ચૌરી ચૌરા
જલિયાંવાલા બાગના હત્યાકાંડ પછી પણ સરકારે રૉલેટ ઍક્ટની બાબતમાં જરાય ઢીલ ન આપી. જલિયાંવાલા બાગે દેશની હવા બદલી નાખી હતી. લોકોમાં રોષ વધતો જતો હતો. આની સામે કંઈક કરવું જોઈએ એમ વિચારીને ગાંધીજીએ કોંગ્રેસ સમક્ષ નાગરિક અસહકારનો વિચાર મૂક્યો. નાગરિક અસહકારમાં વિદેશી કાપડનો સદંતર બહિષ્કાર કરવાનો હતો. તે ઉપરાંત દારુબંધી પર પણ ગાંધીજીએ ભાર આપ્યો. એમણે બારડોલીના સત્યાગ્રહની જેમ સત્યાગ્રહી ફૉર્મ તૈયાર કર્યું. જે નાગરિક અસહકારમાં સક્રિયપણે ભાગ લે એણે આ ફૉર્મ ભરવાનું હતું. આંદોલન બહુ જોરદાર રહ્યું અને ઑગસ્ટ ૧૯૨૧થી ફેબ્રુઆરી ૧૯૨૨ સુધીમાં ત્રીસ હજાર માણસો જેલમાં પહોંચી ગયા.
લોકોનું જોશ ઓસરવાનું નામ જ નહોતું લેતું. આંદોલન અહિંસક રીતે ચાલતું હતું એટલે સરકાર પાસે પણ કંઈ રસ્તો નહોતો.
ચૌરી ચૌરાની ઘટના આવા વાતાવરણમાં બની. ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાનું આ નાનું નગર પણ સત્યાગ્રહની હવાથી વણસ્પર્શ્યું નહોતું રહ્યું. ૧૯૨૨ની બીજી ફેબ્રુઆરીએ એક નિવૃત્ત સૈનિક ભગવાન આહિરની આગેવાની હેઠળ લોકો બજારમાં આવેલી દારુની દુકાનો બંધ કરાવવા આગળ વધ્યા. પોલીસે એમને રોક્યા અને મારીને પીછેહઠ કરવાની ફરજ પાડી. કેટલાય આગેવાનોને પકડી લઈને લૉક-અપમાં પૂરી દેવાયા.
બે દિવસ પછી ચોથી તારીખે બે-અઢી હજારની ભીડ ફરી એકઠી થઈ અને બજાર તરફ કૂચ કરી. સ્થિતિને કાબુમાં લેવા માટે હથિયારબંધ પોલીસની ટુકડી મોકલવામાં આવી. લોકો અંગ્રેજોની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. એમને ભગાડવા માટે પોલીસે પહેલાં તો હવામાં ગોળીબાર કર્યો. આનાથી ટોળું વધારે ઉશ્કેરાયું અને પથ્થરમારો શરૂ કરી દીધો. વાત કાબૂ બહાર જતી હતી એટલે પોલીસે સીધો જ ટોળા ઉપર ગોળીબાર શરૂ કરી દીધો. આમાં ત્રણ જણ માર્યા ગયા. પરંતુ લોકોને ગોળીબારની પરવા નહોતી. અંતે પોલીસ કર્મચારીઓ ભાગ્યા અને ચોકીમાં ઘૂસી ગયા અને બારણાં વાસી દીધાં.
લોકો હવે પોલીસ ચોકી સામે એકઠા થયા અને ‘મહાત્મા ગાંધી કી જય’ના નારા પોકાર્યા અને સળગતા કાકડા ફેંક્યા. ચોકીને આગ લાગી ગઈ અને નીકળવાનો કોઈ રસ્તો ન રહ્યો. આમ પણ બહાર નીકળી શક્યા હોત તો લોકોએ એમને જીવતા રહેવા ન દીધા હોત. આ ઘટનામાં ૨૨ કર્મચારીઓ જીવતા બળી મર્યા. પરંતુ બધા જ કદાચ બળીને ન મર્યા, અમુકને લોકોએ દરવાજામાંથી ભાગતાં મારી નાખ્યા હોવાની શક્યતા પણ તપાસમાં જાણવા મળી. એક જ રઘુવીર સિંહ નામનો કોંસ્ટેબલ મરી ગયો એવું જાહેર કરવામાં આવ્યું પણ એ બચી શક્યો હતો. એ એક માત્ર મુખ્ય સાક્ષી હતો.
સરકારે તો તરત ત્યાં માર્શલ લૉ લાગુ કરી દીધો અને ઘેરેઘેર ઝડતીઓ લેવાઈ. ગાંધીજીની ધરપકડ કરી લેવાઈ. ગાંધીજીનો અહિંસક સત્યાગ્રહ બરાબર ચાલતો હતો પણ ચૌરી ચૌરાની ઘટના પછી ગાંધીજીને લાગ્યું કે લોકો હજી અહિંસા માટે તૈયાર નહોતા. એમણે અરાજકતા ન વધે એટલા માટે અસહકાર આંદોલન પાછું ખેંચી લીધું. જો કે નહેરુ વગેરે નેતાઓ પણ જેલમાં હતા. એમને ગાંધીજીનો આ નિર્ણય પસંદ નહોતો આવ્યો.
તે પછી આઠ મહિના કેસ ચાલ્યો. એમાં કુલ ૨૨૫ જણ સામે આરોપનામાં દાખલ કરવામાં આવ્યાં. કોર્ટે એમાંથી ૧૭૨ને મોતની સજા કરી.
જો કે સ્થાનિકની કોંગ્રેસ કમિટીએ આ સજા સામે અલ્હાબાદ હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી. અપીલમાં ૧૯ જણને મોતની સજા કરાઈ, બીજા ૧૪ને જનમટીપ મળી. બીજા બધાને આઠ વર્ષથી માંડીને બે વર્ષની સજા કરવામાં આવી. જુલાઈની બીજી તારીખથી ૧૧મી વચ્ચે ૧૯ જણને ફાંસી આપી દેવાઈ.
એમનાં નામ આ પ્રમાણે છેઃ
૧. નઝર અલી, ૨. ભગવાન આહિર, ૩. લાલ મોહમ્મદ, ૪. શ્યામસુંદર, ૫. અબ્દુલ્લા, ૬. વિક્રમ આહિર, ૭. દૂધી સિંહ, ૮. કાલી ચરણ, ૯. લખતી કુમાર, ૧૦. મહાદેવ સિંહ, ૧૧. મેઘુ અલી, ૧૨. રઘુવીર, ૧૩. રામલખન, ૧૪. રામરૂપ, ૧૫. સહદેવ, ૧૬. રૂદાલી, ૧૭. મોહન, ૧૮. સંપત અને ૧૯. સીતારામ.
અંગ્રેજી રાજના આ ઘોર વિરોધી શહીદો સમક્ષ સત્યાગ્રહના નિયમો, હિંસા-અહિંસાની ચર્ચામાં પડ્યા વિના નતમસ્તક થઈએ.
ગાંધીજીએ આંદોલન પાછું ખેંચી લીધું તેનું કારણ એ કે આવી હિંસા ઠેકઠેકાણે ફાટી નીકળી હોત અને હિંસક આંદોલન સંગઠિત ન રહી શકે કારણ કે લોકો પાસે સરકાર જેવાં હથિયારો હોય જ નહીં. એટલે દરેક જગ્યાએ એને દબાવી દેવાનું સરકાર માટે બહુ સહેલું થયું હોત. પરંતુ, જોવાનું એ છે કે ગાંધીજીની અહિંસાની વિરુદ્ધ હિંસા કરતી વખતે પણ આ લોકો મહાત્મા ગાંધીની જય બોલતા હતા! એનો અર્થ એ જ છે કે આઝાદીની ઇચ્છા દરેકની સ્વતંત્ર હતી અને દરેક જણ એ લડાઈ પોતે જ લડતો હતો. દરેકની આ ઇચ્છાનું નામ સૌએ પોતે જ ‘ગાંધી’ રાખ્યું હતું. આ શહીદો સભાનપણે કે સિદ્ધાંતમાં ગાંધીજીની વિરુદ્ધ નહોતા. એ સીધા સાદા ખેડૂતો હતા. પરંતુ જે સભાનપણે ગાંધીજીની ફિલસૂફીની વિરુદ્ધ હતા એમને મન પણ ‘ગાંધી’ નામ સ્વતંત્રતાના સંઘર્ષનું કેન્દ્રીય નામ હતું.
૦૦૦
સંદર્ભઃ
(૧) વિકીપીડિયા
(૨) Nishant Batsha, “Gandhi and Chauri Chaura: A Lacanian Reinterpretation of Gandhi through the Chauri Chaura Riot,” intersections 10, no. 3 (2009): 28-41.