરવું શક્ય નથી. આપણે એ વીરોને સલામ કરીને ૧૮૭૧-૭૨ના પંજાબમાં જઈએ.
પંજાબમાં નામધારી શીખોનો વિદ્રોહ ‘કૂકા વિદ્રોહ’ તરીકે ઇતિહાસમાં જાણીતો છે. એમાં ધર્મનું તત્ત્વ હોવાથી એને લાંબા સમય સુધી સ્વતંત્રતા માટેના સંઘર્ષ તરીકે માન્યતા આપવી કે કેમ તેના વિશે વિવાદ રહ્યો. છેલ્લાં કેટલાંક વર્ષોંમાં એને સ્વતંત્રતા માટેના વિદ્રોહ તરીકે માન્યતા મળી છે.
મહારાજા રણજીત સિંહનું મૃત્યુ અને પંજાબ
મહારાજા રણજીત સિંહે પોતાના રાજ્યનો વિસ્તાર કરવાનું શરૂ કર્યું તે જ સમયથી ઈસ્ટ ઇંડિયા કંપનીની તાકાતને ઓળખી લીધી હતી. એમને લાગતું હતું કે ભવિષ્યમાં કોઈ ખતરો પેદા થાય તો તે કંપનીનો જ હશે. આથી એમણે કંપની સાથે સારા સંબંધો રાખ્યા હતા. ૧૮૨૯થી ૧૮૩૯નો દાયકો મહારાજા રણજીત સિંહની સત્તાનો છેલ્લો દાયકો હતો. લથડતી તબીયતને કારણે એ જોઈ શક્યા કે પંજાબ એમના હાથમાંથી સરકી જશે. જો કે એમની હયાતીમાં એવું કંઈ ન થયું, પરંતુ તે પછી અંગ્રેજોએ શીખોને હરાવ્યા, ૨૯મી માર્ચ ૧૮૪૯ના રોજ બન્ને પક્ષો વચ્ચે સંધિ થઈ અને અંગ્રેજોએ પંજાબમાં પોતાની આણ સ્થાપી.
અંગ્રેજો એ તરત જ પંજાબમાં ભારતીય સંસ્કૃતિ પર હુમલો કરતા હોય તેમ બે બાબતો પર ખાસ ભાર મૂક્યો. એક તો, એમણે ગૌહત્યા પર પ્રતિબંધનો કાયદો રદ કર્યો, પરિણામે ગોમાંસ ખુલ્લા બજારમાં મળતું થઈ ગયું. બીજું એમણે ખ્રિસ્તી પાદરીઓનો ફેલાવો કર્યો. આથી ઠેર ઠેર વટાળ પ્રવૃત્તિએ જોર પકડ્યું.
કૂકા એટલે શું?
નામધારી શીખોના પંથના સ્થાપક સદગુરુ રામ સિંહ જી મહારાજ સામાન્ય માણસનું જીવન જીવતા હતા અને પિતાની લોહારની કોઢ સંભાળતા. તે પછી એ ખાલસા ફોજમાં પણ જોડાયા. લશ્કરમાં એમણે શીખોનું પતન જોયું. બીજી બાજુ પાદરીઓના વધતા પ્રભાવને કારણે એ બહુ વ્યથિત હતા. ૧૮૫૭ની ૧૨મી ઍપ્રિલે એમણે પાંચ શિષ્યોને દીક્ષા આપી અને ત્રિકોણિયો સફેદ ધ્વજ ફરકાવ્યો. એમણે પાંચ શિષ્યોને સ્વતંત્રતા માટે લડવાનું વ્રત લેવડાવ્યું. પરંતુ એમણે સ્વદેશી, અસહકાર અને અહિંસા પર ખાસ ભાર મૂક્યો.
નામધારી શીખો જાપ કરતાં વચ્ચે પક્ષીઓની જેમ ટહુકાર (કૂક) કરતા એટલે કૂકા તરીકે ઓળખાવા લાગ્યા. કૂકાઓ કોઈ પણ સાધુસંતને ગુરુ ન બનાવી શકે, કોઈ દેવીદેવતાની પૂજા ન કરી શકે અને સાત્ત્વિક ભોજન જ લઈ શકે. વસ્ત્રો પણ સફેદ જ પહેરી શકે અને તે પણ હાથ કંતામણ અને હાથ વણાટનાં. સદગુરુએ નામધારીઓ માટે પાંચ કક્કા (કેશ, કંઘી, કડા, કચ્છા અને કિરપાણ) ફરજિયાત બનાવ્યા. કૂકા પંથ ફેલાતાં લોકો પ્રાચીન મૂલ્યો તરફ વળવા લાગ્યા અને વસ્ત્રોના નિય,મને કારણે બ્રિટિશ કાપડના વેપારને પણ ધક્કો લાગ્યો. સામાન્ય શીખ પણ પંજાબ સરકારથી ત્રાસેલો હતો. સ્યાલકોટના ડેપ્યુટી કમિશનરનો ૧૮૬૨નો એક રિપોર્ટ દેખાડે છે કે બાબા રામ સિંહ લોકોને લાઠીની તાલીમ આપતા હતા અને કહેતા હતા કે એમના પાંચ હજાર અનુયાયીઓ હતા. સરકારે આના પરથી અનુમાન કર્યું કે એકલા સ્યાલકોટ જિલ્લામાં પાંચ હજાર અનુયાયી હોય તો આખા પંજાબમાં એમની સંખ્યા બહુ મોટી થઈ જાય. સદરુરુ આખા પંજાબમાં ફરતા એપણ સરકાર ની શંકાનું કારણ હતું.આમ કૂકા આંદોલન ધાર્મિક હોવા છતાં સરકારની નજરે એની વ્યાપક અસર હતી. ફરીદકોટ અને સંગરૂરના રાજવીઓને પણ કૂકા પંથ આંખના કણાની માફક ખૂંચવા લાગ્યો હતો.
દરમિયાન ગુરુએ અફઘાનિસ્તાનના અમીર અને કાશ્મીર અને નેપાલના રાજાઓ સથે પણ સંબંધ વિકસાવ્યા હતા. અને ગુરુ રામ સિંહ ખ્રિસ્તીઓને વિદેશી ગણતા હતા એટલે સરકાર સાથે ટક્કર ટાળી શકે તેમ નહોતા.
અંતે બ્રિટિશ સરકારે રામ સિંહને રંગૂન મોકલી દેવાનું નક્કી કર્યું.
મલેરકોટલા
મલેરકોટલા નવાબ શેર મહંમદનું ૬૮ ગામોનું એક નાનું રજવાડું હતું. ત્યાં ગૌહત્યાની છૂટ હતી. શીખો આ કારણે એનાથી નારાજ હતા. એના મૃત્યુ પછી એના સગીર વયના પુત્રને ગાદી મળી. અંગ્રેજ રેસિડેંટ બધો વહી વટ સંભાળતો. એક વખત એક નામધારી સરપંચે રસ્તામાં એક મુસ્લિમ બકાલીને જોયો. બળદ પર ગાજર લાદેલાં હતાં અને એ પોતે પણ ગાજર ખાતો એના પર બેઠો હતો. શીખ નેતાએ એને બળદ પર દયા ખાવા વિનંતિ કરી. બકાલી ગુસ્સે થયો અને પોલીસ સ્ટેશને પહોંચ્યો. ત્યાં અફસરે શીખની સામે જ બળદને વધેરી નાખ્યો. આ જાણીને કૂકાઓ ક્રોધે ભરાયા અને બાબા રામસિંહના વારવા છતાં તલવારો ખેંચીને મલેરકોટલા તરફ નીકળી પડ્યા. એમણે ત્યાં જઈને શાંતિથી વાત કરીને રસ્તો કાઢવા માટે ડેપ્યુટી કમિશનરને મળ્યા પણ કંઈ વળ્યું નહીં. મુસલમાનો અને ખ્રિસ્તીઓ એક તરફ અને કૂકાઓ બીજી તરફ. અંગ્રેજ સરકાર કૂકાઓની વિરુદ્ધ તો હતી જ.
સામસામી ઝપાઝપીમાં સાત કૂકા માર્યાગયા. પછી કૂકાઓ પણ આક્રમણ કરવા લાગ્યા. અંગ્રેજ ઇનચાર્જ એલ. કોવને બીજા સાડાસાતસો સૈનિકોને બોલાવ્યા અને બધા કૂકાઓને પકડી લીધા. સાત તોપો ગોઠવી અને બધાને ઉડાવી દીધા.
કૂકાઓની શહીદી ઇતિહાસમાં અમર થઈ ગઈ છે.
સંદર્ભઃ
Satguru Ram Singh and Kuka Movement originally in Punjabi by Tara Singh Anjan, Translated into English by Rattan Saldi. Publication Division, 2018