India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-40

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ : ૪૦: જિન્ના ૧૯૪૧થી ૧૯૪૪ (૧)

ભલે ને, લઘુમતી પ્રાંતોના બે કરોડ મુસલમાનોનો કચ્ચરઘાણ નીકળી જાયઃ જિન્ના

આ શીર્ષક ચોંકાવનારું છે, પણ સત્ય છે. એટલે આપણે હવે ‘ભારત છોડો’ આંદોલનથી પણ થોડા પાછળ, ૧૯૪૧માં જઈને કાયદે આઝમ જિન્ના ૧૯૪૪ સુધી શું કરતા હતા તે જોઈએ.

૧૯૪૧ની ૩૦મી માર્ચે જિન્નાએ કાનપુરમાં મુસ્લિમ સ્ટૂડન્ટ્સ ફેડરેશન તરફથી યોજાયેલી સભાને સંબોધી. એના વિશે ૪ ઍપ્રિલે પોલીસે પોતાના સાપ્તાહિક રિપોર્ટમાં લખ્યું કેઃ

“શ્રી એમ.એ. જિન્નાએ એમની મુલાકાત દરમિયાન…. મુસ્લિમ સ્ટૂડન્ટ્સ ફેડરેશનની મીટિંગને સંબોધન કર્યું. જિન્ના એમની વિચારસરણી પ્રમાણે જ બોલ્યા અને કહ્યું કે બહુમતી પ્રાંતોમાં સાત કરોડ મુસલમાનોની મુક્તિ માટે પાકિસ્તાન યોજના હેઠળ લઘુમતી પ્રાંતોના બે કરોડ મુસલમાનોનો કચ્ચરઘાણ નીકળી જતો હોય તો એના માટે તેઓ તૈયાર છે.”*

જિન્નાને મુસલમાનો માટે પાકિસ્તાન જોઈતું હતું અને તે માટે પંજાબ અને બંગાળની બહાર, મુખ્યત્વે યુક્ત પ્રાંત અને બિહારમાં વસતા લગભગ બે કરોડ, એટલે કે દેશના મુસલમાનોની ચોથા ભાગની વસ્તીની કુરબાની આપતાં એમનું હૈયું કાંપતું નહોતું. પાકિસ્તાન આંદોલનને તન-મન-ધનથી ટેકો આપનારા આ જ પ્રાંતોના મુસલમાનો હતા. પંજાબ અને બંગાળમાં તો મુસ્લિમ લીગનો ગજ વાગતો નહોતો, જ્યાં જિન્ના ‘પાકિસ્તાન’ બનાવવા માગતા હતા.

૨૩મી માર્ચે લીગે મંજૂર કરેલા લાહોર ઠરાવ (પાકિસ્તાન ઠરાવ) વિશે આપણે વાંચી લીધું છે; હવે એના વિશે જિન્નાના વિચારો જાણવાની જરૂર છે, એટલે તે પછીના સમયમાં પાકિસ્તાન માટે ઘટનાચક્ર કેમ ફરતું રહ્યું તે સમજી શકીએ.

લીગના મદ્રાસ અધિવેશનમાં જિન્નાનું ભાષણ

૧૯૪૧ના ઍપ્રિલમાં મદ્રાસમાં મુસ્લિમ લીગનું ૨૮મું અધિવેશન મળ્યું. લાહોર ઠરાવ પછી એ પહેલું અધિવેશન હતું. પ્રમુખપદેથી બોલતાં જિન્નાએ ‘પાકિસ્તાન’ની જુદી જુદી વ્યાખ્યાઓ થતી હતી તેનો સ્પષ્ટ શબ્દોમાં ખુલાસો આપી દીધો. લાહોર ઠરાવ થયો તે પછીના એક વર્ષમાં જિન્નાનો વ્યૂહ એ હતો કે પાકિસ્તાન વિશે એમના સાથીઓ અને મુસ્લિમ લીગના સમર્થકો પણ જેવો અર્થ કરવા માગતા હોય તેવો કરતા રહે. એટલે કોઈ માનતા હતા કે જિન્ના નવું મદીના (જ્યાં પયગંબર મહંમદે પહેલું રાજ્ય સ્થાપ્યું) બનાવે છે અને એ ઇસ્લામના વિસ્તારનું કેન્દ્ર બનશે. બીજા કેટલાક એવા હતા કે પાકિસ્તાનને ઇસ્લામી રાષ્ટ્ર નહીં પણ મુસલમાનોની સંપૂર્ણ સત્તા હોય એવું આધુનિક રાજ્ય માનતા હતા. એવી ધારણા પણ હતી કે ભારતનું ફેડરેશન બનાવાશે અને એમાં મુસ્લિમ બહુમતીવાળાં સ્વાધીન રાજ્યોને પાકિસ્તાન નામ અપાશે, કેન્દ્રમાં ફેડરેશનની સરકાર હશે. કેટલાયે પત્રકારો અને વિવેચકો માનતા હતા કે પાકિસ્તાન ટકી ન શકે.

જિન્નાએ મદ્રાસ અધિવેશનમાં જાહેર કર્યું કે મુસલમાનો ‘પાકિસ્તાન’થી ઓછું કંઈ પણ સ્વીકારશે નહીં. એમણે કહ્યું –

“અમે ભારતના ઉત્તર-પશ્ચિમ અને ઉત્તરના ઝોનમાં સંપૂર્ણ સ્વાધીન રાજ્ય બનાવવા માગીએ છીએ અન નાણાં, સંરક્ષણ, વિદેશી બાબતો, સંપર્કવ્યવહાર,, કસ્ટમ, ચલણ, એક્સચેન્જ વગેરે બધું અમારા હાથમાં હોવું જોઈએ, અમને કોઈ પણ સંજોગોમાં અખિલ ભારતીય સ્વરૂપનું બંધારણ નથી જોઈતું, જેમાં કેન્દ્રમાં એક સરકાર હોય.”

જિન્નાએ ઉમેર્યું કે –

લોકશાહી એટલે એક રાષ્ટ્રમાં અને એક સમાજમાં બહુમતીનું શાસન હોય તે સમજાય તેવું છે પણ આવી વ્યવસ્થા બે અલગ રાષ્ટ્રો હોય, બે અલગ સમાજો – મુસ્લિમ અને હિન્દુ- હોય ત્યાં, અને ખાસ કરીને આપણા દેશમાં જ્યાં દ્રવિડિસ્તાન પણ છે, ત્યાં ન ચાલી શકે. એમણે કહ્યું કે મુસ્લિમ લીગનો સૈદ્ધાંતિક આધાર જ એ છે કે મુસલમાનો સ્વતંત્ર રાષ્ટ્ર છે. (ઉર્દુમાં ‘કોમ’ એટલે રાષ્ટ્ર. આપણે જે અર્થમાં ‘કોમ’ શબ્દ વાપરીએ છીએ તેના માટે ‘બિરાદરી’ અથવા ‘મિલ્લત’ શબ્દ છે. હિન્દુ અને મુસલમાન બે કોમ છે એમ કહેવાનો અર્થ એ કે બે રાષ્ટ્ર છે).

તે પછી બ્રિટનના ભારત માટેના પ્રધાન લૉર્ડ ઍમરીએ એક એવું નિવેદન કર્યું કે મુસ્લિમ લીગમાં ખળભળાટ થઈ ગયો. લૉર્ડ ઍમરીએ કહ્યું કે હિન્દુસ્તાનમાં અકબર જેવું શાસન જ ચાલી શકે. કદાચ આને ૧૯૪૨ના આંદોલનની તીવ્રતાની અસર કહી શકાય. જો કે સત્તાવાર રીતે તો બ્રિટનનું વલણ એ જ હતું કે આંદોલન દબાઈ ગયું છે અને સ્થિતિ સરકારના નિયંત્રણમાં છે.

૧૯૪૩ની ૧લી ફેબ્રુઆરીમાં જિન્નાએ મુંબઈમાં ઇસ્માઈલ કૉલેજના મુસ્લિમ વિદ્યાર્થીઓની સભામાં ઍમરીના ભાષણની ચર્ચા કરતાં કહ્યું કે લૉર્ડ એમરી હવે ઇતિહાસ વાંચવા માંડ્યા છે. અકબરે પોતાના વહીવટમાં હિન્દુ અને મુસલમાન પ્રધાનો અને અફસરો રાખ્યા હતા કારણ કે એને પોતાની આખી રૈયત પર એટલે કે બધા હિન્દુઓ અને બધા મુસલમાનો પર રાજ કરવું હતું. એ ક્યારેક હિન્દુઓને ખુશ કરતો અને ક્યારેક મુસલમાનોને. એ જ રીતે, બન્ને કોમો વચ્ચે ક્યારેક વિવાદ ઊભો થાય તો જરૂર પ્રમાણે એ હિન્દુ કે મુસલમાન પ્રધાનોનો ઉપયોગ કરતો. વાઇસરૉયની કાઉંસિલમાં પણ બધી કોમોના માણસોને લેવાયા છે, અને એ સૌ વાઇસરૉયની પસંદગીના જ છે.

લૉર્ડ લિન્લિથગોની પણ જિન્નાએ ટીકા કરી કે એક બાજુથી લૉર્ડ ઍમરી ઇતિહાસના સંશોધનમાં પડ્યા છે તો બીજી બાજુથી અહીં સાત વર્ષ રહ્યા પછી છેક હવે વાઇસરૉય લિન્લિથગોને સમજાયું છે કે હિન્દુસ્તાન ભૌગોલિક દૃષ્ટિએ એક છે. કોઈ અક્કલવાળો માણસ આનો અર્થ શું કરશે? એ જ, કે હિન્દુ મહાસભાએ ‘અખંડ હિન્દુસ્તાન’નો ઠરાવ કર્યો તે બ્રિટનના કટ્ટરપંથીઓને નવા વરસની ભેટ છે.

જિન્નાએ કહ્યું કે આજની મડાગાંઠ ઉકેલવાની ચાવી મિ.ગાંધી અને કોંગ્રેસના હાથમાં છે. એ લોકો ધારે તો સમસ્યાનું નિરાકરણ લાવી શકાય. એમણે પૂછ્યું કે હિન્દુઓમાં કોંગ્રેસ અને હિન્દુ મહાસભા સિવાય એવા કોઈ નથી કે જેમને લોકોનું પીઠબળ હોય અને એ મુસ્લિમ હિન્દુસ્તાન કે મુસ્લિમ લીગ સાથે વાતચીત કરવા તૈયાર થાય? ગાંધીજી હિન્દુ-મુસ્લિમ એકતાને આઝાદી માટે જરૂરી માનતા હતા. જિન્નાએ એનો ઉલ્લેખ કરીને કહ્યું કે ‘ભારત છોડો’ ઠરાવમાં તો આઝાદીની માગણી પહેલી છે અને હિન્દુ-મુસ્લિમ એકતા તે પછી આવે છે.

‘પાકિસ્તાન સ્કીમ’ના લેખકનું જિન્નાની વિરુદ્ધ નિવેદન

પાકિસ્તાન કેવું હોવું જોઈએ તેની જુદી જુદી નવ યોજનાઓ હતી. એમાંથી ડૉ. અબ્દુલ લતીફને મુસ્લિમ લીગ પાકિસ્તાનની રચના વિશેનો દસ્તાવેજ તૈયાર કરવા નીમ્યા હતા. (જૂઓઃ ડો. હરિ દેસાઈનો લેખ- સંદર્ભ લેખના અંતે)

ડૉ. લતીફે ૩જી ફેબ્રુઆરીએ જ અખબારોમાં નિવેદન બહાર પાડીને જિન્નાની ટીકા કરી. એમણે કહ્યું કે, હમણાં સુધી મુસ્લિમ લીગ ભારતના રાજકારણમાં મુખ્ય સ્થાને હતી અને ગઈકાલ સુધી ચાવી તો મુસ્લિમ લીગના હાથમાં હતી, તો એ હવે એ બીજાના હાથમાં છે એમ જિન્ના કહે છે, તો એના માટે કોણ જવાબદાર છે? ગયા વર્ષે ઘણી તકો હાથમાં આવી પણ એ નરી ઉદ્ધતાઈથી એળે જવા દેવાઈ. ઑગસ્ટ ૧૯૪૨માં કોંગ્રેસે મુસ્લિમ લીગને મનાવવા ઘણી કોશિશ કરી. એકમોને વધારે સત્તા આપવા અને કોઈ એકમને છૂટા પડવું હોય તો એના માટે પણ કોંગ્રેસ તૈયાર હતી. કોંગ્રેસ લીગ સાથે રીતસરની વાતચીત કરવા આતુર હતી અને પોતાના દૃષ્ટિકોણ વિશે ખુલાસો પણ કરત. પણ જિન્નાને આ પસંદ ન આવ્યું. ઉલ્ટું, એમનું અડિયલ વલણ વધારે સખત બન્યું. જે પાકિસ્તાનની વ્યાખ્યા પણ નહોતી તેની બાંહેધરી એમને સૌ પહેલાં જોઈતી હતી. જવાબ શું હતો? હવે કોંગ્રેસના નેતાઓ જેલમાં છે અને બોલી શકે તેમ નથી. મહાસભાએ પણ પહેલાં તો જિન્નાને ખુશ કરવાની કોશિશ કરી પણ એને પછી સમજાયું કે જિન્નાની હઠનો જવાબ માત્ર હઠથી જ આપી શકાશે. ડૉ. આંબેડકરે વચ્ચે પડવાની ના પાડી દીધી અને કહ્યું કે આ ગાંધી અને જિન્ના, બે વ્યક્તિઓ વચ્ચેનો સવાલ છે. રાજગોપાલાચારીએ પણ જિન્નાને પડતા મૂક્યા અને હવે લીગની જે હાલત છે તેને ડહોળવા માટે એમણે નવી યોજના રજૂ કરી છે. ખરેખર તો રાજગોપાલાચારી જિન્નાને કહે છે કે “લો, તમારું એક પૌંડ માંસ. એક ટુકડો લાહોરની પશ્ચિમે અને બીજો ઢાકા અને મૈમનસિંઘની આસપાસ. તમારો પાકિસ્તાન ઠરાવ કહે છે તે પ્રમાણ તો તમને આટલું જ મળવું જોઈએ. લઈ જાઓ. અમે તો છૂટશું. કારણ કે અમે હિન્દુઓ તે પછી મજબૂત કેન્દ્ર સરકાર બનાવશું, એક જ પક્ષની સરકાર હશે અને તમારી મુસ્લિમ લઘુમતીએ એની હેઠળ રહેવું પડશે. જિન્નાસાહેબાને આ બધું કેમ લાગે છે? એમન એક પળ માટે પણ સમજાશે કે તેઓ અર્થહીન અહંભાવમાં, આંધળી અનિશ્ચિતતામાં જ અથડાય છે? એમના જ કારણે મુસ્લિમ લીગ આજે પણ આરામ પસંદ કરનારાની, બીજાએ મેળવેલો ખજાનો છટકું ગોઠવીને લૂંટનારી પેઢી છે.

૦-૦-૦

દરમિયાન, ગાંધીજીએ જેલમાં એકવીસ દિવસના ઉપવાસ શરૂ કરી દીધા હતા. આખા દેશમાંથી ગાંધીજીને છોડી મૂકવાની માંગ થઈ. બધા નેતાઓએ જિન્નાને પણ અપીલ કરી કે મુસ્લિમ લીગ પણ આવી જ માંગ કરે, પણ જિન્ના ન જ માન્યા. તે પછી ૨૪મી એપ્રિલે દિલ્હીમાં લીગનું ખુલ્લું અધિવેશન મળ્યું તેમાં જિન્નાએ ઘણી નવી વાતો કરી, પણ એ વિષય આજે લંબાણના ભયે આગળ ઉપર મુલતવી રાખીએ.

0000

સંદર્ભઃ

1. The Indian Annual Register, July-December, 1941 Vol.2

2. https://dspace.gipe.ac.in/xmlui/bitstream/handle/10973/38119/GIPE-013167-03.pdf

3. *Quoted from ‘Creating a new Medina; by Venkat Dhulipala, Chapter 5, page 279, 2015 Cambridge University Press.

4. www.asian-voice.com/Hari-Desai/Nine-Schemes-to-Carve-out-Pakistan

India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-34

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૩૪: સુભાષબાબુનું પરાક્રમ (૧)

ગાંધીજીએ ‘ભારત છોડો’ આંદોલન શરૂ કર્યું તેના સંદર્ભમાં સુભાષબાબુ પાસે જવાનું જરૂરી છે. આપણે સુભાષબાબુને ૨૫મા પ્રકરણમાં છોડ્યા ત્યારે એમને હિટલરે સબમરીન મારફતે પૂર્વ એશિયામાં મોકલી દીધા હતા. એમણે ‘ભારત છોડો’ને જોરદાર ટેકો આપ્યો અને હિન્દુસ્તાનીઓને સંગઠિત કરવાનું બીડું ઝડપી લીધું કારણ કે અહીં એમનો સંપર્ક હિન્દુસ્તાનીઓ અને જાપાન સાથે થવાનો હતો અને અહીં જ એમણે પોતાની ઐતિહાસિક ભૂમિકા ભજવી. એમનું ભારતમાંથી અલોપ થઈ જવું અને રશિયામાંથી જર્મની પહોંચવું એ બધું જાણે એ ઐતિહાસિક ભૂમિકાની તૈયારી જેવું હતું. એ અહીં જ ‘નેતાજી’ બન્યા.

સુભાષબાબુના સંઘર્ષ વિશે આપણે સૌ એ રીતે શીખ્યા છીએ કે જાણે એમનો સંઘર્ષ દેશમાં ચાલતા સંઘર્ષ કરતાં અલગ હતો. એ અલગ નહોતો, અલગ પ્રકારનો હતો, પણ મૂળ સંઘર્ષ સાથે સંકળાયેલો હતો. અલગ રીતે લડાયેલા બન્ને સંઘર્ષોએ એકબીજા પર બહુ જોરદાર અસર કરી. ગાંધીજી કે નહેરુ સાથે સુભાષબાબુના મતભેદ હોવા છતાં એમણે આઝાદ હિન્દ ફોજમાં ગાંધી બ્રિગેડ અને નહેરુ બ્રિગેડ બનાવી. ગાંધીજી પણ સુભાષબાબુ વિશે સતત સમાચાર મેળવતા રહેતા અને નહેરુ માનતા કે જાપાન સામે લડવું પડે તો દરેક ભારતવાસીએ લડવું જોઈએ અને એમાં સુભાષબાબુની ફોજ સામે લડવું પડે તો પણ લડવું. આમ છતાં, આઝાદ હિન્દ ફોજના ત્રણ વીરો, પ્રેમ કુમાર સહગલ, શાહ નવાઝ ખાન અને ગુરબખ્શ સિંઘ ઢિલ્લોં સામે લાલ કિલ્લામાં કેસ ચાલ્યો ત્યારે વકીલ તરીકે બચાવ પક્ષે જોડાનારાઓમાં નહેરુ પણ હતા.

બીજી બાજુ, કોંગ્રેસે જાપાનનો મુકાબલો કરવાનું નક્કી કર્યું હોવા છતાં પૂર્વ એશિયામાં બ્રિટન જાપાનના હાથે માર ખાતું હતું તે સાથે જનતામાં જોશ વધતું જતું હતું અને એનો લાભ ગાંધીજીના આંદોલનને મળતો હતો! એટલે હિંસાને અનિવાર્ય નહીં માનનારા ક્રાન્તિકારીઓ એક બાજુથી ગાંધીજીના નેતૃત્વ હેઠળ વિરાટ જન સમુદાયના સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી પ્ર્રેરણા મેળવતા હતા, તો બીજી બાજુ, એમનાં અદમ્ય સાહસ અને બલિદાનો લોકોને ગાંધીજી પાછળ જવાના ઉત્સાહથી ભરી દેતાં હતાં. સુભાષબાબુનો સંઘર્ષ પણ લોકોને ઉત્સાહથી ભરી દેતો હતો.

પરંતુ સુભાષબાબુએ ‘આઝાદ હિન્દ ફોજ’ બનાવી એ ધારણા સાચી નથી. એ તો સુભાષબાબુ ત્યાં પહોંચ્યા તે પહેલાં પણ હતી જ. આપણે એ જાણવા માટે થોડા પાછળ જવું પડશે.

રાસબિહારી બોઝ

અંગ્રેજ સરકારે પોતાના પાટનગરને કલકત્તાથી દિલ્હી ખસેડ્યું અને વાઇસરૉય લૉર્ડ હાર્ડિંગ દિલ્હી આવ્યો ત્યારે એનું વાજતેગાજતે સ્વાગત થયું પણ એના સરઘસ પર ચાંદની ચોકમાં બોંબ ફેંકાયો. રાસબિહારી બોઝ આ યોજનામાં સામેલ હતા અને પોલીસ એમને પકડી શકે તે પહેલાં ભાગીને જાપાન પહોંચી ગયા હતા. દૂર-પૂર્વમાં વસતા હિન્દુસ્તાનીઓને સંગઠિત કરવાનું કામ એમણે અને એમના બીજા ક્રાન્તિકારી દેશપ્રેમી સાથીઓએ કર્યું હતું. આ વાત થોડી વિગતે જોઈએ.

૧૯૪૧ની ૭મી ડિસેમ્બરે જાપાને અમેરિકાના પર્લ હાર્બર પર હુમલો કર્યો અને તે પછી બીજા દિવસે યુદ્ધમાં જોડાવાની જાહેરાત કરી. તે પછી માત્ર ત્રણ મહિનામાં જાપાની સૈન્યે પૂર્વ એશિયામાં બ્રિટનને ધૂળ ચાટતું કરી દીધું.

૧૯૪૨નું નવું વર્ષ શરૂ થયું ત્યારે જાપાનનો ડંકો વાગતો હતો. ૧૫મી ફેબ્રુઆરીએ બ્રિટનનો ગઢ ગણાતા સિંગાપુર પર જાપાનનો ‘ઊગતો સૂરજ’ લહેરાયો અને બ્રિટિશ ફોજ આમતેમ વેરવીખેર થઈને ભાગી છૂટી. બે દિવસ પછી, ૧૭મીએ જાપાનના મેજર ફુજીવારાએ ત્યાં વસતા સિત્તેર હજાર હિન્દુસ્તાનીઓના નેતાઓને મિલિટરી હેડ ક્વાર્ટર્સમાં મળવા બોલાવ્યા. ફુજીવારાએ એમને કહ્યું કે હિન્દુસ્તાનીઓ ‘દુશ્મન’ દેશના નાગરિક છે, પણ જાપાન એમને દુશ્મન નહીં ગણે, કારણ કે હિન્દુસ્તાનીઓ પોતાની મરજીથી બ્રિટનના નાગરિક નથી બન્યા અને બ્રિટનથી સ્વતંત્ર થવા માગે છે. પૂર્વ એશિયાના હિન્દુસ્તાનીઓ સ્વતંત્રતા માટે સંગઠિત થશે તો જાપાન એમને બધી રીતે મદદ કરશે. એણે ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગ બનાવવાનું સૂચન કર્યું. હિન્દુસ્તાની નેતાઓએ એશિયામાં બીજા દેશોમાં વસતા ભારતીયો સાથે ચર્ચા કરવા માટે સમય માગ્યો. ૯મી-૧૦મી માર્ચે બધા ભારતીયો મળ્યા, એમાં સામાન્ય વેપારીઓ અને એમના નોકરો ઉપરાંત હિન્દી લશ્કરી અધિકારીઓ પણ જોડાયા. આ ટાંકણે રાસબિહારી બોઝે એક પરિષદ યોજી. હજી ભારતીયોના મનમાં જાપાનના ઇરાદા અંગે શંકાઓ હતી. દાખલા તરીકે, મલાયામાં જાપાને જીત મેળવી હોવા છતાં ત્યાંથી કોઈ હિન્દુસ્તાની પરિષદમાં સામેલ ન થયા, માત્ર ‘નિરીક્ષકો’ મોકલ્યા. હકીકત એ છે કે આ બધા લશ્કરી કે નાગરિક હિન્દુસ્તાનીઓ બ્રિટનની વિરુદ્ધ તો હતા જ પરંતુ જાપાન પ્રત્યે પણ એમને મમતા નહોતી, માત્ર ભારતની આઝાદી માટે એમને જાપાનની જરૂર હતી અને જાપાને ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગ બનાવવામાં મદદ કરવાની તૈયારી દેખાડી તે પછી થાઈલૅંડમાં લીગની શરૂઆત થઈ.

નવમી માર્ચે સિંગાપુરમાં હિન્દુસ્તાની પ્રતિનિધિઓ ‘ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગ’ના નેજા હેઠળ મળ્યા. એન. રાઘવને પ્રમુખસ્થાન સંભાળ્યું અને એમની વિનંતીથી મેજર ફુજીવારાએ બેઠકનો હેતુ સમજાવ્યો કે ભારતને સ્વતંત્રતા અપાવવાની આ તક છે અને જાપાન એમાં મદદ કરશે. ફુજીવારાના જવા પછી રાઘવને બે મુદ્દા ચર્ચા માટે રાખ્યાઃ એક તો, ભારતની આઝાદી માટે દૂર પૂર્વમાં વસતા ભારતીયો કંઈ કરે તેના માટે આ યોગ્ય સમય છે કે નહીં’ અને બીજું, જો ભારતીયો કંઈક કરવા માગતા હોય તો એ કઈ રીતે કરવું કારણ કે સિંગાપુરમાં ૫૦,૦૦૦ અને મલાયામાં ૬૦,૦૦૦ ભારતીય સૈનિકો હતા એમના માટે વ્યવસ્થા કરવાનું કામ બહુ મોટું હતું.

થાઈલેંડથી ઇંડિયન નૅશનલ કાઉંસિલના સ્વામી સત્યાનંદ પુરી આવ્યા હતા એમણે પોતાની સંસ્થા વિશે માહિતી આપી કે તેઓ મુખ્યત્વે દેશમાં કોંગ્રેસ જે કાર્યક્રમો જાહેર કરે તેના ટેકામાં કામ કરવા માગતા હતા અને બીજો હેતુ સંસ્થાના પ્રમુખપદે ભારતમાંથી જ કોઈ નેતાને પસંદ કરવાનો તેઓ પ્રયત્ન કરતા હતા. પરંતુ જવાહરલાલ નહેરુએ કહી દીધું હતું કે કોઈ સંસ્થા જાપાનમાં રહીને કામ કરવા માગતી હોય તે ભારતના રાજકારણમાં દખલ ન દઈ શકે અને એને દેશદ્રોહી ગણવામાં આવશે. આથી થાઈલેંડની ઇંડિયન નૅશનલ કાઉંસિલને ડર હતો કે એને જાપાનની કઠપુતળી માની લેવાશે. સ્વામીએ ઉમેર્યું કે એમણે બેંગકોકથી સુભાષચન્દ્ર બોઝને તાર મોકલીને પ્રમુખ બનવાની વિનંતી કરી હતી અને બોઝે રેડિયો મારફતે એનો સ્વીકાર કર્યો છે.

અંતે, સૌનો મત હતો કે મહાત્મા ગાંધીએ ના-યુદ્ધ આંદોલન ચલાવ્યું પણ સેનામાં લોકો ભરતી થાય કે એને માલસામાન આપે તેને રોકવાનો આદેશ નહોતો આપ્યો. આથી કોંગ્રેસ નિષ્ક્રિય સંગઠન બની ગઈ હતી. બીજો રસ્તો બળ વાપરવાનો હતો પણ ભારત એના માટે તૈયાર નહોતું. સ્વામી સત્યાનંદે એ પણ કહ્યું કે કોંગ્રેસે પણ ‘અહિંસા’ શબ્દ પોતાની આસ્થાના નિવેદનમાંથી કાઢી નાખ્યો છે. આ બધું જોતાં, હવે જાપાન મદદ આપવા તૈયાર હતું એટલે એના વિશે વિચારવું જોઈએ. બે દિવસની બેઠકમાં જાપાન સરકારના સહકારથી ભારતની સ્વતંત્રતા માટે કામ કરવાનો અને સુભાષ ચંદ્ર બોઝને પ્રમુખ બનાવવાનો નિર્ણય લેવાયો.

પરિષદ પછી પત્રકારો સાથેની વાતચીતમાં પ્રતિનિધિઓએ કહ્યું કે બ્રિટન તરફથી લડતા હિન્દુસ્તાનીઓ સમક્ષ કોઈ ‘મિશન’ નહોતું, એ માત્ર નોકરી કરતા હતા. બ્રિટન સામે પરાજય તોળાતો હતો ત્યારે હિન્દુસ્તાનીઓ પ્રત્યે અખત્યાર કરાયેલા ઓરમાયા વર્તનની પણ એમણે વાત કરી કે બ્રિટને માત્ર પોતાના નાગરિકો અને સ્ત્રી-બાળકોને જ ખસેડ્યાં, હિન્દ્દુસ્તાનીઓને ભગવાન ભરોસે મૂકી દીધા હતા. એમણે કહ્યું કે હિન્દુસ્તાની લશ્કરી અધિકારીઓ સાથે ભેદભાવ નહોતો થતો, પરંતુ હિન્દુસ્તાની અધિકારીઓ કોંગ્રેસનાં આંદોલનોના પ્રભાવમાં ઊછર્યા હતા એટલે બ્રિટિશ અધિકારીઓને તેઓ આદરથી નહોતા જોતા.

કોંગ્રેસે બ્રિટન પાસેથી આઝાદી માગી છે, તેને એમણે આવકાર આપ્યો અને કહ્યું કે હવે ભારતમાં ધર્મ કે નાતજાતના ભેદભાવ નથી અને રાજકીય દૃષ્ટિએ વિચારનાર હિન્દુસ્તાની માને છે કે આ ભેદભાવ અંગ્રેજોએ જ ફેલાવ્યા છે અને અંગ્રેજો જશે તો આ ભેદભાવ પણ નહીં રહે.

આઝાદ હિંદ ફોજ

સિંગાપુર પર જાપાને કબ્જો કરી લીધો તેમાં કેદ થયેલા હિન્દુસ્તાની સૈનિકોમાં કૅપ્ટન મોહન સિંઘ પણ હતા. જાપાની કમાંડરે એમને મનાવી લીધા હતા કે હિન્દુસ્તાનીઓ બ્રિટન પ્રત્યે વફાદારીના સોગંદ પડતા મૂકીને સ્વતંત્ર ફોજ બનાવે. તેઓ બ્રિટન સામે લડવા તૈયાર થશે તો જાપાન એમને મદદ કરશે. કેપ્ટન મોહન સિંઘ હિન્દ્દુસ્તાની સૈનિકોમાં આ માટે કામ કરવા સંમત થયા હતા.

૧૭મી માર્ચે ફરી બેઠક મળી તેમાં મેજર ફુજીવારાએ સત્તાવાર હિન્દુસ્તાની સૈનિકોને કૅપ્ટન મોહન સિંઘના તાબામાં સોંપવાની જાહેરાત કરી દીધી. એમણે ‘ઇંડિયન નૅશનલ આર્મી’ (INA) શરૂ કરવા અપીલ કરી. કૅપ્ટન મોહન સિંઘ ભારતીય રાષ્ટ્રીય સેનાના પહેલા કમાંડર બન્યા. પ્રતિનિધિઓએ ૨૮મી માર્ચે રાસ બિહારી બોઝના પ્રમુખપદે ફરી મળવાનું નક્કી કર્યું.

એ વખતે જાપાને બર્મામાં રંગૂન (હવે યંગોન) સર કરી લીધું હતું. આથી બ્રિટન ભારે માનસિક દબાણમાં આવી ગયું હતું. ક્રિપ્સ મિશન યુદ્ધની આ સ્થિતિમાં ભારત આવ્યું હતું, તેની નોંધ લેવી જોઈએ. એ જ દિવસોમાં દૂર પૂર્વમાં હિન્દુસ્તાનીઓ કમર કસતા હતા. સુભાષચંદ્ર બોઝને ૨૮મી માર્ચે ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગના પ્રમુખ બનાવવાના હતા. એ જ ટાંકણે બ્રિટને વિમાની હોનારતમાં સુભાષબાબુના મૃત્યુના સમાચાર પ્રસારિત કર્યા. એ સત્ય કે અફવા?

હજી આ કથા આગળ ચાલશે.

૦૦૦

સંદર્ભઃ

Netaji Subhash Chandra Bose: His life and work – translated from Gujarati ‘નેતાજી સુભાષ ચંદ્ર બોઝઃ જીવન અને કાર્ય’ લેખકઃ મોહનલાલ મહેતા ‘સોપાન’ પ્રકાશન ૧૯૪૬.

india-slavery-and-struggle-for-freedom-part-4-chapter-33

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૩૩: ભારત છોડો (૪)

ગયા અઠવાડિયે આપણે ગાંધીજી અને વાઇસરૉય લિન્લિથગો વચ્ચેનો પત્રવ્યવહાર જોયો. ગાંધીજીએ છેલ્લે ઉપવાસની જાહેરાત કરી દીધી, એ આપણે જોઈ લીધું. આજે, ૧૯૪૨ની નવમી ઑગસ્ટે ‘ભારત છોડો’ આંદોલન શરૂ થયું તે પછી ભારતની બહાર કેવા પડઘા પડ્યા, તે જોઈએ. આ આંદોલનની ચર્ચા બ્રિટનની આમસભામાં ન થાય એવું તો બને જ નહીં.

ચર્ચિલનું નિવેદન અને ચર્ચા

દસમી સપ્ટેમ્બરે વડા પ્રધાન ચર્ચિલે આમસભામાં નિવેદન કર્યું કે કોંગ્રેસ આખા દેશ વતી નહોતી બોલતી. શક્ય છે કે કોંગ્રેસની હાલની હિલચાલોને કારણે જાપાનના પાંચમી કતારિયા એનો લાભ લઈને સરકાર વિરુદ્ધ કામ કરતા હોય. આટલી અશાંતિ દેખાય છે પણ આવડા મોટા દેશમાં છેલ્લા એક મહિનામાં માત્ર પાંચસોનાં મોત થયાં છે. ગાંધી અને એમના સાથીઓને જ્યાં સુધી શાંતિ નહીં થાય ત્યાં સુધી દૂર જ રાખવા પડશે. ચર્ચિલે ક્રિપ્સ મિશનની દરખાસ્તોનો ઉલ્લેખ કરીને કહ્યું કે એને બ્રિટિશ તાજ અને સંસદની સ્થાપિત નીતિ માનવી જોઈએ. એમાં કંઈ પણ વધઘટ નહીં થઈ શકે. કોંગ્રેસ આખા ભારતનું પ્રતિનિધિત્વ નથી કરતી (ગૃહમાં તાળીઓ પડી). કોંગ્રેસ ભારતની બહુમતી જનતાનું પણ પ્રતિનિધિત્વ નથી કરતી (વધારે તાળીઓ પડી). કોંગ્રેસ હિન્દુઓનું પ્રતિનિધિત્વ પણ નથી કરતી (ગૃહ ફરી તાળીઓથી ગાજી ઊઠ્યું). કોંગ્રેસ એક રાજકીય સંગઠન છે અને પક્ષના માળખાની આસપાસ અમુક મૅન્યુફેક્ચરિંગ અને નાણાકીય ઉદ્યોગો એને ટકાવી બેઠા છે (હવે સભ્યોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું).

કોંગ્રેસનો વિરોધ નવ કરોડ મુસલમાનો, પાંચ કરોડ ડિપ્રેસ્ડ ક્લાસના લોકો કરે છે, અને રજવાડાંઓની સાડાનવ કરોડની રૈયત કોંગ્રેસની સાથે નથી. ઓગણચાળીસ કરોડ હિન્દુસ્તાનીઓમાંથી સાડાત્રેવીસ કરોડ કોંગ્રેસની વિરુદ્ધ છે. કરોડો લોકો આંતરિક વિખવાદથી થાક્યા હશે, ગાંધીની વિચિત્ર માનસિક ઉથલપાથલોથી કંટાળ્યા હશે અની નવી નેતાગીરી માટે ઝંખતા હશે. ચર્ચિલે કહ્યું કે શ્વેતપત્રની ભલામણો (ક્રિપ્સ મિશનની દરખાસ્તો) હજી ઊભી જ છે અને નાગરિક અસહકાર પાછો ખેંચી લેવાય તો એના વિશે ચર્ચા થઈ શકે છે.

ચર્ચિલના નિવેદનને ક્રિપ્સની સાથે ભારત આવેલા રૂઢિચુસ્ત પાર્ટીના સભ્ય જેરલ્ડ પાલ્મરે ટેકો આપ્યો પણ લિબરલ પાર્ટીના વિલ્ફ્રેડ રૉબર્ટ્સે કહ્યું કે ગાંધી શાંતિવાદી (pascifist) છે અને શાંતિવાદીઓને યુદ્ધ સામે વાંધો હોય છે. ગાંધી અને જવાહરલાલ નહેરુને જેલમાં રાખવા પડ્યા છે તે જરૂરી હોય તો પણ નિંદનીય છે, એમનામાં પશ્ચિમી લોકશાહીનાં બીજ આપણે વાવ્યાં છે, હવે એ લોકો અમેરિકનો, રશિયનો અને ચીનીઓ પાસેથી પણ શીખે છે. તો એ ત્રણેય પક્ષોને પણ આપણે સામેલ કરવા જોઈએ. આપણે કોઈ ત્રીજા પક્ષને આમાંથી રસ્તો કાઢવાનું સોંપી દઈએ તો હિન્દુસ્તાનીઓને એમાં વિશ્વાસ બેસશે અને બ્રિટનની પ્રતિષ્ઠા પણ વધશે.

ઇંડીપેન્ડન્ટ લેબર પાર્ટીના સભ્ય જેમ્સ મૅક્સ્ટને કહ્યું કે કોંગ્રેસ બધાનું પ્રતિનિધિત્વ નથી કરતી એમ કહેવું ખોટું છે. સરકારે ભારતમાં પ્રાંતિક સરકારો બનાવવાનો અધિકાર આપ્યો ત્યારે લોકોએ કોંગ્રેસને જબ્બર બહુમતી આપી. એમને મળેલું લોક સમર્થન અહીં ચર્ચિલ અને એમના રૂઢિચુસ્ત પક્ષને મળેલા લોક સમર્થનની બરાબર છે. લેબર પાર્ટીના ત્રણ સભ્યોએ ચર્ચિલના નિવેદનને દુઃસાહસી, ઉદ્દંડ અને બેજવાબદાર ગણાવ્યું.

ભારત માટેના પ્રધાન લૉર્ડ ઍમરીનું ભાષણ

લૉર્ડ એમરીએ ચર્ચાનો જવાબ આપતાં કહ્યું કે ચર્ચિલના નિવેદનને સંપૂર્ણ વાજબી ગણાવ્યું અને કહ્યું કે ૧૯૪૧ના વસ્તીગણતરીના આંકડાઓ પરથી પણ પુરવાર થાય છે કે કોંગ્રેસ બધા હિન્દુસ્તાનીઓની પ્રતિનિધિ નથી, આ તબક્કે લેબર પાર્ટીના સભ્ય ડેવિસે દરમિયાનગીરી કરીને પૂછ્યું કે આ આંકડા કોણે તૈયાર કર્યા? ઍમરીએ જવાબ આપ્યો કે વસ્તીગણતરી ખાતાએ તો કોઈ ઉશ્કેરણીના હેતુથી આ આંકડા તૈયાર નથી કર્યા. વડા પ્રધાને આ આંકડાઓનો ઉપયોગ ભારતમાં કેટલી કોમો છે તે દેખાડવા કર્યો છે, પણ એય તદ્દન સાચું છે કે છ વર્ષ પહેલાં ચૂંટણી થઈ ત્યારે મુસલમાનોએ મોટી સંખ્યામાં કોંગ્રેસને મત આપ્યા હતા, પણ તે પછી સ્થિતિ બદલાઈ ગઈ છે. આજે કોંગ્રેસ સાથે જેટલા મુસલમાનો અને ડિપ્રેસ્ડ ક્લાસના લોકો છે તેના કરતાં બહુ ઘણા હિન્દુઓ મહાસભા સાથે છે. ઍમરીએ કહ્યું કે સ્ટેફર્ડ ક્રિપ્સ ભારતથી પાછા આવ્યા તે પછી તરત એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ ભારતની સરકાર સામે સીધો પડકાર ફેંકવા તૈયાર થવા લાગી હતી. આપણે પહેલાં પણ આંદોલનો જોયાં છે, પણ આ વખતે તો જુલાઈમાં જ ગાંધીએ કહી દીધું હતું કે આ લડાઈ એમના જીવનની આકરામાં આકરી લડાઈ હશે. એમના જ શબ્દો છેઃ “મારું વલણ બદલાઈ ગયું છે. હું રાહ જોઈ શકું એમ નથી, દેખાઈ આવે એવાં જોખમો છતાં મારે લોકોને ગુલામીનો સામનો કરવા કહેવું પડશે.” ગાંધીએ કહ્યું કે દેશની આઝાદી માટે લોકોએ બોંબ, બંદુકો અને તોપોનો પણ સામનો કરવો પડશે – ઍમરીએ આ સાથે સવાલ પૂછ્યો કે આને અહિંસક આંદોલન કહી શકાય? દસમી જુલાઈએ કોંગ્રેસે ઠરાવ પસાર કર્યો તે પછી ગાંધીએ કહ્યું કે “અહિંસા ઉત્તમ છે પણ જ્યાં એ સ્વાભાવિક રીતે ન આવે – અને લોકોમાં સ્વાભાવિક રીતે અહિંસા નથી પ્રગટતી – ત્યાં હિંસાનો રસ્તો જરૂરી અને માનભર્યો છે, કંઈ ન કરવું તે કાયરતા છે.”

લેબર પાર્ટીના સભ્યોએ ઍમરીનાં વિધાનો સામે વાંધા લીધા અને કોંગ્રેસના નેતાઓની ધરપકડ વિશે સવાલો કર્યા. ઍમરીએ જવાબમાં જિન્નાનું કથન ટાંક્યું કે “સરકાર પર હુમલો થાય તે પહેલાં સરકારે જ હુમલો કરી દીધો.”

ગાંધીને વાઇસરૉય બનાવો!

લૉર્ડ ઍમરીએ પોતાના ભાષણમાં ગાંધીજીને ‘ક્રાન્તિકારી’ ગણાવ્યા અને કહ્યું કે ગાંધીના આપખુદ સ્વભાવનો પ્રભાવ કોંગ્રેસ પર પડ્યો છે. થોડા જ દાયકા પહેલાં કોંગ્રેસ બંધારણીય માર્ગે રાજકીય સુધારા માગનારી સંસ્થા હતી તે ગાંધીના પ્રવેશ સાથે ઉદ્દામ બની ગઈ છે. એમનાં બધાં અહિંસક આંદોલનો અંતે હિંસક નીવડ્યાં છે, એ વાત સ્વયં ગાંધી જાણે છે અને આ આંદોલનમાં પહેલેથી જ હિંસાનું આયોજન હતું એટલે એમને જેલમાં પૂરી દેવાનું વાઇસરૉયનું પગલું સાચું હતું. એક સભ્યે કહ્યું કે હિંસા કોંગ્રેસના નેતાઓની ધરપકડ પછી શરૂ થઈ, પહેલાં નહીં. અને સરકાર પાસે એવા પુરાવા હોય કે ગાંધીની હિંસાની યોજના હતી તો શા માટે પુરાવા જાહેર નથી કર્યા?

દરમિયાન એક વાત સ્પષ્ટ થતી હતી કે લેબર પાર્ટી ક્રિપ્સ મિશન મારફતે બ્રિટિશ સરકારે રજૂ કરેલી દરખાસ્તોને પોકળ માનતી હતી. એક સભ્યે તો ગાંધીજીને વાઇસરૉય બનાવવાની સલાહ આપી! એક સભ્યે કહ્યું કે સરકાર શા માટે બંધારણ બનાવી આપવા માગે છે? બ્રિટનનું પોતાનું બંધારણ પણ સમયની સાથે વિકસ્યું છે, બનાવેલું નથી તો ભારતમાં અનેક સમસ્યાઓ હોય તો પણ બંધારણ બનાવવું એ હિન્દુસ્તાનીઓનું કામ છે, અને એમના પર છોડવું જોઈએ.

એક નોંધવા જેવી વાત એ છે કે બ્રિટનમાં યુદ્ધ પછી ચૂંટણી થઈ તેમાં ચર્ચિલની આગેવાની હેઠળના રૂઢિચુસ્ત પક્ષનો પરાજય થયો અને ઍટલીની નેતાગીરી હેઠળ લેબર સરકાર બની. ઍટલીને કારણે ભારત આઝાદ થયું એવી માન્યતા છે પણ ‘ભારત છોડો’ આંદોલનની ચર્ચામાં બોલતાં ઍટલીએ તદ્દન સામ્રાજ્યવાદી વલણ દેખાડ્યું અને કહ્યું કે ક્રિપ્સ મિશનની દરખાસ્તો બહુ સારી હોવા છતાં કોંગ્રેસ અને બીજા પક્ષોએ એને ફગાવી દીધી હતી. ક્રિપ્સની દરખાસ્તોમાં પ્રાંતોને સ્વતંત્ર થવાની છૂટ આપવાનું સૂચન હતું જે કોંગ્રેસની નજરે પાકિસ્તાન માટે બારણાં ખોલવા બરાબર હતું. કોંગ્રેસે એ કારણે ક્રિપ્સ મિશનની દરખાસ્તોને નકારી કાઢી હતી. બીજી બાજુ, જિન્નાને એમાં ‘કપાયેલું’ પાકિસ્તાન દેખાતું હતું વળી શરત એ હતી કે, કાં તો ક્રિપ્સની આખી યોજના સ્વીકારો અથવા આખી યોજના નકારો. આમાં ચર્ચાને અવકાશ નહોતો પણ ઍટલીને એમાં કંઈ ખોટું નહોતું દેખાયું.

અમેરિકામાં અસર

બ્રિટનને ખરી ચિંતા અમેરિકામાં ‘ભારત છોડો’ આંદોલનના જે પડઘા પડ્યા તેના વિશે હતી. અમેરિકાની સરકાર અને પ્રજામાં આમ તો હંમેશાં ભારત માટે સહાનુભૂતિ હતી પરંતુ બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટન અને અમેરિકા એક સાથે હતાં એટલે સરકારનો દૃષ્ટિકોણ બદલાયેલો હતો, લૉર્ડ ઍમરી અને બીજાઓને લાગતું હતું કે અમેરિકી સરકારને જ નહીં, સામાન્ય અમેરિકી નાગરિકને પણ સંતોષ આપવાનું જરૂરી હતું. ભારતની ભૂમિ પર અમેરિકાની મોટી ફોજ હતી. અમેરિકી સરકાર માટે આ સુવિધા બહુ જરૂરી હતી. કોંગ્રેસની માગણી મુજબ જો ભારત સ્વતંત્ર થાય તો યુદ્ધ બાબતમાં સ્વતંત્ર ભારતની સરકાર શું વલણ લે તે બાબતમાં અમેરિકી સરકારમાં શંકાઓ હતી. બીજી બાજુ, અખબારો પણ એકમત નહોતાં. અહીં ભારતમાં ગાંધીજી સહિતના બધા નેતાઓને અમેરિકામાં ભારતના હિમાયતીઓમાં જે ઢીલાશ દેખાતી હતી તે વિશે અજંપો હતો.

અમેરિકા અને બ્રિટન કહેતાં હતાં કે આ યુદ્ધ ચીન અને રશિયાની સ્વાધીનતાને બચાવી રાખવા માટે જરૂરી હતું. પરંતુ ગાંધીજીનો સવાલ જ એ હતો કે એક દેશને પરાધીન રાખીને, એની ભૂમિ પરથી, કોઈ બીજા દેશની સ્વાધીનતાને બચાવવા માટે લડાઈ કરવી એમાં કંઈ નીતિમત્તા નહોતી.

અમેરિકી પત્રકાર અર્નેસ્ટ લિંડલેનો લેખ

અમેરિકાની દ્વિધાનો પડઘો વ્હાઇટ હાઉસના બિનસત્તાવાર પ્રવક્તા જેવા મનાતા પત્રકાર અર્નેસ્ટ લિંડલેએ વૉશિંગ્ટન પોસ્ટમાં લખેલા એક લેખમાં મળે છે; એમણે અમેરિકા ત્રીજા પક્ષ તરીકે મધ્યસ્થી કરે એવો સંકેત આપ્યો છેઃ

“ભારતમાંથી નિયમિત માર્ગે ખાસ સમાચાર મળતા નથી, એનો અર્થ એ નથી કે ત્યાં બધું સારું ચાલે છે. એનો અર્થ એ છે કે ત્યાં બહુ આકરી સેંસરશિપ છે અને બ્રિટિશ સરકારે વિરોધને દબાવી દેવાનો માર્ગ લીધો છે. ભારતની આંતરિક રાજકીય સમસ્યાનો વાતચીત દ્વારા ઉકેલ લાવવાનો પ્રયાસ થતો હોય એવાં એંધાણ નથી. બ્રિટિશ સતાવાળાઓને વિશ્વાસ હોય એમ લાગે છે કે શ્રી ગાંધીના આંદોલનને બળથી કચડી શકાશે. કોંગ્રેસના નેતાઓ બણગાં ફૂંકે છે કે બે મહિનામાં તેઓ સરકારી તંત્રને ખોરવી નાખશે પણ કોઈ આ દાવાને ગંભીરતાથી લેતું નથી.

“અમેરિકી સરકાર માટે આ એક બહુ નાજુક સમસ્યા છે. ક્રિપ્સ મિશનની યોજનાને બધા પક્ષોએ ફગાવી દીધી તે પછી, અમેરિકામાં સરકારી અને અંગત અભિપ્રાય કોંગ્રેસની વિરુદ્ધ ગયો છે…કોંગ્રેસના નેતાઓનું વલણ તદ્દન થકવી દે તેવું છે અને એ માત્ર બ્રિટન કે યુનાઇટેડ સ્ટેટ્સ નહીં , ખુદ ભારતનાં હિતોની વિરુદ્ધ છે…જો દમન એક જ રસ્તો હોય તો બ્રિટન સામે, આજના સંજોગોમાં સવાલ ખડો કરી શકાય તેમ નથી, પરંતુ બ્રિટન અને કોંગ્રેસ વાટાઘાટો દ્વારા આ સમસ્યા ઉકેલી શકે એમાં જાણકારોને શંકા છે. કદાચ અમેરિકા અને ચીન મિત્ર તરીકે વચ્ચે આવે તો ઉપયોગી થાય.”

ચીન શું માનતું હતું?

બ્રિટન જેની સ્વાધીનતાના બચાવના ‘ઉદાત્ત’ ધ્યેય માટે લડાઈમાં ઊતર્યું હતું તેના પ્રખ્યાત લેખક અને વિદ્વાન લિન યુતાંગે ભારતની સ્વતંત્રતાની તરફેણ કરતો એક જોરદાર લેખ Free worldમાં લખ્યો. એ લેખના કેટલાક અંશ જોઈએઃ

“આપણે હિન્દુવિરોધી પ્રચારના આધારે વાતો કરીએ છીએ. આપણા મનને મનાવવા માટે માની લઈએ કે કોંગ્રેસ આખા ભારતનું પ્રતિનિધિત્વ નથી કરતી; કોંગ્રેસમાં મુસલમાનો નથી; જિન્ના બહુ મહત્ત્વના છે; હિન્દુસ્તાનીઓને અંગ્રેજો માટે પ્રેમ છે અને બધું બરાબર ચાલે છે.

આવી ભ્રમણાઓમાં રાચવાનો સમય વીતી ચૂક્યો છે અને હવે એની કીંમત ચુકવવી પડશે…અમેરિકામાં ભારત વિરુદ્ધ ઝેર ફેલાવવામાં આવે છે પરંતુ શાણા નાગરિકો સમજે છે કે બ્રિટનના સેંસર અધિકારીઓની આંખે ભારતનો કેસ અમેરિકી જનતા સુધી કદીયે બરાબર પહોંચ્યો નથી… માનવ સ્વભાવનો એ નિયમ છે કે આપણે જેને ઈજા પહોંચાડવા માગતા હોઈએ તેને પહેલાં ભાંડીએ કે જેથી સાબિત કરી શકીએ કે ઈજા કરવાનું આપણું કૃત્ય ઈજા પામનારના ભલા માટે છે. એટલે આપણે બોલતા રહેવું જોઈએ કે “ગાંધી ખુશામતખોર છે, ગાંધી આપખુદ અને ખંધા રાજકારણી છે, ગાંધીને વાસ્તવિકતાની સમજ નથી, ગાંધી માત્ર બ્રિટનને પાયમાલ કરવા માગે છે.”

સવાલ એ છે કે ગાંધી શા માટે આટલા મૂર્ખ છે? નહેરુ જેવા માણસો અને કોંગ્રેસના બીજા નેતાઓ શા માટે આટલા મૂર્ખ છે? એમનાથી ગેરરસ્તે દોરવાઈ જાય એટલી હદે હિન્દુસ્તાનીઓ શા માટે મૂર્ખ છે?…હિન્દુઓ વિશે અમેરિકનો ન સમજી શકે એવું કંઈક છે. ગાંધી એટલા માટે મૂર્ખ છે કે એ પણ, જેના માટે જ્યૉર્જ વૉશિંગ્ટન લડતા હતા તે, ઇંગ્લેંડની પરાધીનતામાંથી મુક્તિ માટે લડે છે. ગાંધી અને નહેરુ વૉશિંગ્ટન જેટલા જ જેટલા જ હઠીલા છે. નહેરુ એટલા માટે મૂર્ખ છે કે એમને પણ વૉશિંગ્ટન કે થોમસ પેઇનને ‘લિબર્ટી’ જેવા નાનાઅમથા શબ્દ માટે જેટલો પ્રેમ હતો એટલો જ પ્રેમ છે. ભારતને આજે જે અન્યાય થાય છે તે અમેરિકાની કૉલોનીઓમાં કે આયર્લેંડમાં પહેલાં થતો હતો, બરાબર એના જેવો જ છે. આજે અમેરિકનોને ‘લિબર્ટી” મળી ચૂકી છે ત્યારે આ નાનાઅમથા શબ્દનો અર્થ ભૂલી ગયા છે… ગાંધી અને નહેરુએ જે શક્તિને વૉશિંગ્ટને વહેતી કરી હતી તેને જ વહેતી કરી છે….આપણે રાષ્ટ્રોની મુક્તિ માટે યુદ્ધ કરીએ છીએ ત્યારે એ મહાન પ્રજા પોતાના રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય માટે પોકારે છે… હાલમાં જ સેક્રેટરી હલ કહેતા હતા કે બધા દેશોએ મુક્તિ માટે લડવું જોઈએ; ભારતીયો એમના જ શબ્દોને અનુસરે છે. હવે હલ ભારતીયોને ન કહી શકે કે તમારે મુક્તિ માટે લડવાનું નથી… આપણે ગ્રીસ, યુગોસ્લાવિયા કે ફ્રાન્સની મુક્તિ માટે તલપાપડ છીએ પણ દુનિયાના સૌથી મોટા દેશ ભારતના મુક્તિ સંગ્રામ તરફ આપણે આંખો બંધ કરીને બેઠા છીએ.. ભારતને સ્વાધીનતા જોઈએ છે. એ સ્વાધીન દેશ તરીકે આપણી સાથે રહીને લડવા માગે છે. સાથી રાષ્ટ્રોનાં સૈન્ય ભારતની ભૂમિ પર રહે તેમાં એને વાંધો નથી, એમ કોંગ્રેસનો ઠરાવ સ્પષ્ટ દેખાડે છે…ભારતને સ્વતંત્રતા જોઈએ અને એના ભવ્ય નેતાઓએ ભારતને સ્વતંત્રતાને લાયક બનાવ્યું છે. સ્વતંત્ર ભારત ધરી રાષ્ટ્રો સામેની લડાઈમાં વધારે જોશથી જોડાશે પણ હું ચેતવણી આપું છું કે એને પોતાની સ્વાધીનતા નહીં મળે ત્યાં સુધી એ છોડશે નહીં…”

૦૦૦

સંદર્ભઃ The Indian Annual Register, Vol ii, July-December1942.


India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-31

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૩૧: ભારત છોડો (૨)

બ્રિટિશ કેબિનેટે આઠમી તારીખે જ ‘ભારત છોડો’ આંદોલનને દબાવી દેવા માટે વાઇસરૉય જલદ પગલાં લે તેની હિમાયત કરી હતી. કેબિનેટને ગાંધીજી ઉપવાસ કરે તેની ધાસ્તી પણ હતી પરંતુ એણે નક્કી કર્યું કે ઉપવાસની પરવા ન કરવી. ગાંધીજીને તરીપાર કરી દેવાની પણ બ્રિટિશ કેબિનેટે તરફેણ કરી અને વાઇસરૉય લિન્લિથગોને પણ એ નિર્ણય વાજબી લાગ્યો હતો પરંતુ વાઇસરૉયની કૅબિનિટ અને કેટલાય પ્રાંતોના ગવર્નરો – ખાસ કરીને મુંબઈ અને બિહારના ગવર્નરો – અને ઇંટેલિજન્સ બ્યૂરોના ડાયરેક્ટરનો મત હતો કે ગાંધીજી વિરુદ્ધ આવા કોઈ પણ પગલાના જનતામાં નકારાત્મક પ્રત્યાઘાત પડશે. તે પછી એ નિર્ણય ટાળી દેવાયો પરંતુ ગાંધીજી ઉપવાસ કરે તો એમને રોકવા માટે કંઈ ન કરવું એ બાબતમાં વાઇસરૉયનો નિર્ણય પાકો હતો.

નવમી ઑગસ્ટે ગોવાલિયા ટેંક મેદાનમાંથી ઐતિહાસિક સંગ્રામ શરૂ થવાનો હતો પણ સરકારે ‘ઑલ ઇંડિયા કોંગ્રેસ કમિટી (AICC) અને ‘કોંગ્રેસ વર્કિંગ કમિટી “તરીકે ઓળખાતાં સંગઠનો”ને ગેરકાનૂની સંગઠન જાહેર કરી દીધાં. તે ઉપરાંત મુંબઈ અને ગુજરાતની પ્રદેશ કોંગ્રેસ સમિતિઓ, ગુજરાત કોંગ્રેસની સત્યાગ્રહ સમિતિ, મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ અને કર્ણાટકની કોંગ્રેસ સત્યાગ્રહ સમિતિને પણ ગેરકાનૂની જાહેર કરી. એમની મીટિંગો માટે જિલ્લા મેજિસ્ટ્રેટની પરવાનગી લેવાનું ફરજિયાત બનાવાયું. ગોવાલિયા ટેંક મેદાનમાં કોંગ્રેસે ઊભા કરેલા શમિયાણા સહિત કોંગ્રેસ હાઉસ, વિઠ્ઠલ સદન, સરોજિની કુટિર, દાદાભાઈ મંઝિલ, જિન્ના હૉલ વગેરે સ્થળો પર પોલીસે કબજો કરી લીધો.

ગાંધીજી સહિત બધા નેતાઓને ટ્રેનમાં બેસાડી દેવાયા. ચિંચવડ સ્ટેશને ગાંધીજી અને બીજા કેટલાકને યરવડા જેલમાં લઈ જવાના હતા તે ઊતર્યા. પોલીસના રિપોર્ટ પ્રમાણે પૂના સ્ટેશને ટ્રેન રોકાવાની નહોતી પણ રહસ્યભરી રીતે ત્યાં સિગ્નલ ન મળતાં ટ્રેન રોકાઈ. એ સાથે જ જવાહરલાલ અને શંકરરાવ દેવ ટ્રેનની બારીઓમાંથી અંદર ઘૂસી ગયા પણ પોલીસના DIGએ એમને અટકાવ્યા. નહેરુ અને દેવ બહુ ગુસ્સામાં હતા અને પોલીસ સાથે થોડી ધક્કામુક્કી પણ થઈ. સરવાળે, ટ્રેન વર્કિંગ કમિટીના બધા સભ્યો સાથે શાંતિથી અહમદનગર પહોંચી ગઈ.

આ બાજુ, સવાર પડતાં જ લોકોમાં કોંગ્રેસ નેતાઓની ધરપકડના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા. લોકો ગોવાલિયા ટેંક મેદાનમાં એકઠા થવા લાગ્યા હતા (પછી એનું નામ બદલીને ઑગસ્ટ ક્રાન્તિ મેદાન રાખવામાં આવ્યું). પરંતુ કોઈ નેતાઓ તો હતા નહીં એટલે કોંગ્રેસના યુવાનોએ આ જવાબદારી સંભાળી લીધી. ઉષાબેન મહેતા એ વખતે ૨૨ વર્ષનાં હતાં; એમણે ત્રિરંગો લહેરાવ્યો. ઠેરઠેર ઉશ્કેરાયેલાં ટોળાંઓ નીકળી પડ્યાં અને સરકારી બિલ્ડિંગો અને રેલવેની સંપત્તિને નુકસાનથી બચાવવા પોલીસને બે દિવસ સુધી તો કેટલાંયે ઠેકાણે લાઠીચાર્જ કરવો પડ્યો. દસમીએ પોલીસના ગોળીબારમાં છ જણ માર્યા ગયા. મદ્રાસ પ્રાંતમાં તેનાલી રેલવે સ્ટેશને ટોળાએ માલસામાનના શેડ લૂંટી લીધા, તાર-ટેલીફોન લાઇનો કાપી નાખી, બે ટ્રેનોને સળગાવી નાખી. લખનઉ, કાનપુર, મુંબઈ, નાગપુર, અમદાવાદ વગેરે ઔદ્યોગિક શહેરોમાં ભારે અશાંતિ હતી. ૧૫મી તારીખ સુધીના પહેલા અઠવાડિયા દરમિયાન કાનૂન અને વ્યવસ્થાની સ્થિતિ સરકારના કાબૂ બહાર રહી. આમ છતાં બિહારમાં શાંતિ નહોતી, પટનાના રેલવે સ્ટેશનની ભારે ખાનાખરાબી થઈ હતી. અલ્હાબાદ, બનારસ, કલકત્તા, ઢકા વગેરે શહેરોમાં ભારે ઊકળાટ હતો. ક્લકત્તા અને ઢાકામાં તો પોલીસે ગોળીબાર પણ કર્યો. સરકારનો દાવો હતો કે કોંગ્રેસ હવે સીધી રીતે વિદ્યાર્થીઓને ભાંગફોડ માટે ઉશ્કેરે છે. તોડફોડનું નિશાન સંદેશ સેવાઓ અને ટ્રેન સેવાઓ હતી.

૧૪મી ઑગસ્ટે ઉષાબેન અને એમના સાથીઓ વિઠ્ઠલભાઈ ઝવેરી. ચંદ્રકાન્ત ઝવેરી,અને બાબુભાઈ ઠક્કરે એક રેડિયો સ્ટેશન શરૂ કર્યું. શિકાગો રેડિયોના માલિક નાનકા મોટવાણીએ એના માટે ઉપકરણો આપ્યાં અને પોતાના ટેકનિશિયનોને રેડિયો સ્ટેશન ચલાવવાની જવાબદારી સોંપી. ૨૭મી ઑગસ્ટે ઉષાબેનના અવાજમાં કોંગ્રેસ રેડિયોનાં પ્રસારણો શરૂ થયાં. કોંગ્રેસના નેતાઓ રામ મનોહર લોહિયા, અચ્યુત પટવર્ધન, પુરુષોત્તમ ત્રિકમદાસ વગેરે પણ એમને મદદ કરતા. પોલીસથી બચવા રેડિયો સ્ટેશનને એક જગ્યાએથી બીજે લઈ જવું પડતું. અંતે નવેમ્બરમાં પોલીસે આ સ્ટેશન પકડી પાડ્યું. ઉષાબેન અને એમના સાથીઓને ચાર વર્ષની કેદની સજા થઈ.

વાઇસરૉય લિન્લિથગો દરરોજ હિંદ માટેના બ્રિટિશ પ્રધાન લૉર્ડ ઍમરીને રિપોર્ટ મોકલતો તેમાં બધે ઠેકાણે સ્થિતિ કાબૂમાં હોવાનું લખતો પણ તે સાથે નવાં સ્થળોએ તોફાન ફાટી નીકળવાના સમાચાર પણ આપવા પડતા હતા. પાંચમી સપ્ટેમ્બરના એના રિપોર્ટમાં માહિતી આપી છે કે આખા દેશમાં ૬૫ પોલીસ ચોકીઓ પર ભીડે હુમલા કર્યા તેમાં ૪૦ ચોકીઓ સદંતર નાશ પામી, ૩૪૦ના જાન ગયા અને ૬૦૦ ઘાયલ થયા.અને હજી આંદોલનને એક મહિનો પણ પૂરો નહોતો થયો. રિપોર્ટ કહે છે કે આ આંકડા હજી ઊંચે જશે. આ ઘટનાઓમાં ૨૮ પોલીસ કર્મચારીઓ પણ માર્યા ગયા.

સરકારે વિદ્રોહને દબાવી દેવા માટે ૫૭ લશ્કરી બટાલિયનો ઉતારી. જનતાને નાથવાની કોશિશમાં ૧૧ સૈનિકો અને બે હવાઈદળના કર્મચારીઓનાં મોત થયાં. ૨૮મી સપ્ટેમ્બરે ઓરિસ્સાના બાલાસોર જિલ્લાના એક ગામે પોલીસે ગોળીબાર કર્યો તેમાં ૨૯ જણ શહીદ થયા.

આઝાદીનો પવન ચારે બાજુ ફુંકાવા લાગ્યો હતો. ઑક્ટોબરના અંતમાં વાયવ્ય સરહદ પ્રાંતમાં તોફાનો ફાટી નીકળ્યાં અને ખાન અબ્દુલ ગફ્ફાર ખાનને કેદ કરી લેવાયા. ફેબ્રુઆરી ૧૯૪૩ સુધીમાં ૪૦,૦૦૦ વ્યક્તિઓ જુદા જુદા કાયદા હેઠળ જેલોમાં હતી અને ૧૫૭ બોંબ કેસો પણ પકડાયા. સરકારી રિપોર્ટ પ્રમાણે કોંગ્રેસ પ્રેરિત તોફાનોમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ કે મુસ્લિમ નેતાઓ નહોતા જોડાયા. પરંતુ હિન્દુ-મુસ્લિમ રમખાણ ન થયાં. મુસ્લિમ લીગે મુસલમાનોને આ આંદોલનથી દૂર રહેવા અપીલ કરી હતી. કમ્યુનિસ્ટો પણ આંદોલનમાં કોંગ્રેસ સાથે નહોતા અને એમણે મુંબઈમાં મિલો ફરી ચાલુ થાય તેમાં સરકારને મદદ કરી.

એક ગુપ્ત AICCની ઑફિસ પણ શરૂ થઈ, એણે ‘કરો યા મરો’ના ગાંધીજીના સ્લોગન સાથે ૧૨ મુદ્દાનો કાર્યક્ર્મ લોકોને આપ્યો. કોંગ્રેસનું લક્ષ્ય વહીવટીતંત્રને સંપૂર્ણ ખોરવી નાખવાનું હતું એટલે વિદ્યાર્થીઓ, વેપારીઓ, ખેડૂતો, મજૂરો, એમ બધા વર્ગો માટે ભૂગર્ભ AICCએ જુદી જુદી અપીલો બહાર પાડી.

જયપ્રકાશ નારાયણ

૧૯૪૨ની નવમી નવેમ્બરની રાતે લોકો દિવાળી ઉજવવામાં મગ્ન હતા ત્યારે બિહાર (હવે ઝારખંડ)ના હઝારીબાગની સેંટ્રલ જેલની દીવાલ કૂદીને જયપ્રકાશ નારાયણ ભાગી છૂટ્યા. ત્યાંથી એ વારાણસી થઈને યુરોપિયન વેશમાં મુંબઈ પહોંચ્યા અને ભૂગર્ભમાં રહીને ઑગસ્ટ ક્રાન્તિનું સંચાલન કરનારા કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોને મળ્યા. જે. પી. સમાજવાદી હતા અને ગાંધીજીના અત્યંત પ્રિય સાથીઓમાં હતા પણ અહિંસાની બાબતમાં એમના ગાંધીજી સાથે મતભેદ હતા. જે. પી. માનતા કે સામાજિક પરિવર્તન માટે મર્યાદિત હિંસા જરૂરી બની જતી હોય છે. એમણે “દેશમાં કોઈક સ્થળેથી” કેટલાંય નિવેદનો બહાર પાડ્યાં અને યુક્ત પ્રાંતમાં છૂપા વેશે ફરીને ‘ભારત છોડો’ આંદોલનને ફેલાવ્યું. સરકારે એમને પકડવા માટે પાંચ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું પણ જે. પી. વિશે બાતમી આપવા કોઈ આગળ ન આવતાં સરકારે ઇનામની રકમ દસ હજાર રૂપિયા કરી દીધી.

તે પછી એમણે બિહાર અને નેપાલની સરહદે ‘ફ્રીડમ બ્રિગેડ’ની રચના કરી પણ નેપાલી સત્તાએ એમને અને રામ મનોહર લોહિયાને ભીંસમાં લીધા. સામસામે ગોળીઓની રમઝટ ચાલી પણ જે. પી. અને લોહિયા ફરી એક વાર પોલીસને હાથતાળી દઈને ભાગી છૂટ્યા.

દરમિયાન ગાંધીજી અને લિન્લિથગો વચ્ચેનો પત્રવ્યવહાર પ્રકાશિત થઈ ગયો હતો. તે પછી હિંસા-અહિંસાનો વિવાદ શરૂ થઈ ગયો હતો. જે. પી.એ કહ્યું કે આ વિવાદનો અર્થ નથી કારણ કે દરેક વ્યક્તિ પોતાનો રસ્તો પસંદ કરી શકે છે. કેટલાક લોકો આ આંદોલનનો યશ કોંગ્રેસને ન મળે એવી વેતરણમાં પણ લાગ્યા હતા. એમનું કહેવું હતું કે આંદોલન શરૂ થયું તે પહેલાં જ ગાંધીજી અને બીજા કોંગ્રેસ નેતાઓ જેલભેગા થઈ ગયા હતા. નેતૃત્વ એમના હાથમાં તો હતું જ નહીં એટલે આ કોંગ્રેસનું આંદોલન ન ગણાય. જે. પી.નો જવાબ હતો કે જે કંઈ થાય છે તે કોંગ્રેસના નેતાઓની ધરપકડનો જ પ્રત્યાઘાત છે. એમણે કમ્યુનિસ્ટો પર કટાક્ષ કરતાં સવાલ કર્યો કે મુંબઈની AICCમાં ગરજનારા મહાન ક્રાન્તિકારીઓ ક્રાન્તિનો દોર સંભાળી લેવા માટે કેમ આગળ ન આવ્યા?

જનતા સરકારો

યુક્ત પ્રાંતમાં બલિયા, ગઢવાલ, બિહારમાં મૂંગેર, મધ્ય પ્રાંતમાં નાગપુર અને મુંબઈ પ્રાંતમાં સાતારામાં જનતા સરકારો બની પણ સરકારે સશસ્ત્ર પોલીસ દળો મોકલીને એમને ધ્વસ્ત કરી નાખી. એક માત્ર બંગાળના મિદનાપુર જિલ્લાની જનતા સરકાર માથાના દુખાવા જેવી નીવડી. લાખો લોકો એના સમર્થનમાં અડગ હતા એટલે સરકાર આર્મી કે પોલીસનો બહુ ઉપયોગ કરે તો એને પોતાને જ નુકસાન થાય તેમ હતું. જાપાન આ વિસ્તારમાં ત્રાટકશે એવી બીકમાં સરકારે ૧૯૪૨ના ઍપ્રિલથી જ ત્યાં દમનકારી પગલાં લેવાનું શરૂ કર્યું હતું. લોકોની સાઇકલો સહિત ઘરવખરી પણ જપ્ત કરી લેવાઈ હતી, ચોખાની આખી ઊપજની જિલ્લાની બહાર નિકાસ થઈ જતી હતી. લોકોના હાથમાં પૈસા નહોતા અને તેમ છતાં ભાવો ચડતા જતા હતા એટલે લોકોમાં સરકાર સામે ભારે રોષ હતો જ. ઑગસ્ટ ક્રાન્તિ શરૂ થયાના એક મહિના પછી. આઠમી સપ્ટેમ્બરે એક વેપારી ચોખાની નિકાસ કરવાની કોશિશ કરતો હતો ત્યારે એને રોકવા બે હજારની ભીડ ત્યાં એકઠી થઈ ગઈ. પોલીસે એને વીખેરવા ગોળીબાર કરતાં ત્રણ ગામવાસીઓ માર્યા ગયા. તે પછી પોલીસે છ ગામોમાં ઝડતી લીધી અને ૨૦૦ જણને પકડી લીધા.

બીજી બાજુ બંગાળ સરકારે જાપાની આક્રમણનો મુકાબલો કરવા સ્થાનિક લોકોમાંથી પાંચ હજારને પસંદ કરીને ‘વિદ્યુત વાહિની’ બનાવી હતી; હવે એના સભ્યો બ્રિટિશ સરકાર સામેની લડતમાં જોડાયા. એમણે અસંખ્ય પોલીસ ચોકીઓને બાળી નાખી, કેટલાયે સરકારી નોકરોને કેદ કરી લીધા અને એમની પાસેથી બ્રિટિશ સરકાર માટે કામ ન કરવાનાં વચનો લીધાં, તે પછી એમને ઘર સુધીની રેલવેની મુસાફરીનાં ભાડાં આપીને છોડ્યા.

૨૯મી સપ્ટેમ્બરે પોલીસે ગોળીબાર કરીને એક ભીડને સરઘસાકારે મિદનાપુર શહેર ભણી જતાં રોકી દીધી. એ જ દિવસે વિદ્યુત વાહિનીના વોલંટિયરો પચાસ હજારના સરઘસની આગેવાની લઈને સૂતાહાટા પોલિસ ચોકી પર ત્રાટક્યા.

૧૭મી ડિસેમ્બરે તામ્રલિપ્તમાં રાષ્ટ્રીય સરકારની રચના કરવામાં આવી. સતીશચંદ્ર સામંત એના પહેલા ‘સરમુખત્યાર’ બન્યા. તે પછીની ૨૬મી જાન્યુઆરીએ – કોંગ્રેસના સંકલ્પ દિને – સૂતાહાટા, નંદીગ્રામ, તામલૂક અને મહીષાદલમાં પણ રાષ્ટ્રીય સરકારો બની. તામ્રલિપ્ત સરકારે ડાકુઓ, ચોરો, દુકાળ. ચેપી રોગો, મુલ્કી અને ફોજદારી કેસો, નિશાળો, સૈનિકો, પોલીસ વગેરે અનેક વિષયો માટે ખાસ ખાતાં શરૂ કર્યાં. આ સરકાર બે વર્ષ સુધી કામ કરતી રહી. ત્યાં બ્રિટિશ હકુમતનું નામનિશાન પણ નહોતું રહ્યું.

પરંતુ ૧૯૪૨ના ઑક્ટોબરમાં મિદનાપુર જિલ્લો ભયંકર વાવાઝોડાનો શિકાર બન્યો. આનો લાભ લઈને બ્રિટિશ સરકારે ત્યાં મોટી સંખ્યામાં પોલિસો મોકલ્યા. તે પછી ત્યાં દિવસે પોલિસ રાજ અને રાતે સ્વરાજ જેવી સ્થિતિ રહી.

‘ભારત છોડો’ આંદોલનના શરૂઆતના દિવસોમાં જ સરકાર હાંફી ગઈ હતી. નેતાઓને પકડી લેવાથી જનતા દબાઈ નહીં અને ગાંધીજીએ આદેશ આપ્યો હતો તેમ પહેલાંના સત્યાગ્રહથી અલગ પ્રકારનું આંદોલન બની ગયું હતું. એક વ્યક્તિના શબ્દમાં કેટલી શક્તિ હતી તેનો પરચો વાઇસરૉયને મળી ગયો હતો.

xxx

આવતા અંકમાં આપણે ગાંધીજી અને લૉર્ડ લિન્લિથગો વચ્ચેનો પત્રવ્યવહાર અને બીજી વાતો જોઈશું.

000

સંદર્ભઃ

1. Centenary History of Indian National Congress Vol.III

2. ttps://www.mkgandhi.org/ushamehta.htm

3. https://en.wikipedia.org/wiki/Usha_Mehta

India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-30

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૩૦: ભારત છોડો (૧)

૧૯૪૨ની સાતમી ઑગસ્ટે મુંબઈના ગોવાલિયા ટેંક મેદાનમાં AICCની ઐતિહાસિક મીટિંગ શરૂ થઈ. એના અઢીસો સભ્યો ઉપરાંત દસ હજાર શ્રોતાઓ પણ હાજર હતા. વંદે માતરમ્‍ સાથે કાર્યવાહીની શરૂઆત થઈ, તે પછી કોંગ્રેસ પ્રમુખ મૌલાના અબુલ કલામ આઝાદે કમિટી સમક્ષ જે ઠરાવ રજૂ થવાનો હતો તેનું મહત્ત્વ સમજાવતાં કહ્યું કે આ ઠરાવ ટૂંકમાં એમ કહે છે કે આપણે વચનો પર ભરોસો રાખવા નથી માગતા, તરત ભારતને આઝાદ કરવાની જાહેરાત કરો. ભારત આઝાદ થયા પછી આપણું પહેલું કામ સંયુક્ત રાષ્ટ્રસંઘ સાથે સમજૂતી કરવાનું હશે અને આ યુદ્ધ જીતવા માટે જે કંઈ પણ કરવું પડે તેના માટે આપણે તૈયાર રહેશું. આમાંથી અંધાધૂંધી અને અરાજકતા ફેલાશે એવી બીક દેખાડવાની જરૂર નથી. બ્રિટિશ સરકાર ભારતની આઝાદી આપવા હૃદયપૂર્વક તૈયાર હોય તો એ હમણાં જ આઝાદી આપી શકે છે. થોડા મહિના પહેલાં જાપાની આક્રમણનો ભય દૂર હતો પણ હવે તો ખરેખર આક્રમણ થાય એવું લાગે છે. ભારતનો દરેક યુવાન આ ખતરા સામે ઊભો રહે એવું કોંગ્રેસ ઇચ્છે છે પણ સરકાર લોકોને નિરાશામાં જ ડુબાડી રાખવા માગતી હોય એમ લાગે છે.

એમણે કહ્યું કે ‘ભારત છોડો’નો અર્થ એ નથી કે બધા બ્રિટિશરોએ દેશમાંથી ભાગવું પડશે. ગાંધીજીએ આ શબ્દો વાપર્યા તે પછી આઝાદ અને નહેરુ સાથે ગાંધીજીને મળ્યા હતા. એ વખતે ગાંધીજીએ ખુલાસો કર્યો કે ‘ભારત છોડો’ એટલે સત્તા પરિવર્તન; બ્રિટિશરોની વ્યક્તિગત હકાલપટ્ટી નહીં.

“હું ૧૯૨૦માં હતો તે જ છું” – ગાંધીજી

૧૯૨૦માં ચોરીચૌરાની ઘટના પછી ગાંધીજીએ દેશવ્યાપી નાગરિક અસહકાર આંદોલન પાછું ખેંચી લીધું હતું એ સંદર્ભમાં શંકા વ્યક્ત કરાતી હતી કે ગાંધીજી ‘ભારત છોડો’ આંદોલન પણ અધવચ્ચેથી પાછું ખેંચી લેશે. ગાંધીજી કોંગ્રેસ પ્રમુખ મૌલાના આઝાદ પછી બોલ્યા ત્યારે એનો જવાબ આપતાં એમણે કહ્યું કે મને ઘણા લોકો પૂછે છે કે હું ૧૯૨૦માં હતો તે જ છું કે મારામાં કંઈ ફેરફાર થયો છે? ગાંધીજીએ પોતે જ જવાબ આપ્યો કે હું ૧૯૨૦માં હતો તે જ છું, માત્ર અમુક બાબતોમાં હું વધારે મજબૂત બન્યો છું. આ વાત સમજાવતાં એમને કહ્યું કે જેમ શિયાળામાં આપને ઘણાં કપડાં પહેરીને બહાર નીકળીએ અને ઉનાળામાં ઓછાં ક્પડાં પહેરતા હોઈએ છીએ પણ આપણે પોતે બદલાઈ જતા નથી. એટલે હું આજે પણ અહિંસાના સિદ્ધાંત પર અડગ છું. એ સાંભળીને તમારા કાન પાકી ગયા હોય તો તમારે મારી પાસે ન આવવું જોઈએ.

ગાંધીજીએ કહ્યું કે આ ઠરાવને મંજૂરી આપવાનું જરૂરી નથી. તમને સ્વરાજ અને સ્વતંત્રતા જોઈતાં હોય, અને હું અહીં જે રજૂ કરું છું તે સારી અને સાચી વસ્તુ છે એમ લાગતું હોય તો જ તમારે ઠરાવને મંજૂરી આપવી જોઈએ. તે પછી મને તમારો સંપૂર્ણ ટેકો જોઈશે. એમને કહ્યું કે દેશમાં ૬૦૦ જેટલા રાજાઓ છે. એમને તો શાસક સત્તાએ જ પેદા કર્યા છે કે જેથી હિન્દુસ્તાની હિન્દુસ્તાન અને બ્રિટિશ ઇંડિયા વચ્ચે અળગાપણું સર્જી શકાય. પણ રજવાડાંના લોકો કહે છે કે આવો કોઈ ભેદ નથી. રાજાઓને જે ઠીક લાગે તે કહે પણ રૈયત આપણે જે માગીએ છીએ તે જ માગે છે.

ગાંધીજીએ એવી પણ આશા વ્યક્ત કરી કે જિન્ના પણ કદાચ આંદોલનને ટેકો આપવા તૈયાર થઈ જાય. એમના ભાષણ પછી સાતમી તારીખે બેઠક મુલતવી રહી અને આઠમીએ ફરી શરૂ થઈ.

નહેરુ ઠરાવ રજૂ કરે છે

જવાહરલાલ નહેરુએ ‘ભારત છોડો’ ઠરાવ રજૂ કર્યો અને એનું હાર્દ સમજાવતાં કહ્યું કે આ ઠરાવની પાછળ સંકુચિત રાષ્ટ્રવાદની ભાવના નથી; એની આંતરરાષ્ટ્રીય પશ્ચાદ્‌ભૂમિકા છે. ઠરાવ દ્વારા કોઈને પડકાર ફેંકાયો નથી, ઉલ્ટું બ્રિટન એનો સ્વીકાર કરશે તો દેશમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સ્થિતિમાં સુધારો થશે.

કોંગ્રેસની સ્વતંત્રતા માટેની માગણી વિશે બ્રિટન અને અમેરિકામાં બૌદ્ધિક લોકોમાં પણ ગેરસમજણ હતી તેનો ઉલ્લેખ કરીને જવાહરલાલે કહ્યું કે કોંગ્રેસનું વલણ એમને કેમ સમજાતું નથી એ નવાઈની વાત છે, સિવાય કે એમણે ગેરસમજણ કરવાની એમણે સમજીવિચારીને ગાંઠ વાળી લીધી હોય. નહેરુએ કહ્યું કે કેટલાંક અખબારો કોંગ્રેસની સ્વતંત્રતાની માગણીને બ્લૅકમેઇલિંગ તરીકે ઓળખાવે છે. એનો અર્થ એ કે આપણે અંગ્રેજી બરાબર સમજતા નથી. પણ બ્રિટનને જે કરવું હોય તે કરે, આપણે સ્વતંત્રતાની માગણીમાં પીછેહઠ નહીં કરીએ.

એમણે કહ્યું કે બ્રિટન કે અમેરિકામાં કોઈ સાચું બોલતા નથી. બ્રિટન કે જર્મનીના રેડિયો સાંભળો તો જણાઈ આવશે કે બધે ઠેકાણે જૂઠાણાં જ છે. ઇંગ્લેંડનું વલણ અડિયલ ન હોત તો એણે બે વર્ષ પહેલાં કોંગ્રેસની વાત માની લીધી હોત. પરંતુ આજે તો બ્રિટન અને અમેરિકા કોંગ્રેસને દુશ્મન નં. ૧ માને છે. બ્રિટિશ સરકાર હિન્દુસ્તાનીઓ સાથે આ જ રીતે વર્તવાની હોય તો શું કરવું તે આપણે જાણીએ છીએ. જે નૅશનલ વૉર ફ્રંટ તરીકે ઓળખાય છે તેમાં નથી ‘નૅશનલ’, નથી ‘વૉર’ કે નથી ‘ફ્રંટ’. એનું કામ માત્ર કોંગ્રેસનો વિરોધ કરવાનું છે. બાકી આખું તંત્ર રેઢિયાળ છે. એ પોતાની કાર્યક્ષમતા માત્ર એક જ પ્રસંગે દેખાડે છેઃ જ્યારે કોંગ્રેસના નેતાઓને રાત વચ્ચે પકડી લેવાના હોય ત્યારે એ બહુ કાર્યક્ષમ બની જાય છે. અને આવી કાર્યક્ષમતા જોવા મળે એવા આ દિવસો છે.

સરદાર ઠરાવને ટેકો આપે છે

તે પછી વલ્લભભાઈએ ઠરાવને ટેકો આપ્યો. એમણે કહ્યું કે વર્કિંગ કમિટીએ ઠરાવ તૈયાર કર્યો તે પછી બહારની દુનિયાને ભારતમાં વધારે રસ પડવા લાગ્યો છે. આટલી પ્રસિદ્ધિ તો આપણે પૈસા ખર્ચ્યા હોત તો પણ ન મળી હોત. હવે મફતની સલાહો પણ મળવા માંડી છે. કોઈ સલાહ આપે છે, તો કોઈક ધમકી. સરદારે કહ્યું કે અમેરિકા અને ઇંગ્લેંડ એમ માનતાં હોય કે ભારતની જનતાના સાથ સહકાર વિના જ તેઓ ભારતમાંથી યુદ્ધ લડી શકશે તો એ બન્ને મૂર્ખ છે. લોકોને એવું લાગવું જોઈએ કે આ લોકોનું યુદ્ધ છે. બ્રિટન ભારતની રક્ષા કરવા માગે છે તેનો હેતુ માત્ર એક જ છે – ભારતને કેમ ભવિષ્યના બ્રિટિશ નાગરિકોના લાભ માટે અકબંધ રાખવું. એ સાથે જ વલ્લભભાઈએ ઉમેર્યું કે આપણે જાપાનનો પણ ભરોસો ન કરી શકીએ, ભલે ને, એ કહેતું રહે કે ભારત માટે એનો ઇરાદો શુદ્ધ છે.

એમણે લોકોને ચેતવ્યા કે આ વખતની લડાઈ વધારે કઠિન હશે. એમ નહીં કે જેલમાં વરસ-બે વરસ બેઠા રહ્યાઅ અને બહાર શું થાય છે તે ભૂલી ગયા. આ ચળવળ માત્ર કોંગ્રેસ પૂરતી મર્યાદિત નહીં રહે, જે લોકો પોતાને હિન્દુસ્તાની કહેતા હોય તે સૌની ચળવળ હશે. આ વખતે આપણો ઉદ્દેશ જાપાન ભારત પર ધસી આવે તે પહેલાં ભારતને સ્વતંત્રતા અપાવવાનો છે અને જરૂર પડે તો જાપાન સામે લડવાનો છે.

ઠરાવ પર સુધારા

ઠરાવમાં સુધારાની ઘણી દરખાસ્તો રજૂ થઈ. કોઈ સુધારામાં આંદોલન મોકૂફ રાખવાનું સુચન હતું, તો એકાદ સભ્યે હિન્દુ-મુસ્લિમ એકતા પર પહેલાં ધ્યાન આપવાનું કહીને મુસ્લિમ લીગ સાથે સમાધાન કરવાનું સૂચવ્યું. ઠરાવમાં વિશ્વ સ્તરે કોઈ સંસ્થા બને તેને ટેકો આપવાની બાંયધરી અપાઈ હતી, તેની સામે એવો સુધારો રજૂ થયો કે હમણાંથી આવું વચન આપવાનું યોગ્ય નથી કારણ કે આજના દુશ્મનો આવતીકાલે મિત્ર પણ બની શકે છે.

ત્રણ સામ્યવાદી પ્રતિનિધિઓ, કે. એમ અશરફ, સજ્જાદ ઝહીર અને એસ. જી. સરદેસાઈએ પણ સુધારા રજૂ કર્યા. અશરફે કહ્યું કે કોંગ્રેસે ભવિષ્યના ઇંડિયન ફેડરેશનમાંથી જે છૂટા પડવા માગતા હોય અને વત્તે ઓછે અંશે અમુક અંશે સમાન વ્યવહાર હોય એવા લોકોને ફેડરેશન છોડવાનો હક આપવો જોઈએ. આમ એમના સુધારામાં મુસ્લિમ લીગની માગણીનો પડઘો પડતો હતો. પરંતુ એમણે બીજું મહત્ત્વનું સુચન કર્યું કે કોંગ્રેસ સૌથી મોટી રાજકીય સંસ્થા હોવાથી દેશને શિસ્તબદ્ધ રાષ્ટ્રમાં ફેરવી નાખવાની એની જવાબદારી છે. કોંગ્રેસ આને જનતાનું યુદ્ધ નહોતી માનતી પણ કમ્યુનિસ્ટોનું કહેવું હતું કે આ જનતાનું યુદ્ધ હતું. કમ્યુનિસ્ટો રાષ્ટૄય સરકાર બનાવવા અને મુસલમાનોનો ટેકો મેળવવા માટે કોંગ્રેસને મુસ્લિમ લીગ સાથે સમજૂતી કરવાનું કહેતા હતા.

રામ મનોહર લોહિયા, અચ્યુત પટવર્ધન, આચાર્ય નરેન્દ્ર દેવ જેવા સમાજવાદીઓએ ઠરાવને ટેકો આપ્યો. અચ્યુત પટવર્ધને પણ કમ્યુનિસ્ટોના દાવાને પડકાર્યો કે મુસ્લિમ લીગ સાથે સમજૂતી કરીને કોંગ્રેસે રાષ્ટ્રીય મોરચો બનાવવો જોઈએ. એમણે કહ્યું કે લાખો મુસલમાનો લીગને ટેકો નથી આપતા. અને કમ્યુનિસ્ટો માત્ર કોંગ્રેસને સલાહ આપે છે, મુસ્લિમ લીગને કેમ કહેતા નથી કે કોંગ્રેસ સાથે સમજૂતી કરે?

મૌલાના નૂરુદ્દીન બિહારીએ ઠરાવના ટેકામાં બોલતાં કહ્યું કે હિનુસ્તાનની આઝાદી માટેની લડાઈના સૈનિક તરીકે એમને જનરલે નક્કી કરેલા વ્યૂહ સામે સવાલો ઊભા કરવાનો અધિકાર નથી. મૌલાનાએ કહ્યું કે કમ્યુનિસ્ટો સમજતા નથી કે ભારતની આઝાદી અને હિન્દુ-મુસ્લિમ એકતા – આ બે અલગ મુદ્દા છે.

અંતે નહેરુએ ચર્ચાઓનું સમાપન કર્યું અને ગાંધીજી ફરી બોલ્યા. એમણે કહ્યું –

…એને અંતરાત્માનો અવાજ કહો કે જે તમને યોગ્ય લાગે તે કહો, તમે એને શું નામ આપો છો તેની સાથે મને નિસ્બત નથી… પણ અંદર કંઈક છે. હું સાયકોલૉજી ભણ્યો છું અને બરાબર જાણું છું કે એ શું છે, ભલે, હું નું વર્ણન ન કરી શકું. એ અવાજ મને કહે છે કે મારે આખી દુનિયા સામે લડવું પડશે અને એકલા જ રહેવું પડશે. એ અવાજ મને એ પણ કહે છે કે જ્યાં સુધી તું દુનિયાની આંખમાં આંખ મેળવીને બોલીશ ત્યાં સુધી તું સહીસલામત છે, કદાચ દુનિયાની આંખોમાં લોહી ઊભરાઈ આવે પણ દુનિયાનો ડર છોડી દે અને આગળ વધ. ડર એકલા ભગવાનનો જ રાખ.

હું નહી રહ્યો હોઉં ત્યારે દુનિયા સ્વતંત્ર થઈ ગઈ હશે. હિન્દુસ્તાન આઝાદ થશે અને આખી દુનિયા આઝાદ થશે, હું નથી માનતો કે અમેરિકનો આઝાદ છે કે ઇંગ્લેંડ આઝાદ છે…દરેક હિન્દુસ્તાનીએ પોતાને આઝાદ માનવાનો છે. એણે આઝાદી મેળવવા અથવા ખપી જવાની તૈયારી રાખવાની છે. હવે માત્ર જેલમાં જવું પૂરતું નહીં ગણાય. હવે કોઈ બાંધછોડ નહીં, કોઈ પદ સંભાળવાનું નથી, ‘આઝાદી” શબ્દ તમારો મંત્ર બની જવો જોઈએ.

એ જ રાતે ગાંધીજી અને બીજા નેતાઓને સરકારે પકડી લીધા. આમ છતાં નવમી ઑગસ્ટે, બીજા દિવસની સવારે જ દેશના જણેજણની જીભે “ભારત છોડો”નો મંત્ર રમતો થઈ ગયો.

૦૦૦

સંદર્ભઃ

1. The Indian Annual register July-December 1942 Vol. II

2. CWMG Vol. 76

India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-29

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૨૯: ક્રિપ્સ મિશન પછી કોંગ્રેસ

સ્ટેફર્ડ ક્રિપ્સ ૧૨મી ઍપ્રિલે પાછા ગયા તે પછી ગાંધીજીએ ‘હરિજન’માં લેખ લખીને ક્રિપ્સ મિશનની ટીકા કરી. એમણે કહ્યું કે ભારતના મિત્ર જેવા ક્રિપ્સે અહીં આવતાં પહેલાં વિચારવું જોઈતું હતું કે તેઓ શું લઈને આવે છે. એમનો ખ્યાલ હતો કે એમની દરખાસ્તોથી વધારે સારી દરખાસ્તો કોઈ જ લાવી ન શકે. પણ એમની દરખાસ્તમાં ભારતના ભાગલાની વ્યવસ્થા હતી. કોંગ્રેસ ડોમિનિયન સ્ટેટસ સ્વીકારવા તો કદી તૈયાર નહોતી. એની માગણી તો સંપૂર્ણ સ્વતંત્રતાની જ રહી છે. બીજી બાજુ, એમાં પાકિસ્તાન આપવાના સંકેત હતા પણ એ પાકિસ્તાન મુસ્લિમ લીગની કલ્પના મુજબનું નહોતું એટલે એને પણ પસંદ ન આવ્યું. અને સંરક્ષણની જવાબદારી તો કોઈ હિન્દુસ્તાનીને સોંપવાની તો વાત જ નહોતી.

પણ ગઈ ગુજરી પર વિચાર્યા કરવાનો અર્થ નથી. બ્રિટને જે કરવું જોઈતું તે ન કર્યું હવે એની જવાબદારી એના પર છે. આપણે એ વિચારવું જોઈએ કે આપણે શું કરવું જોઈએ. જ્યાં સુધી આપણે કોમી કોકડું ન ઉકેલીએ ત્યાં સુધી સ્વતંત્રતા નહીં મળે. આ નગ્ન સત્ય પ્રત્યે આપણે આંખો બંધ ન કરી શકીએ. આ સમસ્યા ઉકેલવાના બે જ રસ્તા છે –એક અહિંસક અને બીજો હિંસક. પહેલા માર્ગમાં બન્ને પક્ષો સાથે મળીને સ્વતંત્રતા માટે લડી શકે; બીજા માર્ગે બન્ને પહેલાં સામસામે લડે, એક ખુવાર થઈ જાય તે પછી સ્વતંત્રતાની વાત આવે.

બે રાષ્ટ્રમાં માનનારા, એક રાષ્ટ્રમાં માનનારા સાથે મિત્રભાવે રહી શકે કે કેમ, તે હું જાણતો નથી. મુસલમાનો એમ માનતા હોય કે એમને અલગ રાષ્ટ્ર માનતા હોય તો એમને એ મળવું જ જોઈએ, સિવાય કે હિન્દુઓ એમને રોકવા માટે લડવા તૈયાર થઈ જાય. હું જોઈ શકું છું કે અત્યારે ખાનગી રીતે બન્ને બાજુ એની તૈયારી ચાલે છે. પરંતુ એ આત્મઘાતી રસ્તો છે. એમાં બન્નેને બ્રિટનની કે બીજી કોઈ સત્તાની મદદ જોઈશે. પછી સ્વતંત્રતાને ભૂલી જવાની રહેશે.

જિન્નાએ આના પર ટિપ્પણી કરી કે ગાંધીજીએ વર્ષો સુધી હિન્દુ-મુસ્લિમ એકતાનો દંભ કર્યો પણ હવે મુસ્લિમ લીગ કહે છે તે માની લીધું છે કે સ્વતંત્રતા માટે બન્ને વચ્ચે પહેલાં સમાધાન થવું જરૂરી છે. જિન્નાએ આક્ષેપ પણ કર્યો કે ગાંધીજીએ આડકતરી રીતે હિન્દુઓને ભાગલા અટકાવવા માટે લડવાની તૈયારી કરવાની સલાહ આપી છે.

જવાહરલાલ અને મૌલાના આઝાદ સાથે ગાંધીજીના મતભેદ

જવાહરલાલ નહેરુએ ગાંધીજીનો લેખ પ્રગટ થયો એ જ દિવસે નિવેદન કરીને જાપાનનો મુકાબલો કરવા માટે શસ્ત્રો ઉઠાવવાની હિમાયત કરી. મૌલાના આઝાદ પણ માનતા હતા કે જાપાનનો મુકાબલો કરવો હોય તો અહિંસા નહીં ચાલે. જાપાન બર્મામાંથી ભારતમાં આસામ અને બંગાળ પર હુમલો કરે એવી શક્યતાઓ માત્ર સરકારને જ નહીં, સામાન્ય જનતાને પણ દેખાતી હતી. સરકારે કેટલાંયે ગામો ખાલી કરાવીને લશ્કરને સોંપી દીધાં હતાં. નહેરુએ ‘ધીકતી ધરા’નો વ્યૂહ અખત્યાર કરવાની જાહેર સલાહ આપી. એમનું કહેવું હતું કે લોકો ગામ ખાલી કરતાં પહેલાં પોતાના ઊભા પાક બાળી નાખે અને કુવાઓમાં ઝેર ભેળવી દે કે જેથી જાપાનની ફોજને ખાધાખોરાકી માટે ફાંફાં મારવાં પડે.

ગાંધીજીએ સરદાર વલ્લભભાઈને એક પત્રમાં લખ્યું કે જવાહરલાલે અહિંસાને સાવ જ છોડી દીધી હોય એમ લાગે છે. તે પછી નહેરુને પત્ર લખીને એમણે કહ્યું કે આપણા વચ્ચે હંમેશાં મતભેદ રહ્યા છે, પણ હવે લાગે છે કે આપણે વ્યવહારમાં પણ જુદા પડવા લાગ્યા છીએ. અમેરિકી ફોજ આપણે ત્યાં આવે કે આપણે છાપામાર લડાઈ કરીએ, એ બન્નેમાં હું કંઈ સારું જોતો નથી.

તે પછી ૨૬મી એપ્રિલે ‘હરિજન’માં ગાંધીજીએ એક લેખમાં કહ્યું કે અમેરિકી ફોજ હિન્દુસ્તાન આવે તેનો ઉપયોગ માત્ર બ્રિટિશ સામ્રાજ્યને બચાવવા માટે જ થશે. એટલે બ્રિટિશ શાસન ઉપરાંત અમેરિકાનું શાસન પણ ઉમેરાશે. જાપાન બ્રિટનના સામ્રાજ્ય સામે લડે છે એટલે બ્રિટન ભારતને આઝાદી આપી દે તો કદાચ એમના વિના કદાચ જાપાન ભારતને સર કરવાનો વિચાર પણ છોડી દે. બ્રિટન ભારતને બચાવવા માટે કંઈ નથી કરતું. એમ હોત તો એમને જ્યારે સિંગાપુર છોડવું પડ્યું ત્યારે ત્યાં હિન્દુસ્તાનીઓને રઝળતા મૂકી દીધા. એ જ રીતે જાપાન ભારત પર ચડી આવશે ત્યારે પણ બ્રિટન એમ જ કરશે.

ગાંધીજીએ કહ્યું કે ભારત અને બ્રિટનની ખરી સલામતી બ્રિટન ભારતમાંથી જાય તેમાં છે.

સરકારે નોંધ્યું કે ગાંધીજી વારંવાર જાપાનના ખતરા અને ભારતની સ્વતંત્રતાને જોડીને સતત લખતા રહેતા હતા એનો હેતુ લોકોના મનમાં એક વાત ઠસાવવાનો હતો કે બ્રિટન જાય તે ભારત માટે સારું છે. સરકારી રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ગાંધીજી અને કોંગ્રેસ લોકોને ધીમે ધીમે બ્રિટન વિરુદ્ધ તૈયાર કરતાં હતાં.

‘હરિજન’ના એ જ અંકમાં પહેલી જ વાર ગાંધીજીએ મોટા પાયે પ્રજાકીય આંદોલનનો ઇશારો કર્યો, જે થોડા જ મહિનામાં ‘ભારત છોડો’ અથવા ‘ક્વિટ ઇંડિયા’ આંદોલન બની ગયું.

આમ તો એમણે કોઈ વાચકે પૂછેલા પ્રશ્નનો જવાબ જ આપ્યો હતો. પ્રશ્નને પણ કોઈ આંદોલન સાથે સીધેસીધો સંબંધ નહોતો. પ્રશ્નકર્તાએ પૂછ્યું હતું કે ગાંધીજીએ નહેરુને પોતાના ‘કાનૂની વારસ’ જાહેર કર્યા પણ જવાહરલાલ હવે છાપામાર યુદ્ધની વાત કરે છે અને રાજાજી આખા દેશને લશ્કરી તાલીમ આપવાની વાત કરે છે. ગાંધીજીએ જવાબમાં કહ્યું કે ‘કાનૂની’ શબ્દ મેં નથી વાપર્યો અને અમારા વચ્ચે મતભેદો હોવા છતાં જવાહરલાલમાં જે જુસ્સો છે તેવો કોઈમાં નથી અને બધા મતભેદો હોવા છતાં કોંગ્રેસના કાર્યક્રમો એમણે બરાબર લાગુ કર્યા છે. એટલે આજે જેમ મારી સાથે એમના મતભેદો છે, તે ભવિષ્યમાં પણ ચાલુ રહેશે તો પણ અંતે બન્ને અહિંસા તરફ પાછા આવશે કારણ કે છાપામાર યુદ્ધ આપણને ક્યાંય નહીં પહોંચાડે. એ જો મોટા પાયે ફેલાય તો પણ ભારે વિનાશ જ લાવે.

આટલા ખુલાસા પછી એમણે જે શબ્દો વાપર્યા તે નોંધી રાખવા જેવા છેઃ

અહિંસક અસહકાર બધી જાતના હિંસક યુદ્ધોનો સૌથી અસરકારક વિકલ્પ છે. આખો દેશ અહિંસક કાર્યવાહી કરે તો એ સંપૂર્ણ સફળ થઈ શકે. એ બ્રિટિશરો સામે એટલી કારગત ન રહે કારણ કે એમનાં મૂળ જમીનમાં ઊંડે ગયેલાં છે. જાપાન પાસે તો પગ રાખવાની જગ્યા પણ નથી. મને આશા છે કે આગામી AICC(ની મીટિંગ) અહિંસક રીત તરફ પાછી ફરશે અને અહિંસક અસહકાર અંગે શક્ય તેટલી સ્પષ્ટ સૂચનાઓ આપશે. બ્રિટનને એની હિંસક રીતોમાં મદદ કરવી – અને તે પણ હાલની મંત્રણાઓ પડી ભાંગ્યા પછી – તે મને રાષ્ટ્રીય નામોશી વહોરી લેવા જેવું લાગે છે.”

ઍપ્રિલના અંતમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની અલ્હાબાદમાં મીટિંગ મળી. મૌલાના આઝાદે એમાં હાજર રહેવા ગાંધીજીને પણ આમંત્રણ આપ્યું હતું પણ બીજી મીટિંગોને કારણે ગાંધીજી એમાં જાતે હાજર ન રહ્યા પણ મીરાબહેન મારફતે એક ઠરાવનો મુસદ્દો મોકલાવ્યો. આ મુસદ્દામાં એમણે દેશવ્યાપી અહિંસક અસહકારની યોજના રજૂ કરી.

અલ્હાબાદની મીટિંગ

ગાંધીજીએ મુસદ્દામાં દલીલ કરી કે જાપાન બ્રિટિશ સામ્રાજ્ય સામે લડે છે એટલે બ્રિટન વિદાય થાય તો એને ભારત સામે લડવામાં ખાસ રસ નહીં રહે. ગાંધીજીના મુસદ્દામાં જાપાન સરકારને પણ ખાતરી આપવામાં આવી હતી કે ભારતના મનમાં જાપાન માટે કોઈ ખરાબ ભાવના નથી. આના પર ઘણી ચર્ચા થઈ. વિરોધ કરનારામાં જવાહરલાલ નહેરુ અને રાજગોપાલાચારી મુખ્ય હતા.

નહેરુએ કહ્યું કે આખી ફોજ ખસી જાય અને મુલ્કી વહીવટીતંત્ર પણ બંધ પડે તો એક શૂન્યાવકાશ ઊભો થાય જે તરત તો ભરી નહીં શકાય. આપણે જાપાનને કહીએ કે તમારી લડાઈ બ્ર્રિટન સાથે હતી, હવે બ્રિટન તો છે નહીં, તો જાપાન કહેશે કે બહુ સારી વાત છે, કે બ્રિટિશ ફોજ હટી ગઈ; અમે માનીએ છીએ કે તમે સ્વતંત્ર છો પણ હવે અમને અહીં થોડી સવલતો જોઈએ છે, બદલામાં અમે તમારી સ્વતંત્રતાનું રક્ષણ કરશું, અમને એરોડ્રૉમો આપો અને તમારા દેશમાંથી આવ-જા કરવાની અમારા સૈન્યને છૂટ આપો. જાપાનીઓ અમુક મહત્ત્વનાં સ્થાનો પોતાના કબજામાં લઈ લે અને ઈરાક તરફ આગળ વધે. “બાપુનું વલણ સ્વીકારીશું તો આપણે ધરી-રાજ્યોના નિષ્ક્રિય સાથી બની જઈશું.” નહેરુએ દલીલ કરી કે બ્રિટિશરોને આપણે જવાનું કહીએ છીએ. એ જાય તે પછી આપણે જાપાન સાથે સમજૂતીઓ કરવાની થશે અને કેટલીક શરતો સ્વીકારવી પડશે. આમાં લશ્કરી કંટ્રોલની શરતો પણ હોઈ શકે. આપણને ગમે કે ન ગમે, જાપાન પોતાના સ્વબચાવ માટે ભારતને જ જંગનું મેદાન બનાવી દેશે. એને તમે અહિંસક અસહકારથી રોકી ન શકો. “આ મુસદ્દા પાછળનો વિચાર અને એની પૂર્વભૂમિકા જાપાનની તરફેણમાં છે… ભલે એ સભાનપણે ન હોય. ત્રણ બાબતો આ સંકટમાં આપણા વિચારો પર પ્રભાવ પાડે છેઃ (૧) ભારતની આઝાદી (૨) અમુક મહાન ધ્યેયોને ટેકો અને (૩) યુદ્ધનું સંભવિત પરિણામ, એટલે કે અંતે કોણ જીતશે. ગાંધીજીને લાગે છે કે અંતે જાપાન અને જર્મની જીતશે. આ એમની ધારણા અભાનપણે એમના નિર્ણયને અસર કરે છે.

રાજગોપાલાચારીએ કહ્યું કે બ્રિટન જશે કે તરત આપણે સંગઠિત થઈ જશું એવું નથી. બ્રિટને બહુ ખરાબ કર્યું છે, પણ એથી આપણી નજર ચાતરી જાય એ ન ચાલે. જાપાનના હાથમાં દોડીને ન પહોંચો. ગાંધીજીના મુસદ્દામાં તો એ માટેનો રસ્તો દેખાડ્યો છે.

જુલાઈમાં વર્ધામાં મીટિંગ

જુલાઈમાં વર્ધામાં વર્કિંગ કમિટી ફરી મળી તેમાં ગાંધીજીનો જ મુસદ્દો થોડા ફેરફાર સાથે સ્વીકારાયો. પણ એ નાનો ફેરફાર બહુ મોટો હતો. મુળ મુસદ્દામાં બ્રિટિશ ફોજ હટી જાય એવી માંગ હતી. પણ એમાં ફેરફાર કરીને કોંગ્રેસે સ્વીકાર્યું કે યુદ્ધ પૂરું થાય ત્યાં સુધી સાથી રાજ્યોની સેના ટુકડીઓ ભારતમાં જ રહેશે. હવે આખી કોંગ્રેસ અહિંસક અસહકાર આંદોલન માટે તૈયાર હતી.

આવતા અઠવાડિયે “ભારત છોડો.”

૦૦૦

સંદર્ભઃ

1. The Indian Annual register Jan-June 1942 Vol. I

2. CWMG Vol. 76

India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-28

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૨૮: ક્રિપ્સ મિશન (૨)

સપ્રુ-જયકર નિવેદન

નોંધવા જેવી વાત એ છે કે ઘણી વ્યક્તિઓ અને સંસ્થાઓનું વલણ પણ કોંગ્રેસ જેવું જ હતું. કોંગ્રેસ સાથે સહકારથી કામ કરનારા, પણ કોંગ્રેસથી અલગ રહેલા નેતાઓ તેજ બહાદુર સપ્રુ અને એમ. આર. જયકરે પોતાના તરફથી ક્રિપ્સ મિશનની દરખાસ્તો પર અલગ પ્રતિસાદ આપ્યો. એમણે કહ્યું કે વાઇસરૉયની એક્ઝીક્યુટિવ કાઉંસિલમાં એક ભારતીયને સંરક્ષણ માટેના સભ્ય તરીકે લેવાની બહુ જ જરૂર છે. યુદ્ધ જેવી સ્થિતિમાં નીતિ અને કાર્ય વચ્ચે એકતા હોવી જરૂરી છે, એ સાચી વાત છે તેમ છતાં એક અનુભવી, જાણકાર ભારતીયને સંરક્ષણની જવાબદારી સોંપવામાં નીતિ અને કાર્યોમાં વિવાદ કેમ ઊભો થાય? એમણે કહ્યું કે અત્યારે ભારતીય જનમાનસ સંપૂર્ણ સ્વતંત્રતા ઇચ્છે છે, અને એટલે જ, અમે એ વાત પર ભાર મૂકીએ છીએ કે કશા પણ અપવાદ વિના સરકારની બધી જવાબદારી ભારતીયોના હાથમાં મૂકવી જોઈએ. અમે ઇચ્છીએ છીએ કે ભારતની જનતા યુદ્ધ સંબંધી કાર્યોમાં સરકારને સંપૂર્ણ ટેકો આપે. સંરક્ષણ પ્રધાન ભારતીય હશે તો મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ ભારતીય જનતામાં એના સાનુકૂળ પડઘા પડશે.

હિન્દુ મહાસભા

હિન્દુ મહાસભાની વર્કિંગ કમિટીએ કહ્યું કે બ્રિટિશ સરકારે સૂચવેલી યોજનામાં કેટલાક મુદ્દા વત્તેઓછે અંશે સંતોષજનક છે પણ સર સ્ટેફર્ડ ક્રિપ્સે ભારત આવીને જે નિવેદન કર્યું તેના પ્રમાણે કાં તો આ યોજના આખી જ સ્વીકારવાની છે અથવા આખી જ નકારવાની છે. આ સંયોગોમાં એને નકાર્યા સિવાય બીજો વિકલ્પ નથી. હિન્દુ મહાસભાએ પ્રાંતોને અલગ રહેવાની છૂટ આપવાની જોગવાઈનો વિરોધ કરતાં કહ્યું કે એ દેશના ભાગલા પાડવા બરાબર છે. હિન્દુ મહાસભાનો આધારભૂત સિદ્ધાંત એ છે કે હિન્દુઓ સદીઓથી ભારતની મૂળભૂત એકતામાં માનતા આવ્યા છે અને અંગ્રેજી શાસને પણ ભારતની એકતાનો સ્વીકાર કર્યો છે, એટલું જ નહીં પણ બ્રિટન પોતે જ આ એકતા માટે યશ લે છે. ભારતીય સંઘમાંથી બહાર રહેવાનો અધિકાર આપવાથી પાકિસ્તાની ફેડરેશન બનશે અને એ પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બીજા મુસ્લિમ દેશો સાથે હાથ મિલાવીને ભારતની સલામતી માટે ખતરારૂપ બની જશે.

હિન્દુ મહાસભાએ કહ્યું કે આત્મનિર્ણયના અધિકારને નામે પ્રાંતોને વિચ્છેદનો અધિકાર ન આપી શકાય અને કોઈ બહારની સત્તા એ ઠોકી બેસાડે તે પણ ન ચાલે. એક સંઘમાં સ્વતંત્ર રાષ્ટ્રો જોડાતાં હોય એવા દાખલા અહીં બંધબેસતા નથી કારણ કે ભારત એકતંત્રી રાજ્ય છે, પ્રાંતો માત્ર વહીવટી એકમો તરીકે બનાવેલા છે.

ઑલ ઇંડિયા મોમીન કૉન્ફરન્સ

મોમીન કૉન્ફરન્સ મુસ્લિમ લીગથી વિરુદ્ધ હતી અને મોટી સંખ્યામાં મુસલમાનો એની સાથે હતા. એ મુસલમાનોના હકદાવાની ચિંતા કરતી હતી પણ કોંગ્રેસની તરફદાર હતી. એનો અભિપ્રાય એવો હતો કે હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે અવિશ્વાસ છે એટલે ક્રિપ્સની યોજના મુસલમાનોને સંપૂર્ણ સંતોષ આપી શકે તેમ નથી. પરંતુ બ્રિટન ભારતને આઝાદી આપશે તો આ અવિશ્વાસ પણ દૂર થઈ જશે. એણે પ્રાંતોને ભારત સંઘમાં ન જોડાવાનો અધિકાર આપવાની વ્યવસ્થાનો વિરોધ કરતાં કહ્યું કે એનાથી ભારતની અંદર જ અનેક ટુકડા થઈ જશે. મોમીન કૉન્ફરન્સે પણ ભારતની સંરક્ષણ વ્યવસ્થા ભારતીયને સોંપવાની હિમાયત કરી.

લિબરલ ફેડરેશન

લિબરલ ફેડરેશન ઑફ ઇંડિયાના પ્રમુખ સર બિજૉય પ્રસાદ સિંઘ રોય અને મહામંત્રીઓ સર ચીમનલાલ સેતલવાડ અને નૌશીર ભરૂચા સ્ટેફર્ડ ક્રિપ્સને મળ્યા અને ભારતને ડોમિનિયન સ્ટેટ બનાવવાની ઑફરને આવકાર આપ્યો પણ સંઘમાં ન જોડાવાની પ્રાંતોને છૂટ આપવાનાં જોખમો દેખાડ્યાં. ભારતમાં એક કરતાં વધારે ફેડરેશનો બનાવાય તો એ દરેકનાં સૈન્યો જુદાં જુદાં હશે, વેપારમાં પણ કસ્ટમ લાગુ પડશે. રેલવે, બંદરોની માલિકી વગેરે ઘણા ગુંચવાડા ઊભા થશે. લિબરલ ફેડરેશને પણ ભારતના સંરક્ષણ માટે ભારતીયને જવાબદારી સોંપવાની માગણી કરી.

દેશી રાજ્યોની પ્રજાકીય પરિષદોની માગણી

દેશી રાજ્યોની પ્રજાકીય પરિષદોના દેશવ્યાપી સંગઠન સ્ટેટ્સ પીપલ્સ કૉન્ફરન્સે ક્રિપ્સને પોતાનું નિવેદન આપ્યું તેમાં કહ્યું કે આ દરખાસ્તો બ્રિટિશ ઇંડિયા માટે હોવા છતાં દેશી રજવાડાંઓની પ્રજા પર એની સીધી કે આડકતરી અસર પડ્યા વગર નહીં રહે. વૉર કેબિનેટ એમ માનતી હોવાનું જણાય છે કે આવા મહત્ત્વના મુદાઓનો ઉકેલ આણવા માટે બ્રિટિશ સરકાર અને દેશી રાજાઓ પૂરતા છે. રજવાડાંની નવ કરોડની પ્રજાનો તો ક્યાંય ઉલ્લેખ પણ નથી. આજના સંકટકાળમાં અને નવી દુનિયાનું સર્જન કરવાની વાતો વચ્ચે આ દેખાડે છે કે બ્રિટન સરકાર કઈ રીતે વિચારે છે. બ્રિટિશ સરકાર અને રાજાઓ વચ્ચે કોઈ સમજૂતી થઈ હોવાને બહાને ભારતનું રાજકીય વિઘટન કરવું એ આજની દુનિયામાં ન ચાલે. આ સંધિઓ એક જમાનામાં થઈ હતી પણ તે વખતની સ્થિતિ આજે નથી રહી. એ યાદ રાખવું જોઈએ કે માત્ર ૩૦ કે ૪૦ રાજાઓએ સંધિઓ કરી હતી અને એ સંધિઓમાં રાજ્યોની પ્રજાઓનો કંઈ પણ ફાળો નહોતો. આ જરીપુરાણી સંધિઓ આજે લોકોના રાજકીય અને આર્થિક વિકાસમાં આડે આવે એ હવે સહન થાય તેમ નથી. સ્ટેટ્સ પીપલ્સ કૉન્ફરન્સે કોંગ્રેસની પૂર્ણ સ્વરાજની માગણી દોહરાવી.

ડિપ્રેસ્ડ ક્લાસિસ અને નરમપંથી શીખો

ડિપ્રેસ્ડ ક્લાસિસના નેતા એમ. સી. રાજાએ બંધારણ સભાની રચનાનો વિરોધ કર્યો. એમણે કહ્યું કે જાતિઓ અને પંથોમાં વહેંચાયેલા આ સમાજમાં ડિપ્રેસ્ડ ક્લાસિસને ચૂંટણી દ્વારા કંઈ પ્રતિનિધિત્વ મળે એવી કોઈ શક્યતા નથી. દેશની ૯૦ ટકા ઊપજ ખેતીમાંથી મળે છે અને ખેતીકામમાં લાગેલા ૯૦ ટકા મજૂરો ડિપ્રેસ્ડ શ્રેણીના છે. એમણે ભારતીય સંરક્ષણ પ્રધાન નીમવાનો પણ વિરોધ કર્યો. એમણે કહ્યું કે કોંગ્રેસના હાથમાં આ પદ આવશે તો ડિપ્રેસ્ડ ક્લાસિસના લોકોને ગળે ટૂંપો દેવાની એને સત્તા મળી જશે.

મુસ્લિમ લીગ

મુસ્લિમ લીગની વર્કિંગ કમિટી ૧૧મી એપ્રિલે મળી અને ક્રિપ્સની દરખાસ્તોને, જેવી હતી તેવી જ સ્વીકારી લેવાનો ઇનકાર કરી દીધો. જો કે, વર્કિંગ કમિટીએ એનાં અમુક પાસાંની પ્રશંસા કરી, જેમ કે, પ્રાંતો માટે ભારતીય સંઘમાં જોડાવાનું મરજિયાત રાખ્યું તેમાં એને પાકિસ્તાનની શક્યતા દેખાઈ. લીગે કહ્યું કે છેલ્લાં પચીસ વર્ષથી એણે દેશની બે મુખ્ય કોમો, હિન્દુ અને મુસલમાન, શાંતિથી રહી શકે તેવા પ્રયાસ કર્યા પણ એનું કંઈ પરિણામ ન આવ્યું. આ કડવા અનુભવ પછી લીગ એવા તારણ પર પહોંચી છે કે બન્ને કોમોને એક જ યુનિયનમાં રાખવામાં ન્યાય પણ નથી અને એ શક્ય પણ નથી.

પ્રાંતોની ઍસેમ્બ્લીઓ એક આખા મતદાર મંડળ તરીકે બંધારણસભાને ચૂંટે એવી વ્યવસ્થાને પણ લીગે વખોડી કાઢી. એનું કહેવું હતું કે મુસલમાનો અલગ મતદાર મંડળ દ્વારા ચુંટાયા છે, પણ બંધારણસભાની પસંદગી વખતે એમનો આ અધિકાર ઝુંટવી લેવાય છે.

સંઘમાંથી છૂટા પડવાનો અધિકાર મુસલમાનોની ભાગલા માટેની માગણીને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે. પણ આ અધિકાર હમણાં જે પ્રાંતો છે તેમને આપવામાં આવ્યો છે. આ પ્રાંતો વહીવટી કારણસર બન્યા છે અને એમની પાછળ કોઈ તર્ક નથી. આ બાબતમાં મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભાની દલીલો વચ્ચે સમાનતા છે કે આ પ્રાંતો વહીવટી કારણોસર બન્યા છે. પરંતુ મુસ્લિમ લીગ એવો પણ સંકેત આપે છે કે પ્રાંતોની પુનર્રચના કરવી જોઈએ, કે જેથી મુસલમાનોનાં હિતો સચવાય. સંઘમાં જોડાવું કે નહીં તે વિશે ઍસેમ્બ્લીમાં સ્પષ્ટ નિર્ણય ન થઈ શકે તો લોકમતની દરખાસ્ત હતી તેનો પણ લીગે વિરોધ કર્યો કારણ કે આમાં લોકમત સમગ્ર પુખ્ત વસ્તીને આધારે લેવાનો હતો; મુસલમાનોને અલગ ગણવાના નહોતા.લીગનું કહેવું હતું કે એ રીતે મુસલમાનોના આત્મનિર્ણયના અધિકારની ઉપેક્ષા થશે.

મુસ્લિમ લીગની વર્કિંગ કમિટીએ કહ્યું કે ૧૯૪૦નો પાકિસ્તાન વિશેનો લાહોર ઠરાવ પૂરો ન સ્વીકારાયેલો હોય તેવી કોઈ પણ વ્યવસ્થા લીગને મંજૂર નથી.

આમ ક્રિપ્સ મિશન નિષ્ફળ રહ્યું.

રાજાજી ક્રિપ્સ મિશનને ટેકો આપે છે!

સ્ટેફર્ડ ક્રિપ્સની વિદાય પછી એ. આઈ. સી. સી.ની બેઠક ૨૯મી ઍપ્રિલે વર્ધામાં મળી. પ્રમુખસ્થાનેથી મૌલાના અબુલ કલામ આઝાદે ક્રિપ્સ મિશનની યોજના પ્રત્યે કોંગ્રેસે લીધેલા વલણના વિગતવાર ખુલાસા કર્યા. સંરક્ષણ સીધું જ વાઇસરૉય હસ્તક રહે તેનો કોંગ્રેસે વિરોધ કર્યો, કારણ કે યુદ્ધના સમયમાં સંરક્ષણ જ સૌથી મહત્ત્વનો એકમાત્ર મુદ્દો બની રહે છે. એના ખર્ચ અને વહીવટની અસર બધા વિભાગો પર પડે.

વ્યક્તિગત ઠરાવો

કે. સંતાનમે જે ઠરાવ રજૂ કર્યો તે ક્રિપ્સ મિશનની દરખાસ્તોને નકારી કાઢવાના કોંગ્રેસના સત્તાવાર વલણની વિરુદ્ધ હતો. ચક્રવર્તી રાજગોપાલાચારી આ ઠરાવના પ્રેરક હતા. આથી કોંગ્રેસ પ્રમુખે એમને ઠરાવ રજૂ કરવાની પરવાનગી આપી; સંતાનમે ઠરાવને ટેકો આપ્યો. એના પર મતદાન થયું. ૧૨૦ સભ્યોએ ઠરાવની વિરુદ્ધ મત આપ્યો અને એના ટેકામાં માત્ર ૧૫ મત પડ્યા. આમ રાજાજીનો ઠરાવ ઊડી ગયો.

ઠરાવમાં કહ્યું હતું કે રાષ્ટ્રીય સરકાર બનાવવામાં નડતા બધા અવરોધો કોંગ્રેસે દૂર કરવા જોઈએ. ઠરાવમાં કહ્યું હતું કે દેશની એકતાના અસ્પષ્ટ લાભના નામે વિવાદ ચાલુ રાખવો અને રાષ્ટ્રીય સરકાર ન બનવા દેવી એમાં શાણપણ નથી, એટલે મુસ્લિમ લીગ અલગ થવાનો અધિકાર માગે છે તે માન્ય રાખવો અને એને સામેલ થવાનું આમંત્રણ આપીને રાષ્ટ્રીય સરકાર બનાવવા સંમત થવું જોઈએ.

રાજાજીના ઠરાવનો અર્થ

દેશના ભાગલાનો સ્વીકાર કરવામાં રાજાજી સૌ પહેલા હતા. એમનો મત હતો કે મુસ્લિમ લીગ પોતાની માંગ છોડવાની જ ન હોય તો કોંગ્રેસે ભારતીય સંઘમાંથી છૂટા પડવાનો એનો અધિકાર કબૂલ કરી લેવો જોઈએ. આ મતભેદોનો લાભ અંગ્રેજોને મળે છે. બ્રિટન કોમી સમસ્યાને બહાને સ્વતંત્રતાને પાછળ ઠેલતું રહ્યું છે, પણ મુસ્લિમ લીગની વાત માની લેવાથી બ્રિટન પાસે આ બહાનું નહીં રહે. આના પછી રાજાજીએ કોંગ્રેસ છોડી દીધી.

૦૦૦

સંદર્ભઃ The Indian Annual register Jan-June 1942 Vol. I

India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-27

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૨૭: ક્રિપ્સ મિશન (૧)

૧૯૪૧ના અંતમાં ગાંધીજીએ ફરી એક વાર કોંગ્રેસનું નેતૃત્વ છોડી દીધું. આ વખતે કારણ વધારે સખત હતું. મુંબઈના ઠરાવમાં ગાંધીજીને સત્યાગ્રહનું સુકાન ફરી સોંપવામાં આવ્યું હતું પણ તે પછીયે ગાંધીજી અને કોંગ્રેસના બીજા નેતાઓ વચ્ચે દૃષ્ટિભેદ ચાલુ રહ્યો હતો, છેવટે ગાંધીજીએ કોંગ્રેસ પ્રમુખ મૌલાના અબુલ કલામ આઝાદને પત્ર લખીને રાજીનામું આપી દીધું. ૧૯૪૧ના ડિસેમ્બરની ૩૦મીએ બારડોલીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી તેમાં આ પત્ર પર ચર્ચા થઈ અને ગાંધીજીને મુક્ત કરવામાં આવ્યા.

ગાંધીજીએ પત્રમાં જણાવ્યું હતું કે પોતે મુંબઈના ઠરાવનું અર્થઘટન કરવામાં બહુ મોટી ભૂલ કરી હતી. ગાંધીજીના અભિપ્રાય પ્રમાણે એ ઠરાવમાં સ્વરાજ માટેના અંદોલનમાં કોંગ્રેસે અહિંસાને કેન્દ્રસ્થાને મૂકી હતી અને ગાંધીજીના માનવા પ્રમાણે યુદ્ધને લગતી કોઈ પણ કાર્યવાહીમાંપણ કોંગ્રેસ ભાગ નહીં લે. એમણે પત્રમાં લખ્યું કે બીજા બધા મુંબઈના ઠરાવનો અર્થ એવો નથી કરતા. એટલે કે કોંગ્રેસ યુદ્ધમાં પણ જોડાય એ શક્ય છે, પણ પોતે અહિંસાને મૂકી ન શકે એટલે કોંગ્રેસનું નેતૃત્વ છોડવાનો એમણે નિર્ણય કર્યો છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીએ પૂરા સન્માન સાથે ગાંધીજીને મુક્ત કર્યા.

પરંતુ જાન્યુઆરી આવતાં યુદ્ધના નવા રંગ દેખાવા લાગ્યા હતા અને ભારત જ હુમલાનું નિશાન બને એ સ્થિતિમાં પણ ભારતની લડાઈ કેમ લડવી એ નક્કી કરવાનું કામ પણ બ્રિટનના જ હાથમાં હોય તેની સામે કોંગ્રેસનો વિરોધ હતો.

ક્રિપ્સ દિલ્હીમાં

એ સમયે બ્રિટનમાં રૂઢિચુસ્ત પક્ષ અને મજૂર પક્ષની ‘વૉર કૅબિનેટ’ ચર્ચિલના નેતૃત્વ હેઠળ કામ કરતી હતી, એમાં લેબર પાર્ટીના સર સ્ટેફર્ડ ક્રિપ્સ પણ હતા. ભારત માટે એમનું કૂણું વલણ હતું. બીજી બાજુ ચર્ચિલ પર પણ દબાણ હતું. કૅબિનેટે એક યોજના તૈયાર કરી અને ભારતના નેતાઓ સાથે એના વિશે ચર્ચા કરવા સર સ્ટેફર્ડ ક્રિપ્સને ભારત મોકલ્યા. ૨૩મી માર્ચે ક્રિપ્સ દિલ્હી આવ્યા. બ્રિટિશ સરકારની યોજના આ પ્રમાણે હતીઃ

૧. લડાઈ બંધ પડ્યા પછી તરત ભારતમાં બંધારણસભાની ચૂંટણી;

૨. દેશી રજવાડાં બંધારણસભામાં જોડાય તેવી વ્યવસ્થા;

૩. બ્રિટિશ સરકાર તરત જ એ બંધારણનો સ્વીકાર કરી લેશે, પરંતુ એમાં બે અનિવાર્ય શરત હશે કે બ્રિટિશ ઇંડિયાનો કોઈ પણ પ્રાંત નવું બંધારણ ન સ્વીકારે અને હમણાંની બંધારણીય વ્યવસ્થા જાળવી રાખવા માગતો હશે તો એ પછીથી જ્યારે ફાવે ત્યારે જોડાઈ શકે એવી વ્યવસ્થા હોવી જોઈએ. જો કોઈ પ્રાંત નવું બંધારણ ન સ્વીકારે અને અલગ રહેવાની ઇચ્છા દેખાડે તો બ્રિટિશ સરકાર એને ભારત સંઘ જેવો જ પૂર્ણ દરજ્જો આપશે;

બીજી શરત એ હશે કે બંધારણ સભા અને બ્રિટિશ સરકાર વચ્ચે સંધિ થશે. આ સંધિમાં સંપૂર્ણ સત્તા પરિવર્તન માટેની બધી વ્યવસ્થાનું પાલન કરવાની અને જાતિગત કે ધાર્મિક લાઘુમતીઓને રક્ષણ આપવાની વ્યવસ્થા જરૂરી વ્યવસ્થા હશે.

૪. પ્રાંતોનાં નીચલાં ગૃહો બંધારણ સભા માટેના પ્રતિનિધિઓને ચૂંટશે. દેશી રાજ્યોને પણ બંધારણ સભામાં પોતાનો પ્રતિનિધિ મોકલવાનો અધિકાર મળશે. આ પ્રતિનિધિને બ્રિટિશ ઇંડિયામાંથી ચુંટાયેલા પ્રતિનિધિ જેવા જ અધિકાર પણ મળશે.

૫. અત્યારના કટોકટીભર્યા સંજોગોમાં બ્રિટન ભારતના રક્ષણની જવાબદારી સંભાળે છે અને આગળ પણ સંરક્ષણ વિભાગ સીધો જ વાઇસરૉય હસ્તક રહેશે.

કોંગેસનો વિરોધ

એક અઠવાડિયા પછી કોંગ્રેસ વર્કિંગ કમિટી આ બાબતમાં ચર્ચા કરવા દિલ્હીમાં મળી અને ક્રિપ્સે રજૂ કરેલી બ્રિટિશ સરકારની દરખાસ્તનો વિરોધ કર્યો. આ દરખાસ્તમાં ભારતને તાત્કાલિક આઝાદ કરવાની કોંગ્રેસની માગણીનો પડઘો નહોતો પડતો. ઠરાવમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીએ એ વાત પર ભાર મૂક્યો કે સપ્ટેમ્બર ૧૯૩૯માં લડાઈ શરૂ થઈ ત્યારથી જ કોંગ્રેસ કહે છે કે હિન્દુસ્તાનીઓ દુનિયાનાં પ્રગતિશીલ બળો સાથે ખભેખભા મેળવીને ઊભા રહેશે અને નવી સમસ્યાઓના મુકાબલા માટે પૂરી જવાબદારી લેશે. આના માટે યોગ્ય માહૌલ તૈયાર કરવાની જરૂર હતી. દેશને સંપૂર્ણ આઝાદી આપવી એ જ રસ્તો છે.

તે ઉપરાંત પ્રાંતોને નવી બંધારણ વ્યવસ્થાને નકારી કાઢવાનો અધિકાર અપાયો હતો. કોંગ્રેસે આને ‘દેશના ભાગલા’ની દરખાસ્ત ગણાવી. કોંગ્રેસે કહ્યું કે જે પ્રાંત ભારતીય સંઘમાં જોડાવા ન માગતો હોય તેને અલગ રહેવાની છૂટ આપવી તે હિન્દ્દુસ્તાનની એકતા પર કુઠારાઘાત છે. વૉર કૅબિનેટની યોજનામાં આ નવો સિદ્ધાંત દાખલ કરવામાં આવ્યો છે. આ સિદ્ધાંતને કારણે રજવાડાંઓને ભારતીય સંઘમાં સામેલ કરવાનું વધારે અઘરું બન્યું છે. તે ઉપરાંત, આખી યોજનામાં દેશી રાજ્યોની નવ કરોડની જનતાનું તો પ્રતિનિધિત્વ જ નથી. કોંગ્રેસે હંમેશાં બ્રિટિશ ઇંડિયા અને દેશી રાજ્યો, એમ આખા ભારતની પ્રજાની આઝાદીનો આગ્રહ રાખ્યો છે.

કોંગ્રેસે કહ્યું કે વૉર કૅબિનેટની યોજના સ્પષ્ટ નથી અને અધૂરી પણ છે. એમાં અત્યારના બંધારણીય માળખામાં બહુ મોટો ફેરફાર પણ સુચવાયો નથી.

આ દરખાસ્તમાં સંરક્ષણ વિભાગ વાઇસરૉયના હાથમાં જ રાખવાનું સૂચન હતું કોંગ્રેસે એનો પણ વિરોધ કર્યો અને ક્રિપ્સની દરખાસ્તોને ફગાવી દીધી. સર સ્ટેફર્ડ ક્રિપ્સ પાસે કોંગ્રેસનું નિવેદન પહોંચ્યું ત્યારે એમણે મૌલાના આઝાદને એ તરત પ્રકાશિત ન કરવા વિનંતિ કરી અને કહ્યું કે તેઓ બ્રિટિશ સરકાર સમક્ષ એ રજૂ કરશે અને આગળ શું કરવું તેના વિશે ચર્ચા કરશે.

આમ તો કોંગ્રેસ પ્રમુખ મૌલાના આઝાદ અને ક્રિપ્સ વચ્ચે પત્રોની આપ-લે પણ ઘણી થઈ. સંરક્ષણ વિભાગ કોઈ ભારતીયને સોંપવાની બાબતમાં ક્રિપ્સે વાઇસરૉય સાથે ચર્ચા કરી હતી. એના આધારે એમણે મૌલાના આઝાદને જવાબ આપ્યો કે કમાંડર-ઇન-ચીફની ફરજોમાં આડે ન આવે તે રીતે સંરક્ષણ વિભાગનાં બીજાં કામો ભારતીયને સોંપવા વિશે વાઇસરૉય ચર્ચા કરવા તૈયાર રહેશે. એટલે કે યુદ્ધ વિશેના નિર્ણયો કમાંડર-ઇન-ચીફના હાથમાં જ રહે અને કોઈ ભારતીયની એમાં દખલગીરી સ્વીકારવા માટે બ્રિટિશ સરકાર કે ભારત સરકાર તૈયાર નહોતી. એક પત્રમાં ક્રિપ્સે એવો સંકેત આપ્યો કે કમાંડર-ઇન-ચીફ મૌલાનાને કે નહેરુને મળીને સંરક્ષણ ખાતાના બે ભાગ કરવામાં અમુક ટેકનિકલ મુશ્કેલીઓ છે તે સમજાવશે.

નહેરુ અને મૌલાના આઝાદ તે પછી કમાંડર-ઇન-ચીફને પણ મળ્યા. એમની આ મુલાકાત વિશે મૌલાના આઝાદે ક્રિપ્સને પત્ર લખીને માહિતી આપી અને તે સાથે ઉમેર્યું કે કમાંડર-ઇન-ચીફ અને બીજા લશ્કરી અધિકારીઓએ જે કંઈ વાત કરી તેમાં ‘ટેકનિકલ’ તો હતું જ નહીં. એમણે સામાન્ય રાજકીય વ્યક્તિઓની વચ્ચે જેવી વાતચીત થાય તેવી જ રાજકીય વાતો કરી!

એમને ફરીથી વર્કિંગ કમિટીએ સંરક્ષણ વિશે તૈયાર કરેલી ફૉર્મ્યુલા ક્રિપ્સને મોકલી. ક્રિપ્સે જવાબમાં સુધારા સાથે એજ સૂચનો પાછામ મોકલ્યાં, કોંગ્રેસ પ્રમુખે એનો પણ અસ્વીકાર કર્યો અને કહ્યું કે તમે સૂચવો છો કે કમાંડર-ઇન-ચીફ ‘વૉર મેમ્બર’ તરીકે વાઇસરૉયની એક્ઝીક્યુટિવ કાઉંસિલમાં રહેશે અને ભારતીય પ્રતિનિધિ સંરક્ષણને લગતી બાબતોમાં યુદ્ધ સિવાયના બધા વિષયો માટે જવાબદાર રહેશે. મૌલાના આઝાદે એનો જવાબ આપ્યો કે એનો અર્થ એ છે કે વાઇસરૉય અને બ્રિટિશ સરકાર “ભવિષ્ય”માં સંરક્ષણ ભારતીયને સોંપશે, પણ “વર્તમાન”માં નહીં, જે કોંગ્રેસની માગણી છે. આ સૂચન માનવાનો અર્થ એ થાય કે ભારત પોતાની મરજીથી યુદ્ધમાં જોડાય એવું નહીં બને.

જવાહરલાલ નહેરુએ બે દિવસ પછી પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે સર સ્ટેફર્ડ ક્રિપ્સના છેલ્લા ઇન્ટરવ્યુ પહેલાં મને સવાલ પુછાયો હોત તો હું કહેત કે વાતચીતમાં ઘણી પ્રગતિ થઈ છે, પણ મેં જોયું કે તે પછી ક્રિપ્સના વલણમાં ફરી ફેરફાર થયો અને એ જૂને ચીલે પાછા ચાલ્યા ગયા. એ વાત સ્પષ્ટ છે કે વચ્ચેથી કંઈક થયું છે, સર સ્ટેફર્ડ ક્રિપ્સ પર દબાણ છે અને એમના અને બ્રિટિશ સરકારમાં બીજાઓ વચ્ચે મતભેદ છે એ દેખાય છે. કોંગ્રેસ કમાંડર-ઇન-ચીફના કામમાં માથું નથી મારવા માગતી પણ યુદ્ધ સિવાય પણ સંરક્ષણ ખાતામાં એવાં ઘણાં કામ છે જે યુદ્ધ માટે નથી. કમાંડર-ઇન-ચીફના હાથમાં એની સત્તા પણ છે. આમ એ સંરક્ષણ પ્રધાન છે જ. જો કોઈ સત્તા ભારતીય પ્રતિનિધિને ન મળે તો એનું સ્થાન અર્થ વગરનું બની રહે છે.

આમ કોંગ્રેસ અને ક્રિપ્સ બન્ને પોતાના વલણમાં મક્કમ રહ્યા અને વાતચીત પડી ભાંગી.

આવતા અઠવાડિયે આપણે ક્રિપ્સ મિશનની ભલામણો પર મુસ્લિમ લીગ, હિન્દ્દુ મહાસભા આને બીજા પક્ષોના પ્રત્યાઘાત જોઈશું.

૦૦૦

સંદર્ભઃ The Indian Annual register Jan-June 1942 Vol. I

India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-26

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૨૬: જાપાન ભારતને ઊંબરે

આપણે બીજા વિશ્વયુદ્ધમાં ભારતને બ્રિટને કેમ ઘસડ્યું તે જોયું. એના પર દેશના બધા પક્ષોના પ્રત્યાઘાત પણ જોયા. કોંગ્રેસ કહેતી હતી કે ભારતને સ્વતંત્રતા આપશો તો એ પોતાના તરફથી જ બ્રિટનની સાથે રહેશે. હિન્દુ મહાસભા સ્વતંત્રતાની વાતને કસમયની ગણતી હતી અને હિન્દુઓનું લશ્કરીકરણ કરવા, એટલે કે હિન્દુઓને સેનામાં જોડાવા પ્રોત્સાહિત કરતી હતી .એણે ભરતી અને તાલીમના કૅમ્પો પણ ચલાવ્યા, મુસ્લિમ લીગ કંઈ જ કહેવા નહોતી માગતી. આમ પણ એની નીતિનું મૂળ તત્ત્વ કોંગ્રેસનો વિરોધ કરવાનું હતું એટલે કોંગ્રેસની માગણીની લીગે ટીકા કરી પણ એ યુદ્ધમાં બ્રિટન સાથે છે કે નહીં તે કદી સ્પષ્ટ ન કર્યું, માત્ર ખાનગી રીતે બ્રિટિશરોને મદદ કરવાનો વ્યૂહ અપનાવ્યો. પહેલા વિશ્વયુદ્ધ વખતે બ્રિટને બીજા મુસ્લિમ દેશો સાથે કરેલા વર્તનને કારણે મુસલમાનોને નારાજી હતી એટલે જિન્ના કોઈ સ્પષ્ટ નીતિ જાહેર નહોતા કરતા. એમની એક જ વાત હતી કે કોંગ્રેસ અને હિન્દુઓ ભેગા મળીને મુસલમાનોને અન્યાય કરશે એટલે લીગને મુસલમાનોની પ્રતિનિધિ ન માને કે મુસલમાનોના હિતોનું રક્ષણ કરવાની ખાતરી ન આપે એવી કોઈ સરકારને લીગ ટેકો નહીં આપે. સુભાષચન્દ્ર બોઝે બનાવેલા ફૉરવર્ડ બ્લૉકની સહાનુભૂતિ બ્રિટનની વિરુદ્ધ હતી અને સરકારે એને ગેરકાનૂની જાહેર કર્યો હતો.

પરંતુ આપણે હજી યુદ્ધના મોરચાની મુલાકાત નથી લીધી. આ પ્રકરણમાં આપણે આજે એના પર ઊડતી નજર નાખીએ. એશિયામાં જર્મનીની મુખ્ય ભૂમિકા નહોતી. આપણે ગયા અઠવાડિયે વાંચ્યું કે સુભાષબાબુની પૂર્વ એશિયામાં આવવાની ઇચ્છા જાણીને સબમરીન આપી પણ એ પોતે ભારતને ‘અનંત દૂર’ માનતો હતો એટલે બ્રિટન સામે એની મદદ લેવાનો સુભાષબાબુનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો. એની વિસ્તારવાદી નીતિ પ્રમાણે એને ભારતનો કબજો મળી જાય તેમાં વાંધો નહોતો પણ એના માટે છેક જર્મનીથી ભારત સુધી આવવું એને લશ્કરી ખર્ચ અને ખુવારીની નજરે ફાયદાકારક નહોતું લાગતું એટલે મુખ્ય દોર સામ્રાજ્યવાદી જાપાનના હાથમાં હતો. યુદ્ધનાં આ વર્ષોમાં બ્રિટનના નસીબે માર ખાવાનું લખાયેલું હતું. એટલે કાં તો એને ભાગવું પડ્યું અને જીતી લીધેલા પ્રદેશો પણ છોડવા પડ્યા. બ્રિટનના એકંદર નિયંત્રણ નીચે લડતાં ભારત સહિતનાં કૉમનવેલ્થ દળો સતત પાછળ સરકતાં રહ્યાં અને જાપાન ભારત તરફ ધસમસતું આવતું હતું

૧૯૪૧ના ડિસેમ્બરના અંતમાં જાપાન યુદ્ધમાં કૂદી પડ્યું. ત્યાં જાપાની દળો સંગઠિત થતાં હતા ત્યારે જાપાને મિત્ર રાષ્ટ્રોને ખાતરી આપી હતી કે ચીન પર હુમલો કરવા માટે એ તૈયારી કરે છે પણ જાપાનને તેલ મળે તેની સામે મિત્ર રાષ્ટ્રોએ પ્રતિબંધ મૂકી દીધો હતો એટલે જાપાને એમની સામે જ લશ્કરી કાર્યવાહી કરવાનું નક્કી કર્યું. અને બ્રિટનનાં દળોને પરાજિત કરતાં સિંગાપુર, મલાયા, બર્મા વગેરે મોરચે બ્રિટિશ ફોજોને હરાવતાં ભારત તરફ આગળ વધવા લાગ્યું અને ભારત ઉપર આક્રમણનો ખતરો ઝળૂંબવા લાગ્યો. આ મોરચે હિન્દુસ્તાની સૈનિકો પણ બ્રિટિશ સૈનિકો સાથે જોડાયા હતા. પશ્ચિમના મોરચે તો બ્રિટિશ દળોએ ઈસ્ટ આફ્રિકા, સીરિયા, ઇરાક અને ઈરાનમાં ધરી-રાષ્ટ્રોનાં દળોને મહાત કર્યાં પણ પૂર્વના મોરચે જાપાનની લશ્કરી અને નૌકાશક્તિ સામે એમને ઘૂંટણિયાભેર થવું પડ્યું. આમાં હિન્દુસ્તાની સૈનિકોની પણ બહુ મોટી સંખ્યા હતી. પરંતુ એઅના અદમ્ય સાહસ, બહાદુરી અને બલિદાનની પ્રશંસા કાઉંસિલ ઓ સ્ટેટ સમક્ષ બોલતાં કમાંડર-ઇ-ચીફ જનરલ હાર્ટ્લીએ પણ કરી. પરંતુ ઇતિહાસમાં જ્યારે પરાજયનું મોઢું જોવું પડ્યું હોય ત્યારે જ હારનારા પક્ષના અદમ્ય સાહસની પ્રશંસા થતી હોય છે.

એ વખતે ઉત્તર આફ્રિકામાં ઈટલીની એક વસાહત સિરિનાઇકા (અરબીમાં બરકા, હવે લિબિયામાં)) હતી. ત્યાં ઈટલીનાં દળો અને બ્રિટનની ચોથી ઇંડિયન ડિવિઝન વચ્ચે ખૂનખાર જંગ ખેલાયો અને ઈટલીનો પરાજય થયો. આમાં હિન્દુસ્તાનીઓએ અપ્રતિમ શૌર્યનો પરિચય કરાવ્યો હતો. સિરિનાઇકા પાસે ચાર મોરચા હતા અને બધામાં ઇંડિયન ડિવીઝનને જબ્બરદસ્ત સફળતા મળી હતી. આ લડાઈ ‘રણનું યુદ્ધ’ (Desert war) તરીકે ઓળખાય છે. ઈજિપ્તના મોરચેચોથી ઇંડિયન ડિવીઝને જર્મનીનાં મિત્ર રાષ્ટ્રોની સેનાઓને ૧૯૪૧ના જૂનથી નવેમ્બર સુધી આગળ વધવા નહોતી દીધી. આ બધા મોરચે ચોથી ઇંડિયન ડિવીઝનની પાંચમી ઇન્ફન્ટ્રી બ્રિગેડ હંમેશાં લડાઈમાં રહી. એ જ રીતે, ઈજિપ્તની દક્ષિણે પણ પાંચમી ઇંડિયન ડિવીઝને ઈટલીની ફોજને પરાજિત કરી. આ લડાઈ નાની હોવા છતાં એને કારણે એક મહત્ત્વનો રણ-બેટ બ્રિટનની ફોજના હાથમાં આવી ગયો.

જર્મનીનો જનરલ રોમેલ જેદાબિયાના મોરચા પરથી ખરાબ હવામાનને કારણે સમયસર હટી ગયો પરંતુ એ જ કારણસર બ્રિટનનો એ વખતનો કમાંડર-ઇન-ચીફ જનરલ ઑચિનલેક એનો પીછો ન કરી શક્યો. ૧૯૪૨ના જાન્યુઆરીમાં બન્ને બાજુની સેનાઓ રણમાં ધૂળની આંધીઓ અને ભારે વરસાદમાં સપડાઈ ગઈ. પરંતુ ચોથી ઇંડિયન ડિવીઝન વધારે સંકટમાં હતી. દરમિયાન રોમેલે પોતાની ફોજને ફરી સંગઠિત કરીને નવેમ્બરમાં ફરી હુમલો કર્યો, પરંતુ આ વખતે ભારે વરસાદને કારણે એનું હવાઈદળ કામ ન આવી શક્યું. સિરિનાઇકા પર ચોથી ઇંડિયન ડિવીઝનનો કબ્જો હતો પણ એનીયે સંદેશાવ્યવહાર લાઇનો કપાઈ ગઈ હતી. રોમેલના હુમલા સામે એને ફરી લડાઈમાં ઊતરવું પડ્યું.

બીજી બાજુ, બૅન્ગાઝીમાં સાતમી ઇંડિયન ઇન્ફન્ટ્રી બ્રિગેડ જર્મનીના હુમલા સામે ચારે બાજુથી એકલી પડી ગઈ હતી. ચોથી ડિવીઝન એને બચાવવા માટે કંઈ કરી શકે તેમ નહોતું અને એમ લાગતું હતું કે આખી સાતમી બ્રિગેડ અને પાંચમી બ્રિગેડનો અમુક ભાગ જર્મનીના હાથમાં યુદ્ધકેદી બની જશે. બે દિવસ સુધી કંઈ સમાચાર ન મળ્યા પણ ઓચિંતા જ ત્રીજા દિવસે સાતમી બ્રિગેડ યુદ્ધ મોરચે બ્રિટિશ બાજુએ પ્રગટ થઈ. જર્મનીએ એવી રીતે વ્યૂહ ગોઠવ્યો હતો કે બહાર નીકળવા માટે બેન્ગાઝીની ઉત્તર અને પૂર્વથી જ નીકળી શકાય અને ત્યાંથી નીકળવાની કોશિશ કરે તો એમને દબાવી દેવા. પરંતુ સાતમી બ્રિગેડ જર્મનીને હાથતાળી આપીને સૌથી દુર્ગમ અને અકલ્પ્ય દક્ષિણ-પશ્ચિમના માર્ગેથી નીકળી આવી. માર્ગમાં અનેક જગ્યાએ જર્મન સૈનિકો અને એમનાં બંકરો કે ચોકીઓ આવ્યાં પણ હિંમતથી, આડુંઅવળું સમજાવીને એ પાછા ફર્યા. દરમિયાન, ચોથી ડિવીઝન પણ પીછેહઠ કરવાની કોશિશ કરતી હતી પરંતુ એને મરણિયો મુકાબલો કરવો પડ્યો, જો કે એ અંતે પાછી આવી ગઈ. કમાંડર-ઇન-ચીફે કહ્યું કે મધ્યપૂર્વમાં લડાઈમાંથી આવેલા એક અધિકારીએ મને કહ્યું કે ચોથી ડિવીઝન સૌથી બહાદુર છે અને હજી પણ એના સૈનિકોનો જુસ્સો અખૂટ છે.

પરંતુ પૂર્વના મોરચાઓની વાત કરતાં જનરલ હાર્ટ્લીએ કહ્યું કે અહીં ભારતીય, બ્રિટિશ અને કૅનેડિયન દળોને સતત પીછેહઠ કરવી પડી છે. પાંચમી બટાલિયન, ચૌદમી પંજાબ રેજિમેંટ, હોંગકોંગ સિંગાપુર રૉયલ આર્ટીલરીને ટૂંકી પણ તીવ્ર લડાઈ પછી શરણાગતી સ્વીકારવી પડી છે. એમની પાસે સંખ્યાબળ ઓછું હતું અને ચાર માઇલના વિસ્તારનો બચાવ કરવાનો હતો. હવાઈ દળની મદદ પણ નહોતી. જાપાને એમના કરતાં ચારગણા સૈનિકો ઉતાર્યા હતા. એક બ્રિટિશ અધિકારી જાપાનીઓના હાથમાંથી છટકીને આવી ગયો છે. એ હિન્દુસ્તાની સૈનિકોનાં ભારે વખાણ કરતો હતો.

મલાયાની લડાઈમાં પણ ગોરખા અને બ્રિટિશ બટાલિયનો અને દેશી રાજ્યોની બટાલિયનોએ જાપાની હુમલાનો બરાબર સામનો કર્યો (નોંધઃ મલાયા મલેશિયાનો એક પ્રાંત છે). દક્ષિણ સિયામ (આજે થાઈલૅન્ડ)માંથી જાપાનની ચાર ડિવીઝનો એકીસાથે ત્રાટકી. સિંગાપુર તો જાપાને જીતી જ લીધું હતું. જાપાનનાં નૌકા અને હવાઈ દળો પણ બ્રિટનનાં કૉમનવેલ્થ દળો કરતાં ચડિયાતાં સાબીત થયાં. એ જ રીતે બર્મા પણ જાપાનના હાથમાં ગયું. બર્મા રોડ પર હિન્દુસ્તાની ફોજને ચીની દળોએ મદદ કરીને અમુક ભાગ પર કબજો કરી લેતાં જાપાન માટે લડાઈ લાંબી નીવડી. પરંતુ કમાંડર-ઇન-ચીફ જનરલ હાર્ટ્લીએ કહ્યું કે દુશ્મન એટલો નજીક છે કે હવે હિન્દની ભૂમિ પર હવાઈ અને સમુદ્રમાર્ગે બોમ્બમારો થવાની શક્યતા વધી ગઈ છે.

બીજી બાજુ પાંસઠ હજાર હિન્દુસ્તાનીઓ બર્માથી ભાગી આવ્યા હતા. મલાયાથી પણ મોટી સંખ્યામાં હિન્દુસ્તાનીઓ પાછા ફર્યા હતા. મોટા ભાગે તો એ સમુદ્ર માર્ગે આવ્યા પણ દિવસોદિવસ સમુદ્રમાર્ગ વધારે જોખમી બનતો ગયો હતો. એમને રાહત આપવામાં જાતિવાદ આચરાતો હોવાની ફરિયાદો પણ ઊઠી હતી.

ભારતીયને સંરક્ષણની જવાબદારી

વાઇસરૉયની કાઉંસિલના સભ્ય પંડિત હૃદયનાથ કુંજરુએ ઠરાવ રજૂ કરીને માગણી કરી કે કમાંડર-ઇન-ચીફને એમની રાજકીય ફરજોમાંથી મુક્ત કરવા જોઈએ કે જેથી એ માત્ર સંરક્ષણને લગતી બાબતો પર ધ્યાન આપી શકે. એમણે કહ્યું કે દેશમાં એવી લાગણી છે કે ભારતના સંરક્ષણની જવાબદારી ભારતીયની હોવી જોઈએ. મુસ્લિમ લીગના બે પ્રતિનિધિઓ પાદશાહ અને મહંમદ હુસેન તેમ જ વાઇસરૉય દ્વારા નિમાયેલા ત્રીજા સભ્ય સર મહંમદ યાકૂબે વિરોધ કર્યો કે વાઇસરૉયની કાઉંસિલનું વિસ્તરણ થાય તેમાં કંઈ ખોટું નથી પણ લોકોનો ટેકો ન હોય તેવા કોઈ હિન્દુસ્તાનીને સંરક્ષણ ખાતું સંભાળવા નીમવોએ યોગ્ય નથી. કુંજરુના ઠરાવની તરફેણમાં ૧૧ અને વિરોધમાં ૫ મત પડ્યા. સરકાર તટસ્થ રહી, પરંતુ કાઉંસિલના ઠરાવને માનવો કે નહીં, તેની અંતિમ સત્તા વાઇસરૉયના હાથમાં હતી એટલે એણે આ ઠરાવની પરવા ન કરી.

૦૦૦

પણ હવે સુભાષબાબુ જાપાન પહોંચી ગયા છે. આઝાદ હિન્દ ફોજની ગાથા આગળ જોઈશું કારણ કે આ દરમિયાન દેશમાં બ્રિટનની વૉર કૅબિનેટે મોકલેલું ક્રિપ્સ મિશન ભારત આવી ગયું, ગાંધીજીએ ‘ભારત છોડો’ આંદોલન જાહેર કરી દીધું અને આખા દેશમાં બ્રિટિશ હકુમત સામે વિરોધનો વંટોળ ઊઠ્યો.

સંદર્ભઃ

https://en.wikipedia.org/wiki/Malaysia

https://www.britannica.com/place/Cyrenaica

The Indian Annual register. Jan-June 1942 Vol. I

India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-25

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૨૫: સુભાષચન્દ્ર બોઝ જર્મનીમાં

૧૯૪૧ના ઍપ્રિલની ત્રીજી તારીખે ઈટલીનો કુરિયર ઑર્લાન્ડો માઝોટા બર્લિનમાં જર્મન વિદેશ મંત્રાલયના દરવાજે પહોંચ્યો. આપણે હવે એને ઓળખીએ છીએ. ઑર્લાન્ડો માઝોટાને આપણે પ્રકરણ ૨૩ના છેક અંતમાં મળ્યા છીએ. અફઘાનિસ્તાનમાં ઈટલીની મદદથી રશિયાની સરહદમાં ઘૂસી જતી વખતે સુભાષબાબુએ એ નામના ઈટલીના કૂરિયરનો પાસપોર્ટ ઉપયોગમાં લીધો હતો.

સુભાષબાબુ બ્રિટનને હરાવવા માટે જર્મનીની મદદની આશાથી ભારતમાંથી પલાયન કરી ગયા હતા. એ રશિયામાં રહેવા માગતા હતા કે જર્મની જવા ઇચ્છતા હતા તે વિશે હજી પણ વિદ્વાનોમાં એકમતી નથી. ઐતિહાસિક તથ્ય એ છે કે રશિયા અને જર્મની વચ્ચે મિત્રતાની સંધિ થયેલી હતી અને રશિયા હજી તેલ અને તેલની ધાર જોતું હતું. એ બ્રિટનને પણ નારાજ કરવા નહોતું માગતું. આ કારણે સુભાષબાબુ પોતાના નામથી રશિયામાં આવે અને રહે તે એને પસંદ નહોતું. એટલે સુભાષબાબુ બર્લિન પહોંચ્યા ત્યાં સુધી ઑર્લાન્ડો માઝોટા જ રહ્યા. જર્મનીના વિદેશ મંત્રાલયના અમુક જ ઑફિસરોને એમના વિશે જાણ હતી. એમણે હૉટેલ એક્સેલ્સિયરમાં રહેવાની વ્યવસ્થા કરી આપી. ત્યાં જ એમણે પોતાની ઑફિસ બનાવી.

એક જ અઠવાડિયામાં, નવમી તારીખે, સુભાષબાબુએ જર્મનીના વિદેશ મંત્રાલયને વિગતવાર નિવેદન આપીને પોતાની યોજના બધા ખુલાસા અને તર્ક સાથે સમજાવી. એમણે એ પણ સમજાવ્યું કે જાપાન દૂર-પૂર્વમાં (અગ્નિ એશિયામાં) યોગ્ય નીતિ અપનાવે તો ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યાનો અંત આવી જશે. એમણે એ પણ કહ્યું કે સિંગાપુરમાં બ્રિટન પરાજિત થાય તે બહુ જરૂરી છે. અંતે સુભાષબાબુ ધારતા હતા તેમ જ યુદ્ધે વળાંક લીધો.

ત્રણ જ અઠવાડિયાંમાં જર્મન વિદેશ મંત્રી રિબેનટ્રોપ અને સુભાષબાબુ વિયેનાની ઇમ્પીરિયલ હૉટેલમાં મળ્યા. રિબેનટ્રોપે નિવેદન વિશે જર્મન સરકારનો અભિપ્રાય જણાવ્યો કે સુભાષબાબુની યોજનાને અમલમાં મૂકવાનો સમય હજી પાક્યો નથી. સુભાષબાબુએ સૂચવ્યું કે જર્મનીએ બ્રિટિશ સેનાના અસંખ્ય હિન્દુસ્તાની સૈનિકોને યુદ્ધ કેદી બનાવ્યા છે; એમનો ઉપયોગ લડાયક સૈન્ય તરીકે બ્રિટનની વિરુદ્ધ કરી શકાય. પરંતુ રિબેનટ્રોપે એ સૂચન પણ ન સ્વીકાર્યું. એણે ભારતની સ્વતંત્રતાને જાહેરમાં ટેકો આપવાની પણ ના પાડી દીધી. સુભાષબાબુએ કહ્યું કે બ્રિટન કદાચ યુરોપમાં પોતાની હાર કબૂલી લેશે પણ ભારતને પોતાના સકંજામાં જ ઝકડી રાખશે, રિબેનટ્રોપે એના જવાબમાં એટલું જ કહ્યું કે જર્મનીએ બ્રિટન સાથે સંધિ કરવાની દરખાસ્ત મૂકી હતી, પણ બ્રિટને એ ફગાવી દીધી. હવે એનું ભાવિ એવું છે કે એના સામ્રાજ્યનો તો આપમેળે અંત આવી જશે. આમ રિબેનટ્રોપે દેખાડ્યું કે ભારત બ્રિટનના કબજામાંથી છૂટે કે ન છૂટે, જર્મનીને એમાં રસ નથી.

ત્રણ જ દિવસમાં સુભાષબાબુએ બીજું નિવેદન મોકલ્યું. આ વખતે એમણે જર્મની ભારતની સ્વતંત્રતાને ટેકો આપવાની જાહેરાત કરે એ વાત પર ભાર મૂક્યો. સુભાષબાબુ ત્યાં સરકાર બનાવી શક્યા નહોતા અને જર્મનીમાં બહુ ઓછા ભારતીયો એવા હતા કે જેમને સરકારમાં સાથી તરીકે સામેલ કરી શકાય. આ સ્થિતિમાં જર્મનીમાં રહેવા માટે એમનો દરજ્જો શું? એટલે એમણે બર્લિનમાં સ્વાધીન ભારતની સરકાર બનાવવામાં અને રેડિયો સ્ટેશન શરૂ કરવામાં જર્મનીની મદદ માગી.

એમણે ભારતની સ્વતંત્રતાની ઘોષણાનો મુસદ્દો પણ બનાવ્યો અને જર્મની અને ઈટલીના નેતાઓને આપ્યો. પરંતુ બન્ને તરફથી સાનુકૂળ જવાબ ન મળ્યો. જર્મની અને રશિયા વચ્ચે શાંતિ અને મૈત્રીની સંધિ હતી અને જર્મની ભારતને રશિયાની વગ હેઠળનો પ્રદેશ માનતું હતું એટલે ભારતની સ્વતંત્રતાની ઘોષણા કરીને રશિયાને નારાજ કરવાનો એમનો ઇરાદો નહોતો.

ભારત અને આરબ દેશો બ્રિટનના તાબામાં હતા એટલે એમની સ્વતંત્રતાને ટેકો આપીને હિટલર બ્રિટનને કફોડી સ્થિતિમાં મૂકી શકે તેમ હતો, એટલે એણે સુભાષબાબુના નિવેદનનો સ્વીકાર કર્યો પણ એના પર નક્કર નિર્ણય લેવાનું ટાળી દીધું, અંતે હિટલરે વિદેશ મંત્રાલયને આ યોજના અભેરાઈએ ચડાવી દેવાનો આદેશ આપ્યો.

હિટલરની સરકારે આઝાદ હિન્દુસ્તાનની સરકાર બનાવવાની મંજૂરી તો ન આપી, માત્ર ‘Free India Centre’ અથવા ભારતીય સ્વતંત્રતા સમિતિની છૂટ આપી. સુભાષબાબુએ એ સ્વીકારી લીધું અને એમના કહેવાથી વિદેશ મંત્રાલયમાં ભારત માટેનું ‘વર્કિંગ ગ્રુપ’ પણ કામ કરતું થઈ ગયું. આ વર્કિંગ ગ્રુપ છેવટે ભારત માટેના ખાસ વિભાગમાં પરિવર્તિત થયું, એની જવાબદારી સુભાષબાબુને બધી રીતે મદદ કરવાની હતી.

૧૯૪૧ના મે મહિનામાં સુભાષબાબુ રોમ ગયા અને મુસોલિનીને મળ્યા. આમ તો એ સુભાષબાબુને મળવા નહોતો માગતો પણ મળ્યા પછી એને લાગ્યું કે ભારતની આઝાદીને ટેકો આપવાનું નિવેદન બહાર પાડવું જોઈએ. એણે જર્મનીને પણ ભારતની આઝાદીના સમર્થનમાં નિવેદન બહાર પાડવા કહ્યું પણ જર્મન સરકાર એના માટે તૈયાર નહોતી. એ ફ્રાન્સ પણ ગયા. આમ તો પૅરિસ પર હિટલરે કબજો કરી લીધો હતો પણ એના બીજા આઝાદ પ્રદેશમાં સુભાષબાબુની મુલાકાત એક હિન્દુસ્તાની પત્રકાર એ. સી. એન. નામ્બિયાર સાથે થઈ. નામ્બિયાર તે પછી સુભાષબાબુની યોજનાઓનું અભિન્ન અંગ બની રહ્યા. એ પહેલાં પણ નામ્બિયારે રાજા મહેન્દ્ર પ્રતાપ, બરકતુલ્લાહ, એમ. એન. રૉય, વીરેન્દ્ર ચટ્ટોપાધ્યાય જેવા ક્રાન્તિકારીઓ સાથે કામ કર્યું હતું.

હજી સુધી સુભાષબાબુ ભારતીય રાષ્ટ્રવાદની નજરે આખા યુદ્ધને જોતા હતા એટલે યુદ્ધ જર્મની અને ઇંગ્લૅન્ડ વચ્ચે જ સીમિત રહી શકે એ ધારણાથી કામ કરતા હતા. હિટલરે પોતાના કબજામાં આવેલા દેશોમાં જે અત્યાચાર કર્યા હતા તેના તરફ પણ એમણે આંખો બંધ રાખી હતી, પરંતુ જર્મનીએ રશિયા સાથેની સંધિ તોડીને હુમલો કરતાં એમના ઘણા ખ્યાલો ધૂળમાં મળી ગયા. હિટલર યુરોપમાં પૂર્વ તરફ આગળ વધવા માગતો હતો. આમ છતાં, વિદેશ મંત્રાલયે એમને આઝાદ હિન્દુસ્તાન કેન્દ્રનો વિકાસ કરવામાં ઘણી મદદ કરી. રેડિયો સ્ટેશન ઊભું કરવાની સગવડ પણ આપી, એટલું જ નહીં, એના માટે જર્મન રેડિયોથી અલગ ફ્રિક્વન્સી આપી હતી કે જેથી આઝાદ હિન્દુસ્તાન કેન્દ્ર જર્મનીથી અલગ રહીને પોતાનો દૃષ્ટિકોણ રજૂ કરી શકે. કેન્દ્રનું કામ બરાબર શરૂ થઈ ગયું હતું. સુભાષબાબુએ કોંગ્રેસના તિરંગાને જ કેન્દ્રનો ઝંડો બનાવ્યો. માત્ર એમણે ચરખાને બદલે ટીપુ સુલતાનના ઝંડાનો છલાંગ મારતો વાઘ એમાં મૂક્યો. જો કે અગ્નિ એશિયામાં ચરખો ઝંડામાં પાછો આવ્યો. રવીન્દ્રનાથ ટાગોરનું “જન ગણ મન…” કેન્દ્રનું રાષ્ટ્રગીત બન્યું, એમણે બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયનું ‘વંદે માતરમ’ ન લીધું કારણ કે એની સામે મુસલમાન સૈનિકો ધાર્મિક કારણસર વાંધો લે એવું હતું. એમણે ઈકબાલનું “સારે જહાં સે અચ્છા…” રોજ ગાવાનાં ગીતોમાં લીધું અને ‘જય હિન્દ’નું નવું સૂત્ર એકબીજાના સ્વાગત માટે આપ્યું. સુભાષબાબુનું જોર નાતજાત અને ધર્મના વાડા ભૂંસીને એક હિન્દુસ્તાનીની ઓળખ વિકસાવવા પર રહ્યું.

દરમિયાન. જર્મનીના વિદેશ મંત્રી રિબેનટ્રોપે પોતે જ હિન્દુસ્તાની યુદ્ધકેદીઓનો જુદી રીતે ઉપયોગ કરવાનો વિચાર રજૂ કર્યો. એની યોજના હતી કે આ યુદ્ધકેદીઓમાંથી માત્ર હિન્દુસ્તાનીઓની બટાલિયન ઊભી કરવી. જો કે એના માટે જુદા જુદા દેશમાંથી હિન્દુસ્તાની યુદ્ધ કેદીઓને જર્મનીમાં લાવવાની જરૂર હતી. આમાં મુસોલિનીએ બહુ રસ ન લીધો અને હિન્દુસ્તાની યુદ્ધકેદીઓને જર્મનીના હાથમાં સોંપવામાં બહુ વાર લગાડી.

બીજી બાજુ, હિન્દુસ્તાની સૈનિકોમાં જાતિવાદ ફેલાયેલો હતો એટલે જર્મન અધિકારીઓને યુદ્ધકેદીઓની ફરિયાદો મળતી તેમાં બધા કેદીઓને એક લાકડીએ હાંકવા વિશે પણ ફરિયાદ મળતી. બીજું. એ જર્મની સામે શા માટે લડતા હતા એવા સવાલનો એમનો જવાબ એક જ હતો કે એમના માલિકોએ એમને જર્મની સામે લડવાનો હુકમ આપ્યો હતો. આમ હિન્દુસ્તાનીઓનું વલણ તદ્દન ભાડૂતી ફોજ જેવું હતું. તે ઉપરાંત બીજી પણ એક સમસ્યા હતી કે એમાં નૉન-કમિશન્ડ લશ્કરી સૈનિકો સીધી રીતે બ્રિટનને વફાદાર હતા. એ સામાન્ય સૈનિકોના કાન ભંભેરતા એટલે ડિસેમ્બરમાં સુભાષબાબુ આન્નાબર્ગની યુદ્ધકેદીઓની છવણીમાં એમને મળવા ગયા ત્યારે એમને સખત વિરોધનો સામનો કરવો પડ્યો. આમ છતાં એમણે બીજા જ દિવસથી વ્યક્તિગત રીતે યુદ્ધકેદીઓને મળવાનું શરૂ કરી દીધું અને અંતે પંદર હજારમાંથી ચાર હજાર યુદ્ધકેદીઓ ખાસ હિન્દુસ્તાની બટાલિયનમાં જોડાવા તૈયાર થઈ ગયા.

સુભાષબાબુને જર્મનીમાં એ. સી. એન. નામ્બિયાર ઉપરાંત એન. જી. ગણપૂલે, ગોવિંદ તલવલકર, ગિરિજા કુમાર મૂકરજી, એમ. આર. વ્યાસ, હબીબુર રહેમાન, એન જી. સ્વામી, આબિદ હસન જેવા મહત્ત્વના સાથીઓ પણ મળ્યા.

સુભાષબાબુ ૧૯૪૧ના ઍપ્રિલમાં બર્લિન આવ્યા ત્યારે ઑર્લાન્ડો માઝોટા તરીકે આવ્યા હતા પણ હવે એમને એ નામની જરૂર નહોતી, કારણ કે વિદેશ મંત્રાલય એમને મદદ આપતું હતું એટલે હવે એમણે આ નામ છોડી દીધું. રશિયા પર જર્મનીએ આક્રમણ કર્યું તે પછી એમને જર્મની પાસેથી બહુ આશા નહોતી રહી. આ બાજુ ડિસેમ્બરમાં જાપાન પણ યુદ્ધમાં કૂદી પડ્યું હતું અને ચીન, સિંગાપુર, મલાયા વગેરે પર એનો ઝંડો ફરકતો હતો.

આથી સુભાષબાબુ હવે પૂર્વ એશિયામાં જવા માગતા હતા. ભારતની સરહદ ત્યાંથી નજીક પડે અને સ્વતંત્ર રીતે લશ્કરી કાર્યવાહી કરવી હોય તો ભારતની નજીક રહેવાનું એમને જરૂરી લાગવા માંડ્યું હતું. પરંતુ જર્મન અધિકારીઓ એમને સલામતીનાં કારણોસર રોકી રાખતા હતા.

સુભાષબાબુને જર્મનીમાં એક વર્ષ પુરું થઈ ગયું હતું પણ એમની મુલાકાત હિટલર સાથે થઈ શકી નહોતી. છેવટે ૧૯૪૨માં મે મહિનાની ૨૯મીએ સુભાષબાબુ હિટલરને મળ્યા. એમણે હિટલર સમક્ષ એશિયા જવાની ઇચ્છા વ્યક્ત કરી. હિટલરે વિમાનમાર્ગે જવાનાં જોખમો બતાવ્યાં અને એમને સબમરીનમાં પહોંચાડવાની તૈયારી દેખાડી.

હિટલરને ભારત પર બ્રિટનનું રાજ રહે તેમાં વાંધો નહોતો. એ હિન્દુસ્તાનીઓને ‘ઊતરતી’ કોમ માનતો હતો અને એને ગોરી ચામડી માટે પક્ષપાત હતો. એણે Mein Campfમાં આ અભિપ્રાય વ્યક્ત કર્યો છે. સુભાષબાબુએ હિટલરને આ દૃષ્ટિકોણ બદલવા કહ્યું, જો કે હિટલર એનો જવાબ ટાળી ગયો. હિટલરે ભારતની સ્વતંત્રતાને ટેકો આપવા બાબતમાં કહ્યું કે ખરેખર વિજય ન મળે તો આવું જાહેર કરવાનો કંઈ અર્થ નથી રહેતો. અને જર્મની માટે ભારત “અનંત દૂર” છે.

હિટલરે સબમરીન માટે વચન આપ્યા પછી આઠ મહિને ૮મી ફેબ્રુઆરી ૧૯૪૩ના એમણે જર્મની છોડ્યું. પણ પૂર્વ એશિયાની લડાઈમાં એવું તે શું હતું કે સુભાષબાબુ ત્યાં જવા માટે જવા આતુર હતા?

૦૦૦

સંદર્ભઃ http://dspace.pondiuni.edu.in/jspui/bitstream/1/1698/1/Subhas%20Chandra%20Bose.pdf

%d bloggers like this: