ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ
ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭
પ્રકરણ ૩૫: સુભાષબાબુનું પરાક્રમ (૨)
સુભાષબાબુના મૃત્યુની અફવા
રૂટર સમાચાર સંસ્થાએ સમાચાર આપ્યા કે સુભાષચંદ્ર બોઝ થાઈલૅંડથી ટોકિયો જતા હતા ત્યારે એમનું વિમાન તૂટી પડતાં માર્યા ગયા છે. બે-ત્રણ દિવસ વાતાવરણમાં અજંપો અને વ્યાકુળતા રહ્યાં તે પછી ખુલાસો થયો કે મરનાર સુભાષચંદ્ર બોઝ નહીં પણ રાસ બિહારી બોઝ હતા. વળી ખુલાસો આવ્યો કે રાસબિહારી બોઝ હેમખેમ હતા. જો કે, દૂર પૂર્વના હિન્દુસ્તાનીઓ માટે તો આ હવાઈ અકસ્માત ભારે નુકસાન જેવો જ રહ્યો. થાઈલેંડથી ટોકિયો આવતું જે વિમાન તૂટી પડ્યું તેમાં ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગના ચાર નેતાઓ હતા – સ્વામી સત્યાનંદ પુરી, સરદાર પ્રીતમ સિંઘ, કે. એ. એન. નાયર અને કૅપ્ટન અકરમ મહંમદ ખાન. આ બહુ મોટો ફટકો હોવા છતાં ટોકિયોમાં પરિષદ ચાલુ રહી.
રાસ બિહારી બોઝના પ્રમુખપદ હેઠળ પરિષદે ઠરાવ પસાર કરીને વિશ્વાસ જાહેર કર્યો કે આ યુદ્ધ પછી બ્રિટને એશિયા છોડવું જ પડશે. જાપાનના શહેનશાહની સરકાર વતી પ્રીમિયર જનરલ તોજોએ ભારતની આઝાદીની નીતિ જાહેર કરી હતી. તોજોએ કહ્યું હતું કે ભારત માટે બ્રિટનની ગુલામીમાંથી મુક્ત થવાની આ સોનેરી તક છે, તેને ધ્યાનમાં લઈને પરિષદે જાપાન સાથે સહકાર સાધવાનો નિર્ણય કર્યો.
એમણે ‘ઍક્શન કાઉંસિલ’ બનાવી અને તેમાં ભારતીય સૈનિકો અને નાગરિકોને સમાન પ્રતિનિધિત્વ આપવાનો નિર્ણય લીધો. હિન્દુસ્તાની યુદ્ધકેદીઓને તો પહેલાં જ મેજર ફુજીવારાએ કૅપ્ટન મોહન સિંઘને સોંપી દીધા હતા. વિદેશી સંબંધો, નાણાં વિભાગ, પોલીસ વ્યવસ્થા વગેરે ખાતાંઓ બનાવવામાં આવ્યાં અને ‘ઇંડિયન નૅશનલ આર્મી’ના હેડક્વાર્ટર્સની પણ રચના કરી અને એના હસ્તક વૉર ડિપાર્ટમેન્ટ, ભરતીનું ખાતું, યુદ્ધકેદીઓ માટેનું ખાતું વગેરે તંત્ર પણ ગોઠવવામાં આવ્યું. આ બધા નિર્ણયોને બેંગકોક પરિષદમાં નક્કર રૂપ આપવામાં આવ્યું.
ટોકિયો પરિષદે એક ઠરાવમાં જાપાનની શાહી સરકાર ભારત વિશેના વલણમાં વધારે સ્પષ્ટતા કરે એવી માગણી કરી અને ભારતની સંપૂર્ણ આઝાદીની ખાતરી માગી અને નાણાંકીય મદદ આપવા જાપાનને વિનંતિ કરી. ઠરાવમાં સ્પષ્ટતા કરવામાં આવી કે આ મદદ લોનના રૂપમાં હશે અને આઝાદ ભારતની રાષ્ટ્રીય સરકાર બનશે ત્યારે એ લોન પાછી ચૂકવી દેવાશે.
એમણે ફરી મે મહિનામાં મળવાનું નક્કી કર્યું.
સુભાષબાબુ સાથે સંપર્ક
ટોકિયોની પરિષદ પછી પૂર્વ એશિયાના હિન્દુસ્તાનીઓ ખરા અર્થમાં સુભાષબાબુના સંપર્કમાં આવ્યા. ટોકિયો પછી થાઈલેંડના બેંગકોકમાં પરિષદ મળી તેને સુભાષબાબુએ શુભેચ્છા સંદેશ પણ મોકલ્યો.
બેંગકોક પરિષદને જબ્બર સફળતા મળી. હિન્દુસ્તાનીઓ સંઘર્ષ માટે કમર કસીને ઊભા થયા. એમાં ટોકિયો પરિષદના નિર્ણય પ્રમાણે કાઉંસિલ ઑફ ઍક્શનના સભ્યો નિમાયા, એનું કાર્યક્ષેત્ર નક્કી કરવામાં આવ્યું અને જુદા જુદા સ્તરે ફરજો અને અધિકારોની વહેંચણી કરવામાં આવી.
જાપાન તરફથી એમને સંપૂર્ણ પ્રોત્સાહન મળતું હોવા છતાં ભારતીય ક્રાન્તિકારીઓ એક વાતમાં સ્પષ્ટ હતા કે ઇંડિયન નૅશનલ આર્મીની આંતરિક રચના અને કમાંડ માત્ર ભારતીયોના જ હાથમાં જ રહેવાં જોઈએ અને એને આઝાદ ભારતના સ્વતંત્ર સૈન્ય તરીકે જાપાની સૈન્યની બરાબરીનું માન મળવું જોઈએ.
પરિષદે એ પણ સ્પષ્ટ કર્યું કે આઝાદ હિન્દ ફોજનો ઉપયોગ માત્ર ભારતમાં બ્રિટન કે કોઈ પણ વિદેશી સત્તા સામે જ કરી શકાશે; તે સિવાય યુદ્ધના બીજા કોઈ પણ ક્ષેત્રમાં ક્યાંય નહીં કરી શકાય અને એનો હેતુ માત્ર હિન્દુસ્તાનની આઝાદી મેળવવાનો હશે. આઝાદ હિન્દ ફોજને ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગના તાબામાં મૂકવામાં આવી. કાઉંસિલ ઑફ ઍક્શન પણ લીગ હેઠળ જ કામ કરવાની હતી. એ લીગની સર્વોચ સત્તાધારી સમિતિ હતી. આઝાદ હિન્દ ફોજ જાપાનથી સંપૂર્ણ સ્વતંત્ર રહેવાની હતી તેમ છતાં ભારતની આઝાદી માટે જરૂરી જણાય તો આઝાદ હિન્દ ફોજને જાપાન સાથે સંયુક્ત કમાંડ હેઠળ મૂકવાનો અધિકાર પણ કાઉંસિલ હસ્તક રાખવામાં આવ્યો. આમ જાપાન ભારત તરફ આગળ વધે તેમાં આઝાદ હિન્દ ફોજ પણ જોડાવાની હતી. જો કે એ પણ નક્કી કરવામાં આવ્યું કે ભારતની ભૂમિ પર કોઈ લશ્કરી કાર્યવાહીમાં જોડાતાં પહેલાં કાઉંસિલ ભારતમાં કોંગ્રેસની ઇચ્છા અને નિર્ણયોને જ અનુસરશે. પરિષદનો એક નિર્ણય એ હતો કે ભારતમાં બ્રિટિશ સૈન્યમાં રહેલા ભારતીયોમાં પણ અસંતોષ અને દેશદાઝ ફેલાવવા માટે તમામ પ્રયાસ કરવા કે જેથી લશ્કરમાં જ બળવો ફાટી નીકળે.
લીગ સામેની મુશ્કેલીઓ
બેંગકોક પરિષદ મળી અને તે પછી તરત ઑગસ્ટમાં ‘ભારત છોડો’ આંદોલન શરૂ થયું. કોંગ્રેસને પૂર્વ એશિયાની ઇંડીપેન્ડન્સ લીગની પ્રવૃત્તિઓની ખબર નહોતી અને લીગને કોંગ્રેસ શું કરવા માગે છે તેની ખબર નહોતી, તેમ છતાં યોગાનુયોગ એવો હતો કે ભારતની આઝાદી માટે ચારે બાજુથી જોરદાર પ્રયત્નો શરૂ થઈ ગયા હતા.
મલાયામાં સામાન્ય નાગરિકોને આઝાદ હિન્દ ફોજમાં દાખલ કરવાના કૅપ્ટન મોહન સિંઘના પ્રયત્નોનાં સારાં પરિણામ દેખાવા લાગ્યાં હતાં, હજારો સામાન્ય નાગરિકો ફોજમાં જોડાયા. જાપાને ધાર્યું હતું તેના કરતાં પણ આ વધારે સારો પ્રતિસાદ હતો. અને જાપાન માટે એ જ સૌથી મોટી સમસ્યા હતી!
જાપાની સૈન્યે હવે આઝાદ હિન્દ ફોજના કામમાં અવરોધો ઊભા કરવાનું શરૂ કર્યું. એક વાર તો જાપાને આઝાદ હિન્દ ફોજના નેતાઓ કોમવાદી હોવાનો આક્ષેપ કર્યો. બેંગકોક પરિષદે જાપાન સરકાર પાસેથી અમુક સ્પષ્ટીકરણ માગ્યાં હતાં. એ બાબતની મૌખિક ચર્ચાઓમાં જાપાની અધિકારીઓ સહાનુભૂતિ અને સંમતિ દેખાડતા પણ સત્તાવાર રીતે કદીયે સ્પષ્ટીકરણો ન મળ્યાં. પરિષદે પસાર કરેલા ઠરાવો વિશે પણ જાપાન સરકારે સંપૂર્ણ મૌન ધારણ કરી લીધું. કાઉંસિલ ઑફ ઍક્શન આઝાદ હિન્દ ફોજ અને જાપાની ફોજને સમકક્ષ માનવાનો આગ્રહ રાખતી હતી પણ જાપાન એના માટે તૈયાર નહોતું અને એ બાબતમાં સ્પષ્ટ કહેવા પણ નહોતું માગતું. મલાયામાં બનેલી એક ઘટનામાંથી ચોખ્ખું દેખાયું કે જાપાની સેનાના અધિકારીઓની નજરે બેંગકોક પરિષદની માગણીઓની કંઈ કિંમત નહોતી. ત્યાં વિદ્યાર્થીઓને તાલીમ આપવાનું એક કેન્દ્ર રાઘવન ચલાવતા હતા. એક રાતે જાપાની લશ્કરી અફસરો ત્યાં આવ્યા અને કેટલાક છોકરાઓને પસંદ કરીને પોતાની સાથે લઈ ગયા અને ત્યાંથી પોતાના પ્રચાર માટે ભારત મોકલી દીધા. રાઘવનને ખબર પડી ત્યારે એમણે વાંધો લીધો પણ જાપાની અફસરોએ મચક ન આપી. અંતે રાઘવને એ કેન્દ્ર બંધ કરીને વિદ્યાર્થીઓને એમનાં માતાપિતા પાસે મોકલી દીધાં. કેન્દ્ર બંધ થયું તેને જાપાની અધિકારીઓએ અપમાનજનક કૃત્ય માન્યું અને રાઘવનને એમના જ ઘરમાં જ નજરકેદ કરી દીધા. હવે જાપાની અધિકારીઓની કિન્નાખોરી માઝા મૂકી ગઈ. એમણે કેટલાયે હિન્દુસ્તાની નેતાઓને જાસૂસીના આરોપસર પકડીને જેલ ભેગા કરી દીધા. તે સાથે જ, એમણે એવું વર્તન શરૂ કર્યું કે જાણે આઝાદ હિન્દ ફોજ એમના તાબામાં હોય. એમણે હિન્દુસ્તાની સૈનિકોની એક ટુકડી તૈયાર કરી અને એને બર્માના મોરચે લડવા મોકલી દીધી. આની દૂરગામી અસર બન્ને ફોજોના પરસ્પર સંબંધો પર પડી. કાઉંસિલની તાબડતોબ મીટિંગ મળી અને એણે બર્મા મોકલાયેલા સૈનિકોને જાપાની કમાંડરના હુકમોનું ઉલ્લંઘન કરવાનો આદેશ આપ્યો. જાપાન હિન્દુસ્તાનીઓનો ઉપયોગ ચિત્તાગોંગ પર હુમલા માટે કરવા માગતું હતું. બેંગકોક પરિષદમાં નિર્ણયથી એ તદ્દન વિરુદ્ધ હતું. ઇંડીપેન્ડન્સ લીગ આમાં તો સફળ રહી પણ બન્ને ફોજોના અધિકારીઓ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ. એના કરતાં પણ વધારે ખરાબ વાત તો એ બની કે ખુદ હિન્દુસ્તાનીઓમાં જ તડાં પડી ગયાં.
એ જ વર્ષના ડિસેમ્બરની ચોથીએ કાઉંસિલની મીટિંગ મળી, તેમાં મલાયાના એન. રાઘવન સહિતના ચાર સભ્યોએ રાજીનામાં આપી દીધાં. પ્રમુખ રાસ બિહારી બોઝે ખાતરી આપી કે જ્યાં સુધી જાપાન સાથેની સમસ્યાઓનો નિવેડો નહીં આવે ત્યાં સુધી ભારતીય સૈનિકો ક્યાંય જશે નહીં, તેના પછી રાજીનામાં પાછાં ખેંચી લેવાયાં.
કાઉંસિલ સીધી રીતે તો કર્નલ ઈવાકુરોના સંપર્કમાં હતી. જાપાની સત્તાવાળાઓ સાથે એની બધી વાતચીત ઈવાકુરો મારફતે થતી પણ ઈવાકુરોએ કાઉંસિલના પત્રો આગળ મોકલવાનું બંધ કરી દીધું હતું. રાઘવન અને રાસબિહારી બોઝ ઈવાકુરોને મળ્યા ત્યારે પણ ખેંચતાણ ચાલુ રહી. બન્ને પક્ષે મતભેદ એ હતો કે હિન્દુસ્તાની નેતાઓ માનતા હતા કે મેજર ફુજીવારાએ કૅપ્ટન મોહન સિંઘને બધા હિન્દુસ્તાની યુદ્ધ કેદીઓ સોંપી દીધા. જાપાની પક્ષનું કહેવું હતું કે એમણે માત્ર જે યુદ્ધકેદીઓ આઝાદ હિન્દ ફોજમાં જોડાવા તૈયાર થયા એમની જ સોંપણી કરી હતી. જાપાની પક્ષ આઝાદ હિન્દ ફોજમાં વધારે ભરતી થાય તે પણ પસંદ નહોતો કરતો. જાપાની અફસરો માત્ર યુદ્ધકેદીઓને જ ફોજમાં લેવાનો આગ્રહ રાખતા હતા. એમનું કહેવું હતું કે હારેલા સૈનિકોમાં તરત નવો જુસ્સો ન આવી શકે, બીજી બાજુ કૅપ્ટન મોહન સિંઘ નાગરિકોમાંથી ભરતી કરીને ફોજની તાકાત વધારવા માગતા હતા. જાપાની અધિકારીઓ એના માટે પણ તૈયાર નહોતા.
હિન્દુસ્તાની નેતાઓએ સ્પષ્ટ કરી દીધું કે તેઓ આઝાદી માટેનું આંદોલન જ સ્થગિત કરી દેશે. આંદોલન સદંતર બંધ થાય તે જાપાની પક્ષના લાભમાં નહોતું. મેજર ફુજીવારાએ આ અંગે વધારે ચર્ચા કરવાનો સમય માગ્યો. રાસ બિહારી બોઝ સંમત થયા અને બીજા દિવસે મળનારી કાઉંસિલની બેઠક મુલતવી રાખી. રાઘવન, મોહન સિંઘ વગેરે નેતાઓ માનતા હતા કે રાસ બિહારી બોઝ ભારત કરતાં જાપાનને વધારે મહત્વ આપે છે. આથી એમણે રાજીનામાં ચાલુ રાખવાનો આગ્રહ કર્યો. અંતે રાસ બિહારી બોઝે પોતે જ રાજીનામું આપી દીધું. આમ આંદોલન શરૂ થવાની સાથે જ ખરાબે ચડી ગયું.
આ સંયોગોમાં સુભાષબાબુ જેવા નેતાની જરૂર હતી.
૦૦૦
સંદર્ભઃ
Netaji Subhash Chandra Bose: His life and work – translated from Gujarati ‘નેતાજી સુભાષ ચંદ્ર બોઝઃ જીવન અને કાર્ય’ લેખકઃ મોહનલાલ મહેતા ‘સોપાન’ પ્રકાશન ૧૯૪૬.