Martyrs of Indian Freedom Struggle [16] – Ulgulan of Birsa Munda

બિરસા મુંડાનો ઉલગુલાન

આપણા ઇતિહાસમાં ૧૮૯૯માં બિરસા મુંડાના બળવો બહુ મહત્ત્વનો હતો. નોંધવા જેવી વાત એ છે કે ૧૮૫૭ પછી ઇંગ્લેંડે સીધી જ સત્તા સંભાળી લીધી હતી અને ૧૮૮૫માં કોંગ્રેસની સ્થાપના પણ થઈ ગઈ હતી. રેલવેનો સારો વિકાસ થઈ ગયો હતો. આદિવાસી વિસ્તારોમાં મિશનરીઓ ઘૂસી ગયા હતા અને આદિવાસીઓ માટે એમણે સ્કૂલો ખોલી હતી અને વટાળ પ્રવૃત્તિ જોરમાં હતી. સરકાર પણ મિશનરીઓને નાણાં અને રક્ષણ આપતી હતી. આ સંયોગોમાં બિરસા મુંડાએ આદિવાસીઓને એકઠા કર્યા, એમને સ્વમાનના પાઠ શીખવ્યા અને ઉલગુલાન માટે તૈયાર કર્યા. ઉલગુલાન મુંડારી ભાષાનો શબ્દ છે અને એનો અર્થ સંઘર્ષ કે વિદ્રોહ એવો થાય છે.

૧૮૭૫ની ૧૫મી નવેમ્બરે આજના ઝારખંડના ખૂંટી ગામે થયો. બાળપણથી એમની બુદ્ધિબળ દેખાવા લાગ્યું હતું. પણ માબાપ મજૂરી માટે બીજે ગામ જતાં છ વર્ષના બિરસાને  મામાને ઘરે રહેવું પડ્યું. તે પછી માશી પરણી તે એને પોતાની સાથે ચાઇબાસા લઈ ગઈ. ચાઈબાસામાં  એને મિશનરી સ્કૂલમાં દાખલ કરી દેવાયો. મિશનરીઓએ દસ વર્ષના આ બાળકની પ્રતિભાને પિછાણી અને એને ખ્રિસ્તી બનાવી દીધો. એ હવે ડેવિડના નામે ઓળખાવા લાગ્યો. પણ વર્ગમાં એક પાદરી મુંડાઓ માટે ખરાબ બોલ્યો ત્યારે બિરસા વર્ગ છોડીને બહાર નીકળી ગયો અને સ્કૂલના બધા શિક્ષક પાદરીઓને ખૂબ ભાંડ્યા. એને કહ્યું, “સાહેબ સાહેબ એક ટોપી” એટલે કે સરકારી અફસર હોય કે પાદરી બધા સરખા. આના પછી એને સ્કૂલમાં તો પાછા લેવાનો સવાલ જ નહોતો.

બિરસાએ ખ્રિસ્તી ધર્મ છોડી દીધો અને પોતાના ‘સરના’ ધર્મમાં પાછો આવ્યો.

૧૮૯૩–૯૪માં અંગ્રેજ સરકારે જંગલોની વચ્ચે આવેલાં ગામો, ખેતીની જમીન અને પડતર જમીનની હદબંધી કરી દીધી. એની બહારનાં જંગલોમાં સરકારે લોકોના હકદાવા પર નિયંત્રણો મૂકવાનું શરૂ કરી દીધું. મુંડાઓએ અરજીઓ કરી, છ ગામોના લોકો એકઠા થયા અને સરકાર સમક્ષ માગણીઓ મૂકી કે જંગલ પર એમનો પેઢી-દર-પેઢીનો અધિકાર છે પણ સરકારે ન માન્યું. બિરસાનું વ્યક્તિત્વ આકર્ષક હતું; છટાદાર ભાષણો કરતો એટલે આદિવાસીઓ એની પાછળ એકઠા થવા લાગ્યા અને એ આંદોલનનો મુખ્ય સૂત્રધાર બની ગયો.

તે દરમિયાન એ એક વૈષ્ણવ સાધુના સંપર્કમાં આવ્યો અને હિન્દુ ધર્મથી પરિચિત થયો.  તુલસીમાતા અને વિષ્ણુ ભગવાનનો ભક્ત પણ બન્યો અને જનોઈ ધારણ કરતો થયો. એક કથા એવી છે કે વિષ્ણુ ભગવાન એને સપનામાં આવ્યા અને એને રાજ કરવાનો આદેશ આપ્યો. બિરસાએ પોતાને ભગવાને મોકલેલો દૂત જાહેર કર્યો અને કહ્યું કે હવે અંગ્રેજી રાજ ગયું અને મુંડા રાજ પાછું આવ્યું. મુંડાઓ એને ’ધરતી અબા’ (ધરતીના પિતા) તરીકે ઓળખવા લાગ્યા. એણે હવે બદીઓથી દૂર રહેવાની મુંડાઓને મનાઈ કરી દીધી.

આદિવાસીઓના રોષને દબાવવા માટે એક રાતે બિરસાની ધરપકડ કરી લેવાઈ. એને બે વર્ષની જેલાની સજા કરવામાં આવી.

સજા ભોગવ્યા પછી બિરસાએ પાછા આવીને ઉલગુલાન (સંઘર્ષ કે વિદ્રોહ) શરૂ કરી દીધો આંદોલન) જે બે વર્ષ ચાલ્યો. એમની દોરવણી નીચે આદિવાસીઓએ બે વર્ષમાં બ્રિટિશ હકુમતનાં કામ થતાં એવાં સોએક ભવનો પર હુમલા કર્યા અને બ્રિટિશ સત્તાને હંફાવી.

૧૮૯૯ની ૨૫મી ડિસેમ્બર – ક્રિસમસની રાતે સાત હજાર મુંડા ડોમ્બારીની ટેકરી પર ભેગા થયા અને એક ચર્ચ પર હુમલો કર્યો. આમાં બે સિપાઈ માર્યા ગયા. ૧૯૦૦ની પાંચમી જાન્યુઆરી સુધીમાં તો ઠેર ઠેર મુંડા રાજની આણ ચોમેર વર્તાઈ ગઈ.

અંતે, એની સામે ભારે હથિયારોથી સજ્જ દળકટક મોકલવામાં આવ્યું. મુંડાઓ પરાજિત થયા. પોલીસે ભારે ગોળીબાર કરીને ચારસો મુંડાઓ અને ઓરાઓંને મારી નાખ્યા અને એમની લાશો પણ ખાઈઓમાં ફેંકી દીધી. બિરસા તો ત્યાંથી ભાગીને સિંઘભૂમના ટેકરિયાળા પ્રદેશમાં છુપાઈ ગયા હતા પણ ૧૯૦૦ની ત્રીજી માર્ચે એ પકડાઈ ગયા.

એમના ૪૮૨ સાથીઓ સામે કેસ ચાલ્યો. એકને દેહાંતદંડ અપાયો. કેટલાયને કાળા પાણીની સજા થઈ. કેટલાયને ૧૪ વર્ષની જેલ મળી. કમનસીબે એ અરસામાં કૉલેરા ફેલાયો અને એ રાંચીની જેલમાં પણ પહોંચ્યો. બિરસા પણ એમાં ઝડપાયા અને ૧૯૦૦ની ૯મી જૂને  એમનું મૃત્યુ થઈ ગયું. મૃત્યુ સમયે એમની ઉંમર માત્ર ૨૪ વર્ષ અને  ૭ મહિનાની હતી.

બિરસા મુંડાનો પ્રભાવ એટલો બધો હતો કે આજે પણ  બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના આદિવાસીઓ બિરસા મુંડાને ભગવાન માને છે. આપણે પણ એમની સ્મૃતિમાં નતમસ્તક થઈએ.

૦૦૦

Martyrs of Indian Freedom Struggle [15] – Bhill Uprising – Bhagoji Naik

ભીલોનો વિદ્રોહ

૧૮૫૭નું રણશિંગું ફુંકાઈ ગયું હતું ત્યારે ઈસ્ટ ઇંડિયા કંપનીને અજાણ્યે ખૂણેથી વિદ્રોહનો સામનો કરવો પડ્યો. સાત હજાર ભીલો નાશિક અને અહમદનગર વચ્ચે એકઠા થયા. પાડોશમાં નિઝામનું રાજ્ય હતું ત્યાંથી કોઈ હુમલો ન થાય તે માટે સરહદે અંગ્રેજી ફોજ ગોઠવાયેલી હતી. મોટાં શહેરો પર ભીલો હુમલા કરી શકે છે એવા સમાચાર પણ હતા એટલે બ્રિટિશ સેના સાવધ હતી. ભીલોને દબાવવાની મુખ્ય જવાબદારી પોલીસ દળની હતી અને એક વખતના વિદ્રોહી કોળીઓ હવે અંગ્રેજોના વફાદાર સિપાઈ બનીને ભીલો સામે ગોઠવાયેલા હતા. આ વખતે ભગોજી નાયકે ભીલોને સંગઠિત કરવાની શરૂઆત કરી. ભગોજી પહેલાં અહમદનગરના પોલીસ ખાતામાં અફસર હતા પણ ૧૮૫૫માં એમને બળવો કરવા અને સરકારી કામમાં દખલ દેવા માટે જેલની સજા કરવામાં આવી હતી પણ જેલમાં સારી વર્તણૂક બદલ એમને છોડી મૂકવામાં આવ્યા હતા. એક વર્ષ સુધી તો એમને પોતાના જામીન આપવા પડ્યા પણ વર્ષ પૂરું થયું ત્યારે કંપની સરકારે ગામડાંઓમાંથી લોકોનાં હથિયારો લઈ લેવાનો હુકમ કરી દીધો હતો.

                                           ભગોજી નાયક

આથી ભગોજીને લાગ્યું કે ગામ છોડી દેવું જોઈએ. એ ત્યાંથી નીકળી ગયા. પણ એમની અસર બહુ સારી હતી એટલે ભીલો એમની વાત માનતા. એમણે તરત પચાસ જણને એકઠા કર્યા અને પૂણે-નાશિક રોડ  પર અડ્ડો જમાવ્યો.

એક અંગ્રેજ ઑફિસરે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે ભીલોની સ્ત્રીઓ પણ પુરુષો જેવી જ છે અને અશાંતિ ફેલાવે છે. આ જ સ્ત્રીઓ બળવાખોરોને ખાવાપીવાનો સામાન પહોંચાડે છે, એટલું જ નહીં, પોતે પણ લડવામાં પાછીપાની નથી કરતી. એટલે જ્યાં સુધી ભગોજી અને બીજા નાયકો પકડાય નહીં ત્યાં સુધી સ્ત્રીઓને બાન પકડી લેવી જોઈએ!

જો કે એમણે એવું તો ન કર્યું પણ ભગોજી સાથે વાતચીત કરવા માટે એક ટુકડી મોકલી.  ભગોજીએ ના પાડી અને કહ્યું એક એમનો બે વર્ષનો ચડત પગાર સરકાર ચૂકવી આપશે તો એ હથિયાર હેઠાં મૂકી દેશે. એટલે હવે પોલીસ ટુકડી મોકલવાનું નક્કી થયું. એ નજીક આવે અને કંઈ કરી શકે તે પહેલાં જ વિદ્રોહીઓએ હુમલો કરી દીધો, કંપનીની ટુકડીનો એક સિપાઈ ત્યાં જ મરણ પામ્યો. ટુક્ડીના સરદાર લેફ્ટેનંટ હેનરીને પણ તીર વાગ્યું અને  એ ઘાયલ થઈ ગયો. તેમ છતાં એ આગળ વધ્યો. ત્યાં તો એક તીર એને છાતીમાં વાગ્યું અને ઢળી પડ્યો. હવી લેફ્ટેનન્ટ થૅચરે ટુકડીનું સુકાન સંભાળી લીધું. એના હુમલા સામે ભીલોના પગ ઊખડી ગયા.

પણ ભીલોને હારતા જોઈને આખી ભીલ કોમ ઊકળી ઊઠી. એ વખતે પાથરજી નાયકે એકસો  ભીલોને એકઠા કર્યા. જો કે એક હિન્દી ડેપ્યુટી કલેક્ટરના સમજાવવાથી એ ભીલો શરને આવી ગયા.

આ બાજુ ભગોજીએ લડાઈ ચાલુ રાખી. પણ અંગ્રેજોએ કોળીઓની મદદથી એમનો સામનો કર્યો. ૧૮૫૯ સુધી ભીલો હુમલા કરતા રહ્યા.  ૧૮મી ઑક્ટોબરે કોળીઓના વળતા જવાબમાં ભગોજીના દીકરા યશવંત અને બીજા એક ભીલ નેતા હરજી નાયક માર્યા ગયા. તે પછી પણ ભગોજીએ ૨૬મી ઑક્ટોબરે કોપરગાંવના કોઢાલા ગામને લૂંટી લીધું. અંતે ૧૧મી નવેંબરે ભગોજીના ભીલો અને સરકારી ટુકડી વચ્ચે હાથોહાથની લડાઈ થઈ. એમાં ભગોજી અને એમના કેટલાયે સાથીઓનાં મોત થયાં. આમ બળવાનો અંત આવ્યો.

0x0x0

૧૭૫૭થી માંડીને ૧૯૪૫ સુધી આદિવાસીઓ અને સામાન્ય માણસોએ સાઠ જેટલા  બળવા કર્યા, બધા વિશે લખી શકાય એવી આધારભૂત માહિતી પણ નથી મળતી. એટલે આપણે આવતા અંકમાં આદિવાસીઓના સૌથી પ્રખ્યાત નેતા બિરસા મુંડાએ ૧૮૯૯માં કરેલા વિદ્રોહની નોંધ લઈશું અને તે પછી ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામના બહાદુરોને યાદ કરીશું.

0x0x0

%d bloggers like this: