Martyrs of Indian Freedom Struggle [19] – Maharashtra (1) – Khandesh

મહારાષ્ટ્રમાં વિદ્રોહ

() – ખાનદેશ

મહારાષ્ટ્રમાં ૧૮૫૭ના બળવાનાં મુખ્ય ત્રણ કેન્દ્ર રહ્યાં – સાતારા, કોલ્હાપુર અને ખાનદેશ. ખાનદેશમાં ભીલો અંગ્રેજોની સામે પડ્યા તો સાતારા અને કોલ્હાપુરમાં વિદ્રોહની નેતાગીરી છત્રપતિ શિવાજીના વારસોના હાથમાં હતી. પરંતુ, બીજી ઘણી જગ્યાએ લોકોએ પોતાનો રોષ દેખાડીને અંગ્રેજોને થકવ્યા.

નાશિક જિલ્લાના પેઠ રાજ્યમાં રાજા ભગવંતરાવ  નીલકંઠરાવે લોકોને વિદ્રોહ માટે એકઠા કર્યા. ૧૮૫૭ની છઠ્ઠી ડિસેમ્બરે કોળીઓએ બજારમાં લૂંટફાટ કરીને ખજાનો લૂંટી લીધો અને જંગલમાં નાસી છૂટ્યા. અંગ્રેજી ફોજ એમની પૂંઠે પડી, એમાં કેટલાયે પકડાઈ ગયા. એમને તરીપાર કરી દીધા અને એમના નેતા પેઠના રાજા ભગવંતરાવને ફાંસી આપવામાં આવી.

એના પછી તરત ૨૧મી જાન્યુઆરીએ નાશિક શહેર પોતે જ બળવામાં કૂદી પડ્યું. નાંદગાંવના ભીલો સાથે અંગ્રેજી ફોજની ભારે લડાઈ થઈ. કંપનીની ફોજે ભીલો પર હુમલા કરીને કેટલાયને કેદ કર્યા અને કેટલાયને ફાંસી દઈ દીધી.

એ જ રીતે, ઔરંગાબાદમાં પણ અંગ્રેજી સેના છોડીને ઘણા સિપાઈઓ વિદ્રોહીઓ સાથે જોડાયા. એમાં ઘોડેસવાર દળમાં મુસલમાન સિપાઈઓની ખાનગીમાં ચાલતી પ્રવૃત્તિ અંગ્રેજી ફોજને શંકાસ્પદ લાગી. એમણે બળવો થાય તે પહેલાં જ એમની પકડી લીધા અને તરત ફાંસી આપી દીધી.

નાગપુરના વિદ્રોહીઓને લખનઉ  અને કાનપુરના વિદ્રોહીઓની મદદ મળી.  ૧૮૫૭ની ૧૩મી જૂન ખુલ્લા બળવા માટે નક્કી કરવામાં આવી. રાતે ૧૨ વાગ્યે મનોરંજન માટેના રંગબેરંગી ફુક્કા ચડાવીને જાહેરાત કરી દેવાઈ. એ સંકેત મળતાં તરત જ સીતાબર્ડીની રેસિડેંસીના સિપાઈઓ હુમલો કરવાના હતા, પરંતુ   કંપનીને આ બાતમી પહેલાં જ મળી ગઈ. એને વિદ્રોહીઓને પકડી લીધા કેટલાયને જનમટીપની સ્જા થઈ અને ઘણાને ફાંસીએ લટકાવી દેવાયા.

મુધોળમાં બેરડ કોમે વિદ્રોહ કર્યો. ૧૮૫૭માં સરકારે લોકોને પોતાનાં હથિયારો જમા કરાવી દેવાનો આદેશ આપ્યો. સરકારી જાહેરાતમાં એમ પણ કહ્યું કે જેમની પાસે સ્વબચાવ માટે કોઈ હથિયાર હશે તો એનું લાઇસન્સ આપવામાં આવશે. બેરડ કોમ શસ્ત્રો આપવા નહોતી માગતી. કોમના મુખીએ જવાબી હુકમ બહાર પાડ્યો કે હથિયાર જમા કરાવનારને ગદ્દાર માનવામાં આવશે. તે પછી પાંચસો જેટલા બેરડ એકઠા થયા. પણ પોલિટિકલ એજન્ટ સુધી આ ખબર પહોંચી ગઈ. સ્થિતિની તપાસ કરીને સેના પાછી ફરી પરંતુ રાતના અંધારામાં ફોજની ટુકડી રાતે પાછી આવી.  એ વખતે બેરડો ઊંઘતા ઝડપાયા અને એમને તરત પકડીને ફાંસી આપી દેવાઈ.

ખાનદેશ

આજે આ નામ નથી રહ્યું પણ મહારાષ્ટ્રની ઉત્તર-પશ્ચિમે સાતપુડા પર્વતની હારમાળા પાસે આવેલો પ્રદેશ ખાનદેશ તરીકે ઓળખાતો. એનો થોડો ભાગ આજના મધ્યપ્રદેશમાં પણ હતો. બ્રિટિશ શાસન દરમિયાન એના પૂર્વ ખાનદેશ અને પશ્ચિમ ખાનદેશ એવા બે ભાગ પાડવામાં આવ્યા. મુંબઈ દ્વિભાષી રાજ્ય બન્યું ત્યારે પૂર્વ ખાનદેશની જગ્યાએ જળગાંવ જિલ્લો અને પશ્ચિમ ખાનદેશની જગ્યાએ ધૂળે જિલ્લો એમ બે જિલ્લા બનાવાયા. અહીં પર્વતવાસી ભીલોની મુખ્ય વસ્તી હતી.

આમ તો ૧૮૧૮થી જ ત્યાં વિદ્રોહ જેવી હાલત હતી. ઈસ્ટ ઇંડિયા કંપનીએ જંગલોમાંથી એમને હાંકી કાઢીને જમીનો આંચકી લીધી હતી. ૪૦ વર્ષના સંઘર્ષ પછી આખા દેશમાં ૧૮૫૭માં બળવાની આગ ભભૂકી ઊઠી ત્યારે ભીલો પણ પોતાના અન્યાયનો બદલો લેવા માટે અંગ્રેજો સામે કૂદી પડ્યા. ભીલોએ જુદા જુદા ઠેકાણે હુમલા કર્યા.  જ્યાં હુમલા થયા તે સ્વયંભૂ હતા એટલે કે કેન્દ્રીય નેતા વિના જેમણે અંગ્રેજો સામે બાથ ભીડીને પોતાના પ્રાણોની આહુતિ આપી. આવા પચાસેક નેતાઓ હતા, જેમાંથી અમુક નામ બહુ પ્રખ્યાત થયાં, જેમ કે, ભગોજી નાયક, ભીમા નાયક, ખાજા (કાજી સિંઘ) નાયક, કનૈયા, ચિલ્યા, રામ, સંભાજી, દશરથ વગેરે અનેક નામો મળે છે.

૧૮૫૭ના સપ્ટેમ્બરમાં બે ભાઈઓ, ભીમા નાયક અને ખાજા નાયકે બળવાનું એલાન કર્યું અને અંગ્રેજી ફોજને પીછેહઠ કરવાની ફરજ પાડી. ભીમાએ તો પોલીસને સરકારની નોકરી છોડીને વિદ્રોહમાં જોડાવા છડેચોક આહ્વાન કર્યું. એનો પ્રભાવ એટલો બધો વધતો જતો હતો કે એને પકડવા માટે સરકારે મોટું ઇનામ જાહેર કર્યું. ૧૮૫૮ની ૧૧મી ઍપ્રિલે ભીલો અને  અંગ્રેજી ફોજ વચ્ચે અંબપાણી પાસે લોહિયાળ જંગ ખેલાયો. પણ ભીલો પાસે બંદુકો નહોતી. અંગ્રેજોએ બે  બાજુથી એમને ઘેરી લીધા. આમ છતાં ફોજના ૧૬ સિપાઈઓ માર્યા ગયા અને ૪૫ જખમી થયા. જો કે ભીલોએ પણ ભારે ખુવારી વેઠી. અંતે ફોજે એ બધાંને કેદી બનાવ્યાં. ખાજા નાયકના પુત્ર પોલડ સિંઘનું આ લડાઈમાં મૃત્યુ થયું. આમાં ખાજા અને ભીમા નાયકનાં કુટુંબોની સ્ત્રીઓ પણ હતી. બધાં મળીને એમની સાથે ૪૬૦ જેટલી સ્ત્રીઓ અને બાળકો પણ હતાં. ફોજે એ બધાંને પકડી લીધાં.

આ વીરાંગનાઓ શત્રુ સામે ઝૂઝતા વીરોને ખોરાક-પાણી અને હથિયારો આપીને મદદ કરતી હતી. અંગ્રેજ સરકારે ભીમા અને ખાજા નાયક અને બીજા ભીલો શરણે આવે તે માટે જેલમાં એમની સ્ત્રીઓ પર સિતમ કર્યા. એમાં ખાજા સિંઘની પુત્રવધૂ અને શહીદ પોલડ સિંઘની પત્નીનું મોત થયું. ખાજા નાયકે આમ છતાં શરણાગતી ન સ્વીકારી. અંતે એના એક સાથીને ફોડીને અંગ્રેજોએ એનો શિરચ્છેદ કરાવ્યો.

બીજી બાજુ સાતમાળામાં ભગોજી નાયકે વિદ્રોહની આહલેક જગાવી. ભગોજી અને ખાજા નાયક એકબીજાના સંપર્કમાં હતા. એમણે જે સાહસ દેખાડ્યું તેની સભ્ય લોકોના ઇતિહાસમાં નોંધ નથી લેવાઈ.

સાતારા અને કોલ્હાપુરની વાત હવે પછી.

૦૦૦

સંદર્ભઃ

૧. http://ruralsouthasia.org/wp-content/uploads/2021/05/Article_II_-Ojas-Borse_Final.pdf RURAL SOUTH ASIAN STUDIES, Vol. III, No. 3, 2017  Contribution of Bhil Adivasis of Khandesh in the Revolt of 1857  Ojas Borse.

૨. https://www.adda247.com/mr/jobs/revolt-of-1857-in-india-and-maharashtra/

https://cultural.maharashtra.gov.in/english/gazetteer/VOL-I/PAGE_177_194.pdf

Martyrs of Indian Freedom Struggle [18] – 1857 war stage in Gujarat

૧૮૫૭: ગુજરાતના શહીદો

ગુજરાતમાં ખૂણેખૂણે એક યા બીજાં કારણસર ઈસ્ટ ઇંડિયા કંપનીની હકુમત સામે અસંતોષ હતો. ગુજરાતનાં છાપાં અંગ્રેજ સરકારને વફાદાર નહોતાં અને છડેચોક ટીકા કરતાં હતાં. પંચમહાલ બાજુ દાન કે ઇનામ તરીકે મળેલી જમીનોની સર્વે ચાલતી હતી. એમાં જેની પાસે પૂરતાં કાગળિયાં ન હોય તેમની જમીનો આંચકી લેવાની જોગવાઈ હતી. ત્યાં કોળી ઠાકોરોની ૧૪૦ ઠકરાત હતી. એમની જમીનો ઝુંટવી લેવાય એવો ભય હતો.  ગુજરાતના મુસલમાનોમાં ખ્રિસ્તી પાદરીઓના પગપેસારા સામે અસંતોષ હતો. અમદાવાદની લગભગ બધી મસ્જિદોમાં મૌલવીઓ નમાઝ પછી ખુત્બા પઢતાં બેધડક અંગ્રેજી રાજના આખરી દિવસોની આગાહીઓ કરતા.

રત્નાજી અને રંગાજી

અમદાવાદની જુમા મસ્જિદના મૌલવી સિરાજુદ્દીને ઘોડેસવાર દળ (ગુજરાત હૉર્સ)ના સવારો અને અમદાવાદના કેન્ટોનમેન્ટના દેશી અફસરો સમક્ષ આવું જ ભાષણ કર્યું તે પછી તરત, ૯મી જુલાઈએ ‘ગુજરાત હૉર્સ’ના સાત સવારોએ યુરોપિયનો વિરુદ્ધ બળવો પોકાર્યો.  લેફ્ટેનન્ટ પિમે બાર સવારો સાથે એમનો પીછો કર્યો. રસ્તામાં કૅપ્ટન ટેલર કોળીઓની ટુકડીના ત્રણ કોળીઓ સાથે એમને મળ્યો. પિમ અને ટેલર સાત વિદ્રોહીઓની પાછળ ગયા. એ તાજપુર પાસે વિદ્રોહીઓની નજીક પહોંચી ગયા. ત્યાં સામસામે ધીંગાણું થયું. પરંતુ પિમની સાથે ગયેલા ઘોડેસવારોએ પોતાના સાથીઓ પર ગોળી ચલાવવાની સાફ ન પાડી દીધી. તે પછી ટેલરે વાટાઘાટનો રસ્તો લીધો. એ વિદ્રોહીઓ પાસે ગયો અને એમની વાતચીત ચાલતી હતી તે જ વખતે વિદ્રોહીઓએ ગોળીઓ છોડી જેમાં ટેલર ગંભીર રીતે ઘાયલ થયો, જો કે પાછળથી એ બચી ગયો. તે પછી કોળીઓના ગોળીબારમાં બે સવારો,  રત્નાજી ઠાકોર અને  રંગાજી ઠાકોર માર્યા ગયા ગુજરાતના એ પહેલવહેલા શહીદો છે. એમના મૃત્યુ પછી  બીજા પાંચ  વિદ્રોહીઓએ હથિયારો હેઠાં મૂક્યાં.  એમને પણ કેદ કરી લેવાયા અને ફાંસી આપી દેવાઈ. એમનાં નામ નથી મળી શક્યાં.

અપશુકન કે વિપ્લવનો સંદેશ?

૧૮૫૭ના મે મહિનામાં વિદ્રોહ ફાટી નીકળ્યો તેની અસર મુંબઈ પ્રાંત અને, ખાસ કરીને ગુજરાતમાં પંચમહાલમાં તરત દેખાવા લાગી. કચ્છના રણમાંથી ગૂણો ભરીને મીઠું લાદીને રાજપુતાના લઈ જવાતું હતું, એમાંથી એક ગૂણ પર સિંદૂરનો મોટો ડાઘ દેખાયો. મજુરો સમજ્યા કે એ ગાયનું લોહી છે. વાત બધે ફેલાઈ ગઈ કે અંગ્રેજ સરકાર એમને ધર્મભ્રષ્ટ કરીને ખ્રિસ્તી બનાવવા માગે છે.

બીજી ઘટના એ બની કે,ઉત્તર ભારતમાં રોટી અને કમળ ફરતાં હતાં તેમ પંચમહાલનાં બધાં ગામે છુપા વિદ્રોહીઓ એક ભટકતા કૂતરાને લઈ જતા. કૂતરાને કોણે મોકલ્યો કે ક્યાંથી આવ્યો તે તો કોઈ જાણતું નહોતું, પણ કૂતરો મધ્ય ભારતમાંથી આવ્યો હતો. એ આવ્યો ત્યારે એના ગળામાં ખાવાપીવાના સામાનની ટોકરી બાંધી હતી. એ રોટલા ગામના કૂતરાઓને ખવડાવીને લોકો ફરીથી બીજા રોટલા ટોકરીમાં ભરીને કૂતરાને ગળે બાંધી દેતા અને એને બીજા ગામની સીમમાં મોકલી દેતા. આ વિદ્રોહનો સંદેશ હતો, એમ તો ન કહી શકાય પણ એટલું ખરું, કે લોકો એમ માનવા લાગ્યા હતા કે કૂતરાનું આમ આવવું એ અપશુકન હતાં, અને મોટી આફતનો એ સંકેત હતો. ગામેથી કૂતરાને વિદાય કરીને લોકો પનોતીને વિદાય કરતા હતા.

જીવાભાઈ ઠાકોર અને ગરબડદાસ પટેલ

પંચમહાલ ૧૮૫૭ના વિપ્લવના સમયથી જ અંગ્રેજી સત્તાને પડકારવામાં આગળ રહ્યું. મધ્ય ભારતની નજીક હોવાથી વિદ્રોહીઓ માટે પંચમહાલ મહત્ત્વનું બની રહ્યું. પંચમહાલના જમીનદાર તિલેદાર ખાને આસપાસની આદિવાસી કોમોને એકઠી કરીને પાંચ હજારની ફોજ ઊભી કરી હતી. આ વિદ્રોહીઓ અંગ્રેજોનાં  લશ્કરી થાણાંઓ પર હુમલા કરતા.દાહોદ, ગોધરા, લૂણાવાડા, ઝાલોદ, બારિયા, પાલ્લા, લુણાવાડાનું ખાનપુર ગામ બળવામાં મોખરે રહ્યાં.  દેવગઢ બારિયામાં અંગ્રેજોની છાવણી હતી. એમાં પણ બળવાની આગ પહોંચી ચૂકી હતી. હિંદુસ્તાની સિપાઈઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા અને કેટલાયે તિલેદાર ખાનની ફોજમાં જોડાયા. અંગ્રેજી ફોજના વળતા હુમલામાં આવા એક સિપાઈ અમીર ખાનને  તોપને નાળચે બાંધીને મોતને ઘાટે ઉતારી દેવાયા.

ખાનપુરના કોળી ઠાકોર જીવાભાઈએ પણ ૧૪૦ ઠકરાતોની નેતાગીરી સંભાળીને મોરચો માંડ્યો. જીવાભાઈ બળવાની તૈયારી કરે છે એ જાણીને ઈસ્ટ ઇંડિયા કંપનીએ લૂણાવાડામાં એક કૅપ્ટન બક્લેની આગેવાની નીચે એક બટાલિય્ન ગોઠવી દીધી. જીવાભાઈ અને એમના સાથીઓના હુમલાના જવાબમાં વળતો હુમલો કર્યો.  ભીલો, આરબો, મકરાણીઓ અંગ્રેજો સામે બહાદુરીથી લડ્યા પરંતુ અંતે બ્રિટિશ સેનાએ ખાનપુર પર કબજો કરી લીધો. આખું ગામ સળગાવી દીધું અને અસંખ્ય નિર્દોષોને પકડીને જીવતા લટકાવી દીધા.  જીવાભાઈ પણ અંગ્રેજોના હાથમાં સપડાઈ ગયા. અંગ્રેજી ફોજે એમને તરત જ ગામમાં જ એક વડ પર ફાંસીએ લટકાવી દીધા. આજે પણ લોકો એ વડને ‘ફાંસિયો વડ’ કહે છે.

જીવાભાઈના સાથી હતા સાણંદના મુખી ગરબડદાસ પટેલ. ખાનપુરને કચડી નાખીને ગોરાઓની સેના આણંદની લોટિયા ભાગોળે આવી પહોંચી. અહીં તેણે કાયમી છાવણી નાખી દીધી.  જીવાભાઈના સમાચાર મળતાં ગરબડદાસે બદલો લેવાનું નક્કી કરી લીધું.  એ જ  દિવસે એમનાં લગ્ન થયાં હતાં  પણ સુહાગ રાત મનાવવાને બદલે  એ એમના લડાયક સાથીઓ છાનામાના છાવણીમાં ઘુસી ગયા અને અશ્વદળના ઘોડાઓના પૂંછડાં કાપી લીધાં. અંગ્રેજોનું આ અપમાન હતું. હવે ગરબડદાસ અને અંગ્રેજો સામસામે આવી ગયા. ગરબડદાસ પકડાઈ ગયા. જીવાભાઈ અને ગરબડદાસ સાથે અમીર ખાન જેવા બીજા સિપાઈઓ બાપુજી પટેલ, કૃષ્ણરામ દવે અને માલોજી જોશી પણ ફોજ છોડીને  જોડાયા હતા. અંગ્રેજો  આવા સિપાઈઓ સાથે વધારે ક્રૂરતાથી વર્તતા. આ ત્રણેયને  તરત તોપને નાળચે બાંધીને ઉડાવી દેવાયા. ગરબડદાસ સામે કેસ ચલાવીને કાળા પાણીની સજા આપીને આંદામાન મોકલી દેવાયા. ત્યાં જ એમનું ૧૮૬૦માં મૃત્યુ થઈ ગયું.

અમદાવાદમાં બળવાનો મોટો પ્રયાસ નિષ્ફળ

૧૮૫૭ના સપ્ટેમ્બરમાં દેશી સિપાઈઓની  બે બટાલિયનો હતી – ગ્રેનેડિયરોની બીજી રેજિમેન્ટ અને સાતમી નૅટિવ ઇન્ફન્ટ્રી. આ બન્ને વચ્ચે સારા સંબંધ નહોતા. એક રાતે ગ્રેનેડિયરોની રેજિમેન્ટનો કૅપ્ટન મ્યૂટર ચોકી પહેરાની ડ્યૂટી પર હતો. એ સાતમી ઇન્ફ્ન્ટ્રીના ભંડાર (ક્વાર્ટર ગાર્ડ) પાસે પહોંચ્યો ત્યારે સંત્રીએ એની પાસે પાસવર્ડ માગ્યો. મ્યૂટર પાસવર્ડ જાણતો નહોતો એટલે એ વખતે તો એ પાછો ચાલ્યો ગયો પણ ગ્રેનેડિયરોની એક ટુકડી સાથે પાછો આવ્યો અને સંત્રીને કેદ કર્યો. બીજા દિવસે જનરલ રૉબર્ટ્સ પાસે આ વાત પહોંચી કે તરત એણે મ્યૂટરની ધરપકડ કરી અને સંત્રીને છોડી મૂક્યો. આ ઘટનાને કારણે બન્ને દળો વચ્ચે શત્રુતાની ભાવના વધારે સતેજ બની.

બળવાખોરોની યોજના એવી હતી કે બન્ને દળો અને આર્ટિલરી સાથે મળીને બળવો કરે. પરંતુ એમને એકબીજાનો વિશ્વાસ નહોતો. આર્ટિલરીના દેશી અફસરો તૈયાર નહોતા. સપ્ટેમ્બરની ૧૪મીની મધરાતે ગ્રેનેડિયરો પોતાના પરેડ ગ્રાઉંડમાં ભરી બંદૂકો સાથે આવ્યા. તોપો પણ બહાર લઈ આવ્યા. ગ્રેનેડિયરોનો એક દેશી અફસર એક ટુકડી લઈને એનો કબજો લેવા ગયો પણ આર્ટિલરીના સુબેદારે ના પાડી અને ઉલટું, એમના જ પર ફાયરિંગ કરવાની ધમકી આપી. આથી ગ્રેનેડિયરનો અફસર પાછો વળી ગયો. એની સાથેના સિપાઈઓ નિરાશ થઈ ગયા અને બીકના માર્યા પોતાનાં શસ્ત્રો ફેંકીને ભાગી છૂટ્યા. આ બાજુ, પરેડ ગ્રાઉંડમાં બીજા સિપાઈઓ બંદૂકોની રાહ જોતા હતા પણ આર્ટિલરીની છાવણીમાં ભાગદોડ જોઈને એમને શંકા પડી અને ભાગી છૂટ્યા. પરેડ ગ્રાઉંડ પર એકવીસ ભરેલી બંદૂકો મળી. આખી રેજિમેન્ટ ગુનેગાર હોવા છતાં માત્ર બંદૂકો જેમના નામે ચડેલી હતી એમને કોર્ટ માર્શલ કરીને બધાની હાજરીમાં ૨૧ સિપાઈઓને ફાંસીએ લટકાવી દેવાયા.

૦૦૦

ગાયકવાડ અંગ્રેજો વિરુદ્ધ

વડોદરાનું ગાયકવાડી રાજ્ય ખાનગી રીતે અંગ્રેજોની વિરુદ્ધ જ હતું પણ એને અંગ્રેજોની જરૂર પણ હતી. મહારાવના પિતાની બીજી પત્નીના પુત્ર એટલે કે મહારાવના અર્ધ-ભાઈ ગોવિંદરાવ (ઉર્ફે બાપુ ગાયકવાડ)ને મહારાવ વિરુદ્ધ કાવતરું કરવા બદ વડોદરામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. એ અમદાવાદમાં શાહીબાગમાં રહેતો હતો. બાપુ ગાયકવાડે મહારાવના બીજા ભાઈ મલ્હારરાવ સાથે મળીને યુરોપિયનોનું કાસળ કાઢી નાખવાની યોજના બનાવી. વડોદરા, અમદાવાદ અને ખેડામાં યુરોપિયનોની કતલ કરીને સાતારાના રાજાને નામે નવું રાજ્ય બનાવવાનું એમણે ધાર્યું હતું. બાપુનું કામ અમદાવાદમાં લશ્કરમાં અસંતોષ ફેલાવવાનું હતું. દરરોજ રાતે દેશી અફસરો બાપુને ઘરે મળતા. બાપુ અને મલ્હારરાવનો ત્રીજો સાથી ભોંસલે રાજા હતો. એને ખેડા જિલ્લો સોંપાયો હતો. એનો સાથી હતો ઝવેરી ન્યાલચંદ. એ બન્નેનું કામ ખેડા જિલ્લામાં ઠાકોરો અને પટેલોને તૈયાર કરવાનું હતું. એમને ઠાકોરોએ સહકારની ખાતરી આપી. ઉમેટાના ઠાકોરે તો પોતાના કિલ્લા પર તોપો પણ ગોઠવી દીધી કે જેથી અંગ્રેજ ફોજ હુમલો કરે તો બચાવ કરી શકાય. કડી પરગણામાં સિપાઈઓની ભરતી માટે એમણે મગનલાલ નામના એક માણસને મોકલ્યો, એણે બે હજારનું પાયદળ અને દોઢસોનું ઘોડેસવાર દળ લોદરા ગામ પાસે ગોઠવ્યું. મહી કાંઠે પ્રતાપપુર ગામ નજીક ખેડાના ઠાકોરે પોતાનું લશ્કર ગોઠવી દીધું. એ વડોદરાથી આઠ કિલોમીટર દૂર ચોક તળાવ સુધી આવ્યા. ૧૬મી ઑક્ટોબરની રાતે યુરોપિયન છાવણી પર હુમલો કરવાની બધી તૈયારી હતી. અંગ્રેજી ફોજના દેશી સિપાઈઓએ પણ એમની સાથે હાથ મિલાવ્યા હતા. જ્યારે હુમલો થાય ત્યારે દેશી સિપાઈઓ ખાલી કારતૂસો વાપરવાના હતા.

છેક ૧૫મી ઑક્ટોબરે આ ખબર મળતાં ઍશબર્નર એની ટુકડી સાથે વિદ્રોહીઓ સામે મેદાને ઊતર્યો.  કમનસીબે, વિદ્રોહીઓમાં શિસ્તનો અભાવ હતો અને ઍશબર્નરને જોતાં જ વિદ્રોહીઓના સૈનિકો એક પણ ગોળી છોડ્યા વિના પોતપોતાની જગ્યાએથી ભાગી છૂટ્યા. નવ્વાણું જણ મહીની કોતરોમાંથી પકડાયા. આમાંથી દસ મુખ્ય હતા એમને તોપને મોંએ બાંધીને ઉડાવી દેવાયા, નવને દેશવટો આપી દેવાયો અને બાકીનાને માફી આપવામાં આવી.

બીજી બાજુ, અમદાવાદનો પોલીસ સુપરિન્ટેન્ડન્ટ મેજર ઍગર કોળીઓની ટુકડી લઈને લોદરા તરફ નીકળ્યો. થોડી ચકમક ઝરી તે પછી મગનલાલ ભાગી છૂટ્યા પણ થોડા દિવસમાં પકડાઈ ગયા. એમને અને બીજા બે વિદ્રોહીઓને વેજાપુર પાસે તોપને મોંએ બાંધીને ઉડાવી દેવાયા, બીજા ત્રણને ફાંસી અપાઈ.

૧૮૫૭ની ઘટનાઓમાં ઓછામાં ઓછા દસ હજાર માણસોને અંગ્રેજ સરકારે મારી નાખ્યા. અસંખ્ય લાશો દિવસો સુધી ઝાડો પાર ઝૂલતી રહી. કેટલાંય ગામો તદ્દન ખેદાનમેદાન થઈ ગયાં.

આમાંથી મોટા ભાગે સિપાઈઓનાં ગણ્યાંગાંઠ્યાં નામ મળ્યાં છે એમનો ઉલ્લેખ કરી લઈએ. (ઉપર અમીર ખાન, બાપુજી પટેલ. કૃષ્ણરામ દવે અને માલોજી જોશીને તોપને મોંએ બાંધીને મારી નાખ્યાનું જણાવી દીધું છે. તે ઉપરાંત -)

      • રામ નારાયણ વડોદરામાં કંપનીની ૬૬મી રેજિમેંટમાં વિદ્રોહ કરીને ભાગ્યા હતા. એમની યોજના વડોદરા અને અમદાવાદ કબજે કરવાની હતી પણ તે પહેલાં જ પકડાઈ ગયા અને એમને ફાંસી આપી દેવાઈ.

બહુ ઘણા લોકોને આંદામાન મોકલી દેવાયા જે બધા ત્યાં જેલમાં થતા ભયંકર અત્યાચારોને કારણે થોડા જ વખતમાં મૃત્યુ પામ્યા. નીચે નામો આપ્યાં છે એમની આંદામાન પહોંચવાની તારીખ અને મૃત્યુની તારીખ જોતાં અનુમાન કરી શકાય કે અત્યાચારોનો ભોગ બનીને ટપોટપ મરતા હોવા જોઈએ.અહીં માત્ર ગુજરાતની સ્થિતિ દેખાડી છે પણ આખા દેશમાંથી અસંખ્ય લોકોને આંદામાન મોકલી દેવાયા હતા. .ઉપર ગરબડદાસ પટેલનો ઉલ્લેખ આવી ગયો છે. આ શહીદોનાં નામ, આંદામાન ગયાની તારીખ અને મૃત્યુ

    • સિપાઈ બોહોર્ત (ખરા નામનું અનુમાન થઈ શકતું નથી). માર્ચ ૧૮૫૯,મૃત્યુ ૩ જૂને.
    • સિપાઈ બુરહાનુદ્દીન. ઍપ્રિલ ૫૮, મૃત્યુ ૭ જૂન
    • સિપાઈ બૂરખા (ખરા નામનું અનુમાન થઈ શકતું નથી). જૂન ૧૮૫૮, મૃત્યુ ૧૨ ડિસેંબર ૧૮૫૮
    • સિપાઈ બૂર્ઝૂ (ખરા નામનું અનુમાન થઈ શકતું નથી). જૂન ૧૮૫૮, મૃત્યુ ૧૨ ડિસેંબર ૧૮૫૮ (આ બન્ને સિપાઈઓની તારીખો એક જ છે, માત્ર પિતાઓનાં નામ જુદાં હોવાથી અલગ પડે છે).
    • સિપાઈ બુલ્દીન. ઍપ્રિલ ૧૮૫૮. મૃત્યુ ૧૩ સપ્ટેંબર ૧૮૫૮.
    • સિપાઈ ઈનામ ખાન. ૧૮૫૮માં આંદામાન મૃત્યુ ૧૮૫૯.
    • સિપાઈ ઝહૂર ગુરાડિયા. જુલાઈ ૧૮૫૮, મૃત્યુ નવેંબર ૧૮૫૮.
    • સિપાઈ મુસ્કીન ૧૮૫૮,મૃત્યુ ઑક્ટોબર ૧૮૫૯.
    • નાદીર શાહ માર્ચ ૧૮૫૯,  મૃત્યુ ૧૨ ઍપ્રિલ૧૮૫૯.
    • ઉંમર ખાન (વડોદરા) આંદામાનમાં મૃત્યુ.
    • પોહ સિંહ.ઍપ્રિલ ૧૮૫૮ ,મૃત્યુ ૧૦ ડિસેંબર ૧૮૫૮.
    • રજ્જુત (રજત?રજબ?). માર્ચ ૧૮૫૯, મૃત્યુ ૩ મે ૧૮૫૯.
    • મનજી. માર્ચ ૧૮૫૯, મૃત્યુ ૩ મે ૧૮૫૯.
    • સોર્બાતા (?) માર્ચ ૧૮૫૯, મૃત્યુ ૬ જૂન  ૧૮૫૯.
    • સોમપાલ પાંડે. ઍપ્રિલ ૧૮૫૮, મૃત્યુ ૩૦ ઑગસ્ટ ૧૮૫૮.
    • ઉપદારુત સિંહ (? – ઉપેન્દર?) ઍપ્રિલ ૧૮૫૮. ૧૯ ઑક્ટોબર ૧૮૫૮.
    • શાદા (સહદા, શૈદા?) માર્ચ ૧૮૫૯,  ૨૫ મે ૧૮૫૯.
    • સિપાઈ ગંગાસિંહ. ઊસર સિહ અને જલારામ પંડિત ઍપ્રિલ ૧૮૫૮માં આંદામાન પહોંચ્યા. તરત જ એમણે ભાગવાનો પ્રયાસ કર્યો પણ પકડાઈ ગયા. ૧૮મી મેના રોજ ત્રણેયને ફાંસી આપી દેવાઈ.

વડોદરાના ગાયકવાડી રાજ્યમાંથી

        • ગોપાલકૃષ્ણ, મુરલીધર બાપુજી અને શંભુ દોલત રામ. આંદામાનમાં મૃત્યુ.
        • અંગદ સિંહ, પ્રાણ શંકર ભગવાન દાજી, બાપુ રાવ કાશીનાથ અને .લક્ષ્મીરામ નારાયણ દરેકને ૧૪ વર્ષનો કારાવાસ. બધા જેલમાં જ મૃત્યુ પામ્યા
        • કૃષ્ણ જગન્નાથ ભટ્ટ (વડોદરા) સાત વર્ષની કેદ (જેલમાં મૃત્યુ. કેટલાંક વર્ષ જાહેર કરાયું).
        • રામચંદ્ર નારાયણ (વડોદરા) દસ વર્ષની કેદ (જેલમાં મૃત્યુ.કેટલાંક વર્ષ પછી જાહેર કરાયું).
        • બહાઉલ (પિતા દુલ્લા? અબ્દુલ્લા?). એમના વિશે કંઈ માહિતી નથી મળતી.

નાયકડા ભીલોનો વિદ્રોહ

૧૮૫૭ની મુખ્ય ઘટનાઓ પછી એકાદ વર્ષ ગુજરાતમાં શાંતિ રહી. પરંતુ ઑક્ટોબર ૧૮૫૮માં પંચમહાલમાં નાયકડા ભીલોએ બળવો પોકાર્યો. નાયકડા ભીલો પંચમહાલના વાસી. નાયકડા ભીલોનો વિદ્રોહ અંગ્રેજ સરકારની જંગલ નીતિ સામે હતો. જાંબુઘોડા બળવાનું અગત્યનું કેંદ્ર રહ્યું. રૂપસિંહ નાયક અને કેવળ નાયકના હાથમાં વિદ્રોહની કમાન રહી. રૂપસિંહ અથવા રૂપો નાયક ઝીંઝરી ગામની જાગીરનો વારસ હતો. રૂપસિંહ અને કેવળે નાયક ભીલોને એકઠા કર્યા અને ઑક્ટોબર ૧૮૫૮માં નારુકોટનું થાણું લૂંટ્યું અને કૅપ્ટન બૅટ્સની ટુકડી પર હુમલો કર્યો. બે દિવસ સુધી નાયકડાઓનું વર્ચસ્વ રહ્યું. ચાંપાનેર અને નારુકોટ વચ્ચેના પ્રદેશ પર પણ રૂપસિંહનો કબજો સ્થપાયો. મકરાણીઓ વિદ્રોહમાં નાયકડા ભીલો સાથે રહીને લડ્યા. જો કે રિચર્ડ બૉર્નરની લશ્કરી ટુકડી સામે એમનો પરાજય થયો અને રૂપસિંહને શસ્ત્રો હેઠાં મૂકવાની ફરજ પડી.

સંદર્ભઃ

આ લેખ તૈયાર કરવામાં મેં ફેબ્રુઆરીના લેખમાં દર્શાવેલા સંદર્ભ ગ્રંથો ઉપરાંત અહીં દર્શાવેલા સ્રોતોનો  અને મારી આ પહેલાંની શ્રેણીના લેખો (ભાગ ૨ પ્રકરણ ૧૯ અને ૨૦)નો પણ ઉપયોગ કર્યો છે. સૌનો આભાર.

  1. https://kolistan.blogspot.com/2018/10/thakor-caste-thakore-history.html?view=sidebar
  2. https://kolistan.blogspot.com/2017/09/koli-uprising-in-khanpur-gujarat.html?m=1
  3. https://gujarativishwakosh.org
  4. https://gujarattimesusa.com

વ્યક્તિગત વિશેષ આભાર

  1. https://www.facebook.com/groups/478883392293060/posts/769998766514853/

(વિપુલ સાવલિયા) રત્નાજી-રંગાજીના સ્મારક સ્થળની તસવીર પણ આ સંદર્ભ સુત્ર પરથી લીધી છે.

  1. https://www.facebook.com/gujjulalo/photos/a.831042730389419/1829149693912046/?type=3 (ગુજરાતી લાલો)

તે ઉપરાંત મારી શ્રેણી ભારતઃ ગુલામી અને સ્વતંત્રતા માટેનો સંઘર્ષ ભાગ -૨ પ્રકરણ ૧૯ – ૨૦માંથી (Gazetteer of Bombay 1896 Vol 1 Part 1- History of Gujarat (page 475 onward – Gujarat disturbances, 1857-1859, L. R. Ashburner મૂળ દસ્તાવેજમાં પૃષ્ઠ ૪૩૩થી આગળ).

Martyrs of Indian Freedom Struggle [17] – First War of Independence – 1857

૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ

ભારતના ઇતિહાસમાં ૧૮૫૭નું વર્ષ એક સીમાચિહ્ન છે. પહેલી જ વાર દેશના સામાન્ય પ્રજાજનો અને રાજવીઓ, ખેડૂતો અને જમીનદારો, હિન્દુઓ અને મુસલમાનો એક થઈને લડ્યા. જનતાના દરેક વર્ગને અંગ્રેજોથી અસંતોષ હતો.

૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે રાજ્યોની સ્થિતિ |ચિત્ર સૌજન્યઃ https://commons.wikimedia.org/wiki/File:Indian_revolt_of_1857_states_map.svg

૧૮૫૭નો મુખ્ય તખ્તો તો ઉત્તર ભારતમાં હતો, પરંતુ વિદ્રોહની આગ બીજા પ્રાંતો સુધી અને રજવાડાંની સામાન્ય વસ્તી સુધી પણ પહોંચી ગઈ. એની વ્યાપકતા એટલી બધી હતી કે દેશના ખૂણે ખૂણે લોકોએ અંગ્રેજો સામે શસ્ત્રો ઉપાડ્યાં. પરંતુ આયોજનનો અભાવ હોવાથી કોઈ એક સમયે બધી જગ્યાએ વિદ્રોહ એક સાથે શરૂ ન થયો. પરંતુ જેમ જેમ એની હવા ફેલાતી ગઈ તેમ તેમ લોકો એમાં જોડાતા ગયા. અસંખ્ય લોકો યુદ્ધના મેદાનમાં માર્યા ગયા, અથવા કેદ પકડાયા અને પછી અંગ્રેજોએ એમને કાં તો તાબડતોબ ઝાડેથી લટકાવીને ફાંસીની સજા કરી અથવા તોપને નાળચે બાંધીને ઉડાવી દીધા. કેટલાયને કાળા પાણીની સજા કરીને આંદામાન ટાપુ પર મોકલી દીધા. જ ત્યાં ગયા તેમાંથી કોઈ પાછો ન આવી શક્યો. ત્યાં એમના પર એટલા સિતમ થયા કે મોટા ભાગના ત્યાં પહોંચ્યા પછી બે મહિનાથી માંડીને છ મહિનાની અંદર મૃત્યુ પામ્યા. ભાગ્યે જ કોઈ એવા હતા કે જે દસ મહિના કે તેથી વધારે જીવ્યા.

આપણે ૧૮૫૭ના કેટલાય વીરોની કથાઓ જાણીએ છીએ –  મંગલ પાંડે, બહાદુર શાહ ઝફર, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, નાનાસાહેબ પેશવા, તાત્યા ટોપે, કુંવર સિંહ,  અઝીમુલ્લાહ ખાન વગેરે.એમની કથાઓ વારંવાર કહેવાતી રહેવી જોઈએ અને હું પણ જરૂર કહીશ. પરંતુ મારો મુખ્ય ઉદ્દેશ અનામી વીરોની કથાઓ કહેવાનો છે, જે આપણા સુધી પહોંચી નથી. કારણ કે આપણ એ તો જાણીએ છીએ કે બહાદુર શાહ ઝફરને વિદ્રોહીઓએ હિન્દનો શહેનશાહ જાહેર કર્યો, અથવા કદાચ એ પણ જાણીએ છીએ કે મેરઠથી દિલ્હી આવેલા વિદ્રોહી હિન્દુસ્તાની સિપાઈઓએ એને શહેનશાહ જાહેર કર્યો. પણ એ સિપાઈઓ કોણ હતા, તે તો આપણે ચોક્કસ નથી જાણતા.

(સંદર્ભઃ

આના માટે મેં ભારત સરકારે પ્રસિદ્ધ કરેલી DICTIONARY OF MARTYRS: INDIA’S FREEDOM STRUGGLE (1857-1947)ના ચાર ભાગોની મદદ લીધી છે. પહેલો અને બીજો ભાગ બબ્બે ગ્રંથોનો  બનેલો છે, એટલે ખરેખર તો ભાગ છે. ગ્રંથોમાં અંગ્રેજીની આલ્ફાબેટ પ્રમાણે શહીદોને મૂક્યા છે એટલે ૧૮૫૭ના શહીદો, ૧૮૬૦, ૧૮૯૯, ૧૯૦૫, ૧૯૧૫, ૧૯૩૦ અને ૧૯૪૨ના શહીદોનાં નામ ક્રમસર મળે છે. પરંતુ સિવાય પણ શહીદ તો દર વર્ષે થયા! એટલે ૧૮૫૭ના શહીદોને અલગ કર્યાએમાંથી લડાઈમાં કેટલા માર્યા ગયા, કેટલાને ફાંસી અપાઈ, આંદામાન કોણ ગયા બધી વિગતો તારવી છે. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય અને ભારતીય ઇતિહાસ સંશોધન પરિષદે સંયુક્ત રીતે પ્રદેશવાર તૈયાર કરેલા ગ્રંથો ૨૦૧૦થી માંડીને ૨૦૧૬ વચ્ચે અલગ અલગ પ્રકાશિત થયા છે અને http://www.archive.org પરથી વિના મૂલ્યે ડાઉનલોડ કરી શકાશે).

ગ્રંથોના મુખ્ય સંપાદક સ્પષ્ટ કહે છે કે હજી પણ ઘણાં નામો બાકી રહી ગયાં હોય તેવું બની શકે છે. (મારા તરફથી પણ સ્પષ્ટતા જરૂરી છે કે ગ્રંથોનો ઉપયોગ કરતાં મેં પણ કોઈ નામ છોડી દીધાં હોય તે શક્ય છે). મુખ્યત્વે તો અંગ્રેજોની અદાલતો કે લશ્કરના દસ્તાવેજોનો આધાર લીધો છે પરંતુ અંગ્રેજોએ પોતાનાં કરતૂતો છુપાવવા માટે રિપોર્ટ જ ન કર્યા હોય એ પણ શક્ય છે. છેવટે તો વિજેતાઓના હાથમાં બધું હોય.

બીજી એ પણ ચોખવટ જરૂરી છે કે દરેક પ્રદેશમાં અંગ્રેજી ફોજ હતી અને સિપાઈઓએ દરેક જગ્યાએ નોકરીને ઠોકરે ચડાવીને બળવો કર્યો હતો એટલે, દાખલા તરીકે, ગુજરાતની વાત કરીએ ત્યારે એ  શહીદ ગુજરાતી ન પણ હોય, માત્ર લશ્કરની સેવા માટે એને ગુજરાત મોકલ્યો હોય. આ બધું અલગ તારવવું મુશ્કેલ છે કારણ કે ગ્રંથની ટીમને પણ ઘણા શહીદો, અને ખાસ કરીને, ફોજના સિપાઈઓનાં મૂળ વતનની માહિતી નથી મળી શકી. (અંગ્રેજી ફોજમાં હિન્દુસ્તાનીઓને સિપાઈ કહેતા. એમને એનાથી ઉપર કોઈ હોદ્દો ન અપાતો).

આવા ઘણા વીરો ખરેખર જ અનામ રહ્યા છે. આપણે અહીં જેમની વિગતો આપી શકાઈ છે તેમને અને જેમની વિગતો નથી મળી શકી એ સૌને વંદન કરીએ.

આવતા અંકમાં હું ગુજરાતથી શરૂઆત કરીશ.

૦૦૦

Martyrs of Indian Freedom Struggle [16] – Ulgulan of Birsa Munda

બિરસા મુંડાનો ઉલગુલાન

આપણા ઇતિહાસમાં ૧૮૯૯માં બિરસા મુંડાના બળવો બહુ મહત્ત્વનો હતો. નોંધવા જેવી વાત એ છે કે ૧૮૫૭ પછી ઇંગ્લેંડે સીધી જ સત્તા સંભાળી લીધી હતી અને ૧૮૮૫માં કોંગ્રેસની સ્થાપના પણ થઈ ગઈ હતી. રેલવેનો સારો વિકાસ થઈ ગયો હતો. આદિવાસી વિસ્તારોમાં મિશનરીઓ ઘૂસી ગયા હતા અને આદિવાસીઓ માટે એમણે સ્કૂલો ખોલી હતી અને વટાળ પ્રવૃત્તિ જોરમાં હતી. સરકાર પણ મિશનરીઓને નાણાં અને રક્ષણ આપતી હતી. આ સંયોગોમાં બિરસા મુંડાએ આદિવાસીઓને એકઠા કર્યા, એમને સ્વમાનના પાઠ શીખવ્યા અને ઉલગુલાન માટે તૈયાર કર્યા. ઉલગુલાન મુંડારી ભાષાનો શબ્દ છે અને એનો અર્થ સંઘર્ષ કે વિદ્રોહ એવો થાય છે.

૧૮૭૫ની ૧૫મી નવેમ્બરે આજના ઝારખંડના ખૂંટી ગામે થયો. બાળપણથી એમની બુદ્ધિબળ દેખાવા લાગ્યું હતું. પણ માબાપ મજૂરી માટે બીજે ગામ જતાં છ વર્ષના બિરસાને  મામાને ઘરે રહેવું પડ્યું. તે પછી માશી પરણી તે એને પોતાની સાથે ચાઇબાસા લઈ ગઈ. ચાઈબાસામાં  એને મિશનરી સ્કૂલમાં દાખલ કરી દેવાયો. મિશનરીઓએ દસ વર્ષના આ બાળકની પ્રતિભાને પિછાણી અને એને ખ્રિસ્તી બનાવી દીધો. એ હવે ડેવિડના નામે ઓળખાવા લાગ્યો. પણ વર્ગમાં એક પાદરી મુંડાઓ માટે ખરાબ બોલ્યો ત્યારે બિરસા વર્ગ છોડીને બહાર નીકળી ગયો અને સ્કૂલના બધા શિક્ષક પાદરીઓને ખૂબ ભાંડ્યા. એને કહ્યું, “સાહેબ સાહેબ એક ટોપી” એટલે કે સરકારી અફસર હોય કે પાદરી બધા સરખા. આના પછી એને સ્કૂલમાં તો પાછા લેવાનો સવાલ જ નહોતો.

બિરસાએ ખ્રિસ્તી ધર્મ છોડી દીધો અને પોતાના ‘સરના’ ધર્મમાં પાછો આવ્યો.

૧૮૯૩–૯૪માં અંગ્રેજ સરકારે જંગલોની વચ્ચે આવેલાં ગામો, ખેતીની જમીન અને પડતર જમીનની હદબંધી કરી દીધી. એની બહારનાં જંગલોમાં સરકારે લોકોના હકદાવા પર નિયંત્રણો મૂકવાનું શરૂ કરી દીધું. મુંડાઓએ અરજીઓ કરી, છ ગામોના લોકો એકઠા થયા અને સરકાર સમક્ષ માગણીઓ મૂકી કે જંગલ પર એમનો પેઢી-દર-પેઢીનો અધિકાર છે પણ સરકારે ન માન્યું. બિરસાનું વ્યક્તિત્વ આકર્ષક હતું; છટાદાર ભાષણો કરતો એટલે આદિવાસીઓ એની પાછળ એકઠા થવા લાગ્યા અને એ આંદોલનનો મુખ્ય સૂત્રધાર બની ગયો.

તે દરમિયાન એ એક વૈષ્ણવ સાધુના સંપર્કમાં આવ્યો અને હિન્દુ ધર્મથી પરિચિત થયો.  તુલસીમાતા અને વિષ્ણુ ભગવાનનો ભક્ત પણ બન્યો અને જનોઈ ધારણ કરતો થયો. એક કથા એવી છે કે વિષ્ણુ ભગવાન એને સપનામાં આવ્યા અને એને રાજ કરવાનો આદેશ આપ્યો. બિરસાએ પોતાને ભગવાને મોકલેલો દૂત જાહેર કર્યો અને કહ્યું કે હવે અંગ્રેજી રાજ ગયું અને મુંડા રાજ પાછું આવ્યું. મુંડાઓ એને ’ધરતી અબા’ (ધરતીના પિતા) તરીકે ઓળખવા લાગ્યા. એણે હવે બદીઓથી દૂર રહેવાની મુંડાઓને મનાઈ કરી દીધી.

આદિવાસીઓના રોષને દબાવવા માટે એક રાતે બિરસાની ધરપકડ કરી લેવાઈ. એને બે વર્ષની જેલાની સજા કરવામાં આવી.

સજા ભોગવ્યા પછી બિરસાએ પાછા આવીને ઉલગુલાન (સંઘર્ષ કે વિદ્રોહ) શરૂ કરી દીધો આંદોલન) જે બે વર્ષ ચાલ્યો. એમની દોરવણી નીચે આદિવાસીઓએ બે વર્ષમાં બ્રિટિશ હકુમતનાં કામ થતાં એવાં સોએક ભવનો પર હુમલા કર્યા અને બ્રિટિશ સત્તાને હંફાવી.

૧૮૯૯ની ૨૫મી ડિસેમ્બર – ક્રિસમસની રાતે સાત હજાર મુંડા ડોમ્બારીની ટેકરી પર ભેગા થયા અને એક ચર્ચ પર હુમલો કર્યો. આમાં બે સિપાઈ માર્યા ગયા. ૧૯૦૦ની પાંચમી જાન્યુઆરી સુધીમાં તો ઠેર ઠેર મુંડા રાજની આણ ચોમેર વર્તાઈ ગઈ.

અંતે, એની સામે ભારે હથિયારોથી સજ્જ દળકટક મોકલવામાં આવ્યું. મુંડાઓ પરાજિત થયા. પોલીસે ભારે ગોળીબાર કરીને ચારસો મુંડાઓ અને ઓરાઓંને મારી નાખ્યા અને એમની લાશો પણ ખાઈઓમાં ફેંકી દીધી. બિરસા તો ત્યાંથી ભાગીને સિંઘભૂમના ટેકરિયાળા પ્રદેશમાં છુપાઈ ગયા હતા પણ ૧૯૦૦ની ત્રીજી માર્ચે એ પકડાઈ ગયા.

એમના ૪૮૨ સાથીઓ સામે કેસ ચાલ્યો. એકને દેહાંતદંડ અપાયો. કેટલાયને કાળા પાણીની સજા થઈ. કેટલાયને ૧૪ વર્ષની જેલ મળી. કમનસીબે એ અરસામાં કૉલેરા ફેલાયો અને એ રાંચીની જેલમાં પણ પહોંચ્યો. બિરસા પણ એમાં ઝડપાયા અને ૧૯૦૦ની ૯મી જૂને  એમનું મૃત્યુ થઈ ગયું. મૃત્યુ સમયે એમની ઉંમર માત્ર ૨૪ વર્ષ અને  ૭ મહિનાની હતી.

બિરસા મુંડાનો પ્રભાવ એટલો બધો હતો કે આજે પણ  બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના આદિવાસીઓ બિરસા મુંડાને ભગવાન માને છે. આપણે પણ એમની સ્મૃતિમાં નતમસ્તક થઈએ.

૦૦૦

Martyrs of Indian Freedom Struggle [15] – Bhill Uprising – Bhagoji Naik

ભીલોનો વિદ્રોહ

૧૮૫૭નું રણશિંગું ફુંકાઈ ગયું હતું ત્યારે ઈસ્ટ ઇંડિયા કંપનીને અજાણ્યે ખૂણેથી વિદ્રોહનો સામનો કરવો પડ્યો. સાત હજાર ભીલો નાશિક અને અહમદનગર વચ્ચે એકઠા થયા. પાડોશમાં નિઝામનું રાજ્ય હતું ત્યાંથી કોઈ હુમલો ન થાય તે માટે સરહદે અંગ્રેજી ફોજ ગોઠવાયેલી હતી. મોટાં શહેરો પર ભીલો હુમલા કરી શકે છે એવા સમાચાર પણ હતા એટલે બ્રિટિશ સેના સાવધ હતી. ભીલોને દબાવવાની મુખ્ય જવાબદારી પોલીસ દળની હતી અને એક વખતના વિદ્રોહી કોળીઓ હવે અંગ્રેજોના વફાદાર સિપાઈ બનીને ભીલો સામે ગોઠવાયેલા હતા. આ વખતે ભગોજી નાયકે ભીલોને સંગઠિત કરવાની શરૂઆત કરી. ભગોજી પહેલાં અહમદનગરના પોલીસ ખાતામાં અફસર હતા પણ ૧૮૫૫માં એમને બળવો કરવા અને સરકારી કામમાં દખલ દેવા માટે જેલની સજા કરવામાં આવી હતી પણ જેલમાં સારી વર્તણૂક બદલ એમને છોડી મૂકવામાં આવ્યા હતા. એક વર્ષ સુધી તો એમને પોતાના જામીન આપવા પડ્યા પણ વર્ષ પૂરું થયું ત્યારે કંપની સરકારે ગામડાંઓમાંથી લોકોનાં હથિયારો લઈ લેવાનો હુકમ કરી દીધો હતો.

                                           ભગોજી નાયક

આથી ભગોજીને લાગ્યું કે ગામ છોડી દેવું જોઈએ. એ ત્યાંથી નીકળી ગયા. પણ એમની અસર બહુ સારી હતી એટલે ભીલો એમની વાત માનતા. એમણે તરત પચાસ જણને એકઠા કર્યા અને પૂણે-નાશિક રોડ  પર અડ્ડો જમાવ્યો.

એક અંગ્રેજ ઑફિસરે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે ભીલોની સ્ત્રીઓ પણ પુરુષો જેવી જ છે અને અશાંતિ ફેલાવે છે. આ જ સ્ત્રીઓ બળવાખોરોને ખાવાપીવાનો સામાન પહોંચાડે છે, એટલું જ નહીં, પોતે પણ લડવામાં પાછીપાની નથી કરતી. એટલે જ્યાં સુધી ભગોજી અને બીજા નાયકો પકડાય નહીં ત્યાં સુધી સ્ત્રીઓને બાન પકડી લેવી જોઈએ!

જો કે એમણે એવું તો ન કર્યું પણ ભગોજી સાથે વાતચીત કરવા માટે એક ટુકડી મોકલી.  ભગોજીએ ના પાડી અને કહ્યું એક એમનો બે વર્ષનો ચડત પગાર સરકાર ચૂકવી આપશે તો એ હથિયાર હેઠાં મૂકી દેશે. એટલે હવે પોલીસ ટુકડી મોકલવાનું નક્કી થયું. એ નજીક આવે અને કંઈ કરી શકે તે પહેલાં જ વિદ્રોહીઓએ હુમલો કરી દીધો, કંપનીની ટુકડીનો એક સિપાઈ ત્યાં જ મરણ પામ્યો. ટુક્ડીના સરદાર લેફ્ટેનંટ હેનરીને પણ તીર વાગ્યું અને  એ ઘાયલ થઈ ગયો. તેમ છતાં એ આગળ વધ્યો. ત્યાં તો એક તીર એને છાતીમાં વાગ્યું અને ઢળી પડ્યો. હવી લેફ્ટેનન્ટ થૅચરે ટુકડીનું સુકાન સંભાળી લીધું. એના હુમલા સામે ભીલોના પગ ઊખડી ગયા.

પણ ભીલોને હારતા જોઈને આખી ભીલ કોમ ઊકળી ઊઠી. એ વખતે પાથરજી નાયકે એકસો  ભીલોને એકઠા કર્યા. જો કે એક હિન્દી ડેપ્યુટી કલેક્ટરના સમજાવવાથી એ ભીલો શરને આવી ગયા.

આ બાજુ ભગોજીએ લડાઈ ચાલુ રાખી. પણ અંગ્રેજોએ કોળીઓની મદદથી એમનો સામનો કર્યો. ૧૮૫૯ સુધી ભીલો હુમલા કરતા રહ્યા.  ૧૮મી ઑક્ટોબરે કોળીઓના વળતા જવાબમાં ભગોજીના દીકરા યશવંત અને બીજા એક ભીલ નેતા હરજી નાયક માર્યા ગયા. તે પછી પણ ભગોજીએ ૨૬મી ઑક્ટોબરે કોપરગાંવના કોઢાલા ગામને લૂંટી લીધું. અંતે ૧૧મી નવેંબરે ભગોજીના ભીલો અને સરકારી ટુકડી વચ્ચે હાથોહાથની લડાઈ થઈ. એમાં ભગોજી અને એમના કેટલાયે સાથીઓનાં મોત થયાં. આમ બળવાનો અંત આવ્યો.

0x0x0

૧૭૫૭થી માંડીને ૧૯૪૫ સુધી આદિવાસીઓ અને સામાન્ય માણસોએ સાઠ જેટલા  બળવા કર્યા, બધા વિશે લખી શકાય એવી આધારભૂત માહિતી પણ નથી મળતી. એટલે આપણે આવતા અંકમાં આદિવાસીઓના સૌથી પ્રખ્યાત નેતા બિરસા મુંડાએ ૧૮૯૯માં કરેલા વિદ્રોહની નોંધ લઈશું અને તે પછી ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામના બહાદુરોને યાદ કરીશું.

0x0x0

Martyrs of Indian Freedom Struggle [14] : Santhal Rebellion (1855)

કાન્હૂ અને સીધૂઃ ૧૮૫૫નો સંથાલ વિદ્રોહ

ભારતના ઇતિહાસમાં સંથાલ આદિવાસીઓનો વિદ્રોહ ખાસ ઉલ્લેખને પાત્ર રહ્યો છે. આજે પણ સંથાલો પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢના મોટા ઇલાકાઓમાં વસે છે. ૧૭૯૩માં લૉર્ડ કૉર્નવૉલિસે જમીન મહેસૂલની કાયમી જમાબંધી પદ્ધતિ લાગુ કરી. આ સાથે જમીનની માલિકી સરકારના હાથમાં ચાલી ગઈ. પહેલાં આદિવાસીઓ જંગલને પોતાનું સમજીને એની પેદાશોનો ઉપયોગ કરતા હતા પરંતુ મહેસૂલ વધારવા માટે કંપની સરકારને નવી જમીનો જોઈતી હતી એટલે જંગલો કાપવાનું શરૂ થયું. સંથાલોને ભોળવીને બીરભૂમ જિલ્લામાં મોકલી દેવાયા. ત્યાં એ સીધા જ જમીનદારો અને શાહુકારોની ચુંગાલમાં સપડાયા અને સંથાલો પોલીસ દારોગાના જુલમોનો પણ શિકાર બનવા લાગ્યા. ૧૮૩૮માં સંથાલોના ગામ દામિની-કોહમાંથી માત્ર બે હજાર રૂપિયાની આવક થતી હતી, તે ૧૮૫૧માં વધીને ૪૪,૦૦૦ રૂપિયા થઈ અને બીજાં માત્ર ત્રણ વર્ષમાં ૬૮,૦૦૦ રૂપિયા સુધી પહોંચી.

એક વાર બે ભાઈઓ કાન્હૂ અને સીધૂ પોતાની ઝૂંપડીમાં બેઠા હતા ત્યારે એમણે કંઈક ચમત્કાર અનુભવ્યો. એમને ‘ઠાકુરજી’નાં દર્શન થયાં. તે પછી એમણે પોતાને પ્રદેશના રાજા જાહેર કર્યા અને સૌને બીજા કોઈની આણ ન માનવાનો આદેશ આપ્યો. ઠાકુરજીએ જ એમને રાજા બનાવ્યા હતા. સંથાલો ઠાકુરજીનો પડ્યો બોલ ઝીલવા તત્પર રહેતા. આમાં જ બ્રિટિશ હકુમતને પડકાર હતો.

૧૮૫૫માં કલકત્તાની મૅસર્સ મૅકી ઍન્ડ કંપનીએ જ્યાં સંથાલોને એમનાં ગામો ખાલી કરીને વસાવ્યા હતા તે બીરભૂમમાં જ લોખંડનું કારખાનું ખોલ્યું. આ ઉપરાંત, કોલસાની ખાણોનું કામ શરૂ થયું અને ગળીનાં કારખાનાં પણ બન્યાં. એમણે મોટા પાયે જંગલો કાપવાનું શરૂ કર્યું. આમાં ઘણા યુરોપિયનો અને યુરેઝિયનોને નોકરી મળી. આ લોકોને મન સંથાલ જંગલી જાનવર હતા અને એમની સ્ત્રીઓ માત્ર વસ્તુ હતી.

સંથાલો માટે ઝાડ એટલે એમના પૂર્વજોના આત્માઓનું ઘર. આત્માઓ ઝાડો અને પહાડોની ટોચ પર રહે. સંથાલોમાં ગોરાઓ સામે રોષ વધતો ગયો. બીજી બાજુ, શહેરી હિન્દુઓનો ધર્મ પણ એમની આસ્થા પર દબાણ કરતો હતો. એમણે ઘણાં હિન્દુ આસ્થાનાં પ્રતીકો સ્વીકાર્યાં બૈદ્યનાથ (ભગવાન શિવ)ના મેળામાં એમની આવવા માટે શહેરીઓ પ્રોત્સાહિત કરતા, પણ એ મેળામાં જતા ત્યારે એમને કોઈ સમોવડિયા ન માનતા. એમનો માત્ર નાચગાન અને મનોરંજન માટે ઉપયોગ થતો.

આમ ચારે બાજુથી સંથાલો ભીંસમાં હતા. એવામાં છોટા નાગપુર પ્રદેશનાં ખનિજો અને લાકડાં સહેલાઈથી લઈ જવા માટે રેલવે લાઇનનું બાંધકામ શરૂ થયું. જે બાકી હતું તે પણ હવે પૂરું થયું. કુદરતને ખોળે મુક્ત જીવન જીવવા ટેવાયેલા સંથાલો ગૂંગળામણ અનુભવવા લાગ્યા હતા. એમણે હવે બદલો લેવાનું શરૂ કર્યું. અંગ્રેજોના યુનિફૉર્મધારી સૈનિકોને જંગલની લડાઈનો અનુભવ નહોતો.  સંથાલોનાં તીર રોજેરોજ સૈનિકોની લોથો ઢાળવા લાગ્યાં.

એમનો પહેલો રોષ મહાજનો પર ઊતર્યો. એમણે શાહુકારો અને જમીનદારોનાં ઘરો પર હુમલા શરૂ કરી દીધા. માત્ર દામિની-કોહ નહીં આજુબાજુના પ્રદેશોના સંથાલોમાં પણ સંદેશ પહોંચવા લાગ્યો. એમના હુમલાઓ સામે ‘દિક્કુઓ’ (બંગાળી શહેરીઓ)એ સરકારમાં ફરિયાદો કરી. સંથાલોના સાથી જેવા માઝીઓના એક નેતા બીર સિંઘ માઝીને નાયબે કચેરીમાં બોલાવ્યો અને જોડાથી માર્યો. પોલીસે કાન્હૂ અને સીધૂને પણ પકડવાની કોશિશ કરી.

આથી બળતામાં ઘી ઉમેરાયું. સંથાલો ઉશ્કેરાયા. ૩૦મી જૂને પૂનમ હતી તે દિવસે દસ હજાર સંથાલ ભગનડીહીમાં એકઠા થયા. એમણે કંપનીના સત્તાવાળાઓ અને જમીનદારોને પત્રો લખીને જાણ કરી કે ‘ઠાકુરજી’એ નક્કી કરેલા દરે જ મહેસૂલ આપશું. એમણે પંદર દિવસમાં જવાબ માગ્યો.

૧૮૫૫ની સાતમી જુલાઈએ બધા એકઠા થયા. લડવાનો પાકો સંકલ્પ કર્યો અને નીકળી પડ્યા. એમણે કેટલીયે સરકારી કચેરીઓ પર હુમલા કર્યા. અંતે સરકારે પોલીસ ટુકડીઓ મોકલી, રીતસરનું યુદ્ધ થયું. ૧૫-૨૦ હજાર સંથાલો મોતને ભેટ્યા.

દેશ એટલે શું? ‘સભ્ય’ કહેવાતા ઇતિહાસકારો સંથાલોના વિદ્રોહને માત્ર જંગલ અને જમીન માટેનો વિદ્રોહ કહે છે. પરંતુ એ આ દેશ પર ઠોકી બેસાડાતી નવી આર્થિક વ્યવસ્થા સામેનો વિદ્રોહ હતો અને સંથાલો સમજી શક્યા કે આના ખરા અપરાધી કોણ હતા. એક દિવસના ધિંગાણામાં વીસ હજારનાં મરણ થાય એ ઇતિહાસની મોટી ઘટના છે. આદિવાસીઓનું આપણા પર ઋણ છે તેને માથે ચડાવીએ.

0x0x0

Martyrs of Indian Freedom Struggle [13] : Khasi Insurrection

ખાસી અને ગારો હિલ્સમાં વિદ્રોહ

ખાસી પર્વતીય પ્રદેશ મેઘાલય રાજ્યની ખાસી-ગારો-જૈંતિયા પર્વતમાળાનો એક ભાગ છે. અંગ્રેજોની જોહુકમી સામે ૧૮૨૮માં ખાસી જાતિના રાજા અને પ્રજા  ભડકી ઊઠ્યાં. પરંતુ આ સમજવા માટે આપણે પહેલાં આસામનો ૬૦૦ વર્ષનો ઇતિહાસ જોવો પડશે, આપણે એના પર એક ઊડતી નજર નાખીએ.

ઈ. સ. ૧૨૨૮માં ચીનના મોંગ માઓ પ્રાંતમાંથી સુકફ્ફા નામનો તાઈ ભાષી શાસક આવ્યો અને બ્રહ્મપુત્ર ખીણ પ્રદેશ કબ્જે કરી લીધો. એ અહોમ જાતિનો હતો. તાઈ ભાષીઓ ચીનથી માંડીને અગ્નિ એશિયાના થાઈલૅંડ, વિયેતનામ વગેરે ઘણા દેશોમાં છે પણ એમની જાતિઓ જુદી છે, માત્ર ભાષા  એકસમાન છે. સુકપ્પા પછીના રાજાઓના સમયમાં બ્રહ્મપુત્ર ખીણનું અહોમીકરણ શરૂ થયું. એટલે એ પ્રદેશમાં જે કોઈ રહેવા આવ્યા તે બધા  અહોમ કહેવાયા. અહોમ રાજ્ય ૬૦૦ વર્ષ ટક્યું એમાં ઘણી જાતની અસરો પણ ભળી. હિંદુઓ પણ ત્યાં જઈને વસ્યા અને ધીમે ધીમે ત્યાં વૈદિક સંસ્કૃતિ પણ ફેલાઈ.

લોકોમાં ઘણા વર્ગો હતા અને અહોમ રાજ્ય પાઇકાઓને ભરોસે ચાલતું હતું. પાઇકા આમ તો ખેડૂત કે કારીગર હતા પણ એમને વર્ષમાં ત્રણ મહિના રાજ્યની વેઠ કરવી પડતી. આવા ગરીબ વર્ગોમાં વૈષ્ણવ ધર્મ ફેલાયો. શંકર દેવનો એમાં મોટો ફાળો રહ્યો. વૈષ્ણવોએ ઘણાં સત્રો (આશ્રમો) સ્થાપ્યાં. ખેડૂતો અને મજૂરો માટે આ સત્રો એકઠા થવાનાં સ્થાન બની ગયાં.

૧૭૬૯માં મૂળ અહોમ  લઘુમતીમાં હતા પરંતુ રાજ્ય એમના હાથમાં હતું.  રાજ્યની સ્થિતિ કથળવા લાગી હતી એટલે વેઠ ત્રણ મહિનાને બદલે ચાર મહિનાની શરૂ થઈ. સત્રોના અનુયાયી ખેડૂતો અને કારીગરોમાં આ કારણે અસંતોષ ફેલાયો.  બળતામાં ઘી હોમવાનું કામ મોઆમાર સત્રે કર્યુ. આ મોઆમારિયા વિદ્રોહ તરીકે ઓળખાય છે.

અહોમ વંશ નબળો પડી ગયો હતો. અહોમ રાજા પુરંદર સિંઘાએ વિદ્રોહને દબાવી દેવા ઇસ્ટ ઇંડિયા કંપનીની મદદ માગી. કંપની માટે ભાવતું’તું ને વૈદે બતાવ્યા જેવું થયું. કંપનીના અધુનિક સૈન્યે મોઆમારિયાનો બળવો તો દબાવી દીધો પણ બકરું કાઢતાં ઊંટ પેસી જેવા જેવી હાલત પેદા થઈ. અંગ્રેજોએ હવે પોતાનો પગદંડો જમાવી લીધો. અમુક પ્રદેશ પણ એમને મળી ગયો.

આસામની આ સ્થિતિનો લાભ લઈને બર્માએ ૧૮૨૪માં આસામ પર હુમલો કર્યો. એ વખતે અંગ્રેજી ફોજે એનો મરણિયો મુકાબલો કરીને બર્માને હાર આપી. આથી કંપનીનું સ્થાન વધુ મજબૂત બન્યું હવે એણે રોજના રાજકાજમાં પણ માથું મારવાનું શરૂ કરી દીધું. ૧૮૨૮ સુધીમાં અહોમ રાજાની બધી સત્તા કંપનીએ સંભાળી લીધી.  રાજાના વિશ્ષાધિકારો પણ લઈ લીધા.

રાજા ગામાધાર કોંવર અને એના સાથી ગિરિધર બોરગોહાઈંએ અંગ્રેજોને હાંકી કાઢવાનું નક્કી કર્યું. જોરહટમાં ગોમાધરનો અહોમ રાજા તરીકે પરંપરાગત રીતે રાજ્યાભિષેક થયો. તે પછી ગોમાધર કંઈ કરે તે પહેલાં કંપનીને ખબર મળ્યા. તરત જ અંગ્રેજોની ફોજ આવી પહોંચી, ગોમાધર નાગા પહાડીઓમાં ભાગી ગયો. થોડા વખત પછી કંપનીએ એને પકડી લીધો અને  મોતની સજા કરી પણ પછી  સજા રદ કરીને ને કોઈ અજાણ્યા સ્થળે મોકલી દીધો. એનું મૃત્યુ કેમ થયું તે પણ કોઈને જાણવા નથી મળ્યું.

આટલી પૂર્વભૂમિકા પછી આપણે ખાસી પર્વતીય પ્રદેશમાં થયેલા બળવા વિશે વાત કરીએ. આપણે જોયું કે અંગ્રેજોને રાજાએ સ્થાનિકનો બળવો દબાવી દેવા બોલાવ્યા તેની ભારી કિંમત રાજાએ પોતે જ ચૂકવી. હવે કંપનીના એજન્ટ ડેવિડ સ્કૉટની આણ પ્રવર્તતી હતી.

સ્કૉટને વિચાર આવ્યો કે બંગાળ પ્રાંત સાથે આસામને સાંકળી લેવા માટે આસામથી સિલ્હટ સુધી રસ્તો બનાવવો જોઈએ. એની યોજના પ્રમાણે આ રસ્તો ખાસીના પહાડી પ્રદેશમાંથી પસાર થતો હતો. નોંખ્લાવમાંથી આ રસ્તો  નીકળવાનો હતો એટલે એણે પહેલાં તો નોંખ્લાવના સિયેમ (એટલે કે મુખ્ય સરદાર) ને મનાવી લેવાની કોશિશ કરી. એ આસામથી પાલખી વગેરે ભેટસોગાદો લઈને એ સિયેમ  તીરથ સિંઘ (તિરુત સિંઘ)ને મળ્યો અને એને મનાવી લીધો અને રસ્તો બની ગયો.

એ રસ્તેથી થઈને બ્રિટિશ ફોજની ટુકડીઓ આસામ અને બંગાળ વચ્ચે આવતીજતી થઈ ત્યારે પ્રજાને સમજાયું કે આ રસ્તો  એમના માટે કેટલો જોખમી નીવડશે.  હેઠવાસના માણસો આવીને પહાડો પર કબજો જમાવી લે એવી એમને બીક લાગી. કંપની હવે કરાવેરા નાખશે એવી વાત પણ વહેતી થઈ.  આ એમની સ્વાયત્તતા પર હુમલાની તૈયારી હતી. લોકોનો આવેશ જોઈને તીરથ સિંઘ પણ હવે અંગ્રેજોના પક્ષે રહી શકે તેમ નહોતું કારણ કે લોકો એના પર જ ખિજાયા હતા. તીરથ સિંઘે લોકોની સાથે રહેવાનો ફેંસલો કર્યો.

સ્કૉટ એ વખતે નોંખ્લાવમાં જ હતો.  સિયેમની માને ‘સાહેબ’ માટે લાગણી હતી એટલે એણે સ્કૉટને તીરથ સિંઘની યોજના બતાવી દીધી. એ ત્યાંથી તરત ભાગી નીકળ્યો અને ચેરાપૂંજીમાં અંગ્રેજોના મિત્ર દીવાન સિંઘ રાજાના મહેલમાં પહોંચી ગયો.

૧૮૨૯ની ૪ ઍપ્રિલે તીરથ સિંઘની સરદારી નીચે પાંચસોનું ટોળું અંગ્રેજો રહેતા હતા ત્યાં એકઠું થયું.  લેફ્ટેનન્ટ બેડિંગફીલ્ડ અને લેફ્ટેનન્ટ કર્નલ બર્ટનને બહાર બોલાવ્યા અને થોડી પૂછપરછ પછી બન્નેને મારી નાખ્યા. એ વખતે ત્યાં હિન્દુસ્તાની સિપાઈઓ પણ હતા. એમાંથી સાઠ  ખાસીઓનાં તીરકામઠાંનો ભોગ બન્યા. બ્રિટિશ રાજમાં ભૂકંપ આવ્યો.

તરત જ નવા રસ્તેથી આસામ અને સિલ્હટથી કંપનીની સેના આવી પહોંચી. એમનાં આધુનિક હથિયારો સામે તીરકામઠાં નબળાં સાબિત થયાં અને ખાસીઓ હાર્યા. પરંતુ ગારો આદિવાસીઓ અને ઉત્તર આસામના લોકો ખાસીઓની પડખે રહ્યા અને અંગ્રીજો સાથે ખાસીઓની લડાઈ ચાર વર્ષ ચાલતી રહી.

ડેવિડ સ્કૉટે પાછળથી આ બળવા વિશે રિપોર્ટ આપ્યો તેમાં કબૂલ્યું કે વિદ્રોહીઓ અંગ્રેજી હકુમતને આસામ અને ઈશાન ભારતમાંથી હાંકી કાઢવા માગતા હતા.

આજે ખાસીના આ વીરોની કથા ઇતિહાસના કોઈ રઝળતા પાને મળી આવે તો ભલે.

000

Martyrs of Indian Freedom Struggle [12] : Paika Uprising of Odisha

ઓડીશાનો પાઇકા વિદ્રોહ

૧૮૧૭માં ઓડીશામાં અંગ્રેજી શાસન વિરુદ્ધ આગ ભડકી ઊઠી અને તે છૂટક છૂટક ૧૮૩૬ સુધી સળગતી રહી.  ૧૮૦૩માં  ઈસ્ટ ઇંડિયા કંપનીએ ઓડીશામાં પ્રવેશ કર્યો. એ જ વખતથી એની સામે વિરોધ શરૂ થઈ ગયો હતો. ખુર્દાના ગજપતિ રાજાના દરબારમાં જયકૃષ્ણ મોહાપાત્રા રાજગુરુ મુખ્ય પુરોહિત હતા. એ જયી રાજગુરુ તરીક ઓળખાતા. એમણે મરાઠાઓ સાથે  મળીને કંપનીને પડકાર ફેંકવાનું નક્કી કર્યું. પણ એમની યોજના છતી થઈ ગઈ. અંગ્રેજોના દબાણ નીચે રાજાએ એમને દરબારમાંથી પાણીચું પકડાવી દીધું અને અંગ્રેજોએ એમને પકડી લીધા. એમની સામે કેસ ચાલ્યો અને ૧૮૦૬ની છઠી ડિસેમ્બરે એમને મોતને ઘાટે ઉતારી દેવાયા. એ માત્ર ફાંસી નહોતી. કંપનીના અધિકારીઓ યાતના આપવાની મઝા પણ લૂંટવા માગતા હતા એટલે એમના પગ એક ઝાડની બે દૂર દૂરની ડાળીએ બાંધ્યા અને પછી ડાળીઓને છોડી દીધી, જયી રાજગુરુનું શરીર આમ બે ભાગમાં ચિરાઈ ગયું.

ઓડીશામાં આમ ભારેલો અગ્નિ હતો.  આ પાશવી હત્યાના પડઘા દૂર દૂર સુધી પડ્યા. લોકોમાં અરેરાટીની લાગણી હતી. એ જ વખતે અંગ્રેજોએ પોતાની નવી મહેસૂલ નીતિ લાગુ કરી. પાઇકાઓ આમ તો ખેડૂતો હતા, પણ સામાન્ય ખેડૂતો નહીં,  ગજપતિ રાજવંશના રાજાઓ એમને સૈનિક તરીકે રાખતા. એમને હથિયારો પણ આપ્યાં હતાં. લડાઈ હોય ત્યારે પાઇકાઓ રાજાના સૈન્યમાં જોડાય અને તે સિવાય શાંતિના કાળમાં ખેતી કરે.  એમની જુદી જુદી શ્રેણીઓ હતી, જેમ કે, એક દળ ખાંડા-ઢાલ દળ હતું. આમ હથિયારો તો એમની પાસે હતાં જ. નવી મહેસૂલ નીતિ વિરુદ્ધ એમનો વિદ્રોહ એવો જોરદાર હતો ને બે-ત્રણ વર્ષ પહેલાં ઓડીશા સરકારે પાઇકા વિદ્રોહને પહેલા સ્વાતંત્ર્યસંગ્રામ તરીકે માન્યતા આપવાની માગણી કરી હતી.

૧૮૧૭ના માર્ચમાં પાઇકાઓ ખુર્દા શહેરમાં જગબંધુ બિદ્યાધર મોહાપાત્રાની આગેવાની હેઠળ એકત્ર થયા.  ખુર્દાના છેલ્લા રાજા મુકુંદ દેવ અને બીજા રાજાઓનો પણ સાથસહકાર મળ્યો. મુકુંદ દેવનાં રાજપાટ કંપનીએ ૧૮૦૪માં જ છીનવી લીધાં હતાં. અંગ્રેજોએ એમને પણ પકડી લીધા. એમનું જેલમાં જ ૧૮૧૭માં મૃત્યુ થયું.

જગબંધુએ ૪૦૦ કાંધ (અથવા કોંધ) આદિવાસીઓને પણ વિદ્રોહમામ જોડ્યા અને ખુર્દામાં અંગ્રેજોની સત્તાનાં પ્રતીકો – કોર્ટકચેરીઓ, પોલીસ સ્ટેશનો અને સરકારી ઑફિસોને આગ લગાડી દીધી. કટકના મૅજિસ્ટ્રેટ ઈમ્પીએ લેફ્ટેનન્ટ કર્નલ ફારિસની સરદારી નીચે એક ટુકડી મોકલી પણ વિદ્રોહીઓ સાથેની લડાઈમાં ફારિસ પોતે જ મર્યો ગયો અને કંપનીને પીછેહઠ કરવી પડી. બળવાખોરોને દબાવી દેતાં એક મહિનો લાગી ગયો. જગબંધુ પોતાના સાથીઓ સાથે જંગલમાં ભાગી ગયા અને ત્યાંથી છૂટાચાવાયા હુમલા કરતા રહ્યા. અંતે જો કે કંપનીએ કબજો કરી લીધો પણ જગબંધુ છેક ૧૮૨૫માં પકડાયા અને ૧૮૨૯માં જેલમાં જ એમનું મૃત્યુ થઈ ગયું.

પરંતુ પાઇકાઓનો રોષ  શાંત ન થયો. ૧૮૫૭માં પણ ઓડીશામાં વિદ્રોહીઓ માથું ઊંચક્યું. એમાં સંબલપુરના વિદ્રોહના નેતા વીર સુરેંદ્ર સાઈનું નામ આગળપડતું છે. એમના એક સાથી માધો સિંઘના ત્રણ પુત્રો અંગ્રેજો સામે લડતાં માર્યા ગયા અને મોટા પુત્રને જનમટીપ આપવામાં આવી. માધો સિંઘની પૌત્રીનો પતિ પણ શહીદ થયો, માધો સિંઘને પણ ૧૮૫૮માં ફાંસી આપવામાં આવી. એ વખતે એ ૭૨ વર્ષના હતા.

ઓડીશામાં આ અરસામાં કાંધ આદિવાસીઓએ બે વાર બળવા કર્યા. એમના નેતાઓ હતા, ડોરા બિસોઈ અને ચક્ર બિસોઈ.

ઓડીશાના આ બધા વીરોને શ્રદ્ધાંજલિ આપીએ.

000

Martyrs of Indian Freedom Struggle [11] : The Beginning of Koli Uprisings from Kheda

કોળીઓનો વિદ્રોહખેડાથી આરંભ

અંગ્રેજોમાં જાણે અસંતોષ ફેલાવવાની શક્તિ હોય તેમ આખા દેશમાં ઠેકઠેકાણે એમની સામે બગાવતના બૂંગિયા ફુંકાયા કરતા હતા. એમની ખેતીના ભાવોની નવી નીતિ અને વહીવટી પદ્ધતિઓમાં ફેરફારની અસર સીધી તો ખેડાના કોળીઓ પર નહોતી થતી, કારણ કે એ ઈસ્ટ ઇંડિયા કંપનીના અધિકાર ક્ષેત્રની બહાર હતા પણ એમણે પાડોશીઓની સ્થિતિ જોઈને નક્કી કર્યું કે આ તો સૌની સદીઓ જૂની જીવનપદ્ધતિ પર હુમલો છે. આથી કોળીઓએ બીડું ઝડપી લીધું.

ખેડાના અમુક કોળી સરદારો અને એમના સાથી ખેડૂતોએ એકઠા થઈને નવા નિયમો વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી પણ ઘણા સરદારોએ કંપનીના નવા નિયમોને સીધા જ ઠોકરે ચડાવ્યા. એમણે સાફ કહી દીધું કે અમને મહેસૂલ અને બીજા કરવેરા વસૂલ કરવાનો પરંપરાગત અધિકાર છે, તેના પ્રમાણે જ અમે ચાલશું; કંપની-બંપનીની વાત અમે માનશું નહીં. એમણે ૧૮૦૮થી કંપનીના તાબાનાં શહેરો પર છાપા મારવાનું શરૂ કરી દીધું. ધોળકા અને આસપાસનાં ગામો એમનું નિશાન બન્યાં. કોળીઓ  સહેલાઈથી ગામમાં ઘૂસી જતા અને લૂંટફાટ કરીને પાછા આવી જતા. બે વરસ તો કંપની લાચાર બનીને જોતી રહી પણ ૧૮૧૦ પછી એનો વ્યૂહ સફળ થતો દેખાયો અને ઘણા કોળીઓ પકડાઈ ગયા. આમાં એમનો નેતા બેચર ખોકાણી પણ હતો. ૧૮૦૮ની ૨૦મી ફેબ્રુઆરીએ પચાસેક કોળીઓએ જેલ પર જ હુમલો કરીને ખોકાણીને બહાર કાઢી લીધો. એ જ રાતે ખોકાણી અને એના સાથીઓએ ફરી ધોળકા પર હુમલો કર્યો.

ખેડાના મૅજિસ્ટ્રેટ હૉલ્ફર્ડને સમજાયું કે કોળીઓ એમના તાબાનાં ગામોમાં નથી રહેતા એટલે એણે ગામના મોભી ગણાતા લોકો પર વિદ્રોહીઓને પકડવામાં મદદ કરવાનું દબાણ કર્યું. એમણે એવી પણ યોજના કરી કે જે પકડાય તેને સાત વર્ષ માટે કોઈ ટાપુ પર મોકલી દેવો. પણ એમને મોકલે તે પહેલાં જ બેચર ખોકાણીના દળના ચારસો કોળીઓએ જેલમાંથી બધાને છોડાવી લીધા અને એ સૌ કંપનીના પ્રદેશની બહાર ચાલ્યા ગયા.

૧૮૨૪માં અમદાવાદના કલેક્ટર ક્રોફર્ડે મિલિટરીની મદદ લઈને બળવાખોરોનાં ગામોને જ જમીનદોસ્ત કરી નાખવાનું સૂચન કર્યું. પરંતુ કોળીઓ ડગ્યા નહીં. ૧૮૩૦ સુધી હુમલા ચાલુ રહ્યા. છેક ૧૮૪૦માં કંપનીને સફળતા મળી અને કોળીઓનાં શસ્ત્રો લઈ લેવાયાં. એ તે પછી ખેતીમાં લાગ્યા.

આના પછી પણ કોળીઓ શાંત ન થયા.  ૧૮૫૭ના જુલાઈમાં લુણાવાડા રાજ્યના માલીવાડના કોળીઓ સૂરજમલની નેતાગીરી હેઠળ એકઠા થયા. સૂરજમલના મૃત્યુ પછી ખાનપુરના જીવાભાઈ ઠાકોરે લડતની સરદારી સંભાળી. ડિસેમ્બરમાં કેટલાક કોળી પકડાયા. એમાંથી એમના સરદાર અને બીજા કેટલાકને ફાંસી આપી દેવાઈ.

સપ્ટેમ્બર ૧૮૫૭માં ચાંડોપના નાથાજી અને એમના ભાઈ યામાજીની આગેવાની હેઠળ મહીકાંઠાનાં કેટલાંક ગામોના બે હજાર કોળીઓએ બળવો કર્યો. મહીકાંઠા પર વડોદરાના ગાયકવાડની હકુમત હતી. મહારાજાએ કોળીઓને વિદ્રોહ ન કરવાની ચેતવણી આપી અને દસ ઘોડેસવાર મોકલ્યા પણ એક કોળીઓના હુમલામાં માર્યો ગયો અને બે જખમી થઈ ગયા. વડોદરા, ખેરાળુ, વીજાપુર વડનગરમાં અંધાધૂંધી જેવી હાલત હતી. કોળીઓન દબાવવામાં આખું વર્ષ નીકળી ગયું. નાથ્હાજી હાથ ન લાગ્યા. એ થોડા સાથીઓ સાથે મહીની કોતરોમાં ભરાઈ ગયા અને હુમલા કરતા રહ્યા.

એ જ અરસામાં મહારાષ્ટ્રના પેઠમાં પણ કોળીઓએ અંગ્રેજો સામે માથું ઊંચક્યું. આ બળવામાં કોળી રાજા ભગવંત રાવ અને એમના બીજા ૧૫ અધિકારીઓનો હાથ હોવાનું માનીને અંગ્રેજોએ એમને ફાંસી આપી દીધી.

૧૯૪૨ના  ભારત છોડો આંદોલનમાં પણ સુરતના ત્રણ હજાર કોળીઓએ ભાગ લીધો. ૨૧મી ઑગસ્ટે એમણે બ્રિટિશ સૈનિકોની ટુકડી પર લાઠીઓ અને ધારિયાંથી હુમલા કર્યા. જલાલપુરના રેલવે સ્ટેશને એમણે પાટા ખોરવી નાખ્યા. બોરસદ, આણંદ અને ઠસરામાં હાલત એવી હતી કે બીજા જ દિવસથી લશ્કર બોલાવવાની જરૂર પડી.

આજે કોળીઓ ગરીબીમાં જીવે છે. એમના ત્યાગ અને બલિદાનની કદર કરવામાં આપણે ઊણા ન ઊતરીએ એ આપણી ફરજ છે.

૦૦૦

Martyrs of Indian Freedom Struggle [10]: Revolts of Kurichiyas and Kurumbars of Wynad

કેરળમાં કુરિચિયા અને કુરુમા આદિવાસીઓનો વિદ્રોહ

આ શ્રેણીના પ્રકરણ૫માં આપણે કેરલા વર્મા વિશે જાણ્યું. એના પર ફરી નજર કરી લઈએ તો  વાયનાડના કુરિચિયા (અથવા કુરિચિયાર) અને કુરુમા (અથવા કુરુંબરા) આદિવાસીઓના વિદ્રોહ વિશે સમજવાનું સહેલું પડશે.

મલબારમાં નાનામોટા ઘણા રાજાઓ (જાગીરદારો) હતા. ૧૭૮૭માં મલબારના રાજાઓનો વિરોધ ટીપુ સામે હતો. એટલે એમણે ત્રાવણકોરના રાજાનું શરણું લીધું. આમાં કોટ્ટયટ્ટૂના રાજાએ જતાં પહેલાં પોતાના નાના ભાઈ કેરલા વર્માને ગાદી સોંપી દીધી. એ નીડર હતો અને ટીપુની બીક રાખ્યા વિના એની વિરુદ્ધ લોકોને તૈયાર કરતો અને લડાઈ માટે ધન એકઠું કરતો હતો. પણ ૧૭૯૨માં ટીપુ સામે લડાઈ પછી મલબાર કંપનીના હાથમાં આવી ગયું. કંપનીએ બધા રાજાઓને પાછા બોલાવીને સમજૂતી કરી કે એ બધા એમની આવકનો પાંચમો ભાગ કંપનીને આપે. કેરલા વર્માને લાગ્યું કે એ તો ટીપુ સામે લડતો જ હતો, ભાગી નહોતો ગયો  એટલે એ શાનો ભાગ આપે? અંગ્રેજોએ એને પણ બીજા જેવો જ ગણ્યો. આથી એનો રોષ હવે કંપની તરફ વળ્યો. એણે લોકોની મદદથી કંપનીને મલબારમાં સ્થિર થવા ન દીધી.

કેરલા વર્માનું પાટનગર પળાશી હતું ત્યાં વિદ્રોહનો અવાજ ઊઠ્યો કે તરત  કુરિચિયા આદિવાસીઓને  એમના નેતા તળક્કળ ચંદુએ એકઠા કર્યા અને કેરલા વર્મા પળાશી છોડીને વનમાં રહેવા આવ્યો ત્યારે બધી મદદ કરી.

પળાશીના વિદ્રોહને તો અંગ્રેજોએ દબાવી દીધો અને કુરિચિયાઓને પકડી લીધા અને વેઠ બેગારમાં લગાડી દીધા.  ચંદુને ફાંસીએ લટકાવી દીધો.

કુરિચિયા આદિવાસી

કુરિચિયા આદિવાસીઓ મલ્લૈ બ્રાહ્મણ (પર્વતના બ્રાહ્મણ) તરીકે પણ ઓળખાય છે અને આદિવાસી સમાજમાં એમનું બહુ માન છે.  ૧૮૧૨માં કંપનીએ પોતાનું પોત પ્રકાશ્યું અને હવે અહીં પણ રોકડેથી મહેસૂલ લેવાનું શરૂ કર્યું. કુરુમા આદિવાસીઓ મોટા ભાગે ડાંગરની ખેતી કરતા.  રોકડા પૈસા તો એમની પાસે હતા નહીં એટલે કંપનીએ કુરુમાઓની જમીનો આંચકી લેવાનું શરૂ કર્યું.  આથી, કુરિચિયાની સાથે કુરુમા પણ અંગ્રેજોની વિરુદ્ધ થઈ ગયા. આ વખતે રામા નામ્બીએ કુરિચિયાઓની સરદારી લીધી.

વિદ્રોહ આખા વાયનાડમાં ફેલાઈ ગયો. કુરિચિયાઓના ધર્મગુરુઓએ પણ લોકોને કંપની સરકાર વિરુદ્ધ જંગ છેડવા એલાન કર્યું અને તે સાથે કુરિચિયા કોળકાર (કુરિચિયા પોલીસ) દળના સિપાઈઓ પણ કૂદી પડ્યા. બધા મુખ્ય માર્ગો પર કુરિચિયા-કુરુમા આદિવાસીઓનો કબજો થઈ ગયો. ત્યાંથી કોઈ પણ યુરોપિયન પસાર થાય તે જીવતો જઈ ન શકતો. એમણે કેટલાંય પોલીસ સ્ટેશનો પર હુમલા કર્યા અને બ્રિટિશ સેનાને મળતી કુમકના બધા રસ્તા બંધ કરી દીધા. વાયનાડના મુખ્ય તાલુકાઓ સુલતાન બતેરી અને માનંતવાડીમાં એમણે યુનિયન જૅકની જગ્યાએ પોતાનો વાવટો ફરકાવી દીધો. પરંતુ અંગ્રેજોની જબ્બરદસ્ત તાકાત સામે એ કેટલું ટકી શકે? અંતે વિદ્રોહીઓનો પરાજય થયો.

એના પહેલાં ૧૮૦૨ અને ૧૮૦૯ વચ્ચે ત્રાવણકોર સાથે પણ કંપનીએ  દગો કર્યો. ત્રાવણકોરના રાજાએ કંપની સાથે મિત્રતાના કરાર કર્યા. એમાં કંપની એક પોલિટિકલ એજન્ટ નીમી શકે એવી વ્યવસ્થા હતી. એણે રાજ્યની આંતરિક બાબતોમાં માથું મારવાનું નહોતું પણ એ માથું મારવા લાગ્યો અને ત્રાવણકોરને બધું  ચડત દેવું ચૂકવી દેવા તાકીદ કરી. રાજાનો દીવાન વેલુ તંબી આ સહન ન કરી શક્યો અને એણે અંગ્રેજોની દાદાગીરીનો જવાબ આપવાનું નક્કી કર્યું. અંગ્રેજોને ભગાડવા માટે એણે ફ્રાંસની કંપનીની મદદ માગી પણ એમણે કંઈ મદદ ન કરી.

અંતે ૧૮૦૮ના ડિસેમ્બરમાં ત્રાવણકોર અને કોચીનની ફોજોએ સાથે મળીને રેસીડેન્ટ એજન્ટના નિવાસસ્થાન પર હુમલો કર્યો. જો કે એને ખબર પડી ગઈ હતી એટલે ભાગી છૂટ્યો હતો, વિદ્રોહીઓએ હવે જેલો પર હુમલા કરીને બધા રાજકીય કેદીઓને મુક્ત કર્યા. પરંતુ કોચી પરના હુમલામાં અંગ્રેજો એમના કરતાં વધારે સ્બળ પુરવાર થયા અને વિદ્રોહીઓ હાર્યા. વેલુ તંબી નાસી છૂટ્યો. ૧૮૦૯ની ૧૧મી જાન્યુઆરીએ એને વિદેશી સત્તા સામે બળવો પોકારવા જનતાને ખુલ્લી અપીલ કરી. તે પછી એ ત્રિવેંદ્રમ (હવે તિરુઅનંતપુરમ)થી ભાગી છૂટ્યો અને  મન્નાડીના મંદિરમાં આપઘાત કરી લીધો. કંપનીના સૈનિકો એને શોધતા હતા પણ એનું શબ હાથ લાગ્યું. હવે કંપનીએ પોતાની જંગલી વૃત્તિ પ્રગટ કરી મૃત તંબીનું માથું કાપીને અલગ અને ધડ અલગ, એમ લઈ ગયા અને ઠેકઠેકાણે લોકોમાં ધાક બેસાડવા એનું પ્રદર્શન કરતા રહ્યા.

વેલુ તંબી, કુરિચિયાઓના નેતા તળક્કળ ચંદુ અને આ વિદ્રોહમાં પોતાના પ્રાણનું બલિદાન આપનારા બધા જ, આપણી આઝાદીના પાયામાં છે. એમને વિસાર પાડી ન શકાય. એ  સૌને વંદીએ.

૦૦૦

%d bloggers like this: