૧ જુલાઈના મારા લેખ ( ‘નૈતિકતા, ઈશ્વર અને ધર્મ’)ના જ અનુસંધાનમાં શ્રી સુબોધભાઈ શાહે આ લેખ મોકલ્યો. લેખકનો એક લેખ ‘ભૂતકાળનું ભૂત’ મેં ‘મારી બારી’માં આપ્યો ત્યારે જ એમનો વિગતવાર પરિચય આપણે મેળવ્યો જ છે. અમે મૂળભૂત રીતે સંમત છીએ, તેમ છતાં અમુક અંશે અમારા દૃષ્ટિકોણ જુદા પણ પડે છે, એ કારણસર આ લેખનું મહત્ત્વ વધી જાય છે. કદાચ કોઈને બન્ને લેખોને એકસાથે મૂકીને વાંચવામાં રસ પણ પડે. આ દૃષ્ટિકોણનું અંતર અને સામ્ય પછી દેખાડવાનો વિચાર છે.
નીતિ અને ધર્મ
– સુબોધ શાહ
બહુ ઓછા લોકોને ઊંડા અધ્યાત્મમાં રસ હોય છે. જો કે લગભગ નેવું ટકાથીય વધુ મનુષ્યો ધર્મમાં શ્રદ્ધા ધરાવે છે. આવી શ્રદ્ધાનાં અનેક કારણોમાં સૌથી મહત્ત્વનું કારણ તેમની એ માન્યતા છે કે ‘ધર્મ એટલે નીતિ; અને અધર્મ એટલે અનીતિ. ધાર્મિક એટલે ભલો માણસ ને અધાર્મિક એટલે દુરાચારી નહીં, તોય નાદાન તો ખરો જ’.
‘રૅશનાલિસ્ટ એટલે નાસ્તિક, અને નાસ્તિક એટલે નાદાન’ એ ધારણા એટલી બધી પ્રચલિત છે કે એને યથાયોગ્ય તપાસવી જરૂરી છે. વધારામાં એ અત્યન્ત રસપ્રદ પણ છે. આવી માન્યતાનાં મૂળ માનવજાતિઓના ઇતિહાસમાં જડે છે. નીતિ એટલે શું ? ધર્મ એટલે શું ? એ બન્ને પ્રશ્નોના જવાબ એમની ‘જન્મપત્રિકા’માં છે અને એ બન્નેનો પરસ્પર સંબંધ પણ એમાંથી સહેલાઈથી ફલિત થાય છે. નૃવંશશાસ્ત્રના અનેક વિદ્વાનોએ એ વિષયમાં પુષ્કળ સંશોધન કરી ઘણાં પુસ્તકો લખ્યાં છે. એની કેટલીક વાતો અહીં ટુંકાણમાં જોઈએ.
પશુપાલન અને ખેતીવાડીની શરૂઆત થઈ, એ પહેલાં માણસ ગુફાવાસી, વનચારી–શિકારી હતો. ત્યારે એને નીતિની કોઈ કલ્પના ન હતી. જેને આપણે ‘બળિયાના બે ભાગ’ કહીએ છીએ, તેવો એ જમાનો હતો. જંગલી પ્રાણીઓની સરખામણીમાં એકલદોકલ મનુષ્ય અત્યન્ત દુર્બળ અને કુદરત સામે સાવ લાચાર હતો. પોતાના કુટુંબ સાથે અને પછી નાનામોટા સમૂહમાં રહી સ્વરક્ષણ અને શિકાર કરવાનું શીખીને એ બળવાન બન્યો. એમાંથી જૂથ, જાતિઓ ને ટોળીઓ રચાઈ. કુટુંબમાં કે સમૂહમાં રહેવું હોય તો ફાવે તેમ વર્તી ન શકાય. સ્વાર્થ જેવી સ્વભાવિક વૃત્તિ પર કંઈક અંકુશ મુકવો પડે. વહેંચીને ખાવું, સંપીને રહેવું, ચોરી ન કરવી, વગેરે ઘણું શીખવું પડે. બાળકમાં સ્વાર્થ સ્વાભાવિક છે, પણ સહકાર તો એને શીખવો–શીખવવો પડે છે. એ થઈ નીતિના અત્યન્ત પ્રાથમિક નિયમોની શરૂઆત. ટૂંકમાં, નીતિ એટલે પરસ્પર લાભ માટે સહકાર. સહકાર કે પરોપકાર એ જીવનમૂલ્ય કહેવાય છે. બાળક એ મૂલ્ય કે આદર્શોને કુટુંબ ને સમાજમાંથી મેળવે છે. માનવસંસ્કૃતિએ પણ એની શિશુવયમાં આ રીતે એ મૂલ્યને મેળવ્યાં છે. નીતિશાસ્ત્રનો એ પાયો છે. એના જરૂરી પાલન અને પ્રસાર માટે સમાજ, કોમ ને રાજ્યો થયાં. એ જમાનામાં નીતિનું પાલન કરાવવા માટે સૌથી સારો ને સહેલો એક જ માર્ગ તે ધર્મનો હતો: “ચોરી ન કરવી જોઈએ.” “કેમ?” “કારણ કે ધર્મ એમ કહે છે માટે”. સમાજ માટે નીતિ એ આવશ્યક નિયમ છે, તેથી નહીં. સહેલી ને સ્પષ્ટ વાત. નીતિ-અનીતિની આવશ્યકતા સાબીત કરવાની ને સમજવાની જરૂર જ નહીં.
હવે ધર્મની શરૂઆત જોઈએ. ભગવાને માણસને કેવી રીતે બનાવ્યો, એના કરતાં માણસે ભગવાનને કેવી રીતે બનાવ્યો, એ સમજવું વધારે મહત્ત્વનું છે. માનવસંસ્કૃતિ બાલ્યાવસ્થામાં હતી ત્યારથી જ માણસના મનમાં ભગવાનનો જન્મ થયો હતો. પુરાતન સંસ્કૃતિઓ બધી જ અનેક દેવોમાં માનતી હતી. માણસનો ગુફાવાસી પુર્વજ અજ્ઞાની ને ભયભીત જીવન જીવતો હતો. કુદરતમાં એણે વરસાદ, વીજળી, સૂર્ય વગેરે જે પણ જોયું અને જેને એ સમજી શકતો નહોતો, તે સર્વેમાં એણે અદૃષ્ટ સર્વશક્તિમાન પરમ તત્ત્વનું આરોપણ કર્યું. શરૂઆતના ભગવાનો બધા જ કુદરતી બળોના કે યુદ્ધના દેવતાઓ હતા એ કોઈ અકસ્માત ન હતો. સૂર્ય, અગ્નિ, વરુણ, ઇન્દ્ર, એ ૠગ્વેદના દેવો છે. એપોલો, ઝીયસ ને માર્સ ગ્રીસ–રોમના દેવો છે. દુનિયાની પ્રાચીનમાં પ્રાચીન સંસ્કૃતિઓના દેવો વચ્ચેનું સામ્ય અચંબો પમાડે એવું છે.
એ પ્રાચીન સમાજોમાં સમાજને સુવ્યવસ્થિત રાખવા ભગવાનની કલ્પના ને એની કૃપા–અવકૃપાનો ધાક બહુ ઉપયોગી નીવડ્યો હતો. ઈશ્વરની કલ્પનાએ માણસની ઘણી બધી માનસિક જરૂરિયાતો પૂરી કરી. તેથી એ જુદા જુદા સમયે જુદી જુદી પદ્ધતિઓથી સર્વસ્વીકૃત બની. એ ધર્મો બન્યા. ઋગ્વેદના પ્રકૃતિના દેવોના ધર્મ પછી ઉપનિષદો અને પછી પુરાણોનો યુગ આવ્યો. રામાયણ એ પહેલું પુરાણ હતું. રામ નામના મહાપુરુષને આદર્શ તરીકે સ્થાપી, ભગવાન ગણી, સમાજમાં સારા વર્તનના પ્રાથમિક નિયમોની સ્થાપના કરવાની રસમય વાત એટલે જ રામાયણ. માણસમાં સૌથી મહત્ત્વની એવી બે જન્મજાત વૃત્તિઓ બહુ જ પ્રબળ હોય છે. એમનું યોગ્ય નિયમન કરવા માટે બે મુખ્ય મૂલ્યની રામાયણે સ્થાપના કરી: વ્યક્તિની સ્વાર્થવૃત્તિનું રામાયણે કુટુંબભાવનામાં રૂપાંતર કર્યું; જાતીય વૃત્તિને અંકુશમાં રાખી લગ્નસંસ્થાને મજબૂત કરવા એકપત્નીવ્રતનો આદર્શ સ્થાપ્યો. આ બન્ને આદર્શોની સ્થાપના કરતી નીતિમત્તાનો પ્રચાર વાર્તારૂપે સહેલાઈથી થઈ શક્યો. રામાયણની આ અપ્રતિમ સિદ્ધિ છે. તેથી આજસુધી હિન્દુ સમાજમાં નીતિશાસ્ત્રનો એ પાયો બનીને રહ્યું છે. ટાગોરે રામને ‘આગામી ખેતીપ્રધાન સમાજના પ્રથમ યુગપ્રવર્તક’ કહ્યા છે. રામચંદ્ર ભગવાન ન હતા; તેઓ એ જમાનાની સર્વશ્રેષ્ઠ આદર્શમૂર્તિ હતા. રાવણ રાક્ષસ ન હતો; સુસંસ્કૃત બન્યા પહેલાં બધા માનવો જે હતા, તે જ રાવણ હતો. વાતને સીધી ને સાદી બનાવવી હોય, તો એકને દેવ માનો, બીજાને દૈત્ય માનો એટલે સમજાય ને તરત ગળે ઉતરી જાય; સમાજ નીતિમય બને; આદર્શ વીર ઈશ્વર ગણાય.
ધર્મનું આ સર્વશ્રેષ્ઠ કાર્ય હતું. એણે માણસને સંસ્કૃતિ આપી. એ પ્રાચીન યુગોમાં ધર્મ સિવાય બીજા કશાથી આ કામ થઈ શક્યું ન હોત. મનુષ્યને ઈશ્વર સિવાય ચાલે એમ ન હતું. જ્યારે જ્ઞાન નહીંવત હતું, ત્યારે ધર્મની વિશાળ છત્રી નીચે બધું જ્ઞાન સમાઈ જતું. વિજ્ઞાન, ખગોળ, તર્કશાસ્ત્ર, વ્યાકરણ, માનસશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, બધું જ. આજે આ દરેક વિષય ધર્મ કરતાં તદ્દન સ્વતંત્ર રીતે પ્રાકૃતિક ને સામાજિક વિજ્ઞાન છે.
નીતિની જરૂર શી? અથવા મનુષ્યે નીતિમાન, સદ્ગુણી શા માટે થવું જોઈએ ? ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ કહે છે: ‘ઈશ્વર એમ ઈચ્છે છે માટે’. હીન્દુ ધર્મ કહે છે: ‘સારાનું પરિણામ સારું આવે, સુકર્મનું સુફળ મળે, બીજો જન્મ સારો મળે એ માટે’. ટૂંકમાં, ધર્મ કે ઈશ્વર કહે છે માટે સારા થવું. સારા કે નીતિમાન થવા માટેનાં આ સિવાય બીજાં કોઈ કારણો હોઈ શકે ખરાં ? હા, છે….
- સૌથી વધુ સંખ્યાના માનવોનું, સૌથી વધારે ભલું થાય એ માટે સારા થવું જોઈએ. દા.ત. સાચું બોલવા સિવાય કે લગ્નેતર જાતીય સંબંધો છોડવા સિવાય, માનવ સમાજ સંગઠિત ને સુવ્યવસ્થિત ન જ રહી શકે. માટે સત્ય, સદાચાર, વગેરે પાળવાં જોઈએ કૃષ્ણ કે ક્રાઈસ્ટે કહ્યું હોય કે ન કહ્યું હોય; તો પણ તે પાળવાં જોઈએ.
- માણસે પોતાના હિત માટે નીતિનું પાલન કરવું જોઈએ. દા.ત. મોટર ચલાવતાં લાલ લાઇટ આગળ ઉભા રહેવા માટે મારે ઈશ્વરની આજ્ઞાની જરૂર નથી; મારા પોતાના હિત માટે એ જરૂરી છે.
- બીજા પાસેથી જેવા વર્તનની તમે અપેક્ષા રાખો, એવું જ વર્તન તમે એના તરફ કરો એ સાદી શીખામણ તરત ગળે ઉતરે એવી છે. આપ ભલા તો જગ ભલા.
નીતિશાસ્ત્રના જાણકારોએ આવા બધા સિદ્ધાંતોની બુદ્ધિગમ્ય અને વિશદ ચર્ચા કરેલી છે. એમાં ઊંડા ઊતર્યા વિના, આપણે એ સ્વીકારવાનું છે કે ધાર્મિકતા વિના સજ્જનતા ટકી શકે છે. ધર્મનો અભાવ એ અનીતિ નથી. નીતિ અને ધર્મને વિખૂટાં પાડી શકાય છે, પાડવાં જરૂરી પણ છે.
કોઈ પણ વ્યક્તિ અને સમાજ માટે નીતિશાસ્ત્ર અનિવાર્ય એવી જરૂરિયાત છે. માનવસંસ્કૃતિનો પાયો જ નીતિશાસ્ત્રમાં છે. માનવસમૂહોને સંપીને પ્રગતિ કરવા નીતિનિયમ વિના ચાલે જ નહીં. નાસ્તિક માણસ પણ એમ નહીં કહી શકે કે કોઈ પ્રકારના નીતિનિયમોની જરૂર નથી. બીનધાર્મિક માણસ સુધ્ધાં સંસ્કાર ને સંસ્કૃતિના સામાજિક નિયમો પાળે છે અને નિષેધો સ્વીકારે છે; ભલે એ સ્વીકારનું કારણ ધર્મ ન હોય. આધુનિક તત્ત્વજ્ઞાની ગણિતશાસ્ત્રી બર્ટ્રાન્ડ રસેલ ચુસ્ત અધાર્મિક છતાં અત્યન્ત સૌમ્ય સજ્જન તરીકે જાણીતા પ્રખર બુદ્ધિવાદી હતા. બીજી બાજુ જોઈએ તો, ભલા થવા ભગત થવું જરૂરી નથી. માણસ ધાર્મિક હોય માટે જ નીતિમાન કે સદ્ગુણી હોય, એમ છાતી ઠોકીને કહી શકાય એમ નથી. હિટલર ચુસ્ત ખ્રિસ્તી અને શાકાહારી હતો. કોઈ નાસ્તિક જીહાદી કે ક્રુઝેડર થયેલો જાણ્યો છે ? એથી ઉલટું, દુરાચારી સાધુઓ, ગુરુઓ કે પાદરીઓ વિશે આપણે વારંવાર સાંભળતા આવ્યા છીએ. નાસ્તિકતા નીતિમત્તાની સાથે રહી શકે છે; ધાર્મિકતા ને નીતિમત્તા સાથે રહેતાં હોય એમ હંમેશાં બનતું હોતું નથી. ધાર્મિક અને નાસ્તિક, બન્ને પ્રકારના માણસો પ્રપંચી કે નીતિમાન ગમે તે હોઈ શકે. એક વાત માન્યતાની છે, બીજી વાત વર્તનની છે.
ધર્મ અને નીતિ એ બન્ને એકબીજાને સ્પર્શે છે જરૂર; છતાં તદ્દન જુદાં છે. ધર્મથી નીતિમય જીવન જુદું પાડી ન શકાય એવી ઝાંખીપાંખી ગેરસમજના કારણે અનેક મનુષ્યો ધર્મને વળગી રહેવા માગે છે. હકીકત એ છે કે નીતિ એના કોઈ ને કોઈ સ્વરૂપમાં દરેકે દરેક માણસ માટે અચુક આવશ્યક છે; જ્યારે પરમ્પરાગત ધર્મમાં માનવું જરૂરી નથી.
અમેરીકન મૂડીવાદી સમાજના અને આખા જગતના આજના રાજકીય પ્રશ્નો વિશે જરાક ઊંડાણથી વિચાર કરીએ તો:
“નીતિ ને ધર્મનાં યુદ્ધો, મિટે મિનિટ માત્રમાં
નીતિ જો થાય સામ્રાજ્ઞી, ધર્મ એનો પ્રધાન હો !”
શ્રી સુબોધ શાહનો સંપર્ક ssubodh@yahoo.com વીજાણુ સરનામે થઈ શકશે.