India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-35

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૩૫: સુભાષબાબુનું પરાક્રમ (૨)

સુભાષબાબુના મૃત્યુની અફવા

રૂટર સમાચાર સંસ્થાએ સમાચાર આપ્યા કે સુભાષચંદ્ર બોઝ થાઈલૅંડથી ટોકિયો જતા હતા ત્યારે એમનું વિમાન તૂટી પડતાં માર્યા ગયા છે. બે-ત્રણ દિવસ વાતાવરણમાં અજંપો અને વ્યાકુળતા રહ્યાં તે પછી ખુલાસો થયો કે મરનાર સુભાષચંદ્ર બોઝ નહીં પણ રાસ બિહારી બોઝ હતા. વળી ખુલાસો આવ્યો કે રાસબિહારી બોઝ હેમખેમ હતા. જો કે, દૂર પૂર્વના હિન્દુસ્તાનીઓ માટે તો આ હવાઈ અકસ્માત ભારે નુકસાન જેવો જ રહ્યો. થાઈલેંડથી ટોકિયો આવતું જે વિમાન તૂટી પડ્યું તેમાં ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગના ચાર નેતાઓ હતા – સ્વામી સત્યાનંદ પુરી, સરદાર પ્રીતમ સિંઘ, કે. એ. એન. નાયર અને કૅપ્ટન અકરમ મહંમદ ખાન. આ બહુ મોટો ફટકો હોવા છતાં ટોકિયોમાં પરિષદ ચાલુ રહી.

રાસ બિહારી બોઝના પ્રમુખપદ હેઠળ પરિષદે ઠરાવ પસાર કરીને વિશ્વાસ જાહેર કર્યો કે આ યુદ્ધ પછી બ્રિટને એશિયા છોડવું જ પડશે. જાપાનના શહેનશાહની સરકાર વતી પ્રીમિયર જનરલ તોજોએ ભારતની આઝાદીની નીતિ જાહેર કરી હતી. તોજોએ કહ્યું હતું કે ભારત માટે બ્રિટનની ગુલામીમાંથી મુક્ત થવાની આ સોનેરી તક છે, તેને ધ્યાનમાં લઈને પરિષદે જાપાન સાથે સહકાર સાધવાનો નિર્ણય કર્યો.

એમણે ‘ઍક્શન કાઉંસિલ’ બનાવી અને તેમાં ભારતીય સૈનિકો અને નાગરિકોને સમાન પ્રતિનિધિત્વ આપવાનો નિર્ણય લીધો. હિન્દુસ્તાની યુદ્ધકેદીઓને તો પહેલાં જ મેજર ફુજીવારાએ કૅપ્ટન મોહન સિંઘને સોંપી દીધા હતા. વિદેશી સંબંધો, નાણાં વિભાગ, પોલીસ વ્યવસ્થા વગેરે ખાતાંઓ બનાવવામાં આવ્યાં અને ‘ઇંડિયન નૅશનલ આર્મી’ના હેડક્વાર્ટર્સની પણ રચના કરી અને એના હસ્તક વૉર ડિપાર્ટમેન્ટ, ભરતીનું ખાતું, યુદ્ધકેદીઓ માટેનું ખાતું વગેરે તંત્ર પણ ગોઠવવામાં આવ્યું. આ બધા નિર્ણયોને બેંગકોક પરિષદમાં નક્કર રૂપ આપવામાં આવ્યું.

ટોકિયો પરિષદે એક ઠરાવમાં જાપાનની શાહી સરકાર ભારત વિશેના વલણમાં વધારે સ્પષ્ટતા કરે એવી માગણી કરી અને ભારતની સંપૂર્ણ આઝાદીની ખાતરી માગી અને નાણાંકીય મદદ આપવા જાપાનને વિનંતિ કરી. ઠરાવમાં સ્પષ્ટતા કરવામાં આવી કે આ મદદ લોનના રૂપમાં હશે અને આઝાદ ભારતની રાષ્ટ્રીય સરકાર બનશે ત્યારે એ લોન પાછી ચૂકવી દેવાશે.

એમણે ફરી મે મહિનામાં મળવાનું નક્કી કર્યું.

સુભાષબાબુ સાથે સંપર્ક

ટોકિયોની પરિષદ પછી પૂર્વ એશિયાના હિન્દુસ્તાનીઓ ખરા અર્થમાં સુભાષબાબુના સંપર્કમાં આવ્યા. ટોકિયો પછી થાઈલેંડના બેંગકોકમાં પરિષદ મળી તેને સુભાષબાબુએ શુભેચ્છા સંદેશ પણ મોકલ્યો.

બેંગકોક પરિષદને જબ્બર સફળતા મળી. હિન્દુસ્તાનીઓ સંઘર્ષ માટે કમર કસીને ઊભા થયા. એમાં ટોકિયો પરિષદના નિર્ણય પ્રમાણે કાઉંસિલ ઑફ ઍક્શનના સભ્યો નિમાયા, એનું કાર્યક્ષેત્ર નક્કી કરવામાં આવ્યું અને જુદા જુદા સ્તરે ફરજો અને અધિકારોની વહેંચણી કરવામાં આવી.

જાપાન તરફથી એમને સંપૂર્ણ પ્રોત્સાહન મળતું હોવા છતાં ભારતીય ક્રાન્તિકારીઓ એક વાતમાં સ્પષ્ટ હતા કે ઇંડિયન નૅશનલ આર્મીની આંતરિક રચના અને કમાંડ માત્ર ભારતીયોના જ હાથમાં જ રહેવાં જોઈએ અને એને આઝાદ ભારતના સ્વતંત્ર સૈન્ય તરીકે જાપાની સૈન્યની બરાબરીનું માન મળવું જોઈએ.

પરિષદે એ પણ સ્પષ્ટ કર્યું કે આઝાદ હિન્દ ફોજનો ઉપયોગ માત્ર ભારતમાં બ્રિટન કે કોઈ પણ વિદેશી સત્તા સામે જ કરી શકાશે; તે સિવાય યુદ્ધના બીજા કોઈ પણ ક્ષેત્રમાં ક્યાંય નહીં કરી શકાય અને એનો હેતુ માત્ર હિન્દુસ્તાનની આઝાદી મેળવવાનો હશે. આઝાદ હિન્દ ફોજને ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગના તાબામાં મૂકવામાં આવી. કાઉંસિલ ઑફ ઍક્શન પણ લીગ હેઠળ જ કામ કરવાની હતી. એ લીગની સર્વોચ સત્તાધારી સમિતિ હતી. આઝાદ હિન્દ ફોજ જાપાનથી સંપૂર્ણ સ્વતંત્ર રહેવાની હતી તેમ છતાં ભારતની આઝાદી માટે જરૂરી જણાય તો આઝાદ હિન્દ ફોજને જાપાન સાથે સંયુક્ત કમાંડ હેઠળ મૂકવાનો અધિકાર પણ કાઉંસિલ હસ્તક રાખવામાં આવ્યો. આમ જાપાન ભારત તરફ આગળ વધે તેમાં આઝાદ હિન્દ ફોજ પણ જોડાવાની હતી. જો કે એ પણ નક્કી કરવામાં આવ્યું કે ભારતની ભૂમિ પર કોઈ લશ્કરી કાર્યવાહીમાં જોડાતાં પહેલાં કાઉંસિલ ભારતમાં કોંગ્રેસની ઇચ્છા અને નિર્ણયોને જ અનુસરશે. પરિષદનો એક નિર્ણય એ હતો કે ભારતમાં બ્રિટિશ સૈન્યમાં રહેલા ભારતીયોમાં પણ અસંતોષ અને દેશદાઝ ફેલાવવા માટે તમામ પ્રયાસ કરવા કે જેથી લશ્કરમાં જ બળવો ફાટી નીકળે.

લીગ સામેની મુશ્કેલીઓ

બેંગકોક પરિષદ મળી અને તે પછી તરત ઑગસ્ટમાં ‘ભારત છોડો’ આંદોલન શરૂ થયું. કોંગ્રેસને પૂર્વ એશિયાની ઇંડીપેન્ડન્સ લીગની પ્રવૃત્તિઓની ખબર નહોતી અને લીગને કોંગ્રેસ શું કરવા માગે છે તેની ખબર નહોતી, તેમ છતાં યોગાનુયોગ એવો હતો કે ભારતની આઝાદી માટે ચારે બાજુથી જોરદાર પ્રયત્નો શરૂ થઈ ગયા હતા.

મલાયામાં સામાન્ય નાગરિકોને આઝાદ હિન્દ ફોજમાં દાખલ કરવાના કૅપ્ટન મોહન સિંઘના પ્રયત્નોનાં સારાં પરિણામ દેખાવા લાગ્યાં હતાં, હજારો સામાન્ય નાગરિકો ફોજમાં જોડાયા. જાપાને ધાર્યું હતું તેના કરતાં પણ આ વધારે સારો પ્રતિસાદ હતો. અને જાપાન માટે એ જ સૌથી મોટી સમસ્યા હતી!

જાપાની સૈન્યે હવે આઝાદ હિન્દ ફોજના કામમાં અવરોધો ઊભા કરવાનું શરૂ કર્યું. એક વાર તો જાપાને આઝાદ હિન્દ ફોજના નેતાઓ કોમવાદી હોવાનો આક્ષેપ કર્યો. બેંગકોક પરિષદે જાપાન સરકાર પાસેથી અમુક સ્પષ્ટીકરણ માગ્યાં હતાં. એ બાબતની મૌખિક ચર્ચાઓમાં જાપાની અધિકારીઓ સહાનુભૂતિ અને સંમતિ દેખાડતા પણ સત્તાવાર રીતે કદીયે સ્પષ્ટીકરણો ન મળ્યાં. પરિષદે પસાર કરેલા ઠરાવો વિશે પણ જાપાન સરકારે સંપૂર્ણ મૌન ધારણ કરી લીધું. કાઉંસિલ ઑફ ઍક્શન આઝાદ હિન્દ ફોજ અને જાપાની ફોજને સમકક્ષ માનવાનો આગ્રહ રાખતી હતી પણ જાપાન એના માટે તૈયાર નહોતું અને એ બાબતમાં સ્પષ્ટ કહેવા પણ નહોતું માગતું. મલાયામાં બનેલી એક ઘટનામાંથી ચોખ્ખું દેખાયું કે જાપાની સેનાના અધિકારીઓની નજરે બેંગકોક પરિષદની માગણીઓની કંઈ કિંમત નહોતી. ત્યાં વિદ્યાર્થીઓને તાલીમ આપવાનું એક કેન્દ્ર રાઘવન ચલાવતા હતા. એક રાતે જાપાની લશ્કરી અફસરો ત્યાં આવ્યા અને કેટલાક છોકરાઓને પસંદ કરીને પોતાની સાથે લઈ ગયા અને ત્યાંથી પોતાના પ્રચાર માટે ભારત મોકલી દીધા. રાઘવનને ખબર પડી ત્યારે એમણે વાંધો લીધો પણ જાપાની અફસરોએ મચક ન આપી. અંતે રાઘવને એ કેન્દ્ર બંધ કરીને વિદ્યાર્થીઓને એમનાં માતાપિતા પાસે મોકલી દીધાં. કેન્દ્ર બંધ થયું તેને જાપાની અધિકારીઓએ અપમાનજનક કૃત્ય માન્યું અને રાઘવનને એમના જ ઘરમાં જ નજરકેદ કરી દીધા. હવે જાપાની અધિકારીઓની કિન્નાખોરી માઝા મૂકી ગઈ. એમણે કેટલાયે હિન્દુસ્તાની નેતાઓને જાસૂસીના આરોપસર પકડીને જેલ ભેગા કરી દીધા. તે સાથે જ, એમણે એવું વર્તન શરૂ કર્યું કે જાણે આઝાદ હિન્દ ફોજ એમના તાબામાં હોય. એમણે હિન્દુસ્તાની સૈનિકોની એક ટુકડી તૈયાર કરી અને એને બર્માના મોરચે લડવા મોકલી દીધી. આની દૂરગામી અસર બન્ને ફોજોના પરસ્પર સંબંધો પર પડી. કાઉંસિલની તાબડતોબ મીટિંગ મળી અને એણે બર્મા મોકલાયેલા સૈનિકોને જાપાની કમાંડરના હુકમોનું ઉલ્લંઘન કરવાનો આદેશ આપ્યો. જાપાન હિન્દુસ્તાનીઓનો ઉપયોગ ચિત્તાગોંગ પર હુમલા માટે કરવા માગતું હતું. બેંગકોક પરિષદમાં નિર્ણયથી એ તદ્દન વિરુદ્ધ હતું. ઇંડીપેન્ડન્સ લીગ આમાં તો સફળ રહી પણ બન્ને ફોજોના અધિકારીઓ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ. એના કરતાં પણ વધારે ખરાબ વાત તો એ બની કે ખુદ હિન્દુસ્તાનીઓમાં જ તડાં પડી ગયાં.

એ જ વર્ષના ડિસેમ્બરની ચોથીએ કાઉંસિલની મીટિંગ મળી, તેમાં મલાયાના એન. રાઘવન સહિતના ચાર સભ્યોએ રાજીનામાં આપી દીધાં. પ્રમુખ રાસ બિહારી બોઝે ખાતરી આપી કે જ્યાં સુધી જાપાન સાથેની સમસ્યાઓનો નિવેડો નહીં આવે ત્યાં સુધી ભારતીય સૈનિકો ક્યાંય જશે નહીં, તેના પછી રાજીનામાં પાછાં ખેંચી લેવાયાં.

કાઉંસિલ સીધી રીતે તો કર્નલ ઈવાકુરોના સંપર્કમાં હતી. જાપાની સત્તાવાળાઓ સાથે એની બધી વાતચીત ઈવાકુરો મારફતે થતી પણ ઈવાકુરોએ કાઉંસિલના પત્રો આગળ મોકલવાનું બંધ કરી દીધું હતું. રાઘવન અને રાસબિહારી બોઝ ઈવાકુરોને મળ્યા ત્યારે પણ ખેંચતાણ ચાલુ રહી. બન્ને પક્ષે મતભેદ એ હતો કે હિન્દુસ્તાની નેતાઓ માનતા હતા કે મેજર ફુજીવારાએ કૅપ્ટન મોહન સિંઘને બધા હિન્દુસ્તાની યુદ્ધ કેદીઓ સોંપી દીધા. જાપાની પક્ષનું કહેવું હતું કે એમણે માત્ર જે યુદ્ધકેદીઓ આઝાદ હિન્દ ફોજમાં જોડાવા તૈયાર થયા એમની જ સોંપણી કરી હતી. જાપાની પક્ષ આઝાદ હિન્દ ફોજમાં વધારે ભરતી થાય તે પણ પસંદ નહોતો કરતો. જાપાની અફસરો માત્ર યુદ્ધકેદીઓને જ ફોજમાં લેવાનો આગ્રહ રાખતા હતા. એમનું કહેવું હતું કે હારેલા સૈનિકોમાં તરત નવો જુસ્સો ન આવી શકે, બીજી બાજુ કૅપ્ટન મોહન સિંઘ નાગરિકોમાંથી ભરતી કરીને ફોજની તાકાત વધારવા માગતા હતા. જાપાની અધિકારીઓ એના માટે પણ તૈયાર નહોતા.

હિન્દુસ્તાની નેતાઓએ સ્પષ્ટ કરી દીધું કે તેઓ આઝાદી માટેનું આંદોલન જ સ્થગિત કરી દેશે. આંદોલન સદંતર બંધ થાય તે જાપાની પક્ષના લાભમાં નહોતું. મેજર ફુજીવારાએ આ અંગે વધારે ચર્ચા કરવાનો સમય માગ્યો. રાસ બિહારી બોઝ સંમત થયા અને બીજા દિવસે મળનારી કાઉંસિલની બેઠક મુલતવી રાખી. રાઘવન, મોહન સિંઘ વગેરે નેતાઓ માનતા હતા કે રાસ બિહારી બોઝ ભારત કરતાં જાપાનને વધારે મહત્વ આપે છે. આથી એમણે રાજીનામાં ચાલુ રાખવાનો આગ્રહ કર્યો. અંતે રાસ બિહારી બોઝે પોતે જ રાજીનામું આપી દીધું. આમ આંદોલન શરૂ થવાની સાથે જ ખરાબે ચડી ગયું.

આ સંયોગોમાં સુભાષબાબુ જેવા નેતાની જરૂર હતી.

૦૦૦

સંદર્ભઃ

Netaji Subhash Chandra Bose: His life and work – translated from Gujarati ‘નેતાજી સુભાષ ચંદ્ર બોઝઃ જીવન અને કાર્ય’ લેખકઃ મોહનલાલ મહેતા ‘સોપાન’ પ્રકાશન ૧૯૪૬.

The Ghost of past

 Subodh ShahCuture Can Kill

આજના મારી બારીના મહેમાન લેખક છે, શ્રી સુબોધ શાહ. એમના તાર્કિક ચાબખા અખાની યાદ અપાવે એવા હોય છે. દરેક જણ પોતાના સમાજને પ્રેમ કરે છે પણ દરેકની નજર જુદી જુદી હોય છેઃ કોઈ પોતાના સમાજને બાળસુલભ મુગ્ધ ભાવે જૂએ, તો કોઈ વિવેચક ભાવે જૂએ. સુબોધભાઈ ભારતીય સમાજને, અથવા કહો કે, હિન્દુ સમાજને વિવેચક ભાવે જૂએ છે. એમનું પુસ્તક Culture Can Kill (અહીં જૂઓ) બે ઘડી અસ્વસ્થ કરી નાખે એવું છે. ગુસ્સો પણ આવશે કે બધું “આપણી વિરુદ્ધ” જ લખ્યું છે, પણ પુસ્તક મૂકશો ત્યારે થશે કે બધું “આપણા ભલા માટે” જ લખ્યું છે. લેખક કૅમિકલ એન્જીનિયર તરીકે અમેરિકા ગયા અને હવે ન્યૂ જર્સીમાં સ્થાયી થયા છે. માતૃભાષા ગુજરાતી ઉપરાંત મરાઠી, હિન્દી, અંગ્રેજી અને, લો સાંભળો… સંસ્કૃત પર પણ એમની બહુ સારી પકડ છે. અહીં એમના આ પુસ્તકનો એક અંશ રજૂ કર્યો છે, જે પહેલાં અમેરિકામાં ૨૮ વર્ષથી પ્રખ્યાત સાહિત્યિક ત્રિમાસિક ‘ગુર્જરી ડાઇજેસ્ટ’ના ઍપ્રિલ-૨૦૧૬ના અંકમાં પ્રગટ થયો છે. અહીં લેખક અને ‘ગુર્જરી ડાઇજેસ્ટ’ના આભાર સાથે ફરી રજૂ કરું છું…

ભૂતકાળનું ભૂત

સુબોધ શાહ

આપણી પ્રજાના માનસ ઉપર ભારતના ભવ્ય ભૂતકાળનું ભૂત સદીઓથી સવાર થઈને બેઠું છે – જાણે કે વીર વિક્રમની કાંધ પર વેતાલ. આખી દુનિયા જંગલી દશામાં હતી ત્યારે આપણા વડવાઓ સર્વાધિક સુસંસ્કૃત ને ખૂબ આગળ વધેલા હતા, એવો પ્રામાણિક પણ ખોટો ભ્રમ ઘણા બધા ભારતીયો ધરાવે છે. આપણે આપણી જાતને કહ્યે રાખીએ છીએ કે આપણે મહાન છીએ, અનન્ય છીએ. હિટલરે આંચકો આપ્યો એ પહેલાં યહૂદી પ્રજા પણ પોતાના વિશે એમ જ માનતી હતી ! અર્ધસત્યોની દુનિયામાં તટસ્થ સત્યો હમેશાં કડવાં લાગવાનાં. છતાં આ લોકપ્રિય માન્યતાની બીજી બાજુને નિરપેક્ષ ઐતિહાસિક ને વૈજ્ઞાનિક હકીકતો દ્વારા ચકાસવાનો અહીં એક નમ્ર પ્રયાસ છે.

આપણો ભૂતકાળ કીર્તિવંત હતો એ બાબતમાં કોઈ બેમત નથી; પણ એ દોઢબે હજાર કે એથીય વધારે વર્ષ પહેલાંના અત્યંત પુરાતન ભૂતકાળની વાત છે. વૈદિક સાહિત્ય અતિ પ્રાચીન છે. ઉપનિષદ અને છ દર્શનશાસ્ત્રો એ કાળના વિચારોનાં મ્યુઝિયમ છે, પેઢી દર પેઢી મૌખિક વારસામાં ઉતરી આવેલાં આશ્ચર્યો છે. વ્યાકરણ, ગણિત, ખગોળ, તર્ક અને ઔષધ, એ વિષયોમાં હિન્દુ સમાજની પ્રગતિ એ જમાનાના પ્રમાણમાં પ્રશંસનીય હતી. પરંતુ ઘણા હોંશિયાર ભારતીયો સુદ્ધાં નીચેની બાબતોમાં થાપ ખાઈ જતા જોવામાં આવે છે: આપણે ભૂલી જઈએ છીએ કે:

1. માત્ર પ્રાચીનતા એ જ પ્રગતિ કે મહાનતાનો માપદંડ નથી.

2. આપણા પ્રાચીન ઇતિહાસનો ઘણો મોટો ભાગ કોઈ જાણતું નથી, જાણી શકે એમ નથી અને જે કાંઇ જાણીતું છે તેમાં ઘણુંબધું સુધારેલું, પાછળથી ઉમેરેલું ને અનધિકૃત છે. પુરાણો એ ઇતિહાસ નથી. રસાત્મક કાવ્યમાં વિંટાળેલી એ લોકભોગ્ય વાર્તાઓ છે, સત્યના સૂક્ષ્મ બીજની આસપાસ ઉભારેલાં સ્વાદિષ્ટ ફળ છે.

3. આજકાલ કેટલાક સજ્જનો મનાવવા માગે છે કે આર્યો બહારથી આવ્યા જ નથી. પરન્તુ (ટોઈન્બી જેવા) બધા જ પરદેશી અને લોકમાન્ય તિલક જેવા ઘણામોટા ભાગના હિન્દુ ઇતિહાસકારો સુદ્ધાં આવા સહેતુક પ્રચારને ભારપૂર્વક નકારી કાઢે છે.

4. જેમને નૃવંશશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર કે પુરાતત્ત્વશાસ્ત્ર એ કઈ જાતની બલા છે એની કલ્પના સુદ્ધાં નથી, એ લોકો ભારતમાં કેટલાં લાખ વર્ષો પૂર્વે સત્ય, દ્વાપર ને ત્રેતા યુગો હતા; અને એ કેવા ભવ્ય હતા; એ શીખવે છે. આને કહેવાય આજની કરુણતાઓ ભૂલવા ગઈકાલ વિશેના ઝુરાપા (Nostalgia)નો ઉપયોગ.

આપણે બીજી પ્રજાઓના ઈતિહાસનું વાચન બહુ કરતા નથી; આપણા પૂર્વજોએ ઈતિહાસનું લેખન નહિવત્‌ કર્યું છે. આપણા પ્રાચીન સુપ્રસિદ્ધ મહાપુરુષોની અને બનાવોની તારીખો સો-બસો વરસ આમ કે તેમ – કોઈક વાર એથીય વધારે – ચર્ચાસ્પદ હોય છે. ભગવાન રામ અને કૃષ્ણના જન્મદિવસો આપણે જરૂર ઉજવીએ છીએ; પણ જન્મનાં વર્ષો તો ઠીક, કઈ સદીમાં એ જન્મ્યા હતા એ પણ કોઈને ખબર નથી. આપણી સાચી ને ખાતરીલાયક તવારીખ ગૌતમ બુદ્ધ, અશોકના શિલાલેખ અને ગ્રીક આક્રમણથી શરૂ થાય છે. દુનિયાના ઇતિહાસની પૂરી સાબિત થયેલી નીચેની ટૂંકી તવારીખ તપાસી જવા જેવી છે:

(ક) ભારતમાં (અનાર્ય સમયની) સિન્ધુ સંસ્કૃતિ મોહન-જો-ડેરો (ઈ.સ.પૂર્વે ૨૫૦૦) સૌથી પ્રાચીન છે. એનાથીય પહેલાં, ઈ.સ. પૂર્વે ૨૬૧૩ થી ૨૪૯૪ દરમિયાન ઈજિપ્તના પિરામિડો બંધાયા હતા. એનાથી અનેક સદીઓ પહેલાં સુમેરિયન (ઈ.સ.પૂર્વે ૪૩૦૦—૩૧૦૦) અને એસિરિયન સંસ્કૃતિઓ દરમિયાન ભાષા-લેખનની શરૂઆત થઈ હતી.

(ખ) ઈ.સ.પૂર્વે ૧૫૦૦ આસપાસ આર્યો મધ્ય એશિયાથી ભારતમાં આવ્યા. આજે પ્રવર્તે છે તે પૌરાણિક હિન્દુ ધર્મનું સમગ્ર સાહિત્ય એ પછીનું છે. ભારતમાં રામાયણ અને મહાભારત (ઈ.સ.પૂર્વે ૧૪૦૦—૧૦૦૦) એ પછી રચાયાં. હોમર અને ગ્રીક મહાકાવ્યોનો યુગ એના નજીકના સમયગાળામાં આવે છે. આપણો ઇતિહાસ તો એ પછીની અનેક સદીઓ પછી રચાતો થયો. ચીનની સંસ્કૃતિના ઉદયનો સમય (ઈ.સ.પૂર્વે ૧૫૦૦-૧૦૨૭) પણ લગભગ એ જ છે. એ બધાંની ય પહેલાં ઈ.સ.પૂર્વે ૧૭૯૨ થી ૧૭૫૦માં બેબિલોનનો જાણીતો સેનાપતિ હમ્મુરાબી થયો હતો.

(ગ) ભારતમાં ઈ.સ. પૂર્વે ૫૫૦-૪૮૦ બુદ્ધ અને મહાવીરનો સમય છે. ઈરાનમાં થયેલા અષો જરથુષ્ટ્ર (ઈ.સ. પૂર્વે ૬૨૮–૫૨૧)નો અગ્નિપૂજક પારસી ધર્મ એ બન્ને કરતાં જૂનો છે. ચીનમાં કોન્ફ્યુશિયસ (ઈ.સ.પૂર્વે ૫૫૧–૪૭૯) અને લાઓ-ત્સે (ઈ.સ.પૂર્વે ૫૭૦–૫૧૭) સહિત આ બધા ધર્મસંસ્થાપકો લગભગ સમકાલીનો હતા.

(ઘ) ભારતનું પ્રથમ મહાન સામ્રાજ્ય મૌર્ય સામ્રાજ્ય (ઈ.સ.પૂર્વે ૩૨૩-૧૮૫) હતું. એ વિશ્વવિજેતા સિકંદરની ચડાઈ પછી સ્થપાયું. પણ એસિરિયન સામ્રાજ્ય (ઈ.સ.પૂર્વે ૭૪૪-૬૦૯) અને ઈરાનમાં સમ્રાટ દરાયસ ચન્દ્રગુપ્ત મૌર્યથી ઘણા વહેલા હતા. ઈ.સ.પૂર્વે ૮૦૦-૭૦૦નાં ગ્રીસનાં શહેરી ગણરાજ્યો, આપણા વૈશાલીથી ઘણા પહેલાં થયાં હતાં.

(ચ) ભારતના ઇતિહાસનો સર્વશ્રેષ્ઠ (“સુવર્ણયુગ”) તે ગુપ્ત વંશના રાજાઓનો સમય (ઈ.સ. ૩૨૦–૫૨૦) હતો. મહાન રોમન સામ્રાજ્ય એનાથી ત્રણસો-ચારસો વર્ષ પહેલાં થઈ ગયું. ચીનનું વિખ્યાત હાન સામ્રાજ્ય પણ ઈ.સ. પૂર્વે ૨૦૨ ની આસપાસ વિસ્તર્યું હતું. આપણા મહાન દિગ્ગજ વિદ્વાનો આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, વરાહમિહિર અને ભાસ્કરાચાર્ય ગુપ્તકાલીન હતા. પાયથાગોરસ, સોક્રેટિસ (ઈ.સ.પૂર્વે ૫૭૦), પ્લેટો (ઈ.સ.પૂર્વે ૪૨૭-૩૪૭), એરિસ્ટોટલ (ઈ.સ.પૂર્વે ૩૮૪-૩૨૨) ને આર્કિમિડિસ (ઈ. સ. પૂર્વે ૨૮૭-૨૧૨ – એ બધા જ આપણા આ વિદ્વાનો કરતાં હજારેક વર્ષો પહેલાં થઈ ગયા.

વાત દીવા જેવી સ્પષ્ટ છે કે આપણે એક, અદ્વિતીય કે પ્રથમ ન હતા. ઘણીબધી પ્રજાઓએ આપણા જેવી જ અથવા તેથીય ઊચી સિદ્ધિઓ જુદાં જુદાં ક્ષેત્રોમાં હાંસલ કરી હતી. પ્રાચીન યુગમાં જ્યાં જ્યાં સરિતા-સંસ્કૃતિઓનો ઉદય થયો હતો ત્યાં ત્યાં સમાન સમયે સમાંતર કક્ષામાં માનવજાતિએ પ્રગતિ કરી હતી.

ગ્રીસ, રોમ, ઈજિપ્ત, ચીન, ભારત, બધી જ પ્રજાઓ પ્રાચીન સમયમાં અનેક દેવોમાં માનતી હતી. એમની પુરાણકથાઓમાં આશ્ચર્ય પમાડે એટલું અપરંપાર સામ્ય છે. હિન્દુઓનો દેવ ઈન્દ્ર, રોમન દેવ જ્યુપિટર અને ગ્રીક દેવ ઝીયસ, ત્રણે સરખા લાગે. આપણા પ્રેમના દેવ કામદેવની જેમ જ રોમન દેવ ક્યુપિડ ધનુષ્યબાણ ધરાવે છે. જેમ આપણા રામ દસ માથાંવાળા રાક્ષસ રાવણને મારે છે, તેમ એમનો દૈવી વીરપુરુષ હરક્યુલિસ નવ માથાળા હાઈડ્રા નામના રાક્ષસને મારે છે. કુંતિએ પોતાના નવા જન્મેલા પુત્ર કર્ણને નદીમાં તરતો છોડી દીધો હતો; મોઝીઝને એની માતાએ એમ જ કર્યું હતું. એમનો સેતાન, આપણો કલિ; તેમના નોઆહની આર્ક બોટ, આપણા મનુની હોડી.

ફિલસૂફીઓમાં પણ એવું જ છે. આત્માના કલ્યાણ માટે દેહદમન કે તપશ્ચર્યાની વાત ફક્ત જૈન લોકોનો આગવો વિચાર નથી, Stoics નામના પંથને પશ્ચિમની ફિલસૂફીમાં (આપણા સિવાય !) બધા જાણે છે. સાહિત્યમાં એક બાજુ કાલિદાસ ને ભવભૂતિ, તો બીજી બાજુ ગ્રીક સોફોક્લિસ, યુરિપિડીસ, એશ્ચિલસ, વગેરે બધા એમનાથી વહેલા. ગણિતમાં એક બાજુ આર્યભટ્ટ ને ભાસ્કરાચાર્ય, બીજી બાજુ યુક્લિડ ને પાયથાગોરસ, બન્ને એમનાથી પહેલાં. ઔષધમાં આપણા ચરક-સુશ્રુત, એમના હિપોક્રેટિસ. એમના ઇતિહાસકારો પ્લિની ને હિરોડોટસ, આપણામાં કોઇ નહિ. વિજ્ઞાનમાં એમનો આર્કિમિડિસ, આપણામાં નામ દેવા ખાતર પણ કોઈ નહિ.

મધ્યયુગમાં આપણને હરાવનાર મુસ્લિમ હુમલાખોરો કરતાં આપણે આગળ વધેલા હતા એવું માનવા માટે કોઈ કારણ નથી. એક બે ઉદાહરણો તપાસો: ચીની પ્રજા પાસેથી કાગળ અને દારુગોળો બનાવવાની કળાઓ શીખીને મુસ્લિમો આપણા દેશમાં લઈ આવ્યા હતા. બાબર પોતે કવિ ને લેખક હતો. મહમદ ગઝનવી ફિરદૌસી અને અલ-બેરુની જેવા અનેક વિદ્વાનોનો આશ્રયદાતા હતો. આપણે ફા-હિયાન અને હ્યુ-એન-ત્સંગ વિશે જેટલું જાણીએ છીએ એટલું અલ-બેરુની કે ઇબ્ન બતુતા વિશે જાણીએ છીએ? દુનિયાના ઇતિહાસની આવી બધી વિગતો આપણે સામાન્ય ભારતીયો જાણતા હોતા નથી; એટલે એનું સ્વાભાવિક પરિણામ શું આવે છે? આપણી મહાન પરંપરા વિશેની અનેક કપોળકલ્પિત વાતો ગળચટી લાગે છે એટલે તરત આપણને સૌને ગળે ઉતરી જાય છે.

“ભવ્ય ભૂતકાળ”? અલબત્ત, જો ૨૦૦૦ વર્ષ પહેલાંના જમાનાને જ યાદ રાખીએ અને છેલ્લાં ૧૦૦૦ વર્ષની ગુલામી ભૂલવા માગીએ, તો આપણો ભૂતકાળ જરૂર ભવ્ય હતો. આપણને જૂનું યાદ છે, તાજું ભુલાય છે. ભૂતકાળનું ભૂત સુરાપાન કરાવી આપણને ભરમાવે છે— દારૂ જેટલો જુનો તેટલો સારો. આપણા વિચિત્ર ચશ્મા બહુ દૂરનો ભવ્ય ભૂતકાળ સ્પષ્ટ રીતે જોઈ શકે છે પણ પગ નીચેની પૃથ્વી એને દેખાતી નથી. એક પ્રકારના સામૂહિક આલ્ઝ્હેઇમર (Alzheimer) રોગ જેવું કંઈક તો આ નહિ હોય? જૂની યાદદાસ્તને ચાળણીમાં ચાળી સહન થાય તેટલી જ યાદોને આપણે જુદી પાડીએ છીએ, એમને મનગમતો સોનેરી ઢોળ ચઢાવીએ છીએ; અને પછી એને “ઇતિહાસ” ગણીએ છીએ.

આપણે આપણી જાતને કહ્યે રાખીએ છીએ કે ગ્રીસ ને રોમ નાશ પામ્યાં છે, જ્યારે આપણે હજી જીવંત છીએ. “નાશ પામ્યાં” એટલે શું? એ દેશો હયાત છે, એમનો વારસો જીવે છે. એરિસ્ટોટલ ને પ્લેટોની સર્વદેશીય વિચારધારાઓના પાયા ઉપર તો પશ્ચિમની સમસ્ત આધુનિક ઇમારતો રચાયેલી છે. આ બધા વિશેનું ભારોભાર અજ્ઞાન “સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા” જેવાં ગાંડાંઘેલાં કથનોના મૂળમાં ભર્યું છે. અને આપણા અતિડાહ્યા પંડિતો એ કથનોને દોહરાવ્યે જાય છે. ખરેખર તો આપણને એ વાત અભિપ્રેત છે કે હિન્દુ ધર્મ સંસ્કાર હજી જીવંત છે. પરંતુ જેમ હિન્દુ, તેમ યહૂદી ધર્મ સંસ્કાર પણ જીવે છે. ખ્રિસ્તી સમાજ અને સંસ્કૃતિ બે હજાર વર્ષથી જીવે છે ને આખી દુનિયામાં પ્રસરેલાં છે. ઈસ્લામ આજે પણ પ્રસરી રહ્યો છે. જે લોકો માત્ર આપણા જીવતા રહેવા માટે જ અભિમાન લે છે તેઓ ભૂલી જાય છે કે આપણે ૧૦૦૦ વર્ષ પરતંત્ર અને નિર્ધન થઈ મરવાને વાંકે જીવતા રહ્યા; પિઝા આરોગી, જિન્સ પહેરી, પશ્ચિમની કેળવણી પામી, એમનું અનુકરણ કરતા થયા; એ સ્વમાન, સદ્‌ગુણ કે ડહાપણની સાબિતી તો નથી જ. પુરાતન ભારતીયતાનો શ્વાસોચ્છ્વાસ જરૂર ચાલુ છે, પણ એ ક્યારનીય અર્ધમૃત દશામાં છે.

આજના હિન્દુ સમાજનાં બે વર્તનો તપાસો: ૧. કોઈ પરદેશી વ્યક્તિ હિન્દુઓ વિશે સાવ સાચી તોય અણગમતી વાત તરફ ધ્યાન ખેંચે ત્યારે આપણે કેવા ઊકળી ઊઠીએ છીએ? ૨. ભારતના ઈતિહાસને સાફસુથરો (white washed) બનાવી દેખાડવા આપણે ત્યાં કેવા કેવા પ્રયત્નો થઈ રહ્યા છે? આ બન્ને પ્રકારનાં વર્તનનાં મૂળ આપણી ઐતિહાસિક ગુલામીથી ઘડાયેલી ગુપ્ત માનસ ગ્રંથિઓમાં મળશે.

આપણે બીજા સમાજો સાથે મેરેથોન દોડવાની હરિફાઈમાં છીએ, પણ પગમાં ભૂતકાળની સાંકળ બાંધેલી છે. નજર સામે નથી, પાછળ છે; અને દિલ ચોંટેલું છે એવા જરીપુરાણા જગતમાં, જેને આખી દુનિયા ક્યારનીય વટાવીને આગળ નીકળી ચૂકી છે. મૂળિયાંમાંથી સાવ ઉખડી ગયેલ સમાજ સ્થિર ન હોય. પણ માત્ર મૂળને જ ચપોચપ વળગી રહે, એના સાંકડા વર્તુળને છોડી જ ન શકે, એવો સમાજ પુખ્ત કે પરિપક્વ બનીને પ્રગતિ કરી શકે નહિ. કોણ કયા મૂળનો માલિક છે એના વિતંડાવાદમાં કાયમ અટવાતો રહેતો સમાજ સૂર્યપ્રકાશને ચૂકી જશે. ભૂતને ભવિષ્ય તરીકે જોવાથી નહિ; કેવા હતા એ પરથી નહિ; પણ કેવા છીએ, એ પરથી આપણી ઓળખ બંધાવી જોઈએ. સત્ય તો એ છે કે દુનિયા શબ્દોથી, ભાવનાઓથી, ધારણાઓથી નહિ, આપણાં કાર્યોથી આપણને ઓળખે છે. પરંતુ, આપણે હવે એ નક્કી કરવાનું છે કે ભૂતના ભવ્ય વારસાનો ગર્વ જોઇએ છે, કે સ્વશક્તિ નિર્મિત ભાવિનું સન્માન? ભૂતકાળની મૂડી પર જીવ્યા કરવું એના કરતાં વધારે સારું ધ્યેય એ છે કે ઉજ્જ્વળ ભવિષ્યનું સ્વયં નિર્માણ કરવું. ભૂતકાળને અતિક્રમીને એને ઝાંખો પાડી બતાવવો એ જ એને અર્પેલી આપણી શ્રેષ્ઠ અંજલિ હોય.

ભારતીય માનસને પ્રાચીનતાનો પ્રેમ, લગાવ કે વળગાડ, જે કહો તે, ઘણોબધો છે. જેટલું વધુ પ્રાચીન એટલું વધુ સારું. આપણા વિદ્વાનો એક પુરાણા શબ્દને પકડીને, તરડીને, મચડીને, માંજીને, મઠારીને, ગમે તે રીતે એમ સાબિત કરવા પ્રયત્ન કરે છે કે આપણે ધારવા કરતાં વધુ પુરાતન છીએ. અનિશ્ચિતતા, અડસટ્ટો અને અંદાજ સિવાયનો બીજો કોઈ પુરાવો જ્યાં હોય જ નહિ, ત્યાં થોડીક વધુ પ્રાચીનતાનો દાવો કરવો એ વિદ્વત્તા નથી, બીજું કંઈક છે. સ્વદેશપ્રેમના નામે સ્વપ્રશંસાના દાવાઓ બધા દેશો કરે છે. હારેલા હોય તે વધારે ને વધુ મોટા અવાજથી કરે છે. મહાનતા સાબિત કરવા આપણે શું શું નથી કરતા? જે હકીકત માટે આપણને શરમ આવવી જોઈએ એ હકીકત માટે પણ આપણે બડાઈઓ હાંકીએ છીએ. દાખલા તરીકે: લાંબી ગુલામીની શરમ પર ઢાંકપીછોડો કરવા આપણે કહીએ છીએ કે ‘અમે કદી કોઈના ઉપર આક્રમણ કર્યું નથી’. પોતાના દુષ્કૃત્યનો પસ્તાવો થાય છે ત્યારે શેક્સપિયરમાં લેડી મૅકબેથ બોલે છે: “આખાય અરબસ્તાનનાં અત્તરો મારા આ નાનકડા હાથની દુર્ગંધ હટાવી નહિ શકે”. પ્રાચીનતાનાં પુષ્પોની આપણી બધીય બડાઈઓ આજની દરિદ્રતાની દુર્ગંધને ઢાંકી નહિ શકે. એ પુષ્પોને ઇતિહાસની અભરાઈ પર ચડાવી દઈ, વર્તમાનના વૃક્ષને આપણા પ્રસ્વેદનું થોડુંક પણ સિંચન કરીએ, તો ભારતના ભાવિમાં તે વિશેષ ફળદાયી ન બને?


Which Sikh Family saved our Muslim Family in Amritsar during the partition ?

અમૃતસરમાં કોઈ શીખ કુટુંબ છે, જે કહી શકશે કે ભાગલા વખતે અમારા મુસલમાન પરિવારને બચાવનાર કોણ?

મરિયમ એસ. પાલ

(મરિયમ એસ. પાલમરિયમ એસ. પાલ કેનેડાનાં ડેવલપમેન્ટ ઇકૉનૉમિસ્ટ અને જ્યૂરિસ્ટ છે અને મોંટ્રિયલમાં રહે છે. એમણે ઍશિયન ડેવલપમેન્ટ બૅન્ક અને આફ્રિકન ડેવલપમેન્ટ બૅન્ક, બન્નેમાં ઉચ્ચ પદોએ સેવાઓ આપી છે અને ગરેબાઈ. લિંગભેદ અને માનવીય વિકાસ વિશે ઘણા અભ્યાસપત્રો, પુસ્તકોના પ્રકરણો અને સામયિકો માટે લેખો લખ્યા છે. જ્યૂરિસ્ટ તરીકે એમણે કૅનેડામાં ઇમિગ્રેશન જજ તરીકે પણ સેવાઓ આપી છે. એમના પિતા પ્રોફેસર ઇઝ્ઝુદ્દીન પાલ મૂળ અમૃતસરના, પણ ૧૯૪૭માં ભાગલા થતાં એમન કુટુંબને અમૃતસરથી ઊચાળા ભરીને લાહોર વસવું પડ્યું. અહીં એમણે ભાગલાની દારુણ ઘટના વચ્ચે પ્રગટેલા માણસાઈના દીવાની, એમના કુટુંબને બચાવનાર પણ આજે વિસ્મૃતિની ગર્તામાં સરી ગયેલા એક અસામાન્ય માનવીની માનવતાની વાત કરી છે.)

———-

અમારો મુસ્લિમ પરિવાર પેઢીઓથી અમૃતસરમાં રહેતો હતો. પાલ પરિવારનો વ્યવસાય કારપેટ વેચવાનો હતો. મૂળ વણકર, જે વકીલ બન્યા અને વીસમી સદીની શરૂઆતમાં બ્રિટિશ ઇંડિયાના શિક્ષિત વર્ગમાં જોડાયા. શીખોના પવિત્ર શહેરમાં અમારા પરિવારની સંપત્તિ હતી અને સામાજિક જીવનમાં પણ પરિવાર સક્રિય હતો. મારા બે કાકા વકીલ હતા અને એમના અસીલોમાં બધા ધર્મોના લોકો હતા. મારા દાદા અમૃતસરમાં જ રહેવા માગતા હતા પણ વિધિએ કંઈ જુદું જ નક્કી કર્યુ હતું.

જૂન ૧૯૪૭માં શીખો અને મુસલમાનો વચ્ચે રમખાણો ફાટી નીકળ્યાં. અમારું કુટુંબ જ્યાં રહેતું તે મુસ્લિમ વિસ્તાર હતો. ત્યાં મુસલમાન ગુંડાઓની ટોળકીઓ લોકોને રક્ષણ આપવાને નામે પૈસા પડાવતી હતી. હિંસાચાર ફેલાતાં મારા દાદાએ વીસ કિલોમીટર દૂર લાહોર જઈને વસવા માટે અમારા કુટુંબને તૈયાર રહેવા કહી દીધું. લાહોર પાકિસ્તાનમાં જવાનું હતું. ત્યાં એક મુસ્લિમ પાડામાં એક ઘર પણ ભાડે લઈ લીધું.

ઑગસ્ટની આઠમી તારીખે કુટુંબના એક શીખ મિત્રે આવીને ચેતવણી આપી દીધી કે હવે રહેવામાં જાનનું જોખમ છે અને અમૃતસર છોડવાનો વખત આવી ગયો છે. થોડા કલાક પછી શીખ મિત્ર એક શબવાહિની લઈને પાછા આવ્યા. એમાં દાદીઅમ્મી સહિત આઠ સ્ત્રીઓ બુરખા ચડાવીને જેમતેમ ગોઠવાઈ ગઈ. શીખ સજ્જન જાતે જ જાનનું જોખમ ખેડીને પોતે જ શબવાહિની હંકારતા પાલ પરિવારની બધી સ્ત્રીઓને સ્ટેશને પહોંચાડી આવ્યા. મારા અબ્બા અને એમના બે ભાઈઓ પણ પોતાની રીતે સ્ટેશને પહોંચ્યા. ત્યાં પરિવારની બધી સ્ત્રીઓની સાથે થઈ ગયા. મારા દાદા અને એમના બે ભાઈઓ બે દિવસ પછી લાહોર પહોંચવાના હતા.

અમારું કુટુંબ થોડુંઘણું જે કંઈ લઈ શકાયું તે લઈને લાહોર માટેની ટ્રેનમાં બેઠું હતું. એમની પાસે ખાવાનું કંઈ નહોતું, માત્ર થોડું પાણી હતું. મારા દાદાની લાઇબ્રેરી, કપડાં, ફર્નિચર, કુટુંબના જીવનમાં જોઈએ તેવું બધું પાછળ છૂટી ગયું હતું. થર્ડ ક્લાસના ડબાના સખત બાંકડાઓ પર બધાં સૂનમૂન બેઠાં હતાં. ડબામાં ચિક્કાર ભીડ હતી. દાદીઅમ્મી લોટની ગૂણમાં એક સમોવર અને બીજાં થોડાં વાસણો હતાં, એને છાતીએ વળગાડીને બેઠાં હતાં. એમનાં મૌન આંસુ ગૂણને ભીંજવતાં રહ્યાં. આ વાસણોમાંથી એક આજે પણ મારા કેનેડાના ઘરમાં છે.

ટ્રેન આખરે ગરમીથી ઝળતા ધૂળિયા રૂટ પર લાહોર તરફ રવાના થઈ. આમ તો અમૃતસરથી લાહોર પહોંચવામાં પાંત્રીસ મિનિટ લાગે પણ ટ્રેને બે કલાક લીધા. એ બે કલાક ભલભલાનાં હાજાં ગગડી જાય એવા હતા.પાછળથી અમારાં કુટુંબીજનોને ખબર પડી કે એ દિવસે સહીસલામત લાહોર પહોંચી હોય તેવી એક જ ટ્રેન એમની હતી.

અબ્બા મારા દાદા અને એમના ભાઈઓને શોધવા લાહોર સ્ટેશને રોજ જતા. જે ટ્રેનોમાં ડોકિયું કરે તેમાં લાશોના ઢગલા સિવાય કંઈ જ નજરે ન ચડે. આમ ને આમ કેટલાયે દિવસો વીત્યા પછી મારા દાદા એમના ભાઈઓ સાથે અમારા ભાડાના મકાન પર પહોંચ્યા. પેલા શીખ સજ્જને એમને વાઘા સરહદે પહોંચાડી દીધા હતા. ત્યાંથી તેઓ કોઈ રીતે લાહોર પહોંચ્યા હતા. પાલ પરિવાર નસીબવાળો હતો; સૌ હેમખેમ હતા.

અમારા કુટુંબના કોઈ સભ્ય તે પછી પાછા કદી અમૃતસર ન ગયા. એમને પછી સમાચાર મળ્યા હતા કે લફંગાઓએ આખું ઘર ફેંદી નાખ્યું હતું, બધો સામાન લુંટાઈ ગયો હતો, એટલું જ નહીં, ઘરને એમણે આગ લગાડી દીધી હતી. છેવટે, અમારો પરિવાર લાહોરમાં એક ખાલી ઘરમાં સ્થાયી થયો. કોઈ હિન્દુ વકીલનો પરિવાર પણ અમારા જેમ જ ઘરવખરી સહિત પોતાનું મકાન છોડીને ભારત તરફ ચાલ્યો ગયો હતો. આ ઘરમાં એમણે જીવનના તાર ફરી મેળવવાની શરૂઆત કરી. મારા દાદાએ ફરી વકીલાત કરવા માંડી. અબ્બા ૧૯૪૮માં કૉલેરાનો શિકાર બન્યા અને મરતાં મરતાં બચ્યા. તે પછી આઠ વર્ષ લાહોરમાં રહીને વધારે અભ્યાસ માટે અહીં કેનેડા આવ્યા અને અહીં જ, ૨૦૧૩માં એમનું મૃત્યુ થયું ત્યાં સુધી ૫૮ વર્ષ રહ્યા.

ભાગલાની વાત કરતાં, એનો ભોગ બનનારા હંમેશાં અને અનિવાર્યપણે કેન્દ્રમાં હોય છે, પરંતુ એમને બચી જવામાં મદદ કરનાર, એમને જીવતદાન આપનારનો ભાગ્યે જ ઉલ્લેખ થતો હોય છે. કોણ હતા મારા દાદાના મિત્ર એ શીખ સજ્જન? એમની ચેતવણી અને મદદ વિના આજે હું અસ્તિત્વમાં હોત? અબ્બાને પૂછ્યું પણ એમણેય માથું ધુણાવીને કહ્યું કે નામ યાદ નથી આવતું.

મને એ ભલા શીખનો ઘણી વાર વિચાર આવે છે. હજી પણ હયાત હોય તો? અમ્રુતસરમાં કોઈ તો કુટુંબ એવું હશે જેમને જાણવા મળ્યું હોય કે એમના પરિવારના એક સભ્યે એક મુસ્લિમ કુટુંબને લોહી નીંગળતી તલવારોથી બચાવ્યું? મનમાં ઇચ્છા છે કે પાલ કુટુંબના આ અસલી હીરો હજી પણ હયાત હોય, ભલે, એક જર્જર દેહમાં. તેઓ જો હોય અથવા એમના કોઈ કુટુંબીઓની ભાળ મળે તો મારે એમને એટલું જ કહેવું છેઃ “થૅંક યુ, સર!”

ગયા અઠવાડિયે અચાનક જ એક મેઇલ મળ્યો:

પ્રિય દીપક સાહેબ,

મારું નામ મરિયમ પાલ છે અને હું ઇઝ્ઝુદ્દીન પાલની મોટી પુત્રી છું. તમે એમની સાથે નિયમિત પત્રવ્યવહાર કરતા હતા. મને ખ્યાલ નથી કે તમે જાણો છો કે નહીં કે મારા પિતા નવેમ્બર ૩. ૨૦૧૩ના રોજ અવસાન પામ્યા છે.

એમના અંગત પત્રો હાલમાં જ મને જોવા મળ્યા છે અને એમાં મને તમે મારા પિતાને લખેલા કેટલાક પત્રો,તમારું ઈમેઇલ ઍડ્રેસમળ્યાં. મને આશા છે કે આ ઈમેઇલ ઍડ્રેસ હજી ચાલુ હશે અને આ પત્ર તમને મળી જશે.

હું જાણું છું કે મારા પિતાને તમારી સાથેના સંવાદમાં બહુ આનંદ આવતો હતો…”

આ સાથે મરિયમ બહેને એમના પિતા વિશે કેનેડાના ‘Globe and Mail માટે લખેલો એક લેખ પણ મોકલ્યો.

એમની સાથે પત્રવ્યવહાર થતાં એમણે ભાગલાની વીતક અને એક નિઃસ્વાર્થ શીખ સજ્જનની આ ટૂંકી વાત પણ જણાવી.

પ્રોફેસર ઇઝ્ઝુદ્દીન પાલપ્રોફેસર ઇઝ્ઝુદ્દીન પાલ સાથે મારો સંપર્ક ૨૦૦૬ કે ૨૦૦૭માં થયો. તેઓ ‘ડૉન’માં એક નિયમિત કૉલમ લખતા તે વાંચીને મેં એમનો સંપર્ક કર્યો હતો. એમની આડંબર વિનાની સીધીસાદી ભાષા અને સચોટ દલીલોથી હું પ્રભાવિત થયો હતો. મૅક્ગિલ યુનિવર્સિટીમાં તેઓ અર્થશાસ્ત્રના પ્રોફેસર છે અને એમનું નામ એમના ક્ષેત્રમાં બહુ મોટું છે એની ખબર તો મને બહુ પાછળથી પડી.

પછી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા અને ઇસ્લામ વિશેનું એમનું એક પુસ્તક વાંચ્યું અને એમની સાથે ચર્ચા થઈ, તો એમણે એમનું એ જ અરસામાં પ્રકાશિત થયેલું બીજું પુસ્તક મોકલ્યું. મેં પણ અમુક પુસ્તકો અને ‘પિંજર’ ફિલ્મની CD એમને મોકલાવી. મારી પુત્રીનાં લગ્ન થયાં ત્યારે એમણે ચાંદલો પણ મોકલ્યો! પ્રોફેસર પાલે કદી ભાગલા વિશે ચર્ચા ન કરી પણ એમના પત્રો દેખાડતા હતા કે Two Nation Theoryમાં એમને વિશ્વાસ નહોતો. શક્ય છે કે ૧૯૪૮ પહેલાં પંજાબમાં મુસ્લિમ લીગનું જોર રહ્યું તેથી એનાથી પ્રભાવિત પણ થયા હોય, પરંતુ એમની જીવન સંધ્યાએ એમના વિચારો સંકુચિત રાષ્ટ્રકલ્પનાથી મુક્ત થઈ ગયા હતા. ઇસ્લામ સંબંધે પણ, ખાસ કરીને વ્યાજ વિનાની બૅંકિંગ વ્યવસ્થા, પાકિસ્તાનની સામાજિક અસમાનતા, ચાલુ રહેલી જમીનદારી પ્રથા વગેરે વિશેના એમના વિચારો કદાચ પાકિસ્તાનમાં ધર્મના ઠેકેદારો અથવા રાજકારણીઓને પસંદ ન આવે તેવા હતા પણ તેઓ લખ્યા વિના રહેતા નહીં. એમના જ એક લેખથી પ્રેરાઈને મેં કુર’આનની અવધારણા કર્ઝહસ્ના (એટલે કે બદલાની આશા વિના અપાયેલી વ્યાજમુક્ત લોન. શબ્દશઃ ‘ઈશ્વરને આપેલી લોન’) વિશે એક લેખ લખ્યો જે ‘ડોન’માં પ્રકાશિત થયો. આ અવધારણા માઇક્રો ફાઇનૅન્સને મળતી આવે છે, પણ એમાં વ્યાજ નથી, માત્ર ‘સીડ કેપિટલ’ છે.

એ અરસામાં પાકિસ્તાનમાં જનરલ મુશર્રફે ચીફ જસ્ટિસ ઈફ્તિખાર ચૌધરીને બરતરફ કર્યા હતા કારણ કે એમણે ‘માર્શલ લૉ’ને ગેરબંધારણીય જાહેર કર્યો હતો અને કોઈ પણ સંયોગોમાં સુપ્ર્રીમ કોર્ટ સરકારથી સ્વતંત્ર છે એવી જાહેરાત કરી હતી. એમને બરતરફ કરવાના મુશર્રફના આદેશને પણ કોર્ટે રદબાતલ ઠરાવ્યો હતો. તેમ છતાં એમને બરતરફ કરવામાં આવતાં વકીલોએ ‘ન્યાયતંત્ર બચાવો’ આંદોલન શરૂ કર્યું, જે અંતે લોકશાહીની પુનઃસ્થાપનામાં પરિણમ્યું. ઇઝ્ઝુદ્દીન સાહેબ સાથે આ બાબતમાં બહુ ચર્ચાઓ થતી.

પછી ત્યાં બેનઝીર ભુટ્ટો ચુંટાયાં અને “વો હી રફતાર બેઢંગી” જેમ બધું મંદ પડવા લાગ્યું. ઇઝ્ઝુદ્દીન સાહેબની તબીયત પણ સાથ નહોતી આપતી એટલે પત્રવ્યવહાર ઓછો થતો ગયો. અંતે બંધ પડી ગયો. છેક અઢી વર્ષે મને એમની વિદાયના સમાચાર મળ્યા! મને અફસોસ થયો કે મેં પત્રવ્યવહાર ચાલુ રાખ્યો હોત તો? એમની પાસેથી પાકિસ્તાન અને ઇસ્લામના ઇતિહાસ વિશે ઘણું શીખવા મળ્યું. એમની સ્મૃતિ સમક્ષ નતમસ્તક થાઉં છું.

૦-૦-૦

Kashmir, Mountbatten & Jinnah

આપ ભાગલા વિશેનાં પુસ્તકોના પરિચયની શ્રેણી દર સોમવારે અને બુધવારે વાંચતા હશો તો આ એને જ લગતા વિષયમાં પણ કદાચ રસ પડશે એમ માનું છું.

ભારત આઝાદ થયું તે પછી દેશી રજવાડાંઓ પરથી બ્રિટને પોતાની સર્વોપરિતા (paramountcy) સમાપ્ત કરી દીધી પણ એનાં વારસ બે ડોમિનિયન સ્ટેટ્સ, ભારત અને પાકિસ્તાનને પોતાનો આ અધિકાર વારસામાં ન આપ્યો. એટલે દેશી રજવાડાં પણ બ્રિટિશ ઇંડિયા જેમ સ્વાધીન થઈ ગયાં. કોંગ્રેસે કહ્યું કે બ્રિટિશ સર્વોપરિતા દેશી રાજ્યો અને બ્રિટન વચ્ચેની કોઈ સમજૂતી પ્રમાણે સ્થાપિત નહોતી થઈ, એ વ્યવહારુ હકીકત હતી એટલે રજવાડાંઓને સ્વાધીનતા જાહેર કરવાનો કે કયા ડોમિનિયનમાં જોડાવું તેનો નિર્ણય કરવાનો અધિકાર નથી;. ત્યાંના લોકોએ આ નિર્ણય કરવાનો રહે છે. મુસ્લિમ લીગે કહ્યું કે લોકોને નહીં, શાસકને અધિકાર હોવો જોઈએ. એની નજર, હૈદરાબાદ, ભોપાલ, જૂનાગઢ વગેરે પર હતી.

આમ બધાં નાનાં મોટાં રજવાડાં પણ સ્વતંત્ર થઈ ગયાં હતાં પણ માઉંટબૅટન અને બ્રિટનના ભારત માટેના મિનિસ્ટર લૉર્ડ લિસ્ટોવેલે એવી સલાહ આપી કે એમણે એમની નજીકના ડોમિનિયનમાં સામેલ થવું જોઈએ અને જે કોઈ શાસક સ્વતંત્ર રહેવા માગશે તેને બ્રિટન માન્યતા નહીં આપે. આમ પ્રશ્ન માત્ર જે રજવાડાની સરહદ ભારત અને પાકિસ્તાન બન્નેને અડકતી હોય તેનો હતો. આવાં રાજ્યોમાં, દખલા તરીકે, કચ્છ પણ હતું કારણ કે કચ્છ અને સિંધ વચ્ચે માત્ર રણ છે. જો કે રાજા હિન્દુ અને બહુમતી વસ્તી પણ હિન્દુ એટલે કચ્છ માટે તો સવાલ જ નહોતો. સવાલ કાશ્મીરનો હતો.

કાશ્મીરમાં મહારાજા હરિ સિંહ અને શેખ અબ્દુલ્લાહ

જમ્મુ-કાશ્મીર રાજ્ય બન્નેમાંથી કોઈ પણ ડોમિનિયનમાં જોડાઈ શકે તેમ હતું. મહારાજા હરિ સિંહ સ્વતંત્ર રહેવા માગતા હતા. એટલે એમણે કહ્યું કે કાશ્મીર અંતિમ નિર્ણય લે તે પહેલાં એને સમય મળવો જોઈએ. તે દરમિયાન એમણે ભારત અને પાકિસ્તાન સાથે ‘સ્ટૅંડસ્ટિલ’ (જેમ છે તેમ) કરાર કરવાનું સૂચવ્યું. પાકિસ્તાને તરત એના પર સહી કરી, પરિણામે જમ્મુ-કાશ્મીરમાં તાર-ટપાલની સેવાઓ પાકિસ્તાને સંભાળી લીધી હતી. આમ છતાં, પાકિસ્તાને એનો ખાધાખોરાકીનો પુરવઠો રોકી દીધો. ૨૨મી ઑક્ટોબરે પાકિસ્તાન તરફથી અફરીદી કબીલાના માણસો અને પાકિસ્તાની સૈનિકોએ સાદા વેશમાં કાશ્મીર પર હુમલો કર્યો.

૨૬મી ઑક્ટોબરે મહારાજા હરિ સિંહે માઉંટબૅટનને પત્ર લખીને આ બધી વિગતો આપી અને તે સ્સાથે સ્વતંત્ર રહેવાની ઇચ્છા પણ જાહેર કરી. એમણે લખ્યું કે ભારત અને પાકિસ્તાન, બન્ને સાથે એમની પ્રજાના સાંસ્કૃતિક સંબંધો છે, અને માત્ર આ ડોમિનિયનો જ નહીં, સોવિયેત સંઘ અને ચીન સાથે પણ એમની સરહદ છે એટલે કાશ્મીરનું રાજ્ય સ્વતંત્ર રહે તો બન્ને ડોમિનિયનો માટે સારું રહેશે. મહારાજાએ લખ્યું કે મારા રાજ્યમાં જે હાલત છે અને જે સંકટની સ્થિતિ છે તેથી મેં ઇંડિયન ડોમિનિયનની મદદ માગી છે. સ્વાભાવિક રીતે જ, મારું રાજ્ય ભારત ડૉમિનિયનમાં જોડાય નહીં તો તેઓ મદદ ન મોકલી શકે. એટલે મેં મેં જોડાવાનું નક્કી કર્યું છે અને આ સાથે જોડાણનો કરાર પણ મોકલું છુંઆપ નામદારની સરકારને હું એ પણ જાણ કરવા માગું છું કે હું તરત જ વચગાળાની સરકાર બનાવવા માગું છું અને શેખ અબ્દુલ્લાહને મારા વડા પ્રધાન સાથે મળીને આ સંકટની ઘડીએ જવાબદારી સંભાળવા કહીશ.”

આના પછી ભારતે સૈન્ય મોકલ્યું અને પાકિસ્તાની સૈનિકો અને અફરીદીઓ પર કાબૂ મેળવી લીધો.

માઉંટબૅટન જિન્નાને મળવા જાય છે

કાશ્મીર ભારતમાં જોડાઈ ગયું તેથી જિન્ના અને લિયાકત અલી ખાન ધુંવાંફૂવાં થઈ ગયા હતા. ૧ નવેમ્બરે માઉંટબૅટન ચીફ ઑફ આર્મી સ્ટાફ લૉર્ડ ઇસ્મે સાથે જિન્ના અને લિયાકતને મળવા ગયા. એમણે બીજા દિવસે વડા પ્રધાન નહેરુને આનું વિવરણ આપ્યું તે બહુ રોચક છે. એમણે નહેરુને લખ્યું કે વાતચીતની કોઈ નોટ લીધી નથી એટલે આ બધું શક્ય તેટલું લખ્યું છે. એમણે આ નોટ સરદાર પટેલ સિવાય કોઈને ન દેખાડવાની વિનંતિ પણ કરી.

માઉંટબૅટન લખે છે

અમે લાહોર પહોંચ્યા ત્યારે ખબર પડી કે લિયાકત અલી ખાન હજી બીમાર જ છે અને સરકારી ઑફિસે આવતા નથી લાહોરમાં જૉઇંટ ડિફેન્સ કાઉંસિલની મીટિંગ રાખવી પડે અને એના માટે હું નહેરુને સાથે લઈ જાઉં એટલે એમણે બીમારીનું બહાનું આપ્યું હતું એટલે મેં નક્કી કર્યું કે હવે ડિફેન્સ કાઉંસિલની મીટિંગ તો લિયાકત અલી ખાનને ઘરે જ એમના બેડરૂમમાં જ મળવી જોઈએ. એટલે એજન્ડાના ૨૮માંથી ૨૬ મુદ્દા મેં પડતા મૂક્યા.

લિયાકતને ઘરે પહોંચ્યા અને એમના બેડરૂમમાં જ બેઠક ચાલુ રાખી. લિયાકત બીમાર લાગતા હતા અને પગ પર કામળો વીંટીને બેઠા હતા. બે મુદ્દા પૂરા થતાં બીજા બધા ચાલ્યા ગયા અને હું, ઇસ્મે અને લિયાકત ત્રણ જણ જ રહ્યા. મેં એમને જૂનાગઢના જોડાણ વિશે અને કાશ્મીરની સ્થિતિ વિશે વાત કરી. મેં એમને એક નોટ વાંચવા આપી જે એમણે વાંચી લીધી પછી મેં પાછી લઈ લીધી. લિયાકત અલી ખાનનો મૂળ મુદ્દો એ હતો કે મહારાજાએ પાકિસ્તાન સાથે વાત કરવાની ચોખ્ખા શબ્દોમાં ના પાડી છે અને એમણે હિન્દુઓને જમ્મુ તરફથી પૂંછ અને મીરપુર વિસ્તારમાં મોકલીને મુસલમાનોની કતલ કરાવી છે. ત્યાંના કબાઇલીઓ આ સાંખી શકે તેમ નહોતા એટલે શ્રીનગર તરફ ધસી ગયા. મેં એમને કહ્યું કે અફરીદીઓ પાકિસ્તાન સરકારને ખબર પણ ન હોય તેમ મોટરોમાં પેશાવરથી આગળ ગયા એમ તમે કહો છો તે અમે માની લેશું એમ તમે ધારો છો? એમણે આ બાબતનો ઇનકાર ન કર્યો પણ કહ્યું કે સરકારે એમને રોકવા માટે કંઈ કર્યું હોત તો બીજા કબીલાઓ પર એની અસર પડી હોત.

મેં એમને ખાતરી આપી કે કાશ્મીરમાં લોકમત લેવો જોઈએ. એમ મારી સરકાર ખરા હૃદયથી માને છે. મેં આની ફૉર્મ્યૂલાનો મુસદ્દો પણ દેખાડ્યો અને કહ્યું કે જૂનાગઢમાં પણ એમ જ કરશું. લિયાકત બહુ ‘ડિપ્રેસ્ડ’ જણાયા અને લડાઈ અટકાવવા કંઈ કરવા માટે ઉત્સુક ન જણાયા. એ બહુ થાકી ગયા હોય એમ લાગતું હતું.

અમે ઊઠ્યા અને કહ્યું કે અત્યારે જિન્ના સાથે લંચ લેવા જઈએ છીએ અને જો તમે ઇચ્છતા હો તો અમે પાછા આવીને વાતચીત આગળ ચલાવવા તૈયાર છીએ. એમણે બહુ ઉત્સાહથી આ સ્વીકાર્યું અને અમને વિદાય આપી.

હવે જિન્ના સાથે..

માઉંટબૅટન લખે છેઃ સાડાત્રણ કલાક સુધી બહુ જ કઠણ વાતચીત ચાલી. મોટા ભાગનો સમય કાશ્મીરે જ લીધો. આ વાતચીતના ચાર ભાગ કરીને લખું છું. પહેલાં તો જે દેશી રાજ્યોના જોડાણ વિશે વિવાદ હોય તેના વિશે ભારતની નીતિ વિશે ચર્ચા થઈ. ફૉર્મ્યૂલા એ હતી કે જે રાજ્યમાં બહુમતી કોમનું રાજ ન હોય તેણે ક્યાં જોડાવું એ એની પ્રજા નક્કી કરે.

જિન્નાએ કહ્યું કે પહેલાં તો કહ્યું કે આ અર્થ વગરનું છે. પ્રજામાં જેની બહુમતી હોય તે જ રાજ્ય (ભારત કે પાકિસ્તાન) સાથે એણે જવું જોઈએ. એટલે તમે જો સીધેસીધું કાશ્મીર આપી દેશો તો જૂનાગઢને ભારતમાં ભેળવી દેવાનું હું કહીશ.

મેં કહ્યું કે આમ છતાં જ્યાં શાસકે જોડાણ કરી લીધું હોય તેને એની ઇચ્છા વિરુદ્ધ મારી સરકાર નહીં બદલે, સિવાય કે એમ લાગે કે સ્થાનિક પ્રજા આવું જોડાણ પસંદ નથી કરતી. જિન્નાએ હવે કહ્યું કે આ ફૉર્મ્યૂલા ન ચાલે કારણ કે હૈદરાબાદે સ્વતંત્ર રહેવાની ઇચ્છા જાહેર કરી છે. આ ફૉર્મ્યૂલામાં એનો રસ્તો નથી. મેં કહ્યું કે હૈદરાબાદની સમસ્યાનો ઉકેલ આપણે લાવીશું અને એમાં વિવાદગ્રસ્ત જોડાણવાળાં રાજ્યોના સંદર્ભમાં વિચાર કરશું. જિન્નાએ કહ્યું કે મારી પાસે આ સૂચન રજૂ થશે તો હું ધ્યાનથી વિચારીશ. મેં એમને સ્પષ્ટ કહ્યું કે જે સિદ્ધાંત જૂનાગઢ કે હૈદરાબાદને લાગુ ન પડે તે કાશ્મીરને પણ લાગુ નહીં પાડી શકાય. એટલે નિઝામને ફરજિયાત જોડાણ કરવું પડે એવી સ્થિતિ ઊભી થાય તેમાં તમે ભાગીદાર બનશો એમ અમે માની શકતા નથી.

બીજો મુદ્દો કાશ્મીરનો હતો. મેં લિયાકત અલી ખાનને જે નોટ બતાવી હતી તે જિન્નાને પણ વાંચવા આપી. એ રાખવા માગતા હતા પણ મેં એ નોટ પાછી લઈ લીધી અને સહી વગરની કૉપી આપી. આપણે જે ઝડપથી શ્રીનગરમાં સેના મોકલી દીધી એનાથી એમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું પરંતુ મારી નોટ સામે સવાલ ન ઉઠાવ્યા.

એમની મુખ્ય ફરિયાદ એ હતી કે ભારત સરકારે પાકિસ્તાનને સમયસર માહિતી ન આપી કે કાશ્મીરમાં એ શું કરવા માગે છે. મેં કહ્યું કે કબાઇલીઓ ઘૂસ્યા છે એવી પાકી ખબર જ ૨૪મીએ મળી. તે પછી ૨૬મીએ મહારાજાનો પત્ર મળ્યો. તે પછી એક પણ ક્ષણ ગુમાવી શકાય એમ નહોતું. પણ પંડિત નહેરુએ લિયાકત અલી ખાનને તારથી જાણ કરી દીધી હતી. જિન્નાએ કહ્યું કે ૨૪મીએ જ જાણ કરી હોત કે કાશ્મીરમાં હાલત ખરાબ છે અને પાકિસ્તાનની મદદ માગી હોત તો બધી ઝંઝટ અત્યાર સુધીમાં દૂર થઈ ગઈ હોત.

જિન્નાએ ફાઇલોમાઅં જોઈને કહ્યું કે તાર તો લશ્કર ઊતર્યા પછી મળ્યો છે અને એમાં પાકિસ્તાનાનો સહકાર નથી માગ્યો. એમાં માત્ર જોડાણ અને લશ્કર મોકલ્યાનું જણાવ્યું છે. પછી એમણે ઉમેર્યું કે આ જોડાણ સાચું નથી. છેતરપીંડી અને હિંસાથી સાધવામાં આવ્યું છે. મેં સવાલ કર્યો કે પાકિસ્તાન સરકારના નિવેદન પ્રમાણે પણ કાશ્મીરના મહારાજાને સંપૂર્ણ અધિકાર હતો. તમે એને છેતરપીંડી કેમ કહી શકો? જોડાણ તદ્દન કાયદા પ્રમાણે છે.

જિન્નાએ કહ્યું કે લાંબા વખતથી કાવતરું ચાલતું હતું અને એ હિંસા સાથે સમાપ્ત થયું છે. મેં એમને કહ્યું કે. મહારાજા સ્વતંત્ર રહેવા માગતા હતા પણ હિંસાથી જ એમને કોઈ ડૉમિનિયનમાં જોડાવાની ફરજ પાડી શકાઈ હોત. હિંસા તો કબાઇલીઓએ કરી છે અને એના માટે પાકિસ્તાન જવાબદાર છે. જિન્ના કહેતા રહ્યા કે ભારતે સૈન્ય મોકલ્યું એટલે હિંસા થઈ, અને હું એનો જવાબ આપતો રહ્યો. આથી જિન્ના ખિજાયા. એમને લાગ્યું કે હું(my apparent denseness) જાડી બુદ્ધિનો છું. જિન્ના પણ મીરપુર અને પૂંછની વાત કરતા રહ્યા. હું ના કહેતો રહ્યો. એટલે જિન્નાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ આ કત્લેઆમ કરી, મેં કહ્યું કે હિન્દુઓએ ત્યાં જઈને આમ કર્યું હોય તો પણ એ કાશ્મીરી હિન્દુઓએ કર્યું હોય અને એનો હેતુ એ તો ન જ હોય કે કબાઇલીઓને ભડકાવવા કે જેથી એ શ્રીનગર પર હુમલો કરે અને મહારાજાને ભારત સાથે જોડાવાનું બહાનું મળી જાય.

મેં એમને યાદ આપ્યું કે હું કાશ્મીર ગયો હતો ત્યારે મહારાજાની સાથે એમની કારમાં હતો ત્યારે લોકમત લેવાની સલાહ આપી હતી. પણ બીજા દિવસે મેં એમને એમના વડા પ્રધાન અને મારા પ્રાઇવેટ સેક્રેટરીએ જ્યૉર્જ ઍબલની હાજરીમાં એમની સાથે ઔપચારિક બેઠક રાખવા કહ્યું તો એમણે બીમાર છે અને જલદી સૂવા ગયા છે એમ કહેવડાવી દીધું. કાશ્મીર માટેના રેસિડન્ટને પણ મેં કહ્યું હતું કે એ મહારાજાને સતત આ સલાહ આપ્યા કરે. પણ મહારાજા આ વાત હંમેશાં ટાળી દેતા અને હળવી વાતો શરૂ કરી દેતા. જિન્નાએ કહ્યું કે મહારાજાએ ડોગરાઓને મોકલીને ૯૦ હજાર મુસલમાનોને મરાવી નાખ્યા. મેં કહ્યું કે એ બહુ કરપીણ ઘટના છે અને પંડિત નહેરુએ એને ભયાનક બનાવ ગણાવ્યો છે.

બન્ને પક્ષો હટી જાય

લૉર્ડ ઈસ્મેએ કહ્યું કે સવાલ તો લડાઈ કે રોકવી તેનો છે. જિન્નાએ કહ્યું કે બન્ને પક્ષોએ તરત એકી સાથે પાછા હટી જવું જોઈએ. મેં પૂછ્યું કે કબાઇલીઓ કેમ પાછા હટશે? એમણે કહ્યું કે એમને તો બસ, હું હુકમ આપીશ એટલી વાર. કબાઇલીઓ પર એમનો આટલો અંકુશ છે તેની મને નવાઈ લાગી. એમણે કહ્યું કે હું તૈયાર હોઉં તો તેઓ શ્રીનગર જવા તૈયાર છે; બધું ૨૪ કલાકમાં થાળે પડી જશે.

લોકમત કેમ નહીં?

મેં જિન્નાને પૂછ્યું કે તમે લોકમત માટે કેમ તૈયાર નથી? એમણે કહ્યું કે ભારતની સેના ત્યાં હાજર હોય અને શેખ અબ્દુલ્લાહ સત્તામાં હોય તો સામાન્ય મુસલમાનની હિંમત જ ન થાય કે એ પાકિસ્તાન માટે મત આપે. મેં સૂચવ્યું કે આપણે યુનોમાં જઈએ. જિન્નાએ ના પાડી અને મને કહ્યું કે તમે અને હું, આપણે બે જ જણ ત્યાં લોકમત લઈ શકીએ તેમ છીએ. મેં કહ્યું કે હું તો બંધારણીય ગવર્નર-જનરલ છું અને બ્રિટિશર છું. મારી સરકાર મારો ભરોસો કરી લેશે પણ ઍટલી (બ્રિટનના વડા પ્રધાન) તો મને હા નહીં જ પાડે.

જિન્નાનો સવાલઃ સરદાર પટેલ કેમ ન આવ્યા?

જિન્નાએ બહુ કડવાશથી ફરિયાદ કરી કે એમણે ભારત સરકારને મંત્રણાઓ માટે લાહોર આવવા આમંત્રણ આપ્યું તે એમણે બહુ જ ઉદારતાથી સ્વીકાર્યું પણ પછી એક માણસ (નહેરુ) બીમાર પડે તેથી બીજો કોઈ પ્રધાન શા માટે ન આવી શકે? દાખલા તરીકે, સરદાર પટેલ આવી શક્યા હોત. કાશ્મીરનો સવાલ મહત્ત્વનો હતો. જિન્નાએ પૂછ્યું કે પંડિત નહેરુ હવે વહેલામાં વહેલા લાહોર ક્યારે આવી શકે?

મેં કહ્યું કે હવે તમારો વારો છે. લાહોર તો હું આવી ગયો. તમે મારા મહેમાન બનજો, નહેરુ બીમાર છે એટલે હું તમને એમના બેડરૂમમાં લઈ જઈશ; હું તો તમારા વડા પ્રધાનને પણ એમના બેડરૂમમાં મળી આવ્યો. જિન્નાએ કહ્યું કે કોઈના બેડરૂમમાં જવાનો સવાલ નથી પણ હમણાં લાહોરથી તેઓ નીકળી શકે તેમ નથી કારણ કે બધો ભાર એમના ખભે છે.

માઉંટબૅટન કહે છે કે મેં એમને પૂછ્યું કે કાશ્મીર કરતાં પણ વધારે અગત્યનું કામ શું હોય? એમણે કહ્યું કે એમણે કાશ્મીર વિશે કૉમનવેલ્થની મદદ માગી એટલે એમને બહુ નિરાશા થઈ છે. મેં જેમ વાત શરૂ કરી હતી તેમ જ પૂરી કરી. મેં કહ્યું કે કાશ્મીર વિશે હું કંઈ બોલી ન શકું, કારણ કે પંડિત નહેરુ આવવાના હતા પણ એમણે સંદેશ મોકલ્યો કે એમની તબીયત સારી નથી એટલે હું તો તૈયારી વગર, અધિકાર વગર આવ્યો છું અને અત્યારે હું ભારતના ગવર્નર જનરલ તરીકે નહીં પણ ભાગલા માટે જવાબદાર માજી વાઇસરૉય તરીકે બોલું છું.

છેલ્લો શબ્દ

સાંજના પાંચ થવા આવ્યા હતા અને હવે લિયાકત અલીખાન પાસે પાછા પહોંચાય તેમ નહોતું. લૉર્ડ ઇસ્મે એમને ફોન કરવા ગયા એટલી વાર હું જિન્ના સાથે એકલો હતો. મેં એમને કહી દીધું કે તમે નિવેદન કરીને છેતરપીંડી વગેરે આક્ષેપ ભારત સરકાર પર કર્યા છે તે રાજદ્વારીને ન છાજે તેવા, અણઘડ અને અસભ્ય આક્ષેપો છે. મેં મારો અભિપ્રાય પણ આપ્યો કે પાકિસ્તાન ભારત કરતાં બહુ નબળું છે અને તે માત્ર મિલિટરી તાકાતમાં જ નહીં પણ દુનિયા માનશે કે પાકિસ્તાને ખોટું કર્યું છે. અને આ વાત ચગશે તો પાકિસ્તાનની સ્થિર્તિ વધારે કથળશે.

જિન્ના આ તબક્કે બહુ જ નિરાશાથી ભરાઈ ગયા. એમણે કહ્યું કે ભારતના ડોમિનિયને પાકિસ્તાનના ડોમિનિયનનું ગળું ટૂંપી દેવાનો નિર્ધાર કરી લીધો છે. પણ જો ભારત દમન કરતું રહેશે તો એનાં પરિણામ ભોગવવાં પડશે.

મેં જવાબ આપ્યો કે યુદ્ધથી ભારતને નુકસાન થશે જ પણ પાકિસ્તાન માટે અને જિન્ના માટે અંગત રીતે તો એ વિનાશક સાબીત થશે.

લૉર્ડ ઇસ્મેએ એમનો મૂડ સારો થાય એવી કોશિશ કરીએ પણ એમાં સફળ થયા એમ મને નથી લાગતું.

૦-૦-૦-૦

સંદર્ભ અને ઈતર વાચનઃ­­

1. http://www.claudearpi.net/maintenance/uploaded_pics/19471103MountbattentoNehru.pdf

2. http://www.britannica.com/place/India/The-transfer-of-power-and-the-birth-of-two-countries#ref486453

3. http://www.jammu-kashmir.com/documents/harisingh47.html

4. http://www.legislation.gov.uk/ukpga/1947/30/pdfs/ukpga_19470030_en.pdf

5. http://web.stanford.edu/class/e297a/Kashmir%20Conflict%20-%20A%20Study%20of%20What%20Led%20to%20the%20Insurgency%20in%20Kashmir%20Valley.pdf

6. https://www.marxists.org/history/international/comintern/sections/britain/periodicals/labour_monthly/1947/07/1947-07-india.htm

7. http://shodhganga.inflibnet.ac.in:8080/jspui/bitstream/10603/52036/12/12_chapter%207.pdf

8. https://books.google.co.in/books?id=CX6xCwAAQBAJ&pg=PA35&lpg

Shirin Ebadi – Nobel Laureate from Iran

ઇરાનનાં નૉબેલ શાંતિ પુરસ્કાર વિજેતા શિરીન એબાદી[1][i]ના જીવનની આ હૃદયદ્રાવક કથા છે. ધર્માંધ રાજસત્તાઓ વ્યક્તિના જીવનને શી રીતે છિન્નભિન્ન કરી નાખે છે તેનું આ ઉદાહરણ છે. આ ઘટના શિરીન એબાદીના એમના બાળપણ કે યુવાનીની છે. આ ૨૦૦૯ની ઘટના છે; એમને શાંતિ માટેનો નૉબેલ પુરસ્કાર મળ્યો તેનાં છ વર્ષ પછી, એમની ઉંમરના ૬૨મા પગથિયે આ ઘટના બની છે, તે એટલું જ દેખાડે છે કે નિરંકુશ સર્વસત્તાવાદી શક્તિઓ ધર્મ, રાષ્ટ્ર, જાતિ કે એવા કોઈ પણ મખમલી નામે વ્યક્તિગત જીવનને બરબાદ કરી નાખતાં અચકાતી નથી.

Shirin Ebadi  શિરીન એબાદીશિરીન એબાદી ૧૯૭૫થી ઇરાનના ન્યાય વિભાગમાં જુદાં જુદાં પદો પર રહ્યાં. ઇરાનના ઇતિહાસમાં જજ બનનારાં તેઓ પ્રથમ મહિલા છે. ફેબ્રુઆરી ૧૯૭૯માં ઇસ્લામિક ક્રાન્તિનો વિજય થયો. ઇસ્લામમાં સ્ત્રીઓ ન્યાય આપવાનું કામ ન કરી શકે એવી માન્યતા છે એટલે એમને બરતરફ કરવામાં આવ્યાં, અને એ જ કોર્ટમાં ક્લાર્કનું કામ સોંપવામાં આવ્યું. એબાદી અને બીજી મહિલા જજોએ એની સામે વાંધો લેતાં સત્તાવાળાઓએ બધી મહિલાઓને પ્રમોશન આપીને ન્યાય વિભાગમાં ‘એક્સપર્ટ’ તરીકે જવાબદારી સોંપી. આ માત્ર નામનું પદ હતું. એમણે વકીલાત કરવા માટે મંજૂરી માગી પણ એમની અરજી રદ કરવામાં આવી. છેક ૧૯૯૨માં એમને મંજૂરી આપવામાં આવી. તે પછી એમણે બાળકો અને સ્ત્રીઓના શારીરિક અને અન્ય બધા પ્રકારના શોષણના કેસો લઈને નામના મેળવી. ૨૦૦૩માં એમને નૉબેલ પુરસ્કાર મળતાં આંતરરાષ્ટ્રીય સ્તરે એમના કામને માન્યતા મળી. સત્તાવાળાઓને આ ખૂંચ્યું અને એમણે ભયંકર બદલો લીધો. આ કથા રાજ્ય વ્યક્તિ સામે બદલો લે ત્યારે શું થાય છે તેનું ઘોર નિષ્ઠુર ઉદાહરણ છે. આગળ વાંચીએઃ

એબાદી કહે છે કે “ઑગસ્ટ, ૨૦૦૯માં મને મારા પતિ અને દેશ, બન્નેએ દગો દીધો.” એનાથી થોડા જ મહિના પહેલાં તેઓ રજામાં નાની દીકરી નરગિસ સાથે પોતાની મોટી દીકરી નિગારને મળવા માટે ઍટલાન્ટા ગયાં. સામાન્ય રીતે પતિ જાવેદ સાથે અઠવડિયામાં બે-ત્રણ વાર વાત થતી. સત્તાવાળાઓથી ખાનગી રાખવા માટે જાવેદે કોઈ બીજાના નામે સિમ કાર્ડ મેળવી લીધું હતું.

શિરીન એબાદી પતિને સોમવારે નિયત સમયે ફોન કરતાં પણ તે દિવસે જાવેદનો ફોન લાગ્યો જ નહીં. એમને ખાસ કંઈ ન લાગ્યું; કદાચ લાંબી રજા હોય અને જાવેદ ગામના ઘરે ગયો હોય; ગામમાં આમ પણ નેટવર્કની તકલીફ રહેતી. પણ તેનેય ઘણા દિવસ થઈ ગયા એટલે ચિંતા થઈ. એમણે પોતાની બહેન નૌશીનને ફોન કર્યો અને એને ઘરે જઈને જાવેદના સમાચાર મેળવવા કહ્યું.

નૌશીન શિરીનને ઘરે ગઈ અને દરવાજો ખખડાવ્યો, પણ જવાબ ન મળતાં એને લાગ્યું કે ઘરમાં કોઈ નથી. આમ છતાં, એણે છેલ્લો પ્રયાસ કરી જોવા ફરી દરવાજો ખખડવ્યો ત્યારે જાવેદ બહાર આવ્યો. એણે કહ્યું કે એ લાંબો પ્રવાસ કરીને આવ્યો છે અને તબીયત સારી નથી એટલે સૂવા જાય છે.

બીજા દિવસે જાવેદે પત્નીને ફોન કર્યો ત્યારે એનો અવાજ કાંપતો હતો. એણે કહ્યું: “શિરીન, તું મને માફ કરી શકીશ?” એનો શ્વાસ ઝડપથી ચાલતો હતો.

“જાવેદ, શું થયું…? તું રડે છે?”

“પહેલાં કહે કે મને માફ કરી દઈશ” જાવેદના અવાજમાં અધીરાઈ હતી.

“પહેલાં કહે તો ખરો, શું થયું?”

જાવેદના મોઢામાંથી જાણે શબ્દો નીકળતા નહોતા. ચોંત્રીસ વર્ષના ઘરસંસારમાં શિરીન માટે પહેલી વાર આઘાતની ઘડીઓ આવી હતી. જાવેદના શબ્દોમાં એને બહુ “એકલું અને ખાલી ખાલી” લાગતું હતું. એક વાર સાંજે મિસ જાફરી, એની એક જૂની મિત્રે એને પોતાને ઘરે નોતર્યો. જાવેદ ત્યાં હતો ત્યારે બન્નેની એક મિત્ર મેહરી પણ ટપકી પડી. જાવેદ અને મેહરી વચ્ચે પહેલાં પણ પ્રેમસંબંધો હતા, પરંતુ વર્ષોથી એમના વચ્ચે કંઈ સંબંધ નહોતા રહ્યા.

બન્નેને સાથે જોઈને મિસ જાફરીને લાગ્યું કે બન્ને વચ્ચે ફરી જૂના સંબંધો તાજા થવા જોઈએ. એ જાવેદ અને મેહરીને જામ પર જામ પિવડાવતી રહી. અને કહેતી રહી કે એની પત્ની હવે નથી અને એ એક્લો છે, કોઈ સાથી જોઈએ, જે એને લાગણીની હૂંફ આપે. જાફરી તે પછી જાવેદ અને મેહરીને પોતાના ઘરમાં છોડીને કામનું બહાનું આપીને બહાર નીકળી ગઈ. તે પછી મેહરીએ જાવેદને પોતાની કામૂકતાથી તરબોળ કરી દીધો. જાવેદ પોતાનો કાબૂ ખોઈ ચૂક્યો હતો.

બન્ને બેડમાં પહોંચ્યાં અને થોડી વારે બીજા બેડરૂમનો દરવાજો ખૂલ્યો! એમાંથી ગુપ્તચર વિભાગનો એક માણસ નીકળ્યો. જાવેદ એને વર્ષોથી ઓળખતો હતો. એણે જાવેદ અને મેહરી વચ્ચેની વાતચીતનું રેકૉર્ડિંગ કરી લીધું હતું. એણે જાવેદને કપડાં પહેરી લેવા કહ્યું. થોડી જ વારમાં આખું ઘર જાસૂસી એજન્ટોથી ભરાઈ ગયું. એમણે જાવેદને બેડીઓ પહેરાવી દીધી. આંખે પાટા બાંધ્યા અને ધક્કા મારતાં દાદરેથી નીચે ઉતાર્યો. નીચે એક કાર તૈયાર હતી એમાં નાખીને કોઈ અજાણ્યા સ્થળે લઈ ગયા.

શિરીને ગુસ્સો દબાવીને પૂછ્યું કે પેલી સ્ત્રીનું શું થયું? એમને મેહરીનું નામ લેવાની ઇચ્છા ન થઈ. જાવેદને એટલી જ ખબર હતી કે એજન્ટોએ મેહરીની ધરપકડ નહોતી કરી. જાવેદને સમજાવા લાગ્યું હતું કે જાફરીએ એને ફસાવ્યો હતો અને મેહરી પણ ઓચીંતી જ નહોતી આવી, એ્ય સરકારી એજન્ટોની સાગરિત હતી.

જાવેદને એવિન જેલમાં લઈ ગયા. શિરીન એબાદી પોતે પણ નવ વર્ષ પહેલાં પોતાના અસીલોને મળવા આવતાં અને “જનતાના અભિપ્રાયને ડહોળાવવા”ના આરોપસર એમણે પોતે પણ અહીં જ પચીસ દિવસની સજા ભોગવી હતી.

જાવેદ દારુ પીતાં પકડાયો હતો એટલે એની ખુલ્લી પીઠ પર કોરડા મારવામાં આવ્યા. નિયમ પ્રમાણે કોરડા મારનારે બગલમાં કુરાન રાખવું જોઈએ કે જેથી હાથ બહુ ખૂલે નહીં અને માર હળવો પડી જાય. આ નિયમનું પાલન થયું હતું? તે પછી એને બે દિવસ એકલો એક સેલમાં ફેંકી દેવાયો.

ત્રીજા દિવસે બે જેલ ગાર્ડ આવ્યા, જાવેદની આંખે પાટા બાંધ્યા અને એને કોઈ કોર્ટરૂમ જેવી જગ્યાએ લઈ ગયા. ત્યાં એક લાકડાનું ડેસ્ક હતું, એની પાછળ એક દાઢીવાળો મૌલવી બેઠો હતો. એ જજ હતો. એણે જાવેદને કહ્યું કે એણે આખી ફિલ્મ જોઈ હતી અને જાવેદ એને ખોટી ગણાવી શકે તેમ નહોતું. એટલે ઇસ્લામિક પીનલ કોડની કલમ ૨૨૫ પ્રમાણે પથ્થરોથી મારી નાખવાની સજા કરવામાં આવી. જાવેદે વકીલની માગણી કરી તો જજે કહી દીધું કે કેસ આખો સ્પષ્ટ છે એટલે વકીલ શું કરવાનો હતો? બે દિવસ પછી એને મૃત્યુદંડ આપી દેવાના હતા. જજે એને જીવનના બાકી રહેલા બે દિવસ અલ્લાહને યાદ કરવામાં ગાળવાની પણ સલાહ આપી. આખો કેસ વીસ મિનિટમાં પૂરો થઈ ગયો. ઇરાની જજો ભાગ્યે જ પથ્થરોથી મારી નાખવાની સજા કરતા હોય છે, એટલે એમની નજરે બહુ મોટો અપરાધ થઈ ગયો હતો.

જાવેદને એના સેલમાં લઈ ગયા તે પછી એક જાસૂસ એને મળવા આવ્યો ત્યારે સજાનો આખો હેતુ સ્પષ્ટ થઈ ગયો. “હવે એબાદીને પોતાનાં કરતૂતોની સજા મળશે.” આમ શિરીન એબાદીને સજા કરવા માટે એમના પતિની કાનૂનના નામે હત્યા કરવાનો માર્ગ લેવાયો હતો. જાસૂસી એજન્ટે કહ્યું: “મેં એને કેટલીયે વાર કહ્યું કે મોઢું બંધ રાખ, પણ એ ન જ માની.”

જાવેદને કદી પત્નીની પ્રવૃત્તિઓમાં રસ નહોતો. એણે સવાલ કર્યોઃ “મારી પત્નીને કારણે મને શા માટે સજા કરો છો? મારી પત્નીને કારણે તમે મને ઇસ્લામને નામે રંઝાડો છો.”

ઇસ્લામ શબ્દ સાંભળતાં જ એજન્ટ ભડક્યો. જાવેદ પર મુક્કા અને લાતોનો વરસાદ વરસ્યો. એજન્ટે કહ્યું, “તારા મોઢામાંથી ‘ઇસ્લામ’ શબ્દ ફરી કાઢજે નહીં”. જાવેદની લાગ્યું કે કાકલૂદીઓ કે વાંધાઓની એજન્ટ પર અસર નહીં થાય ત્યારે એણે પૂછ્યું, “તમને લોકોને શું જોઇએ છે…”

એજન્ટનો ઊપરી પહેલી વાર જ બોલ્યો. “હજી પણ તું તારી પત્નીનો બચાવ કરતો હોય તો એનો અર્થ એ કે તું એનો સાથી છે. તો તને એની સજા મળવી જ જોઈએ. તારી પત્નીને ટેકો ન આપતો હો, તો અમને સાબિતી આપ.”

બસ, જાવેદે કૅમેરા સામે એક સ્ટેટમેન્ટ વાંચવાનું હતું – “શિરીન એબાદી નૉબેલ પુરસ્કારને લાયક નહોતી. એ ઇસ્લામિક પ્રજાસત્તાકને ઉથલાવી પાડી શકે એટલા માટે એને નૉબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું. એ પશ્ચિમની અને ખાસ કરીને અમેરિકાની સમર્થક છે. એ ઇરાનીઓને નહીં પણ ઇરાનને નબળું પાડવા માગતા વિદેશી સામ્રાજ્યવાદીઓને મદદ કરે છે.”

જાવેદ તરત તૈયાર થઈ ગયો. બીજા દિવસે એણે શેવ કરી, નહાયો અને રૂમ જેવા દેખાતા સેટમાં એક આરામખુરશીમાં ગોઠવાયો. પાસે નાનું ટેબલ હતું, એમાં પ્લાસ્ટિકનાં ફૂલો સજાવેલાં હતાં. અને એણે પત્ની વિરુદ્ધનું નિવેદન બોલી નાખ્યું.

આના પછી જાવેદે પોતે જ ફોન કરીને શિરીનને આ સમાચાર આપ્યા. શિરીન માની ન શક્યાં કે જાવેદ આમ કરી શકે. પરંતુ જાવેદે તે પછી જે કહ્યું તે એમના માટે વધારે આઘાતજનક હતું. પરસ્ત્રીગમન માટે પથ્થરમારાની સજામાંથી બચવા માટે એણે મેહરી સાથે લગ્ન કરવાં પડ્યાં. મૌલવી પાંચ વર્ષ જૂની તારીખે બન્નેએ હંગામી લગ્ન (સિગેહ અથવા મુતાહ) કર્યાં છે એવું સર્ટીફિકેટ લઈ આવ્યો!

જાવેદ ફોન પર શિરીન એબાદીની પ્રતિક્રિયા જાણવા આતુર હતો. પણ શિરીન, શાંતિ માટેના નૉબેલ પારિતોષિકથી વિભૂષિત મહિલા શું બોલે?

એમના મનમાં ક્રોધ અને અપરાધબોધનો મિશ્ર લાવા ધધકતો હતો… જાવેદે એમને શું દગો નહોતો આપ્યો? બીજી બાજુ એમને થતું હતું કે પત્ની અને પુત્રીઓથી દૂર, કદી ન મળવાની લાચારીમાં સપડાયેલો, એકલોઅટૂલો જાવેદ પણ શું કરી શકે? શિરીન એબાદીને વિચાર આવ્યો કે જાવેદને કહી દઉં, તું એકલો નથી…

એક અઠવાડિયા પછી જાવેદ સિગેહનું સર્ટીફિકેટ લઈને ફરી એવિન જેલ પહોંચ્યો. ત્યાં મામૂલી દંડ ભર્યો અને મુક્ત થઈ ગયો.

શું જાવેદ ખરેખર મુક્ત થઈ ગયો?

૦-૦-૦-૦

સંદર્ભઃ

“Shirin Ebadi – Biographical”. Nobelprize.org. Nobel Media AB 2014. Web. 14 Mar 2016.

Tricked Into Cheating and Sentenced to Death

૦-૦-૦-૦

Shirin Ebadi: Iran Awakening: Human Rights Women and Islam –

યુનિવર્સિટી ઑફ શૅન ડીએગોની જૉન બી. ક્રીક ઈન્સ્ટિટ્યૂટ ફૉર પીસ એન્ડ જસ્ટિસના ઉપક્રમે યોજાયેલ આ વક્તવ્યમાં શિરિન એબાદીનું ભારપૂર્વક કહેવું છે કે શિક્ષણનો પ્રસાર મધ્ય પૂર્વ એશિયામાં શાંતિ લાવવામાં તેમ જ નારી જાતિને સહન કરવો પડતો જાતિભેદ દૂર કરવામાં બહુ જ અસરકારક ભૂમિકા ભજવી શકે છે.


[i] Nobel Lecture by Shirin Ebadi

April Fool!?!?

clip_image002આજે ઍપ્રિલ ફૂલના દિવસે કંઈ લખવું તો ન જોઈએ, કારણ કે કોઈ પણ વાત ‘ઍપ્રિલ ફૂલ’માં ખપી જવાની બીક છે. તેમ છતાં આપણે કેટલાં વર્ષોથી મૂર્ખ બનતા રહ્યા છીએ, અથવા તો ખરેખર આ દિવસને મૂર્ખતા સાથે શો સંબંધ છે તે વિચારવાની મૂર્ખતા કરી લઈએ તો ખોટું છે?.

આમ જૂઓ તો આ દિવસને વસંતસંપાત સાથે નિસ્બત છે. વસંતસંપાત એટલે વસંતમાં રાત અને દિવાસ એકસરખાં થાય તે દિવસ. સામાન્ય રીતે દુનિયાના પ્ર્રાચીન ધર્મોમાં વસંતસંપાતથી નવુ વર્ષ શરૂ થતું હતું. લોકમાન્ય ટિળક એમના પુસ્તક Arctic Home in the Vedasમાં દેખાડે છે કે પહેલાં આર્યો ઉત્તર ધ્રુવના પ્રદેશમાં રહેતા હતા ત્યારે વસંતસંપાતથી દસ મહિનાનું વર્ષ શરૂ થતું હતું.ટિળક દેખાડે છે કે વસંતસંપાતથી પહેલાં ‘અંતિમ ઊષાઓ’નો સંકેત ઋગ્વેદમાં મળે છે. એનો અર્થ એ કે એ વર્ષના છેલ્લા દિવસો હતા. આ સમય લગભગ ૨૧-૨૨ માર્ચનો ગણાય. જૂની વાતો છોડી દઈએ તો પણ હોળીથી કોણ પરિચિત નથી? એ પણ વસંતનો રંગારંગ તહેવાર જ છે! ભારતના આર્યો અને ઇરાનના આર્યો જ્યારે કુભા નદી પાસે છૂટા પડ્યા(મધ્ય એશિયામાંથી અફઘાનિસ્તાન આવતાં) અને એક જૂથ પૂર્વમાં અને બીજું પશ્ચિમમાં ગયું પણ જૂની પરંપરા લેતા ગયા. ઇરાનમાં, અને ખાસ કરીને પારસીઓનો નૌરૂઝ કે નવરોઝનો તહેવાર એટલે નવો દિવસ કે નવું વર્ષ પણ વસંતસંપાત સાથે શરૂ થાય છે.

દુનિયાના ઘણા ભાગોમાં આ જ વ્યવસ્થા હતી. રોમમાં પણ માર્ચ મહિનાથી વર્ષ શરુ થતું હતું. જૂલિયસ સીઝર આઇડ્ઝ ઑફ માર્ચ (માર્ચનો મધ્ય – લેટિનમાં Idus Martii) ઊજવતો હતો તે જ દિવસે એની હત્યા કરવામાં આવી હતી. વર્ષની શરૂઆત માર્ચથી થતી હતી એટલે જ ડિસેમ્બર ૧૨મો મહિનો હોવા છતાં એના નામમાં decerm (દશમ) છે. નવેમ્બર એટલે નવ. ઑક્ટો એટલે આઠ, સપ્ટેમ એટલે સાત. જુલાઈનું મૂળ નામ ક્વિન્ટિલિસ (પાંચમો) હતું, પણ જૂલિયસ સીઝરે એને પોતાનું નામ આપ્યું એ જ રીતે ઑગસ્ટનું નામ પણ સિક્સિલિસ હતું પણ ઑગસ્ટસ સીઝરના નામ પરથી એનું નામ ઑગસ્ટ થઈ ગયું.

રોમમાં ૨૫મી માર્ચથી પવિત્ર દિવસો હતા એટલે ઉત્સવ જેવી ઊજવણી પહેલી ઍપ્રિલે થવા લાગી. પરંતુ ૧૬મી સદીમાં જૂલિયન કૅલેન્ડરને બદલે પોપ ગ્રેગરીના અદેશથી ખ્રિસ્તી જગતે ગ્રેગરિયન કૅલેન્ડર સ્વીકાર્યું. આમાં જાન્યુઆરીથી નવું વર્ષ શરૂ થતું હતું. જોકે ફ્રાન્સ નવું કૅલેન્ડર અપનાવવા જલદી તૈયાર નહોતું. માત્ર ફ્રાન્સમાં જ નહીં યુરોપના ઘણા ભાગોમાં લોકો નવા કૅલેન્ડરનો સ્વીકાર ધીમે ધીમે કરતા હતા. એવું પણ બનતું કે એક જ શહેર કે ગામમાં નવા કૅલેન્ડરને ન માનનારા ગણ્યાગાંઠ્યા લોકો હતા. એ લોકો પહેલી ઍપ્રિલે જ નવું વર્ષ ઊજવતા અને પોતાનાં સગાં સંબંધીઓને ‘સાલ મુબારક’ કરવા પહોંચી જતા. એમની પીઠ પાછળ હસનારા એમને ‘fool’ તરીકે ઓળખાવતા!

આજે તો એ માત્ર હસવા અને મઝાકમશ્કરીનો દિવસ બની ગયો છે. આજે નાનાં બાળકો પણ “મમ્મી, તારી પાછળ કૂતરું…! એમ કહીને ‘ફૂલ’ બનાવે છે અને મમ્મીઓ જાણતી હોવા છતાં ‘ફૂલ’ બનતી હોય છે. જો કે Foolનો ગંભીર ચિંતકો બીજો અર્થ પણ કરે છે. ખ્રિસ્તીઓમાં Holy Fools પણ પ્રચલિત છે, એટલે કે ઈશ્વરમાં વિશ્વાસ રાખનારા મૂર્ખ લોકો. બ્રિટિશ પાદરી જ્‍હૉન શેવર્ડ કહે છે કે “ ઈશ્વરની નજરે સાંસારિક જ્ઞાન મૂર્ખામી હોય અને ઈશ્વરની મૂર્ખતા પોતે જ જો ખરેખરું જ્ઞાન હોય તો સંસાર-ચતુર માણસે ખરેખર જ્ઞાની બનવું હોય તો મૂર્ખ બનવું જોઈએ અને આ દુન્યવી શાણપણનો ત્યાગ કરવો જોઈએ”

આમ મૂર્ખ બનવામાં પણ કંઈ ખોટું તો નથી લાગતું! તો આજે ઍપ્રિલ ફૂલ બનો તે પહેલાં અમારી ભલામણ છે કે આ વેબસાઇટ પર ગુજરાતીમાં ઍપ્રિલ ફૂલના કિસ્સાઓ અચૂક વાંચશો. દિવસ સુધરી જશે! તમારો પ્રતિભાવ લખશો તો આનંદ થશે.

ત્યાં સુધી અમને ગાવા દો –

ઍપ્રિલ ફૂલ બનાયા કે ઉનકો ગુસ્સા આયા, મેરે ક્યા કસૂર, જમાને કા કસૂર કે જિસને યે દસ્તૂર બનાયા