‘Futility of Common Sense’ an Article by Dilip Simeon in Gujarati

આપણી તકલાદી સાદી સમજ અને અહિંસાનું દર્શન (૧): ડૉ. દિલીપ સિમ્યન

      unnamed

આ નિબંધના લેખક ડૉ. દિલીપ સિમ્યન શ્રમ અને શ્રમિક સંબંધોના ઇતિહાસવિદ્‍ છે. ૧૯૬૬માં દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં નક્સલવાદ પ્રત્યે આકર્ષાયા અને સક્રિયપણે જોડાયા. જંગલોમાં ભટકતાં ક્રાન્તિનાં સપનાં સેવ્યા પછી ૧૯૭૧માં બાંગ્લાદેશની રચના થઈ ત્યારે પાર્ટીના દૃષ્ટિકોણ સાથે અસંમત થઈને પાછા ફર્યા અને અભ્યાસ પૂરો કરીને ૧૯૭૪માં દિલ્હીની રામજસ કૉલેજના ઇતિહાસ વિભાગમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા. એક પ્રભાવશાળી વક્તા તરીકે દિલીપ વિદ્યાર્થીઓમાં બહુ લોકપ્રિય બન્યા. નિબંધમાં દર્શાવ્યા પ્રમાણે એ મહાત્મા ગાંધી તરફ વળ્યા અને ગાંધીના બની રહ્યા.

૧૯૮૪માં દિલ્હીમાં શીખ વિરોધી કત્લેઆમ વખતે એમણે કેટલાક સાથીઓ સાથે મળીને સાંપ્રદાયિકતા વિરોધી આંદોલન (SVA)ની સ્થાપના કરી. હાલમાં ડૉ. સિમ્યન ‘પીપલ્સ ઍલાયન્સ ફૉર ડેમોક્રેસી ઍન્ડ સેક્યૂલરિઝમ’ (PADS)ના એક અગ્રગણ્ય સભ્ય છે. તેઓ સૂરત યુનિવર્સિટી ઉપરાંત સસેક્સ, શિકાગો અને પ્રિન્સટન યુનિવર્સિટીના વિઝિટિંગ પ્રોફેસર છે. એમના અસંખ્ય લેખો પ્રકાશિત થયા છે. એમના બ્લૉગhttp://dilipsimeon.blogspot.in/ આધુનિક રાજકીય ઇતિહાસના જિજ્ઞાસુઓ માટે એક અખૂટ ખજાનો છે. એમની પહેલી નવલકથા ‘Revolution Highway’ અંગ્રેજી અને હિન્દીમાં ઉપલબ્ધ છે. એમનો સંપર્કdilipsimeon@gmail.com પર કરી શકાશે.

આ નિબંધ ૧૯૯૭માં લખાયેલો છે એટલે એ વખતની કેટલીયે ઘટનાઓનાં સમયાંક્નો બદલ્યાં નથી, કારણ કે મૂળ વિષયવસ્તુ એનાથી સ્વતંત્ર રહ્યું છે.

ડૉ. દિલીપ સિમ્યને અહિંસાની જે મીમાંસા કરી છે તેની ભૂમિકા રૂપે અહીં એક અવતરણ આપીએ છીએઃ

“બિરાદર, હું તારી હત્યા કરવા નહોતો માગતો….પણ પહેલાં તું મારા માટે એક વિચાર માત્ર હતો, એક અમૂર્ત વિચાર જે મારા મનમાં રહેતો હતો અને યોગ્ય પ્રતિક્રિયા આપવા મને પડકારતો હતો… હું તારી હૅન્ડ-ગ્રેન્ડ, બેયોનેટ, તારી રાઇફલનું જ વિચારતો હતો; હવે જોઉં છું કે તારી એક પત્ની છે, તારો એક ચહેરો છે, તારા મિત્રો છે. મને માફ કર, બિરાદર. આપણે હંમેશાં બહુ મોડેથી જ જોઈ શકીએ છીએ. એ લોકો આપણને કહેતા કેમ નથી કે તમે લોકો પણ અમારા જેવા જ જુવાનિયા છો અને અમારી માતાઓ અમારા માટે ચિંતા કરે છે એટલી જ ચિંતા તમારી માતાઓ તમારા માટે પણ કરતી હોય છે. અમને પણ મોતનો એ જ ભય સતાવે છે, એ જ રીતે મરવાનું છે, એ જ પીડા ભોગવવાની છે – માફ કર બિરાદર, તું મારો દુશ્મન શી રીતે હોઈ શકે?”

– જર્મન લેખક એરિખ મર્‍ઈયા રીમાર્કની નવલકથા All Quiet on the Western Frontમાંથી

૦-૦-૦

હું એક વાર અહિંસા વિશેની એક ડૉક્યુમેન્ટરી ફિલ્મ માટે સલાહકાર બન્યો. મારા એક અતિ માનનીય ભૂતપૂર્વ અધ્યાપકને આની ખબર પડી તો એમણે વ્યંગમાં કહ્યું: “પોથીમાંનાં રીંગણાં!”. વાત તો બરાબર હતી કારણ કે, વિદ્યાર્થી અવસ્થામાં હું માનતો કે કોઈ પણ સાચું સામાજિક કે રાજકીય પરિવર્તન માત્ર ક્રાન્તિકારી હિંસાથી જ આવી શકે. આ ક્રાન્તિમાં હું ૧૯૭૦માં સક્રિયપણે જોડાયો. એ દિવસોમાં એને “અંતિમવાદ’ કહેતા. એનો પહેલો તબક્કો પૂરો થતાં આ પ્રશ્નને બાજુએ હડસેલી દીધો કે એના પર દાર્શનિક કે સૈદ્ધાંતિક દૃષ્ટિએ બહુ લમણાઝીંક કરવાની જરૂર નથી. પરંતુ વર્ષો પછી, જે કૉલેજમાં હું કામ કરતો હતો ત્યાં ભ્રષ્ટાચાર સામેના સંઘર્ષમાં મારા પર ગંભીર શારીરિક હુમલો થયો ત્યારે મને એ સમજાયું કે આ પ્રશ્ન કેટલો બધો મહત્ત્વનો છે. કંઈ નહીં તો, આટલી સમજ માટે તો હું એ હુમલાખોરોનો ઋણી છું.

હિંસાની વ્યાપકતા

રાજીવ ગાંધીની હત્યા થઈ એમાં ખાસ વાત એ નહોતી કે એક યુવાન સ્ત્રીએ પોતાને બોમ્બથી ઉડાવી દીધી. મુખ્ય વાત તો એ હતી કે આ આખો બનાવ એક માણસ શાંતિથી જોયા કરતો હતો, એને ખબર હતી કે આ બધું કૅમેરામાં ઝડપાય છે. આજે દુનિયામાં એવાં ઘણાં યુવક-યુવતીઓ છે, જેમને માટે માણસના માંસના લોંદા અને લોહી જોવાનો અનુભવ સામાન્ય છે. હું પોતે અધ્યાપક હતો ત્યારે ઘણા વિદ્યાર્થીઓએ ૧૯૮૪નાં શીખ વિરોધી રમખાણ વખતે માણસોને જીવતા સળગાવી દેતાં જાતે જોયા હતા અને કેટલાકે તો આવાં કૃત્યોમાં ભાગ પણ લીધો હતો. આ જાણીને હું કાંપી ઊઠ્યો હતો, પણ મને નવાઈ લાગવી જોઈતી હતી? કેમ વળી, કોલંબિયાની ખૂની ગૅંગોમાં કેટલાય સભ્યો એવા છે કે જેમણે હજી કિશોરાવસ્થા પણ જોઈ ન હોય. અને ઇરાને ઈરાક સામેની લડાઈમાં બાળ-મુજાહિદોને મોકલ્યા જ હતા. પૅલેસ્ટાઇની નિર્વાસિતોનાં બાળકોનાં ઇઝરાઇલી જેટ વિમાનોના હુમલામાં મોત થાય કે સામસામે લડતાં બે મિલિશિયા જૂથોની લડાઈમાં બાળકોનો ભોગ લેવાય, એ તો રોજિંદી ઘટના છે. બીજી બાજુ ઇઝરાઇલમાં સ્કૂલે જતાં બાળકો પણ સતત ટેન્શનનું જીવન જીવે છે અને એમાં વેરતરસ્યા પૅલેસ્ટાઇનીઓની જેટલી જવાબદારી છે તેટલી જ જવાબદારી ઇઝરાઇલ સરકારની પણ છે. દક્ષિણ આફ્રિકામાં કેટલીયે પેઢીનાં શ્યામવર્ણી બાળકોએ આખી જિંદગી હિંસાચાર જ જોયો છે. માનવીની પશુતાનાં દૃશ્યો અને આપણા વચ્ચે જે અંતર હતું તેને ટેલિવિઝન અને વીડિયોગ્રાફીએ શૂન્ય બનાવી નાખ્યું છે. આજે હિંસા આપણા રોજિંદા જીવનનો ભાગ બની ગઈ છે.`

વ્યવસ્થામાં વણાયેલી હિંસા બધા દમનકારી સામાજિક સંબંધો માટે ઊંઝણનું કામ કરે છે. આવા સંબંધોમાં તર્ક, સમાનતા અને માનવજાત માટે આદરને સ્થાન નથી હોતું. મજૂરો અને સ્ત્રીઓ અને બાળકો પર ગુજારાતી હિંસા પિતૃસત્તાક અને શોષક સમાજનું અભિન્ન અંગ છે. ઍપ્રિલ અને મે ૧૯૯૭માં ઉત્તર ભારતમાં એક જાતિની પંચાયતે બે સ્ત્રીઓને મોતને ઘાટે ઉતારી દીધી હોવાના રિપોર્ટ મળ્યા. બન્નેએ હજી કિશોર વયનો ઊંબરો પણ પાર નહોતો કર્યો. એમનો ‘ગુનો’ એ જ હતો કે એમણે કોઈ સાથે પ્રેમ કર્યો અને પોતાનો જીવનસાથી જાતે પસંદ કરવાનું નક્કી કર્યું. બેઉ છોકરીઓ પછાત વર્ગની હતી એટલે કશો ઉહાપોહ પણ ન થયો. પછાત વર્ગોના રાજકીય પ્રતિનિધિઓએ પણ કંઈ કાગારોળ ન મચાવી, તે દેખાડે છે કે જે લોકો પોતાને રાજકીય રીતે પ્રગતિશીલ તરીકે ખપાવે છે તેમને પણ, સ્ત્રીઓની વ્યક્તિગત સ્વતંત્રતા કે એમના માનવ અધિકાર બાબતમાં બહુ આગ્રહ નથી. લાગે છે કે સ્ત્રી હિંસાનો ભોગ બનતી હોય ત્યારે “ઘર”ની અંદર થતી હિંસાનેસામાન્યમાનવામાં આવે છે. પોતાની વાતને સારી પેઠે રજૂ કરવામાં પાવરધો મધ્યમ વર્ગ પણ જેટલો નાણાકીય મુદ્દાઓ પર ઊકળી ઊઠે છે એટલો માનવજીવનના અંત કે નબળા અને લાચાર નાગરિકોની માનહાનિની વાત આવે ત્યારે એટલો તમતમી નથી ઊઠતો.

હિંસાને આધારે વિકસેલા સામાજિક સંબંધો આપણા રાજ્યતંત્રના સમગ્ર માળખાનો પાયો છે. ઘરની અંદર થતી હિંસાના વ્યાપ અને સામાજિક મૂલ્યોના હ્રાસને કારણે લોકો શારીરિક દબામણીથી ટેવાવા લાગ્યા છે. આ જાતની ‘ટ્રેનિંગ’ લોકોને ભવિષ્યમાં થનારા હિંસક અનુભવો માટે મનોવૈજ્ઞાનિક રીતે તૈયાર કરે છે; પછી આવા બનાવો પૅરામિલિટરી સેવાઓમાં બને કે અનૌપચારિક ક્ષેત્રમાં કામ કરતી વખતે બને, આપણે સૌ ટેવાઈ ગયા છીએ. આખી દુનિયામાં સશસ્ત્ર દળોએ સત્તા માટે કોઈને મારી નાખવા કે તાબામાં લેવામાં સારોએવો મહાવરો હાંસલ કર્યો છે. કહેવું કે સાંભળવું કદાચ વિચિત્ર લાગશે, પણ ઔદ્યોગિક ક્રાન્તિ જેવી લાભકારી ઘટનાઓ અને લોકશાહીવાદી રાજકારણે હિંસામૂલક વલણોને વધારે દૃઢ બનાવ્યાં છે. હવે આખા ને આખા સમાજોને યુદ્ધ માટે સંગઠિત કરવામાં આવે છે. પહેલા વિશ્વયુદ્ધે બે કરોડનો ભોગ લીધો અને બીજા વિશ્વયુદ્ધે સાડાપાંચ કરોડનો (આમાંથી બે કરોડ કરતાં વધારે તો રશિયનો હતા). આજે પ્રથમ પંક્તિના મૂડીવાદી દેશો લશ્કરો પર વરસેદહાડે ૫૦૦ અબજ ડૉલર ખર્ચે છે, જેમાંથી ત્રીજા ભાગની રકમ તો શસ્ત્રોની ખરીદી અને નવાં શસ્ત્રો વિકસાવવામાં ખર્ચાય છે. દુનિયાના ૬૯ દેશોમાં દસ કરોડ સુરંગો બિછાવેલી પડી છે જે દર અઠવાડિયે ૫૦૦ જણનો – એક વર્ષમાં ૨૬,૦૦૦નો – કાં તો ભોગ લે છે, કાં તો એમને પંગુ બનાવી દે છે. (એક સુરંગ બનાવવામાં તો થોડા ડૉલર ખર્ચાય છે પણ એમને નિષ્ક્રિય બનાવવામાં ૨૦૦થી ૧૦૦૦ ડૉલરનો ખર્ચ થાય છે). યુદ્ધની તૈયારીમાં ગંજાવર રકમ રોકાય છે. તુલનાત્મક અભ્યાસો જણાવે છે કે મિલિટરી બજેટમાં માત્ર ૨૦ ટકાનો ઘટાડો થાય તો ૧૮ કરોડ ૯૦ લાખ બાળકોને નિશાળના ભણતરનો લાભ આપી શકાશે. એક ‘સી-વૂલ્ફ’ પરમાણુ સબમરીનનો ખર્ચ અઢી અબજ ડૉલર છે. આમાંથી દુનિયાનાં બધાં બાળકોને રોગો સામે રક્ષણ આપવાની રસી મૂકી શકાય. એક સ્ટીલ્ધ બોમ્બર વિમાનના ખર્ચમાંથી વિકાસશીલ દેશોની ૧૨ કરોડ સ્ત્રીઓને કુટુંબ નિયોજન સેવાઓ આપી શકાય. શીતયુદ્ધનો જમાનો વીતવાની સાથે શસ્ત્રોના વેપારમાં ઓટ આવી છે, તેમ છતાં, દુનિયાની સરકારો પર શસ્ત્રોના સોદાગરો અને મિલિટરી ઇંડસ્ટ્રીની જબરદસ્ત વગ ચાલે છે. આજે આપણે કહી શકીએ કે સામાજિક પ્રાથમિકતાઓ પાટા પરથી ઊતરી ગઈ છે.

હિંસા એટલે વાતચીતનો અંત. તે સાથે હિંસા ક્યારે થઈ, કોણે કરી, તેનાં કારણો શું હતાં, પરિણામ શું આવ્યાં, એવા બધા સવાલો વિશે આપણી સભાનતા ધૂંધળી બની જાય છે. અને હિંસા પોતાના જ બળે ફાલતી જાય છે. મુક્તિના સાધન તરીકે સામાન્ય રીતે હિંસા ભ્રામક બની રહે છે, કારણ કે દમિત લોકો પોતે જ દમનની ભાષા બોલતા થઈ જાય છે. એ એક એવું વિષચક્ર બનાવે છે જે પશુતાને વાજબી ઠરાવવાનું કામ કરે છે અને હિંસાખોરો પોતાને ‘વિક્ટિમ’ ઠરાવે છે. ૧૯૮૪માં શીખ નાગરિકોને મોતની આગમાં હોમી દેનારાઓને મન એ ‘નિર્દોષ’ નહોતા; ઇંદિરા ગાંધીની હત્યા અને ભિંડરાંવાલેએ છેડેલા હિંસાચારમાં ભાગીદાર હતા. સામે પક્ષે પંજાબના ત્રાસવાદીઓએ જાતે જ નક્કી કરી લીધું કે ભારતીય રાજસત્તા એમના પ્રત્યે કિન્નાખોરી રાખે છે તેનો જ તેઓ જવાબ આપે છે. હિંસાની એક અનોખી ખાસિયત પણ છેઃ એ પોતાને પાછલી તારીખથી વાજબી ઠરાવે છે. કહેનારા કહે છે કે ૧૯૮૦ના દાયકાના અંતિમ ચરણમાં પંજાબમાં હિંસાચાર થયો તેને જ કારણે દિલ્હીમાં ૧૯૮૪માં શીખો હિંસાખોરીનું નિશાન બન્યા.( હજી સુધી એ લોહીનીંગળતા ૭૨ કલાકમાં હજારો નિર્દોષોને કાળના મુખમાં ઓરી દેવાયા તે માટે ખેદ દર્શાવતો પ્રસ્તાવ લોકસભામાં આવ્યો નથી). એ જ રીતે, અમુક રાજકીય વિચારસરણી દ્વારા ભારતીય મુસ્લિમો વિરુદ્ધ ઝેર ઓકવામાં આવે છે. જિન્નાનો દ્વિરાષ્ટ્રવાદ જાણે એ જ કારણે વાજબી હતો એમ કહેવાય છે. બીજી બાજુ, મુસ્લિમો પ્રત્યેના દ્વેષભાવને વાજબી ઠરાવાય છે કે એમના ‘અલગતાવાદ’ ને જ કારણે ૧૯૪૭માં હિન્દુઓ અને શીખોને યાતનાઓ સહન કરવી પડી. તો દોષ કોનો છે? આ સવાલનો સ્પષ્ટ જવાબ નથી, પણ જે લોકોને કોમવાદી વિચારધારાએ ઝકડી લીધા છે એમને માટે જવાબ સહેલો છેઃ “ લોકોનો !”.

હવે આપણે આ વિક્ટિમી માનસનો ખ્યાલ કેટલો ફેલાયેલો છે તેનો વિચાર કરીએ. સામૂહિક શત્રુતાનાં ઉદાહરણો જોઈશું, તો જોવા મળશે કે કોઈ વ્યક્તિ હિંસા આચરવાનું કારણ સમજાવે છે ત્યારે પોતાના સમુદાયને તો વિક્ટિમ તરીકે જ ચીતરે છે. નાઝીઓએ ‘ફાઇનલ સોલ્યુશન’ (એટલે કે યહૂદીઓનો સામૂહિક સંહાર) શોધ્યું ત્યારે દાવો કર્યો કે કહેવાતી યહૂદી કાવતરાખોરીને કારણે જર્મન પ્રજાને બહુ વેઠવું પડ્યું છે.

અલબત, સામાજિક દમનનો સવાલ અત્યંત આળો રાજકીય મુદ્દો છે. આથી, સામાન્ય રીતે સૌ કબૂલ કરતા હોય છે કે કહેવાતા નીચલા વરણ બ્રાહ્મણવાદી સામાજિક વ્યવસ્થાના વિક્ટિમ છે. પરંતુ હવે રાજ્યની નીતિમાં નીચલા વરણે હકારાત્મક પગલાંનો હક પ્રાપ્ત કરી લીધો તો સવર્ણો પોતાને જ વિક્ટિમ માનવા લાગ્યા છે. અંગત વાતચીતમાં ઘણી વાર સાંભળવા મળશે કે “આપણા દેશમાં આ ‘બીસી’ઓને સૌથી વધારે હક મળ્યા છે.” આવા અંગત વાતચીતના અભિપ્રાયો ૧૯૯૦માં મંડલ વિરોધી આંદોલન થયું જેવા કિસ્સાઓમાં સાર્વજનિક અભિપ્રાય બની જાય છે.

હિન્દુ-મુસ્લિમ સંબંધો તો એના કરતાં પણ જટિલ છે. આનું એક કારણ એ કે હિન્દુઓમાં એવી માન્યતા ઘર કરી ગઈ છે કે ઇસ્લામ દેશમાં આવ્યો તે વખતથી જ એની એવી ભાવના રહી છે કે મુસલમાન ન હોય તેમને સાંખી જ ન લેવા. આવી માન્યતાઓનો આધાર અમુક અંશે વાસ્તવિક છે. પરંતુ એમાં સરલીકરણ પણ છે અને સામાન્ય વલણ આ સરલીકરણ કરતાં વિપરીત, એટલે કે સારી સ્મૃતિને કે ઘટનાઓને કોરાણે મૂકી દેવાનું હોય છે. આપણે એને હવે તે રીતે જોઈએ તો પણ સો વાતની એક વાત એ કે લોકોમાં આવી માન્યતા પ્રચલિત છે. મુસલમાનોની વાત કરતાં, ખાનદાની મુસલમાનોએ રાષ્ટ્રીય આંદોલનના વિકાસમાં લોકશાહીનો ક્રમશઃ વિકાસ ન જોયો, એમને લાગ્યું કે આમાંથી હિન્દુ-બહુલતાવાદીઓનું જોર વધશે અને વખત જતાં મુસલમાનોનું છોતરુંય નહીં મળે. આમ, દરેક કોમ પોતાને બીજી કોમની જોહુકમીની વિક્ટિમ માનવા લાગી અને એમના નેતાઓ પોતાની વાતને સાચી ઠરાવવા પોટલાં ભરીને દલીલો ખોળી લાવ્યા. આ તર્કનું ચકરડું ગોળગોળ ફરતું પરસ્પર દ્વેષથી ભરેલી બે કોમો વચ્ચે સંવાદની શક્યતાને વાઢતું રહે છે.

આપણે સૌ સામાજિક પરિવર્તન માટે વિચારતા હોઈએ તો હિંસાનાં પિતૃસત્તાક અને પ્રતિગામી લક્ષણો વિશે ગંભીરતાથી વિચારવું પડશે. દાખલા તરીકે, ઉદ્દામવાદી રાષ્ટ્રભક્ત ભગત સિંહે એમના છેલ્લા દિવસોમાં એમ કેમ લખ્યું કે જન-આંદોલન માટે અહિંસા જ અનિવાર્ય છે? કદાચ એ આંતરસૂઝથી જ સમજ્યા કે આતંકનું રાજકારણ તો માત્ર (અને મુખ્યત્વે) જુવાનિયાઓના સંગઠન માટે છે, પણ પ્રજાતાંત્રિક આંદોલનમાં તો લાખોકરોડો લોકો, આબાલવૃદ્ધ સૌ, સામેલ થાય એ જરૂરી છે, એમાંથી મોટા ભાગના એવા હશે કે જે પોતાના ઉચ્ચ આદર્શો માટે જાનફેસાની કરવા કરતાં ઉજ્જ્વળ ભવિષ્યની આશામાં જીવતા રહેવાનું પસંદ કરશે. પરંતુ અહિંસા કંઈ યુક્તિ નથી. એ તો, સત્તાની પ્રકૃતિ અને આપણે ઇચ્છીએ તેવી મુક્તિના પ્રકાર જેવા મૂળભૂત સવાલો સાથે સંકળાયેલી છે.

થવા દો…ભગવાન આપણો ભેરુ છે…

હિંસાથી શારીરિક જફા તો પહોંચે જ છે પણ એનાથી વધારે તો એ વિરોધીનું નીચાજોણું થાય અને એની ગરિમા ખંડિત થાય એવી ઇચ્છાનું રૂપ છે. આ લાગણીનો પ્રાણઘાતક અને અસમર્થ બનાવી નાખે એવો પ્રભાવ છે. સમાજના કોઈ પણ વર્ગનું નીચાજોણું થશે તો સમાજ એની કિંમત ચૂકવ્યા વિના નહીં રહે – ભલે ને આ અસર દેખાતાં સદીઓ નીકળી જાય. અમેરિકનો અને તુર્કો, આફ્રિકન-અમેરિકનો અને શ્વેત અમેરિકનો, દક્ષિણ આફ્રિકામાં શ્યામ અને શ્વેત પ્રજાઓ, આયરિશ અને ઇંગ્લિશ – આ સંબંધોનાં મૂળ જોશો તો એમાં સદીઓ જૂની કડવાશ દેખાશે.

પરંતુ કોઈ પણ સમાજ માત્ર બાવડાના જોરે એક રહી ન શકે. એનું એકમાત્ર પરિણામ એ હશે કે એમાંથી સંપૂર્ણ સામાજિક વિઘટન પેદા થશે. શાસક ગમે તેટલો શક્તિશાળી હોય, એને પણ શાંતિની જરૂર હોય છે, તે સિવાય એ પોતાની સત્તાને માણી શકે નહીં. આ કારણે બુદ્ધિનાં બધાં સંતાનો – વિવેકશક્તિ, તત્ત્વજ્ઞાન, ધર્મ અને કલાના વિકાસનાં વલણો રાજ્યની જરૂરિયાત મુજબ ઘડાતાં હોય છે. વળી, હિંસાત્મક કૃત્યોને પણ હંમેશાં નૈતિક સમર્થનની જરૂર પડી છે. આડકતરી રીતે તો, આ “ખોટું છે એનો એ સ્વીકાર જ છે. આથી જ, હિંસા હંમેશાં નૈતિક મુદ્દાઓ સાથે સંકળાયેલી જોવા મળે છે. સંગઠિત હિંસાને વૈચારિક વ્યવસ્થા તરીકે વિકસાવવા માટે નૈતિક સંવેદનશીલતામાં પરિવર્તન જરૂરી છે, એટલે જ ‘ધર્મયુદ્ધ’ ’જેવા ખ્યાલો જરૂરી બન્યા.

હિંસા-પ્રતિહિંસાનો દોર કેમ ચાલ્યા જ કરે છે તે દેખાડવા માટે હું ઇતિહાસમાંથી એક જ ઉદાહરણ લઈશ. નવ સદી પહેલાંની આ ઘટના છે. હું મધ્યકાલીન ખ્રિસ્તીઓએ શરુ કરેલાં ધર્મયુદ્ધો એટલે કે ક્રુઝેડોની વાત કરં છું. ક્રુઝેડો જેરુસલેમને સેલ્જૂકવંશી તુર્ક શાસકોના હાથમાંથી છોડાવવા માટે ખેલાયાં. અગિયારમી સદીના મધ્યમાં સેલ્જૂકોએ પૅલેસ્ટાઇન જીતી લીધું હતું. એવા ઐતિહાસિક પુરાવા છે કે આ ક્રુઝેડની યોજના પોપની હતી. પોપ અર્બન બીજો બાઇઝેન્ટાઇનને દબાવી દેવા માગતો હતો. આજે આપણે ઇસ્તન્બુલના નામે જાણીએ છીએ તેનું નામ કોન્સ્ટન્ટિનોપલ હતું, એ જ પ્રાચીન સમયનું બાયઝેન્ટાઇન. એ ઈસ્ટર્ન ઑર્થોડોક્સ ચર્ચનું ધીકતું કેન્દ્ર હતું. પોપે એની સામે પહેલું ક્રુઝેડ (૧૦૯૬-૯૯)માં શરુ કર્યું ત્યારે એનું સૂત્ર હતું “ઈશ્વર ઇચ્છે છે”. પશ્ચિમી રાજાઓને એક કરવાની અને કોઈ ધર્મગુરુને હિંસા સામે વાંધો હોય તો એને બાજુએ મૂકવાની એક રીત હતી. નૈતિક અધિકાર મેળવીને ક્રુઝેડરોએ પોતાની જાતને મનાવી લીધી કે તુર્કોનું નિકંદન કાઢી નાખવાની જરૂર છે. પાંચ અઠવાડિયાંના ઘેરા પછી એમણે જેરુસલેમ પર કબજો જમાવ્યો ત્યારે એમની રક્તપિપાસાનો નગ્ન નાચ જોવા મળ્યો. વર્ષોની જહેમત પછી ૧૫મી જુલાઈ ૧૦૯૯ના વિજય મળતાં ઉન્મત્ત બનેલા ક્રુઝેડરો ઘરો અને મસ્જિદો પર ત્રાટક્યા અને પુરુષો, સ્ત્રીઓ અને બાળકોને ભાજીમૂળાની જેમ રહેંસી નાખ્યાં. યહૂદીઓએ મુસલમાનોને મદદ કરી હતી, એમ કહીને ક્રુઝેડરોએ સિનેગોગમાં ઘૂસીને યહૂદીઓને જીવતા બાળી મૂક્યા. પશ્ચિમી સ્રોતો જણાવે છે કે લગભગ એક લાખ આરબો હતા તેમાંથી દસ હજાર મોતને હવાલે થયા. આના પછી આરબોએ પશ્ચિમીઓને (ફ્રેન્ચોને) ‘ક્રિશ્ચિયન ડૉગ’ કહેવાનું શરૂ કર્યું. એક ઇતિહાસકાર આ પ્રકારે વિવરણ આપે છેઃ 

જેરુસલેમની કત્લેઆમથી આખી દુનિયા દિગ્મૂઢબનીગઈ…(અને) આખા જેરુસલેમમાં એક પણ મુસલમાન કે યહૂદી  બચ્યો. ઘણા ખ્રિસ્તીઓ પણ જે આચરવામાં આવ્યું તેનાથી કાંપી ઊઠ્યા હતા. મુસલમાનોમાં ઘણા એવા હતા કે જે ફ્રાન્સને સ્વીકારવા તૈયાર હતા. આના પછી એક સ્પષ્ટસંકલ્પ દેખાવા લાગ્યો કે એમને તો હાંકી કાઢવા  પડશે. ખ્રિસ્તીઓના લોહી તરસ્યા ઝનૂનના જવાબમાં મુસ્લિમ ઝનૂનનો જન્મ થયો. પાછળથી પૂર્વના સમજદાર લેટિનોએ મુસ્લિમો અને ખ્રિસ્તીઓ, સાથે મળીને કામ કરી શકે એવો આધાર તૈયાર કરવાની કોશિશ કરી, પરંતુ કત્લેઆમની સ્મૃતિ હંમેશાં આડે આવતી રહી.

૧૧૯૧માં ત્રીજા ક્રુઝેડ વખતે ‘સિંહહૃદય’ રાજા રિચર્ડે છૂપું સોનું શોધવા માટે હજ્જારો કેદીઓને મારીને એમની લાશો બાળી નાખવાનો હુકમ કર્યો.  અત્યાચારથી ભયચકિત મુસ્લિમ સમાજ પશ્ચિમ પ્રત્યે શંકાની નજરે જોવા લાગ્યો.” એ જમાનાના આરબ કવિ મોસાફિર અલ્લાહ વર્દીસે વેદનામાં કલમ બોળીને લખ્યું છેઃ 

એ જમાનાના આરબ કવિ મોસાફિર અલ્લાહ વર્દીસે વેદનામાં કલમ બોળીને લખ્યું છેઃ 

મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાંઓ થયાં એક.
છે કોઈ માઈનો લાલ  ધરા પર, જુલમગારને ખાળે? 
શસ્ત્રો પર બેસીને આંખો અમારી કરે વલોપાત 
તલવારોમાંથી ઝરે સર્વભક્ષી તિખારા ભેંકારમાં 
ત્યારે અમારે તો રોવાનું  રહ્યું.

ઓહ, લોહી તો વહ્યું એવું બેફામ કે 
કોઈ નથી, અમારી માબેનોનાં શીયળ સાચવે 
સાચવી શકશે એમના  ખાલી હાથ?

અથડાતી તલવારોના તણખા 
અને ખડીંગખડાંગ 
અમારાં બાળકોના ચહેરા બની જાય 
ધોળી પૂણી.

ડૉ. દિલીપ સિમ્યન –

બ્લૉગ http://dilipsimeon.blogspot.in/

ઈ-મેલઃ:dilipsimeon@gmail.com

આ નિબંધનો આગળનો ભાગ આવતીકાલે

વેબગુર્જરી પરઃ 

http://webgurjari.in/2015/06/15/our-simplified-fickle-understanding-and-non-violence_1/

નિરાંતે…

પ્રિય મિત્રો,
આજે શ્રી જોસેફ લેલિવેલ્ડને પત્ર લખવામાં રજા રાખી છે. આ ખુલ્લા પત્રથી, વાચકોને (કેટલા હશે?) શો ફાયદો થયો તે નથી જાણતો, પણ મને તો ફાયદો થયો જ. જે પ્રતિભાવો મળ્યા તે ઉત્સાહવર્ધક રહ્યા. પરંતુ, મુખ્ય ફાયદો એ કે, ગાંધીના જીવનની યાત્રા કરવાનો લહાવો મળ્યો. લેલિવેલ્ડે કેટલીક વાતો લખી છે તે તદ્દન નવી હતી. આમ હજી સુધીની આ યાત્રા સુખદ રહી. લેખકનું મન જાણવા મળ્યું એ તો એની આડપેદાશ છે. પબ્લિશિંગ અને પ્રોપેગેન્ડાની દુનિયામાં શું ચાલે છે તે જાણવાની પણ તક મળી.

ગાંધી નામ એક સંઘર્ષનું પ્રતીક છે. જૂનાં મૂલ્યોનું નવું અર્થઘટન કરીને એનો નવી રીતે ઉપયોગ કેમ કરાય તેના માટેનો સંઘર્ષ. બુદ્ધ, મહાવીર, ઇસા મસીહ, મહંમદ પયગંબર આવ્યા અને ગયા. જમાનો આગળ ચાલતો જ રહ્યો. રાજા-મહારાજાઓ આવ્યા અને ગયા. ઇતિહાસ એમની નોંધ લેતો હોય છે, પણ એમણે મૂલ્ય તરીકે લોકોને શું આપ્યું? આ પ્રશ્ન વિચાર માગી લે છે. ગમે તે થાય, જમાનો ગમે તેટલો બદલાય, મૂલ્યોની માંગ કેમ કદી ઓછી થતી નથી? કોઈ આર્તનાદ નથી કરતું કે હે અશોક, તું પાછો આવ, આજે ઠેકઠેકાણે કલિંગની લડાઈઓ ચાલ્યા કરે છે, તે બંધ કરાવ… હે અકબર, તું પાછો આવ તારા દીને ઇલાહી સાથે…. વગેરે વગેરે…પરંતુ જેમણે મૂલ્યો આપ્યાં એમને યાદ કરતા રહીએ છીએ. છેને? તમારો શું ખ્યાલ છે?

વિજ્ઞાને આપણને નવા જ યુગમાં પહોંચાડી દીધા. આજની દુનિયા અને માત્ર ત્રીસ વર્ષ પહેલાંની દુનિયામાં જબ્બત અંતર આવી ગયું છે. સુખનાં સાધનો વધ્યાં. અહીં હું ‘સુખનાં સાધનો’ (એટલે કે ટેકનૉલૉજી) શબ્દ પ્રયોગ કરૂં છું, સમજી વિચારીને – કારણ કે ટેકનૉલૉજી લોકોને સુખ આપ્યું જ છે. સુવિધા આપી છે. આનો ઇન્કાર ન થઈ શકે. આજે આપણી દુનિયા ટેકનૉલૉજીને કારણે વધારે પરિચિત જેવી બની ગઈ છે. નાની બની ગઈ? બહુ સાંભળેલી આ વાત છે. ખરેખર તો વધારે સઘન બની ગઈ છે એટલે નાની લાગે છે. પહેલાં મગજમાં જેટલું ભરાતું હતું તેના કરતાં આજે અનેકગણી સામગ્રી આપણા મગજમાં છે. પહેલાં એક કલાકમાં બળદગાડામાં જેટલું અંતર કાપતા હતા, એના કરતાં દસગણું અંતર એ જ કલાકમાં સમાઈ જાય છે. વિસ્તૃત લાગતી ભૂગોળ હવે કલાકોની ગણતરીમાં આવી જાય છે. સ્થળ અને કાળનાં અર્થઘટનો જ બદલાઈ ગયાં.

આમ છતાં મૂલ્યોની માંગ કદી ઘટી નહીં. એવું લાગે છે કે એ માંગનું મૂળભૂત રૂપ પણ બદલાયું નથી. એ પણ હકીકત છે કે મૂલ્યો પર સતત જોખમ તોળાતું રહ્યું છે. હંમેશા બધું એકડૅ એકથી કરવું પડતું હોય છે. મહાપુરુષો તો ગયા, અને ગયા તે એવા કે, જાણે એમને કશી લેવાદેવા જ ન હોય આપણી સાથે, પાછળ આવનારા સાથે. ઈસુ, મહંમદ, બુદ્ધ, મહાવીર બધા કોઈને ગાદીપતિ બનાવ્યા વિના જ ચાલ્યા ગયા. ગાંધીએ તો ચોખ્ખું કહ્યું કે હું કોઈ ‘ગાંધીવાદ’ પર પુસ્તક નહીં લખું, કારણ કે લખીશ તો એના વિશે મતભેદ થશે ત્યારે બન્ને જૂથો એકબીજા પર એ પુસ્તકની જ ફેંકાફેંકી કરશે! ભાઈ, આવું તે હોય? તમે લોકો કહેવા શું માગતા હતા? કેમ કોઈને પ્રોફેટ, નવો પ્રભુપુત્ર, નવો તીર્થંકર, નવો ગાદીપતિ બનાવીને ન ગયા? કદાચ તમે સૌ એમ કહેવા માગતા હતા કે હવે બધું જાતે જ કરો. તો મૂલ્યની જાળવણીની જવાબદારી અમારી સૌની છે? વ્યક્તિગત જવાબદારી? કદાચ તમારો મૌન સંદેશ એ જ હતો? લાગે છે કે તમે દુનિયાને નિરાધાર બનાવીને મોટો આધાર આપી ગયા છો! ભલે ને, અમારે એકડે એકથી બધું કરવું પડે.

બાળક પણ કરે જ છે ને? ગયા અઠવાડિયે કુટુંબમાં એક નવાનકોર સભ્યનું આગમન થયું. કોઈ એને ચાલતાં નહીં શીખવાડી શકે, બોલતાં નહીં શીખવાડી શકે. એ ભાઈએ બધું જાતે જ કરવાનું છે, મહિનાઓ પછી સાહેબ ઘૂંટણિયે ચાલશે, ઊભા થવાનો પ્રયત્ન કરશે, પડશે, આખડશે, મન ફાવે ત્યાં ફરશે, લાઇટની સ્વિચમાં હાથ નાખશે. ગરમ ઇસ્ત્રીને હાથ લગાડી દેશે. દરવાજાના સળિયા પકડીને ચડવા જશે તમે એની આગળ પાછળ ફરતા રહેશો. એના ઉપરથી નજર નહીં હટાવી શકો. પરંતુ, એ બધું જ જાતે કરશે. એણે આખી ઉત્ક્રાન્તિ ફરી જીવી દેખાડવાની છે. મૂલ્યોની બાબતમાં પણ એવું જ છે. આપણે મૂલ્યોની સમગ્ર ઉત્ક્રાન્તિ ફરી જીવી દેખાડવી પડશે. એ જ ગાંધીજીએ કર્યું ને!

આ બ્લૉગમાં પણ એ જ છે. બધું પોતે જ શીખો, કરો. મદદ મળશે, પણ કરો તમે પોતે જ! આ પ્રક્રિયા દરમિયાન બ્લૉગ કેમ વધારે વાંચવા લાયક બને એ પણ વિચાર્યું. ધાર્યું એમ છે કે મહિનામાં ઓછામાં ઓછો એક લેખ વિજ્ઞાન પર હોવો જોઈએ. એ જ રીતે એક લેખ આપણા સાહિત્યિક વારસા પર હોવો જોઈએ. મિત્રોને વાત કરી છે. સહકારની ખાતરી પણ મળી છે. વખત આવ્યે એમનો પરિચય આપીશ.
બાકી બીજા શું ખબર – મઝામાં?
એ…ભલે!!
.

Great Soul: Mahatma Gandhi(5)

Great Soul: Mahatma Gandhi and His Struggle with India
જોસેફ લેલિવેલ્ડને પત્ર (૫)

પ્રિય ભાઈ જોસેફ લેલિવેલ્ડ,
(તા. ક. તમને નવાઈ લાગશે કે આ ‘તા.ક.’ શું છે! તા. ક. એટલે ‘તાજા કલમ” અંગ્રેજીમાં તમે પોસ્ટ સ્ક્રિપ્ટ કહો તે જ. પણ એતો પત્રના અંતે હોય! પણ મને un-ortodox રીતો પસંદ છે એટલે આજે હું શરૂઆતમાં જ મૂકું છું. આમ પણ આખો પત્ર લખી લીધા પછી જ લખું છું ને! પણ મૂળ કારણ એ કે હું એક દિવસ મોડો છું. એક તો, ટાણે જ ઇંટરનેટે દગો દીધો. ઇંટરનેટના ઉપયોગમાં અમે દુનિયામાં ચોથા નંબરે છીએ પણ સર્વિસની વાત કરો તો ક્યાં નંબર આવતો હશે એ ખબર નથી. આ વિલંબને કારણે આખા પત્ર પર ફરી નજર નાખવાની તક મળી. મઝા ન આવી. આમાં મહત્વની ઘટના છે અને એનું વર્ણન છોડી દઉં તો કઈં જ ન બચે. અને એ લેવા જાઉં તો લામ્બું થઈ જાય. અંતે મોહનદાસને મહાત્મા બનાવનાર, જનતાના નેતા બનાવનાર ઘટનાનું તમારી દૃષ્ટિએ કઈંક વર્ણન આપવું જ જોઇએ એમ વિચારીને આખો પત્ર ફરી તૈયાર કર્યો. વળી આમાં તમારી નૅગેટિવ ખણખોદ પણ ઓછી છે અને હકારત્મક ઘણું છે. મને પણ એ સત્યાગ્રહની વાત તમને જ ફરી કહેવાની મઝા આવી. પરંતુ આ કારણે પત્ર વધારે લાંબો થયો છે મને ખાતરી છે કે તમે એક બેઠકે કદાચ નહીં વાંચો. મને પણ ઉતાવળ નથી. વાંચી લો ત્યારે જરુર જાણ કરશો. બસ. આટલું આ unorthodox ‘તા. ક.’માં. હવે નિયમિત પત્ર આગળ વાંચો.)

આજે આપણે તમારા પુસ્તકના પાંચમા અને પહેલા ભાગના છેલ્લા પ્રકરણ Leading the Indentured (ગિરમીટિયાઓની નેતાગીરી) વિશે ચર્ચા કરીશું. તે પછી તમને હું એક અઠવાડિયાનો બ્રેક આપીશ. કઈંક નાનીમોટી વાત કરીશ (જે ખરેખર નાની જ હશે!) અને ફરી તમારી સાથે બીજા ભાગ વિશે પત્રવ્યવહાર શરૂ કરીશ.

આ પ્રકરણ સાથે ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના જીવન પર પરદો પડે છે અને તે પછી બીજા ભાગમાં એમનો ‘ભારત સાથેનો સંઘર્ષ’ શરૂ થાય છે. પાંચમા પ્રકરણનો વિષય આ કારણસર મહત્વનો બની રહે છે.

તમે અમુક સ્વભાવજન્ય વાંકદેખાપણું તો અહી પણ કર્યું જ છે, પરંતુ મારે કબૂલ કરવું જોઈએ કે મોટા ભાગે તમે ગાંધીજીએ ૧૯૧૩માં કરેલા સત્યાગ્રહને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોઈ શક્યા છો. પ્રકરણની શરૂઆતમાં જ તમે કહો છો તે સાચું છે કે ૧૯૧૩નો સત્યાગ્રહ ગાંધીના જીવનમાં એક મહત્વનું સીમાચિહ્ન છે અને એને સાવ નજીવું ગણીને અવગણી ન શકાય કારણ કે આ આંદોલન ગાંધીના ભવિષ્યના રાજકીય કાર્યકલાપનું મૉડેલ બન્યું. એ આંદોલન ન થયું હોત તો ગાંધીજી અહીં ભારતમાં જનસમુદાયની નેતાગીરી ન સંભાળી શક્યા હોત.

આમ તમે આ સત્યાગ્રહને ગાંધીજીના રાજકીય જીવનના પાયારૂપ ગણો છો. આ તમારો નિષ્કર્ષ મૌલિક ન હોવા છતાં સાચો છે. તમે અહીં દક્ષિણ આફ્રિકાની એ વખતની સ્થિતિ તરફ ધ્યાન દોરતાં કહો છો કે એ વર્ષ દેશના ઇતિહાસમાં હિન્દીઓની કૂચ માટે જાણીતું નથી. ઍંગ્લો-બોઅર યુદ્ધ પછી બોઅર (મૂળ ડચ અને આફ્રિકાનર તરીકે ઓળખાતી પ્રજા) જનરલોમાં બ્રિટિશ સામ્રાજ્યમાં એમના સ્થાન અંગે વિખવાદ થયો. જનરલ સ્મટ્સ અને એમના વડા પ્રધાન લૂઈસ બોથાએ કહેવાતા ‘સમાધાન’નો માર્ગ લીધો અને સ્લોગન આપ્યુંઃ South Africa First. એમનો ઉદ્દેશ તો એમ જ કહેવા્નો હતો કે આફ્ર્કાનર્સ ફર્સ્ટ. એમના વિરોધીઓ જાતિગત ભેદભાવને વધારે સતેજ બનાવવાની હિમાયત કરતા હતા. એ લોકો ‘નૅશનલિસ્ટ’ તરીકે પોતાને ઓળખાવતા. આખો ઇતિહાસ જોઈએ તો અંતે રંગભેદી શાસન આવ્યું તે પણ આ જ લોકોને કારણે. આમ, બે વ્હાઇટ જૂથો વચ્ચેનો વિખવાદ એ વખતે મહત્વનો હતો.

હવે તમે રંગમાં આવ્યા! ૧૯૧૩નો સત્યાગ્રહ શરૂ થયો ત્યારેશૂન્યાવકાશ હતો એમ ગાંધી કહે છે તે સાચું નથી. ગાંધીએ બે ગોરા પક્ષો વચ્ચેના વિખવાદની એમના અખબાર ‘ઇંડિયન ઓપીનિયન’માં લાંબો લેખ લખીને નોંધ પણ લીધી હતી, પરંતુ હિન્દી સવાલ પર એની શી અસર પડી તે દેખાડવામાં ગાંધી નિષ્ફળ રહે છે. હવે, તમે દૂધમાંથી પોરા કાઢવાની તમારી ટેવને કારણે ગાંધીને ખોટો ઠરાવવા એટલા ઊંડા ઊતરો છો કે સામાન્ય માણસની ધીરજ ન રહે. બીજા લેખકોએ ગાંધીએ જે કહ્યું તે સાચું માની લીધું એનું તમને દુઃખ પણ છે! પરંતુ, તમે ભૂલી જાઓ છો કે મૂળ સવાલ હિન્દીઓની સ્થિતિ અને ગાંધીની ભૂમિકાનો છે એટલે તમે જે ઝીણું કાંતો છો તે જ અર્થ વગરનું છે.

અંતે તો તમે લાઇન પર આવી જાઓ છો અને કહો છો કે આ ગાળા દરમિયાન ગાંધીજીએ હિન્દીઓ પરના ત્રણ પૌંડના માથાવેરા સામે પ્રધાનો અને પાર્લામેન્ટના સભ્યો પર પત્રો અને તારો દ્વારા દબાણ શરૂ કરી દીધું હતું અને સત્યાગ્રહની ચેતવણીઓ આપી દીધી હતી. બીજા લેખકો આ ઍક્શન પર ધ્યાન આપે છે, તમે પણ કાન પકડો છો પણ, હાથ ઘુમાવીને.

એ જ અરસામાં કેપ પ્રાંતની એક અદાલતે એવો ચુકાદો આપ્યો કે હિન્દીઓ ઊકળી ઊઠ્યા. દક્ષિણ આફ્રિકાના કાયદા પ્રમાણે જજોએ અથવા યોગ્ય સરકારી અધિકારી કે ખ્રિસ્તી પાદરીએ કરાવેલાં લગ્નો જ માન્ય ગણાય. આનો અર્થ એ થયો કે હિન્દુઓ, મુસ્લિમો અને પારસીઓ લગ્ન વિના જ કોઈ સ્ત્રી સાથે રહેતા હતા અને એમનાં બાળકો ગેરકાનૂની હતાં. એમની પત્નીઓ એમની રખાત માત્ર હતી. સ્ત્રીઓ પણ રણચંડી બની. કસ્તૂરબાને ગાંધીજીએ આ ચુકાદાનો અર્થ સમજાવ્યો. કસ્તુરબા પણ લડવા તૈયાર થઈ ગયાં અને ધરપકડ વહોરી લીધી. તરત જ ગાંધીજીએ બીજી ચાળીસ ગૃહિણીઓની ટુકડી તૈયાર કરી લીધી. એમણે ગૃહ પ્રધાનને પત્ર લખીને વિરોધ નોંધાવ્યો.

અહીં તમે અનુમાન કરો છો કે યુવાન મોહનદાસ લંડનમાં બૅરિસ્ટરીનું ભણવા ગયો ત્યારે ત્યાં સ્ત્રીઓને મતાધિકાર માટેના આંદોલનમાં જોઈ હતી એટલે એમને દક્ષિણ આફ્રિકામાં પણ સ્ત્રીઓ ભાગ લે તેનું મહત્વ સમજાયું હોવું જોઈએ. આ જ અરસામાં ગાંધીજીએ કૅલનબૅકને પત્ર લખીને કહ્યું કે તેઓ ગિરમીટિયાઓ માટે ‘કઈંક’ કરવા માગે છે, એમણે લખ્યું કે પોતે મનમાં કાર્યક્રમ તૈયાર કરી લીધો છે પણ એ વખતે વિગતવાર લખી શકે એમ નથી. આ ‘કઈંક’નો એમણે ખુલાસો ન કર્યો. તમે પૂછો છો કે તેઓ ગિરમીટિયાઓ માટે કઈંક કરવા માગતા હતા કે ગિરમીટિયાઓ સાથે? આનો જવાબ તો ઇતિહાસે જ આપી દીધો છે! આમ છતાં તમને ૧૯૧૩ના સત્યાગ્રહ માટેના પ્રચાર દરમિયાન ગિરમીટિયાઓ બાબતમાં માત્ર આ એક જ વાક્ય મળે છે, અને તમે કહો છો કે પંદર વર્ષ પછી ગાંધીજીએ એવી રીતે લખ્યું છે કે એ બધું ગાંધીજીએ વિચાર્યું તે પ્રમાણે જ હતું. એમણે લખ્યું કે આ લગ્ન સંબંધી જજમેન્ટ પછી ગિરમીટીયાઓને સામેલ કરવાના દરવાજા ખૂલી ગયા. પરંતુ તમારું કહેવું છે કે પહેલાં માથાવેરા સામેના આંદોલનમાં પડવાનું એ ટાળતા રહ્યા હતા એ વાત તો ખાઈ જ ગયા છે! ના. તમે જે લખો છો તેમાંથી જ પુરાવા મળે છે. એક તો સવાલ સમય અને શક્તિના યોગ્ય ઉપયોગનો હતો અને આ જ ફકરામાં તમે ગાંધીજીને ક્વૉટ કરેલા છે. એમના મનમાં જે હતું તેનો સંકેત આપ્યો પણ મનમાં શું હતું તે ન કહ્યું. તમને કેમ આવો સવાલ થયો, આટલું સ્પષ્ટ હોવા છતાં?! એમના મનમાં જે હતું તે તો ઇતિહાસ બનીને પ્રગટ થયું છે, તે પછી તમારા આવા પ્રશ્નોની કિંમત નથી રહેતી. જવા દો. તમે પબ્લિશરે નક્કી કરેલા માપદંડ પ્રમાણે લખો છો.

આમ છતાં તમારી સંપૂર્ણ ઇમાનદારી સામે હું પ્રશ્નચિહ્ન નથી મૂકવા માગતો. તમે નોંધ લીધી છે કે ગાંધીજી કહે છે કે આ વર્ગને સામેલ કરવાનો સમય પાકી ગયો હતો.આનો અર્થ તમે એ કરો છો કે એમના મનમાં આ વાત હતી. છે ને વિરોધાભાસ, તમારી ઉપર કહેલી અને અહીં કહેલી વાતમાં? ગાંધીજી લખે છે કે આ વર્ગ અશિક્ષિત હોવા છતાં સારી રીતે સ્થિતિ સમજ્યો પરંતુ કેટલા ઉત્સાહથી ભાગ લેશે તે ખબર નહોતી. તમારી વાત સાચી છે; ગાંધીજીને પોતાનો વ્યૂહ કેટલો સફળ થશે તે બાબતમાં બહુ બીક હતી. આમાં ખોટું શું છે?

૩ જુલાઈ ૧૯૧૩ના રોજ જોહાનિસબર્ગમાં ગોરા ખાણ કામદારોએ હડતાળ પાડી અને એ એવી હિંસાત્મક અને સજ્જડ હતી કે સ્મટ્સ અને બોથા એમને મળવા ગયા અને એમની માગણીઓ માની લીધી. આ જ દિવસોમાં ગાંધીજી ગિરમીટિયાઓ વિશે ‘કઈંક’ કરવાનું વિચારે છે. જોહાનિસબર્ગમાં તમિલ નેતા તમ્બી નાયડૂને મળે છે પરંતુ શું ચર્ચા થઈ એનું રેકૉર્ડ નથી! તમે સાચું અનુમાન કર્યું છે કે એમની ચર્ચામાં ગિરમીટિયાઓને સંગઠિત કરવાનો મુદ્દો હશે, ગિરમીટિયાઓમાં તમિલોની બહુમતી હતી. અહીં ગાંધીજીની ટાઇમ સેન્સનાં વખાણ કરવાનાં રહે છે, રેકૉર્ડ નથી એવાં રોદણાં નથી રડવાનાં. તમે પુસ્તક લખો છો કે ગાંધી વિરુદ્ધ કેસ લડો છો, જે દરેક વસ્તુ લિખિત રૂપમાં જ હોવી જોઈએ? હા. કેસ જ લડો છો, પણ ગાંધીના વકીલ બનવું પડે છે. તમે ગાંધીના મનમાં શું હશે તે બહાર લાવવા વકીલની ભાષા વાપરો છો -“સાંયોગિક પુરાવાઓ” દેખાડે છે કે સપ્ટેમ્બરમાં આંદોલન શરૂ થયું તે પહેલાંની ગાંધીની પ્રવૃત્તિઓ સાબીત કરે છે કે એમના મનમાં ઘણા વખતથી ગિરમીટિયાઓનો પ્રશ્ન હતો.નાયડૂ સાથેની મુલાકાતોને તમે આવા પુરાવા તરીકે ઓળખાવો છો. અરે ભાઈ, આવા પુરાવાની જરૂર કદાચ તમારા સિવાય કોઇને નથી.

ઑક્ટોબરની ૧૧મીએ તમ્બી નાયડૂની પત્ની સહિત ૧૧ સ્ત્રીઓએ નાતાલમાંથી પરવાના વિના ટ્રાન્સવાલમાં પ્રવેશ કર્યો અને ધરપકડ વહોરી લીધી. બે દિવસમાં નાયડૂ ન્યૂ કાસલની ખાણોમાં પહોંચ્યા અને ગિરમીટિયાઓને માથાવેરા સામે હડતાળ પર જવા સમજાવ્યા. બે અઠવાડિયાં પહેલાં ગાંધીજીએ ગૃહ પ્રધાનને પત્ર લખીને આની જાણ કરી દીધી હતી. ગાંધીજી શહેરમાં પહોંચે એને સિગ્નલ માનીને ખાણિયા કામદારો હડતાળ પર ઊતરી જવાના હતા. ૧૭મી ઑક્ટોબરે ગાંધીજી ન્યૂ કાસલ પહોંચ્યા અને તરત બધી જ ખાણોમાંથી કામ છોડી દેવાનું એલાન કર્યું. સ્થિતિ એવી ઊભી થઈ કે ગિરમીટિયા એટલે કે કોન્ટ્રૅક્ટ મજૂરો માત્ર ખાણોમાં જ નહોતા. રોઇટર સમાચાર એજ્ન્સીએ રિપોર્ટ મોકલ્યો કે ખાણોમાં મજૂરો નથી, હોટેલોમાં વેઇટરો નથી! એક અઠવાડિયામાં નવ કોલિયરીઓ સાવ જ અથવા અમુક અંશે બંધ થઈ ગઈ. બે હજાર મજૂરો એમના નેતાના નવા એલાનની કાગડોળે રાહ જોતા હતા.

ગાંધીજી પોતે એક શહેરથી બીજા શહેરમાં, એક મીટિંગથી બીજી મીટિંગમાં, એક રેલીમાંથી બીજી રેલી વચ્ચે વ્યસ્ત થઈ ગયા. ડર્બનમાં એમને એમના નાતાલ ઇંડિયન કોંગ્રેસના જૂના સાથીઓનો જ સામનો કરવો પડ્યો. આંદોલને ગિરમીટિયાઓને સામેલ કરવાથી જે જલદ રૂપ પકડ્યું હતું તેથી ‘સુધરેલા’ હિન્દીઓ ગભરાઈ ઊઠ્યા હતા અને ગાંધીજીને બરતરફ કરવા જેવો ઠરાવ પસાર કર્યો, પણ ગાંધી તો હવે જનસમુદ્રની લહેરો પર સવાર થઈ ગયો હતો.એને આવી વાંઝણી ચાલોનો વિરોધ કરવામાં સમય બગાડવાની જરૂર ન લાગી. લેલિવેલ્ડભાઈ હવે તમે સમજી ગયા હશો કે પહેલાં માથાવેરા વિરુદ્ધના આંદોલનની નેતાગીરી લેવાનું ગાંધીએ કેમ ટાળ્યું હતું. તમારા સવાલનો જવાબ મળી ગયો ને? એ જ ગાંધીએ ભારત આવીને કોંગ્રેસને પણ જનતાની વચ્ચે મૂકી દીધી એ તો સૌ જાણે છે.

૨૬મી ઑક્ટોબરે ગાંધીજી ન્યૂ કાસલ પાછા આવે છે. ગિરમીટિયાઓમાં પ્રચાર માટે ગયેલી બધી સ્ત્રીઓને પોલીસે પકડી લીધી છે, એમને ત્રણ-ત્રણ મહિનાની સજા થઈ છે. આમાં કસ્તુરબા પણ છે. હવે ગાંધી પેંતરો બદલે છે. ખાણિયાઓ હડતાળ પર હતા પણ ખાણ વિસ્તારોની બહાર નહોતા આવ્યા. હવે ગાંધીજી એમને પોતપોતાનાં સ્થાન છોડીને બહાર આવવાનું એલાન કરે છે. જેલમાં પૂરો છો ને? ભલે, અમે બધા જેલમાં જવા તૈયાર છીએ. છે જેલોમાં જગ્યા?

૨૮મીથી બસ્સો અને પાંચસોની ટુકડીઓએ ન્યૂ કાસલથી પ્રાંતની સીમા તરફ કૂચ શરૂ કરી દીધી. બીજી નવેમ્બર સુધીમાં ૩૪ માઇલ દૂર નાતાલના રેલવે ટર્મિનસના શહેર ચાર્લ્સટાઉનમાં બે હજાર ગરીબ, દીન હીન હિન્દીઓ એકઠા થઈ ગયા.

હવે લેલિવેલ્ડભાઈ તમે જે વર્ણન આપ્યું છે તે માટે, ખરેખર, તમને સલામ કર્યા વિના ચાલે એમ નથી. અહીં તમે ખરા ગાંધીભક્ત સાબીત થાઓ છો. તમે સનડે ટાઇમ્સના એક રિપોર્ટરનો અહેવાલ ટાંક્યો છે. ગાંધીને આ રિપોર્ટર એક પતરાની ગંધાતી ખોલીમાં જૂએ છે. ભવિષ્યનો મહાત્મા દુધના ઉલટાવેલા કૅન પર બાંડિયું પહેરીને બેઠો છે, એની સામે એક ટબ છે, એમાં કઈંક સૂપ જેવું છે, બીજી બાજુ, બ્રેડની ગૂણ ભરેલી છે. લશ્કરના ક્વાર્ટરમાસ્ટરની જેમ ગાંધીના હાથ અતિ ઝડપે ચાલે છે, બ્રેડ ઉપાડે છે, ત્રણ કાપલા કરે છે, અંગૂઠાથી દરેક કાપલામાં કાણું પાડે છે, એમાં ખાંડ ભરે છે અને કતારબંધ ઊભા રહેલા મજૂરોને આપતો જાય છે!

તમે લખો છોઃ “આ ચિત્ર મનમાં જડાઈ જાય એવું છે”. ખરેખર આ વાંચતી વખતે મારા ગળામાં પણ ડૂમો ભરાઈ આવ્યો હતો. ગાંધી જેને પોતાના હાથે ખવડાવતો હતો એમાં ગરીબમાં ગરીબ, નીચામાં નીચી જાતના હિન્દુઓ અને થોડા મુસલમાનો પણ હતા!

પાંચમી નવેમ્બરે ગાંધીજીએ જનરલ સ્મટ્સને મળવા ફોન કર્યો પણ સ્મટ્સના પ્રાઇવેટ સેક્રેટરીએ ચોખ્ખી ના પાડી દીધી. બીજા જ દિવસે મળસ્કે ૨૦૩૭ પુરુષો, ૧૨૭ સ્ત્રીઓ અને ૫૭ બાળકોનો ‘સંઘ’ લઈને આ અજબગજબનો માનસ ચાર્લ્સટાઉનથી રવાના થયો. એણે બધાને કહી દીધું હતું એક આપણે દોઢસો માઇલ દુર ટૉલ્સટોય ફાર્મ જઈએ છીએ! બોર્ડર પર નાની પોલિસ ટુકડી હતી પણ ગાંધીજીના શબ્દોમાં આ “યાત્રાળુઓ” સરહદ વટાવી ગયા. વૉક્સરસ્ટના આફ્રિકાનરોએ એમના પર ગોળીબાર કરવાની ધમકી આપી હતી, પણ શાંતિથી, કતારબંધ ચાલ્યા જતા લોકો પસાર થતા ગયા અને એ જોતા જ રહી ગયા!

તે પછી બે દિવસમાં બે વાર ગાંધીજીની ધરપકડ થઈ અને જામીન પર છોડી દેવાયા. પણ કૂચ ચાલુ રહી. હવે ત્રીજા દિવસે એમને પકડીને કોર્ટમાં હાજર કરાયા. એમની સામે ગિરમીટિયાઓને ખાણના કમ્પાઉંડ છોડવા માટે ભડકાવવા અને પ્રાંતની બહાર લઈ જવાના આરોપો હતા.. ગાંધીજીએ ગુના કબૂલી લીધા! એમને નવ મહિનાની જેલની સજા થઈ. સતાવાળાઓને એમ કે આના પછી કૂચ બંધ થઈ જશે પણ એવું ન થયું. ગિરમીટિયા હવે નેતા વિના જ આગળ વધતા ગયા અને જોહાનિસબર્ગથી માત્ર પચાસ માઇલ દુર રહ્યા તે પછી જ સરકાર એમની સામુદાયિક ધરપકડોની વ્યવસ્થા કરી શકી. પોલાકે સૌને શાંતિથી પકડાઈ જવા સમજાવ્યા હતા. એમને લઈ જવા માટે ત્રણ ટ્રેનો તૈયાર હતી પણ એમાં ચડાવવામાં જ બે દિવસ નીકળી ગયા. દરેકને સખત કેદની સજા કરાઈ. છ-છ મહિના સુધી પગાર ન મળ્યા ખાણ માલિકોનું સરકાર પર ઘણું દબાણ હતું સરકારને પણ ડર હતો કે હિન્દુસ્તાની ખાણિયાઓના આંદોલનની અસર બીજાઓ પર પડે તો?

અને થયું પણ એવું જ. શેરડીનાં વાવેતરોમાં પણ ગિરમીટિયા જ કામ કરતા હતા અને કાપણીની સીઝન આવતી હતી! ગાંધીજીના ધ્યાનમાં હતું જ કે શેરડીના બગીચાઓમાં હડતાળનો સમય આવી ગયો છે, પરંતુ એમણે પોતે ખુલ્લા આદેશ ન આપ્યા અને માત્ર આંદોલનની સ્વયંભૂ શક્તિ પર જ આધાર રાખ્યો. એમનો આ વિશ્વાસ સફળ થયો. વિરોધનું મોજું હવે શેરડી સુધી પહોંચી ગયું! પાંચમી નવેમ્બરથી હડતાળ શરૂ થઈ ગઈ અને બે-ત્રણ દિવસમાં તો કેટલીયે રિફાઇનરીઓ બંધ પડી ગઈ. બીજું એક અઠવાડિયું વીતે તે પહેલાં તો ડર્બનમાં રસ્તાના હિન્દી સફાઈ કામદારો, ભિશ્તીઓ, ઘરૂ નોકરો, રેલવે કર્મચારીઓ અને ખલાસીઓ હડતાળમાં કૂદી પડ્યા! ડર્બનમાં હાહાકાર થઈ ગયો.

સતાવાળાઓ દમન ગુજારતા રહ્યા પણ સ્થિતિ હવે એમના કાબુ બહાર હતી. એના આંતરરાષ્ટ્રીય પડઘા પણ પડવા લાગ્યા હતા. ભારતના વાઇસરૉય લૉર્ડ હાર્ડિંગે ગાંધીના અનુયાયીઓને ટેકો જાહેર કર્યો અને અન્યાયી કાયદા રદ કરવાની માગણી કરી. ગાંધીજીને નવ મહિનાની સજા થઈ હતી પણ પાંચ જ અઠવાડિયાંમાં એમને છોડી મૂકવામાં આવ્યા! તે પછી એમને સાંભળવા ટોળાં ઊમટ્યાં. બીજા જ દિવસે એમણે માથું મુંડાવી નાખ્યું અને ગિરમીટિયા જેવો લાંબો ઝબ્બો પહેરીને પોતાને એમની હરોળમાં જ મૂકી દીધા.

લેલિવેલ્ડભાઈ, તમે કહો છો તેમ હવે ગાંધીજી સંપૂર્ણપણે ગરીબમાં ગરીબ હિન્દુસ્તાનીના પ્રતિનિધિ બની ગયા હતા! ૧૯૧૪ની શરૂઆતમાં ગાંધીજી અને સ્મટ્સ વચ્ચે સમજૂતી થઈ ગઈ. ગિરમીટિયાઓનો માથા વેરો રદ કરવાનું સરકારે માની લીધું. હિન્દુ અને મુસ્લિમોના લગ્ન સંબંધોને માન્યતા આપવા માટે કાયદામાં સુધારો કરવાનું સ્મટ્સે વચન આપ્યું. જો કે આ વચનો પૂરાં ન થયાં. સંઘર્ષ લાંબો ચાલ્યો. અને અંતે નેલસન મંડેલાની આગેવાની હેઠળ ગાંધીજીનું સપનું સાકાર થયું.

લેલિવેલ્ડભાઈ, હવે તમે ગાંધીને ભારત લઈ આવ્યા છો, પણ એ કથા આજે નહીં; આવતે અઠવાડિયે પણ નહીં. તે પછીના અઠવાડિયે.ત્યાં સુધી આરામ કરીએ.

તમારી કુશળતા ઇચ્છું છું.
લિખિતંગ
દીપક ધોળકિયા

Great Soul: Mahatma Gandhi(4)

Great Soul: Mahatma Gandhi and His Struggle with India
જોસેફ લેલિવેલ્ડને પત્ર (૪)

પ્રિય ભાઈ જોસેફ લેલિવેલ્ડ,
આ અઠવાડિયે હું તમારા પુસ્તકના ચોથા પ્રકરણ Upper House વિશે ચર્ચા કરવા માગું છું. મેં કહ્યું જ છે કે તમારા પુસ્તકને પ્રસિદ્ધિ અપાવનાર ઘટકોમાં આ પ્રકરણ પણ છે. મૂળ મુદ્દા પર આવું તે પહેલાં તમે જે બૅકગ્રાઉંડ આપ્યું છે તેના પર નજર નાખી લઉં, જેથી, તમે કહી શકો કે હું બરાબર સમજ્યો છું કે નહીં. તમને મારી અધૂરી સમજને કારણે કોઈ રીતે અન્યાય ન થાય એવી મારી ભાવના છે.
૧૯૦૬માં ગાંધીજી નાતાલમાં ફિનિક્સ આશ્રમ છોડીને ટ્રાન્સવાલના જોહાનિસબર્ગમાં રહેવા ચાલ્યા ગયા હતા. ટ્રાન્સવાલમાં જ ગાંધીજીએ જબ્બરદસ્ત કૂચનું આયોજન કર્યું હતું અને ત્યાં જ સત્યાગ્રહનો જન્મ થયો. પરંતુ, હમણાં એની વિગતોમાં નહીં ઊતરૂં, કારણ કે પાંચમા (અને પુસ્તકના પ્રથમ ખંડના છેલ્લા) પ્રકરણમાં આપણે એના પર વિગતે ચર્ચા કરવાના જ છીએ. અત્યારે એટલું નોંધીએ કે ગાંધીજીનું કુટુંબ -કસ્તૂરબા, દીકરાઓ, ભત્રીજાઓ વગેરે નાતાલમાં જ રહ્યાં.

તમે લખો છો કે નાતાલમાં બ્રિટિશ મૂળના ગોરાઓની હકુમત હતી, જ્યારે ટ્રાન્સવાલ ડચ એટલે કે બોઅરો (આફ્રિકાનર્સ)ના હાથમાં હતું. ઍંગ્લો-બોઅર યુદ્ધમાં બન્ને પક્ષો સામસામે હોવા છતાં હિન્દીઓને અધિકારો ન આપવા બાબતમાં બન્ને વચ્ચે કશો મતભેદ નહોતો! તમારૂં માનવું છે કે મોહનદાસ ગાંધીની ગેરહાજરી દરમિયાન હિન્દીઓનો કોઈ નેતા નહોતો અને હકુમતે એમના હકો પર મોટી તરાપ મારવાની તૈયારી કરી લીધી હતી. આમ છતાં ગાંધીજી એ બાબતમાં ગંભીર નહોતા.

તમે એક સારા વકીલ જેમ ઘણી વાતો જોડી શકો છો. દાખલા તરીકે, તમે કહો છો કે નાતાલથી દુર રહેવાનું કારણ એ કે ગાંધીજી માટે ‘કુટુંબ’ શબ્દનો અર્થ, પોતાનાં પત્ની-બાળકો કે ભાઈ ભાંડુઓ, એવો નહોતો રહ્યો. હિન્દુસ્તાનથી એમના ભાઈ લક્ષ્મીદાસ ગાંધીએ એમને પૈસા મોકલવા લખ્યું તો ગાંધીજીએ જવાબ આપ્યો કે તેઓ કુટુંબમાં માનવમાત્રને ગણે છે અને એમની જે કઈં કમાણી છે તે સાર્વજનિક કાર્યોમાં વપરાય છે. આમ એમણે પૈસા મોકલવાનું પણ બંધ કરી દીધું હતું.

અહીં ગાંધીજી જે મિત્રો સાથે રહ્યા તેમાં હિન્દુસ્તાની કોઈ નહોતા. ગાંધીજી એમને ‘મારૂં કુટુંબ’ કહે છે! ગાંધીજી પોતાના કુટુંબથી એટલા દુર જવા માગતા હતા કે એમના મિત્ર પોલાક પરણીને આવ્યા તો સપત્નીક એક જ ઘરમાં ગાંધીજી સાથે રહ્યા, પરંતુ, એમના પુત્ર હરિલાલ આવ્યા તો ગાંધીજીએ એમને કસ્તૂરબા પાસે નાતાલ મોકલી દીધા. પોલાકને બાળક થયું તે પછી અગવડ વધી જતાં ગાંધીજી બીજા મકાનમાં રહેવા ચાલ્યા ગયા. આ મકાનમાં એમના સાથી હતા, હર્મન કૅલનબૅક (આ નામનો મૂળ ઉચ્ચાર તો ‘કાલેનબાખ’ કે એવો કઈંક હોવો જોઈએ પણ ગાંધી-સાહિત્યમાં એમનું નામ મેં ‘કૅલનબૅક’ વાંચ્યું હોવાથી ગૂંચવાડો ન વધે એટલા માટે હું પ્રચલિત ઉચ્ચારને વળગી રહીશ).
કૅલનબૅક યહૂદી હતા અને એમનો પરિવાર પણ શ્રીમંત હતો. પોતે એક કાબેલ આર્કિટેક્ટ હતા એટલે કમાણી પણ સારી હતી. કસરતબાજ હતા એટલે શરીર પણ કસાયેલું હતું. બીજી બાજુ ગાંધીજી નબળા. કૅલનબૅકના શરીરસૌષ્ઠવને એ આદર્શ માનતા હતા.ગાંધીજીના સંપર્કમાં આવ્યા તે પછી કેલનબૅકે પોતાનું કામકાજ છોડી દીધું અને ટૉલ્સટોયના ગાંધીમાન્ય આદર્શ પ્રમાણે શારીરિક શ્રમનું જીવન સ્વીકારી લીધું.

કૅલનબૅક મૂળ તો પ્રયોગવીર હતા. એટલે એમનો મૂડ હોય ત્યાં સુધી એક કામ કરતા અને પછી બીજી ધુન ચડે તો એની પાછળ મંડી પડતા. આમાં જ એ ગાંધીજીની અસર હેઠળ આવ્યા અને ટૉલ્સટોય આશ્રમ બનાવવામાં એમની સાથે રહીને કામ કર્યું. લેલિવેલ્ડભાઈ, તમે એમના આ સ્વભાવ પર પણ જરા ઊંડાણથી પ્રકાશ પાડ્યો હોત તો સારૂં થાત. એમનો એક પ્રસંગ કહું. ગાંધીજીની અહિંસાના એ ખરા સમર્થક હતા અને એમાં એક વાર તો ગાંધીજી કરતાં પણ આગળ નીકળી ગયા. નિર્ભયતા એટલે શું? એમણ્ને એક વાર સાપ પાળ્યો! ગાંધીજીએ એને છોડી મૂકવા કહ્યું તો કૅલનબૅકે દલીલ કરી કે આપણે અહિંસક હોઇએ તો બધાં પ્રાણીઓ સાથે મૈત્રી કરવી જોઈએ. ગાંધીજીએ કહ્યું કે આ મૈત્રી નથી. તમારી સાથે રહેવું એ સાપનો સ્વભાવ નથી. એ જંગલનો જીવ છે અને એના જીવનમાં તમે આડે આવો એ અહિંસા ન કહેવાય. તે પછી કૅલનબૅકે સાપને છોડી દીધો. આ ઘટના કાકાસાહેબ કાલેલકરે લખેલી નાની પુસ્તિકા ‘બાપુની ઝાંખી’માં છે, અત્યારે તો હું માત્ર મારી યાદદાસ્તને આધારે લખું છું એટલે કઈં સમજફેર પણ હોઈ શકે છે. તમને રસ પડે તો મૂળ પુસ્તિકામાંથી આ ઘટના વાંચી લેશો.

તમે ગાંધીનગરમાં ગાંધી-વિવેચક ત્રિદીપ સુહૃદને મળ્યા. એમણે ગાંધીજી અને કૅલનબૅક માટે ‘Couple’ શબ્દ વાપર્યો. તમે આના પર ટિપ્પણી કરો છો કે ” જે બહુ જ દેખીતું હતું તે તારણ કાઢવાની આ સૌથી વધારે ધારદાર રીત હતી” ભલે. હવે તમે કૅલનબૅક ભારત આવ્યા ત્યારે મહાદેવભાઈ દેસાઇએ લખેલા એક લેખને આધારે કૅલનબૅકનું કથન પણ જોડો છો કે બન્ને “લગભગ એક જ પલંગમાં” સાથે રહેતા હતા. કૅલનબૅકના કહેવાથી ગાંધીજીએ એમની બધી “લૉજિકલ અને ચાર્મિંગ લવ નોટ્સ”નો નાશ કર્યો, એમ જણાવીને તમે ઉમેરો છો કે આ નોટ્સ આજે પણ નૅશનલ આર્કાઇવ્ઝ ઑફ ઇંડિયામાં ઉપલબ્ધ છે, કારણ કે કેલનબૅકના વંશજોએ દાયકાઓ પછી એ પત્રો પ્રગટ કર્યા. હવે તમે જ કહો કે કૅલનબૅક પોતે ગાંધીજીને નોટ્સનો નાશ કરવાનું કહે છે અને પોતે સાચવી રાખે છે! તમારી બાજ-નજરમાંથી કઈંક છૂટી તો નથી ગયું ને? આ સ્પષ્ટ વિરોધાભાસનું અર્થઘટન કરવા માટે તમને કઈં સામગ્રી ન મળી?

હવે તમે બીજા એક “આદરણીય ગાંધી-વિવેચક” જેમ્સ ડી. હન્ટને ટાંકો છો આ વિદ્વાન ગાંધી-કેલનબૅક સંબંધોનું નિરૂપણ કરતાં Homo-erotic શબ્દ વાપરે છે અને કહે છે કે એ સંબંધો Homo Sexual તો નહોતા જ. બન્ને શબ્દ વચ્ચેનું અંતર તમે જ સ્પષ્ટ કરો છો કે આ વિદ્વાન આ શબ્દ વાપરીને એટલું જ દેખાડવા માગે છે કે બન્ને વચ્ચે જોરદાર પરસ્પર આકર્ષણ હતું, તેથી વિશેષ કશું જ નહીં! તમે હન્ટનું આ કથન વેબરના પુસ્તક Gandhi as Disciple and Mentor (ગાંધી શિષ્ય અને ગુરુ તરીકે)માંથી લીધું છે. તમને આ શીર્ષકમાંથી જ સમજાઈ જવું જોઇતું હતું કે બન્ને વચ્ચે ગુરુ-શિષ્યનો સંબંધ હતો અને ભાવનાત્મક સ્તરે અતૂટ અભિન્નતા હતી. આમ છતાં તમે નિરાધાર અફવાઓનો આશરો લેવાનું પસંદ કરો છો કે દક્ષિણ આફ્રિકાના એ વખતના નાના હિન્દુસ્તાની સમાજમાં એ વાત ચર્ચાને ચાકડે ચડેલી હતી કે મોહનદાસ પત્નીને છોડીને એક પુરુષ સાથે રહેવા ગયા…! આના માટે કઈં સંદર્ભ ટાંક્યો હોત તો સારૂં થયું હોત. કઈં નહીં તો તમારી વિશ્વસનીયતા વધી હોત.

આમાંથી એક જ વાત દેખાય છે કે બ્રહ્મચર્યનું વ્રત લેનારા ગાંધીને ૩૭-૩૮ની વયે સેક્સી અર્થ નીકળે એવી મઝાક-મશ્કરી કરવામાં કઈં બાધ નહોતો. આપણી સમક્ષ ગાંધીજીનું જે ચિત્ર આવે છે તે એટલું બધું ગંભીર છે કે આપણે એ ન માની શકીએ કે ગાંધીજી સ્વભાવે એટલા ગંભીર નહોતા. ‘મહાત્મા’ તરીકે પણ જે માણસ ગંભીર ન હોય તે માત્ર મોહનદાસ તરીકે કેમ ગંભીર હોય? મહાદેવભાઈએ ગાંધીના હળવા સુરમાં જે વાત વર્ષો પછી લખી તે ગંભીર અર્થમાં શું છે તે હન્ટે દેખાડ્યું છે. કૅલનબૅકને લખેલા એક પત્રમાં ગાંધીજી કહે છે કે મેં તમારૂં પોર્ટ્રેટ રાખ્યું છે, જે મારા પલંગની બરાબર સામે છે. આમાં ગાંધીજી “રૂ અને વૅસેલિન”ના ઉપયોગને પણ “સતત યાદ” આપનારી વસ્તુઓ તરીકે રજૂ કરે છે! કબૂલ કે આ દ્વિઅર્થી છે. ગાંધીજી કહે છે કે “તમે મારા દેહનો કબજો લઈ લીધો છે. આ કિન્નાખોરીથી લાદેલી ગુલામી સિવાય બીજું કશું નથી”. આ પણ દ્વિઅર્થી છે, કબૂલ. સવાલ એ છે કે તમે શું કહો છો? તમે કહો છો કે લંડનની હોટેલના રૂમમાં વૅસેલિનની ઉપસ્થિતિ ગાંધીજીને નિયમિત રીતે ઍનિમા લેવો પડતો હતો એ સ્થિતિની સૂચક હોઈ શકે છે! તમે જાણો છો કે આનો જ ઉપયોગ ગાંધીજીએ વિનોદભાવે કર્યો છે. તમે જાણે અમુક અર્થઘટન કરવા લાચાર હો તેમ અમને પૂછો છો કે “દેહનો કબજો” શબ્દોનો સામાન્યપણે શો અર્થ થાય? તમે જ કહો કે શબ્દોનો અર્થ માણસના મૂડ પર આધાર રાખે છે કે નહીં? હળવી રીતે જે કહ્યું હોય તેનો અર્થ પણ, તમે સૂચવવા માગો છો એવો જ નીકળે એવું નથી. એટલે જ તમે ‘સામાન્યપણે” કહીને અમને તમારા પક્ષમાં લેવા માગો છો!

લેલિવેલ્ડભાઈ, તમે વિવાદ તો ઊભો કર્યો પણ તમે પોતે જ નથી માનતા કે ગાંધી-કૅલનબૅક સંબંધોમાં કશું અજૂગતું હતું! આવો, હું શું સમજ્યો છું તે જોઈએ. કૅલનબૅક ગાંધીજીને ગુરુ માનતા હતા, જ્યારે ગાંધીજી એમને એમની ટૉલ્સટોય ફાર્મની પ્રવૃત્તિઓ માતે અનિવાર્ય અને “એક મન, એક પ્રાણ’ માનતા હતા. એમણે કૅલનબૅક સાથે ૨૯ જાન્યુઆરી ૧૯૧૧ના રોજ એક સમજૂતી માટેનો મુસદ્દો બનાવ્યો. એમાં ગાંધીજી પોતાને ‘અપર હાઉસ’ કહે છે અને કૅલનબૅક ‘લોઅર હાઉસ’ છે! તમે કહો છો કે આ “દેખાવમાં ગંભીર” (mock serious) ડ્રાફ્ટ હતો. તમારૂં કહેવું છે કે ગાંધીજી બન્નેમાં wittier (વધારે વિનોદી) હતા એટલે ‘અપર હાઉસ-લોઅર હાઉસ’ જેવી સંસદીય શબ્દજાળ એમણે જ વણી હોવી જોઈએ. લોઅર હાઉસ એટલે શરીર અને અપર હાઉસ એટલે મગજ. કૅલનબૅક લોઅર હાઉસ છે એટલે આશ્રમની વ્યવસ્થા સંભાળે અને એમાં એમને બધી છૂટ. પોતે અપર હાઉસ, એટલે યોજનાઓ ઘડવાનું કામ એમનું. ખર્ચ કૅલનબૅક કરે પણ ખર્ચ વધારે પડતો થતો જણાય તો એને મંજૂર ન રાખવાનો અધિકાર અપર હાઉસ પાસે અને આશ્રમના નિયમો શા હોય તે નક્કી કરવાનું કામ અપર હાઉસનું! આ વિશુદ્ધ ટીખળ છે અને તમે પણ એ વાત સમજો છો. અપર હાઉસ અને લોઅર હાઉસના જે કામૂક અર્થ થાય તેને પણ તમે આ રીતે નકારી કાઢો છો! એટલે જ હું કહું છું કે તમે પોતે પણ નથી માનતા કે ગાંધી-કૅલનબૅક સંબંધોમાં કઈં અજૂગતું હતું. વળી તમે વિનોદવૃત્તિ એકતરફી હોવાનું પણ કહો છો. એ વાતની તમે નોંધ લીધી છે કે કૅલનબૅકે પોતે કદી પણ ‘અપર હાઉસ- લોઅર હાઉસ’ જેવા શબ્દો નથી વાપર્યા. એમણે પત્રમાં કે પોતાની ડાયરી કે નોટ્સમાં “મિ.ગાંધી” તરીકે જ ગાંધીજીને આદરપૂર્વક ઓળખાવ્યા છે.

ગાંધી-કૅલનબૅક સંબંધો પ્રત્યે આના પછી તમે વધારે પ્રામાણિક બનીને લખો છો. પત્ર બહુ લાંબો થવાને કારણે આ પ્રકરણની બીજી નોંધપાત્ર વાતો છોડી દઉં છું. મારે માત્ર તમારા ‘ચર્ચાસ્પદ’ મુદ્દાની જ ચર્ચા કરવી હતી. લેલિવેલ્ડભાઈ, એક વાત કહી દઉં – આપણે જે ન માનતા હોઇએ, એવું હોવાના સંકેત આપીએ એને સાચું લખાણ ન કહેવાય. એને bad faith કહે છે.

ભલે ત્યારે. ફરી મળીશું આવતા અઠવાડિયે અને આ પ્રકરણથી આગળ વધીને ટ્રાન્સવાલના સત્યાગ્રહની કથા પાંચમા પ્રકરણમાં જોઈશું. મને લાગે છે કે તમે અને હું એ પ્રકરણમાં સંમત થશું કે ગાંધીના મનોગર્ભમાં એ સત્યાગ્રહ સાથે મહાત્માના ભ્રુણનું સર્જન થઈ ચૂક્યું હતું. બસ, તે પછી તો એ ભારત પાછા આવી ગયા અને એ કથા તો તમારા પુસ્તકના બીજા ખંડમાં આપણને લઈ જશે.

તમારી કુશળતા ઇચ્છું છું
લિખિતંગ
દીપક ધો્ળકિયા

Great Soul: Mahatma Gandhi(3)

Great Soul: Mahatma Gandhi and His Struggle with India
જોસેફ લેલિવેલ્ડને પત્ર (૩)

પ્રિય ભાઈ જોસેફ લેલિવેલ્ડ,
આ પહેલાં મેં તમને બે પત્રો લખ્યા છે; આશા છે કે મળી ગયા હશે. તમારો જવાબ નથી એ નવાઈની વાત છે. મને લાગે છે કે

આખી પત્રમાળા પૂરી થઈ જાય તે પછી તમારા ઉત્તરની આશા રાખવી જોઈએ. અસ્તુ.

આજે હું તમારા પુસ્તકના ત્રીજા પ્રકરણ Among Zulus વિશે ચર્ચા કરીશ. એક મિનિટ! તમે કદાચ ચોથા પ્રકરણ Upper House

પરના મારા પ્રતિભાવ જાણવા વધારે આતુર છો, કારણ કે એમાં તમે ગાંધીજી અને કૅલનબૅકના સંબંધોનું નિરૂપણ કર્યું છે. તમારા પુસ્તક પર

ગુજરાતમાં પ્રતિબંધ મુકાયો એનું એક કારણ આ ચોથું પ્રકરણ જ છે અને તમને આ બાબતમાં વધારે રસ હોય એ હું સમજી શકું છું. પરંતુ, હું

પહેલાં જ કહી ચૂક્યો છું કે હું ક્રમ નહીં તોડું. એટલે તમારે આવતા અઠવાડિયે ફરી આ બ્લૉગ પર આવવું પડશે. આજે તો માત્ર ત્રીજા

પ્રકરણની વાત કરીશ.

આમ તો આ પ્રકરણ નાનું છે અને ઇતિહાસની નજરે એમાંથી આછીપાતળી માહિતી જ મળે છે, પણ વલણ તો એ જ છે. ગાંધીની

વાત ન માનવી; એની વિરુદ્ધ બની શકે એટલા પુરાવા રજૂ કરવા અને છેવટે, ગાંધી વિશે દુનિયા જે તારણો પર પહોંચી છે તે જ તારણો પર

પહોંચવું. તમારા આ નકારાત્મક વલણ છતાં મેં આ પ્રકરણ પણ રસપૂર્વક વાંચ્યું છે.

ગાંધીજીએ, (ખરેખર તો બૅરિસ્ટર મોહનદાસ ગાંધીએ) દક્ષિણ આફ્રિકામાં પ્રજાકીય કાર્યો શરૂ કર્યાં ત્યારે એમનું ધ્યાન માત્ર

‘સુધરેલા’ હિન્દીઓ પર હતું. એમાં ગિરમીટિયાઓ પણ પાછળથી પ્રવેશ્યા (આ બાબતની આપણે આ પહેલાંના પત્રમાં છણાવટ કરી છે).

આફ્રિકી પ્રજા એટલે કે મૂળ કાળા લોકો માટે ગાંધીજી કઈં વિચારે એ શક્ય પણ નહોતું. આનાં ઘણાં કારણો છે, અને તમે પણ એ જાણો જ છો.

પરંતુ, હમણાં એની ચર્ચા મુલતવી રાખીએ.

દક્ષિણ આફ્રિકા પર કબજો કરી બેઠેલા ગોરા -આફ્રિકાન (મૂળ ડચ) અને બ્રિટિશરો આફ્રિકીઓને ‘કાફર’ કહેતા. આ શબ્દ મૂળ

અરબીનો છે અને ઈશ્વરમાં ન માનતો હોય તેના માટે કુરાનમાં એનો પ્રયોગ થયો છે. પરંતુ, દક્ષિણ આફ્રિકામાં ગોરાઓએ એમાં ઘ્ણા નવા

અર્થો જોડ્યા હતા. જે કઈં હલકી કક્ષાનું હોય તે કાફર. પછી એ ધાન્ય હોય કે માણસ. ઝુલુ વિદ્રોહ પહેલાંનાં ગાંધીજીનાં કેટલાંયે લખાણો

ટાંકીને તમે દેખાડ્યું છે કે ગાંધીજી પણ એમના માટે ‘કાફર’ શબ્દ જ વાપરે છે. વળી, તેઓ એમને ‘savage’ એટલે કે ‘જંગલી જાનવર’ની

બરાબર પણ માને છે.

૧૯૦૮માં ગાંધીજી પહેલી વાર જેલ ગયા તે વખતનો એમનો અનુભવ લખે છે કે “અમને કાફરો માટેની જેલમાં લઈ ગયા. એ

બધા અપરાધીઓ હતા. ગોરાઓ સાથે ન રાખે તે તો સમજાય એવું હતું પણ કાફરો સાથે રાખવા એ અસહ્ય હતું…” ગાંધીજીની બૅરૅકમાં પણ

કાફરો જ હતા અને એમને કશી શરમ નહોતી. એક માણસે એમની સામે અભદ્ર ઇશારા કર્યા અને પછી બીજા એક કેદીની પથારીમાં એ ચાલ્યો

ગયો અને બન્નેએ પોતાનાં જનનાંગો દેખાડ્યાં. ગાંધીજી આ પછી આખી રાત ન સૂઈ શક્યા. એક વાર એ સંડાસ જતા હતા ત્યારે એક મસમોટો

કાળો આવ્યો અને એમને હટી જવા કહ્યું પણ ગાંધીજીએ કહ્યું કે એમને બહુ વાર નહીં લાગે. પેલો શાનો માને? એણે ગાંધીજીને ઊંચકીને દૂર

ફેંકી દીધા!

ગાંધીજીના મિત્ર અને બાયોગ્રાફર મિ. ડૉક એમને જેલમાં મળ્યા ત્યારે ગાંધીજીએ એમને આ વાત કરી. ડૉક તો હરોરી ગયા.પરંતુ

તમે કહો છો કે ગાંધીજી પોતે આ વાત કરે છે ત્યારે એવી રીતે કે જાણે એમને કઈં અસર જ ન થઈ હોય અને બહુ ધૈર્યથી

એમણે આ બધું સહન કર્યું હોય! તમારૂં કહેવું છે કે ગાંધીને આખા બનાવ તરફનો પોતાનો પ્રત્યાઘાત સમજીવિચારીને આપવાનો સમય મળી

ગયો હતો. તમે ખરેખર ગાંધીજીનાં લખાણો વાંચો તો સમજાશે કે એમાં અંગત ભાવનાઓ- Emotions – ને સ્થાન નથી.Understatement,

એટલે કે, હોય તેનાથી ઓછું કરીને કહેવું, એમની ખાસિયત હતી. એમની આત્મકથા વાંચશો તો એમ જ લાગશે કે આ આપણે ગાંધીજીએ

લખેલું વાંચીએ છીએ? જાણે કોઈ મારા-તમારા જેવાએ કોઈ નાની વાત લખી નાખી હોય! આવાં બીજાં દૃષ્ટાંતો દ્વારા તમે આફ્રિકીઓ પ્રત્યે

શરૂઆતમાં ગાંધીજીને સૂગ હતી એવું દેખાડ્યું છે.

ઝુલુ વિદ્રોહ શા માટે થયો? ગોરી હકુમતે મૂળ નિવાસીઓ પર માથાવેરો નાખ્યો. આ વેરો ન ભરનારને આકરી સજાની જોગવાઈ

હતી. એની જમીન પણ જપ્ત કરી લેવાની હતી. ઝુલુઓએ આનો સખત વિરોધ કર્યો. એકઠા થયેલા ઝુલુઓ પાસે ભાલા (અસેગાઇ) હતા.

એમને હટાવવા માટે એક પોલીસ અધિકારીએ રિવૉલ્વર કાઢી. પણ એ કઈં કરી શકે તે પહેલાં ઝુલુઓ ત્રાટક્યા અને બે ઑફિસર માર્યા

ગયા.આ પછી સરકારના જુલમો વધી ગયા.

એનો બદલો લેવા ઝુલુઓના એક ચીફ ભમ્બાતાએ દોઢેકસો માણસ એકઠા કર્યા અને પહાડો પર લઈ ગયો. એમને પકડવા હજારેકનું દળકટક ગયું. એમણે ઘરોમાં ઘુસીને લોકોને માર્યા, ઘરબાર સળગાવી નાખ્યાં. તમે લખ્યું છે કે આવા સંયોગોમાં, જે માનસ ભવિષ્યમાં ‘મહાત્મા’તરીકે પંકાવાનો હતો એની આગેવાની હેઠળ હિન્દીઓએ બ્રિટિશ હકુમતને ટેકો આપ્યો. ગાંધીજીએ બોઅર યુદ્ધની જેમ આ વિદ્રોહ વખતે પણ સ્ટ્રેચર સેવા આપી. જો કે પહેલાં એમની સાથે ૧૧૦૦ હિન્દીઓ હતા, જેમાંથી ૮૦૦ ગિરમીટિયા હતા. આ વખતે માત્ર ૧૯ જણે એમને સાથ આપ્યો, એમાં પણ ‘શિક્ષિત; હિન્દીઓ તો માત્ર ચાર હતા!

ગાંધીજીએ આમ કેમ કર્યું? તમે જ કારણ આપો છો! એ વખતે ભારતમાં બ્રિટિશ હકુમત વિરુદ્ધ ગાંધીજીના મનમાં સારી ભાવના

હતી. એમની દલીલ હતી કે દક્ષિણ આફ્રિકા અને ભારત, બન્ને અંગ્રેજોની વસાહતો હતી. એક વસાહતમા લોકો બીજી વસાહતમાં જઈને કામ

કરતા હોય તો એમને પૂરા અધિકાર મળવા જોઈએ, જે હિન્દીઓને નહોતા મળ્યા. આમ એ વખતે એમની લડાઈ બ્રિટિશ હકુમત સામે નહીં,

એની અંદર જ હતી. એમનો ખ્યાલ હતો કે આફ્રિકીઓ અને હિન્દીઓના પ્રશ્નો એકસરખા નહોતા. એમના પ્રયાસ હતા કે બ્રિટીશ હકુમતને

વફાદાર રહીને જ અધિકારો હાંસલ કરી શકાય. હિન્દીઓને બ્રિટિશ નાગરિક તરીકે ગણવાની એમની માંગ હતી, જ્યારે ગોરી હકુમત

ચામડીના રંગના આધારે વર્ગીકરણ કરવા માગતી હતી. બ્રિટિશ નાગરિક માને તો સમાન અધિકારો આપવા પડે. લેલિવેલ્ડભાઈ, તમે જ

કહો છો કે ગાંધીને મન નક્કર લાભ કરતાં સિદ્ધાંત સ્થપાય એ મોટી વાત હતી. એમની માંગ હતી કે દક્ષિણ આફ્રિકામાં મજૂરો સિવાયના

હિન્દીઓને પ્રવેશ ન આપવાનો કાયદો રદ કરવો જોઈએ અને કઈં નહીં તો માત્ર છ શિક્ષિત હિન્દીઓને દર વર્ષે આવવા દેવા જોઈએ. આમાં

એક ચીલો પડતો હતો. લેલિવેલ્ડભાઈ, તમે ગમે તે કહો, ગોરાઓ આ વાત માનવા પણ તૈયાર ન થયા! કારણ કે ચીલો પડતો હતો! સમજ્યા

ને, ગાંધી મૂરખ નહોતો અને ટૂંકા ગાળાના સોદા નહોતો કરતો. તમને ભલે ને આ વાતમાં એમનું કાનૂ્નબાજ ભેજું દેખાયું હોય!

ગાંધીજીએ સ્ટ્રેચર સેવા દરમિયાન જોયું કે ઘાયલોમાં ઝુલુઓની સંખ્યા બહુ મોટી છે અને ગોળી વાગવાથી ઘાયલ થયા

હોય તેના કરતાં કોરડા કે બીજાં હથિયારોથી ઘાયલ થયા હોય એમની સંખ્યા અનેકગણી મોટી હતી. આમ. એમને એ વખતે ઝુલુઓ પર

બ્રિટિશ હકુમતે કરેલા અત્યાચારો જાતે જોવા મળ્યા. ગાંધીજીને ઝુલુઓની માંગમાં પણ વજૂદ દેખાયું. એમનો દેશ, એમની જમીન, અને હકુમત એમની જમીન ખૂંચવી લેવાના કાયદા બનાવે! અને તમે કહો છો તેમ એમણે ઘણાં વર્ષો પછી કબૂલ્યું કે “મારૂં હૃદય ઝુલુઓ સાથે હતું”

મે ૧૯૦૮માં ગાંધીજીને YMCA (યંગ મેન ક્રિશ્ચ્યન એસોસિએશન) તરફથી યોજાયેલી ચર્ચાસભામાં બોલવાનું હતું વિષય હતોઃ “શું એશિયનો અને ક્લર્ડ લોકો સામ્રાજ્ય માટે ખતરા સમાન છે?” ગાંધીજીના વિચારો દર્શાવવા હું તમારા જ શબ્દોનો આધાર લઈશ. એમણે કહ્યું:”સુવ્યવસ્થિત સમાજમાં ઉદ્યમી અને બુદ્ધિમાન લોકો કદી ખતરારૂપ ન બની શકે.” તે પછી તમે કહો છો કે ” તે પછી તરત જ તેઓ સ્પષ્ટ કરે છે કે તેઓ આફ્રિકનો અને હિન્દીઓ, બન્ને માટે બોલે છે…” આફ્રિકનો વિનાના આફ્રિકાની કલ્પના કરવાનું પણ મુશ્કેલ છે” (ગાંધીજી). તમે કહો છો કે પહેલી વાર “અસભ્ય કાફર’ એમના ભાષણમાં નથી આવતો અને તેઓ એમને “સશક્ત અને બુદ્ધિમાન” ગણાવે છે. ગાંધીજી કહે છેઃ “એમને ન્યાયનો અધિકાર છે”. ગાંધીજી કહે છે કે “આ રાજકીય અધિકારોની વાત નથી, સવાલ જમીનની માલિકીનો છે, “ઈશ્વરે બનાવેલી આ ધરતી પર દક્ષિણ આફ્રિકામાં સ્વાધીનતા, સ્વમાન અને માણસને શોભે એવું જીવન જીવવામાં એમની સામે કોઈ પ્રતિબંધ નથી.” રાજકીય અધિકારોની વાત ન હોવા છતાં, તમે નોંધો છો કે પહેલી વાર એમણે આ ભાષણમાં “સ્વતંત્ર સંસ્થાઓ”, “સ્વશાસન” વગેરે અવધારણાઓનો આફ્રિકીઓના સંદર્ભમાં પ્રયોગ કર્યો. આગળ જતાં આ અવધારણાઓ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ સ્થાયિત્વ પામી!

તમારો ખરેખર તો આભાર માનવો જોઇએ કે દક્ષિણ આફ્રિકાની સ્થિતિ જોઈને ગાંધીજીના વિચારોમાં ધરમૂળથી પરિવર્તન આવ્યું તેના તરફ ધ્યાન દોર્યું છે. એમનું સપનું હતું વિવિધ જાતિઓનો એ દેશ “મેઘધનુષી રાષ્ટ્ર” બને. અને આજનું દક્ષિણ આફ્રિકા એ જ ધ્યેયને સામે રાખીને કામ કરે છે! આ છે ગાંધી, જે આગળ જતાં મહાત્મા બને છે!

આમ છતાં, તમે કહો છો કે એમને જેલમાં આફ્રિકીઓના અનુભવ થયા, તે સિવાય જેલની બહાર આફ્રિકીઓ સાથેના એમના સંબંધો નજીવા રહ્યા. માત્ર ત્રણ આફ્રિકીઓ સાથે એમનો સંપર્ક હતો. એમાંથી બે આઇઝેક અને જૅકબ તો ટ્લ્સટોય ફાર્મમાં શ્રમિક તરીકે કામ કરતા હતા. ત્રીજું નામ દક્ષિણ આફ્રિકાના ઇતિહાસમાં મહત્વનું છે, અને એ ગાંધીજીના આશ્રમની નજીક જ રહેતા હતા. એ હતા,જ્હૉન લંગાલિબલેલે ડૂબે. એ ભણેલાગણેલા ખ્રિસ્તી ઝુલુ હતા. ૧૯૦૦ની સાલમાં એમને ગાંધીજીની નાતાલ ઇંડિયન કોંગ્રેસને આદર્શ માનીને નાતાલ નૅટિવ કોંગ્રેસની સ્થાપના કરી હતી. તે પછી આ સંગઠનનું નામ સાઉથ આફ્રિકન નૅટિવ કોંગ્રેસ થયું અને છેવટે એનું જ રંગભેદી શાસન સામે સંઘર્ષ કરનાર આજના શાસક પક્ષ આફ્રિકન નૅશનલ કોંગ્રેસમાં રૂપાંતર થયું. ગાંધી અને ડૂબે મળ્યા? તમે કહો છો કે બહુ મળતા હોય એવા પુરાવા નથી! એ જ દુઃખ છે, તમારૂં. તમે ડૂબેની ૮૦ વર્ષની પુત્રી લુલૂ ડૂબેને મળ્યા છો અને એ કહે છે કે એ બન્ને મિત્રો હતા. તમે કહો છો કે પુત્રી એ માત્ર આ વાત સાંભળી છે, એ એમની મિત્રતાની સાક્ષી નથી. એનો જન્મ ગાંધીએ દક્ષિણ આફ્રિકા છોડ્યું તે પછી સોળ વર્ષે થયો તમે ઈલાબેન ગાંધીને મળ્યા છો. ઈલાબેને તમને કહ્યું કે બન્ને પોતપોતાના લોકોના ગૌરવ માટે ચિંતિત હતા. પણ તમે કહો છો કે ઈલાબેન ફિનિક્સ આશ્રમમાં જ મોટાં થયાં પણ ગાંધીજીની હત્યા થઈ ત્યારે એમની ઉંમર માત્ર આઠ વર્ષની હતી. આમ બે કુટુંબીઓની વાત માનવા તમે તૈયાર નથી!, ભાઈ, દરેક વસ્તુ લિખિત રૂપમાં જ હોવી જોઇએ? આ તો તમારૂં કાનૂનબાજ ભેજું છે! તમે કહો છો કે બન્ને અવારનવાર મળતા હોય એવા પુરાવા નથી મળતા.. તે પછી એ પણ કહો છો કે ડૂબેનું અખબાર થોડા વખત માટે ગાંધીજીના આશ્રમમાં છપાતું. અમારે શું સમજવું? એમ કે, બન્ને મળતા નહોતા પણ સંપર્કમાં હતા! વિચિત્ર વાત છે.

દક્ષિણ આફ્રિકાના ઇતિહાસમાં આજે પણ ગાંધી, ડૂબે અને ઇસાઇયા શેન્બેની ત્રિપુટિને આફ્રિકી જાગૃતિના સ્રોત માનવામાં આવે છે. તમે ઇનાન્ડા પ્રાંતની મુલાકાત લીધી ત્યારે તમને ડૂબે અને ગાંધીનાં બૅનર્સ જોઈને લાગ્યું કે આ એકતા પોકળ છે. કારણ? ક્યાંય લખ્યું નથી. માત્ર વ્યવસ્થિત રીતે ઘડી કાઢેલી દંતકથાઓ છે. વાહ, કહેવું પડે!

દક્ષિણ આફ્રિકાની વાત આવે અને નેલસન મંડેલાનું નામ ન આવે તે બને જ નહીં. મંડેલા ઇણ્ડિયનોનો સત્યાગ્રહ જોઈને પ્રભાવિત થયા હતા. મણીલાલ ગાંધીને પણ મળ્યા હતા. સમગ્ર જનતાને સાંકળી લેવાના ગાંધી-આદર્શનો એમને સ્વીકાર કર્યો. પરંતુ આંદોલન હંમેશાં અહિંસક જ હોવું જોઇએ એ માનવા તૈયાર નહોતા. એમને તે પછી આફ્રિકન નૅશનલ કોંગ્રેસની સશસ્ત્ર પાંખ પણ બનાવી. પરંતુ, ૨૭ વર્ષના કારાવાસ પછી બહાર આવ્યા ત્યારે એમણે ગોરાઓ પ્રત્યે દ્વેષ ન ફેલાવ્યો અને એ જ મેઘધનુષી રાષ્ટ્રના નિર્માણ માટે હાકલ કરી. તમે પણ પ્રકરણનું સમાપન કરતાં કબૂલ કરો છો કે મંડેલા સાધન અને સાધ્યની બાબતમાં ગાંધીજી જેટલા ચુસ્ત નહોતા તેમ છતાં ગાંધીજીએ જે દેશને થોડા વખત માટે પોતાનો માન્યો, તેના એ જનક હતા એવું નેલસન મંડેલાએ પોતે જ સ્વીકાર્યુ છે અને ગાંધીને આવું સર્ટીફિકેટ આપવાની યોગ્યતા મંડેલાથી વધારે બીજા કોઈમાં નથી!

ચાલો, મઝા આવી. આવતા અઠવાડિયે ‘અપર હાઉસ’. ત્યાં સુધી રજા લઉં.

તમારા ક્ષેમકુશળ ઇચ્છું છું.

લિખિતંગ
દીપક ધોળકિયા

Great Soul: Mahatma Gandhi

Great Soul: Mahatma Gandhi and His Struggle with India
જોસેફ લેલિવેલ્ડને પત્ર (૨)

પ્રિય ભાઈ જોસેફ લેલિવેલ્ડ,
આજે હું તમારા પુસ્તકના બીજા પ્રકરણ No Touchism (અસ્પૃશ્યતા) વિશે ચર્ચા કરીશ. આ પ્રકરણમાં તમે એ કહેવા માગો છો કે અસ્પૄશ્યતા સહિતના સામાજિક પ્રશ્નોમાં ગાંધીજીના વિચારોમાં દક્ષિણ આફ્રિકામાં થયેલા અનુભવોએ શો ભાગ ભજવ્યો. પ્રકરણને મથાળે તમે વી.એસ. નયપોલના પુસ્તક The Area of darkness (પ્રકાશન ૧૯૬૪)માંથી ગાંધીજી વિશેનું એક વાક્ય મૂક્યું છેઃ “…the least Indian of Indian leaders” (બધા હિન્દુસ્તાની નેતાઓમાં સૌથી ઓછા હિન્દુસ્તાની). આ સાથે પ્રકરણની શરૂઆત કરતાં તમે નહેરુએ ગાંધીજી વિશે કરેલું વિધાન પણ ટાંક્યું છે. નહેરૂ એમને ગામડામાં વસતા ભારતની પ્રકટ અને અપ્રકટ ઇચ્છાના ‘સર્વશ્રેષ્ઠ સ્વર’ સમાન ગણાવે છે. તમે ૧૯૬૬માં ભારતમાં નિમાયા ત્યારે જે ભારત જોયું તેમાંથી તમારા મનમાં પ્રશ્ન ઊઠ્યો કે એક માણસ જે “સૌથી ઓછો હિન્દુસ્તાની” હોય એ હિન્દુસ્તાનનો “સર્વશ્રેષ્ઠ સ્વર” કેમ બની શકે?

હું સમજી શકું છું કે તમે અહીં આ બન્ને અભિપ્રાયોનો સમન્વય કરવા માગો છો. નયપોલ અને નહેરુ એક જ ગાંધીને જુદા જુદા દૄષ્ટિકોણથી જૂએ છે. નયપોલ ભારતીય સમાજની કુરીતિઓ, સામાજિક ઊંચનીચ અને ભારતીય નેતાઓની એના પ્રત્યે ઉદાસીનતાના સંદર્ભમાં ગાંધીને મૂલવે છે. ગાંધીજી સમગ્ર જનતા અને એના નેતાઓથી અલગ પ્રકારના વિચારો લઈને આફ્રિકાથી ભારત પાછા આવ્યા હતા અને મૂળ તો એક વિદેશી નજરે ભારતની ત્રુટિઓને જોતા હતા. નયપોલના વિધાનમાં એ જ જનતાની સામાજિક કે રાજકીય આકાંક્ષાઓની ઝલક મળતી નથી. બીજી બાજુ નહેરુ, સામાજિક કુરીતિઓ અને ઊંચનીચનો ભોગ બનેલી જનતાની આકાંક્ષાઓ પર ભાર મૂકે છે. શોષિત જનતા ગાંધી સાથે રાજકીય લડાઈ માટે પણ જોડાઇ કારણ કે ગાંધીજીએ સામાજિક ઉત્થાન પર પણ ભાર મૂક્યો.

નયપોલનો અભિપ્રાય તમારા પુસ્તકના ટાઇટલમાં પણ દેખાય છે. પુસ્તકના નામમાં struggle for India નથી, struggle with India છે. તમે એ વાત પર ભાર મૂકો છો કે જે માણસે હિન્દુસ્તાનની મુક્તિ માટે સંઘર્ષ કર્યો તે સતત ભારતીય સમાજની કુરીતિઓ સામે પણ લડતો રહ્યો કારણ કે એનો દૃષ્ટિકોણ ભારતમાં પ્રવર્તતા પૂર્વગ્રહોથી ગ્રસ્ત નહોતો. તમે અસ્પૃશ્યતા, જાતિપ્રથા વગેરેની વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે તેનું અહીં પુનરાવર્તન નથી કરતો કારણ કે અમને ભારતમાં આ બધું જાણવા માટે નયપોલની જરૂર નથી.

પરંતુ, ગાંધીના વિકાસમાં તમે જે તબક્કા સૂચવ્યા છે તેની નોંધ લીધા વિના ચાલે નહીં. આમાં તમારો ઇરાદો શુદ્ધ હોવા છતાં તમે કેટલીક અતિશયોક્તિ પણ કરી છે. દાખલા તરીકે, તમે ગાંધીજી લંડન જવાના હતા તેને લગતા ઘટનાક્રમનો ઉલ્લેખ કરો છો. મોઢ વાણિયા મહાજને આ નિર્ણય સામે વાંધો લીધો, પરંતુ ગાંધીજી અડગ રહ્યા. આમ છતાં નાતને સંતોષ થાય તે માટે માતાને માંસ, મદિરા અને સ્ત્રીથી દૂર રહેવાનું વચન પણ આપ્યું. તમે કહો છો કે એમણે નાતના વડીલોની અવગણના તો કરી, પરંતુ હજી નાત વિરુદ્ધ ખુલ્લા બળવા માટે તૈયાર નહોતા. આ સાચી વાત છે, પરંતુ ઓગણીસ વર્ષના છોકરામાં વિદ્રોહનાં તત્વો હોય તો પણ એ જરૂરી નથી કે એ ખરેખર વિદ્રોહ કરે. આમ તમે વધારે પીંજણ કર્યું છે. આ ઘટનાક્રમ પાછળથી વિકસેલા મહાત્માના સંકેત ન આપતો હોય તો એમાં નવાઈ નથી. એ જ રીતે, ગાંધીજી લંડનથી પાછા આવ્યા ત્યારે એમને પ્રાયશ્ચિત કરવા નાશિક લઈ ગયા – અને એ માની ગયા – એ પણ મોટી વાત નથી.

આમ છતાં આ પીંજણનાં કેટલાંક સારાં પરિણામ પણ છે. દાખલા તરીકે, અસ્પૃશ્યતા વિશેના ગાંધીજીના વલણને તમે વધુ વ્યાપક સંદર્ભમાં મૂકી શક્યા છો. જરા વિગતે જોઈએ.

તમે ધ્યાન દોરો છો કે માંડ પચીસનો આ યુવાન બૅરિસ્ટર દક્ષિણ આફ્રિકામાં ખ્રિસ્તીઓના સંપર્કમાં આવ્યો પરંતુ એમના વચ્ચેની વાતચીતમાં માણસમાત્ર સમાન હોવા છતાં સામાજિક સુધારા કરતાં આત્માના ઉદ્ધારનો મુદ્દો પ્રમુખસ્થાને હતો. તે પછી ૧૮૯૪માં ગાંધીજીને એમના એક મિત્ર લંડનથી ટૉલ્સટોયનું પુસ્તક War and Peace મોકલે છે. પુસ્તક ઉચ્ચ વર્ગના દંભનો ભંડો ફોડે છે. ટૉલ્સટોય ઇસાઇ વિચારધારા પર કટાક્ષ કરતાં લખે છેઃ “આપણે સૌ ભાઈઓ તો છીએ, પણ મને પગાર મળે છે, તે તને સજા કરવા માટે – અને આ પગાર પર મારૂં જીવન નભે છે. આપણે બધા ભાઈઓ તો છીએ પરંતુ મને કર ઊઘરાવવા માટે પગાર મળે છે અને હું ગરીબ મજૂરો પાસેથી પણ કર ઊઘરાવું છું. એ ન કરૂં તો હું પોતે જ જીવી ન શકું. આપણે સૌ ભાઈઓ તો છીએ પણ મને સ્ટાઇપેન્ડ એટલા માટે મળે છે કે ઇસાઇ ધર્મ ખરેખર જે છે તેને બદલે જૂદી વાત હું ધર્મના નામે તારી સમક્ષ રજૂ કરૂં.” – તમારૂં અનુમાન સાચું છે કે મોહન પર આ વિચારની અસર થઈ હોય. એટલું જ નહીં, ટૉલ્સટોય એમના પુસ્તક What is to be done?માં શિક્ષિતોને અનર્ગળ ઉપભોગવાદનાં દુષ્પરિણામોથી બચવા માટે bread labour અથવા Body labour તરફ વળવા જણાવે છે. “બ્રેડ લેબર” શબ્દને તો ગાંધીજીએ પછી પોતીકો બનાવી લીધો! અહીં ટૉલ્સટોય મહત્વની વાત કરે છેઃ ” આપણી જમાતના લોકો અને મજૂર વર્ગની વિશાળ બહુમતી જાતે સંડાસ સાફ કરવામાં શરમ નહીં અનુભવે, ઉલ્ટું, આપણે પોતે સંડાસ ભરી દઈએ અને બીજા કોઈ, આપણા જ ભાઈઓ, એમાંનો મળ બીજે લઈ જાય અને સાફ કરે એ વાતથી શરમ અનુભવશે ત્યારે જ” ઈશ્વરના કાયદાનું પાલન થશે.

ટૉલ્સટોયના “આપણે ભાઈઓ તો છીએ, પરંતુ…” વ્યંગની અને સંડાસ સાફ કરવાના આગ્રહની અસર ગાંધીજી પર સ્પષ્ટ દેખાય છે. લેલિવેલ્ડભાઈ, આ સંદર્ભમાં તમે સંડાસ સાફ કરવાની બાબતમાં મોહનદાસ ગાંધીએ પોતાની પત્ની કસ્તૂરબા સાથે જે દુર્વ્યવહાર કર્યો તે પ્રસંગ ટાંક્યો છે. ૧૯૦૧માં ગાંધીજીને કલકતા કોંગ્રેસમાં ભાગ લેવાની તક મળી. એમણે દક્ષિણ આફ્રિકામાં હિન્દીઓની સ્થિતિ વિશે પાંચ મિનિટ બોલવાનું હતું . કોંગ્રેસના નેતાઓની નજરમાં આ માણસ જરા પણ મહત્વનો નહોતો. માત્ર એને પરદેશમાં જે કર્યું તેને કારણે એની બાબતમાં કૌતુક જરૂર હતું, પરંતુ કોંગ્રેસની કાર્યવાહીમાં એમની રજૂઆતનું મૂલ્ય ઉપકથા કરતાં વધારે નહોતું. આમ છતાં ગાંધીજીએ જે જોયું તેનું વર્ણન એમણે પોતે જ કર્યું છે. સૌથી પહેલાં તો એમનું ધ્યાન સંડાસો તરફ ગયું. તમારા શબ્દો વાપરીને હું તો કહીશ કે આ એમની “ભારત સાથેના સંઘર્ષ”ની શરૂઆત હતી. ગાંધીજીએ વોલંટિયરોને સંડાસોની સ્થિતિ વિશે કહ્યું તો એમણે કહ્યું કે એ સાફ કરવાનું કામ એમનું નહીં! ક્યાંકથી ગાંધીજી ઝાડુ શોધી લાવ્યા અને સાફ કરવા લાગ્યા. ગાંધીજી લખે છે કે આ સન્માનમાં એમની સાથે ભાગ પડાવવા કૉઇ તૈયાર નહોતું!

માત્ર સંડાસ સંબંધી વલણમાં જ નહીં, ભવિષ્યના આ મહાત્માએ કોંગ્રેસ ડેલિગેટો વચ્ચે પણ અસ્પૃશ્યતાની વ્યવસ્થા જાલવી રાખવાના સુવ્યવસ્થિત પ્રયાસ જોયા. ગાંધીજી કહે છે કે દક્ષિણ ભારતથી આવેલા બ્રાહ્મણ ડેલિગેટો માટે જુદું રસોડું અને ભોજન ખંડની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી એમના ભોજન પર અછૂતોની નજર પણ ન પડે. રસોડા ફરતી દીવાલ પણ બનાવી દેવામાં આવી હતી!

લેલિવેલ્ડભાઈ, ગાંધીજીના જીવનકાર્યમાં આ બન્ને બાબતો હંમેશાં મહત્વની રહી. આમાં દક્ષિણ આફ્રિકાની અસર શી? તમારી દલીલ જોઇએ. તમે એક સારા વકીલ જેમ કેસ ઊભો કર્યો છે, પણ અમને તો ગાંધીના જીવનની યાત્રા કરવી જ છે, એટલે તમારી સાથે ચાલવામાં અમને આનંદ આવશે.

તમે કહો છો કે શરૂઆતમાં એમનું ધ્યાન માત્ર સ્વાધીન હિન્દીઓ પર હતું; ગિરમીટિયાઓનાં સુખદુઃખ સાથે એમને કશી લેવાદેવા નહોતી. એમનાં લખાણોમાં પણ આ ભેદ તમે દેખાડ્યો છે. ગાંધીજી જ્યારે હિન્દીઓ માટે બ્રિટિશ સંસ્થાનના નાગરિક તરીકે સમાન અધિકારોની માગણી કરતા હતા, ત્યારે The Critic અખબારે સવાલ કર્યો કે હિન્દીઓ પોતાની અંદર જ સમાન અધિકારો આપવા તૈયાર નથી, તો એમને આવા અધિકાર માગવાનો શો હક છે. ગાંધીજી માટે આ સવાલ મહત્વનો હતો અને તમે ગાંધીજીના સેક્રેટરી પ્યારેલાલને ટાંકીને જણાવો છો કે આ સવાલ એમના હૃદયમાં શૂળ બનીને ભોંકાયો અને એમણે હવે માત્ર સુધરેલા હિન્દી સમાજના અધિકારોની વાતને બદલે ગિરમીટિયાઓને પણ સામેલ કર્યા. દક્ષિણ આફ્રિકાના ગિરમીટિયા અને સભ્ય હિન્દીઓ અહીં હિન્દુસ્તાનની ધરતી પર અછૂતો અને સવર્ણ હિન્દુ. આમ ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના અનુભવોએ એમના વિચારોને ભારતની સ્થિતિ પર વિચાર કરવા પણ પ્રેર્યા.

નાતાલ ઇંડિયન કોંગ્રેસનું બંધારણ ગાંધીજીએ તૈયાર કર્યું તેમાં સાત ઉદ્દેશો પૈકી બે, ગિરમીટિયાઓની સ્થિતિનો અભ્યાસ કરીને એમાં સુધારા માટે કાર્ય કરવાના હતા. ટૉલ્સટોયના “આપણે સૌ ભાઈ”વાળા કટાક્ષે આમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. જો કે તમારો ઊંડો અભ્યાસ જણાવે છે કે આ દિશામાં છેક છેલ્લે સુધી બહુ કામ ન થયું પણ ગાંધીજીના મગજમાં શરૂઆતથી જ આ મુદ્દો હતો.

હવે તમારી અવળવાણીની પણ વાત વચ્ચેથી કરી લઈએ, તે પછી ગિરમીટિયાઓ વિશે ગાંધીજીના બદલાયેલા દૃષ્ટિબિંદુ પર પાછા આવીશું. મેં પહેલાં જ કહ્યું છે કે તમે ગાંધીજીના શબ્દોની આકરી પરીક્ષા કરો છો અને મોટા ભાગે તો એમાંથી કઈંક ખામી શોધી કાઢો છો. પરંતુ, બીજા કોઈના શબ્દોને મહત્વ આપો છો. દાખલા તરીકે ગાંધીજીએ ૧૮૯૪ના મે મહિનામાં દેશ પાછા ફરવાની તૈયારી કરી લીધી હતી. એમને વિદાય આપવા માટે સમારંભ યોજાયો હતો. તેમાં એમની નજર એક અખબારી અહેવાલ પર પડી. એમાં નાતાલના હિન્દીઓના મતાધિકાર રદ કરવા માટેના બિલ પર થયેલી કાર્યવાહીના સમાચાર હતા. એમણે મીટિંગમાં હાજર રહેલા લોકોનું ધ્યાન એ તરફ દોર્યું. બધા અકળાઈ ગયા અને એમને પાછા આવવા કહ્યું. આ છે ગાંધીજીનું પોતાનું અર્થઘટન. બીજી બાજુ, ગાંધીજીના અભ્યાસી અને આદરપાત્ર લેખક ટી.કે. મહાદેવન લખે છે કે બિલ ઘણા વખતથી ચર્ચામાં હતું, આ મુદ્દો ઊભો કરવાનું કારણ એ કે માત્ર ગાંધીજી ત્યાં જ રહીને પોતાની વકીલાત જમાવવા માગતા હતાઃ ભારતમાં તો એમના માટે અનિશ્ચિતતા જ હતી. મહાદેવનજી પણ ગાંધીની આસપાસના આધ્યાત્મિક રહસ્યોનાં જાળાં ભેદવા હંમેશાં પ્રયત્ન કરતા રહ્યા. લેલિવેલ્ડભાઈ, તમે એમનું અર્થઘટન તરત માની લો છો પરંતુ આ વખતે ગાંધી પ્રત્યે થોડા ઉદાર પણ છો. તમે કહો છો કે માત્ર વકીલાત જમાવવી એ મહત્વાકાંક્ષા જ નહીં, એમાં સાચને પક્ષે રહીને લડવાની ઇચ્છા પણ ભળેલી હતી એમ માનવું “ઉદારતાપૂર્ણ” અને “વધારે સાચું” છે. આ થઈ મે ૧૮૯૪ની વાત – અને તમે પોતે જ કહો છો કે – માત્ર ત્રણ મહિનામાં, ઑગસ્ટ ૧૮૯૪માં ગાંધીજી આ બિલની વિરુદ્ધ ચોપાનિયાં, લેખો, અરજીઓ લખવામાં ભારે વ્યસ્ત થઈ ગયા હતા! આ હકીકત જાણ્યા છતાં તમે મહાદેવનને ટાંક્યા છે. તમારે એમના દાવાને ચોખ્ખા શબ્દોમાં નિરાધાર ગણાવવો જોઇતો હતો. પરંતુ, તમે તો ‘સત્યના પ્રયોગો’ને પાછળથી વ્યવસ્થિત રૂપે તર્કને અનુકૂળ બને એ રીતે અને એમાંથી એક ખાસ પ્રકારનું વ્યક્તિત્વ ઉપસે એ ઉદ્દેશથી લખાયેલું પુસ્તક માનો છો!

ખેર! એ જ તો તમારી વૈરલક્ષણા ભક્તિ છે. એ જ રીતે ગિરમીટિયાઓ માટે એમણે કામ કર્યું એ વાત પણ માનવા તમે તૈયાર નથી. ગિરમીટિયાઓ બાબતમાં ગાંધીજીના વિચારોમાં પરિવર્તન આવ્યું તેના માટે ગાંધીજી એક મજુર બાલાસુંદરમનું ઉદાહરણ આપે છે. એ માણસ ગાંધીજીની ઑફિસમાં આવ્યો ત્યારે જખમી હતો. મોઢામાંથી લોહી નીકળતું હતું અને બે દાંત તૂટી ગયા હતા. ગાંધીજી કહે છે કે એમણે એને સારવાર માટે મોકલ્યો અને મૅજિસ્ટ્રેટ પાસે લઈ ગયા. તમે આ વાતને ખોટી માનો છો.. તમારૂં કહેવું છે કે બાલાસુંદરમ લોકલ અધિકારીને મળી આવ્યો હતો અને સારવાર લેવા જાતે જ ગયો હતો! તમારૂં કહેવું છે કે ગાંધીજીએ આ બનાવ પછી ત્રીસ વર્ષે આત્મકથા લખી. તેમ છતાં એમના પર પુસ્તકો લખનારાએ એ વખતના બીજા દસ્તાવેજી આધારોને ધ્યાનમાં નથી લીધા. કયા દસ્તાવેજમાં એમ કહ્યું હોય કે એ માણસને ગાંધીએ મોકલ્યો હતો અથવા નહોતો મોકલ્યો? અને બીજા દસ્તાવેજ સાચા જ હોય અને ગાંધી માત્ર પોતાની છાપ ઊભી કરવા લખે છે એવો તમારો દાવો પણ કેમ માની લેવાય? વળી, આ બનાવ પછી બધા ગિરમીટિયા ગાંધીજી પાસે આવતા થયા એવા શ્રી નગીનદાસ સંઘવીના કથનને પણ તમે ફગાવી દો છો. તમે કહો છો કે ગાંધીજીએ બાલાસુંદરમ સિવાય બીજા કોઈ પ્રસંગોનું વર્ણન નથી કર્યું! રંગ છે, તમારી તર્કશક્તિને!

આમ છતાં, એક મઝા આવી જાય એવો પ્રસંગ નોંધ્યા વિના નથી રહી શક્તો. તમે લખો છો કે ૨૬મી ઑક્ટોબર ૧૮૯૫ના રોજ ગાંધીજી પહેલી વાર ગિરમીટિયાઓની ઝૂંપડપટીમાં ગયા. તેઓ ફંડ એકઠું કરતા હતા અને માત્ર પાંચ પૌંડ એકઠા કરી શક્યા. તે પછી, બીજા અઠવાડિયે ટોંગાટ એસ્તેતમાં ગયા. ત્યાં એમને મજૂરો સાથે વાત કરવા ન દેવાઈ. એ વખતે ડર્બનના મૅજિસ્ટ્રેટે એક એસ્ટેટ માલિકને ગાંધીનિ હિલચાલ પર નજર રાખવા જણાવ્યું. પેલાએ જવાબ આપ્યો કે “આ માણસ થોડી ગરબડ કરશે એમાં મને શંકા નથી, પરંતુ જબ્બર આંદોલન ચલાવી શકે એમ નથી લાગતું. એનો ચહેરો જ નબળો છે!” આ માણસ ભવિષ્ય જાણતો હોત તો આવું ન કહ્યું હોત.

એકંદરે, તમે ગાંધીના વિકાસના તબક્કાઓ બરાબર સમજાવી શક્યા છો, એ પણ કબૂલ કરવું પડશે. આમાં તમે હિન્દિઓના અધિકારોની વાત કરતાં ગિરમીટિયાઓને પણ સમાન માનવા સુધીની ગાંધી યાત્રા રજૂ કરી અને એ જ અનુભવો અને ટૉલ્સટોયની અસર અસ્પૃશ્યતા વિરુદ્ધના એમના કાર્યક્રમમાં વ્યક્ત થતી હોવાનું દેખાડી શક્યા છો. સમષ્ટિની દિશામાં ગાંધીની આ હરણફાળ હતી.

લેલિવેલ્ડભાઈ, આ પ્રકરણમાં મને ટિપ્પણી કરવા જેવું લાગ્યું તે જ વાતો મેં લખી છે. આ પુસ્તક વાંચીને બીજા કોઈ નવી વાતો પર ભાર આપે એ શક્ય છે જ. ભલે, બહુ થયું આજે. હવે આવતા અઠવાડિયે હું તમારા ત્રીજા પ્રકરણ ‘Among Zulus’ વિશે ચર્ચા કરીશ.

તો ભલે, ફરી આવતા અઠવાડિયે મળીશું ત્યાં સુધી રજા લઉં.

બાકી અહીં સૌ મઝામાં છે.

લિખિતંગ
દીપક ધોળકિયા

Great Soul: Mahatma Gandhi and His Struggle with India જોસેફ લેલિવેલ્ડને પત્ર (૧)

પ્રિય ભાઈ જોસેફ લેલિવેલ્ડ,
તમારૂં પુસ્તક Great Soul: Mahatma Gandhi and His Struggle with India વાંચ્યું . એમાંના કેટલાક ઉલ્લેખોને કારણે તમને સારીએવી પ્રસિદ્ધિ મળી. ગાંધી જેવા વ્યક્તિત્વની ચર્ચા કરવાથી લેખકને અને પબ્લિશરને લાભ થાય જ. એમાં પણ થોડીઘણી વિવાદાસ્પદ વાતનો ફેલાવો થાય, કુતુહલ પેદા થાય એટલે પુસ્તક વેચાય એ મોટો લાભ. (ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધી પણ આ લાલચમાંથી બચી ન શક્યા એટલે તમને માફ). તમારૂં પુસ્તક મેં પણ આવા જ કુતુહલને કારણે વાંચ્યું. બોલો, માત્ર ક્યાંકથી મેળવીને નથી વાંચ્યું. ખરીદ્‍યું પણ! ખરીદ્‍યા પછી ન વાંચું તો પણ તમારૂં શું જાય? મેં વાંચ્યું એમાં તમારો કઈં વાંક નથી. વાંચ્યું એટલે થયું કે એની ચર્ચા પણ કરવી જોઇએ.

તમારી ટૂંકી ભૂમિકા (Author’s Note) વાંચતાં એક વાત સમજાઈ ગઈ કે ૧૯૬૪-૬૫ સુધી તમને માત્ર ગાંધી નામનો પરિચય હતો. કઈંક જિજ્ઞાસા પણ હતી અને તમે દક્ષિણ આફ્રિકામાં એમનો આશ્રમ જોવા ગયા. તમે કબૂલ પણ કરો છો કે એ વખતે તમે માત્ર રિપોર્ટરની નજરે જોતા હતા; ગાંધી પુસ્તકનો વિષય બની શકે એમ તમને નહોતું લાગ્યું. એ તો તમે ભારતમાં રિપોર્ટર તરીકે આવ્યા અને જે કઈં ‘ન-ગાંધિયું’ જોયું એમાંથી ગાંધીમાં તમને રસ વધ્યો.

ધીમે ધીમે તમને ખબર પણ ન પડે એમ એ માણસ તમારા મન પર છવાઈ જવા લાગ્યો. એ માણસ આજે હયાત ન હોવા છતાં પણ આપણા મન પર છવાઈ જવા લાગે છે. આપણને થાય કે આઇંસ્ટાઇનની વાત સાચી છે કે “આગામી પેઢીઓ ભાગ્યે જ માનશે કે આવો કોઈ હાડચામનો માણસ ખરેખર આ પૃથ્વી પર હરતોફરતો હતો.

આમ તમે પણ એના ‘ભક્ત’ તો બની ગયા પણ તમે વેરભાવે ભજો છો. કહે છે કે ભગવાનની પ્રેમભાવે ભક્તિ કરવાથી સાત ભવે મુક્તિ મળે, પણ વેરભાવે ભક્તિ કરવાથી ત્રણ ભવમાં જ કામ થઈ જાય. એટલે તમે ગાંધીના દાવાઓને ગાંધીના શબ્દોમાં નથી સ્વીકારતા. એ જે કહે તેના પર તમને વિશ્વાસ નથી અને બીજા પુરાવા શોધો છો. મોટાભાગે તમને એની વિરુદ્ધના પુરાવા મળે છે. પરંતુ, છેલ્લી સ્થિતિ આ પુરાવાઓની વિરુદ્ધ જતી હોય છે, એનું અચરજ પણ તમને ઓછું નથી. જો કે, તમે એને ‘દંતકથા’ જેવું ગણીને છોડી દો છો. આમ છતાં, જે દંતકથા નથી, જે નર્યું અચરજ છે તે પ્રેમલક્ષણા ભક્તિમાં અને વૈરલક્ષણા ભક્તિમાં એકસમાન રહે છે; અને તમે ભૂમિકાના છેલ્લા વાક્યમાં એ અચરજ બહુ સારી રીતે વ્યક્ત કરી શક્યા છોઃ ” આ માણસ આજે પણ ભારતવાસીઓને – અને એક રીતે આપણને સૌને (એટલે કે દુનિયામાં સૌને) સહેલાઈથી છોડતો નથી!(Even now he doesn’t let Indians – and for that matter, rest of us – off easy).”

લેલિવેલ્ડભાઈ, તમે ‘લગે રહો મુન્નાભાઈ’ નહીં જ જોઈ હોય, એમાં પણ ગાંધી આજેય મગજમાં જે ‘કૅમિકલ લોચા’ પેદા કરે છે તે દેખાડ્યું છે. તમે પણ એ જ કહો છો! આમ, તમે વેરભાવે ભજતા હોવા છતાં તમારા આ છેલ્લા વાક્ય સાથે હું સંપૂર્ણ સંમત છું અને તમને અભિનંદન આપું છું.

પહેલાં તો ખોલો પુસ્તકના પહેલા ભાગ South Africaનું પહેલું પ્રકરણ prologue – એટલે કે કથાની પૂર્વભૂમિકા. શીર્ષક છેઃ An Unwelcome Visitor. અહીં તમે મોહન શી રીતે દક્ષિણ આફ્રિકા પહોંચ્યો એની ચર્ચા કરો છો. તમે મૂળ રિપોર્ટર છો, એટલે પહેલા જ ફકરામાં ગાંધીના આખ દક્ષિણ આફ્રિકી જીવનનાં સીમાચિહ્નો આંકી દીધાં છે અને એ માણસ શું હતો અને શું બની ગયો તે દર્શાવવા માટે તમે એક જ વાક્ય કહ્યું છે, જે તમને સારા લેખકની પંક્તિમાં મૂકી દે છેઃ None of that was part of the original job description. (આમાંથી કશું પણ કામના મૂળ વિવરણમાં નહોતું).ખરેખર જ ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં જે કર્યું તેના માટે એમને ત્યાં બોલાવ્યા નહોતા.

પરંતુ, તમે પહેલા જ ફકરામાં એક વાત જોડી દીધી છે કે “જેને આગળ જતાં ભારત પૂજવાનું હતું પણ જવલ્લે જ અનુસરવાનું હતું એ ગાંધી બનવાની વાટ એમણે બરાબર પકડી લીધી હતી.” આ ચર્ચાનો મુદ્દો અને તેમ છે. એ સાચું કે મોહનમાંથી મહાત્મા સુધી પહોંચવામાં દક્ષિણ આફ્રિકાનો મોટો ફાળો રહ્યો. એ પણ સાચું કે ભારતે એમની પૂજા કરી પરંતુ એમનું અનુસરણ પણ જવલ્લે જ કર્યું એ અર્ધસત્યથી વધારે નથી. ખરૂં જોતાં ભારતે એમનું અનુસરણ પોતાની શક્તિ અને સમજ પ્રમાણે કર્યું જ. તમે ભારત એટલે મોટા નેતા માનતા હો તો તમારી વાત સાચી ઠરે, પરંતુ ગાંધીએ જનમાનસનો એવો કબજો લઈ લીધો હતો કે એમ ન કહી શકાય કે ભારતે એમનું મોટા ભાગે અનુસરણ ન કર્યું. ચહેરા વિનાના માણસે તો અનુસરણ કર્યું જ પરંતુ કોણે કેટલું કર્યું તે તમે જાણી ન શક્યા.

ગાંધી-ચિંતન જીવનમાં ઉતારવાની વાત કરતા હો તો એમાં કચાશ રહી એ વાત સાચી છે, પરંતુ, એ તો તમારું puritanism (શુદ્ધિવાદ) છે, ધર્મને તો આપણે આવા શુદ્ધિવાદી વિધિ-નિષેધોથી અઘરો બનાવી દીધો છે, અને તમે પણ જનતાને એ જ શુદ્ધિવાદી દૃષ્ટિએ મૂલવો છો, આજ સુધી કઈ પ્રજાએ કયો આદર્શ પૂરેપૂરો પાળ્યો છે? અને ગાંધીએ વિશ્વવ્યાપી આદર્શ રજૂ કર્યો હોય તો એનું પાલન કરવાની જવાબદારી એકલા ભારતની જ છે?

ગાંધીની અંદર કોઈ ભારેલો અગ્નિ હતો? તમે ના કહો છો. દુનિયા માને છે કે પીટરમારિત્સબર્ગ સ્ટેશને નવયુવાન વકીલ મોહનદાસને ટ્રેનમાંથી ઉતારી મૂક્યો એ ઘટનાએ ચિનગારીનું કામ કર્યું. ગાંધીજી પોતે પણ આત્મકથામાં રેલવે સ્ટેશનના બનાવને એમના જીવનના નવા વળાંક તરીકે ઓળખાવે છે, પરંતુ તમે એમની સાથે પણ અસંમત થઈને એક બીજો જ પ્રસંગ ટાંકો છોઃ હજી તો એ અજાણી ભૂમિ પર ઊતર્યાને માંડ ચોવીસ કલાક પણ નહીં થયા હોય; ૨૩મી મે ૧૮૯૩ના રોજ ૨૩ વર્ષ, ૭ મહિના અને ૨૧ દિવસનો યુવાન બૅરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી ડર્બનમાં મૅજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર થાય છે. માથે કાઠિયાવાડી પાઘડી છે અને મૅજિસ્ટ્રેટ જૂએ છે કે આ નવોસવો હિન્દુસ્તાની છોકરડો પાઘડી ઉતારતો પણ નથી. આ તો કોર્ટનું અપમાન છે! એ નવા વકીલને પાઘડી ઉતારવા કહે છે. એ પાઘડી ઉતારવાને બદલે કોર્ટની બહાર ચાલ્યો જાય છે! બીજા દિવસે Natal Advertiser આ ઘટનાના સમાચાર આપે છે, એનું મથાળું છેઃ An Unwelcome Visitor. ગાંધી એનો જવાબ આપે છે અને દક્ષિણ આફ્રિકામાં આગમનના માત્ર ચોથા દિવસે એમનો પત્ર એ જ છાપામાં છપાય છે. પીટરમારિત્સબર્ગનો બનાવ તો તે પછી બે અઠવાડિયે બન્યો.

તમે કહો છો તે સાચું લાગે છે કે ગાંધીના સ્પિરિટને ચિનગારીની જરૂર નહોતી. એમનામાં એ તાકાત હાજર જ હતી. તમે પાઘડીવાળા પ્રસંગને મહત્વનો માનો છો તેની સાથે હું સંમત થાઉં છું. ખાસ કરીને તમે એ પણ દેખાડ્યું છે કે એ ઘટના અને તે પછી સિગરામવાળાના દુર્વ્યવહારના બનાવને ગાંધીજીએ છોડ્યો નહીં અને એમને સંતોષ થાય એ રીતે એમને એ જ સ્ટેશનેથી ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરવાની છૂટ મળી. આમ એમની સાથે પાછળથી ન્યાય થયો. આથી પાઘડીવાળા પ્રસંગને આટલું મહત્વ આપીને તમે એમના વ્યક્તિત્વને વધારે સારી રીતે ઉપસાવ્યું છે.

પરંતુ તમે સાયકો-ઍનેલિસ્ટ એરિક એરિકસનને ટાંકીને કહો છો કે ગાંધીની અંદર એક ‘શાશ્વત નકાર’ (Eternal Negative) હતો તેને પરદેશની ભૂમિ પર પાંગરવાની તક મળી. અનુમાન બહુ સારૂં છે, ગળે ઊતરતું નથી. તમે એરિક એરિકસનનો દાવો કેમ સાચો માની લીધો? આમ તો તમે ગાંધીજીની દરેક વાતને સો ગળણે ગાળતા હો છો, પણ એરિકસનના દાવાને તરત સ્વીકારી લો છો! આનાથી પહેલાં એમના જીવનમાં તમે આ નકાર કયા પ્રસંગમાં જોયો? વળી તમે ભૂલી ગયા કે તમે પહેલાં જ એ કહી ચૂક્યા છો કે લંડનમાં બૅરિસ્ટરીનું ભણવા ગયેલા ગાંધીમાં રાજકીય દૃષ્ટિકોણ નહોતો કેળવાયો. દક્ષિણ આફ્રિકા જતાં પહેલાં પણ એમની ચિંતા મુંબઇમાં મુખ્યત્વે વકીલાત જમાવવાની જ રહી. ગાંધીજીનો આ શાશ્વત નકાર નહોતો. એ એમની રચનાત્મક ઊર્જા હતી. અન્યાયનો વિરોધ કરતી વખતે પણ ગાંધીજીનું મુખ્ય લક્ષ્ય ખંડનાત્મકને બદલે મંડનાત્મક જ રહ્યું. ચાલો. કઈં વાંધો નહીં, તમારા આ અનુમાનમાંથી તમારી ગાંધી પ્રત્યેની વૈરલક્ષણા ભક્તિ જ પ્રગટ થાય છે, એ વાતની નોંધ લેશો.

તે સિવાય, આ prologue વાંચવા જેવો છે, એ વાતનો ઇન્કાર થઈ શકે એમ નથી. અહીં તમે ગાંધીજીની જે તસવીર રજૂ કરો છો તે ખરેખર એમના ઉદયકાળની તસવીર છે. તમે એ વાતની નોંધ લો છો કે પરદેશની ભૂમિ પર શરૂઆતના જ દિવસોમાં વિઘ્નોનો સામનો કરવો પડ્યો ત્યારે મોહનદાસ કરમચંદ ગાંધી ધ્યાનાકર્ષક વ્યક્તિત્વવાળી વ્યક્તિ તરીકે ઉપસે છે. મૃદુભાષી તો છે, પરંતુ બોલવામાં સંકોચ નથી કરતા. તમારું માનવું છે કે આ ગુણ એમને દીવાન પિતા પાસેથી મળ્યા હોવા જોઇએ. ગાંધીજીએ આ સમયમાં પોતે બહુ શરમાળ હતા એમ કહ્યું છે, પણ તમે માનો છો કે એ શરમાળપણું નહોતું; ઠરેલપણું હતું. તમારો મત છે કે શરૂઆતની કઠણાઇઓનો સામનૉ કરવામાં એમનું આ ઠરેલપણું કામ આવ્યું. અહીં ગાંધીજી કરતાં પણ તમારો કયાસ વધારે સાચો હોઈ શકે છે, કારણ કે ગાંધીજીને પોતાની વાત વધારીને કહેવાની ટેવ નહોતી અને એ પોતાને માટે કડક ધોરણો લાગુ કરતા.

યુવાન મોહનદાસને જાતિગત ભેદભાવના ઘણા અનુભવો થયા. એમણે ત્યાં પહોંચ્યાને માંડ ત્રણ મહિના થયા હતા ત્યારે જ પત્રો અને અખબારી લેખો દ્વારા વાંધો લેવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ લેલિવેલ્ડભાઈ, તમે કહો છો કે એમણે આ બાબતની ચર્ચા માટે પ્રિટોરિયામાં મીટિંગ બોલાવી એમાં કશું વળ્યું નહીં. તમે આનું કારણ આપો છો કે હજી એમનું સ્ટૅટસ એક જૂનિયર વકીલનું હતું અને હિન્દુસ્તાનીઓ હજી એમને નેતા માનવા તૈયાર નહોતા. બીજું મુંબઇમાં વકીલાતામાં નિષ્ફળ થયા પછી એમને આ તક મળી હતી. પત્ની-બાળકો પણ હજી દેશમાં જ હતાં. એમને પણ લાવવાનાં જ હતાં એટલે એમણે પણ સામાજિક કાર્યો સાથે બધા જ હિન્દુસ્તાનીઓના વકીલ તરીકે પોતાની પ્રૅક્ટિસ જમાવવા પર ધ્યાન આપવાનું હતું.

શરૂઆતમાં એમણે જે મુખ્ય વકીલને મદદ કરવાની હતી તે ઇવૅન્જલિકલ ખ્રિસ્તી હતા. મોહનદાસ એમને કેસ વિશે સમજાવે એના કરતાં તમારા શબ્દોમાં એમને “ગાંધીના આત્મામામ” વધારે રસ હતો! મોહનદાસે એમના દોસ્ત પોલાકનાં પત્ની મિલી પોલાકને પણ કહ્યું હતું કે એમને કોઈ ધર્મનું બંધન નથી (uncommitted). પરંતુ, તમે બીજા વિદ્વાનોનો હવાલો આપીને કહો છો કે ખરેખર તો ખ્રિસ્તી બનવાનું ટાળવા માતેની મથામણમાં એમને બે વર્ષ લાગી ગયાં હતાં. ટૂંકમાં તમારૂં કહેવું એમ છે કે એમને પોતાની વકીલાત શરૂ કરવામાં તેમ જ નૈતિક બાબતોમાં વધારે રસ હતો.

ગાંધીના વિકાસનાં સોપાન ગણાવતાં તમે એક વાતની નોંધ લીધી છે કે બધા જ ભારતીયો માટે જે રીતે ‘કૂલી’ શબ્દનો પ્રયોગ થતો હતો એ એમને ખૂંચતો હતો. ૧૮૬૦ના અરસામાં ભારતમાંથી કોન્ટ્રૅક્ટ પર મજૂરો લઈ જવાની શરૂઆત થઈ હતી. આ રીતે અસંખ્ય ભારતીય મજૂરો દક્ષિણ આફ્રિકા, મોરિશ્યસ, ફિજી અને વેસ્ટ ઇંડીઝ પહોંચ્યા હતા. આ કૉન્ટ્રૅક્ટ એટલે કે એગ્રીમેન્ટ અભણ મજૂરોની જીભે ચડીને ‘ગિરમીટ. બની ગયા અને એગ્રીમેન્ટ હેઠળ આવેલા મજૂરો ‘ગિરમીટિયા’ કહેવાતા. એ બધા મૂળ તો ખેતમજૂરો હતા અને શેરડીના પાક માટે એમને લઈ જવાતા. એમને કૂલી કહેતા. ધીમે ધીમે આ શબ્દ હિન્દુસ્તાની વેપારીઓ માટે પણ વપરાતો થયો. તમે કહો છો કે ગાંધીને કૂળી શબ્દ બધા માટે વપરાય તે સામે વાંધો હતો. એમણે ગિરમીટિયાઓ માટે કામ પણ નહોતું કર્યું અને ગાંધીજીને એ અરસામાં ગિરમીટીયાઓ માતે આ શબ્દ વપરાય તેમાં કઈં વાંધાજનક નહોતું લાગતું. તમે દેખડ્યું છે તેમ એ વખતે એ માત્ર હિન્દુસ્તાની વેપારીઓના પ્રવક્તા હતા. એમનું કહેવું હતું કે જે લોકો ્કોઈ એગ્રીમેન્ટ વિના પોતાના પૈસા ખર્ચીને આવ્યા હોય એમને બ્રિટિશ હકુમત હેઠળના બધા અધિકાર મળવા જોઇએ કારણ કે તેઓ ઇંગ્લૅંડની જ એક વસાહતમાંથી બીજી વસાહતમાં આવ્યા હતા. આમ પ્રારંભિક દિવસોમાં ગાંધીજીનું દૃષ્ટિબિંદુ સામાન્ય લોકો જેવું જ હતું. આમાં શી રીતે પરિવર્તનો આવતાં ગયાં એની ચર્ચા તમે હવે પછીના પ્રકરણમાં કરવાના છો. મઝા આવશે તમારો દૃષ્ટિકોણ સમજવામાં.

ભલે. લાંબું થયું છે એટલે હું પણ હવે પછીના પ્રકરણની ચર્ચા આવતા અઠવાડિયે કરીશ. દરમિયાન, તમને આ લખાણમાં કઈં કહેવા જેવું જણાય તો ગુજરાતી જાણનારા મિત્રોને કહેશો તો તેઓ તમારો અભિપ્રાય જરૂર મારા સુધી પહોંચાડી દેશે.

બાકી કુશળતા ઇચ્છું છું. ઘરમાં સૌને વંદન કહેશો.

લિખિતંગ
દીપક ધોળકિયા

%d bloggers like this: