Martyrs of Indian Freedom Struggle [8] – Tilka Manjhi

તિલકા માંઝી

અંગ્રેજો વિરુદ્ધ મોરચો માંડનારા આદિવાસીઓમાં તિલકા માંઝીનું નામ બહુ આગળપડતું છે. છોટા નાગપુરના પ્રદેશમાં આદિવાસીઓના બળવા અનેક થયા તેની પહેલ કરનારા તિલકા માંઝી હતા. બિહારના સુલતાનપુરના તિલકપુર ગામના  પહાડિયા આદિવાસી પરિવારમાં ૧૭૫૦માં એમનો જન્મ થયો. એમનું નામ તો  ‘જબરા પહાડિયા’ હતું.  પણ એમને અંગ્રેજોએ તિલકા માંઝી નામ આપ્યું. માંઝી એટલે મુખી.  તિલકા એટલે ગુસ્સાવાળો. એમનો સંઘર્ષ પણ ઈસ્ટ ઇંડિયા કંપનીએ જંગલોનો વિનાશ શરૂ કર્યો એના વિરોધમાં શરૂ થયો.

તિલકા માંઝીએ શરૂઆતમાં તો અંગ્રેજોને વફાદાર હોવાનો દેખાવ કર્યો અને ભાગલપુરના કલેક્ટર ક્લીવલૅંડે બનાવેલી ‘પહાડિયા હિલ રેન્જર્સ’માં પણ જોડાયા. ત્યાંથી ભાગીને ૨૧ વર્ષની ઉંમરે એમણે પહાડિયા સરદારોના વિદ્રોહનું નેતૃત્વ સંભાળી લીધું અને અંગ્રેજો પર છત્રપતિ શિવાજીની જેમ છાપામાર યુદ્ધ આદર્યું.  ૧૭૭૧થી ૧૭૮૪નાં ચૌદ વર્ષ દરમિયાન એમણે અંગ્રેજોને નિરાંતનો શ્વાસ લેવા ન દીધો. .

છોટા નાગપુરના જંગલના ઇલાકામાં રામગઢનું રાજ્ય હતું એ ચૌદમી સદીમાં બન્યું પણ તે પછી એના રાજાઓ મોગલોને ખંડણી ચુકવતા હતા. મોગલ બાદશાહ શાહ આલમ બીજાએ ૧૭૪૦માં ઈસ્ટ ઇંડિયા કંપનીને રામગઢની ખંડણી વસૂલ કરવાનો અધિકાર આપ્યો હતો. અંગ્રેજોએ ત્યાં પોતાની ફોજ ગોઠવી દીધી હતી. પણ ૧૭૭૮માં તિલકા માંઝીએ હવે એના પર જ નિશાન સાધ્યું. એમની સરદારી હેઠળ પહાડિયા સરદારોએ એવો જોરદાર હુમલો કર્યો કે એમનાં તીરકામઠાં સામે અંગ્રેજોનાં આધુનિક હથિયારો ટકી ન શક્યાં અને એમને કિલ્લો છોડીને ભાગવું પડ્યું.

૧૭૮૪માં એમણે ક્લીવલૅંડ પર જ હુમલો કરીને એને મારી નાખ્યો. પણ અંતે એ અંગ્રેજોના હાથમાં સપડાઈ ગયા. આદિવાસીઓના સંઘર્ષ વિશે બહુ માહિતી નથી મળતી હોતી, માત્ર વારસામાં મળેલી વાતો જ મુખ્ય આધાર બને છે. એ પ્રમાણે એમને ઘોડા સાથે બાંધીને ઘસડતાં ઘસડતાં ભાગલપુર લઈ આવ્યા અને એક ચોકમાં વડના ઝાડ પર લટકાવીને ફાંસી આપી દેવાઈ. કિંવદંતી છે કે ફાંસી વખતે મોટા અવાજે એ ગાતા રહ્યાઃ “હાંસી હાંસી ચઢબો ફાંસી!”

તિલકા માંઝીને વંદન.

૦૦૦

Martyrs of Indian Freedom Struggle [7] – King Cheyt Sing of Varanasi

વારાણસીના રાજા ચૈત સિંહનો વિદ્રોહ

વારાણસી આમ તો અવધના નવાબ હેઠળ હતું પણ એના જાગીરદાર બલવંત સિંહે પોતાના માટે ‘રાજા’ બિરુદ પસંદ કર્યું હતું. બલવંત સિંહના અવસાન પછી ચૈત સિંહે સત્તા સંભાળી. એ વખતે વૉરેન હેસ્ટિંગ્સ ભારતનો ગવર્નર જનરલ હતો. એ મૈસૂરના હૈદર અલી સામે યુદ્ધે ચડ્યો હતો અને આ યુદ્ધ માટે એણે ખાસ કર નાખ્યો હતો. અંગ્રેજોની પઠાણી ઊઘરાણીઓથી કંટાળીને અવધ નવાબે વારાણસી અને બીજા કેટલાક ઇલાકા કંપનીને સોંપી દીધા. આના પછી ૧૭૭૮ અને ૧૭૭૯માં હેસ્ટિંગ્સે વારાણસીના રાજા ચૈત સિંહ પાસેથી દર વર્ષે પાંચ-પાંચ લાખ રૂપિયા કરને નામે પડાવી લીધા હતા. એક કરાર હેઠળ રાજાએ ૫૦ લાખ રૂપિયા આપવાના હતા પણ એની કુલ વાર્ષિક આવક માત્ર ૨૪ લાખ રૂપિયા હતી. અંતે એમણે કંપનીને ના પાડી દીધી અને અંગ્રેજોથી નારાજ તત્ત્વો સાથે ગુપ્ત વાતચીતો શરૂ કરી દીધી. એમની યોજના તો કંપની પર હુમલો કરવાની હતી પણ કંપનીને એની બાતમી મળી ગઈ.[1]

અંગ્રેજોએ ચૈત સિંહ પર બમણા જોરથી હુમલો કર્યો. હેસ્ટિંગ્સ પોતે જ પૈસા વસૂલ કરવા માટે વારાણસી આવ્યો અને થોડા હિન્દુસ્તાની સૈનિકોની ટુકડી મોકલીને ચૈત સિંહને એના જ ઘરમાં નજરકેદ કરી લીધા.  ચૈત સિંહને બીજા જાગીરદારોની મદદ મળવાની આશા હતી પણ એ આશા ઠગારી નીવડી. ચૈત સિંહ કંઈ જ વિરોધ કર્યા વિના શરણે થઈ ગયા.

પરંતુ એને સજા થઈ હોવાના સમાચાર ફેલાતાં લોકોમાં ઉશ્કેરાટ વધી ગયો અને એમણે કિલ્લા પર હુમલો કરી દીધો, અંગ્રેજી ફોજનો જે સૈનિક નજરે ચડ્યો તેને મોતને ઘાટે ઉતારી દીધો. ચૈત સિંહને જ્યાં કેદ રાખ્યો હતા ત્યાં લોકો પહોંચી ગયા. એમણે પાઘડીઓ જોડીને દોરડું બનાવ્યું અને ચૈતસિંહને પાછલી બારીએથી ભગાડીને સહીસલામત અવધ પહોંચાડી દીધા. હૅસ્ટિંગ્સ પાંચસો સૈનિકો સાથે આવ્યો હતો  વારાણસીના કબીર ચૌરાના માધો દાસ ગાર્ડનમાં રોકાયો હતો. પણ એના પચાસ માણસો લોકો સાથેની લડાઈમાં માર્યા ગયા. હેસ્ટિંગ્સ આ સ્થિતિ જોઈને ત્યાંથી  હાથી પર બેસીને છૂપા વેશે ભાગી ગયો અને ચુનારના કિલ્લામાં સલામત પહોંચી ગયો.

અવધમાં રાજા ચૈત સિંહને થોડી જાગીર મળી. પરંતુ અંતે એ ગ્વાલિયર જઈને ઠરીઠામ થયા અને ૧૮૧૦ની ૨૯મી માર્ચે એમનું અવસાન થયું.

વારાણસીના રાજાને સફળતા ન મળી એનું કારણ એ કે એમને બીજા જાગીરદારોનો સાથ ન મળ્યો, જો કે, સામાન્ય જનતા એમની સાથે હતી.

બિહારમાં અસર

પરંતુ ચૈત સિંહે હૅસ્ટિંગ્સની સામે જે મક્કમતા દેખાડી તેની અસર બિહાર (આજના ઝારખંડ સહિત)ના રાજાઓ પર પડી અને એમણે પણ કંપની વિરુદ્ધ કમર કસી લીધી. આમાં પવાઈના નારાયણ સિંઘ અને નરહત સમાઈના જમીનદાર ઈકબાલ અલી ખાને આગળપડતી ભૂમિકા ભજવી.  મહેસૂલ પૂરતું ન ચુકવવા બદલ ઘણા જમીનદારોને કંપનીએ જેલમાં પૂરી દીધા હતા. તે બધા હવે એકઠા થયા અને અંગ્રેજોની ફોજી ટુકડીઓ માટે માથાનો દુખાવો બની ગયા. પરંતુ   ચૈત સિંહની જગ્યાએ એના ભત્રીજાને ગોઠવી દીધા પછી કંપનીએ એની પાસેથી ૪૦ લાખ રૂપિયા વસૂલ કરવાનો હુકમ આપ્યો. આની પણ બિહારમાં બહુ નકારાત્મક અસર રહી અને જમીનદારો ૧૭૯૦માં ફરી આકારણી થશે ત્યારે એમનો ભાગ વધે એવી લાલચમાં ફરી કંપનીનાં ચરણ ચાંપતા થઈ ગયા.

આપણે વારાણસીના આ વીર સમક્ષ માથું નમાવીએ.

0x0x0

[1]

%d bloggers like this: