તા. ૧૫-૬-૨૦૧૫ અને ૧૬-૬-૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ, અનુક્રમે, ભાગ (૧) અને ભાગ (૨)થી આગળ

મંડેલાની સ્વાતંત્ર્ય ભણી લાંબી કૂચ
આજની દુનિયામાં એક પણ રાજદ્વારી એવો નથી જે નેલ્સન મંડેલાની તોલે આવે અને મંડેલાએ રંગભેદી શાસનના અસ્તમાં જે ભૂમિકા ભજવી છે એના જેવી રોચક બીજી કોઈ જીવનકથા પણ નથી. આખી દુનિયામાં, બધી જ જાતિઓના લોકો એમના પર ખરા હૃદયથી સ્નેહ વરસાવતા હોય છે તેમાંથી આ દેખાઈ આવે છે. જાતિવાદી શાસન સામેનો સંઘર્ષ અને એના પરિણામે એ વ્યવસ્થા તૂટી પડી તેનેના જોખમી પરિપાક રૂપે જે ઉથલપાથલ મચી અને હિંસા ભડકી ઊઠી તે જો મંડેલા ન હોત તો માઝા મૂકી જાત. આ અર્થમાં મંડેલાએ વિસ્ફોટક સ્થિતિનો પ્રમાણમાં અહિંસક ગણાય એવો ઉકેલ આપવામાં પ્રદાન કર્યું છે. એટલે, એમના આ બાબતના વિચારોનું મહત્ત્વ ઓછું નથી. એમની બહુપ્રશંસિત આત્મકથા Long Walk to Freedomમાં મંડેલા વારંવાર એક વાત કહે છે કે એમના માટે અહિંસા નૈતિક નહીં પણ વ્યાવહારિક સિદ્ધાંત હતો. “મેં અહિંસાને એક નૈતિક સિદ્ધાંત નહીં પણ એક વ્યૂહ માની; બિનઅસરકારક હથિયારવાપરવામાં નૈતિક દૃષ્ટિએ કંઈ સારું નથી.” એમનું આ દૃષ્ટિબિંદુ એમના સંયોગો પ્રમાણે ઘડાયું, પરંતુ વૈચારિક સ્તરે આ દૃષ્ટિબિંદુને ઉપયોગિતાવાદી કહી શકાય – અને ઉપયોગિતાના આધારે સારાપણાની વ્યાખ્યા ન કરી શકાય. વળી, મંડેલાએ આફ્રિકી પ્રજાને બધા જ રાજકીય અધિકારોથી વંચિત રાખનાર શ્વેત વર્ચસ્વવાદી હકુમત અને બ્રિટિશ રાજ વચ્ચે ભેદરેખા પણ દોરી. એમણે જોયું કે બ્રિટિશ રાજ શાંતિપૂર્ણ વિરોધ સામે હિંસા નહોતી આચરતી. પરંતુ મંડેલા અહીં ભૂલ કરે છે. જલિયાંવાલા બાગથી માંડીને ૧૯૩૦ના દશકના નાગરિક અસહકાર આંદોલન સુધી અંગ્રેજી હકુમતે પણ એ જ કર્યું હોવાનાં ઢગલાબંધ ઉદાહરણો છે. આમ છતાં એમ દલીલ કરી શકાય કે રંગભેદી હકુમતે શ્વેત અને શ્યામ પ્રજા માટે અલગ કાનૂની વ્યવસ્થા કરી હતી અને તમામ આફ્રિકનોને ખાસ અલાયદા વિસ્તારોમાં જ રાખવાની નીતિ લાગુ કરી હતી, અને એ અવશ્ય બ્રિટિશ હકુમત કરતાં વધારે ખરાબ હતું.
પરંતુ મારો હેતુ અહીં દક્ષિણ આફ્રિકાના રંગભેદી શાસન અને બ્રિટિશ રાજની તુલના કરવાનો નથી. મને તો નેલસન મંડેલાએ અન્યાયી વ્યવસ્થા સામે લડવાનાં સાધનોનો શી રીતે ઉપયોગ કર્યો તેની સાથે લેવાદેવા છે. એમણે કહ્યું તો છે કે આ મુદ્દા પર એમનું દૃષ્ટિબિંદુ સૈદ્ધાંતિક કરતાં તો વધારે વ્યૂહાત્મક હતું. પરંતુ દક્ષિણ આફ્રિકામાં જાતિગત ગૃહયુદ્ધ ન જ થવાં જોઈએ એમ એ દૃઢતાથી માનતા હતા. ઉપરાંત, આફ્રિકન નૅશનલ કોંગ્રેસની સશસ્ત્ર પાંખ ‘ઉમ્કોન્તો વે સીઝ્વે’(સંક્ષેપમાં MK)ના કમાંડર તરીકે પણ એમણે ધ્યાનમાં રાખ્યું કે સશસ્ત્ર હુમલા માત્ર ઑફિસો, કારખાનાંઓ પર થવા જોઈએ, લોકોમાં આતંક ફેલાવવા માટે નહીં. આ દેખાડે છે કે હિંસાના ઉપયોગ વિશે એમના મનમાં ઊંડે ઊંડે સંશય હતો.
મંડેલા આત્મકથામાં એક પ્રસંગ આલેખે છે. એ જ્યાં છુપાયા હતા ત્યાં એમણે એરગનથી એક પક્ષીને વીંધી નાખ્યું આ જોઈને મકાનમાલિકનો પાંચ વર્ષનો દીકરો વ્યાકુળ થઈ ગયો. એણે આંખમાં આંસુ સાથે મરેલા પક્ષીને જોયું અને પછી મંડેલાને પૂછ્યું કે એને શા માટે મારી નાખ્યું? બાળકે કહ્યું, “એની મા બહુ દુઃખી થઈ જશે.” એ વખતની પોતાની લાગણી વર્ણવતાં મંડેલા કહે છે કે “મારો મૂડ તરત બદલી ગયો. પહેલાં ગર્વની લાગણી હતી તેની જગ્યા શરમે લઈ લીધી. મનેલાગ્યું કે આ નાના બાળકમાં મારા કરતાં તો બહુ ઘણી માનવતા ભરી છે. દેશના નવા બનેલા ગૅરિલા આર્મીના વડા માટેઆ વિચિત્ર ક્ષણ હતી.” પરંતુ જે રાજદ્વારીના અંતરતમમાં આવી ગાઢ શાંતિપ્રિયતા ભરી હોય (અને યાદ રાખશો કે મંડેલા પોતાને શાંતિવાદી નહોતા માનતા) તો જ એ એક પક્ષીને મારી નાખવાની ઘટનામાંથી દાર્શનિક બોધપાઠ તારવી શકે.
મંડેલાની આત્મકથામાં ઘણી જગ્યાએ એમની દ્વિધા વ્યક્ત થાય છે, પરંતુ એને કારણે એમનો મોભો નીચે જવાને બદલે ઉપર જાય છે. એનું કારણ એ કે, ગાંધીજીની જેમ એમનું કામ શબ્દો અને થિયરીઓ કરતાં વધારે બુલંદ અવાજે બોલે છે. આમ કેમ છે? મંડેલા જે રાજ્ય સામે જીવનભર લડતા રહ્યા તેના જ સર્વોચ્ચ નેતા બન્યા, પરંતુ એમણે આખી જિંદગી સત્તા માટે ગાળી એમ કહેવામાં એમને અન્યાય નથી થતો? દુષ્ટતાપૂર્ણ પોલીસ રાજના હાકેમોએ એમને લગભગ ત્રણ દાયકા જેલમાં ગોંધી રાખ્યા અને એમની માતાના અંતિમ સંસ્કાર માટે પણ જવા ન દીધા. પરંતુ એ લોકો સામે પણ એમના મનમાં લેશમાત્ર કિન્નાખોરીની ભાવના નહોતી. આ કારણે મંડેલા આપણી સમક્ષ એક એવી વ્યક્તિ તરીકે ઉપસ્થિત થાય છે, જેની ગરિમા હંમેશાં અક્ષુણ્ણ રહેતી હોય. મને લાગે છે કે એમના આ જ ગુણને લીધે બદલાની ભાવના એમને સ્પર્શી ન શકી જે હિંસાનું મૂળ છે. એટલે જ, ફાવે તે તારણ કાઢો, દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરોધી સંઘર્ષ ક્રાન્તિકારી હિંસા અને ત્રાસવાદને કારણે નહીં પણ વિશ્વવ્યાપી અણગમા અને વિરોધની સામે એની સંસ્થાઓના રાજકીય અને નૈતિક હ્રાસને કારણે સફળ રહ્યો.
મુક્તિ પછી પણ મંડેલાની સરકારે એ જ ભાવનાથી કામ ચાલુ રાખ્યું અને ‘સત્ય અને સમાધાન કમિશન’ની રચના કરી. આ અનોખા પ્રકારના કાનૂનમાન્ય સંગઠનનું કામ હતું, માનવ અધિકારોનું ક્રૂરતમ દમન કરનાર અપરાધી પોતાનો ગુનો કબૂલ કરે તો એને માફી આપવાનું. એના કામમાં ઘણી અડચણો આવી, જે સ્વાભાવિક જ છે. અત્યાચારી અને અત્યાચારના વિક્ટિમની વચ્ચે મધ્યસ્થી કરવા માગતું તંત્ર ઘણી સમસ્યાઓનો સામનો કરે જ, વળી, બન્ને પક્ષોને એ અળખામણું લાગે, એ ઓછું મહત્ત્વનું કારણ નથી. આમ છતાં, આ કમિશનનું કામ માનવીય સંવેદનાઓને આધારે જૂના જખમો રુઝાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ હતો. મને આ તબક્કે ‘પકાયાનિયે’ (પસ્તાવો) નામની એક રશિયન ફિલ્મ યાદ આવે છે. ગર્બાચ્યોવના જમાનાની આ ફિલ્મમાં સ્તાલિનવાદની ટીકા કરવામાં આવી છે. ફિલ્મનું મુખ્ય પાત્ર ભૂલ, અપરાધ અને પાપ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરે છે. એ કહે છે કે ભૂલો સુધારી શકાય, અને અપરાધની સજા થઈ શકે પણ પાપનો ઉપાય તો એક જ છે – પસ્તાવો. આ શક્ય છે અને વેરની વસુલાત કે કિન્નાખોરી કરતાં વધારે સંતોષકારક રીત છે, એ જાન્યુઆરી ૧૯૯૪માં ગુજરાતમાં બનેલી એક ઘટના સિદ્ધ કરી આપે છે. બાબરી મસ્જિદ ધ્વસ્ત થઈ તે પછી મહેસાણા જિલ્લાના સિદ્ધપુરમાં ફાટી નીકળેલાં રમખાણોનો ભોગ બનેલા હજારો લોકો એકઠા થયા અને શાંતિ માટે સોગંદ લીધા, ખૂનીઓએ પોતાનાં પાપ કબૂલ્યાં અને વિક્ટિમોનાં કુટુંબીજનોએ એમને માફ કર્યા. સિદ્ધપુરના નાગરિકોએ જબ્બરદસ્ત પરિપક્વતાનો પરિચય કરાવ્યો. આ જ જાતની સ્થિતિમાં સપડાયેલા લોકો માટે એ એક અનુકરણીય દૃષ્ટાંત છે. ઉપયોગમાં લીધેલાં સાધનો અને સિદ્ધ થયેલા ઉદ્દેશો વચ્ચે, સજાની જરૂર અને સુધારની જરૂર વચ્ચે, વ્યક્તિના અંતરાત્મા અને સામાજિક હિત વચ્ચે ન્યાય અને સામાજિક વ્યવસ્થા સંતુલન માગે છે. ક્યારેક આ બધું પરસ્પર ટકરાય પણ ખરું, પરંતુ એમનો સમન્વય તો માત્ર સામાજિક નૈતિકતાથી જ આવી શકે. અલબત્ત, દરેક સમાજમાં સ્વીકારવામાં આવેલાં નૈતિક ધોરણો અને સ્વીકાર્ય બનેલાં સમાધાન એક જ પ્રકારનાં નહીં હોય. આનાં બે બહુ જાણીતાં ઉદાહરણ છે, પૅલેસ્ટાઇનીઓ અને આયરિશ રાષ્ટ્રવાદીઓ. બન્ને અત્યારે હિંસક સંઘર્ષમાં છે અને કદાચ એમના લક્ષ્યને પ્રાપ્ત પણ કરી લેશે, પરંતુ અંતે જો એમનામાં સમાધાન કરવાની હિંમત હશે અને અહિંસાના આધારે વિકસેલાં સાધનો વાપરશે તો જ એ શક્ય બનશે.
વાવશો તેવું…
આજની સ્થિતિનું સત્ય શું છે? આજે સામાન્ય સમજ તો એમ કહે છે કે પૈસા ખરચતાં બધું થઈ શકે. આજે મૂળ વસ્તુ કરતાં એની આકૃતિની કિંમત વધારે છે. ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું અપહરણ થઈ ગયું છે અને સત્તાની સ્પર્ધામાં એનો ઓજાર તરીકે ઉપયોગ થાય છે. સત્યનો ખ્યાલ, આ સંયોગોમાં નકામો બની ગયો હોય એમ લાગે છે. દાખલા તરીકે સિગરેટની જાહેરખબરમાં સિગરેટ પીનારો બહુ આનંદ લેતો હોય, અતિ તંદુરસ્ત હોય એમ દેખાડતા હોય છે, પણ વાસ્તવમાં સિગરેટ પીવાથી કૅન્સર અને હૃદયની બીમારીઓ થાય છે. બીજો દાખલો લઈએ. મે ૧૯૯૨માં દૂરદર્શને કટ્ટર હિન્દુ રાષ્ટ્રવાદી વી. ડી. સાવરકરની પ્રશસ્તિ કરતો કાર્યક્રમ રજૂ કર્યો. એમાં એ પણ ન કહ્યું કે સાવરકર મહાત્મા ગાંધીની હત્યાના મુખ્ય આરોપી અને હત્યાનું કાવતરું ઘડનારાના મુખિયા હતા. આપણે એ પણ નોંધ લેવી જોઈએ કે બાબરી મસ્જિદ વિશે પણ ભાષા કેવી બદલાતી રહી છે. એ પહેલાં મસ્જિદ હતી, પછી વિવાદિત ઇમારત બની ગઈ. બહુ સારી જાહેરખબરો (અને પ્રચાર ઝુંબેશો) પણ તથ્ય અને કલ્પના, સંદેશ અને ગેરમાહિતીનું મિશ્રણ હોય છે. આ બધામાં સત્યની ફિકર ક્યાં જોવા મળે છે? બસ, ‘ઇમેજ’ વિશ્વાસપાત્ર છે કે નહીં, ભલે ને એ સત્ય ન હોય. આમ છતાં સમાજ સત્યની વિભાવનાને કોરાણે મૂકી ન શકે. ભૌતિકશાસ્ત્રના નિયમોનો નાપાક હેતુઓ માટે ઉપયોગ ભલે થતો રહે, પણ એ રાજકીય કાવાદાવાને અધીન નથી જ નથી. એ જ રીતે સામાજિક ક્ષેત્રમાં પણ દમન અને શોષણ જેવાં વરવાં સત્યોને દાયકાઓ પછી ફરી પ્રગટ થવાની ટેવ હોય છે. સત્યની વિભાવનાના સામાજિક મૂલ્યની અન્ય બાંહેધરીઓ જનતાની પ્રજાતાંત્રિક આકાંક્ષાઓ અને પારદર્શક સંસ્થાઓ છે.
સત્ય એક એવો શબ્દ છે કે જેના ઘણા અર્થ થાય છે. એનો સૌથી સાદો અર્થ વાસ્તવિકતા કે આદર્શ સ્થિતિ થાય છે. બન્ને દૃષ્ટિએ એમાં ખોજનો અર્થ નિહિત છે. એ એક આદર્શ અને માપદંડ છે. એ કદાચ કદીયે પૂરું સિદ્ધ ન થાય, તેમ છતાં એને સિદ્ધ કરવાના પ્રયાસ નકામા નથી. પરંતુ અમુક પ્રકારનાં માનસ માટે સત્ય એક ખોજ નથી, એ અવતરિત જ્ઞાન, એટલે કે, માન્યતા છે. આ રીતે પ્રગટ થયેલું એક સત્ય જો એના જેવાં જ બીજાં પ્રગટ થયેલાં સત્યોથી જુદું ન પડતું હોય તો કંઈ ટક્કર નથી થતી. પરંતુ વાસ્તવિક જીવનમાં બે જુદી જુદી માન્યતાઓના અનુયાયીઓ સહઅસ્તિત્વના વિચાર માત્રને સાંખી લેવા તૈયાર નથી હોતા; એ પોતાની માન્યતાને અકાટ્ય સત્યમાં ફેરવી નાખે છે અને શસ્ત્રોથી સજ્જ થવા લાગે છે. પરિપૂર્ણતાવાદની ખાસિયત જ છે કે એ મતભેદનો જવાબ માત્ર હિંસાથી આપશે.
ગાંધીજીની હિંસા વિરુદ્ધની દલીલની છણાવટ કરતાં પારેખ લખે છેઃ “જે કૃત્યોમાં પાછા વળવાનો રસ્તો ન હોય તેમનેવાજબી ઠરાવવા માટે અકાટ્ય જ્ઞાનની જરૂર પડે છે.” એમાં હું ઉમેરવા માગું છું કે અકાટ્ય જ્ઞાન ધરાવનારા વહેલામોડા અવશ્ય એવાં કૃત્યો કરશે કે જેમાંથી પાછા ફરી ન શકાય. આનું આપણે ઝીણવટભર્યું અવલોકન કરશું તો સમજી શકાશે કે હિંસક રીતો અસરકારક હોવાનું ખુલ્લી કે છૂપી રીતે માનતી, ડાબેરી કે જમણેરી વિચારધારાઓ સામાન્ય રીતે અધિકારવાદી આપખુદ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને પાંગરી હોય છે. આથી જ ગાંધીજીએ હંમેશાં સત્યના ‘પ્રયોગો’ની વાત કરી અને ભારપૂર્વક કહ્યું કે સત્યની ખોજ અહિંસામાં અડગ વિશ્વાસ સાથે જ કરવી જોઈએ. ૧૯૧૯નાં આંદોલનોને પગલે, ગાંધીજી અમદાવાદમાં લૉર્ડ હંટરના વડપણ હેઠળની ડિઝૉર્ડર ઇંક્વાયરી કમિટી સમક્ષ ઉપસ્થિત થયા. લૉર્ડ હંટરે એમને પૂછ્યું કે ગવર્નરોનું કામ કાયદાનું પાલન થાય તે જોવાનું છે અને જે લોકો કાયદાનો ભંગ કરવાનો પોતાનો ઇરાદો જાહેર કરતા હોય તેમને સજા કરવાનું છે; આ બાબતમાં એમનો વિચાર શું છે? ગાંધીજીએ જવાબ આપ્યો કે અન્યાયી કાયદાઓનો વિરોધ કરતા અહિંસક સત્યાગ્રહીઓ ખરેખરા ‘સર્વશ્રેષ્ઠ બંધારણવાદીઓ’ છે. હંટરે કહ્યું કે કાયદો ન્યાયી છે કે અન્યાયી, તે વિશે મતભેદ પણ હોઈ શકે. ગાંધીજીએ જવાબ આપ્યો કે એ જ કારણે તેઓ અહિંસા પર ભાર મૂકે છે. એમણે કહ્યું કે સત્યાગ્રહી પોતાના વિરોધીને સ્વતંત્ર નિર્ણયનો અધિકાર આપે છે. ગાંધીજી પોતાનું લક્ષ્ય સત્યની ખોજનું હોવાનું કહેતા, તેને લઈને કમિટીના બીજા એક સભ્ય સર ચિમનલાલ સેતલવાડે એમને સાણસામાં લેવાની કોશિશ કરીઃ “માણસ ગમે તેટલોપ્રામાણિકતાથી સત્યની ખોજ કરે સત્ય વિશેના એના ખ્યાલ બીજાના ખ્યાલ કરતાં જુદા હોઈ શકે છે. તો સત્ય શું છે તે કોણનક્કી કરશે?” ફરીથી ગાંધીજીએ એક જ વાત પકડી રાખી. સત્યનાં અર્થઘટનો જુદાં હોય છે, તે જ કારણસર એમના સંઘર્ષમાં “અહિંસા એક અનિવાર્ય અંગ” છે.
મારો તો ખ્યાલ છે કે આમાં આપણા સમયની સૌથી વધારે ચકચારભરી દાર્શનિક ચર્ચામાં ગાંધીનું સાદું પણ ગહન ગંભીર પ્રદાન રહેલું છે. એમાં એક કરતાં વધારે અસ્મિતાઓનો, અર્થનાં અનેક પાસાંઓનો સ્વીકાર અને સાર્વત્રિકતાના દાવાઓનો નકાર છે. ગાંધીજી દાર્શનિક નહોતા, પરંતુ આજની (ઉત્તર-આધુનિક) ‘સાપેક્ષતાવાદી’ ચિંતનધારાને અનુસરીને આપણે અર્થના બહુત્વનો સ્વીકાર કરીએ તો નીરક્ષીરન્યાયનાં ધોરણો પડી ભાંગે છે. આવી અનિર્ણયની સ્થિતિમાં ગાંધીજીનો અભિગમ એક મૂલ્યની સ્થાપના કરે છે. ગાંધીજી અર્થ-બહુત્વનો સ્વીકાર કરે છે પણ તે સાથે એમનો એવો પણ આગ્રહ છે કે એક એવું નૈતિક ધોરણ અવશ્ય છે જેની સામે બધાં સાપેક્ષ સત્યોની ચકાસણી થઈ શકે – એટલે કે અહિંસાના માર્ગે લાધેલું સત્ય જ આપણું સત્ય બની શકે. આ દૃષ્ટિએ જોતાં ગાંધીજી એક પ્રખર સર્વકલ્યાણવાદી માનવતાવાદી તરીકે આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. મનુષ્યને મનુષ્યત્વથી નીચેની શ્રેણીમાં મૂકીને એને ભેદભાવ, અન્યાય અને હિંસાનો ભોગ બનવાને લાયક ઠરાવવા માટે એમણે સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય તફાવતોનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો. આનો અર્થ એ નથી કે એમણે પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ પણ મુલતવી રાખી દીધો હતો અથવા ધાર્મિક વ્યવહારો, સંસ્કૃતિઓ અને વિચારધારાઓ વિશે પોતાના અભિપ્રાય બાંધવાનું જ બંધ કરી દીધું હતું.. એમના પોતાના વિચારો હતા, સારાસારનો નિર્ણય પણ જાતે જ લેતા હતા. એમનું કહેવાનું માત્ર એટલું જ હતું કે વિખવાદોનો નીવેડો લાવવાના રસ્તા શોધો, ચર્ચાઓ આને દલીલોનો માર્ગ પકડી રાખો, માનવીય ગરિમા સાથે મતભેદો દૂર કરવાના અથવા તો મતભેદો છતાં, સાથે મળીને જીવવાના ઉપાય શોધો.
આપણા સમાજે પોતાનો જ કેટલો વિનાશ કર્યો છે અને હજી કેટલો વિનાશ કરવા સજ્જ થાય છે તેનો જરાક પણ વિચાર કરતાં અહિંસક સંસ્કૃતિની આવશ્યકતા આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. એક અંદાજ પ્રમાણે આપણા દેશમં ૨૫૦ લડાઈઓ થઈ છે અને લડાઈઓ અને જાતિગત સંઘર્ષોમાં ૧૧ કરોડથી વધારે જાન ગયા છે. છેલ્લા કેટલાયે દાયકાઓથી નાગરિકોનાં મોતનો આંકડો વધતો જાય છે. આજના પરમાણુ શસ્ત્રોના ભંડારની મારક ક્ષમતા ઘટી હોવા છતાં એ હજી પણ ૮૦૦ મેગાટન (એટલે કે ૮૦૦ કરોડ ટન) TNT છે. બીજા વિશ્વયુદ્ધ, કોરિયન યુદ્ધ અને વિયેતનામ યુદ્ધમાં જેટલી કુલ વિસ્ફોટક ક્ષમતાનો ઉપયોગ થયો તેના કરતાં આ આંકડો ૨૨૭ ગણો મોટો છે. ૧૯૬૦ અને ૧૯૯૪ વચ્ચે વિકાસશીલ દેશોએ શસ્ત્રો ખરીદવા પાછળ ૭૭૫ અબજ ડૉલર ખર્ચ્યા. દુનિયામાં શસ્ત્રોની ખરીદી પર જેટલો કુલ ખર્ચ થયો તેના ૬૯ ટકા તો વિકાસશીલ દેશોએ ખર્ચ્યા. ૧૯૯૫માં ૨ કરોડ ૨૪ લાખ સ્ત્રી-પુરુષો દુનિયાનાં લશ્કરોમાં યુદ્ધસેવાઓ માટે હતાં, જેમાંથી ૬૫ ટકા વિકાસશીલ દેશોમાં હતાં. વિકાસશીલ દેશોના શાસકોના વિકૃત સામાજિક દૃષ્ટિકોણની કિંમત એમની જનતા ભોગવે છે. અંશમાત્ર ડહાપણનો ઉપયોગ કરીએ તો એ વાત સમજાઈ જશે કે માનવજાત મૃત્યુની ઇચ્છાના સંમોહનમાં ઝકડાઈ ગઈ છે.
અહિંસા તો સંયમનું બીજું નામ માત્ર છે. અહિંસામાં ગાંધીજીની નિષ્ઠાએ આપણા સમાજ પર ઘેરી અસર કરી છે. જો કે, એ ખરું કે આપણા દેશમાં લોકશાહીની મજલ હજી બહુ લાંબી છે. ભારતીય પ્રજાસત્તાકના ભવિષ્યની ચિંતા કરવાની આજકાલ ફૅશન ચાલી નીકળી છે. એની બધી ઉણપો માટે પ્રજાસત્તાક ભારતના સ્થાપકોને જવાબદાર ઠેરવવામાં આવે છે. મહાસતાઓના સ્વાર્થના દબાણ, દાવાનળી વૈશ્વિક મૂડીવાદની અસરો અને આપણા શાસક વર્ગની સ્વાર્થ લોલુપતા પણ આપણી સમસ્યાઓ માટે વધારે જવાબદાર હોઈ શકે છે. આપણે એ યાદ રાખવું જોઈએ કે ભારત હજી કોમવાદી રાજકારણના આપખુદ દર્શન સામે ઘૂંટણિયે નથી પડ્યું કે મિલિટરીના બૂટની એડી તળે નથી ચંપાયું. આનું એક કારણ રાષ્ટ્રીય મુક્તિ માટેના આપણા જન આંદોલનમાં રહેલું છે. આ આંદોલને, એની તમામ ત્રુટિઓ છતાં અહિંસક રાજકીય કાર્યક્રમના આધારે સાર્વભૌમત્વ હાંસલ કર્યું છે.
દિલ્હીમાં જ્યાં ગાંધીજીની હત્યા થઈ હતી તે સ્થાન – ગાંધી સ્મૃતિ – ની મુલાકાતે દરરોજ હજારો લોકો આવે છે. આમાંથી મોટા ભાગના ગ્રામજનો હોય છે, તેઓ મહાત્માજીને ભક્તિભાવપૂર્વક યાદ કરે છે. કદાચ કુલીન વર્ગે એમને એક ‘આઇકન’ બનાવી દીધા હશે કે ઉચ્ચ મધ્યમ વર્ગ ગાંધીજી પ્રત્યે અજ્ઞાન અને તુચ્છકારથી જોતો હશે પણ અદના ભારતીય જનો હજી ગાંધીને ભૂલ્યા નથી. ગાંધીએ દરેક હૈયાને સ્પર્શ કરીને માનવજાતના સંવાદમાં કાયમી સ્થાન જમાવી લીધું છે. માનવજાતને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હશે તો સંયમ અને કરુણા વિના ચાલશે નહીં. વધારે માનવીયતાપૂર્ણ, ઓછા પાશવી અને વધારે સભ્યતાપૂર્ણ અસ્તિત્વની આપણી ઝંખના હોય તો એને મૂર્ત રૂપ આપવા માટે જે જોશ અને આશાવાદ જોઈએ તે પેદા કરવામાં મોહનદાસ કરમચંદ ગાંધીના જીવન અને એમના અહિંસાના સંદેશની ભૂમિકા નાનીસૂની નહીં જ હોય.
સંદર્ભ સૂચી –
- Bhikhu Parekh, Colonialism, Tradition and Reform: An Analysis of Gandhi’s Political Discourse; Nelson Mandela, Long Walk To Freedom;
- Dennis Dalton, Gandhi During Partition: A Case Study in the Nature of Satyagraha (an article in the volume: The Partition of India: Policies and Perspectives 1935-1947 C..H. Philips and M. D. Wainwright);
- D.G. Tendulkar, Mahatma: Life of Mohandas Karamchand Gandhi;
- Joan Bondurant, Conquest of Violence;
- Steven Runciman, A History of the Crusades,
- Friedrich Heer, The Medieval World,
- Mahadev Desai, The Gita According to Gandhi;
- M.K. Gandhi, The Bhagvadgita and
- Ruth Leger Sivard, World Military and Social Expenditures – 1996.
- The Futility of Common Sense: An Essay on Ahimsa was published in Eye Magazine, Vol 5, no.1, October-December 1997, and in Rukmini Sekhar (ed), Making a Difference – a Collection of Essays,Spic-Macay, New Delhi, 1998.