Apartheid in India

ભારતમાં રંગભેદ

‘વર્ણ’ શબ્દનો અર્થ રંગ થાય છે. આપણી ‘વર્ણ’ વ્યવસ્થામાં જુદા જુદા વર્ણના લોકોના ‘વર્ણ’  એટલે કે રંગ કેવા હોવા જોઈએ એનો સ્પષ્ટ ઉલ્લેખ તો નથી મળતો પરંતુ ‘વર્ણસંકર’ પ્રજાની ઉત્પત્તિ માટેનો આપણો હાઉ અને શ્વેત રંગ માટેનો આપણો પક્ષપાત જોતાં શ્વેત રંગને ઉચ્ચ વર્ણ સાથે જોડવામાં આવે છે એટલું તો ચોક્કસ. આ ‘રંગભેદ’નો ભોગ બને છે, આપણાં દિલ્હી, બેંગલોર, હૈદરાબાદ જેવાં ‘કૉસ્મોપોલિટન’ શહેરોમાં ભણતા આફ્રિકન વિદ્યાર્થીઓ.

દિલ્હીમાં કોંગોના એક વિદ્યાર્થીને ઈંટથી મારી નાખવામાં આવ્યો. વાત માત્ર ઑટોરિક્ષા ભાડે કરવાની હતી. કોંગોના વિદ્યાર્થીએ ઑટોરિક્ષાને રોકી અને બેઠો ત્યાં ત્રણ જણ પહોંચી આવ્યા અને એને ઊતરી જવાનું કહ્યું. એ ઊતરવા તૈયાર નહોતો. બસ, એને ખેંચીને બહાર કાઢ્યો, એ ભાગવા લાગ્યો તો પાછળથી ઈંટ મારી. એ ભાન ગુમાવીને પડી ગયો. હૉસ્પિટલ લઈ ગયા તો ત્યાં એને મૃત જાહેર કરવામાં આવ્યો.

આફ્રિકી દેશોના રાજપુરુષોએ આવી હત્યાઓ સામે વાંધો લીધો અને ‘આફ્રિકા દિન’ની ઊજવણીઓનો બહિષ્કાર કરવાનો નિર્ણય જાહેર કર્યો.વિદેશ મંત્રીએ યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી પરંતુ એમના શબ્દો વિસ્મૃતિની ગર્તામાં જાય તે પહેલાં જ બેંગાળૂરુથી એવા જ સમાચાર આવ્યા અને ફરી દિલ્હીમાં મહેરૌલી પાસેના ગામમાં રહેતા આફ્રિકનો પર ત્યાંના લોકોનો કોપ વરસ્યો. સાત જણ ઘાયલ થયા.

આ તો છેલ્લા થોડા દિવસોમાં બનેલા બનાવો છે. એનાથી પહેલાં પણ ઘણા બનાવો બની ગયા છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની પહેલી સરકાર બની ત્યારે એના બીજા કે ત્રીજા દિવસે જ  નવા કાનૂન મંત્રી સોમનાથ ભારતીએ ખિડકી ગામમાં રહેતી આફ્રિકન છોકરીઓના ઘરમાં ઘૂસીને હુમલા કરાવ્યા. એમના પર વેશ્યાવ્રુત્તિ કરવાનો અને માદક દ્રવ્યો વેચવાનો, સિદ્ધ ન થયેલો આક્ષેપ કર્યો.

આની સામે કોઈ ગોરી ચામડીવાળો હોય તો શું થાય? હા, ગોરી ચામડીવાળી સ્ત્રી અહીં ‘મહાન ભારત’ના પ્રવાસે એકલી જ આવી હોય તો વિમાનઘરેથી જ એની હોટેલ સુધી સલામત પહોંચે એની ખાતરી ન આપી શકાય. આપણા સેક્સ-ભૂખ્યા દેશબાંધવોને ગોરા રંગનું આકર્ષણ એટલું છે કે ગોરી સ્ત્રીને એકલી જોતાં જ એને ‘ચાલુ માલ’ માનીને એમનાં અંગોમાં કામ નાચવા લાગે છે. પરંતુ અફ્રિકનો માટે તો, પુરુષ હોય કે સ્ત્રી, એમનો રંગ જ એમને માનવથી નીચલા દરજ્જાના માની લેવા પ્રેરે છે. એક તો આફ્રિકન વિદ્યાર્થીઓ ગરીબ દેશોમાંથી આવે છે. એટલે રહેવા માટે દિલ્હીના ‘પોશ એરિયા’ એમને પોસાય નહીં. દિલ્હીની પોતાની વિસ્તરવાની લાય એટલી છે કે મોટા ભાગનાં ગામોને તો એણે ગળી લીધાં છે, પરંતુ જે કોઈ હજી દિલ્હીની ચુંગાલમાં પૂરેપૂરાં નથી સપડાયાં એવાં અડધાંપડધાં ગામોમાં, અપૂરતી નાગરિક સુવિધાઓ અને રૂઢિચુસ્ત સમાજ વચ્ચે રહેવું પડે છે. ગોરી ચામડીવાળો, એક તો ભારતમાં ઉચ્ચ અભ્યાસ માટે ભાગ્યે જ આવશે, અને આવશે તો એ ‘પોશ એરિયા’માં જ રહેશે. આફ્રિકન વિદ્યાર્થીઓ આપણે ત્યાં આવે છે એટલા કારણસર જ એ આપણાથી નીચા થઈ જાય?

ગરીબાઈ પોતે જ એક અપરાધ છે એમ આપણે માનીએ છીએ. ઘરમાં કોઈ વસ્તુ આડેઅવળે મુકાઈ ગઈ હોય તો પહેલી શંકા કામવાળી પર જાય. આપણે રંગ ઉપરાંત પૈસાથી પણ સામાજિક દરજ્જો નક્કી કરીએ છીએ! માણસ પૈસાવાળો હોય તો અપ્રામાણિક કેમ હોઈ શકે? જો કે આપણે જાણીએ છીએ કે મોટા ભ્રષ્ટાચારોમાં પૈસાવાળા, મોટા અધિકારીઓ અને રાજકારણીઓ સંડોવાયેલા હોય છે. પણ મનમાં “ચોર” શબ્દ બોલતાં એ ચોરનું કેવું ચિત્ર ઉપસે છે તે જરા ચકાસી જોવા જેવું છે. આવું ચિત્ર દેખાડે છે કે આપણે અમુક વર્ગના લોકોને પહેલાં જ માફ કરી દીધા હોય છે. કોઈ આપણા જેવાં કપડાંવાળો, સૌમ્ય ચહેરાવાળો, અંગ્રેજી બોલતો માણસ આપણને ઠગી જાય તો આપણો પહેલો પ્રતિભાવ એ જ હોય છે કે “જોતાં તો લાગે જ નહીં, કે આવો માણસ ચોર હોઈ શકે…! એનો અર્થ જ એ છે કે જોતાંવેંત ચોર જેવો લાગે એવો કોણ હોય, તે આપણે ધારી લીધું છે. આફ્રિકનોને આપણે સહેલાઈથી ગુંડા, બદમાશ, લફંગા માની લેવા તૈયાર હોઈએ છીએ કારણ કે કાળા હોય છે.

આપણો ગોરી ચામડી માટેનો પ્રેમ એટલો છે કે ફેરનેસ ક્રીમનો આખો બિઝનેસ આખી દુનિયામાં નહીં થતો હોય એટલો આપણા દેશમાં થતો હશે. આ વ્યવસાય આપણા પૂર્વગ્રહોને દૃઢ કરે છે પણ આપણા ‘સામાજિક- રાજકીય’ નેતાઓને એની સાથે લાગતું વળગતું નથી.

આપણો જાતિવાદી ઘમંડ માત્ર કાળા રંગ વિરુદ્ધ નહીં, નેણે-નાકે આપણાથી અલગ હોય તેના વિરુદ્ધ પણ કામ કરે છે. આપણા જ દેશના ઉત્તર-પૂર્વના નાગરિકોને પણ મોટાં શહેરોમાં ભારે અપમાન અને અન્યાય સહન કરવાં પડે છે. કારણ એટલું જ કે એમનાં ફીચર્સ આપણાથી અલગ હોય છે. એમને આપણે ‘અલગ’ માનીએ તો એક દિવસ એ લોકો પણ ખરેખર પોતાને ‘અલગ’ માનવા લાગશે અને ત્યારે શું આપણે એમને લશ્કરી તાકાતથી આપણા તાબામાં રાખશું? એ રીતે અલગતાની લાગણી દૂર થઈ શકે?

મારો જ અનુભવ કહું – હું એ દિવસોમાં આકાશવાણીમાં અમારા યુનિયનનો સૅક્રેટરી હતો.  ઇમ્ફાલના મારા એક સાથીએ ‘હાઉસિંગ લોન’ માટે અરજી કરી હતી પણ એનો નિકાલ નહોતો થતો. એણે મારી મદદ માગી. હું સંબંધિત વિભાગમાં ગયો. સેક્શન ઑફિસરે અરજીમાં કેટલીક ખામીઓ  દેખાડી. મેં એ સુધરાવી દીધી. બીજી વાર ગયો ત્યારે બીજી ખામીઓ મળી. ત્રીજી વારે ત્રીજી…ચોથી વારે ચોથી… મેં ધીરજ ન છોડી. આવું થતું કેમ અટકાવી શકાય તે હું સમજતો હતો પણ એ રસ્તો લેવા નહોતો માગતો. લીધો હોત તો હું હંમેશ માટે દલાલની શ્રેણીમાં આવી ગયો હોત. અંતે, શું બહાનું આપવું તે સેક્શન ઑફિસરને સમજાયું નહીં. એણે હાર માની લીધી. મને કહ્યું – યહ તો આપ હર રોઝ આતે  હૈં ઇસ લિયે કર દિયા..લેકિન યહ બતાઇએ, ઇન ચીનાઓં કો આપ ક્યોં હેલ્પ કરતે હૈં? યે હમારે સગે નહીં હૈં…

સાચી વાત છે. મારો સાથી ચીનનો હોય તો મારે મદદ ન જ કરવી જોઇએ…પણ એ ભારતનો નાગરિક જ હતો! પરંતુ મેઇનલૅન્ડ ઇંડિયા નૉર્થ-ઈસ્ટના નાગરિકને આ દેશનો નાગરિક માનવા તૈયાર નથી. સેક્શન ઑફિસરને મારા સાથીની દેશ પ્રત્યેની નિષ્ઠા માટે શંકા રાખવાનું કારણ શું હતું? માત્ર એ જ ઘમંડ, કે આ દેશનો માલિક તો ઉત્તર ભારતનો જ હોય!

આપણે જાણતા નથી – અથવા કબૂલ કરવા તૈયાર નથી –  કે આપણામાં પણ અલગતાવાદી અને વર્ચસ્વવાદી તત્ત્વો છે. આપણે એને સમજીએ અને એમાંથી બહાર આવીએ એ ખરી રાષ્ટ્રભક્તિ હશે.  માત્ર ‘વસુધૈવ કુટુંબકમ’નો દાવો કરતા રહીએ એમાં કંઈ વળવાનું નથી. શાસ્ત્રોમાં જે વાતો હોય છે તે એટલા માટે કે આપણા જીવનમાં એ નથી હોતી. ઈસુ ખ્રિસ્તે “પાડોશીને પ્રેમ કરો” એમ કહ્યું તેનો જ અર્થ એ કે લોકો પાડોશી સાથે સારો વર્તાવ નહોતા કરતા. પ્રેમ નહોતા કરતા. એટલે જો આખી દુનિયાને એક કુટુંબ માનવાનો આદર્શ શાસ્ત્રોએ સ્થાપ્યો હોય તો એનો અર્થ એ કે એવું આપણે ત્યાં ખરેખર નહોતું. આપણો એવો વ્યવહાર હોત તો આવું ઉપદેશાત્મક લખવાની જરૂર જ ન પડી હોત.

૦-૦-૦

Before the Law: Kafka’s parable

આવતા થોડા દિવસોમાં હું ફ્રાન્ઝ કાફકાની એક લાંબી વાર્તા In the Penal Colonyનો અનુવાદ ત્રણ-ચાર હપ્તામાં આપવા માગું છું. કાફકાના સાહિત્યનો અનુવાદ કરવાની મને Franz Kafka online (ક્લિક કરો) તરફથી સહર્ષ પરવાનગી મળી છે. વેબસાઇટના સંચાલકનો આભાર માનવાની સાથે એમનો ઈ-પત્ર નીચે રજૂ કરું છું.આનો સૂર સાધવા માટે આજે કાફકાની એક ટૂંકી રૂપક-કથા‘Before The Law’ (Vor dem Gesetz)નો અનુવાદ રજૂ કરું છું.

Kasfka permission

કાનૂનને દ્વારે

લેખકઃ ફ્રાન્ઝ કાફકા

જર્મનમાંથી અંગ્રેજીમાં અનુવાદઃ ઈયાન જોહ્નસ્ટન

 આ મહેલ કાયદાનો છે. એક ગામડિયો ત્યાં આવે છે અને મહેલમાં, કાનૂનની પાસે જવા માગે છે. પણ એના મુખ્ય દરવાજે એક ચોકીદાર બેઠો છે, એ એને અટકાવે છે કે હું તને અત્યારે તો અંદર જવા દઈ શકું એમ નથી. માણસ વિચારમાં પડી જાય છે અને પૂછે છે કે થોડા વખત પછી અંદર જવા દેશે? ચોકીદાર કહે છે, “હા, એમ કદાચ થઈ શકશે, પણ હમણાં તો નહીં જ.” એ જ વખતે દરવાજો ઊઘડે છે અને ચોકીદાર બાજુએ ખસી જાય છે. ગામડિયો જરા વાંકો વળીને અંદર શું છે તે જોવાની કોશિશ કરે છે.

ચોકીદારનું ધ્યાન એના તરફ જાય છે અને એ હસે છે, ”તને અંદર શું ચાલે છે તે જોવાનું બહુ મન થાય છે ને? મેં ના પાડી તોયે તું કેડો મૂકતો નથી. પણ યાદ રાખ. હું બહુ શક્તિશાળી છું અને તો પણ, હું તો સૌથી નીચલી પાયરીનો ચોકીદાર છું. અંદર પણ દરેક હૉલ પાસે ચોકીદારો ઊભા છે અને પહેલા કરતાં બીજો વધારે શક્તિશાળી છે. અને ત્રીજો તો એવો છે કે એની નજર પણ મારા પર પડે તો હું સહન ન કરી શકું.

કાયદા પાસે જવું આટલું અઘરું હશે તેની ગામડિયાને ખબર નથી. એને વિચાર આવે છે કે કાયદા પાસે તો સૌ કોઈ જઈ શકે એવું હોવું જોઈએ, પણ હવે એ ચોકીદાર તરફ ઝીણવટથી જૂએ છે. એનો ફરનો કોટ, અણિયાળું નાક અને  તાતારો જેવો માથા પર કાળો રૂમાલ બાધેલો જોઈને એને થાય છે કે અંદર જવાની પરવાનગી મળે ત્યાં સુધી રાહ જોવી એ જ સારું છે. ચોકીદ્દાર એને બેસવા માટે સ્ટૂલ આપે છે અને દરવાજાની આગળ એક બાજુએ બેસવાની છૂટ આપે છે. 

એ ત્યાં દિવસો અને વર્ષો સુધી બેઠો રહે છે. એ અંદર જવા માટે ઘણાય પ્રયત્નો કરે છે અને આજીજી કરી કરીને ચોકીદારને થકવી દે છે. વચ્ચે વચ્ચે ઘણી વાર ચોકીદાર પણ એને ટૂંકા સવાલ પૂછી લે છે – એનું ગામ કેવું છે વગેરે વગેરે. પણ એના સવાલો પૂછવા ખાતર પુછાયેલા હોય છે, કોઈ મોટો માણસ તુચ્છ માણસને પૂછતો હોય એવા સવાલો હોય છે. અને તે સાથે જ દર વખતે એ પણ કહી દે છે કે હજી એ એને અંદર જવા નહીં દઈ શકે. માણસ મુસાફરી માટે ઘણીબધી વસ્તુઓ લઈ આવ્યો છે. ચોકીદારને ચળાવવા માટે એ ધીમેધીમે પોતાની મોંઘામાં મોંઘી વસ્તુ સહિત બધું જ આપી દે છે. ચોકીદ્દાર બધું લેતો જાય છે પણ લેતી વખતે કહ્યા વગર રહેતો નથી કે,  આ બધું તો હું એટલા માટે લઉં છું કે તને એમ ન લાગે કે તું કંઈ ન કરી શક્યો.”

વર્ષોનાં વહાણાં વાઈ જાય છે. માણસ ચોકીદારને લગભગ સતત જોયા કરે છે. એ બીજા ચોકીદ્દારો પણ છે, એ વાત જ ભૂલી જાય છે અને એને લાગે છે કે કાયદા પાસે પહોંચવામાં આ એક જ આડખીલી છે. આવી કફોડી હાલતને એ શરૂઆતનાં વર્ષોમાં તો મોટેથી ભાંડે છે પણ પછી ઘરડો થતાં એ માત્ર બબડે છે. એ નાના બાળક જેવો બની ગયો છે. ચોકીદારને વર્ષોથી જોયા કરે છે એટલે એના ફરના કોટના કૉલર પર કીડા ફરતા જોયા છે. આ કીડાઓને પણ એ ચોકીદારને સમજાવવા કાકલૂદી કરે છે.

હવે તો એની નજર પણ નબળી પડી ગઈ છે અને એને સમજાતું નથી કે એની આસપાસનું બધું કાળુંકાળું છે કે એની આંખો એને દગો દે છે? પણ એ કાયદાના દરવાજાની અંદરથી વહી નીકળતા પ્રકાશના રેલા અને અંધારામાં પણ ઓળખી લે છે. હવે, એના જીવનના ઘણા દિવસ બચ્યા નથી. મરતાં પહેલાં એ એના આખા જીવનનો અનુભવ એક સવાલમાં એકઠો કરે છે. આ સવાલ એણે હજી સુધી ચોકીદારને પૂછ્યો નથી. એ ચોકીદારને હાથના ઈશારાથી પાસે બોલાવે છે, કારણ કે એ હવે પોતાનું અકડાઈ ગયેલું શરીર પણ ઊંચું કરી શકે તેમ નથી.

ચોકીદારે એની વાત સાંભળવા માટે નમવું પડે છે, કારણ કે એ બન્ને વચ્ચે જે જબ્બર અંતર હતું તેનાથી એ માણસને ઘણું નુકસાન થયું છે. “હજી તારે શું જાણવું છે?” ચોકીદાર કહે છે, ”તને તો સંતોષ જ નહીં થાય”. “દરેક જણ કાયદા પાસે જવા માગે છે” માણસ કહે છે, “તો આટલાં વર્ષોમાં મારા સિવાય બીજું કોઈ અંદર જવાની વિનંતિ કરતું કેમ ન આવ્યું?” ચોકીદાર કહે છે, “અહીંથી બીજું કોઈ અંદર ન જઈ શકે, કારણ કે આ દરવાજો તો માત્ર તારા માટે હતો. હવે હું એ બંધ કરી દઈશ.”

૦-૦-૦-૦

કાફકાની આ રૂપકકથા પહેલી વાર ૧૯૧૫માં પ્રકાશિત થઈ. તે પછી એની વિશ્વવિખ્યાત નવલકથા The Trialમાં પણ સ્થાન પામી. એનું અર્થઘટન અને આજે એની સાર્થકતાનો નિર્ણય વાચકો પર છોડું છું.

 

 

Spider: The Artist

clip_image001

મારી બારીમાંથી બહાર ડોકિયું કરતાં કનકભાઈ રાવળ તડકો શેકતા દેખાયા. મેં પૂછ્યું, “કેમ, કનકભા…ઈ, મઝામાં ? શું સમાચાર છે? એમણે ઊંચું જોયું. ચહેરો હસું હસું થતો હતો. પ્રસન્નતાનો ચેપ મને પણ લાગ્યો. એમણે કહ્યું, “કરતાં જાળ કરોળિયો વિ. કિંવા “દેશિંગાનો રાજકુમાર…” મને થયું, આટલા ખુશ દેખાતા હતા અને આ તો ઉખાણું પૂછી લીધું! મારા ચહેરા પર અટપટાશ જોઈને સમજી ગયા અને એમણે માંડીને વાત કરી….

“કરતાં જાળ કરોળિયો વિ.” કિંવા “ દેશિંગાનો રાજકુમાર” – એક વ્યંગાત્મક પણ નવદર્શિત અવલોકન” લેખક: ડો. કનક રાવળ

બે અઠવાડિયાંથી દિવસો ઊજળા અને હુંફાળા થયા છે.અહીં પોર્ટલેંડમાં સૂરજ ભગવાન દોહ્યલા. આ તો આસામના ચેરાપૂંજી જેવી જગા. બસ, વરસાદ…વરસાદ. એટલે જેવી તક મળી કે સૌ જીવજંતુમાં જીવ આવે અને બધા તડકો ખાવા બહાર નીકળી આવે .

clip_image002ખેર, ગયા સોમવારે સવારે ઘર બહાર નીકળ્યો અને પ્રાંગણમાં ટપાલ પેટી અને સરુના ઝાડ વચ્ચે કંઈક ચમક્યું.
પાસે જઈને જોયું તો રાતની ઝાકળનાં ટીપાંઓથી શણગારાયેલું એક કરોળિયાનું જાળું હતું. ઘરમાં ઘણાંય જાળાં પાડ્યાં છે, પણ આ તો ખાસ લાગ્યું.તેનો શિલ્પકાર માલિક પણ કેંદ્રમાં બગભગતની જેમ શિકારની ટાંપીને રાહ જોતો પેંતરામાં બેઠો હતો. ઠીક કરીને હું તો મારા કામે ચાલી નીકળ્યો.

તે આગલી વાત તો ભૂલી ગયો હતો પણ ફરી આ અઠવાડિયે યાદ આવ્યું એટલે કરોળિયા ભગતનો ઉદ્યમ જોવા કુતૂહુલ થયું. જઈને જોયું તો બસ, સવારનો નાસ્તો કરીને તે તો નવા શિકારની રાહમાં જાળના દુરના ભાગમાં છુપાઈને બેઠા હતા.

હવે મારાથી પણ સળેકડું કર્યા વિના રહેવાયું નહીં. એક ત્રણેક ઈંચ લાંબી પાતળી સૂકા ઘાસની સળી લઈને જાળના બીજે છેડે નાખી. હજુ તો મારો હાથ પાછો ખેંચું તે પહેલાં તો ભગત શિકારી ત્યાં હાજર. પળ માત્ર નજર નાખી ન નાખી,

હવાથી હાલતા તણખલાને જોઈને ખાવા લાયક છે કે કેમ તે વિચાર્યું અને પાસે જઈ અડકતાં જ તેની જડતા સમજતાં, તરત જ તણખલાને ઝકડી રાખેલા જાળના તાંતણાને કાપી તેને જમીન પર નાખી દીધું.

clip_image004ભગત શિકારીનું શસ્ત્રકૌશલ્યને જોઈને યાદ આવ્યું “He came, He saw, He conquered”

વાહ ઉસ્તાદ!

મેં બીજો અખતરો કર્યો. એક સૂકા પાનનો ડૂચો કરીને જાળ ઉપર નાખ્યો. અનુભવી શિકારીએ એક પળ ગુમાવ્યા
વગર જાળના તાંતણા કાપીને તેને નીચે નાખ્યો. મારા તરફ આંખ મારીને ટોણો માર્યો કે “તું મૂરખ, મને શું સમજે છે?” તેવો મને ભાસ થયો!

ફરી એક વાર હવે એક લીલા રસાળુ પાંદડાને નાખ્યું. તેના રંગ અને તાજી વાસને પતંગિયું માનીને ઉસ્તાદ આકર્ષાશે તેવો ફરેબ ધાર્યો. પણ આ વખતે તેણે છમાંથી ચાર પંજાએ શિકારને ઉચકીને જમીન પર નાખતાં તે પણ પાંચ ફીટ નીચે પડ્યા.”નો પ્રોબ્લેમ” બોલીને રોકેટફાળે પોતાના કિલ્લામાં પરત ! હવે તો કિલ્લામાં ઘણી ભાંગફોડ થઈ હતી એટલે તેના 

સમારકામમાં મચી પડ્યા અને તેના અટ્ટહાસ્યથી “તુચ્છ માનવી તું હાર્યો” એવો મને આભાસ થયો.

મેં પણ હાર કબૂલી પણ સૂર્ય દર્શનની ખુશાલીમાં મન પ્રસન્ન હતું એટલે વિચારમાળા આગળ ચાલી.
અરે જો તો,આ મહા કારીગરની હોંશિયારી? જમીનથી 7થી 8 ફીટની ઉંચાઈએ 5×5ના વિસ્તારમાં મોહક પણ કાતિલ માયાજાળ રચી હતી અને હળવી હવામાં ઊડતી નાની જીવાતનો કાળ બની હતી. બ્રાહ્મણને લાડવા તેમ તેની રસવંતીને લાગતું હશે.

કરોળિયાનું આખી રચના માટેનું કૌશલ્ય પુરાણોના માયાસુર સ્થપતિ સાથે સરખાવી શકાય. એક્લા હાથે જાળની કરામત રચવાના નિર્ણયથી માંડીને તે મૂર્ત કરવા પાછળ કેટલી વિવિધ વિદ્યાઓ અને નિર્ણયો છુપાયાં હતાં? મારું મન તેનું લિસ્ટ બનાવવા માંડ્યું.

1. જાળ માટેની યોગ્ય સ્થળ શોધ.
2. બાંધકામ માટે અનુકુળ ઋતુ અને દિવસની શોધ.
3. બાંધકામ માટે જરૂરી પદ્દાર્થો (પોતાના શરીરના જ) અને તેને કેમ વાપરવા.
.4. રસાયણ,ભૌતિક,ઈજનેરી,સ્થાપત્ય ,કલાકારી,કારભાર,સમાર કામ વિગેરેનું વિદ્યાજ્ઞાનતો પ્રભુપ્રાપ્ત કોઠાજ્ઞાનજ મનાય? કઈ યુનિવર્સિટીમાં કરોળિયા ભણતા જોયા? દેશી ભાષામાં, “ભણેલા નહી પણ ગણેલાં”

વિચારો આગળ ચાલ્યા.આ તો ઉપરવાળાની જ રંગલીલાને?  લખચોરાસીને જન્મજાત વારસા આપીને રાખના રમકડાં તેણે ઘડ્યાં. શાસ્ત્રોએ તે મહાચૈતન્યને ઋતંભરા પ્રજ્ઞા કહી. મહર્ષિ મહેશ યોગીએ તેનો અંગ્રેજી પર્યાય આપ્યો, “Creative Intelligence”.

મારા મનમાં નિસર્ગ માટેના માન, પ્રેમ, વિશ્વાસ,અહોભાવ અને અનુગ્રહની ભાવના પુષ્ટ બની.

તાજા કલમ:

દેશિંગાનો રાજકુમાર
તે કરોળિયાને મેં એક માનનીય નામ આપ્યું “દેશિંગાનો રાજકુમાર”. એક વાર આતાએ યાદ આપ્યું હતું.”પંદરસોની વસ્તીવાળા અમારા નાનકડા દેશિંગા ગામના માણસો તમારી કોલેજુંમાં ભણેલા નહી પણ ગણેલાંતો જરુર. અમે તો કોણી મારીને કુલડું કરવાવાળા.”

આ લખીને આજે ફરી જાળું જોવા ગયો તો ખાલીખમ ખંડેર. બધું રેઢું મુકીને દેશિંગા બાપુ ગામને ચોરે કસુંબો કાઢવા રવાના થઈ ગયા હતા- કદાચ મારો આ આત્માલાપ કે પ્રલાપ સાંભળીને ?

Three Rationalists killed in two years

બે વર્ષમાં ત્રણ નામાંકિત રૅશનાલિસ્ટોની હત્યા

આપણો દેશ ધીમે ધીમે IS, અલ-કાયદા કે તાલિબાનની હિંસક ધર્માંધતાની ટીકા કરવાનો અધિકાર ગુમાવતો જાય છે. છેલ્લાં વે વર્ષ અને દસ દિવસમાં ત્રણ રૅશનાલિસ્ટોને મોતના મુખમાં ધકેલી દેવાયા છે. એમની મૃત્યુની તારીખો અને સમયાંતર જોતાં એવું જ લાગે કે જાણે દર વર્ષે બે જણની એક નિશ્ચિત સમયગાળે હત્યા કરવાની યોજના તૈયાર હોય.

અનુક્રમે ડાબેથી ઃ નરેન્દ્ર દાભોળકર ; ગોવિંદ પાનસરે; પ્રો. એમ.એમ. કલબુર્ગી
મારી બારી (૪૯)માં બાંગ્લાદેશના પાંચ રૅશનાલિસ્ટ બ્લૉગરોની હત્યા વિશે લખ્યું જ હતું. નીલૉય નીલની હત્યા સાતમી ઑગસ્ટે થઈ તે સાથે મૃત્યુના માર્ગના એમના પુરોગામી બીજા ચાર શહીદ બ્લૉગરોને પણ અંજલિ આપવાની તક લીધી. ત્યાં તો ગઈકાલે આપણા જ દેશમાં, છેલ્લાં બે વર્ષમાં ત્રીજા રૅશનાલિસ્ટ પ્રો. એમ. એમ. કલબુર્ગીની હત્યાના સમાચાર આવ્યા. આ પહેલાં નરેન્દ્ર દાભોળકર અને ગોવિંદ પાનસરે તો અંધશ્રદ્ધાને ધર્મ માનનારાઓની ગોળીઓનો શિકાર બની ચૂક્યા છે. આ હત્યાઓ પાછળ કયાં ધર્મવાદી કટ્ટર તત્ત્વો છે તે જાણવું કે સમજવું અઘરું નથી. મેંગલોર પોલીસે એક ફરિયાદ પરથી બજરંગ દળના મેંગલોરના કો-કન્વીનર ભૂવિત શેટ્ટીની ધરપકડ કરી છે. એના એક ટ્વીટ પરથી ફરિયાદ કરવામાં આવી હતી. ટ્વીટમાં એણે યૂ. આર. અનંતમૂર્તિ અને એમ. એમ. કલબુર્ગીનો ઉલ્લેખ કર્યો છે એટલું જ નહીં, બીજા એક રૅશનાલિસ્ટ કે. એસ. ભગવાન ત્રીજું લક્ષ્ય હોવાની ચેતવણી પણ આપી છે.

image

આમ છતાં, અહીં હું કોઈ સમુદાયનું કે એનાં કટ્ટર તત્ત્વો તરફ આંગળી ચીંધવાનું સમજીવિચારીને ટાળું છું કારણ કે દાભોળકરની હત્યાની તપાસ માટે હજી તો હાલમાં જ મહારાષ્ટ્ર સરકારે જરૂરી સંખ્યામાં અધિકારીઓ ફાજલ પાડ્યા છે અને પાનસરેની હત્યાની તપાસ હજી શરૂ પણ નથી થઈ. પ્રો. કલબુર્ગીની હત્યા પાછળ પણ આ જ તત્ત્વો છે એમાં પણ શંકા નથી.

તેમ છતાં, બે સત્યો એવાં છે કે જેનો ઇન્કાર ન થઈ શકે. એક સત્ય એ કે આ દેશનો મુખ્ય ધર્મ હિન્દુ ધર્મ છે. બીજું સત્ય એ કે, રૅશનાલિસ્ટો ધર્મને પણ વિવેકબુદ્ધિની કસોટીએ ચડાવે છે. આમાંથી એવો નિષ્કર્ષ કાઢી લેવાય છે કે રૅશનાલિસ્ટો હિન્દુ ધર્મની વિરુદ્ધ છે. રૅશનાલિઝમ સૈદ્ધાંતિક રીતે ધર્મની કે ભગવાનની વિરુદ્ધ જ હોય એવું નથી, પરંતુ એવી છાપ અવશ્ય છે.

રૅશનાલિસ્ટો માત્ર અંધશ્રદ્ધાની વિરુદ્ધ હોય છે અને અંધશ્રદ્ધા પોતે જ ધર્મ બની જાય ત્યારે એ ધર્મનો વિરોધ કરવો એ સૌ સમજદાર ધાર્મિક વ્યક્તિની ફરજ છે. એમનો આગ્રહ દરેક વિચારને તર્કની કસોટીએ ચડાવવાનો હોય છે. જે વાત તર્કમાં ન બેસે તેને આપણે રદ કરવી જ જોઈએ. એમાં ધાર્મિક આસ્થાનો સવાલ જ ન આવવો જોઈએ. શ્રદ્ધાને તર્કનો આધાર જરૂરી છે. તર્કનો ઇન્કાર કરશું અને માત્ર શ્રદ્ધાને ભરોસે ચાલશું તો આપણે કોઈ પણ ગૂંડો-બદમાશ ભગવાં વસ્ત્રો પહેરીને, ગળામાં ઢગલાબંધ રુદ્રાક્ષની માળાઓ નાખીને આવશે અને ધર્મનું નામ લેશે તો એને માની લેવા તત્પર રહેશું અને વિનાશના માર્ગે ધસી જઈશું. આટલું ન સમજનાર સમાજ ધાર્મિક તો ન જ હોય.

ધર્મનાં બે પાસાં હોય છે. એક તો, મૂળભૂત માનવીય મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે. આ મૂલ્યો આપણી સર્વાઇવલની જરૂરિયાતમાંથી નીપજ્યાં છે. માનવીય સમાજમાં સહકાર, શાંતિ, પરસ્પર સદ્‍વર્તન આ માનવીય મૂલ્યો ધર્મના પહેલા અને મૂળભૂત પાસામાં આવે છે. તમે ભગવાનમાં માનતા હો કે નહીં, તમારો પવિત્ર ગ્રંથ ગીતા હોય કે કુરાન, એને ધર્મના આ માનવીય મૂલ્યોના પાસા સાથે કશી લેવાદેવા નથી. એ સૌને સમાન રીતે લાગુ પડે છે. આ પાસાનું અનુસરણ તો રૅશનાલિસ્ટો પણ કરતા જ હોય છે. આ સંદર્ભમાં ધર્મ શાશ્વત છે.

બીજું પાસું એટલે આપણા ક્રિયાકાંડો, રીતરિવાજો, ઉપાસનાની રીત, આપણી ધાર્મિક કથાઓ, દંતકથાઓ. અને ધર્મગ્રંથો. આ બીજા પાસાના સંદર્ભમાં ધર્મ શાશ્વત નથી અને કોઈ પણ યુગમાં આ પાસું શાશ્વત નથી મનાયું. મક્કામાં મહંમદ પયગંબર પહેલાં કોઈ ધર્મ જ નહોતો એવું નથી. આજે ઇસ્લામ છે તો શિયા અને સુન્ની પણ છે. અને જીસસથી પહેલાં શું ઇઝરાએલમાં કોઈ ધર્મ નહોતો? આજે પણ ખ્રિસ્તી ધર્મની સાથે જ યહૂદી ધર્મ પણ બરાબર જીવંત છે. નવા ધર્મો, અથવા નવા સમયને અનુરૂપ ધર્મો મૂળ ધર્મોની અંધશ્રદ્ધાઓ, અન્યાય અને અજ્ઞાનભરી પરંપરાઓને કારણે સમાજ સ્થગિત થઈ ગયો ત્યારે સર્જાયા. આવા વિરોધની સર્વવ્યાપી ભાવનાઓને વાચા આપવા જીસસ અને મહંમદ સર્જાયા – ‘અભ્યુત્થાનં અધર્મસ્ય, વિનાશાય ચ દુષ્કૃતામ્‍’ (અધર્મના નાશ માટે અને અપકૃત્યો કરનારના વિનાશ માટે) . ધર્મનું બીજું પાસું શાશ્વત હોત તો ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ આજે અસ્તિત્વમાં જ ન હોત.

આપણા જ દેશમાં વેદો પછી ઉપનિષદો અને ગીતા, વેદો અને ચાર્વાકવાદીઓ, બુદ્ધ અને મહાવીર પેદા ન થયા હોત. વેદાંતી વિવેકાનંદ અને વેદના ઉપાસક દયાનંદ સરસ્વતી, દ્વૈતવાદ, અદ્વૈતવાદ, જડવાદ આપણા જ દેશનાં જ અમૂલ્ય રત્નો છે ને? આ પાસું શાશ્વત હોત આટલાં પરિવર્તનો જોવા ન મળ્યાં હોત. આ પાસું શાશ્વત હોય તો ધર્મ મૃતઃપ્રાય અવસ્થામાં પહોંચી જાય છે. જે લોકો ધર્મના આ પાસાને શાશ્વત માને છે તે લોકો ધાર્મિક નથી. એમનો ઉદ્દેશ બીજો કંઈ પણ હોય ધર્મ સાથે એને કશી લેવાદેવા જ નથી.

દાભોળકર, પાનસરે અને કલબુર્ગીના હત્યારાઓ નર્યા પાખંડી અધાર્મિકો છે. આ સંદર્ભમાં એક વાત બહુ જરૂરી છે. આ દેશનો મુખ્ય ધર્મ હિન્દુ ધર્મ હોવાથી આ ત્રણેય શહીદ રૅશનાલિસ્ટોએ હિન્દુ સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધાઓ અને અન્યાયી વ્યવસ્થાની ટીકા કરી. આ જોતાં એમના હત્યારાઓ હિન્દુ ધર્મના ઉદ્ધારક અને રક્ષક હોવાનો દાવો કરતા હશે તો તે પોલીસ તપાસમાં બહાર આવશે. આ દરમિયાન હિન્દુ સમાજે એ વિચારવાની જરૂર છે કે એમણે પોતાના ધર્મની વ્યાખ્યા કરવાનો અધિકાર અર્ધશિક્ષિત, લોહી તરસ્યા, ખૂનીઓને સોંપી દીધો છે? હિન્દુ ધર્મ એટલે શું તે જો જાગૃત હિન્દુઓ ખુલ્લંખુલ્લા બોલશે નહીં તો એક દિવસ એવો આવશે કે મારા-તમારા જેવા સામાન્ય માણસો પણ આ હત્યારાઓએ બનાવેલી ધર્મની વ્યાખ્યાથી થોડાક પણ આગળપાછળ થશું તો આપણને ગોળીએ દઈ દેતાં અચકાશે નહીં.

પેસ્ટર માર્ટિન નિયેમોલરની કવિતા રજૂ કરું છું. એ બધી પરિસ્થિતિમાં, ખાસ કરીને હિંસાખોરી થતી હોય ત્યારે, યાદ રાખવાની જરૂર છે.

First they came for the Socialists,
and I did not speak out –
Because I was not a Socialist.

Then they came for the Trade Unionists,
and I did not speak out –
Because I was not a Trade Unionist.

Then they came for the Jews,
and I did not speak out –
Because I was not a Jew.

Then they came for me –
and there was no one left to speak for me.

++++++++

કહોઃ ત્રણેય વિદ્વાનોના હત્યારાઓને જલદી ન્યાયના સિંહાસન સમક્ષ હાજર કરો.

કહોઃ વિવાદની છૂટ, હિંસાની નહીં.


દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રઃ

Death Sentence

ફાંસીની સજા

 

 

આ લેખ મારે ૨૬મી તારીખે જ પ્રકાશિત કરવો હતો. કારણ કે બીજા દિવસે, ૨૭મી તારીખે, સુપ્રીમ કોર્ટ યાકૂબ મેમણની અરજી પર વિચાર કરવાની હતી.   યાકૂબને ફાંસી આપવી કે નહીં એ નિર્ણયની અસર આ લેખ પર ન પડે એમ હું ઇચ્છતો હતો. યાકૂબની સજા વિશે છાપાંઓ અને સોશ્યલ મીડિયામાં ઘણી ચર્ચા થઈ છે. આમાં ઉમેરો કરવાની પણ મારી ઇચ્છા નથી. સુપ્રીમ કોર્ટનો નિર્ણય જાણ્યા પહેલાં લખવાનું કારણ પણ એ જ કે હું કોઈ એક વ્યક્તિને અપાયેલા મૃત્યુદંડ વિશે નહીં પણ ખુદ મૃત્યુદંડ વિશે જ લખવા માગું છું. ગઈ કાલે (૩૦મી તારીખે) આ લેખની શરૂઆત સુધારું છું ત્યારે યાકુબ મેમણને ફાંસી અપાઈ ગઈ છે એટલે આ લેખ એક વ્યક્તિના મોતના ઓછાયાથી દ્દૂર રહે છે.

આમ તો મૃત્યુદંડ કાનૂનનાં પુસ્તકોમાં હોવો જોઈએ કે કેમ તે વિશે હું પોતે કોઈ પાકો વિચાર હજી સુધી બનાવી શક્યો નથી. અમુક સજાઓ વખતે મને લાગ્યું છે કે એમાં કંઇ ખોટું નથી, તો ક્યારેક એમ થયું છે કે મૃત્યુદંડ જરૂરી નહોતો. આમ હું પોતે જ કોઈ વિચાર પર પહોંચી શક્યો નથી એટલે ખરેખર તો મૃત્યુદંડની તરફેણમાં કે વિરોધમાં કંઈ લખી શકું એમ નથી. આથી, ખરેખર તો હું મારા વિચારોને એક ચોક્કસ દિશા આપવામાં વાચકોની મદદ જ માગું છું. બીજી વાત એ કે સજા થયા પછી એના અમલમાં વર્ષો નીકળી જતાં હોય છે અને ક્યારેક બહુ જલદી ફાંસી આપી દેવાય છે. આવું શા માટે બને છે તે પણ ચર્ચાનો વિષય છે. મૃત્યુદંડની ચર્ચા કરતાં પહેલાં કાનૂની સ્થિતિ જાણવી જરૂરી છે.

ઇંડિયન પીનલ કોડ-૧૮૬૦ની કલમ ૩૦૨ હેઠળ ખૂન કેસમાં મૃત્યુ દંડ આપી શકાય છે. આઈ. પી. સી.માં ક્યારે મોતની સજા આપી શકાય તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. જેમ કે, સશસ્ત્ર લૂંટ દરમિયાન હત્યા થાય તો લૂંટ કરનારા જૂથના બધા સભ્યોને મોતની સજા મળી શકે. અથવા તો સંગઠિત અપરાધમાં કોઈનો જીવ જાય તો પણ ફાંસી આપી શકાય. અનુસૂચિત જાતિ/જનજાતિના અપરાધીને કોઈની ખોટી જુબાનીને કારણે મૃત્યુદંડ અપાયો હોય અને એનો અમલ પણ થઈ ગયો હોય તો ખોટી જુબાની આપનાર પણ મોતની સજાને પાત્ર ગણાય છે. ૧૮ વર્ષથી નીચેની ઉંમરની અથવા માનસિક રીતે અસ્થિર વ્યક્તિને આપઘાત માટે  પ્રોત્સાહન આપનાર કે મદદ કરનાર પણ મૃત્યુદંડને પાત્ર છે. ત્રાસવાદ ફેલાવવા માટે વિસ્ફોટક પદાર્થોનો ઉપયોગ કરીને લોકોના જાન જાય એવી શક્યતા ઊભી કરવાનો ગુનો પણ ફાંસીને લાયક ગુનો છે. એ જ રીતે બળાત્કારના કેસમાં બળાત્કાર સાબિત થાય અને તેની સાથે હત્યા પણ થઈ હોય તો અપરાધીને મોતની સજા આપી શકાય છે. માદક પદાર્થોની હેરફેર કે ઉપયોગ દરમિયાન મૃત્યુ થાય કે ન થાય માદક પદાર્થોની હેરફેર પોતે જ મૃત્યુદંડને પાત્ર ઠરે છે.

પરંતુ ‘બચ્ચન સિંહ વિ. પંજાબ રાજ્ય’ કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે મૃત્યુદંડ માત્ર ‘rarest of the rare’ ( જૂજ કિસ્સાઓમાં પણ જૂજ ગણાય તેવા) કેસમાં અપવાદ રૂપ સજા તરીકે અપાયો હોય તો જ એ બંધારણીય ગણાય. એટલે આવા કોઈ પણ કેસ rarest of the rare છે કે નહીં તે જોઈને જ મોતની સજા કરી શકાય છે. આના પછી દરેક અપરાધમાં જૂથના દ્દરેક સભ્યની વ્યક્તિગત ભૂમિકા પણ જોવાઅય છે. આમ ફાંસીની સજાની જોગવાઈ હોવા છતાં બધાને ફાંસી જ મળે એવું પણ નથી.

હવે મારી દ્વિધા રજૂ કરું.

મોતની સજા સમાજને કઈ રીતે મદદ કરે છે તે નક્કી કરવાનો કોઈ રસ્તો નથી. ડિસેમ્બર ૨૦૧૨માં દિલ્હીમાં નિર્ભયા બળાત્કાર કાંડ થયો. વાંચીને ધ્રૂજી જવાય એવું એ કૃત્ય હતું. આખા દેશમાં હાહાકાર મચી ગયો હતો. છ અપરાધીઓમાંથી એક તો સગીર વયનો હતો એટલે એને તો ફાંસી ન અપાય. એક જણે જેલમાં આત્મહત્યા કરી લીધી. બાકી ચાર આરોપીઓને ફાંસીની સજા કરાઈ, જે સુપ્રીમ કોર્ટે રોકી દીધી. અપરાધી માનસવાળા બળાત્કારીઓ આ સજાથી ડરી ગયા? એવું નથી બન્યું. ૨૦૧૫ના પહેલા બે મહિનામાં દિલ્હી પોલીસે બળાત્કારના ૩૦૦ કેસો નોંધ્યા છે! એનો અર્થ એ કે જ્યાં નિર્ભયા કાંડ થયો ત્યાં જ દરરોજ બળાત્કારના પાંચ કેસો બને છે. મોતની સજાનો ડર કોને છે? મૃત્યુદંડના ડરથી લોકો ગુના ઓછા કરશે એવું તો બન્યું નથી. તો મોતની સજા આપવાનો અર્થ પણ નથી રહેતો.

બીજું, આજે મીડિયાનો જે પ્રભાવ છે તેને કારણે ફાંસીના કેસોનો પ્રચાર એટલો થાય છે કે અપરાધીએ શું ખાધું, શું બોલ્યો, દુઃખી છે કે નહીં, ગીતા કે કુરાન વાંચે છે કે નહીં, એનાં કુટુંબીઓ શું કહે છે વગેરે બધી વાતો સતત જાહેરમાં ચર્ચાતી રહે છે. આને કારણે અપરાધી લોકોનો ‘પ્રિયજન’ બનવા લાગે છે અને એક પ્રકારની સહાનુભૂતિ પેદા થાય છે. આજીવન એટલે કે ખરેખર મૃત્યુ થાય ત્યાં સુધીની કેદ મળે તો પણ આવો રસ પેદા થતો નથી. આજે યાકૂબ મેમણના કેસમાં રસ પેદા થયો પણ એ એકવીસ વર્ષથી જેલમાં જ હતો.  આપણામાંથી કેટલા છેલ્લાં ૨૧ વર્ષથી આ કેસનું પગેરું લેતા હતા? આજે આપણે એ પણ જાણીએ છીએ કે એની પત્નીને કરાંચીમાં માછીમારણો દેખાતી નહોતી તેની બહુ ખોટ લાગતી હતી. પણ એનું આ કથન આજનું નથી, ૨૧ વર્ષ પહેલાંનું છે!

એક દલીલ એવી પણ છે કે મૃત્યુની સજા થાય તેમાં મોટે ભાગે તો ગરીબો ફસાતા હોય છે. કારણ કે એમની પાસે બહુ સારા વકીલ રોકવા જેટલા પૈસા નથી હોતા. નાની કોર્ટોમાં તો વકીલના નામનો પણ પ્રભાવ પાડતો હોય છે. તે ઉપરાંત બીજું પણ ઘણું થતું હોય છે એટલે પૈસાવાળા તો એ પ્રભાવનો જ ઉપયોગ કરવાના પૈસા ખર્ચે છે.  કોઈ પણ કેસ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જાય ત્યારે કેસને સમજવામાં કોઈ ટેકનિક્લ ખામી તો રહી નથી ગઈ ને, એ જ મુખ્યત્વે જોવાય છે. જે મુદાઓ પર દલીલો થઈ ગઈ હોય તેને ફરી ઊખેળાય નહીં. એટલે અપીલ વખતે વકીલો એ સાબિત કરવા પ્રયત્ન કરે છે કે નીચલી કોર્ટે કોઈ મુદા પર ધ્યાન જ ન આપ્યું.

ઘણી વાર રાજકીય કારણો પણ હોય છે. ઘણા અપરાધીઓને રાજકીય દબાણ નીચે છોડી દેવાય છે અથવા લટકાવી દેવાય છે. દરેક સરકાર આવા પ્રખ્યાત કેસોનો ઉપયોગ પોતાના રાજકીય દૄષ્ટિકોણ પ્રમાણે કરે છે.

બીજી બાજુ મને એમ પણ થતું હોય છે કે જેમને બીજાની જિંદગીની કિંમત નથી એમને પોતાને શા માટે મૃત્યુદંડથી બચાવવા? રસ્તે ચાલતાં જે કોઈ છોકરીને બળજબરીથી ઉપાડી જાય, રેપ કરે અને મારી નાખે એ વળી પોતાની જિંદગી બચાવવા માટે દયાની અરજી કરે! અથવા તો બોમ્બ ફેંકીને અસંખ્ય લોકોના જાન લઈ લે એણે તો મરવા તૈયાર રહેવું જોઈએ. કોમી રમખાણો વખતે કોઈને મોતને ઘાટે ઉતારનાર શા માટે નિર્ભય થઈને ફરે? બીજી બાજુ અજમલ કસાબ તો મરવા જ આવ્યો હતો. જીવતેજીવત પક્ડાયો એ તો માત્ર સંયોગો હતા. વળી એણે દેશની સાર્વભૌમ સત્તાને પડકારવા માટે ‘લડાઈ’ કરી હતી. લડાઈમાં મરવાનું તો હોય જ. મારા મનમાં હંમેશાં એ સવાલ રહ્યો છે કે એને આખી જિંદગી જીવતો રાખવો એ મોટી સજા ગણાય કે ફાંસી?

સમાજ વિરુદ્ધ દુષ્કૃત્યો કરનારાને સમાજનો ભાગ શા માટે ગણવા જોઈએ? એવા થોડા લોકો સમાજને શું આપવાના? એમનું અસ્તિત્વ ન ટકે તો સમાજને શું નુકસાન થવાનું?

વળી અંદરથી બીજો ‘હું’ બોલે છેઃ ગાંધીજીએ ભગતસિંહને બચાવવા માટે મંત્રણાઓ કરી તે વખતે પોતાનું સૈદ્ધાંતિક વલણ પણ જાહેર કર્યું કે હું તો અહિંસામાં માનું છું એટલે કોઈનો કાયદાના નામે પણ જાન લેવાય તે મને મંજૂર ન જ હોય.

આજે રાષ્ટ્રસંઘના ૧૯૫ સભ્યોમાંથી ૧૦૩ દેશોએ, એટલે કે ૫૩ ટકાએ કોઈ પણ અપરાધ માટે મૃત્યુદંડની સજા નાબૂદ કરી છે. ૫૦ દેશો, એટલે કે ૨૬ ટકાએ પોતાના કાનૂનમાં મોતની સજા રાખી છે પણ છેલ્લાં દસ વર્ષમાં એનો ઉપયોગ નથી કર્યો. ૬ દેશો (૩ટકા) અપવાદ રૂપ કેસોમાં ફાંસીની સજા આપે છે અને ૩૬ દેશોમાં એટલે કે રાષ્ટ્રસંઘના સભ્યોના ૧૮ ટકા દેશો હજી પણ મોતની સજા આપે છે, જેમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચીન, રશિયા, ઇરાન અને અખાતના આરબ દેશો છે.

આપણા દેશમાં મૃત્યુદંડ વિશે ચર્ચાઓ થાય છે તે કોઈને ફાંસી અપાવાની હોય ત્યારે જ. તે સિવાય ફાંસી વિરોધીઓ સૂતા રહે છે, અને ફાંસી સમર્થકો પણ જ્યારે ફાંસીની વિરુદ્ધ કોઈ બોલે ત્યારે એવા જોશમાં આવી જતા હોય છે કે  જાણે ફાંસી જ સમાજને પતનના માર્ગેથી બચાવી શકવાની હોય. હવે તો ફાંસી ન આપવી એમ કહેવું એ દેશદ્રોહ હોય એવું વાતાવરણ ઊભું થયું છે. આપણે બધા આખી ન્યાયપ્રક્રિયા ચાલતી હોય ત્યાં સુધી સ્વાદ લઈને ચર્ચાઓ કરતા હોઈએ છીએ – અપરાધી કોર્ટમાં કેમ આવ્યો, કોની સામે જોયું, રડવા લાગ્યો કે હસતો હતો. આખી પ્રક્રિયાને અંતે કોર્ટ ચુકાદો આપે છે કે કોઈને ફાંસી આપવી કે નહીં. કેટલાયે આરોપીઓ હોય, તેમાંથી અમુકને ફાંસી અપાય, અમુકને ન અપાય. આ જજની દેશભક્તિ શી રીતે નક્કી કરશું? ફાંસીની સજા કાયદાની પોથીઓમાં ચાલુ રાખવી કે નહીં એનો શાંત ચિત્તે વિચાર કરવા માટે યોગ્ય વાતાવરણ જરૂરી છે. આવી કોઈ વ્યક્તિગત સજાની ગરમાગરમ ચર્ચા ચાલુ હોય ત્યારે આવી સૈદ્ધાંતિક ચર્ચા ન થઈ શકે, માત્ર સંબંધિત કેસમાં શું થયું અથવા ન થયું – અથવા શું થવું જોઈએ કે ન થવું જોઈએ તેની જ ચર્ચા થઈ શકે. સૈદ્ધાંતિક ચર્ચા માટે આ ઘટનાઓના બોધપાઠ જરૂર કામ આવી શકે. ન્યાયપ્રક્રિયા આ જ રીતે મજબૂત બનતી હોય છે. તે સિવાય તો માત્ર  પૂર્વગ્રહો અને ભાવનાઓને આધારે આપણે એક અથવા બીજા પક્ષ માટે બોલતા રહેશું પણ નિર્ણય પર નહીં પહોંચીએ.

ફાંસી વિશે મારા વિચારો ક્યારેક બૌદ્ધિક, ક્યારેક ભાવનાત્મક, ક્યારેક વ્યૂહાત્મક. ક્યારેક ઉપયોગિતાવાદી(Utilitarian) હોય છે.

આ જ ખરી દ્વિધા છે.

૦-૦-૦

60th Anniversary of Russell-Einstein Manifesto

વિશ્વશાંતિની પહેલને ૬૦ વર્ષઃ રસેલ-આઇન્સ્ટાઇન મેનીફેસ્ટો

Einstein-Russel-Manifesto

આજે નવમી જુલાઇએ રસેલ-આઇન્સ્ટાઇન મેનીફેસ્ટોની ૬૦મી વર્ષગાંઠ છે. ૧૯૫૫ના જુલાઈની નવમી તારીખે આઇન્સ્ટાઇન સહિત દુનિયાના દસ મહાન વૈજ્ઞાનિકો અને ફિલોસોફર બર્ટ્રાંડ રસેલે દુનિયાને યુદ્ધ સામે ચેતવણી આપતું જાહેરનામું બહાર પાડ્યું: “કાં તો યુદ્ધ કાં તો સર્વનાશ, વિશ્વશાંતિ અથવા સર્વવ્યાપક મૃત્યુ!”  આ જાહેરનામું રસેલ-આઇન્સ્ટાઇન મેનીફેસ્ટો તરીકે ઓળખાય છે. એના પર રસેલ અને આઇન્સ્ટાઇન ઉપરાંત મૅક્સ બ્રોન, પર્સી બ્રિજમૅન, લિઓપોલ્ડ ઇન્ફેલ્ડ, ફ્રેડરિક જૉલિઓ ક્યૂરી, હર્મન મ્યૂલર, સેસિલ પૉવેલ અને જોસેફ રૉટબ્લાટ જેવા ભૌતિક શાસ્ત્ર અને રસાયણશાસ્ત્રના વૈજ્ઞાનિકોએ સહીઓ કરી. એમાં ઇન્ફેલ્ડ સિવાયના બધા જ નોબેલ પારિતોષિકથી સન્માનિત વૈજ્ઞાનિકો હતા.દુનિયામાં બે યુદ્ધ છાવણીઓ બની ગઈ હતીઃ એકનું નેતૃત્વ અમેરિકા કરતું હતું અને એની સામે હતું સોવિયેત સંઘનું સામ્યવાદી શાસન. પરંતુ બીજા વિશ્વયુદ્ધના જખમો હજી તાજા હતા એટલે ત્રીજા વિશ્વયુદ્ધ માટે કોઈની માનસિક તૈયારી નહોતી, પણ યુદ્ધની તૈયારીઓ જોરશોરથી ચાલતી હતી. એ શીતયુદ્ધનો જમાનો હતો. સોવિયેત સંઘ અને અમેરિકા પરમાણુ શસ્ત્રોનો ખડકલો કરતાં જતાં હતાં. બન્ને પક્ષો પોતાના બચાવ માટે, અને સામા પક્ષને હુમલો કરવાની હિંમત ન થાય એટલાં શસ્ત્રો એકત્ર કરવા માગતા હતા પણ એમણે જે શસ્ત્ર ભંડાર એકઠો કર્યો હતો તેનાથી દુનિયાનો એકસો વાર નાશ થઈ જાય તો પણ શસ્ત્રો ખૂટે નહીં એ સ્થિતિ હતી. સામુદાયિક સંહારનાં શસ્ત્રોનો ગંજ જોઈને દુનિયાના એક મહાન ચિંતક બર્ટ્રાન્ડ રસેલ બહુ ચિંતિત હતા અને એમણે નક્કી કર્યું કે જો વૈજ્ઞાનિકો આગળ આવીને બોલે તો જ પરમાણુયુદ્ધના સર્વભક્ષી ખતરાને ટાળી શકાય.

આ વિચાર સાથે એમણે મહાન ભૌતિકવિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇનને પત્ર લખ્યો. પરંતુ આઇન્સ્ટાઇન એ વખતે એમના જીવનના અંતિમ દિવસોમાં હતા. એમની આ સ્થિતિમાં રસેલે એમને ૧૧મી ફેબ્રુઆરી ૧૯૫૫ના પત્ર લખ્યો. એમણે લખ્યું કે હાઇડ્રોજન બોમ્બનો ઉપયોગ ન કરવાની સમજૂતી કરાવવાનો અર્થ નથી કારણ કે યુદ્ધ શરૂ થઈ જાય તે પછી આવી સમજૂતીને કોઈ માને નહીં. વળી પરમાણુ શક્તિના શાંતિમય ઉપયોગની વાત પણ યુદ્ધની સ્થિતિમાં નકામી નીવડશે. શીતયુદ્ધમાં સામેલ બન્ને કૅમ્પો સિવાય  તટસ્થ દેશો છે તેમને ભવિષ્યનું યુદ્ધ રોકવા અપીલ કરવી જોઈએ.

આઇન્સ્ટાઇને માત્ર પાંચ જ દિવસમાં ૧૬મી ફેબ્રુઆરીએ પત્રનો જવાબ આપ્યો અને પોતાની તબીયતને કારને લાચારી દેખાડી પણ અમુક નામો સૂચવ્યાં.

૨૫મી ફેબ્રુઆરીએ રસેલે જવાબ આપ્યો તે દુનિયામાં શાંતિ પ્રયાસો માટે ભારતની ભૂમિકાનું મહત્ત્વ દર્શાવે છે. રસેલ આઇન્સ્ટાઇનનો આભાર માનતાં લખે છે કે હું નહેરુના સંપર્કમાં છું અને એમને મેં સામસામી વાતમાં એક સૂચન કર્યું છે, જે સાથેના મુસદ્દામાં વધારે સ્પષ્ટ કર્યું છે. મુસદ્દા પર (બ્રિટિશ) પાર્લામેન્ટના કેટલાયે સભ્યો સહી કરશે તે પછી શ્રીમતી (વિજયાલક્ષ્મી) પંડિતને અપાશે. નહેરુએ પોતે સૂચનોની તરફેણમાં હોવાનું કહ્યું છે. અત્યારની ઘડીએ નિવેદન અંગત સ્વરૂપનું રહે છે અને ભારત સરકાર શું કરે છે તે બાબતમાં કંઈ કહેવું જોઈએ, પરંતુ મને લાગે છે કે એનું પરિણામ આવે તે આપણને પસંદ આવે તેવું હશે એમ માનવાને ઘણાં કારણ છે.” (કૌંસમાં મૂકેલા શબ્દો સ્પષ્ટતા માટે મૂળ પાઠના અનુવાદમાં ઉમેરેલા છે).

આઇન્સ્ટાઇને પરમાણુની આંતરિક સંરચના સમજાવનારા પહેલા વૈજ્ઞાનિક નીલ્સ બોહ્‍રનું નામ સૂચવ્યું. રસેલે આઇન્સ્ટાઇનને જ પત્ર લખવાની જવાબદારી સોંપી. આઇન્સ્ટાઇનને નીલ્સ બોહ્‍રને પત્ર લખ્યો તેની શરૂઆત જ ટીખળથી કરી. આમાંથી આઇન્સ્ટાઇન કેવા હળવા મિજાજના હતા તે દેખાય છે. માર્ચની બીજી તારીખે એમણે લખ્યું, પ્રિય નીલ્સ બોહ્, આમ ભૃકુટિ તાણો! પત્ર આપણા જૂના ફિઝિક્સના વિવાદ વિશે નથી, પણ એક એવી બાબત વિશે છે જેમાં આપણે બન્ને પૂરા સંમત છીએ.

અંતે રસેલે અંતિમ મુસદ્દો તૈયાર કર્યો તેનો ૧૧મી એપ્રિલે જવાબ આપતાં આઇન્સ્ટાઇને લખ્યું કે પોતે એના પર સહી કરવા તૈયાર છે.  અને એક જ અઠવાડિયા પછી રસેલને એમનો પત્ર મળ્યો તે જ દિવસે આઇન્સ્ટાઇનનું અવસાન થઈ ગયું.

હવે રસેલ બીજા વૈજ્ઞાનિકોની સહીઓ લેવામાં લાગ્યા તેમાં જોસેફ રૉટબ્લાટે સંપૂર્ણ ઉત્સાહથી ભાગ લીધો. એમણે પત્રકાર પરિષદમાં ‘નોટિસ’ જાહેર કરવાનો નિર્ણય લીધો. આના માટે પત્રકારોને આમંત્રણ આપતાં માત્ર એટલું જ કહ્યું કે રસેલ એક અગત્યની જાહેરાત કરશે.  એમને પોતાને પણ શંકા હતી કે કોઈ આવશે નહીં એટલે કદાચ કોઈ રડ્યોખડ્યો ખબરપત્રી આવે તો ખર્ચો માથે પડે એટલે એક નાનો હૉલ જ ભાડે લીધો. પણ પત્રકારોને આમંત્રણ પહોંચતાં જવાબો સારા મળતાં લાગ્યું કે આ હૉલ નહીં ચાલે. ફરી એનાથી મોટો હૉલ ભાડે લીધો. પણ છેલ્લા બે દિવસમાં તો લાગ્યું કે ખબરપત્રીઓની ભીડ થઈ જશે. વળી એના કરતાં પણ મોટો હૉલ લીધો. ખરેખર પત્રકાર પરિષદ મળી અને રસેલ બોલવા ઊભા થયા ત્યારે હૉલમાં એક પણ સીટ ખાલી નહોતી, ચારે બાજુ બધા ઊભા હતા અને તેમ છતાં ટાંકણી પડે તોય સંભળાય એવી શાંતિ હતી!  તેમાંય આઇન્સ્ટાઇને પણ એના પર સહી કરી છે એવી જાહેરાત થતાં તો હૉલમાં સનસનાટી ફેલાઈ ગઈ. રસેલનું ભાષણ (અહીં ) સાંભળી શકશો.

દુનિયા બે આખલાઓની સાઠમારી લાચાર બનીને જોતી હતી તેમાં એક નવો ત્રીજો અવાજ  બુલંદ થયો હતો, હવે દુનિયા પહેલાં જેવી નહોતી રહેવાની. રસેલે જાહેરાત કરી કે વૈજ્ઞાનિકોની પરિષદ મળશે. હવે આ પરિષદ ક્યાં યોજવી તે માટે સ્થળની જરૂર હતી. જવાહરલાલ નહેરુ તરત તૈયાર થઈ ગયા અને દિલ્હીમાં પરિષદ માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ, પણ એ જ વખતે ઈજિપ્તના નેતા કર્નલ જમાલ અબ્દુલ નાસરે સુએઝ નહેરનું રાષ્ટ્રીયકરણ કરતાં બ્રિટન છેડાઈ પડ્યું. સુએઝ બંધ થતાં ભારત પહોંચવાનો સવાલ ન રહ્યો, આથી એક સખાવતી ઉદ્યોગપતિએ સ્કેન્ડીનેવિયામાં પોતાના વતન ‘પગવૉશ’માં પરિષદ યોજવા આમંત્રણ આપ્યું તે પછી એ પરિષદ પોતે જ ‘પગવૉશ કૉન્ફરન્સ’ તરીકે સ્થાપિત થઈ.

આ સંગઠન અને નહેરુ-નાસર-ટીટોની નેતાગીરીમાં બનેલા બિનજોડાણવાદ્દી (Non-alligned) સંગઠને સતત પરમાણૂ શસ્ત્ર નબૂદીના પ્રયાસ ચાલુ રાખ્યા. આજે દુનિયા વધારે સુરક્ષિત હોય તો રસેલ-આઇન્સ્ટાઇન મેનીફેસ્ટોએ ઊભી કરેલી હવા અને તે પછી અમેરિકા કે રશિયાની છાવણી બહારના દેશોમાં નહેરુ જેવા વિશાળ વિશ્વદર્શન ધરાવતા નેતાઓને કારણે આવેલી સંસ્થાકીય એકતાને એનો યશ મળે છે.

આજે સોવિયેત સંઘનો વિલય થઈ ગયો છે. દુનિયા એકધ્રૂવી બની ગઈ છે. ઠંડું યુદ્ધ નથી ચાલતું પરંતુ હજી સામુદાયિક સંહારનાં શસ્ત્રોનો અંબાર છે. બીજી બાજુ, વિશ્વશાંતિ માટે પહેલ કરનાર ભારત પોતે પણ આજે અણુસત્તા બની ગયું છે અને અણુ અપ્રસાર સંધિ (NPT) પર સહી નથી કરી. આમાં ભારતના સાથી છે, પાકિસ્તાન અને ઇઝરાએલ.

બીજી બાજુ, NPT પર સહી કરનાર દેશોએ પોતાની સંસદો પાસેથી મંજૂરીની મહોર મેળવવાની હોય છે. ક્લિંટન વહીવટીતંત્ર દરમિયાન અમેરિકાએ NPTમાં બહુ રસ લીધો હતો પણ અમેરિકી કોંગ્રેસની મંજૂરી મેળવવાની વાત આવી ત્યારે ત્યાં નવી ચૂંટણી થઈ ચૂકી હતી અને રિપબ્લિકન પાર્ટીના જ્યૉર્જ બુશ જૂનિયર નવા રાષ્ટ્રપતિ બન્યા હતા. એમણે NPTને કોંગ્રેસ સમક્ષ રજૂ કરવાનો જ ઇન્કાર કર્યો અને અમેરિકાને પોતાનાં શસ્ત્રો અકબંધ રાખવાનો અધિકાર છે એવું જાહેર કર્યું. આમ NPT આજે માત્ર કાગળનો દસ્તાવેજ છે.

૦-૦-૦

વેબગુર્જરી પરઃ

 http://webgurjari.in/2015/07/09/maari-baari_45-einstein-russell-manifesto-1955/

Dr. Paresh Vaidya recalls emergency days

આપણા દેશના ઇતિહાસમાં કટોકટી લોકશાહી માટે એક ડાઘ જેવી બની રહી છે. જે મૂલ્યો માટે ગાંધીજીના નેતૃત્વ હેઠળ ભારતીય જનતાએ સંઘર્ષ છેડ્યો, તે મૂલ્યો જ સંકટમાં આવી ગયાં, અને તે પણ માત્ર એક વ્યક્તિની અસલામતીની ભાવનાને કારણે. કટોકટીએ સામાન્ય લોકોને પણ અંદરથી હચમચાવી દીધા હતા. આવી જ લાગણી મારા મિત્ર અને ભાભા પરમાણુ સંશોધાન કેન્દ્ર (BARC)ના નિવૃત્ત વૈજ્ઞાનિક ડૉ. પરેશ વૈદ્યે પણ એ વખતે અનુભવી અને આજે પણ એમની ભાવનાઓ એટલી જ ઉત્કટ રહી છે. આજે એમનાં સંસ્મરણો અહીં વાંચીએ.

૦-૦-૦

કટોકટીનાં ચાળીસ નિમિત્તે

ડૉ. પરેશ વૈદ્ય

૨૫ જૂન, ૧૯૭૫ના રોજ જાહેર કરાયેલ કટોકટીને ૪૦ વર્ષ પૂરાં થયાં. તે દરમ્યાન થયેલા જુલ્મોની વાતો તો કટોકટી ઊઠ્યા પછી બહાર આવી અને તેથી આજે તો બધાને તેનો તિરસ્કાર છે. પરંતુ એ ચાલુ હતી તે દરમ્યાન ઘણા લોકો એવા હતા જે તેના વખાણ કરતા. પણ તેમાં આ લખનારની પેઢી, જે અત્યારે ૬૦ થી ૭૦ વર્ષની વચ્ચે છે, તે સામેલ નથી, ખાસ કરીને ગુજરાતમાં. તેનું કારણ કે જયારે અમે તરુણાવસ્થામાંથી યુવાની તરફ જઈ રહ્યા હતા ત્યારે જ ‘ઇન્દિરા’ નામની ઘટના આકાર લઇ રહી હતી. તેનાં નાટકીય તત્ત્વોએ અમારા પર સારી છાપ નહોતી છોડી.

૧૯૬૬માં કોલેજના પહેલા વર્ષમાં હતા ત્યારે સિન્ડીકેટ અને મોરારજીભાઈ વચ્ચેની ખેંચતાણ એ રીસેસમાં અમારી ચર્ચાનો વિષય રહેતો. ભુજની લાલન કોલેજના પ્રાંગણમાં તડકો શેકતાં એ વીષય પર વાતો કરવામાં લખનારની સાથે વેબગુર્જરીના એક સંપાદક અને લેખક, કર્મશીલ દીપક ધોળકિયા પણ હતા. શાસ્ત્રીજી પછી વડાપ્રધાન તરીકે કોંગ્રેસે સીનિયર સભ્ય મોરારજીને છોડીને સૌથી જૂનિયર ઇન્દિરા ગાંધીને પસંદ કર્યાં. તે પછી યંગ ટર્કની ઘટના અને ૧૯૬૯માં કોંગ્રેસનું તૂટવું પણ એ સમયે આવ્યું જયારે અમારી પેઢી અભિપ્રાય બનાવતાં શીખી રહી હતી. બેન્કોના રાષ્ટ્રીયકરણ ટાણે મોરારજીભાઈ પાસેથી નાણા ખાતું લઈ લીધું ત્યારે દુઃખ એટલે નહોતું થયું કે મોરારજીભાઈ લોકલાડીલા હતા. પરંતુ આ બધામાં શ્રીમતી ગાંધીની ચાલાકી અને કાવાદાવામાં નિપુણતાની ગંધ આવતી હતી. આથી જ તેમાંના ઘણાને બાંગ્લાદેશ યુદ્ધના જ્વલંત વિજય છતાં ઇન્દિરા ગાંધી પ્રત્યે માન વધ્યું નહિ. તે પછી પ્રચંડ ભાવવધારો, સમાંતરે ગુજરાતનું નવનિર્માણ આંદોલન, એમની ચૂંટણી રદ થવી અને બિહાર / જયપ્રકાશનું આંદોલન – એ ઘટનાક્રમને છેડે આવી કટોકટી. મુખ્ય કારણ અલ્લાહાબાદ હાઇકોર્ટનો શ્રીમતી ગાંધીની ચૂંટણી રદ ગણતો ચુકાદો હતો એ વિષે હવે કોઈને શંકા નથી. કટોકટીની પૂર્વે અને પછી શ્રીમતી ગાંધીને ન્યાયતંત્ર જોડે ઝઘડો હતો જ.

પચીસમી જૂનના સાંજે સમાચાર આવ્યા ત્યારે આ લખનાર ભુજમાં હતો અને ૨૬મી એ સવારે મુંબઈ જવા નીકળવાનું હતું. મનમાં વિચિત્ર ધૂંધવાટ હતો. ૮-૧૦ કાગળો ઉપર કટોકટી વિરુદ્ધનાં સૂત્રો લખ્યાં. સ્ટેશને સ્ટેશને ઉતરીને જ્યાં જગા મળી – બેંચ, ટી સ્ટોલ, પાણીનો નળ – ત્યાં કાગળ મૂક્યા. અસર જે થઇ હોય તે, મનને શાંતિ થઈ. મુંબઈ આમ તો અમદાવાદ કે દિલ્હી જેવું રાજકીય રીતે ‘એક્ટિવ’ શહેર નથી. પરંતુ કાયદાના નિષ્ણાતોનું સ્રોત રહ્યું છે. ન્યાયતંત્ર અને બંધારણ સાથે ચેડાં થવા લાગ્યાં ત્યારે અહીં રહીને મહત્ત્વની સભાઓ અને મીટિંગોનો લ્હાવો મળ્યો. હિન્દુસ્તાની આંદોલન નામની સંસ્થા પૂર્વ સાંસદ શ્રી મધુ મહેતાએ સ્થાપેલી. તેના સંપર્કમાં રહ્યો. મુંબઈ સર્વોદય મંડળની તારદેવ ઓફિસમાં છાત્ર સંઘર્ષ વાહિનીની મીટિંગો થતી. શ્રી રંગા દેશપાંડેના સૂચનથી તેની બે –ચાર મીટિંગમાં હાજરી આપી. આ બધાથી સંતોષની લાગણી થતી કે લોકો તદ્દન ચુપ નથી, કશુંક ચાલી રહ્યું છે.

‘કમિટેડ ન્યાયતંત્ર’ના પ્રચાર વચ્ચે જસ્ટિસ એ. એન.રે ને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા ત્યારે બીજા ત્રણ ન્યાયાધીશોની સીનિયોરિટી અવગણવામાં આવી. આથી એ ત્રણેએ ૨૬ એપ્રિલ ૧૯૭૩ના રાજીનામાં આપ્યાં. તેમના ટેકામાં ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયાના ચોગાનમાં એક જાહેર સભા થઈ. સરકાર વિરુદ્ધ વાતાવરણ બનાવવામાં આવી સભાઓનો મોટો ફાળો રહ્યો હશે. સભામાં લૉ કમિશનના માજી ચેરમેન શ્રી મોતીલાલ સેતલવાડ ૮૮ વર્ષની જૈફ વયે પણ હાજર રહ્યા. સાથે જસ્ટિસ હિદાયતુલ્લા અને જે. સી. શાહ પણ બોલ્યા. હિદાયતુલ્લાએ વારંવાર યાદ દેવડાવ્યું કે સામ્યવાદીમાંથી કોંગ્રેસી બનેલા કુમારમંગલમ આ બધા માટે જવાબદાર હતા. જો સરકારની નીતિઓને ટેકો આપે તેને જ પ્રમોશન આપવામાં આવે તો forward looking જજો હવેથી looking forward થઇ જશે. જસ્ટીસ રે ને લાંબી ટર્મ મળી શકે તેથી વહેલા ચીફ જસ્ટિસ બનાવાયા છે તેવી દલીલને કાપતાં જસ્ટિસ શાહે કહ્યું કે હું તો માત્ર ૪૫ દિવસ માટે ચીફ જસ્ટિસ હતો; તો શું ફરક પડ્યો? પૂર્વ એટર્ની જનરલ શ્રી દફતરીએ ધ્યાન ખેચ્યું કે આ મુદ્દો માત્ર ન્યાયધીશો કે વકીલો માટેનો જ નથી તમારા સર્વનો છે કારણ કે હવેથી ન્યાયાધીશો જે ચુકાદો આપશે તે ન્યાયને જોઈને નહિ પણ પોતાની કૅરીઅર વિષે વિચારીને આપશે.

બંધારણસભાના સેક્રેટરી શ્રી HVR આયંગર પણ એક વક્તા હતા. ન્યાયતંત્ર શા માટે સ્વતંત્ર રાખવામાં આવ્યું છે તે ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં તેમણે સમજાવ્યું. કહે કે રાજકારણીઓનો મોટો દોષ છે કે એ પોતાને કાયમી (permanent) માને છે. “Poor lady” ઇન્દિરા પણ આ ગ્રંથિથી પીડાય છે. તેમણે કરેલા ફેરફારોનો તેમના અનુગામીઓ દુરુપયોગ કરી શકે છે તે તેમને નથી સમજાતું! ( બિચારા આયંગર – ઇન્દિરા પોતે જ દુરુપયોગ કરશે તે તેઓને ન સમજાયું). ઇન્દિરાના ચુસ્ત સમર્થક ખુશવંત સિંહને પણ નિમંત્રણ હતું પરંતુ તેઓ બોલવા આવ્યા જ નહિ. છેલ્લે બોલ્યા, સ્ટેજ પર સૌથી યુવાન એવા શ્રી નાની પાલખીવાળા. કહે કે જો ન્યાયાધીશ સરકારની ફિલસુફીને વરેલો ( કમિટેડ) હોય તો તે ન્યાયાધીશ છે જ નહિ. જો ન્યાયતંત્ર ખરેખર સ્વતંત્ર હોય તો બંધારણમાંથી મૂળભૂત અધિકારોનું પ્રકરણ જ કાઢી નાખો તો ય ચાલે! તેમણે પણ એ વાત પર ભાર આપ્યો કે તમે માત્ર સાંભળવા નથી આવ્યા, પૂરો વિરોધ કરો.

આ પછી કટોકટી દરમિયાન તો શ્રીમતી ગાંધીએ બંધારણને તદ્દન ધમરોળી નાખ્યું. સૌથી સ્વાર્થી સુધારો હતો, ૩૯મો સુધારો જે દ્વારા એવું ઠરાવાયું કે વડા પ્રધાન, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને સ્પીકરની ચુંટણીને દેશની કોઈ કોર્ટમાં પડકારી ન શકાય. આથી અલ્લાહાબાદ હાઇકોર્ટનો ચુકાદો અર્થહીન બની ગયો. લોકસભાની મુદ્દત ૬ વર્ષની કરી જેથી ૧૯૭૬ માં લોકોની સામે ન જવું પડે. અને કુખ્યાત ૪૨ મો સુધારો જે દ્વારા બંધારણમાં મોટા પાયે ફેરફાર કરાયા. ૪૨ આર્ટિકલમાં સુધારા અને ૧૪ નવા આર્ટિકલથી જાણે નવું જ બંધારણ ઘડાયું.

૪૨મા બંધારણ સુધારાના વિરોધમાં, કટોકટીની વચ્ચોવચ્ચ, એક બીજી રોમાંચકારી મીટિંગ હિન્દુસ્તાની આંદોલનના નેજા હેઠળ હિન્દુસ્તાની આંદોલનના નેજા હેઠળ ચર્ચગેટમાં ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરના ઘીઆ હોલમાં છઠ્ઠી ડીસેમ્બર ૧૯૭૬ના રોજ મળી. તેને વિરોધ સભા કહેવાને બદલે ‘ મૂળભૂત અધિકારો અને ફરજોના સંદર્ભમાં સિમ્પોઝીઅમ’ એવું નામ આપ્યું. તેમ છતાં સિવિલ ડ્રેસમાં ઢગલાબંધ પોલીસ અને ઈન્ટેલીજન્સ બ્યુરોના માણસો ઑડિયન્સમાં ભળેલા હતા. ૨૦૦ -૨૫૦ લોકોની હાજરી એ વાતાવરણમાં સારી ગણાય. અધ્યક્ષસ્થાને શ્રી એમ.સી.ચાગલા હતા. પરંતુ ખાસ્સી ૪૦ મિનિટ એ પોતે જ બોલ્યા. મહારાષ્ટ્રના એડવોકેટ જનરલ શ્રી રામરાવ આદિક, ફ્રી પ્રેસ જર્નલના તંત્રી શ્રી સી.એસ.પંડિત, શ્રી મધુ મહેતા અને સુપ્રીમ કોર્ટમાં વકીલ શ્રી સોલી સોરાબજી વક્તાઓ હતા. શ્રી આદિકને લોકોએ ધારાશાસ્ત્રી કરતાં શાસક પક્ષના પ્રતિનિધિ તરીકે જોયા અને લગભગ હુરિયો બોલાવી, બોલવા જ ન દીધા.

જસ્ટિસ ચાગલાએ ૪૨મા સુધારાની એક એક કલમ લઈને તેમાં રહેલી વિસંવાદિતા દર્શાવી. શરુમાં કહે કે આજે સવારે મને પોલીસ કમીશનરે ફોન કરીને કહ્યું કે “કટોકટીની ટીકા ન કરતા”. આ જ બતાવે છે કે આપણા મૂળભૂત અધિકારો કેટલાક છે! કટોકટીનો પાયો એટલો નબળો (brittle) છે કે ટીકાનો ભાર ન ઝીલી શકે! બંધારણના નવમા શિડ્યુલમાં એવી બાબતોનું લિસ્ટ છે કે જેને કોર્ટમાં પડકારી ન શકાય; ૧૯૭૧માં આ યાદીમાં ૮૧ આઈટેમો હતી, આજે ૧૧૬ છે. આ ભારતના ન્યાયતંત્રની પહોંચની મર્યાદા બતાવે છે. બંધારણના આ સુધારામાં એમ પણ સૂચવ્યું છે કે હવેથી બંધારણને લગતી બાબતોમાં ચુકાદો ન્યાયાધીશોની ૨/૩ બહુમતીથી જ આવવો જોઈએ. જો ૭ જજમાંથી ૪ એક તરફ મત આપે તો પણ ચુકાદો પાસ ન થાય એટલે કે ત્રણ જજ કહે તે ચુકાદો બની જાય! શ્રી ચાગલાએ ગુસ્સાથી કહ્યું કે આવું ‘નૉનસેન્સ’ તો દુનિયામાં ક્યાંય સાંભળ્યું નથી.

શ્રી આદિક પર કટાક્ષ કરતાં કહે કે હું તો અદનો માણસ છું, મારી પાસે ટીવી, રેડિયો વગેરેનો ટેકો નથી એટલે પ્રોપગેન્ડાના આ દિવસોમાં અમારી વાત લોકો સુધી કેમ પહોંચશે? આથી આપ શ્રોતાઓનું કામ છે કે અહીં કહેવાય તે બહાર જઈને મિત્રોને કહેજો. ‘લોકશાહીમાં કશું કાયમી નથી અને સંજોગો બદલી શકે છે’. એમના ભાષણ પછી એટલા લાંબા સમય સુધી તાળીઓ ચાલતી રહી જેટલી અગાઉ ક્યારેય નહોતી સાંભળી. લોકોના મનમાં જે ધૂંધવાટ હતો તેને જાણે માર્ગ મળ્યો હોય. એમના સૂચનના અમલ તરીકે જ આ અહેવાલ તૈયાર કરી અમુક જણ / સંસ્થાઓને મોકલ્યો.

૪૨મા સુધારાની ઘણીખરી ખામીઓ જનતા સરકારે ૧૯૭૮માં ૪૪મો સુધારો લાવીને સુધારી લીધી. અને તેથી આજે આપણે એટલા જ આઝાદ છીએ જેટલા ૧૯૬૯માં હતા. પરંતુ આપણામાંના ઘણાને સત્તા સામે વગર જરૂરે ઝૂકવાની ટેવ છે – તેનો શો ઉપાય?

૦-૦-૦

હા, “તેનો શું ઉપાય?”

આ સવાલ આજે પણ આપણી સામે ઊભો જ છે. કહે છે કે સ્વાધીનતા, મુક્તિ, લોકશાહીને ટકાવી રાખવા માટે એની કિંમત ચુકવવી પડે છે અને એ કિંમત એટલે સતત તકેદારી – સતત જાગૃતિ. દર પાંચ વર્ષે ચૂંટણી થાય અને આપણે મત આપી આવીએ તે તો લોકશાહીનું ઔપચારિક સ્વરૂપ છે. એનોય ઉપયોગ છે અને ઇન્દિરા ગાંધીને એનો તરત અનુભવ થયો. પરંતુ લોકશાહી માટે એટલું પૂરતું નથી. નાગરિકો સતત જાગૃત રહે અને સવાલો પૂછતા રહે એ લોકશાહીનો અર્ક છે. સત્તા મૂળથી જ નબળી છે. એને ‘ના’ કહો એટલે એ જુલમો કરી શકે પણ એ જ તો એની નિશાની છે કે એની આજ્ઞાઓનું પાલન સ્વેચ્છાથી થતું નથી, માત્ર ડરથી થાય છે. એમ તો આપણે રસ્તે ચાલતાં ગાયથી પણ બચીને ચાલીએ છીએ કે ક્યાંક શિંગડું ન મારી દે. ગાય કોઈ શક્તિશાળી પ્રાણી તો નથી જ – અને આપણે એનાથી ડરતા પણ નથી. આપણી અસંમતિ સામે સત્તા પણ ગાય બની રહે છે.

૦-૦-૦

Shabdaved: Poetry of Narsinh Mehta

શબ્દવેદ

બધા ભેગા મળીને બેઠા હોય તો વાતોનો વિષય કંઈ એક જ ન રહે. એકમાંથી બીજો, બીજામાંથી ત્રીજો…એમ વિષયો નીકળ્યા કરે. વાત ભક્તો પર પહોંચી ગઈ. નરસિંહ મહેતા ગુજરાતના હતા એમ જાણીને એક ભાઈને નવાઈ લાગી. એમનો ખ્યાલ હતો કે ‘નરસી ભગત’ તો એમના ‘એરિયા’ના હતા! એટલે કે બુંદેલખંડના. ઉત્તરી મધ્ય પ્રદેશ અને દક્ષિણી ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓ મળીને બુંદેલખંડ બને છે. ઝાંસી આમ તો ઉત્તર પ્રદેશનો જિલ્લો છે, પણ એ બુંદેલાઓના પ્રદેશ બુંદેલખંડમાં ગણાય. યાદ કરીએ, સુભદ્રાકુમારી ચૌહાનની લાંબી હિન્દી કાવ્યરચના “બુંદેલે હરબોલોં કે મુંહ હમને સુની કહાની થી, ખૂબ લડી મર્દાની વો તો ઝાંસીવાલી રાની થી…

બુંદેલખંડમાં લોકગાયકીનો એક પ્રકાર છે – ‘આલ્હા’… આલ્હા-ઉદલની વાત ક્યારેક કરશું. આલ્હા એક ગેય પદ્યવાર્તાનો પ્રકાર છે. મારા મિત્રે આલ્હા લોકગાયન શૈલીમાં નરસિંહ મહેતાની જીવનકથા સાંભળી હતી. સંતો અને મહાપુરુષોનાં ગામ, પ્રદેશની ખબર ન હોય તેની કદાચ ઇતિહાસમાં રસ લેનારા ઠેકડી ઉડાવી શકે, પણ એનો અર્થ એટલો જ છે કે એ વિભૂતિને કોઈ બીજા પ્રદેશે પણ આત્મસાત્‍ કરી લીધી છે. સંતોને સીમાડામાં બાંધી ન શકાતા હોય તો એમના જન્મના પ્રદેશ વિશે જાણીએ કે ન જાણીએ તે બધું જ સરખું.

અહો… મહદાશ્ચર્યમ્‍!

આ વાતચીતના બીજા જ દિવસે કૂરીઅર મારા માટે, ખરું કહું તો, મોટું આશ્ચર્ય જ પેકેટમાં લાવ્યો. સંનિષ્ઠ મિત્ર અને વેબગુર્જરીના સાથી અશોકભાઈ મોઢવાડિયાએ એક પુસ્તક મોકલ્યું હતું – નામ ‘શબ્દવેદ’ મુખપૃષ્ઠ પર એ જ – કરતાલધારી ભક્ત નરસૈંયો.

‘નરસિંહ મહેતાની સમગ્ર કવિતા’ના સંકલન કર્તા છેઃ ઉર્વીશ વસાવડા (મીડિયા પબ્લિકેશન –www.mediapublication.in – ફોનઃ ૦૨૮૫- ૨૬૫૦૫૦૫,જૂનાગઢ. કિંમત રૂ. ૪૦૦. ISBN 978-93-84010-05-8). મનમાં થયું કે હજી તો નરસિંહ મહેતાને ગઈકાલે જ યાદ કર્યા હતા!

કેટલાંક પુસ્તકો વાંચીને રાખવાનાં હોય છે અને કેટલાંક રાખીને વાંચવાનાં. આ પુસ્તક બીજી શ્રેણીનું – રાખીને વાંચવાનું છે. રોજ હાથમાં લો, પાનાં ફેરવો અને નરસિંહ મહેતાની કવિતાને અંદર ઉતારો. પુસ્તકમાંથી એક નવો જ નરસૈંયો પ્રગટ થાય છે.

મેં ગ્રહ્યો હાથ નરસિંહના શબ્દનો (પુસ્તકની ભૂમિકા) લખતાં સંકલનકાર બહુ વિનમ્ર, નિસ્પૃહ અને તટસ્થ છે. એક મહત્ત્વનો ફકરો આખો વાંચીએઃ નરસિંહનાં પદોની અધિકૃતતા અંગે તો ઘણા સવાલ ઊભા  છે, પણ આગળ જણાવ્યુંતેમ  વિશે વાત કરવાની મારી કોઈ પાત્રતા, સજ્જતા કે ક્ષમતા પણ નથી તેમ છતાં એકાધિક જગ્યાએ મારું ધ્યાન ગયુંછે એનો  તકે ઉલ્લેખ કરીશ. સુદામા ચરિત્રના નવમા પદમાં વ્યક્ત થયેલ વિચારો, હારમાળાનાં પદોમાં એક જગ્યાએનરસિંહ ભગવાનને મહારાંડનો એવું સંબોધન કરે છે, જે સામાન્ય સમજણ મુજબ નરસિંહ પ્રયોજે એવી ભાષા નથી. એક પદમાં રબાબ શબ્દ આવે છે, જે ફારસી શબ્દ છે અને આપણે ત્યાં મોગલો આવ્યા પછી  શબ્દ આવ્યો હોય તેવું બને.અલબત્ત,  બધા મારા ઉપરછલ્લા નિરીક્ષણો  છે.  ઉપરાંત ઘણાં બધાં નરસિંહને નામે પ્રચલિત પદો છે જે ખરેખરનરસિંહનાં નથી.  બાબતે સંશોધકે પ્રકાશ પાડવા જેવો છે.”

આમ સંકલનકારે “માત્ર ને માત્ર આ પદો વધુ ને વધુ લોકો સુધી પહોંચે અને આપણા સાંસ્કૃતિક વારસાનો પરિચય થાય એ જ હેતુથી” શ્રી શિવલાલ જેસલપુરા, કે. કા. શાસ્ત્રી અને ઇચ્છારામ દેસાઈનાં સંકલનોની મદદ લઈને આ નવું સંકલન તૈયાર કર્યું છે. નરસિંહનાં પદોની એક હસ્તપ્રત એમના કાળ પછી બસ્સો વર્ષે મળી છે. એ કદાચ કોઈ જૂની પ્રત પરથી બની હોય. આમ માત્ર પદો જ નહીં ભાષા પણ બદલી શકે છે. એટલે આટલી જૂની રચનાઓ બાબતમાં આ મુશ્કેલી તો રહેવાની જ, સિવાય કે કોઈ ભાષાશાસ્ત્રી, પદોની ભાષાનો જ આંતરિક અભ્યાસ કરીને જુદા જુદા શબ્દો ક્યારે નહોતા અને ક્યારે પ્રવેશ્યા તે નક્કી કરે તો જ આવા વિવાદથી બચી શકાય.

દાખલા તરીકે સંકલનકાર ઉર્વીશ વસાવડાએ ઉપર આપેલા ફકરામાં ‘રબાબ’ શબ્દનો ઉલ્લેખ કર્યો છે અને કદાચ મોગલો આવ્યા તે પછીનો એ શબ્દ હોવાનું માન્યું છે. લગભગ નરસિંહ મહેતાના જન્મના કાળમાં રબાબનો ભારતમાં પ્રવેશ થઈ ચૂક્યો હતો. એ મૂળ તો અફઘાનિસ્તાનનું વાદ્ય છે અને કાશ્મીરનું પણ મુખ્ય વાદ્ય છે. પંજાબની શીખ પરંપરામાં શબદ-કીર્તનમાં રબાબનો ઉપયોગ જરૂરી છે. ગુરુ નાનક નરસિંહ મહેતાથી ઘણા વખત પછી થયા પણ એમના મુસ્લિમ શિષ્ય મર્દાનાએ એમની સાથે રહીને રબાબનો ઉપયોગ કર્યો એટલે શીખ પરંપરામાં એનું સ્થાન મહત્ત્વનું છે. ભાષાઓમાં માત્ર ફારસી નહીં, તુર્કી અને અરબી પણ મોગલોથી પહેલાં તેરમી સદીમાં ભારતમાં દિલ્હી સલ્તનતના સમયમાં આવી ગઈ હતી, એટલે ગુજરાતીમાં ફારસીના શબ્દો પ્રવેશ્યા હોય તો નવાઈ નહીં. કદાચ નરસિંહ મહેતાએ પોતે જ આ શબ્દો વાપર્યા હોય અથવા પછીના કાળમાં પ્રતમાં સુધારા થયા હોય. એનું કારણ એ કે શ્રી વસાવડાની જેમ મારા ધ્યાનમાં પણ કેટલાક વિદેશી શબ્દો આવ્યા છે. પુત્ર વિવાહના પદ ૧૨ (પાનું ૯)માં ‘વજીર’ અરબી શબ્દ છે. એ જ રીતે ‘કનાત(તુર્કી પુ.વિ. ૨૬), ‘નિશાન’(ફારસી) અને ‘તોખાર’(સમરકંદ-બુખારા પાસેના તોખારિસ્તાનનો ઘોડો) (પુ.વિ. ૨૮), ‘જરકસી’ (ફારસી) અને ‘ઊંટ નિસાન (ફારસી) ફરકે” (પુ.વિ. ૩૨), ‘જરદોરની સાડી’ (ફારસી પુ.વિ. ૩૪), ‘અતલસ(અરબી-મામેરાનાં પદ ૧૬). આમ ઘણા શબ્દો મળી આવશે, કારણ કે એ સ્વાભાવિક છે.

સંકલન પદોના પ્રકાર પ્રમાણે વિભાગી નાખવામાં આવ્યું છે એટલે વિષયવસ્તુ પ્રમાણે પસંદગી કરીને વાંચી શકાય છે. આમાં આત્મકથાત્મક પદોમાં પાંચ વિભાગ છે – ઝારીનાં પદ, પુત્રવિવાહ, મામેરું, હૂંડી, હારસમેનાં પદો છે. તે ઉપરાંત સુદામા ચરિત્ર. ક્રીડાનાં પદો, અને છેલ્લે ભક્તિ-જ્ઞાન-વૈરાગ્યનાં પદો છે. એમાં ઘણાં બહુ પ્રચલિત પદો છે અને હોય જ. નરસિંહ મહેતાની ઓળખ જ આ પદો છે. એની યાદી આપીને કારણ વગરનું લંબાણ નહીં કરું, નરસૈંયો મુખ્યત્વે તો ભક્ત જ છે; પણ એ માત્ર ભક્ત નથી. જ્ઞાની પણ છે. સાદી લોકભાષામાં એમણે વેદ-ઉપનિષદના જ્ઞાનને ગૂંથ્યું છે. ભારતીય દર્શન પરંપરાની મુખ્ય ધારાથી નરસિંહ સંપૂર્ણ પરિચિત હતા એ વાત તો એમનાં આ પદોમાંથી સ્પષ્ટ થાય છે.

પણ જોવાનું એ છે કે ભક્તિ-જ્ઞાન-વૈરાગ્યનાં માત્ર ૬૬ પદો છે, બીજી બાજુ કૃષ્ણપ્રેમનાં, કામક્રીડાનાં પદો સહિત, ૬૩૦ પદો છે. આમાં નરસિંહનું કવિત્વ કામરસ લઈને પ્રગટે છે. નરસૈંયો માત્ર વૈરાગી જોગડો નહોતો, એ મૃદુ અને સંવેદનશીલ સંબંધોની બારીકાઈઓ પણ જાણતો હતો.

“અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે…”નો શ્રી હરિ અહીં નવા રૂપે આવે છેઃ

“ચુંબન ચારુ કપોલ કામી પ્રેમ-શું પિયુડો દિયે; 
સૂડલો થઈને શ્રી હરિ અમૃતફળ મુખમાં લિયે.”

કૃષ્ણ સાથે ક્રીડા કરીને ગોપી પાછી આવી છે. સખી જોઈને સમજી જાય છે અને પૂછે છે, “સાચું કહે-ની સુંદરી! કેમ રમી પિયુને સંગ” જો કે જવાબ તો એની હાલતમાંથી જ મળી જાય છેઃ “હારનાં એંધાણ હૈયે, અંગ કુંકુમ રોળ; વાંસે તે રેખા નખ તણી, મુખ ચાવિયાં તંબોળ. કપોલ તાહરા હસી રહ્યા, મુખે તે પ્રગટ્યું નૂર…”

પરંતુ એવું નથી કે માત્ર ગોપી જ ઘેલી છે; કા’ન પણ ઘેલો છે. ભક્ત ભગવાનની પાછળ ઘેલો થાય પણ ભગવાન ભક્તની પાછળ ઘેલો ન થાય તો એ ભક્ત શાનો અને એ ભગવાન શાનો? નરસિંહ મહેતા તો છાતી ઠોકીને કહે જ છેઃ “ભક્ત વિના ભૂધરો વશ નહીં કોઈને, એક તે એકથી સબળા!”

માત્ર ભક્તિમાં જ નહીં, કામક્રીડામાં પણ એ વશ થાય છે. કામક્રીડામાં મદનનો હરીફ ગોવાળિયો કહાન કબૂલે છે

“ધન્ય તું સુંદરી, ધન્ય તું સુંદરી, જેની કુસુમમાળા વડે હું રે બાંધ્યો; 
ચૌદ ભુવન તણાં બંધન છોડવું, જાણ્યું તેં મોહિની મંત્ર સાધ્યો”

સખીઓ વચ્ચે સ્પર્ધા પણ છેઃ

વાતની વાતે રે મારો નાથ રિસાણો, 
બાઈ રે ભરવાડણ! તેનું કાંઈ કારણ જાણો? 
જા જા રે વેરણ! એ કામ છે તારાં, 
તારે મંદિરથી આવ્યા ત્યારથી હસી ન બોલ્યા…

અહીં બાળ કૃષ્ણ પણ છે જે ગોપીઓની મટુકીઓ ફોડે છે. બીચારી ગોપીઓ ફરિયાદ કરે છે –

“વહેતા રોકે છે વાટમેં, આવી જેમતેમ બોલે; 
વનમાં પગેરાં ખોળતો નિત કેડે ડોલે.

અને માતા જસોદા બીચારી થાકી ગઈ છેઃ

“સાંજે આવ્યા ઘેર શામળો મુખ મોરલી વા’તા; 
ખોળે બેસારીને ખાંતથી એમ પૂછે માતાઃ 
‘કહાન! તુંને શી પડી એવી ટેવ અટારી; 
વનમેં મારગ ચાલતાં લૂંટે પરનારી? 
આજથી રૂડું આદર્યું આ કામ તેં આવું, 
દહાડી લાવીશ, દીકરા! લોકુંની રાવું! 
ગાયું ચારીને જીવીએ, આપણ નહીં રાજા, 
લાડકડા! નવ લાવીએ ઓલંભા ઝાઝા. 
અને દરેક માતા જેવી ચિંતા જસોદાના મનમાં પણ છેઃ

આજથી તારી આબરૂ થાશે લોકમેં થોડી,
કહે ને તુંને કોણ આપશે પરણવાને છોડી?

પરંતુ શક્ય છે કે બધાં જ પદો નરસિંહ મહેતાનાં ન પણ હોય. કદાચ એમની રચનાઓનો ફુગાવો થયો હોય તો આ પ્રકારનાં પદોમાં જ સૌથી વધારે થયો હશે. પરંતુ મોટા ભાગનાં પદો કેદારમાં નિબદ્ધ છે. રા’માંડળિકે એમની કસોટી કરવા કારાવાસમાં નાખ્યા ત્યારે નરસિંહ મહેતા કેદારો ગિરવે મૂકી આવ્યા હતા અને કેદારો ન ગાય ત્યાં સુધી ભગવાન આવે નહીં. અંતે ભગવાને કેદારો છોડાવ્યો અને નરસિંહ મહેતાને ચિઠ્ઠી આપી ત્યારે એમણે કેદારો ગાયો અને ભગવાને એમના ગળામાં હાર નાખ્યો.

એ જે હોય તે. ભાઈ ઉર્વીશ વસાવડાએ સંપૂર્ણ નિષ્ઠાથી આ સંકલન કરીને ગુજરાતની સેવા કરી છે એમાં બે મત ન હોઈ શકે. આના માટે સ્વ. કાંતિ ઠાકર સ્મૃતિ નિધિના સંચાલકો, એક તો લેખક પોતે અને એમના એવા જ સંનિષ્ઠ સાથીઓ ડૉ. મુકેશ વૈષ્ણવ અને કિશન દવે પણ અભિનંદનના અધિકારી છે. માત્ર વિષય નહીં, પુસ્તકની ડિઝાઇનમાં પણ એમની કલાભિરુચિ ધ્યાન ખેંચે એવી છે.

૦-૦-૦

અંતમાં ફરી શરુઆત પર જઈએ. બુંદેલખંડવાળી વાતમાં મને રસ પડ્યો હતો કે “નરસૈંયો ભક્ત હરિનો” બુંદેલખંડ કેમ પહોંચ્યો? બે-ચાર સંદર્ભો જોયા, અંતે યૂ-ટ્યૂબે મદદ કરી. અહીં કુંવરબાઈના મામેરાની કથા બે ભાગમાં ‘આલ્હા’ શૈલીમાં છે. કન્યા પરણાવતી વખતે કન્યાના મામા તરફથી અપાતા મામેરાને ‘ભાત’ કહે છે. આ બે લિંક આપી છે તે જોવાની મઝા આવશે. અભિનયની દૃષ્ટિએ તો આમાં કંઈ જોવાપણું નથી, મઝા તો આલ્હાની છે.

https://www.youtube.com/watch?v=h8-iVvv0Z8o

https://www.youtube.com/watch?v=YeuvcxNfF1c

Part three of ‘Futility of Common Sense’ by Dilip Simeon in Gujarati

તા. ૧૫-૬-૨૦૧૫ અને ૧૬-૬-૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ, અનુક્રમે, ભાગ (૧) અને ભાગ (૨)થી આગળ

Dr. Dilip Simeon

મંડેલાની સ્વાતંત્ર્ય ભણી લાંબી કૂચ

આજની દુનિયામાં એક પણ રાજદ્વારી એવો નથી જે નેલ્સન મંડેલાની તોલે આવે અને મંડેલાએ રંગભેદી શાસનના અસ્તમાં જે ભૂમિકા ભજવી છે એના જેવી રોચક બીજી કોઈ જીવનકથા પણ નથી. આખી દુનિયામાં, બધી જ જાતિઓના લોકો એમના પર ખરા હૃદયથી સ્નેહ વરસાવતા હોય છે તેમાંથી આ દેખાઈ આવે છે. જાતિવાદી શાસન સામેનો સંઘર્ષ અને એના પરિણામે એ વ્યવસ્થા તૂટી પડી તેનેના જોખમી પરિપાક રૂપે જે ઉથલપાથલ મચી અને હિંસા ભડકી ઊઠી તે જો મંડેલા ન હોત તો માઝા મૂકી જાત. આ અર્થમાં મંડેલાએ વિસ્ફોટક સ્થિતિનો પ્રમાણમાં અહિંસક ગણાય એવો ઉકેલ આપવામાં પ્રદાન કર્યું છે. એટલે, એમના આ બાબતના વિચારોનું મહત્ત્વ ઓછું નથી. એમની બહુપ્રશંસિત આત્મકથા Long Walk to Freedomમાં મંડેલા વારંવાર એક વાત કહે છે કે એમના માટે અહિંસા નૈતિક નહીં પણ વ્યાવહારિક સિદ્ધાંત હતો. મેં અહિંસાને એક નૈતિક સિદ્ધાંત નહીં પણ એક વ્યૂહ માની; બિનઅસરકારક હથિયારવાપરવામાં નૈતિક દૃષ્ટિએ કંઈ સારું નથી.” એમનું આ દૃષ્ટિબિંદુ એમના સંયોગો પ્રમાણે ઘડાયું, પરંતુ વૈચારિક સ્તરે આ દૃષ્ટિબિંદુને ઉપયોગિતાવાદી કહી શકાય – અને ઉપયોગિતાના આધારે સારાપણાની વ્યાખ્યા ન કરી શકાય. વળી, મંડેલાએ આફ્રિકી પ્રજાને બધા જ રાજકીય અધિકારોથી વંચિત રાખનાર શ્વેત વર્ચસ્વવાદી હકુમત અને બ્રિટિશ રાજ વચ્ચે ભેદરેખા પણ દોરી. એમણે જોયું કે બ્રિટિશ રાજ શાંતિપૂર્ણ વિરોધ સામે હિંસા નહોતી આચરતી. પરંતુ મંડેલા અહીં ભૂલ કરે છે. જલિયાંવાલા બાગથી માંડીને ૧૯૩૦ના દશકના નાગરિક અસહકાર આંદોલન સુધી અંગ્રેજી હકુમતે પણ એ જ કર્યું હોવાનાં ઢગલાબંધ ઉદાહરણો છે. આમ છતાં એમ દલીલ કરી શકાય કે રંગભેદી હકુમતે શ્વેત અને શ્યામ પ્રજા માટે અલગ કાનૂની વ્યવસ્થા કરી હતી અને તમામ આફ્રિકનોને ખાસ અલાયદા વિસ્તારોમાં જ રાખવાની નીતિ લાગુ કરી હતી, અને એ અવશ્ય બ્રિટિશ હકુમત કરતાં વધારે ખરાબ હતું.

પરંતુ મારો હેતુ અહીં દક્ષિણ આફ્રિકાના રંગભેદી શાસન અને બ્રિટિશ રાજની તુલના કરવાનો નથી. મને તો નેલસન મંડેલાએ અન્યાયી વ્યવસ્થા સામે લડવાનાં સાધનોનો શી રીતે ઉપયોગ કર્યો તેની સાથે લેવાદેવા છે. એમણે કહ્યું તો છે કે આ મુદ્દા પર એમનું દૃષ્ટિબિંદુ સૈદ્ધાંતિક કરતાં તો વધારે વ્યૂહાત્મક હતું. પરંતુ દક્ષિણ આફ્રિકામાં જાતિગત ગૃહયુદ્ધ ન જ થવાં જોઈએ એમ એ દૃઢતાથી માનતા હતા. ઉપરાંત, આફ્રિકન નૅશનલ કોંગ્રેસની સશસ્ત્ર પાંખ ‘ઉમ્કોન્તો વે સીઝ્વે(સંક્ષેપમાં MK)ના કમાંડર તરીકે પણ એમણે ધ્યાનમાં રાખ્યું કે સશસ્ત્ર હુમલા માત્ર ઑફિસો, કારખાનાંઓ પર થવા જોઈએ, લોકોમાં આતંક ફેલાવવા માટે નહીં. આ દેખાડે છે કે હિંસાના ઉપયોગ વિશે એમના મનમાં ઊંડે ઊંડે સંશય હતો.

મંડેલા આત્મકથામાં એક પ્રસંગ આલેખે છે. એ જ્યાં છુપાયા હતા ત્યાં એમણે એરગનથી એક પક્ષીને વીંધી નાખ્યું આ જોઈને મકાનમાલિકનો પાંચ વર્ષનો દીકરો વ્યાકુળ થઈ ગયો. એણે આંખમાં આંસુ સાથે મરેલા પક્ષીને જોયું અને પછી મંડેલાને પૂછ્યું કે એને શા માટે મારી નાખ્યું? બાળકે કહ્યું, એની મા બહુ દુઃખી થઈ જશે.” એ વખતની પોતાની લાગણી વર્ણવતાં મંડેલા કહે છે કે મારો મૂડ તરત બદલી ગયો. પહેલાં ગર્વની લાગણી હતી તેની જગ્યા શરમે લઈ લીધી. મનેલાગ્યું કે નાના બાળકમાં મારા કરતાં તો બહુ ઘણી માનવતા ભરી છે. દેશના નવા બનેલા ગૅરિલા આર્મીના વડા માટે વિચિત્ર ક્ષણ હતી.” પરંતુ જે રાજદ્વારીના અંતરતમમાં આવી ગાઢ શાંતિપ્રિયતા ભરી હોય (અને યાદ રાખશો કે મંડેલા પોતાને શાંતિવાદી નહોતા માનતા) તો જ એ એક પક્ષીને મારી નાખવાની ઘટનામાંથી દાર્શનિક બોધપાઠ તારવી શકે.

મંડેલાની આત્મકથામાં ઘણી જગ્યાએ એમની દ્વિધા વ્યક્ત થાય છે, પરંતુ એને કારણે એમનો મોભો નીચે જવાને બદલે ઉપર જાય છે. એનું કારણ એ કે, ગાંધીજીની જેમ એમનું કામ શબ્દો અને થિયરીઓ કરતાં વધારે બુલંદ અવાજે બોલે છે. આમ કેમ છે? મંડેલા જે રાજ્ય સામે જીવનભર લડતા રહ્યા તેના જ સર્વોચ્ચ નેતા બન્યા, પરંતુ એમણે આખી જિંદગી સત્તા માટે ગાળી એમ કહેવામાં એમને અન્યાય નથી થતો? દુષ્ટતાપૂર્ણ પોલીસ રાજના હાકેમોએ એમને લગભગ ત્રણ દાયકા જેલમાં ગોંધી રાખ્યા અને એમની માતાના અંતિમ સંસ્કાર માટે પણ જવા ન દીધા. પરંતુ એ લોકો સામે પણ એમના મનમાં લેશમાત્ર કિન્નાખોરીની ભાવના નહોતી. આ કારણે મંડેલા આપણી સમક્ષ એક એવી વ્યક્તિ તરીકે ઉપસ્થિત થાય છે, જેની ગરિમા હંમેશાં અક્ષુણ્ણ રહેતી હોય. મને લાગે છે કે એમના આ જ ગુણને લીધે બદલાની ભાવના એમને સ્પર્શી ન શકી જે હિંસાનું મૂળ છે. એટલે જ, ફાવે તે તારણ કાઢો, દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરોધી સંઘર્ષ ક્રાન્તિકારી હિંસા અને ત્રાસવાદને કારણે નહીં પણ વિશ્વવ્યાપી અણગમા અને વિરોધની સામે એની સંસ્થાઓના રાજકીય અને નૈતિક હ્રાસને કારણે સફળ રહ્યો.

મુક્તિ પછી પણ મંડેલાની સરકારે એ જ ભાવનાથી કામ ચાલુ રાખ્યું અને સત્ય અને સમાધાન કમિશન’ની રચના કરી. આ અનોખા પ્રકારના કાનૂનમાન્ય સંગઠનનું કામ હતું, માનવ અધિકારોનું ક્રૂરતમ દમન કરનાર અપરાધી પોતાનો ગુનો કબૂલ કરે તો એને માફી આપવાનું. એના કામમાં ઘણી અડચણો આવી, જે સ્વાભાવિક જ છે. અત્યાચારી અને અત્યાચારના વિક્ટિમની વચ્ચે મધ્યસ્થી કરવા માગતું તંત્ર ઘણી સમસ્યાઓનો સામનો કરે જ, વળી, બન્ને પક્ષોને એ અળખામણું લાગે, એ ઓછું મહત્ત્વનું કારણ નથી. આમ છતાં, આ કમિશનનું કામ માનવીય સંવેદનાઓને આધારે જૂના જખમો રુઝાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ હતો. મને આ તબક્કે પકાયાનિયે (પસ્તાવો) નામની એક રશિયન ફિલ્મ યાદ આવે છે. ગર્બાચ્યોવના જમાનાની આ ફિલ્મમાં સ્તાલિનવાદની ટીકા કરવામાં આવી છે. ફિલ્મનું મુખ્ય પાત્ર ભૂલ, અપરાધ અને પાપ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરે છે. એ કહે છે કે ભૂલો સુધારી શકાય, અને અપરાધની સજા થઈ શકે પણ પાપનો ઉપાય તો એક જ છે – પસ્તાવો. આ શક્ય છે અને વેરની વસુલાત કે કિન્નાખોરી કરતાં વધારે સંતોષકારક રીત છે, એ જાન્યુઆરી ૧૯૯૪માં ગુજરાતમાં બનેલી એક ઘટના સિદ્ધ કરી આપે છે. બાબરી મસ્જિદ ધ્વસ્ત થઈ તે પછી મહેસાણા જિલ્લાના સિદ્ધપુરમાં ફાટી નીકળેલાં રમખાણોનો ભોગ બનેલા હજારો લોકો એકઠા થયા અને શાંતિ માટે સોગંદ લીધા, ખૂનીઓએ પોતાનાં પાપ કબૂલ્યાં અને વિક્ટિમોનાં કુટુંબીજનોએ એમને માફ કર્યા. સિદ્ધપુરના નાગરિકોએ જબ્બરદસ્ત પરિપક્વતાનો પરિચય કરાવ્યો. આ જ જાતની સ્થિતિમાં સપડાયેલા લોકો માટે એ એક અનુકરણીય દૃષ્ટાંત છે. ઉપયોગમાં લીધેલાં સાધનો અને સિદ્ધ થયેલા ઉદ્દેશો વચ્ચે, સજાની જરૂર અને સુધારની જરૂર વચ્ચે, વ્યક્તિના અંતરાત્મા અને સામાજિક હિત વચ્ચે ન્યાય અને સામાજિક વ્યવસ્થા સંતુલન માગે છે. ક્યારેક આ બધું પરસ્પર ટકરાય પણ ખરું, પરંતુ એમનો સમન્વય તો માત્ર સામાજિક નૈતિકતાથી જ આવી શકે. અલબત્ત, દરેક સમાજમાં સ્વીકારવામાં આવેલાં નૈતિક ધોરણો અને સ્વીકાર્ય બનેલાં સમાધાન એક જ પ્રકારનાં નહીં હોય. આનાં બે બહુ જાણીતાં ઉદાહરણ છે, પૅલેસ્ટાઇનીઓ અને આયરિશ રાષ્ટ્રવાદીઓ. બન્ને અત્યારે હિંસક સંઘર્ષમાં છે અને કદાચ એમના લક્ષ્યને પ્રાપ્ત પણ કરી લેશે, પરંતુ અંતે જો એમનામાં સમાધાન કરવાની હિંમત હશે અને અહિંસાના આધારે વિકસેલાં સાધનો વાપરશે તો જ એ શક્ય બનશે.

વાવશો તેવું

આજની સ્થિતિનું સત્ય શું છે? આજે સામાન્ય સમજ તો એમ કહે છે કે પૈસા ખરચતાં બધું થઈ શકે. આજે મૂળ વસ્તુ કરતાં એની આકૃતિની કિંમત વધારે છે. ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું અપહરણ થઈ ગયું છે અને સત્તાની સ્પર્ધામાં એનો ઓજાર તરીકે ઉપયોગ થાય છે. સત્યનો ખ્યાલ, આ સંયોગોમાં નકામો બની ગયો હોય એમ લાગે છે. દાખલા તરીકે સિગરેટની જાહેરખબરમાં સિગરેટ પીનારો બહુ આનંદ લેતો હોય, અતિ તંદુરસ્ત હોય એમ દેખાડતા હોય છે, પણ વાસ્તવમાં સિગરેટ પીવાથી કૅન્સર અને હૃદયની બીમારીઓ થાય છે. બીજો દાખલો લઈએ. મે ૧૯૯૨માં દૂરદર્શને કટ્ટર હિન્દુ રાષ્ટ્રવાદી વી. ડી. સાવરકરની પ્રશસ્તિ કરતો કાર્યક્રમ રજૂ કર્યો. એમાં એ પણ ન કહ્યું કે સાવરકર મહાત્મા ગાંધીની હત્યાના મુખ્ય આરોપી અને હત્યાનું કાવતરું ઘડનારાના મુખિયા હતા. આપણે એ પણ નોંધ લેવી જોઈએ કે બાબરી મસ્જિદ વિશે પણ ભાષા કેવી બદલાતી રહી છે. એ પહેલાં મસ્જિદ હતી, પછી વિવાદિત ઇમારત બની ગઈ. બહુ સારી જાહેરખબરો (અને પ્રચાર ઝુંબેશો) પણ તથ્ય અને કલ્પના, સંદેશ અને ગેરમાહિતીનું મિશ્રણ હોય છે. આ બધામાં સત્યની ફિકર ક્યાં જોવા મળે છે? બસ, ‘ઇમેજ’ વિશ્વાસપાત્ર છે કે નહીં, ભલે ને એ સત્ય ન હોય. આમ છતાં સમાજ સત્યની વિભાવનાને કોરાણે મૂકી ન શકે. ભૌતિકશાસ્ત્રના નિયમોનો નાપાક હેતુઓ માટે ઉપયોગ ભલે થતો રહે, પણ એ રાજકીય કાવાદાવાને અધીન નથી જ નથી. એ જ રીતે સામાજિક ક્ષેત્રમાં પણ દમન અને શોષણ જેવાં વરવાં સત્યોને દાયકાઓ પછી ફરી પ્રગટ થવાની ટેવ હોય છે. સત્યની વિભાવનાના સામાજિક મૂલ્યની અન્ય બાંહેધરીઓ જનતાની પ્રજાતાંત્રિક આકાંક્ષાઓ અને પારદર્શક સંસ્થાઓ છે.

સત્ય એક એવો શબ્દ છે કે જેના ઘણા અર્થ થાય છે. એનો સૌથી સાદો અર્થ વાસ્તવિકતા કે આદર્શ સ્થિતિ થાય છે. બન્ને દૃષ્ટિએ એમાં ખોજનો અર્થ નિહિત છે. એ એક આદર્શ અને માપદંડ છે. એ કદાચ કદીયે પૂરું સિદ્ધ ન થાય, તેમ છતાં એને સિદ્ધ કરવાના પ્રયાસ નકામા નથી. પરંતુ અમુક પ્રકારનાં માનસ માટે સત્ય એક ખોજ નથી, એ અવતરિત જ્ઞાન, એટલે કે, માન્યતા છે. આ રીતે પ્રગટ થયેલું એક સત્ય જો એના જેવાં જ બીજાં પ્રગટ થયેલાં સત્યોથી જુદું ન પડતું હોય તો કંઈ ટક્કર નથી થતી. પરંતુ વાસ્તવિક જીવનમાં બે જુદી જુદી માન્યતાઓના અનુયાયીઓ સહઅસ્તિત્વના વિચાર માત્રને સાંખી લેવા તૈયાર નથી હોતા; એ પોતાની માન્યતાને અકાટ્ય સત્યમાં ફેરવી નાખે છે અને શસ્ત્રોથી સજ્જ થવા લાગે છે. પરિપૂર્ણતાવાદની ખાસિયત જ છે કે એ મતભેદનો જવાબ માત્ર હિંસાથી આપશે.

ગાંધીજીની હિંસા વિરુદ્ધની દલીલની છણાવટ કરતાં પારેખ લખે છેઃ જે કૃત્યોમાં પાછા વળવાનો રસ્તો હોય તેમનેવાજબી ઠરાવવા માટે અકાટ્ય જ્ઞાનની જરૂર પડે છે.” એમાં હું ઉમેરવા માગું છું કે અકાટ્ય જ્ઞાન ધરાવનારા વહેલામોડા અવશ્ય એવાં કૃત્યો કરશે કે જેમાંથી પાછા ફરી ન શકાય. આનું આપણે ઝીણવટભર્યું અવલોકન કરશું તો સમજી શકાશે કે હિંસક રીતો અસરકારક હોવાનું ખુલ્લી કે છૂપી રીતે માનતી, ડાબેરી કે જમણેરી વિચારધારાઓ સામાન્ય રીતે અધિકારવાદી આપખુદ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને પાંગરી હોય છે. આથી જ ગાંધીજીએ હંમેશાં સત્યના ‘પ્રયોગોની વાત કરી અને ભારપૂર્વક કહ્યું કે સત્યની ખોજ અહિંસામાં અડગ વિશ્વાસ સાથે જ કરવી જોઈએ. ૧૯૧૯નાં આંદોલનોને પગલે, ગાંધીજી અમદાવાદમાં લૉર્ડ હંટરના વડપણ હેઠળની ડિઝૉર્ડર ઇંક્વાયરી કમિટી સમક્ષ ઉપસ્થિત થયા. લૉર્ડ હંટરે એમને પૂછ્યું કે ગવર્નરોનું કામ કાયદાનું પાલન થાય તે જોવાનું છે અને જે લોકો કાયદાનો ભંગ કરવાનો પોતાનો ઇરાદો જાહેર કરતા હોય તેમને સજા કરવાનું છે; આ બાબતમાં એમનો વિચાર શું છે? ગાંધીજીએ જવાબ આપ્યો કે અન્યાયી કાયદાઓનો વિરોધ કરતા અહિંસક સત્યાગ્રહીઓ ખરેખરા સર્વશ્રેષ્ઠ બંધારણવાદીઓ છે. હંટરે કહ્યું કે કાયદો ન્યાયી છે કે અન્યાયી, તે વિશે મતભેદ પણ હોઈ શકે. ગાંધીજીએ જવાબ આપ્યો કે એ જ કારણે તેઓ અહિંસા પર ભાર મૂકે છે. એમણે કહ્યું કે સત્યાગ્રહી પોતાના વિરોધીને સ્વતંત્ર નિર્ણયનો અધિકાર આપે છે. ગાંધીજી પોતાનું લક્ષ્ય સત્યની ખોજનું હોવાનું કહેતા, તેને લઈને કમિટીના બીજા એક સભ્ય સર ચિમનલાલ સેતલવાડે એમને સાણસામાં લેવાની કોશિશ કરીઃ માણસ ગમે તેટલોપ્રામાણિકતાથી સત્યની ખોજ કરે સત્ય વિશેના એના ખ્યાલ બીજાના ખ્યાલ કરતાં જુદા હોઈ શકે છે. તો સત્ય શું છે તે કોણનક્કી કરશે?” રીથી ગાંધીજીએ એક જ વાત પકડી રાખી. સત્યનાં અર્થઘટનો જુદાં હોય છે, તે જ કારણસર એમના સંઘર્ષમાં અહિંસા એક અનિવાર્ય અંગ છે.

મારો તો ખ્યાલ છે કે આમાં આપણા સમયની સૌથી વધારે ચકચારભરી દાર્શનિક ચર્ચામાં ગાંધીનું સાદું પણ ગહન ગંભીર પ્રદાન રહેલું છે. એમાં એક કરતાં વધારે અસ્મિતાઓનો, અર્થનાં અનેક પાસાંઓનો સ્વીકાર અને સાર્વત્રિકતાના દાવાઓનો નકાર છે. ગાંધીજી દાર્શનિક નહોતા, પરંતુ આજની (ઉત્તર-આધુનિક) ‘સાપેક્ષતાવાદી’ ચિંતનધારાને અનુસરીને આપણે અર્થના બહુત્વનો સ્વીકાર કરીએ તો નીરક્ષીરન્યાયનાં ધોરણો પડી ભાંગે છે. આવી અનિર્ણયની સ્થિતિમાં ગાંધીજીનો અભિગમ એક મૂલ્યની સ્થાપના કરે છે. ગાંધીજી અર્થ-બહુત્વનો સ્વીકાર કરે છે પણ તે સાથે એમનો એવો પણ આગ્રહ છે કે એક એવું નૈતિક ધોરણ અવશ્ય છે જેની સામે બધાં સાપેક્ષ સત્યોની ચકાસણી થઈ શકે – એટલે કે અહિંસાના માર્ગે લાધેલું સત્ય જ આપણું સત્ય બની શકે. આ દૃષ્ટિએ જોતાં ગાંધીજી એક પ્રખર સર્વકલ્યાણવાદી માનવતાવાદી તરીકે આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. મનુષ્યને મનુષ્યત્વથી નીચેની શ્રેણીમાં મૂકીને એને ભેદભાવ, અન્યાય અને હિંસાનો ભોગ બનવાને લાયક ઠરાવવા માટે એમણે સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય તફાવતોનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો. આનો અર્થ એ નથી કે એમણે પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ પણ મુલતવી રાખી દીધો હતો અથવા ધાર્મિક વ્યવહારો, સંસ્કૃતિઓ અને વિચારધારાઓ વિશે પોતાના અભિપ્રાય બાંધવાનું જ બંધ કરી દીધું હતું.. એમના પોતાના વિચારો હતા, સારાસારનો નિર્ણય પણ જાતે જ લેતા હતા. એમનું કહેવાનું માત્ર એટલું જ હતું કે વિખવાદોનો નીવેડો લાવવાના રસ્તા શોધો, ચર્ચાઓ આને દલીલોનો માર્ગ પકડી રાખો, માનવીય ગરિમા સાથે મતભેદો દૂર કરવાના અથવા તો મતભેદો છતાં, સાથે મળીને જીવવાના ઉપાય શોધો.
આપણા સમાજે પોતાનો જ કેટલો વિનાશ કર્યો છે અને હજી કેટલો વિનાશ કરવા સજ્જ થાય છે તેનો જરાક પણ વિચાર કરતાં અહિંસક સંસ્કૃતિની આવશ્યકતા આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. એક અંદાજ પ્રમાણે આપણા દેશમં ૨૫૦ લડાઈઓ થઈ છે અને લડાઈઓ અને જાતિગત સંઘર્ષોમાં ૧૧ કરોડથી વધારે જાન ગયા છે. છેલ્લા કેટલાયે દાયકાઓથી નાગરિકોનાં મોતનો આંકડો વધતો જાય છે. આજના પરમાણુ શસ્ત્રોના ભંડારની મારક ક્ષમતા ઘટી હોવા છતાં એ હજી પણ ૮૦૦ મેગાટન (એટલે કે ૮૦૦ કરોડ ટન) TNT છે. બીજા વિશ્વયુદ્ધ, કોરિયન યુદ્ધ અને વિયેતનામ યુદ્ધમાં જેટલી કુલ વિસ્ફોટક ક્ષમતાનો ઉપયોગ થયો તેના કરતાં આ આંકડો ૨૨૭ ગણો મોટો છે. ૧૯૬૦ અને ૧૯૯૪ વચ્ચે વિકાસશીલ દેશોએ શસ્ત્રો ખરીદવા પાછળ ૭૭૫ અબજ ડૉલર ખર્ચ્યા. દુનિયામાં શસ્ત્રોની ખરીદી પર જેટલો કુલ ખર્ચ થયો તેના ૬૯ ટકા તો વિકાસશીલ દેશોએ ખર્ચ્યા. ૧૯૯૫માં ૨ કરોડ ૨૪ લાખ સ્ત્રી-પુરુષો દુનિયાનાં લશ્કરોમાં યુદ્ધસેવાઓ માટે હતાં, જેમાંથી ૬૫ ટકા વિકાસશીલ દેશોમાં હતાં. વિકાસશીલ દેશોના શાસકોના વિકૃત સામાજિક દૃષ્ટિકોણની કિંમત એમની જનતા ભોગવે છે. અંશમાત્ર ડહાપણનો ઉપયોગ કરીએ તો એ વાત સમજાઈ જશે કે માનવજાત મૃત્યુની ઇચ્છાના સંમોહનમાં ઝકડાઈ ગઈ છે.

અહિંસા તો સંયમનું બીજું નામ માત્ર છે. અહિંસામાં ગાંધીજીની નિષ્ઠાએ આપણા સમાજ પર ઘેરી અસર કરી છે. જો કે, એ ખરું કે આપણા દેશમાં લોકશાહીની મજલ હજી બહુ લાંબી છે. ભારતીય પ્રજાસત્તાકના ભવિષ્યની ચિંતા કરવાની આજકાલ ફૅશન ચાલી નીકળી છે. એની બધી ઉણપો માટે પ્રજાસત્તાક ભારતના સ્થાપકોને જવાબદાર ઠેરવવામાં આવે છે. મહાસતાઓના સ્વાર્થના દબાણ, દાવાનળી વૈશ્વિક મૂડીવાદની અસરો અને આપણા શાસક વર્ગની સ્વાર્થ લોલુપતા પણ આપણી સમસ્યાઓ માટે વધારે જવાબદાર હોઈ શકે છે. આપણે એ યાદ રાખવું જોઈએ કે ભારત હજી કોમવાદી રાજકારણના આપખુદ દર્શન સામે ઘૂંટણિયે નથી પડ્યું કે મિલિટરીના બૂટની એડી તળે નથી ચંપાયું. આનું એક કારણ રાષ્ટ્રીય મુક્તિ માટેના આપણા જન આંદોલનમાં રહેલું છે. આ આંદોલને, એની તમામ ત્રુટિઓ છતાં અહિંસક રાજકીય કાર્યક્રમના આધારે સાર્વભૌમત્વ હાંસલ કર્યું છે.

દિલ્હીમાં જ્યાં ગાંધીજીની હત્યા થઈ હતી તે સ્થાન – ગાંધી સ્મૃતિ – ની મુલાકાતે દરરોજ હજારો લોકો આવે છે. આમાંથી મોટા ભાગના ગ્રામજનો હોય છે, તેઓ મહાત્માજીને ભક્તિભાવપૂર્વક યાદ કરે છે. કદાચ કુલીન વર્ગે એમને એક ‘આઇકન’ બનાવી દીધા હશે કે ઉચ્ચ મધ્યમ વર્ગ ગાંધીજી પ્રત્યે અજ્ઞાન અને તુચ્છકારથી જોતો હશે પણ અદના ભારતીય જનો હજી ગાંધીને ભૂલ્યા નથી. ગાંધીએ દરેક હૈયાને સ્પર્શ કરીને માનવજાતના સંવાદમાં કાયમી સ્થાન જમાવી લીધું છે. માનવજાતને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હશે તો સંયમ અને કરુણા વિના ચાલશે નહીં. વધારે માનવીયતાપૂર્ણ, ઓછા પાશવી અને વધારે સભ્યતાપૂર્ણ અસ્તિત્વની આપણી ઝંખના હોય તો એને મૂર્ત રૂપ આપવા માટે જે જોશ અને આશાવાદ જોઈએ તે પેદા કરવામાં મોહનદાસ કરમચંદ ગાંધીના જીવન અને એમના અહિંસાના સંદેશની ભૂમિકા નાનીસૂની નહીં જ હોય.

સંદર્ભ સૂચી

  • Bhikhu Parekh, Colonialism, Tradition and Reform: An Analysis of Gandhi’s Political Discourse; Nelson Mandela, Long Walk To Freedom;
  • Dennis Dalton, Gandhi During Partition: A Case Study in the Nature of Satyagraha (an article in the volume: The Partition of India: Policies and Perspectives 1935-1947 C..H. Philips and M. D. Wainwright);
  • D.G. Tendulkar, Mahatma: Life of Mohandas Karamchand Gandhi;
  • Joan Bondurant, Conquest of Violence;
  • Steven Runciman, A History of the Crusades,
  • Friedrich Heer, The Medieval World,
  • Mahadev Desai, The Gita According to Gandhi;
  • M.K. Gandhi, The Bhagvadgita and
  • Ruth Leger Sivard, World Military and Social Expenditures – 1996.
  • The Futility of Common Sense: An Essay on Ahimsa was published in Eye Magazine, Vol 5, no.1, October-December 1997, and in Rukmini Sekhar (ed), Making a Difference – a Collection of Essays,Spic-Macay, New Delhi, 1998.

Part 2 of ‘Futility of Common Sense’ an Article by Dilip Simeon in Gujarati

–  દિલીપ સિમ્યન

– નિબંધનું ગુજરાતી રૂપાંતરણઃ દીપક ધોળકિયા

તા. ૧૫-૬-૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ ભાગ ૧(‘Futility of Common Sense’ an Article by Dilip Simeon in Gujarati)થી આગળ

Dr. Dilip Simeon

એક બાજુ તલવાર જાણે આશીર્વાદનું વાહન હોય તેમ માનતો કૅથૉલિક પોપ હતો તો બીજી બાજુ હતું ઈસ્ટર્ન ચર્ચ, જે એમ માનતું કે ધર્મનો પ્રચાર માત્ર આધ્યાત્મિક સાધનો દ્વારા જ થઈ શકે. જો કે તુર્કોએ ઇસ્તન્બુલના ખ્રિસ્તીઓ માટે એવી સ્થિતિ ઊભી કરી હતી કે એમને લૅટિનો સાથે સમાધાન કર્યા વિના ચાલે જ નહીં; તેમ છતાં, ક્રુઝેડી સૈન્યોની પૅલેસ્ટાઇન તરફની કૂચ દરમિયાન જે વર્તણૂક રહી તેનાથી બન્ને સંપ્રદાયો વચ્ચે ખાઈ બની ગઈ. ૧૨૦૪માં ચોથા ક્રુઝેડ વખતે ઇસ્તન્બુલમાં એમણે જે લૂંટફાટ મચાવી તે સાથે નવો વળાંક આવ્યો. પહેલાં એમણે ઇસ્તન્બુલને વચન આપ્યું હતું કે તેઓ તુર્કો સામે એમનું રક્ષણ કરશે, એ જ લોકોની નવી પેઢીએ એમના પર કાળો કેર વર્તાવ્યો. ઇસ્તન્બુલના ખ્રિસ્તીઓ ક્રુઝેડરોને ‘ફ્રૅન્કિશ બાર્બેરિયન્સ’ તરીકે ઓળખતા. ફારસીના ‘ફિરંગી’ શબ્દનો મૂળ અર્થ છેઃ ફ્રાન્સનો, અથવા ઈટલીનો અથવા યુરોપનો. એના મૂળમાં અરબી શબ્દ ‘ફ્રાન્જ’ છે. એ શબ્દ ક્રુઝેડોના સમયની અમાનુષી જંગાલિયત માટે વપરાતો અને અહીં આપેલા વિવરણને ધ્યાનમાં લેતાં એમાં નવાઈ પણ નથી. આમ આપણો પોતાનો હિન્દુસ્તાની શબ્દ ‘ફિરંગી’ જેરુસલેમના જન સંહાર માટે જવાબદાર જુલમગારો પ્રત્યેની ઘૄણામાંથી જન્મ્યો છે.

આ બધી કિંવદન્તિઓ છે અને એની અસર આજે પૅલેસ્ટાઇનીઓ અને ઇઝરાએલ વચ્ચે, આરબો અને પશ્ચિમી જગત તેમ જ મુસ્લિમો અને ખ્રિસ્તીઓ વચ્ચે જે જાતના સંબંધો છે તેના પર પડી છે કે નહીં તેનો નિર્ણય હું વાચકો પર છોડું છું. પરંતુ એ પણ ખરું કે દુનિયાના એક ભાગમાં – મધ્યપૂર્વ અને એની બહાર પણ – હજી પણ એની હિંસક અસરો દેખાય છે.

જો કે સામાન્ય ખ્રિસ્તી જનતામાં એક વ્યવહારુ વલણ હતું. ક્રુઝેડ પછી એમણે શાંતિ આંદોલનોને ટેકો આપવાનું શરુ કર્યું. એક દાખલો લઈએ. ફ્રાન્સના કવિ રિત્બફે પવિત્ર યુદ્ધો અને પવિત્ર ધર્મસ્થાનો વિશે બહુ શાણપણભરી વાત કરી છેઃ

પત્નીબાળકોને છોડીને, બધું સુખચેન છોડીને
જવાનું છે મારે કોઈ વિદેશી ભૂમિને જીતવા?
બદલામાં શું આપશે ભૂમિ મને?
અરે, પ્રભુની પૂજા જેરુસલેમ જઈને કાં કરું?
પેરિસમાં કેમ નહીં?.

સ્વર્ગમાં જવા માટે મંદર પાર જવું પડે?
ધરતી પરના બધા ખજાના હડપ કરી લીધા છે
ધનકુબેરો અને પુરોહિતોએ.

હશે એમને જરૂર કદાચ યુદ્ધે ચડવાની.

હું તો મારા પાડોશી સાથે શાંતિથી રહું છું….

હજી મને એમનાથી કંટાળો નથી આવતો
એટલે
(સુલતાન મને પરાણે ધકેલે તો)
મારે કોઈ યુદ્ધ શોધવા નીકળવું પડે તેમ નથી.

હું એના માટે
મારા મગજને તસ્દી નહીં આપું.
તમે સૌપ્રોમિસ્ડ લૅન્ડમાં જાઓ છો અને ત્યાં
વધારે પવિત્ર થઈ જતા હશો,
પરંતુ પાછા ફરો છો

ત્યારે તો
વધારે અઠંગ ડાકુ બની ગયા હો છો …..

ઈશ્વરનો વાસ સર્વત્ર છે,
તમારે મન
ઈશ્વર માત્ર જેરુસલેમમાં હશે
પણ મારે મન તો
ફ્રાન્સમાં પણ છે.

સાત સદી પહેલાં એક ફ્રેન્ચ કવિનું લખેલું આજના ભારતમાં પણ કેમ પડઘો પાડે છે? શું એ કારણે કે, હજી તો માત્ર સાડાચાર વર્ષ પહેલાં એક મસ્જિદને તોડી પાડવા લાખો ભારતીયો બદલાની ભાવનાથી તત્પર થયા હતા? ૧૬મી સદીમાં થયેલી તોડફોડનો બદલો લેવા એક મસ્જિદને ધ્વસ્ત કરી દેવાનું એમને શું ખરેખર વાજબી લાગતું હતું? શું એ કારણ છે કે અયોધ્યા નામની નગરીમાં હવે મુસલમાનો વસતા જ નથી? સમયના લાંબા બોગદામાં ઊભો હોય તેને વિચાર આવે જ કે વેરની પ્યાસ કદી બુઝાતી નથી. અને વિક્ટિમોની નવી પેઢીઓ આવતી જાય છે અને સદીઓ સુધી એકબીજાને વિક્ટિમ બનાવતી રહે છે.

ગાંધીનું સત્ય

અહિંસાની વાત કરતા હોઈએ ત્યારે એના પ્રખર હિમાયતીના અભિગમને ધ્યાનમાં ન લઈએ એ તો બની જ ન શકે. જુવાનીમાં ગાંધીજીના શાંતિવાદી વિચારો માટે મને સૂગ હતી. યુવાનો સામાન્ય રીતે હિંસાને પૌરુષ અને અહિંસાને નબળાઈ માની લેતા હોય છે. અહિંસા ખરેખર જ હિંમત માગી લે છે, એ વિચાર જ મને ગળે ઊતરતો નહોતો. અમારું આંદોલન ગાંધીવાદી પરંપરાને ક્રાન્તિમાં અવરોધ માનતું હતું. રાષ્ટ્રીય આંદોલનના એમના નેતૃત્વને જબ્બરદસ્ત નિષ્ફળતા મળી હતી એમ અમે માનતા. મેં શરુઆતમાં જ હિંસાનો અંગત દાખલો આપ્યો છે તે ઉપરાંત ક્રાન્તિકારી આંદોલનોની નિષ્ફળતા અને કોમી નફરતમાં થયેલા વધારાને કારણે મને સમજાયું કે ગાંધીજીનું જીવન અને જે રીતે એમની આ દુનિયામાંથી વિદાય થઈ તે આજે પણ અર્થસભર છે. મને યાદ છે કે હિન્દીના એક ડાબેરી લેખકે ગાંધીજી વિશે એક લેખ લખીને અંતે એમના હત્યારા નાથુરામ ગોડસેનાં ફાટ્યે મોંએ વખાણ કર્યાં ત્યારે હું વ્યથિત થઈ ગયો હતો. એના પછી મારી આંખ ખૂલી કે હિંસક રાજકીય પરિવર્તનના ચાહનારાઓમાં એક જાતની ધ્રુજાવી દે એવી સમાનતા હોય છે. ભારતમાં ડાબેરીવાદના મુખ્ય પ્રવાહો હજી પણ ગાંધીનો સ્વીકાર નથી કરી શક્યા. એમની આ ત્રુટિનો જોટો માત્ર હિંસાના સિદ્ધાંતને સમજવાની એમની નિષ્ફળતામાં મળે છે. પરંતુ કોમવાદ છેલ્લાં પંદર વર્ષમાં જે રીતે ફૂલ્યોફાલ્યો છે તેથી હવે ડાબેરીઓ ગાંધીની નિષ્ઠા અને કોમી સુમેળ માટે એમણે આપેલા બલિદાન પ્રત્યે જાગૃત થયા છે. એમના આ કેવળ જ્ઞાનના પરિણામે જ જાન્યુઆરી ૧૯૯૩માં ગાંધીજીના શહીદી દિને દિલ્હીમાં એમણે એક ડેમન્સ્ટ્રેશનનું આયોજન કર્યું હતું.

ગાંધીજીના વિચારો બાબત ઘણી વાર થાપ ખાઈ જવાય છે. એનું કારણ એ કે એમણે ધર્મ અને રાજકારણને વેગળાં રાખવાનો સતત ઇનકાર કર્યો. ‘ધર્મ’ને બદલે ‘નૈતિકતા’ શબ્દ વાપરો અને ‘રાજકારણ’ને બદલે ‘સત્તા’ શબ્દ વાપરો, એટલે આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આપણામાંથી કોઈ એવું છે કે જે એમ માનતું હોય કે સત્તાનો ઉપયોગ નૈતિક ખ્યાલોને અભેરાઈએ ચડાવીને જ થવો જોઈએ? ગાંધીજી પોતાને કર્મયોગી માનતા હતા. આત્મ પ્રતીતિ અને સામુદાયિક મુક્તિ માટે નિઃસ્વાર્થ સાંસારિક કાર્ય કરવું તેને એ પોતાનું આધ્યાત્મિક કર્તવ્ય માનતા હતા. રાજકીય પ્રવૃત્તિ એમની નજરે સામાજિક કાર્ય માટેનું સર્વોત્તમ ક્ષેત્ર હતું, પરંતુ એમનો એ આગ્રહ પણ હતો કે આ કાર્ય અહિંસા અને આભડછેટની નાબૂદી જેવાં નૈતિક મૂલ્યોથી સિંચિત હોવું જોઈએ. પરંપરાગત હિન્દુ ‘ત્યાગી’નું ખાસ લક્ષણ આત્મરતિ છે અને ગાંધીજીએ એવાં સ્વાર્થપ્રેરિત લક્ષ્યોનો ત્યાગ કર્યો. એમને અંગત હેતુઓ માટે સત્તા નહીં, ભારતની જનતા માટે સાર્વભૌમત્વ જોઈતું હતું. એ જ કારણે એમનો જબ્બરદસ્ત નૈતિક પ્રભાવ રહ્યો. એમની નજરે, મોક્ષ અને આત્મસાક્ષાત્કાર સહિત આધ્યાત્મિકતાનાં બધાં સર્વશ્રેષ્ઠ ધ્યેયોની અભિવ્યક્તિ માટે એક જ શબ્દ પૂરતો હતો – સત્ય. એ જ એક શબ્દ ન્યાય અને નિષ્ઠા જેવાં મૂલ્યો માટે પણ પૂરતો હતો. એમના સત્યમાં અહિંસા અંતર્નિહિત હતી.. સત્ય પોતે પોતાની સાબીતી છે અને અહિંસા એનું સર્વોત્તમ ફળ છે”.એમના ઉદ્દેશ એકીસાથે આધ્યાત્મિક અને રાજકીય હતા અને સાધન અને સાધ્યનું સાયુજ્ય સાધીને એમણે આ ઉદ્દેશોની વ્યાખ્યાનો ભેદ ભૂંસી નાખ્યો. એમનો ધર્મ રાજકીય સત્તાની પ્રાપ્તિ માટેનું વ્યૂહાત્મક હથિયાર નહોતો, ઉલટું, એમનો વિચાર હતો કે નક્કર ધ્યેયો સિદ્ધ કરવા માટે રાજકીય ક્રિયાકલાપોને જ નૈતિકતાના રંગે રંગીને પારદર્શક બનાવવાની જરૂર છે.

ગાંધી ભલે ને રૂઢિવાદી દેખાય પણ એ તો સ્પષ્ટ છે કે એમણે પરંપરાઓ અને તત્કાલીન આધ્યાત્મિક ગુરુઓને પણ અંતરાત્માની કસોટીએ ચડાવ્યાં. તુલસીદાસ પત્નીને મારતા એ સાચું હોય તો પણ ગાંધી કહે છે કે રામાયણ પુરુષોપત્નીને મારતા હોય તેને વાજબી ઠરાવવા નથી લખાયું.” અને મહાભારતમાં હિંસાચારનું નિરૂપણ હોવા છતાં ગાંધી કહે છે કે વ્યાસે આ મહાકાવ્ય યુદ્ધની નિઃસારતા દેખાડવા માટે લખ્યું; મહાભારતમાં વર્ણવેલી લડાઈ તો બધા મનુષ્યોની અંદર ચાલતા શુભ અને અશુભ વચ્ચેના દ્વન્દ્વનું રૂપક છે. કર્મનું શુદ્ધતમ રૂપ પારિતોષિકની ઇચ્છા વિનાનું હોય તો હિંસા અને અસત્ય માટે તો બારણાં બંધ જ છે; એ બન્નેમાં સ્વાર્થ વસે છે. ગાંધીજી કહે છે કે સદીઓ વીતતાં ભાષા અને અર્થ બદલાય અને વિસ્તરે છે. અને કોઈ સુંદર કાવ્યકૃતિની ખૂબી હોય છે કે એના સર્જક કરતાં પણ મોટી હોય છે.” ગીતામાં પણ યુદ્ધનું નિરૂપણ હોવા છતાં ગાંધીજી આગ્રહપૂર્વક કહે છે કે મારા જીવનનાં ચાળીસ વર્ષ સુધી મેં ગીતાનો ઉપદેશ જીવનમાં ઉતારવાના અથક પ્રયાસ કર્યા પણ મારે નમ્રતાપૂર્વક કહેવું જોઈએ કે મારા ખ્યાલ પ્રમાણે દરેક પ્રકારે અહિંસાનુંઆચરણ કર્યા સિવાય સંપૂર્ણ અનાસક્તિ સિદ્ધ થઈ શકે.” એમનો અંતરાત્મા એમને માનવીય સમાનતા અને રાજકીય તથા સામાજિક સંઘર્ષોનું શાંતિપૂર્ણ સમાધાન શોધવા માટે ધકેલતો રહ્યો. જ્ઞાતિ પ્રથામાં રહેલી દમનકારી હિંસાને – અને હિંસાને વાજબી ઠરાવવા માટે જુદા જુદા ધર્મગ્રંથોમાં અને પરંપરાઓમાં રજૂ થયેલી દલીલોને – એમણે નકારી કાઢી. ધર્મના ક્ષેત્રમાં ગાંધીજીને સર્જકતાની નિશાની જ એ છે કે એમણે ભાષા તો પરંપરાગત વાપરી પણ સલાહ આપી, એ પરંપરાઓને સમૂળગી નકારી કાઢવાની.

સૌથી વધારે નોંધવા લાયક વાત એ છે કે એમના અહિંસાના સંદેશનો સૌથી વધારે ઊંડો પ્રભાવ ભારતમાં લડાયક મનાતી બે કોમો પર પડ્યો – શીખો અને પઠાણો. આજે બહુ થોડા લોકોને યાદ હશે કે અકાલી દળનો જન્મ જ ગુરુદ્વારાઓને અંગ્રેજોના ટટ્ટુ જેવા ભ્રષ્ટ મહંતના કબજામાંથી છોડાવવા માટે ચાલેલા અહિંસક આંદોલનમાંથી થયો છે. ૧૯૨૨નું ગુરુ-કા-બાગ આંદોલન એક સીમાચિહ્ન છે. ધાર્મિક હેતુ માટે લાકડાં કાપવા સામેના પ્રતિબંધનું અકાલી જથ્થાઓએ અહિંસક અને શાંતિપૂર્ણ માર્ગે ઉલ્લંઘન કર્યું. આ જથ્થાઓમાં કેટલાયે તો નિવૃત્ત સૈનિકો હતા અને પહેલા વિશ્વયુદ્ધમાં અંગ્રેજી સામ્રાજ્ય માટે લડ્યા પણ હતા. અંગ્રેજ પોલીસ અફસરો અને એમના હિન્દી સિપાઈઓએ નિર્દયતાથી ડંડા વરસાવ્યા. દેશને હલાવી દેનારા આ આંદોલનમાં ૧૫૦૦ ઘાયલ થયા અને પાંચ હજારને જેલ ભોગવવી પડી. ગાંધીજીના સાથી ચાર્લ્સ ઍન્ડ્રૂઝે આ પરમ નૈતિક સ્પર્ધા જાતે જોઈ અને લખ્યું કે આવી અમાનવીયતા કોઈ “અંગ્રેજના માન્યામાં ન આવે”. એમણે લખ્યુંદરેક પ્રહારને જુસ્સાથી સહન કરી લઈને એમણે એને વિજયમાં ફેરવી નાખ્યો.”

એ જ રીતે, લાલ ખમીસધારી ખુદ્દાઈ ખિદમતગારોએ વાયવ્ય સરહદ પ્રાંતમાં ચલાવેલું આંદોલન ૧૯૪૭ પહેલાના હિન્દુસ્તાનમાં રાષ્ટ્રીય સ્વાધીનતા અને સામાજિક ઉત્થાન માટેનું એક સૌથી ચુસ્ત ગાંધીવાદી આંદોલન હતું. ખુદાઈ ખિદમતગારના નેતા ખાન અબ્દુલ ગફ્ફાર ખાનને એના પછી જ ‘સરહદી ગાંધી’ એવું બિરુદ મળ્યું. એમણે શાંતિ, સહિષ્ણુતા અને આત્મસંયમ પર ભાર મૂકતા ઇસ્લામનો ઉપદેશ આપ્યો. ખુદાઈ ખિદમતગારોએ ૧૯૩૧માં નાગરિક અસહકાર આંદોલનમાં પણ આગળપડતો ભાગ લીધો. એમણે પેશાવરનો કબજો લઈ લીધો અને થોડા દિવસ શહેરનો વહીવટ પણ ચલાવ્યો. એમને દબાવી દેવા સરકારે ગઢવાલ રાઇફલ્સની રેજિમેન્ટ મોકલી. એમાં બધા હિન્દુઓ જ હતા પણ એમણે પઠાણ સત્યાગ્રહીઓ પર ગોળી ચલાવવાની સાફ ના સુણાવી દીધી. ૧૯૩૦ના દાયકામાં એક તુર્કી વિદુષીએ ફ્રંટિયર પ્રદેશની મુલાકાત લીધા પછી લખ્યું કે પઠાણોએ ‘તાકાત’નું નવું અર્થઘટન કર્યું છે. એમના શબ્દોમાં, દૃઢ અને નીડર માણસોએ દેખાડી આપ્યું છે કે અહિંસા માત્ર એક એવી તાકાત છે કે જેની સમાજ પર ચિરંજીવી અસર પડેછે ઘટના અભ્યાસ કરવા યોગ્ય છે.”

ગાંધીજીની હિંસાની સમજ એમની આધ્યાત્મિક આસ્થાઓમાંથી નીપજી છે. મહાભારતમાં દુષ્ટોની સાથે ભીષ્મ અને દ્રોણ જેવા સજ્જનો પણ હતા તેના પરથી ગાંધીજીએ તારણ કાઢ્યું કે દુનિયામાં અનિષ્ટ પોતાની મેળે ફાવે નહીં. માત્ર ઈષ્ટસાથે જોડાઈને પાંગરી શકે.” એમણે છેક ૧૯૨૬માં આ લખ્યું અને એ વિચાર પર ઠેઠ સુધી દૃઢ રહ્યા. ૧૯૪૦માં એમણે કહ્યું, ગુંડાઓ આકાશમાંથી ટપકતા નથી કે ભુતાવળની જેમ ધરતીમાંથી ફૂટી નીકળતા નથી. ગુંડાઓ સામાજિકછિન્નભિન્નતાની પેદાશ છે એટલે સમાજ એમના અસ્તિત્વ માટે જવાબદાર છેઆપણું સમગ્ર રાજતંત્ર કેટલું ભ્રષ્ટ છે તેનું પ્રતીક છે.” ૧૯૪૬નાં રમખાણો વખતે એમણે કહ્યું, બધો દોષ ગુંડાઓ પર નાખીને આપણા પોતાના માટે નૈતિક બહાનુંશોધી લેવાની ટેવની હું સખત ટીકા કરું છું. એમની પેદાશ અને એમને ઉત્તેજન આપવા માટે આપણે જવાબદાર છીએ.” ૧૯૪૭માં હિંસા ચરમ સીમાએ હતી ત્યારે પણ એમણે એ જ લખ્યું, શાંતિપ્રેમી વ્યક્તિઓ આગળ આવીને પોતાની વાતકહે અને ગુંડાઓને એકલા પાડી દે એવો સમયનો તકાજો છે. અહિંસક અસહકાર બધી જગ્યાએ અકસીર રહે એવો ઇલાજછે. ‘શુભસ્વતંત્રપણે અસ્તિત્વ ટકાવી શકે છે, પણઅશુભનહીં. શુભની અંદર અને એની આસપાસ પરોપજીવીતરીકે ટકે છે. શુભ એને ટેકો આપવાનું બંધ કરશે ત્યારે આપોઆપ ખરી પડશે…”

આઝાદી પૂર્વેના હિન્દુસ્તાનમાં નોઆખલી અને કલકત્તા જેવા શહેરમાં એમણે જે અધમાધમ પ્રકારની હિંસા જોઈ તેને ખાળવાના એમના પ્રયાસોની ફળશ્રુતિ રૂપે એમનું આ દર્શન પ્રગટ થયું છે. એ વખતે નજરે જોનારને માટે એ તો સાવ જ જાદુ હતો કે હિન્દુઓ અને મુસલમાનો હજારોની સંખ્યામાં ગાંધીજીની પ્રાર્થના સભાઓમાં જોડાતા અને ૧૯૪૭ના ઑગસ્ટમાં એમણે સાથે મળીને ઈદ ઊજવી. વાઇસરૉય માઉંટબૅટને એમને આ તાર મોકલ્યોઃ મારા વહાલા ગાંધીજી, પંજાબમાંઆપણે ૫૫ હજાર સૈનિકો મોકલ્યા છે, તેમ છતાં રમખાણો કાબુમાં નથી આવતાં. બંગાળમાં આપણું એક વ્યક્તિનું સૈન્ય છેઅને તો પણ રમખાણો નથી થતાંએક સેવારત અધિકારી તરીકે હું આપણાવન મૅન બાઉંડરી ફોર્સને માનાંજલિઆપવાની પરવાનગી માગું છું…” દિલ્હી ઍસેમ્બલીમાં મુસ્લિમ લીગે ઠરાવ કરીને કલકત્તામાં બે કોમો વચ્ચે શાંતિ અનેશુભેચ્છાનું વાતાવરણ સ્થાપવામાં શ્રી ગાંધીએ જે ભાગ ભજવ્યોતે બદલ એમનો હૃદયપૂર્વક આભાર માન્યો. એક જ મહિનાની અંદર, કલકત્તામાં ફરી રમખાણો ફાટી નીકળ્યાં અને ગાંધી એ ઉપવાસ આદર્યા ત્યારે એમની સાથે યુરોપીયનોના નિયંત્રણ હેઠળના આખા પોલીસ દળે પણ એક દિવસ ઉપવાસ રાખ્યો અને લોહીતરસ્યા ગુંડાઓ આવી આવીને પોતાનાં હથિયારો એમના ચરણે નાખવા લાગ્યા. કોંગ્રેસના કટ્ટર વિરોધી, અખબાર ધી સ્ટેટ્સમૅનના અંગ્રેજ તંત્રીએ જાહેર કર્યું કે હવેથી ‘શ્રી ગાંધી’નો ઉલ્લેખ એમની કૉલમમાં ‘મહાત્મા’ તરીકે થશે. ૧૯૪૭ની સ્થિતિનું બયાન કરવા માટે ગાંધીજીએ જે તર્ક વાપર્યો છે તેનો ઉપયોગ કરીને આપણે કહી શકીએ કે હિંસા અને અહિંસા વચ્ચેનો સંઘર્ષ, ગુંડાઓ હોય કે સભ્ય સમાજ, પ્રત્યેક હૃદયમાં ચાલતો હતો.

ઘણા માને છે તેમ, ગાંધી નામનો આ જણ જડસૂ આદર્શવાદી નહોતો. એમણે માન્યું જ છે કે સંપૂર્ણ અહિંસા એટલે બધી જ પ્રવૃત્તિઓ સંપૂર્ણ બંધ કરી દેવી, જે સામાન્ય લોકોની જરૂરિયાતો સાથે સુસંગત નથી. એમણે દમનકારીઓની હિંસા અને પીડિતોની હિંસા – સ્વબચાવની હિંસા – માં પણ ભેદ કર્યો. ગાંધીજી માનતા કે આત્મરક્ષણ માટેની હિંસા આક્રામક હિંસા કરતાં નૈતિક રીતે વધારે સારી છે. ગાંધીની વ્યાખ્યા પ્રમાણે સ્વાર્થસિદ્ધિ માટે કે માત્ર આચરવા ખાતર કરાયેલી હિંસા એ જ ખરી હિંસા છે. ગાંધીજીએ સ્વહિત અને સ્વાર્થ વચ્ચે પણ અંતર દેખાડ્યું. સ્વહિત એટલે ગરિમાપૂર્ણ માનવીય જીવન જીવી શકાય એવી પરિસ્થિતિઓ ઊભી કરવી; જ્યારે સ્વાર્થ એટલે પોતાનાં હિતોને સૌનાં હિતોની ઉપર મૂકવાં અને બીજાના ભોગે પોતાનું હિત સાધવું. હિંસક વિચારો જોખમી છે કેમ કે એ જ હિંસક આચારને જન્મ આપવાની સ્થિતિઓ સર્જે છે. બીજાને ઉતારી પાડવા એ પણ હિંસા જ છે. ગાંધીજીનું મૂલ્યાંક્ન એ હતું કે રાજસત્તા હિંસાનું સંસ્થાકીય અને સંકેન્દ્રિત રૂપ છે અને એમનો પાકો મત હતો કે રાજસત્તાના આવા સ્વરૂપનું કારણ એ કે તે સિવાય એક અન્યાયી અને શોષક સમાજવ્યવસ્થાને ટકાવી ન શકાય. એમણે ભાર દઈને કહ્યું કે આત્યંતિક સ્થિતિમાં કાયરતા કરતાં હિંસા વધારે સારી છે. અન્યાય અને દુષ્કૃત્યો સામે નિષ્ક્રિયતાને વાજબી ઠરાવવા માટે અહિંસાનું નામ વાપરવું તેનો એ વિરોધ કરતા. એમની સલાહ હતી કે સ્ત્રી જો બળાત્કારી સામે અહિંસક રીતે ન વર્તી શકે તો એણે પૂરી શક્તિથી એનો સામનો કરવો જોઈએ.

છેવટે તો, ભીખુ પારેખ કહે છે તેમ ગાંધીને એ વાત ગળે ઊતરી ગઈ હતી કે હિંસાના શાસનનો અંત હિંસામાં ઉમેરોકરવાથી આવે”. હિંસાને વાજબી ઠરાવવા માટે જે વાહિયાત દલીલો આગળ ધરવામાં આવે છે એમાં ભારે જોખમ છે; જેમ કે “માણસના સ્વહિત માટે પ્રકૃતિનો ભોગ લઈ શકાય”, અથવા “રાજ્ય એક દમનકારી મશીન હોય તો પણ એને ટકાવી રાખવાની જરૂર છે” કે પછી, “દમનનો વિરોધ ક્રાન્તિકારી હિંસાથી જ થાય” ગાંધીજી, પારેખના શબ્દો વાપરીએ તોમાનવીય જીવનમાં મર્યાદિત હિંસાની સહ્ય સ્વીકૃતિને જેટલી સહેલાઈથી વ્યાપક સ્વીકૃતિ બનાવી દેવાય છે તેનાથી ભારેચિંતિત હતા. આ રીતે માણસ હિંસાને અપવાદમાંથી નિયમમાં ફેરવી નાખે છે. એક વાર એવું થાય તે પછી માણસોઅપવાદોનો લાભ લેતા રહેશે અને વિકલ્પ શોધવાનો પ્રયત્ન પણ નહીં કરે.” એમની દૃષ્ટિએ સામાજિક અને રાજકીય કાર્યકરો અહિંસાની તાલીમ લે એનું મુખ્ય કારણ જ એ હતું, કારણ કે એમની વ્યાખ્યા પ્રમાણે અહિંસા એટલે માત્ર હિંસાનો અભાવ નથી, પરંતુ એમાં કરુણાનું વિધાયક મૂલ્ય છે. અહિંસાને નૈતિક આદર્શનું સ્થાન આપવામાં એમને આશા હતી કે સામાજિક અને રાજકીય પરિવર્તનોમાં જરૂરી બનતી હિંસાને નગણ્ય સ્તર સુધી ઘટાડી શકાશે. સંપૂર્ણ અહિંસા કદાચ કદી પણ સિદ્ધ ન થઈ શકે, તો પણ એ ‘યુટોપિયા’ તરીકે તો કામ કરશે જ; એના વગર તો માનવ સમાજ પાસે પોતાનાં કાર્યોને માપવાનો પરિપૂર્ણ માપદંડ જ નહીં હોય.

(ત્રીજો અને અંતિમ ભાગ  ૧૭.૬.૨૦૧૫ના આવતીકાલે)


ડૉ. દિલીપ સિમ્યન –

બ્લૉગ http://dilipsimeon.blogspot.in/
ઈ-મેલઃ:dilipsimeon@gmail.com

%d bloggers like this: