Morality and Religion

૧ જુલાઈના મારા લેખ ( ‘નૈતિકતા, ઈશ્વર અને ધર્મ)ના જ અનુસંધાનમાં શ્રી સુબોધભાઈ શાહે આ લેખ મોકલ્યો. લેખકનો એક લેખ ‘ભૂતકાળનું ભૂત’ મેં ‘મારી બારી’માં આપ્યો ત્યારે જ એમનો વિગતવાર પરિચય આપણે મેળવ્યો જ છે. અમે મૂળભૂત રીતે સંમત છીએ, તેમ છતાં અમુક અંશે અમારા દૃષ્ટિકોણ જુદા પણ પડે છે, એ કારણસર આ લેખનું મહત્ત્વ વધી જાય છે. કદાચ કોઈને બન્ને લેખોને એકસાથે મૂકીને વાંચવામાં રસ પણ પડે. આ દૃષ્ટિકોણનું અંતર અને સામ્ય પછી દેખાડવાનો વિચાર છે.

નીતિ અને ધર્મ

સુબોધ શાહ

બહુ ઓછા લોકોને ઊંડા અધ્યાત્મમાં રસ હોય છે. જો કે લગભગ નેવું ટકાથીય વધુ મનુષ્યો ધર્મમાં શ્રદ્ધા ધરાવે છે. આવી શ્રદ્ધાનાં અનેક કારણોમાં સૌથી મહત્ત્વનું કારણ તેમની એ માન્યતા છે કે ‘ધર્મ એટલે નીતિ; અને અધર્મ એટલે અનીતિ. ધાર્મિક એટલે ભલો માણસ ને અધાર્મિક એટલે દુરાચારી નહીં, તોય નાદાન તો ખરો જ’.

‘રૅશનાલિસ્ટ એટલે નાસ્તિક, અને નાસ્તિક એટલે નાદાન’ એ ધારણા એટલી બધી પ્રચલિત છે કે એને યથાયોગ્ય તપાસવી જરૂરી છે. વધારામાં એ અત્યન્ત રસપ્રદ પણ છે. આવી માન્યતાનાં મૂળ માનવજાતિઓના ઇતિહાસમાં જડે છે. નીતિ એટલે શું ? ધર્મ એટલે શું ? એ બન્ને પ્રશ્નોના જવાબ એમની ‘જન્મપત્રિકા’માં છે અને એ બન્નેનો પરસ્પર સંબંધ પણ એમાંથી સહેલાઈથી ફલિત થાય છે. નૃવંશશાસ્ત્રના અનેક વિદ્વાનોએ એ વિષયમાં પુષ્કળ સંશોધન કરી ઘણાં પુસ્તકો લખ્યાં છે. એની કેટલીક વાતો અહીં ટુંકાણમાં જોઈએ.

પશુપાલન અને ખેતીવાડીની શરૂઆત થઈ, એ પહેલાં માણસ ગુફાવાસી, વનચારી–શિકારી હતો. ત્યારે એને નીતિની કોઈ કલ્પના ન હતી. જેને આપણે ‘બળિયાના બે ભાગ’ કહીએ છીએ, તેવો એ જમાનો હતો. જંગલી પ્રાણીઓની સરખામણીમાં એકલદોકલ મનુષ્ય અત્યન્ત દુર્બળ અને કુદરત સામે સાવ લાચાર હતો. પોતાના કુટુંબ સાથે અને પછી નાનામોટા સમૂહમાં રહી સ્વરક્ષણ અને શિકાર કરવાનું શીખીને એ બળવાન બન્યો. એમાંથી જૂથ, જાતિઓ ને ટોળીઓ રચાઈ. કુટુંબમાં કે સમૂહમાં રહેવું હોય તો ફાવે તેમ વર્તી ન શકાય. સ્વાર્થ જેવી સ્વભાવિક વૃત્તિ પર કંઈક અંકુશ મુકવો પડે. વહેંચીને ખાવું, સંપીને રહેવું, ચોરી ન કરવી, વગેરે ઘણું શીખવું પડે. બાળકમાં સ્વાર્થ સ્વાભાવિક છે, પણ સહકાર તો એને શીખવો–શીખવવો પડે છે. એ થઈ નીતિના અત્યન્ત પ્રાથમિક નિયમોની શરૂઆત. ટૂંકમાં, નીતિ એટલે પરસ્પર લાભ માટે સહકાર. સહકાર કે પરોપકાર એ જીવનમૂલ્ય કહેવાય છે. બાળક એ મૂલ્ય કે આદર્શોને કુટુંબ ને સમાજમાંથી મેળવે છે. માનવસંસ્કૃતિએ પણ એની શિશુવયમાં આ રીતે એ મૂલ્યને મેળવ્યાં છે. નીતિશાસ્ત્રનો એ પાયો છે. એના જરૂરી પાલન અને પ્રસાર માટે સમાજ, કોમ ને રાજ્યો થયાં. એ જમાનામાં નીતિનું પાલન કરાવવા માટે સૌથી સારો ને સહેલો એક જ માર્ગ તે ધર્મનો હતો: “ચોરી ન કરવી જોઈએ.” “કેમ?” “કારણ કે ધર્મ એમ કહે છે માટે”. સમાજ માટે નીતિ એ આવશ્યક નિયમ છે, તેથી નહીં. સહેલી ને સ્પષ્ટ વાત. નીતિ-અનીતિની આવશ્યકતા સાબીત કરવાની ને સમજવાની જરૂર જ નહીં.

હવે ધર્મની શરૂઆત જોઈએ. ભગવાને માણસને કેવી રીતે બનાવ્યો, એના કરતાં માણસે ભગવાનને કેવી રીતે બનાવ્યો, એ સમજવું વધારે મહત્ત્વનું છે. માનવસંસ્કૃતિ બાલ્યાવસ્થામાં હતી ત્યારથી જ માણસના મનમાં ભગવાનનો જન્મ થયો હતો. પુરાતન સંસ્કૃતિઓ બધી જ અનેક દેવોમાં માનતી હતી. માણસનો ગુફાવાસી પુર્વજ અજ્ઞાની ને ભયભીત જીવન જીવતો હતો. કુદરતમાં એણે વરસાદ, વીજળી, સૂર્ય વગેરે જે પણ જોયું અને જેને એ સમજી શકતો નહોતો, તે સર્વેમાં એણે અદૃષ્ટ સર્વશક્તિમાન પરમ તત્ત્વનું આરોપણ કર્યું. શરૂઆતના ભગવાનો બધા જ કુદરતી બળોના કે યુદ્ધના દેવતાઓ હતા એ કોઈ અકસ્માત ન હતો. સૂર્ય, અગ્નિ, વરુણ, ઇન્દ્ર, એ ૠગ્વેદના દેવો છે. એપોલો, ઝીયસ ને માર્સ ગ્રીસ–રોમના દેવો છે. દુનિયાની પ્રાચીનમાં પ્રાચીન સંસ્કૃતિઓના દેવો વચ્ચેનું સામ્ય અચંબો પમાડે એવું છે.

એ પ્રાચીન સમાજોમાં સમાજને સુવ્યવસ્થિત રાખવા ભગવાનની કલ્પના ને એની કૃપા–અવકૃપાનો ધાક બહુ ઉપયોગી નીવડ્યો હતો. ઈશ્વરની કલ્પનાએ માણસની ઘણી બધી માનસિક જરૂરિયાતો પૂરી કરી. તેથી એ જુદા જુદા સમયે જુદી જુદી પદ્ધતિઓથી સર્વસ્વીકૃત બની. એ ધર્મો બન્યા. ઋગ્વેદના પ્રકૃતિના દેવોના ધર્મ પછી ઉપનિષદો અને પછી પુરાણોનો યુગ આવ્યો. રામાયણ એ પહેલું પુરાણ હતું. રામ નામના મહાપુરુષને આદર્શ તરીકે સ્થાપી, ભગવાન ગણી, સમાજમાં સારા વર્તનના પ્રાથમિક નિયમોની સ્થાપના કરવાની રસમય વાત એટલે જ રામાયણ. માણસમાં સૌથી મહત્ત્વની એવી બે જન્મજાત વૃત્તિઓ બહુ જ પ્રબળ હોય છે. એમનું યોગ્ય નિયમન કરવા માટે બે મુખ્ય મૂલ્યની રામાયણે સ્થાપના કરી: વ્યક્તિની સ્વાર્થવૃત્તિનું રામાયણે કુટુંબભાવનામાં રૂપાંતર કર્યું; જાતીય વૃત્તિને અંકુશમાં રાખી લગ્નસંસ્થાને મજબૂત કરવા એકપત્નીવ્રતનો આદર્શ સ્થાપ્યો. આ બન્ને આદર્શોની સ્થાપના કરતી નીતિમત્તાનો પ્રચાર વાર્તારૂપે સહેલાઈથી થઈ શક્યો. રામાયણની આ અપ્રતિમ સિદ્ધિ છે. તેથી આજસુધી હિન્દુ સમાજમાં નીતિશાસ્ત્રનો એ પાયો બનીને રહ્યું છે. ટાગોરે રામને ‘આગામી ખેતીપ્રધાન સમાજના પ્રથમ યુગપ્રવર્તક’ કહ્યા છે. રામચંદ્ર ભગવાન ન હતા; તેઓ એ જમાનાની સર્વશ્રેષ્ઠ આદર્શમૂર્તિ હતા. રાવણ રાક્ષસ ન હતો; સુસંસ્કૃત બન્યા પહેલાં બધા માનવો જે હતા, તે જ રાવણ હતો. વાતને સીધી ને સાદી બનાવવી હોય, તો એકને દેવ માનો, બીજાને દૈત્ય માનો એટલે સમજાય ને તરત ગળે ઉતરી જાય; સમાજ નીતિમય બને; આદર્શ વીર ઈશ્વર ગણાય.

ધર્મનું આ સર્વશ્રેષ્ઠ કાર્ય હતું. એણે માણસને સંસ્કૃતિ આપી. એ પ્રાચીન યુગોમાં ધર્મ સિવાય બીજા કશાથી આ કામ થઈ શક્યું ન હોત. મનુષ્યને ઈશ્વર સિવાય ચાલે એમ ન હતું. જ્યારે જ્ઞાન નહીંવત હતું, ત્યારે ધર્મની વિશાળ છત્રી નીચે બધું જ્ઞાન સમાઈ જતું. વિજ્ઞાન, ખગોળ, તર્કશાસ્ત્ર, વ્યાકરણ, માનસશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, બધું જ. આજે આ દરેક વિષય ધર્મ કરતાં તદ્દન સ્વતંત્ર રીતે પ્રાકૃતિક ને સામાજિક વિજ્ઞાન છે.

નીતિની જરૂર શી? અથવા મનુષ્યે નીતિમાન, સદ્ગુણી શા માટે થવું જોઈએ ? ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ કહે છે: ‘ઈશ્વર એમ ઈચ્છે છે માટે’. હીન્દુ ધર્મ કહે છે: ‘સારાનું પરિણામ સારું આવે, સુકર્મનું સુફળ મળે, બીજો જન્મ સારો મળે એ માટે’. ટૂંકમાં, ધર્મ કે ઈશ્વર કહે છે માટે સારા થવું. સારા કે નીતિમાન થવા માટેનાં આ સિવાય બીજાં કોઈ કારણો હોઈ શકે ખરાં ? હા, છે….

  1. સૌથી વધુ સંખ્યાના માનવોનું, સૌથી વધારે ભલું થાય એ માટે સારા થવું જોઈએ. દા.ત. સાચું બોલવા સિવાય કે લગ્નેતર જાતીય સંબંધો છોડવા સિવાય, માનવ સમાજ સંગઠિત ને સુવ્યવસ્થિત ન જ રહી શકે. માટે સત્ય, સદાચાર, વગેરે પાળવાં જોઈએ કૃષ્ણ કે ક્રાઈસ્ટે કહ્યું હોય કે ન કહ્યું હોય; તો પણ તે પાળવાં જોઈએ.
  2. માણસે પોતાના હિત માટે નીતિનું પાલન કરવું જોઈએ. દા.ત. મોટર ચલાવતાં લાલ લાઇટ આગળ ઉભા રહેવા માટે મારે ઈશ્વરની આજ્ઞાની જરૂર નથી; મારા પોતાના હિત માટે એ જરૂરી છે.
  3. બીજા પાસેથી જેવા વર્તનની તમે અપેક્ષા રાખો, એવું જ વર્તન તમે એના તરફ કરો એ સાદી શીખામણ તરત ગળે ઉતરે એવી છે. આપ ભલા તો જગ ભલા.

નીતિશાસ્ત્રના જાણકારોએ આવા બધા સિદ્ધાંતોની બુદ્ધિગમ્ય અને વિશદ ચર્ચા કરેલી છે. એમાં ઊંડા ઊતર્યા વિના, આપણે એ સ્વીકારવાનું છે કે ધાર્મિકતા વિના સજ્જનતા ટકી શકે છે. ધર્મનો અભાવ એ અનીતિ નથી. નીતિ અને ધર્મને વિખૂટાં પાડી શકાય છે, પાડવાં જરૂરી પણ છે.

કોઈ પણ વ્યક્તિ અને સમાજ માટે નીતિશાસ્ત્ર અનિવાર્ય એવી જરૂરિયાત છે. માનવસંસ્કૃતિનો પાયો જ નીતિશાસ્ત્રમાં છે. માનવસમૂહોને સંપીને પ્રગતિ કરવા નીતિનિયમ વિના ચાલે જ નહીં. નાસ્તિક માણસ પણ એમ નહીં કહી શકે કે કોઈ પ્રકારના નીતિનિયમોની જરૂર નથી. બીનધાર્મિક માણસ સુધ્ધાં સંસ્કાર ને સંસ્કૃતિના સામાજિક નિયમો પાળે છે અને નિષેધો સ્વીકારે છે; ભલે એ સ્વીકારનું કારણ ધર્મ ન હોય. આધુનિક તત્ત્વજ્ઞાની ગણિતશાસ્ત્રી બર્ટ્રાન્ડ રસેલ ચુસ્ત અધાર્મિક છતાં અત્યન્ત સૌમ્ય સજ્જન તરીકે જાણીતા પ્રખર બુદ્ધિવાદી હતા. બીજી બાજુ જોઈએ તો, ભલા થવા ભગત થવું જરૂરી નથી. માણસ ધાર્મિક હોય માટે જ નીતિમાન કે સદ્ગુણી હોય, એમ છાતી ઠોકીને કહી શકાય એમ નથી. હિટલર ચુસ્ત ખ્રિસ્તી અને શાકાહારી હતો. કોઈ નાસ્તિક જીહાદી કે ક્રુઝેડર થયેલો જાણ્યો છે ? એથી ઉલટું, દુરાચારી સાધુઓ, ગુરુઓ કે પાદરીઓ વિશે આપણે વારંવાર સાંભળતા આવ્યા છીએ. નાસ્તિકતા નીતિમત્તાની સાથે રહી શકે છે; ધાર્મિકતા ને નીતિમત્તા સાથે રહેતાં હોય એમ હંમેશાં બનતું હોતું નથી. ધાર્મિક અને નાસ્તિક, બન્ને પ્રકારના માણસો પ્રપંચી કે નીતિમાન ગમે તે હોઈ શકે. એક વાત માન્યતાની છે, બીજી વાત વર્તનની છે.

ધર્મ અને નીતિ એ બન્ને એકબીજાને સ્પર્શે છે જરૂર; છતાં તદ્દન જુદાં છે. ધર્મથી નીતિમય જીવન જુદું પાડી ન શકાય એવી ઝાંખીપાંખી ગેરસમજના કારણે અનેક મનુષ્યો ધર્મને વળગી રહેવા માગે છે. હકીકત એ છે કે નીતિ એના કોઈ ને કોઈ સ્વરૂપમાં દરેકે દરેક માણસ માટે અચુક આવશ્યક છે; જ્યારે પરમ્પરાગત ધર્મમાં માનવું જરૂરી નથી.

અમેરીકન મૂડીવાદી સમાજના અને આખા જગતના આજના રાજકીય પ્રશ્નો વિશે જરાક ઊંડાણથી વિચાર કરીએ તો:

“નીતિ ને ધર્મનાં યુદ્ધો, મિટે મિનિટ માત્રમાં

નીતિ જો થાય સામ્રાજ્ઞી, ધર્મ એનો પ્રધાન હો !”


શ્રી સુબોધ શાહનો સંપર્ક ssubodh@yahoo.com વીજાણુ સરનામે થઈ શકશે.

The Ghost of past

 Subodh ShahCuture Can Kill

આજના મારી બારીના મહેમાન લેખક છે, શ્રી સુબોધ શાહ. એમના તાર્કિક ચાબખા અખાની યાદ અપાવે એવા હોય છે. દરેક જણ પોતાના સમાજને પ્રેમ કરે છે પણ દરેકની નજર જુદી જુદી હોય છેઃ કોઈ પોતાના સમાજને બાળસુલભ મુગ્ધ ભાવે જૂએ, તો કોઈ વિવેચક ભાવે જૂએ. સુબોધભાઈ ભારતીય સમાજને, અથવા કહો કે, હિન્દુ સમાજને વિવેચક ભાવે જૂએ છે. એમનું પુસ્તક Culture Can Kill (અહીં જૂઓ) બે ઘડી અસ્વસ્થ કરી નાખે એવું છે. ગુસ્સો પણ આવશે કે બધું “આપણી વિરુદ્ધ” જ લખ્યું છે, પણ પુસ્તક મૂકશો ત્યારે થશે કે બધું “આપણા ભલા માટે” જ લખ્યું છે. લેખક કૅમિકલ એન્જીનિયર તરીકે અમેરિકા ગયા અને હવે ન્યૂ જર્સીમાં સ્થાયી થયા છે. માતૃભાષા ગુજરાતી ઉપરાંત મરાઠી, હિન્દી, અંગ્રેજી અને, લો સાંભળો… સંસ્કૃત પર પણ એમની બહુ સારી પકડ છે. અહીં એમના આ પુસ્તકનો એક અંશ રજૂ કર્યો છે, જે પહેલાં અમેરિકામાં ૨૮ વર્ષથી પ્રખ્યાત સાહિત્યિક ત્રિમાસિક ‘ગુર્જરી ડાઇજેસ્ટ’ના ઍપ્રિલ-૨૦૧૬ના અંકમાં પ્રગટ થયો છે. અહીં લેખક અને ‘ગુર્જરી ડાઇજેસ્ટ’ના આભાર સાથે ફરી રજૂ કરું છું…

ભૂતકાળનું ભૂત

સુબોધ શાહ

આપણી પ્રજાના માનસ ઉપર ભારતના ભવ્ય ભૂતકાળનું ભૂત સદીઓથી સવાર થઈને બેઠું છે – જાણે કે વીર વિક્રમની કાંધ પર વેતાલ. આખી દુનિયા જંગલી દશામાં હતી ત્યારે આપણા વડવાઓ સર્વાધિક સુસંસ્કૃત ને ખૂબ આગળ વધેલા હતા, એવો પ્રામાણિક પણ ખોટો ભ્રમ ઘણા બધા ભારતીયો ધરાવે છે. આપણે આપણી જાતને કહ્યે રાખીએ છીએ કે આપણે મહાન છીએ, અનન્ય છીએ. હિટલરે આંચકો આપ્યો એ પહેલાં યહૂદી પ્રજા પણ પોતાના વિશે એમ જ માનતી હતી ! અર્ધસત્યોની દુનિયામાં તટસ્થ સત્યો હમેશાં કડવાં લાગવાનાં. છતાં આ લોકપ્રિય માન્યતાની બીજી બાજુને નિરપેક્ષ ઐતિહાસિક ને વૈજ્ઞાનિક હકીકતો દ્વારા ચકાસવાનો અહીં એક નમ્ર પ્રયાસ છે.

આપણો ભૂતકાળ કીર્તિવંત હતો એ બાબતમાં કોઈ બેમત નથી; પણ એ દોઢબે હજાર કે એથીય વધારે વર્ષ પહેલાંના અત્યંત પુરાતન ભૂતકાળની વાત છે. વૈદિક સાહિત્ય અતિ પ્રાચીન છે. ઉપનિષદ અને છ દર્શનશાસ્ત્રો એ કાળના વિચારોનાં મ્યુઝિયમ છે, પેઢી દર પેઢી મૌખિક વારસામાં ઉતરી આવેલાં આશ્ચર્યો છે. વ્યાકરણ, ગણિત, ખગોળ, તર્ક અને ઔષધ, એ વિષયોમાં હિન્દુ સમાજની પ્રગતિ એ જમાનાના પ્રમાણમાં પ્રશંસનીય હતી. પરંતુ ઘણા હોંશિયાર ભારતીયો સુદ્ધાં નીચેની બાબતોમાં થાપ ખાઈ જતા જોવામાં આવે છે: આપણે ભૂલી જઈએ છીએ કે:

1. માત્ર પ્રાચીનતા એ જ પ્રગતિ કે મહાનતાનો માપદંડ નથી.

2. આપણા પ્રાચીન ઇતિહાસનો ઘણો મોટો ભાગ કોઈ જાણતું નથી, જાણી શકે એમ નથી અને જે કાંઇ જાણીતું છે તેમાં ઘણુંબધું સુધારેલું, પાછળથી ઉમેરેલું ને અનધિકૃત છે. પુરાણો એ ઇતિહાસ નથી. રસાત્મક કાવ્યમાં વિંટાળેલી એ લોકભોગ્ય વાર્તાઓ છે, સત્યના સૂક્ષ્મ બીજની આસપાસ ઉભારેલાં સ્વાદિષ્ટ ફળ છે.

3. આજકાલ કેટલાક સજ્જનો મનાવવા માગે છે કે આર્યો બહારથી આવ્યા જ નથી. પરન્તુ (ટોઈન્બી જેવા) બધા જ પરદેશી અને લોકમાન્ય તિલક જેવા ઘણામોટા ભાગના હિન્દુ ઇતિહાસકારો સુદ્ધાં આવા સહેતુક પ્રચારને ભારપૂર્વક નકારી કાઢે છે.

4. જેમને નૃવંશશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર કે પુરાતત્ત્વશાસ્ત્ર એ કઈ જાતની બલા છે એની કલ્પના સુદ્ધાં નથી, એ લોકો ભારતમાં કેટલાં લાખ વર્ષો પૂર્વે સત્ય, દ્વાપર ને ત્રેતા યુગો હતા; અને એ કેવા ભવ્ય હતા; એ શીખવે છે. આને કહેવાય આજની કરુણતાઓ ભૂલવા ગઈકાલ વિશેના ઝુરાપા (Nostalgia)નો ઉપયોગ.

આપણે બીજી પ્રજાઓના ઈતિહાસનું વાચન બહુ કરતા નથી; આપણા પૂર્વજોએ ઈતિહાસનું લેખન નહિવત્‌ કર્યું છે. આપણા પ્રાચીન સુપ્રસિદ્ધ મહાપુરુષોની અને બનાવોની તારીખો સો-બસો વરસ આમ કે તેમ – કોઈક વાર એથીય વધારે – ચર્ચાસ્પદ હોય છે. ભગવાન રામ અને કૃષ્ણના જન્મદિવસો આપણે જરૂર ઉજવીએ છીએ; પણ જન્મનાં વર્ષો તો ઠીક, કઈ સદીમાં એ જન્મ્યા હતા એ પણ કોઈને ખબર નથી. આપણી સાચી ને ખાતરીલાયક તવારીખ ગૌતમ બુદ્ધ, અશોકના શિલાલેખ અને ગ્રીક આક્રમણથી શરૂ થાય છે. દુનિયાના ઇતિહાસની પૂરી સાબિત થયેલી નીચેની ટૂંકી તવારીખ તપાસી જવા જેવી છે:

(ક) ભારતમાં (અનાર્ય સમયની) સિન્ધુ સંસ્કૃતિ મોહન-જો-ડેરો (ઈ.સ.પૂર્વે ૨૫૦૦) સૌથી પ્રાચીન છે. એનાથીય પહેલાં, ઈ.સ. પૂર્વે ૨૬૧૩ થી ૨૪૯૪ દરમિયાન ઈજિપ્તના પિરામિડો બંધાયા હતા. એનાથી અનેક સદીઓ પહેલાં સુમેરિયન (ઈ.સ.પૂર્વે ૪૩૦૦—૩૧૦૦) અને એસિરિયન સંસ્કૃતિઓ દરમિયાન ભાષા-લેખનની શરૂઆત થઈ હતી.

(ખ) ઈ.સ.પૂર્વે ૧૫૦૦ આસપાસ આર્યો મધ્ય એશિયાથી ભારતમાં આવ્યા. આજે પ્રવર્તે છે તે પૌરાણિક હિન્દુ ધર્મનું સમગ્ર સાહિત્ય એ પછીનું છે. ભારતમાં રામાયણ અને મહાભારત (ઈ.સ.પૂર્વે ૧૪૦૦—૧૦૦૦) એ પછી રચાયાં. હોમર અને ગ્રીક મહાકાવ્યોનો યુગ એના નજીકના સમયગાળામાં આવે છે. આપણો ઇતિહાસ તો એ પછીની અનેક સદીઓ પછી રચાતો થયો. ચીનની સંસ્કૃતિના ઉદયનો સમય (ઈ.સ.પૂર્વે ૧૫૦૦-૧૦૨૭) પણ લગભગ એ જ છે. એ બધાંની ય પહેલાં ઈ.સ.પૂર્વે ૧૭૯૨ થી ૧૭૫૦માં બેબિલોનનો જાણીતો સેનાપતિ હમ્મુરાબી થયો હતો.

(ગ) ભારતમાં ઈ.સ. પૂર્વે ૫૫૦-૪૮૦ બુદ્ધ અને મહાવીરનો સમય છે. ઈરાનમાં થયેલા અષો જરથુષ્ટ્ર (ઈ.સ. પૂર્વે ૬૨૮–૫૨૧)નો અગ્નિપૂજક પારસી ધર્મ એ બન્ને કરતાં જૂનો છે. ચીનમાં કોન્ફ્યુશિયસ (ઈ.સ.પૂર્વે ૫૫૧–૪૭૯) અને લાઓ-ત્સે (ઈ.સ.પૂર્વે ૫૭૦–૫૧૭) સહિત આ બધા ધર્મસંસ્થાપકો લગભગ સમકાલીનો હતા.

(ઘ) ભારતનું પ્રથમ મહાન સામ્રાજ્ય મૌર્ય સામ્રાજ્ય (ઈ.સ.પૂર્વે ૩૨૩-૧૮૫) હતું. એ વિશ્વવિજેતા સિકંદરની ચડાઈ પછી સ્થપાયું. પણ એસિરિયન સામ્રાજ્ય (ઈ.સ.પૂર્વે ૭૪૪-૬૦૯) અને ઈરાનમાં સમ્રાટ દરાયસ ચન્દ્રગુપ્ત મૌર્યથી ઘણા વહેલા હતા. ઈ.સ.પૂર્વે ૮૦૦-૭૦૦નાં ગ્રીસનાં શહેરી ગણરાજ્યો, આપણા વૈશાલીથી ઘણા પહેલાં થયાં હતાં.

(ચ) ભારતના ઇતિહાસનો સર્વશ્રેષ્ઠ (“સુવર્ણયુગ”) તે ગુપ્ત વંશના રાજાઓનો સમય (ઈ.સ. ૩૨૦–૫૨૦) હતો. મહાન રોમન સામ્રાજ્ય એનાથી ત્રણસો-ચારસો વર્ષ પહેલાં થઈ ગયું. ચીનનું વિખ્યાત હાન સામ્રાજ્ય પણ ઈ.સ. પૂર્વે ૨૦૨ ની આસપાસ વિસ્તર્યું હતું. આપણા મહાન દિગ્ગજ વિદ્વાનો આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, વરાહમિહિર અને ભાસ્કરાચાર્ય ગુપ્તકાલીન હતા. પાયથાગોરસ, સોક્રેટિસ (ઈ.સ.પૂર્વે ૫૭૦), પ્લેટો (ઈ.સ.પૂર્વે ૪૨૭-૩૪૭), એરિસ્ટોટલ (ઈ.સ.પૂર્વે ૩૮૪-૩૨૨) ને આર્કિમિડિસ (ઈ. સ. પૂર્વે ૨૮૭-૨૧૨ – એ બધા જ આપણા આ વિદ્વાનો કરતાં હજારેક વર્ષો પહેલાં થઈ ગયા.

વાત દીવા જેવી સ્પષ્ટ છે કે આપણે એક, અદ્વિતીય કે પ્રથમ ન હતા. ઘણીબધી પ્રજાઓએ આપણા જેવી જ અથવા તેથીય ઊચી સિદ્ધિઓ જુદાં જુદાં ક્ષેત્રોમાં હાંસલ કરી હતી. પ્રાચીન યુગમાં જ્યાં જ્યાં સરિતા-સંસ્કૃતિઓનો ઉદય થયો હતો ત્યાં ત્યાં સમાન સમયે સમાંતર કક્ષામાં માનવજાતિએ પ્રગતિ કરી હતી.

ગ્રીસ, રોમ, ઈજિપ્ત, ચીન, ભારત, બધી જ પ્રજાઓ પ્રાચીન સમયમાં અનેક દેવોમાં માનતી હતી. એમની પુરાણકથાઓમાં આશ્ચર્ય પમાડે એટલું અપરંપાર સામ્ય છે. હિન્દુઓનો દેવ ઈન્દ્ર, રોમન દેવ જ્યુપિટર અને ગ્રીક દેવ ઝીયસ, ત્રણે સરખા લાગે. આપણા પ્રેમના દેવ કામદેવની જેમ જ રોમન દેવ ક્યુપિડ ધનુષ્યબાણ ધરાવે છે. જેમ આપણા રામ દસ માથાંવાળા રાક્ષસ રાવણને મારે છે, તેમ એમનો દૈવી વીરપુરુષ હરક્યુલિસ નવ માથાળા હાઈડ્રા નામના રાક્ષસને મારે છે. કુંતિએ પોતાના નવા જન્મેલા પુત્ર કર્ણને નદીમાં તરતો છોડી દીધો હતો; મોઝીઝને એની માતાએ એમ જ કર્યું હતું. એમનો સેતાન, આપણો કલિ; તેમના નોઆહની આર્ક બોટ, આપણા મનુની હોડી.

ફિલસૂફીઓમાં પણ એવું જ છે. આત્માના કલ્યાણ માટે દેહદમન કે તપશ્ચર્યાની વાત ફક્ત જૈન લોકોનો આગવો વિચાર નથી, Stoics નામના પંથને પશ્ચિમની ફિલસૂફીમાં (આપણા સિવાય !) બધા જાણે છે. સાહિત્યમાં એક બાજુ કાલિદાસ ને ભવભૂતિ, તો બીજી બાજુ ગ્રીક સોફોક્લિસ, યુરિપિડીસ, એશ્ચિલસ, વગેરે બધા એમનાથી વહેલા. ગણિતમાં એક બાજુ આર્યભટ્ટ ને ભાસ્કરાચાર્ય, બીજી બાજુ યુક્લિડ ને પાયથાગોરસ, બન્ને એમનાથી પહેલાં. ઔષધમાં આપણા ચરક-સુશ્રુત, એમના હિપોક્રેટિસ. એમના ઇતિહાસકારો પ્લિની ને હિરોડોટસ, આપણામાં કોઇ નહિ. વિજ્ઞાનમાં એમનો આર્કિમિડિસ, આપણામાં નામ દેવા ખાતર પણ કોઈ નહિ.

મધ્યયુગમાં આપણને હરાવનાર મુસ્લિમ હુમલાખોરો કરતાં આપણે આગળ વધેલા હતા એવું માનવા માટે કોઈ કારણ નથી. એક બે ઉદાહરણો તપાસો: ચીની પ્રજા પાસેથી કાગળ અને દારુગોળો બનાવવાની કળાઓ શીખીને મુસ્લિમો આપણા દેશમાં લઈ આવ્યા હતા. બાબર પોતે કવિ ને લેખક હતો. મહમદ ગઝનવી ફિરદૌસી અને અલ-બેરુની જેવા અનેક વિદ્વાનોનો આશ્રયદાતા હતો. આપણે ફા-હિયાન અને હ્યુ-એન-ત્સંગ વિશે જેટલું જાણીએ છીએ એટલું અલ-બેરુની કે ઇબ્ન બતુતા વિશે જાણીએ છીએ? દુનિયાના ઇતિહાસની આવી બધી વિગતો આપણે સામાન્ય ભારતીયો જાણતા હોતા નથી; એટલે એનું સ્વાભાવિક પરિણામ શું આવે છે? આપણી મહાન પરંપરા વિશેની અનેક કપોળકલ્પિત વાતો ગળચટી લાગે છે એટલે તરત આપણને સૌને ગળે ઉતરી જાય છે.

“ભવ્ય ભૂતકાળ”? અલબત્ત, જો ૨૦૦૦ વર્ષ પહેલાંના જમાનાને જ યાદ રાખીએ અને છેલ્લાં ૧૦૦૦ વર્ષની ગુલામી ભૂલવા માગીએ, તો આપણો ભૂતકાળ જરૂર ભવ્ય હતો. આપણને જૂનું યાદ છે, તાજું ભુલાય છે. ભૂતકાળનું ભૂત સુરાપાન કરાવી આપણને ભરમાવે છે— દારૂ જેટલો જુનો તેટલો સારો. આપણા વિચિત્ર ચશ્મા બહુ દૂરનો ભવ્ય ભૂતકાળ સ્પષ્ટ રીતે જોઈ શકે છે પણ પગ નીચેની પૃથ્વી એને દેખાતી નથી. એક પ્રકારના સામૂહિક આલ્ઝ્હેઇમર (Alzheimer) રોગ જેવું કંઈક તો આ નહિ હોય? જૂની યાદદાસ્તને ચાળણીમાં ચાળી સહન થાય તેટલી જ યાદોને આપણે જુદી પાડીએ છીએ, એમને મનગમતો સોનેરી ઢોળ ચઢાવીએ છીએ; અને પછી એને “ઇતિહાસ” ગણીએ છીએ.

આપણે આપણી જાતને કહ્યે રાખીએ છીએ કે ગ્રીસ ને રોમ નાશ પામ્યાં છે, જ્યારે આપણે હજી જીવંત છીએ. “નાશ પામ્યાં” એટલે શું? એ દેશો હયાત છે, એમનો વારસો જીવે છે. એરિસ્ટોટલ ને પ્લેટોની સર્વદેશીય વિચારધારાઓના પાયા ઉપર તો પશ્ચિમની સમસ્ત આધુનિક ઇમારતો રચાયેલી છે. આ બધા વિશેનું ભારોભાર અજ્ઞાન “સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા” જેવાં ગાંડાંઘેલાં કથનોના મૂળમાં ભર્યું છે. અને આપણા અતિડાહ્યા પંડિતો એ કથનોને દોહરાવ્યે જાય છે. ખરેખર તો આપણને એ વાત અભિપ્રેત છે કે હિન્દુ ધર્મ સંસ્કાર હજી જીવંત છે. પરંતુ જેમ હિન્દુ, તેમ યહૂદી ધર્મ સંસ્કાર પણ જીવે છે. ખ્રિસ્તી સમાજ અને સંસ્કૃતિ બે હજાર વર્ષથી જીવે છે ને આખી દુનિયામાં પ્રસરેલાં છે. ઈસ્લામ આજે પણ પ્રસરી રહ્યો છે. જે લોકો માત્ર આપણા જીવતા રહેવા માટે જ અભિમાન લે છે તેઓ ભૂલી જાય છે કે આપણે ૧૦૦૦ વર્ષ પરતંત્ર અને નિર્ધન થઈ મરવાને વાંકે જીવતા રહ્યા; પિઝા આરોગી, જિન્સ પહેરી, પશ્ચિમની કેળવણી પામી, એમનું અનુકરણ કરતા થયા; એ સ્વમાન, સદ્‌ગુણ કે ડહાપણની સાબિતી તો નથી જ. પુરાતન ભારતીયતાનો શ્વાસોચ્છ્વાસ જરૂર ચાલુ છે, પણ એ ક્યારનીય અર્ધમૃત દશામાં છે.

આજના હિન્દુ સમાજનાં બે વર્તનો તપાસો: ૧. કોઈ પરદેશી વ્યક્તિ હિન્દુઓ વિશે સાવ સાચી તોય અણગમતી વાત તરફ ધ્યાન ખેંચે ત્યારે આપણે કેવા ઊકળી ઊઠીએ છીએ? ૨. ભારતના ઈતિહાસને સાફસુથરો (white washed) બનાવી દેખાડવા આપણે ત્યાં કેવા કેવા પ્રયત્નો થઈ રહ્યા છે? આ બન્ને પ્રકારનાં વર્તનનાં મૂળ આપણી ઐતિહાસિક ગુલામીથી ઘડાયેલી ગુપ્ત માનસ ગ્રંથિઓમાં મળશે.

આપણે બીજા સમાજો સાથે મેરેથોન દોડવાની હરિફાઈમાં છીએ, પણ પગમાં ભૂતકાળની સાંકળ બાંધેલી છે. નજર સામે નથી, પાછળ છે; અને દિલ ચોંટેલું છે એવા જરીપુરાણા જગતમાં, જેને આખી દુનિયા ક્યારનીય વટાવીને આગળ નીકળી ચૂકી છે. મૂળિયાંમાંથી સાવ ઉખડી ગયેલ સમાજ સ્થિર ન હોય. પણ માત્ર મૂળને જ ચપોચપ વળગી રહે, એના સાંકડા વર્તુળને છોડી જ ન શકે, એવો સમાજ પુખ્ત કે પરિપક્વ બનીને પ્રગતિ કરી શકે નહિ. કોણ કયા મૂળનો માલિક છે એના વિતંડાવાદમાં કાયમ અટવાતો રહેતો સમાજ સૂર્યપ્રકાશને ચૂકી જશે. ભૂતને ભવિષ્ય તરીકે જોવાથી નહિ; કેવા હતા એ પરથી નહિ; પણ કેવા છીએ, એ પરથી આપણી ઓળખ બંધાવી જોઈએ. સત્ય તો એ છે કે દુનિયા શબ્દોથી, ભાવનાઓથી, ધારણાઓથી નહિ, આપણાં કાર્યોથી આપણને ઓળખે છે. પરંતુ, આપણે હવે એ નક્કી કરવાનું છે કે ભૂતના ભવ્ય વારસાનો ગર્વ જોઇએ છે, કે સ્વશક્તિ નિર્મિત ભાવિનું સન્માન? ભૂતકાળની મૂડી પર જીવ્યા કરવું એના કરતાં વધારે સારું ધ્યેય એ છે કે ઉજ્જ્વળ ભવિષ્યનું સ્વયં નિર્માણ કરવું. ભૂતકાળને અતિક્રમીને એને ઝાંખો પાડી બતાવવો એ જ એને અર્પેલી આપણી શ્રેષ્ઠ અંજલિ હોય.

ભારતીય માનસને પ્રાચીનતાનો પ્રેમ, લગાવ કે વળગાડ, જે કહો તે, ઘણોબધો છે. જેટલું વધુ પ્રાચીન એટલું વધુ સારું. આપણા વિદ્વાનો એક પુરાણા શબ્દને પકડીને, તરડીને, મચડીને, માંજીને, મઠારીને, ગમે તે રીતે એમ સાબિત કરવા પ્રયત્ન કરે છે કે આપણે ધારવા કરતાં વધુ પુરાતન છીએ. અનિશ્ચિતતા, અડસટ્ટો અને અંદાજ સિવાયનો બીજો કોઈ પુરાવો જ્યાં હોય જ નહિ, ત્યાં થોડીક વધુ પ્રાચીનતાનો દાવો કરવો એ વિદ્વત્તા નથી, બીજું કંઈક છે. સ્વદેશપ્રેમના નામે સ્વપ્રશંસાના દાવાઓ બધા દેશો કરે છે. હારેલા હોય તે વધારે ને વધુ મોટા અવાજથી કરે છે. મહાનતા સાબિત કરવા આપણે શું શું નથી કરતા? જે હકીકત માટે આપણને શરમ આવવી જોઈએ એ હકીકત માટે પણ આપણે બડાઈઓ હાંકીએ છીએ. દાખલા તરીકે: લાંબી ગુલામીની શરમ પર ઢાંકપીછોડો કરવા આપણે કહીએ છીએ કે ‘અમે કદી કોઈના ઉપર આક્રમણ કર્યું નથી’. પોતાના દુષ્કૃત્યનો પસ્તાવો થાય છે ત્યારે શેક્સપિયરમાં લેડી મૅકબેથ બોલે છે: “આખાય અરબસ્તાનનાં અત્તરો મારા આ નાનકડા હાથની દુર્ગંધ હટાવી નહિ શકે”. પ્રાચીનતાનાં પુષ્પોની આપણી બધીય બડાઈઓ આજની દરિદ્રતાની દુર્ગંધને ઢાંકી નહિ શકે. એ પુષ્પોને ઇતિહાસની અભરાઈ પર ચડાવી દઈ, વર્તમાનના વૃક્ષને આપણા પ્રસ્વેદનું થોડુંક પણ સિંચન કરીએ, તો ભારતના ભાવિમાં તે વિશેષ ફળદાયી ન બને?


Dear Subodhbhai

પ્રિય સુબોધભાઈ…

મારા લેખ ‘ગ્રીસના ૯૨ વર્ષના જનગણ મન અધિનાયક મૅનોલિસ ગ્લેઝોસ” પર જાણીતા વિદ્વાન અને મારા મિત્ર શ્રી સુબોધભાઈ શાહે પ્રતિભાવ આપતાં લખ્યું કે…”How can a country survive on a deficit economy for such a long long time? On debt for ever, on hand-outs? How long can it keep blaming others? What is the way out in an Economics sense? (Not in a historical or political sense…” આ સવાલનો જવાબ કંઈ કૉમેન્ટ તરીકે આપી શકાય એમ નહોતું એટલે મેં સાદી નોટ લખી કે હું આના વિશે લેખ લખીશ. તો આજનો આ લેખ, જેમની મૈત્રીથી ગૌરવ અનુભવીએ તેવા, શ્રી સુબોધભાઈને પત્ર રૂપે લખું છું.

પ્રિય સુબોધભાઈ,

૧) આમ જૂઓ તો તમારા સવાલનો જવાબ આપી શકું એટલું મારું જ્ઞાન નથી. એ મર્યાદિત હોવાનું એક મુખ્ય કારણ તો એ કે, કંઈ નહીં તો ભારતમાં, મોટા ભાગે તો માત્ર અમેરિકામાં શું થાય છે તેમાં જ રસ હોય છે. તે પણ ‘ઓબામાકેર’ વગેરે જેવી વિગતોમાં પડનારા બહુ ઓછા હશે.  હવે ચીન વિશે પણ જ્ઞાન વધ્યું છે. તે સિવાય દુનિયાના બીજા દેશોમાં શું થાય છે તેના વિશે ભાગ્યે જ કોઈને રસ હશે. હું પણ મર્યાદિત દેશોમાં રસ લેનાર વર્ગમાં છું એટલે ગ્રીસની આર્થિક હાલત વિશે મને રસ પડવાની શરૂઆત થઈ તે એક-બે વર્ષની વાત છે.

૨. ગ્રીસના અર્થતંત્ર વિશે મૅનોલિસ ગ્લેઝોસ વિશેના લેખના અંતે થોડા શબ્દોમાં મેં માહિતી આપી છે કે જેથી વાચકો કદાચ જાતે વધારે વાંચવા પ્રેરાય.

૦-૦-૦

૩. તમે લખ્યું છેઃ What is the way out in an Economics sense? (Not in a historical or political sense). અહીં મારા માટે થોડી મુશ્કેલી એ છે કે હું ઇકોનૉમિક્સને ‘પોલિટિક્સ’થી અલગ કરી શકું એમ નથી. ઇકોનૉમિક્સનું મૂળ નામ જ Political Economy હતું. રાજકીય પક્ષો સરકારો બનાવે છે અને એમની આર્થિક નીતિઓને અમલમાં મૂકે છે. આ નીતિઓના સમર્થકો અને વિરોધીઓ પણ હોય છે. દરેક પક્ષ પોતાના આર્થિક વિચારો જનતા સમક્ષ મૂકતા હોય છે.. આમ,કોઈ પણ સ્થિતિમાં ઇકોનૉમિક્સને પોલિટિક્સથી અલગ કરવાનું મુશ્કેલ થઈ જશે.

૪. એવું જ ઇતિહાસનું પણ છે. કોઈ પણ સમાજની સામુદાયિક વર્તમાન સ્થિતિ એના સામુદાયિક ભૂતકાળમાંથી જન્મે છે. આપણા ધર્મો, નૈતિકતા, રીતરિવાજો, ક્યારેક ભૂગોળ (ભારત અને પાકિસ્તાન – એમ ભૂગોળ વહેંચાઈ ગઈ), પણ ભૂતકાળની દેન હોય છે અને એમાં સમાજની આર્થિક સ્થિતિનો પણ સમાવેશ થઈ જાય. યુદ્ધ થાય તો આર્થિક પ્રભાવ પડે, તેમ સામાજિક પ્રભાવ પણ પડે જ. વિશ્વયુદ્ધો દરમિયાન કામદારોની ખેંચ પડતાં સ્ત્રીઓને પણ બહાર નીકળીને કામ કરવા પ્રોત્સાહિત કરવામાં આવી. આનો સારો પ્રભાવ એ રહ્યો કે સ્ત્રીઓ માટે આઝાદીનો રસ્તો ખુલ્યો. આમ ઇતિહાસને પણ ઇકોનૉમિક્સથી અલગ ન કરી શકાય એટલું જ નહીં સમાજશાસ્ત્રને પણ અલગ તારવવું અશક્ય છે.

૫. ઇકોનૉમિક્સને બધાથી અલગ સ્વતંત્ર શાસ્ત્ર માની લઈએ તો એ સમાજથી જ અલગ થઈ જાય. એ લૅબોરેટરીમાં અખતરા કરી શકાય એવું વિજ્ઞાન નથી. જો કે, છેલ્લાં ત્રીસેક વર્ષમાં એને આંકડાઓના પૃથક્કરણનું શાસ્ત્ર બનાવી દેવાનું વલણ રહ્યું પણ હવે, ખાસ કરીને, અમેરિકામાં આર્થિક melt-down પછી એમાં માનવીય તત્ત્વ ધ્યાનમાં લેવાનું વલણ ફરી વધ્યું છે. એટલે ઇકોનૉમિક્સ આજે માત્ર ‘ઉત્પાદન’ કે નફાનો જ વિષય નથી, ‘વહેંચણી’ પર ફરી ભાર મુકાવા લાગ્યો છે.

૦-૦-૦

૬. ખરું જોતાં, યુરોપના બધા દેશો અમેરિકાની મદદથી ઊભા થયા છે. બીજા વિશ્વયુદ્ધમાં તારાજ થયેલા યુરોપ માટે અમેરિકાએ ‘ડૉનેશન’ જેવી યોજના બનાવી. અમેરિકાના વિદેશમંત્રી જ્યૉર્જ માર્શલના નામ પરથી એ ‘માર્શલ પ્લાન’ તરીકે ઓળખાય છે. આમાં અમેરિકાએ આખા યુરોપના દ્દેશોને ૧૩ અબજ ડૉલર વહેંચી આપ્યા. (કોઈ દસ્તાવેજમાં આ આંકડો ૧૪ અબજ અને કોઈમાં ૧૭ અબજ મળે છે). આમાંથી ૨૬ ટકા રકમ બ્રિટનને અને ૧૧ ટકા રકમ પશ્ચિમ જર્મનીને મળી. માર્શલ પ્લાન ઉપરાંત પણ એટલી જ રકમ અમેરિકાએ આ દેશોને લોન તરીકે આપી. એટલું જ નહીં જર્મનીએ પહેલા વિશ્વયુદ્ધથી બ્રિટનનું દેવું ચૂકવવાનું હતું તે બીજા વિશ્વયુદ્ધ સુધી પૂરું ચૂકવાયું નહોતું અને બીજા વિશ્વયુદ્ધ પછી બ્રિટને બાકીનું દેવું – લગભગ અડધું – માફ કરી દીધું.

૭. સોવિયેત સંઘ માર્શલ પ્લાનમાં ન જોડાયું. એણે પોતે મદદ લેવાની ના પાડી એટલું જ નહીં પૂર્વ યુરોપના એના વર્ચસ્વ હેઠળના દેશોને પણ એ મદદ લેવા ન દીધી.

૮. અમેરિકાએ એશિયા માટે પણ માર્શલ પ્લાન જેવો બીજો પ્લાન બનાવ્યો હતો પણ એ ડોનેશન નહીં વેપારી લોન હતી

૯. આમ જૂઓ તો પશ્ચિમ જર્મનીનો પોતાનો વિકાસ પણ.ડોનેશનને કારણે થયો છે.

૧૦. માર્શલ પ્લાનનો લાભ ગ્રીસને પણ મળ્યો અને ૧૯૫૦થી એની ઝડપી વૃદ્ધિ થઈ. રસાયણ ઉદ્યોગનો ખાસ વિકાસ થયો. તે પહેલાં પહેલા વિશ્વયુદ્ધના સમયમાં પણ ત્યાં ઉદ્યોગો હતા, જેમાં શિપ-બિલ્ડિંગ ઉદ્યોગ મુખ્ય હતો. અર્થતંત્રમાં તેજીની સ્થિતિ ૧૯૭૩ સુધી રહી. એ આપણે યાદ રાખીએ કે ગ્રીસ પર કુદરતની બહુ કૃપા નથી. તેમ છતાં એનો વૃદ્ધિ દર બહુ ઊંચો હતો, કંઈક સાત-આઠ ટકાની વચ્ચે હતો; લગભગ જાપાન જેવો.

૧૧. મઝાની વાત એ છે કે જર્મનીને અમેરિકા ઉપરાંત મદદ કરનારા બીજા દેશોમાં ગ્રીસ પણ હતું! (અને પાકિસ્તાન પણ!).

૧૨. આ સાથે એક બીજી વાત નોંધી લઈએ. ૧૯૪૨માં નાઝીઓએ ગ્રીસની સેન્ટ્રલ બૅંકમાંથી ૪૭૬ મિલિયન રીચમાર્ક ઉપાડ્યા. શૂન્ય વ્યાજના દરે! આ લૂંટ જ હતી, પરંતુ એમણે એક નોટમાં એ લોન હોવાનું દેખાડ્યું છે. આ રક્મ યુદ્ધ પછી જર્મનીએ પાછી આપવાની થઈ ત્યારે માત્ર ૧૧૫ મિલિયન રીચમાર્ક પાછા આપ્યા અને ૧૯૬૦માં જાહેર કર્યું કે યુદ્ધ સંબંધી કોઈ ચૂકવણી હવે બાકી નથી. પરંતુ આ યુદ્ધના નુકસાનનું વળતર નહોતું. આ શૂન્ય દરે લીધેલી લોન પાછી આપવાની હતી, પણ જર્મનીએ સાફ ના પાડી દીધી.

૧૩. બીજી બાજુ, યહૂદીઓની કત્લે આમ માટે એણે ઇઝરાએલ અને વર્લ્ડ જ્યૂઇશ કોંગ્રેસને વળતર ચૂકવી દ્દીધું પણ હૉલોકોસ્ટમાં મરનારા વ્યક્તિગત યહૂદીઓનાં કુટુંબોને કે રુમાનિયાના માર્યા ગયેલા યહૂદીઓને કંઈ ન આપ્યું. દેખીતું છે કે આ મદદ ઇઝરાએલના રાજ્યને આપી.

૧૪. યાદ રાખવાનૂં એ છે કે વિશ્વયુદ્ધ પછીના પંદર વર્ષ સુધી ગ્ર્રીસને આપવાની રકમ બાબતમાં મતભેદ નહોતો.

૧૫. ઉપર બ્રિટને જર્મની પરનું દેવું માફ કર્યું તેની વાત કરી. બાકીનું દેવું પાછું ચૂકવવા માટે બ્રિટને એવી સગવડ આપી કે જર્મની પોતાના આંતરરાષ્ટ્રીય વેપારની પુરાંતમાંથી દર વર્ષે માત્ર ત્રણ ટકા મુદ્દલ ચૂકવે. એટલે કે આ દેવું ચૂકવવા માટે એણે કોઈ નવી લોન ન લેવી પડે. આમ, એને ૩૩ વર્ષનો સમય આપવામાં આવ્યો. આ કારણે, જર્મનીને વેપારમાં પુરાંત રહે તેમાં એને લોન આપનાર દેશોને પણ રસ હતો. આ છે જર્મનીના વિકાસનું કે ચમત્કારનું રહસ્ય. દુનિયામાં ક્યાંયે ચમત્કાર જેવા દાવા થતા હોય ત્યારે એનાં મૂળ સુધી જઈને તાર્કિક કારણો શોધ્યા વિના ચાલે નહીં..

૧૫. જોવાનું એ છે કે જર્મનીએ યુદ્ધ છેડ્યું અને એના ઉપર મિત્ર દેશોએ દંડ લાગુ કર્યો પણ તેને ખરેખર તો મદદ મળી અને એના તરફથી કોઈ દેશને અમુક પ્રદેશ મળ્યો તો કોઈને મિત્ર દેશો જે કૅક્ટરીઓ જર્મનીમાંથી ઊખાડી લાવ્યા હતા, એ સરંજામ મળ્યો. આમ જર્મનીને રોકડનું સંકટ ભોગવવાનો સમય ન આવ્યો. માત્ર દેવાનો ભાર હતો, એ જ જર્મનીએ નાઝીઓએ લિખિત દસ્તાવેજ પર લીધેલા પૈસા ગ્રીસને પાછા આપવાની ના પાડી.

૦-૦-૦

૧૬. હવે સંક્ષેપમાં બે વાત જોઈ લઈએ. યુરોપીય સંઘ બનાવવા પાછળ ઉદ્દેશ શો હતો? ગ્રીસ એમાં શા માટે જોડાયું નવાઈની વાત એ છે કે આ બન્ને પાછળ આર્થિક કારણો નથી!

૧૭. બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપ આર્થિક દૃષ્ટિએ તો તૂટી પડ્યું હતું અને તે ઉપરાંત પરસ્પર અવિશ્વાસ પણ હતો. બ્રિટન અને જર્મની, ફ્રાન્સ અને જર્મની, જર્મની અને બીજા નાઝી આક્રમણનો ભોગ બનેલા દેશો  એકબીજા પ્રત્યે અવિશ્વાસથી જોતા હતા. આની અસર એમના સંબંધો અને વેપાર પર પડતી હતી. એટલે છેક ૧૯૫૦થી એમણે પરસ્પર વિશ્વાસ વધારવાનાં પગલાં લીધાં. શરૂઆતમાં તો જર્માનીની લશ્કરી તાકાત ન વધે તે મૂળ હેતુ હતો; ધીમે ધીમે યુરોપની સમાનતાઓ અને પછી યુરોપની અસ્મિતાની નજરે બધા વિચારવા લાગ્યા.

૧૮. બીજી બાજુ,૧૯૬૭થી ૧૯૭૪ સુધી ગ્રીસ સરમુખત્યારના શાસન હેઠળ હતું. જનતામાં લોકશાહીની આકાંક્ષા હતી એકત્ર યુરોપનો આદર્શ ગ્રીસને પસંદ હતો.

૧૯. યુરોપના જ દેશો – સ્પેનમાં જનરાલિસિમો ફ્રાંકોની સરમુખત્યારી સામે પણ પ્રબળ અવાજ ઊઠતો હતો. પોર્ટુગલમાં તો સત્તાપલટો થઈ પણ ગયો હતો.

૨૦. બીજી બાજુ, સાયપ્રસના વિવાદમાં ગ્રીસ અને તુર્કી વચ્ચે યુદ્ધ છેડાઈ પડ્યું. સાયપ્રસમાં ગીક અને તુર્ક બન્ને પ્રજાઓ છે અને એ નાગરિક યુદ્ધ જ હતું. ગ્રીસ નૅટોનું સભ્ય હોવા છતાં અમેરિકા કે બ્રિટને નૅટોને ગ્રીસની તરફેણમાં સક્રિય ન બનાવ્યું. ગ્રીસને યુરોપ સાથે વધારે નજીકથી જોડાવાનું યોગ્ય લાગ્યું તેમાં આ પણ એક પરિબળ છે. એને યુરોપ સિવાય બીજે ક્યાં ભરોસાપાત્ર સાથી મળવાના હતા?

૨૧. યુરોપમાં ઉત્તરના દેશો અને દક્ષિણના દેશોની આર્થિક સ્થિતિમાં બહુ અંતર હતું. અને છે. યુરોપમાં બધા જ દેશો વિકસિત નથી.  દક્ષિણ યુરોપના દેશો આર્થિક વિકાસ ઇચ્છતા હતા અને ઉત્તર યુરોપના દેશો એમના વિકાસમાં વેપારની બહુ મોટી તકો જોતા થઈ ગયા. અહીંથી ઇકોનૉમિક્સ પણ પ્રવેશે છે.

૦-૦-૦

૨૨. ગ્રીસ ૧૯૮૧માં યુરોપીય સંઘમાં ૧૦મા સભ્ય તરીકે જોડાયું ત્યારે એના વડા પ્રધાન કોન્સ્ટન્ટીન કારામન્લિસે કહ્યું કે ગ્રીસ, યુરોપ અને ખ્રિસ્તી ધર્મના આદર્શોને ધ્યાનમાં રાખીને અમે જોડાઇએ છીએ. અને બે વર્ષ પછી એ ૧૨મા સભ્ય તરીકે યુરો ઝોનમાં સામેલ થયું. ૨૦૦૧માં એણે પોતાનું ચલણ યૂરોમાં ફેરવી નાખ્યું, જે ‘ઍડજસ્ટમેન્ટ’ના સમય પછી ૨૦૦૨માં સંપૂર્ણ રીતે અમલમાં આવ્યું.

૨૩. ૧૯૮૧થી ૧૯૯૫નો ગાળો ગ્રીસ માટે બહુ સારો પણ નહીં અને બહુ ખરાબ પણ નહીં એવો હતો. યુરોપીય સંઘમાં જોડાવાથી જ બધું બરાબર થઈ જાય એમ નહોતું.  પરંતુ તે પછી ગ્રીસે બહુ ઝડપભેર પ્રગતિ કરી.

૦-૦-૦

૨૪. બીજી બાજુ યૂરો ઝોનમાં આવતાં સ્પર્ધા વધી. પહેલાં બૅંકો માત્ર જાહેર ક્ષેત્રની કંપનીઓને જ લોન આપતી પણ હવે યુરોપની ખાનગી કંપનીઓ પણ આવવા લાગી. આથી બૅન્કના વ્યાજના દરની પણ સ્પર્ધા થવા લાગી. પરિણામે વ્યાજની આવકમાં ભારે ઘટાડો થયો.

૨૫. ગ્રીસે એક ખેટું ખેડ્યું અને ૨૦૦૪માં ઑલિમ્પિક્સ યોજી. પરંતુ એનો એને લાભ ન મળ્યો. સહેલાણીઓ ગ્રીસ કરતાં આજુબાજુના દેશોમાં વધારે ફર્યા. મુલાકાતીઓમાંથી થનારી આવકની દ્ધારણા ખોટી પડી. ઉલટું, એના પર ખર્ચનો બોજો પડ્યો. એની ખાધ સાડા-છ ટકા કરતાં પણ ઉપર ગઈ, જે યૂરો ઝોનના બીજા દેશો કરતાં બમણી હતી. આથી દેવાનો બોજ પણ કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (GDP) ના ૧૫૯ ટકા જેટલો થઈ ગયો.

૦-૦-૦

૨૬. ૨૦૦૮માં અમેરિકાની આર્થિક મંદીએ દુનિયાના કેટલાયે દેશોની કમર તોડી નાખી. ગ્રીસ જેવા દેશોની હાલત વધારે ખરાબ થઈ, કારણ કે એની રાષ્ટ્રીય આવકમાં વિદેશવાસી ગ્રીકો (કામદારો સહિત) પૈસા મોકલાવતા તેનો મોટો ફાળો હતો.

૨૭. ૨૦૧૦માં ગ્રીસે પહેલી વાર લોન માગી. એ વખતે મંદીની અસરમાંથી મુક્ત થવા માગતી ખાનગી કંપનીઓને નવું બજાર ખોલવાની તક મળી. ગ્રીસ પર શરતો લાગુ કરી કે એ પેન્શન અને વીમા ક્ષેત્રમાં વિદેશી કંપનીઓને આવવા દે. સામાજિક સુરક્ષાના કાર્યક્રમો બંધ કરે અને ખર્ચ બચાવે. આ કંપનીઓને ઉત્પાદન વધારવા માટે કે વેપારના વિકાસ માટે પ્રોત્સાહન મળે એવી રીતે નાણાકીય ફેરફારો કરે.

૨૮. આ શરતો માન્યા પછી પણ ગ્રીસની હાલત સુધરી નથી. લોકમત લીધા પછી પણ સિરીઝા સરકારે હવે બધી શરતો માની લીધી છે અને ગ્રીસને સાત અબજ ડૉલરનું બેલ-આઉટ પૅકેજ આપવામાં આવ્યું છે. આની શરતોનો સંસદ માત્ર બે જ દિવસમાં સ્વીકાર કરી લે એ મુખ્ય શરત હતી.

૦-૦-૦

૨૯. આમ ગ્રીસનું અર્થતંત્ર નબળું હોવા છતાં પહેલાં ૨૦૧૦ જેવી હાલત નહોતી એટલે “કોઈ દેશ ક્યાં સુધી Hand-outs પર ટકી શકે?” એ સવાલને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મૂકીએ તો કદાચ જુદું જ ચિત્ર મળે. કારણ કે આ સમસ્યા કોઈ અનાદિ-અનંત કાળની નથી. માત્ર છેલ્લાં પાંચ વર્ષની વાત છે.

૩૦. કોઈ પણ કંપની બહારથી આવે તે પોતાના ફાયદા માટે આવે છે, દેશના ભલા માટે નહીં – આ મહત્ત્વનો સંદેશ છે. મેં ઉપર દેખાડ્યું છે તેમ જર્મની પોતે જ ચારે બાજુથી બધી જાતની લાંબા ગાળાની લોન અથવા બોજો ન બને એવી ગ્રાન્ટના આધારે પગભર થયું. આ પણ કોઈ પ્રાચીન યુગની વાત નથી. દુનિયાભરમાં લોનો લેવાય છે અને અપાય છે, પણ એની મુદત લાંબી હોય છે. ગ્રીસ માટે આકરી શરતો અને તેના વિના કોઈ જ મદદ નહીં! આ દેખાડે છે કે હજી ૨૦૦૮ના આંચકામાંથી દુનિયા બહાર નથી આવી અને જર્મન સરકાર ગમે ત્યાંથી, કોઈ પણ ભોગે માર્કેટ પેદા કરવા માગે છે. ગ્રીસને પણ પગભર થવા માટે સમય આપવો જોઈએ. આ તો કોઈ સ્વાધીન દેશના સાર્વભૌમત્વ પર હુમલો છે કે જાઓ કાલે જ સંસદ પાસેથી મંજૂરી લઈ આવો, નહીંતર તમને લોન નહીં આપીએ. છેવટે એ છે તો લોન જ -અને તે પણ પહેલાંની લોન પરત કરવા માટેની લોન…!

૩૧. યુરોપીય પંચ (European Commission) અને યુરોપીય સેન્ટ્રલ બૅન્કના આ વ્યવહારથી Troika (ત્રિપુટી)નો ત્રીજો સાગરિત, આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF) પણ વિમાસણમાં છે. એનો એક ખાનગી રિપોર્ટ લીક થયો છે તેમાં ચેતવણી આપી છે કે આ બેલ-આઉટથી ગ્રીસની સ્થિતિ વધારે ખરાબ થશે અને એનું દેવું GDPના ૨૦૦ ટકા જેટલું થશે. IMF કહે છે કે ગ્રીસને દેવું ચૂકવવા માટે ઓછામાં ઓછાં ૩૦ વર્ષ આપવાં જોઈએ અને આજે એને નવા કરજની નહીં, કરજમાં રાહતની જરૂર છે.1

૩૨. યુરોપીય સંઘની એકતા શા માટે? અને એ તૂટી જશે તો શું થઈ જવાનું છે? યુરોપીય સંઘ શું છે? ધનકુબેરોનું કાર્ટેલ? આજે યુરોપીય સંઘની પ્રતિષ્ઠાને તો આંચકો લાગી ચૂક્યો છે.  ઝ્યાં-પિઅરે લેહમાન કહે છેઃ The European ideal rested at its inception on a dream, a mission and a vision – and not on a balance sheet. Foundations were laid during the 1950s and 60s, with enormous efforts extended to create trust among countries…અને એમણે આ લેખમાં ગ્રીસની તરફેણ નથી કરી.2

૩૩. ગ્રીસની કટોકટી આર્થિક નથી, એ નૈતિક, ઐતિહાસિક અને રાજકીય છે. આર્થિક સંકટ તો એની માત્ર ઉપર દેખાતી અણી છે. ભવિષ્યમાં શું થાય છે તે જોઈએ. પરંતુ પોલ ક્રુગમૅને તો ભવિષ્યનો સંકેત આપી દીધો છેઃ ”The European project — a project I have always praised and supported — has just been dealt a terrible, perhaps fatal blow. And whatever you think of Syriza, or Greece, it wasn’t the Greeks who did it.”3

૦-૦-૦-૦

સુબોધભાઈ, આ સવાલ ઊભો કરીને તમે મારા વિચારોને એકત્ર કરવાની તક પૂરી પાડી છે તે માટે મારે તમારો આભાર જ માનવાનો છે. આમ તો યુરોપના વિકાસ વિશે કેટલાંક કારણોસર પ્રાથમિક સ્તરનું વાંચવા-સાંભળવાનું બન્યું છે, પણ કોઈ એક દેશ વિશે અલગથી ખાસ વાંચ્યું હોય એવું નહોતું. એકલા ગ્રીસ વિશે અલગ રીતે સમજવાનો પ્રયત્ન પણ નહોતો કર્યો. પરંતુ ત્રણ-ચાર વર્ષ પહેલાં ગ્રીસનું નામ અવારનવાર ચમકવા લાગ્યું એટલે થોડુંઘણું જાણ્યું. મેં જે કંઈ વાંચ્યું તે લાઇબ્રેરીમાંથી લઈને વાંચ્યું – માત્ર જાણવા માટે; લખવાના વિચારથી નહીં, એટલે સંદર્ભ તરીકે સાચવ્યું પણ નહીં. પહેલાં તો છાપાંમાંથી ઢગલાબંધ કાપલીઓ રાખવાની પણ ટેવ હતી પણ ઇંટરનેટ આવતાં કાપલીઓ ક્યાં ગઈ તેય ખબર નથી. એટલે માત્ર ઇંટરનેટનો જ આધાર રહ્યો.  જૂનું વાંચેલું હતું તેના આધારે ઇંટરનેટ પરથી શોધ્યું તો અમુક મળ્યું, અમુક ન મળ્યું અથવા મારી જૂની છાપ ખોટી પડી. ઘણું નવું જાણવા મળ્યું. અહીં મેં જે કંઈ જોયું, વાંચ્યું તેની લિંકો આપું છું. જે વાંચ્યું તે બધું લીધું પણ નથી. આટલા નાના લેખમાં કેટલું લઈ શકાય? વધારે સમજવા માટે બીજું પણ વાંચ્યું, એની લિંક નથી આપી. વાંચવાનો મૂળ હેતુ તો એ જ કે બધું બરાબર ઘુંટાય તો જ કંઈક વાંચવા લાયક લખી શકાય. મતભેદો તો રહી પણ જાય કારણ કે એ ‘મત’ -અભિપ્રાય – છે. પરંતુ એ નક્કી, કે આ બધી વાચનસામગ્રી રસ પડે તેવી છે એટલે જે વાંચશે તે એમાં ડૂબી જશે એની ખાતરી આપું છું.

ફરીથી આભાર.

દીપક

૦૦૦૦૦૦૦૦

1http://www.theguardian.com/business/2015/jul/14/imf-report-greece-needs-more-debt-relief

2http://yaleglobal.yale.edu/content/greek-crisis-eu-part2

3http://krugman.blogs.nytimes.com/2015/07/12/killing-the-european-project/?_r=0

______________

ઉપયોગમાં લીધેલી અન્ય વાચન સામગ્રીની યાદી સાભાર પ્રસ્તુતઃ

http://www.theguardian.com/commentisfree/2013/feb/27/greece-spain-helped-germany-recover

https://en.wikipedia.org/wiki/Economic_history_of_Greece_and_the_Greek_world

https://en.wikipedia.org/wiki/Greek_economic_miracle

http://marshallfoundation.org/marshall/the-marshall-plan/

http://www.britannica.com/event/Marshall-Plan

http://www.hellenicfoundation.com/History.htm

http://www.encyclopedia.com/topic/Greece.aspx

http://www.theguardian.com/world/2011/aug/02/greek-protester-resisted-nazis

http://www.theguardian.com/world/2014/nov/30/greek-resistance-manolis-glezos-planted-bomb-athens-winston-churchill

https://en.wikipedia.org/wiki/Manolis_Glezos

https://en.wikipedia.org/wiki/Dawes_Plan

‘http://www.lse.ac.uk/researchAndExpertise/researchImpact/PDFs/germany-hypocrisy-eurozone-debt-crisis.pdf

http://www.forbes.com/sites/timworstall/2012/09/12/does-germany-really-owe-greece-a-etrillion-in-war-reparations-probably-not-no/

http://www.spiegel.de/international/germany/greek-study-provides-evidence-of-forced-loans-to-nazis-a-1024762.html

http://www.theguardian.com/business/2015/jul/06/germany-1953-greece-2015-economic-marshall-plan-debt-relief