Two events–related or not?

કેટલાંક દૃશ્યોનાં કજોડાંએ એક નવી કથા ઊભી કરી દીધી અને મગજમાં એક અર્થહીન વિચાર વંટોળ ઊમટ્યો જેની સાથે મને પોતાને સીધી કશી જ લેવાદેવા નથી. આમ છતાં એ દૃશ્યો મગજને કીડાની જેમ કોરતાં રહ્યાં.

આમ તો કંઈ જ નથી. મૈસૂરની પાસે કાવેરી, હેમાવતી અને લોકપાવની નદીઓનો સંગમ છે. આ ત્રિવેણી સંગમ અલ્હાબાદના ત્રિવેણી સંગમ જેવો જાજરમાન નથી. લોકોમાં એની ચર્ચા પણ નથી. સંગમને નામે ભીડ પણ એકઠી નથી થતી. ટૂંકમાં બધું ‘રાબેતા મુજબ’ ચાલે છે. અહીં કાવેરી અને હેમાવતી પહેલેથી જ સાથે મળીને આવે છે અને ત્રીજી લોકપાવની એને મળે છે. ત્રણેય નદીઓ અહીં તો તદ્દન શાંત અને નાના વહેળા જેવી છે. ખાસ પહોળી, અહોભાવ જગાવે એવી પણ નથી. માહૌલ એવો કે કોઈ નાની ઘટના જ કદાચ અહીં બની શકે અને આ બસ, નાની ઘટના જ છે.

આ ઘાટ ખરેખર તો અસ્થિવિસર્જનનો ઘાટ છે. એક જગ્યાએ પૂજા ચાલે છે. એક પુરુષે મુંડન કરાવેલું છે. દક્ષિણ ભારતીય શૈલીમાં ધોતી વીંટેલી છે, ઉપર શરીર ખુલ્લું છે. પુરોહિત પિંડોની પૂજા કરાવે છે, એક છોકરી પણ છે. સ્લેક્સ કહેવાય કે શું, એવું પહેરેલું છે. અને ટૉપ. હાથ જોડીને ઊભી છે. બે જ વ્યક્તિ. ત્રીજો પુરોહિત. ત્રણેય નદીનાં પાણીમાં ડૂબેલા પગથિયા પર છે અને ચોથો હું…એક દર્શક. એમનાથી વીસેક ફૂટ દૂર અને ઊંચે.

પૂજા પૂરી થઈ હતી. પિંડ રાખ્યા હતા તે ભીની થઈ ગયેલી પતરાવળી એમણે બન્નેએ પુરોહિતની મદદથી સંભાળીને ઉપાડી અને પગથિયાં ચડીને બન્ને ઉપર ગયાં. એક ઝાડ નીચે પિંડ રાખ્યા. કદાચ ગૌમાતા આવીને ખાઈ જશે. મનમાં થયું કે આમ કેમ? માત્ર બે જ જણ? કોનું મૃત્યુ થયું હશે? કુટુંબમાં બીજું કોઈ નહીં હોય? મૃતક પુરુષ હતો કે સ્ત્રી? એ જો આ પુરુષની પત્ની હોય તો શું આ છોકરીની એ માતા હોવી જોઈએ? મૃતક સ્ત્રી જ હોય તો એની ઉંમર પણ પચાસથી વધારે ન જ હોવી જોઈએ, કારણ કે પુરુષની ઉંમર પણ લગભગ એવી જ લાગતી હતી. મૃત્યુ જેવી ઘટનાના અંતિમ સાથી માત્ર બે જ જણ? એક આંચકો લાગ્યો. સંબંધોનાં વિવિધ રૂપો સામે આવી ગયાં. પરંતુ આ ઘડીએ પિતાપુત્રી એકલાં હોય એમાં મને એવું લાગ્યું કે એમાત્ર એકલાં નથી, એકલવાયાં પણ છે.

હું વિચારોને બીજે વાળવા પ્રયત્ન કરતો રહ્યો છું પણ આંખ સામેથી અર્ધા ખુલ્લા શરીરવાળા પુરુષની અને એની સાથેની સ્લેક્સ અને ટૉપ પહેરેલી છોકરી હટવાનું નામ નથી લેતાં.

કંઈક એવો જ ખાલીપો બાળકોને મઝા આવે એવા રેલવે મ્યૂઝિયમમાં સવારે અનુભવ્યો હતો. બન્ને બાળકો હીંચકા પાસે ગયાં ત્યારે બે-ત્રણમાંથી એક હીંચકો એકલો એકલો આમતેમ ઝૂલતો હતો. ઝુલતો જ રહ્યો. કોણ બેઠું હશે અને કોણ ઊઠી ગયું હશે, ખબર નહીં. મેં મશ્કરીમાં કહ્યું કે આ હીંચકા પર ભૂત ઝૂલે છે. પછી ખરેખર જ મારા મનમાં વિચિત્ર ભાવ જાગ્યા. જાણે ભરપૂર જીવન મૂકીને કોઈ અચાનક નેપથ્યમાં સરકી ગયું હોય. બસ, એ જ સાંજે કાવેરી-હેમાવતી-લોકપાવનીના સંગમ પર જાણે મને જવાબ મળ્યો કે હીંચકો ઝૂલતો મૂકીને જનારનો પતિ અને પુત્રી આ જ છે. જનારનો હીંચકો તો ઝૂલ્યા જ કરે છે! કેટલા દિવસ થયા હશે? બાર દિવસ તો ખરા જ?

બન્ને દૃશ્યો વચ્ચે કશો જ સંબંધ નથી. એ દૃશ્યો વચ્ચે ચાર કલાકનો સમયગાળો છે અને ત્રણેક કિલોમીટરનું અંતર છે. કદાચ ઝૂલતો હીંચકો મનમાંથી ખસ્યો નહીં હોય? એવું નથી કે કદી મૃત્યુ જોયાં નથી કે કદી શ્મશાને જવાનું બન્યું નથી. ઉલટું ગણતાં થાકી જવાય એટલી વાર બન્યું છે. ઘણાંય મૃત્યુ ઓચિંતાં જ થયાં છે. પણ “શું થયું” એ પૂછી શકાયું છે, અથવા એ પૂછ્યા વગર જ ખબર હોય છે. શોક વ્યક્ત કરી શકાયો છે. નિગમબોધ ઘાટ જેવાં શ્મશાને પહોંચો તો કેટલીયે ચિતાઓ ભડકે બળતી હોય અને તમે “એ માત્ર આગ છે” એવા ભાવ સાથે કોઈ એવી ચિતા શોધતા હો કે જ્યાં તમારા ઓળખીતા ચહેરા દેખાય – ત્યારે ખરેખર તો મનમાં આનંદ થાય કે ચાલો સાચી જગ્યાએ પહોંચી ગયા!

પણ આવું મૃત્યુ? જેને દિલાસો આપવાનો હોય તેમના સિવાય કોઈ જ ન હોય? બહુ ઓછાં મૃત્યુ છે કે જે મને અંદર સુધી અડકી શક્યાં છે. મૃતકના શરીરનું તો કંઈ કામ ન હોય એટલે નિકાલ કરવાનો જ હોય. એ મને હંમેશાં સ્વાભાવિક લાગ્યું છે. એમાં લાગણીઓ જોડવાથી પર રહ્યો છું.

જીવનમાં બનેલી કેટલીયે ઘટનાઓના સંબંધ આપણે જોડીએ છીએ. કેટલીયે ઇચ્છેલી, પણ ન બનેલી, ઘટનાઓનો વિચાર કર્યો છે. એમ પણ વિચાર્યું છે કે અમુક ઘટના ન બની તે બની હોત તો? આમ છતાં દરેક ઘટનાનો અંત આવે છે. આપણે પણ કદાચ એક ઘટનાથી વધારે કંઈ નથી. આપણે દરેક ઘટના સાથે આપણી જાતને જોડી દઈએ છીએ.

બસ, એવું જ કંઈક થયું. બે આકસ્મિક ઘટનાઓ સાથે મેં મારી જાતને જોડી દીધી. આ લખવાની ત્રીજી ઘટના સર્જીને કદાચ એની પકડમાંથી છૂટી શકું. કદાચ લખવાનું પણ બંધ કરું. તો પણ શું ‘મારી બારી’નો આ હીંચકો ઝૂલતો જ રહેશે? કિચૂડ…કિચૂડ…કિચૂડ…

India’s Independence–events that took place before 70 years

આ અઠવાડિયું ભારતના ઇતિહાસમાં લોહીના અક્ષરે લખાયેલું છે. સિત્તેર વર્ષ પહેલાં ૧૯૪૭ની ત્રીજી જૂને ભારતના છેલ્લા વાઇસરૉય લૉર્ડ માઉંટબૅટને ભારતના ભાગલાની યોજના જાહેર કરી. આ પહેલાં બ્રિટનના વડા પ્રધાન ઍટલીએ ૨૦મી ફેબ્રુઆરીએ બે મહત્ત્વની જાહેરાત કરી દીધી હતીઃ

. જૂન ૧૯૪૮થી પહેલાં બ્રિટિશ ઇંડિયામાં સૌથી મોટા ભારતીય પક્ષના હાથમાં સંપૂર્ણ સત્તા સોંપી દેશે.

. દેશી રજવાડાંનું શું કરવું તેનો નિર્ણય સત્તાસોંપણીની પાકી તારીખ નક્કી થયા પછી કરાશે.

પરંતુ વાઇસરૉય લૉર્ડ વૅવલ આ નિર્ણયો બરાબર લાગુ કરતા નહોતા એમ બ્રિટન સરકારને લાગ્યું તે પછી ૨૨મી માર્ચે માઉંટબૅટનની વાઇસરૉય તરીકે નીમણૂક કરવાની જાહેરાત કરવામાં આવી. દેશી રજવાડાં પર બ્રિટનની સર્વોપરિતા હતી. અને ફેબ્રુઆરી ૧૯૪૭ સુધી બ્રિટનમાં બે મત હતા. એક મત એવો હતો કે રજવાડાંઓ પર આ આધિપત્ય ચાલુ રાખવું. રજવાડાંને બ્રિટનની સર્વોપરિતા ચાલુ રહે અને પોતે સ્વતંત્ર સત્તા તરીકે ચાલુ રહે તેમાં ખાસ વાંધો પણ નહોતો.

અંતે જો કે બ્રિટને સંપૂર્ણપણે સર્વોપરિતા પણ છોડવાનો જ નિર્ણય કર્યો, કારણ કે અમુક મોટાં રાજ્યોને બાદ કરતાં કુલ મળીને ૬૦૦ જેટલાં રાજ્યો હતાં, જેમાંથી અમુક રાજ્ય એટલે પચીસ-પચાસ ગામ જ હતાં. બ્રિટિશ સરકારને લાગ્યું કે બ્રિટિશ ઇંડિયા ન રહ્યું હોય તે સંજોગોમાં એમના વહીવટ પર દૂરથી અંતિમ નિયંત્રણ રાખવાનું સહેલું નથી. વળી કદાચ સેના પણ રાખવી પડે, જે વહેવારુ નહોતું. એટલે સર્વોપરિતા હટાવી લઈને દેશી રજવાડાંઓ પર છોડ્યું કે સ્વતંત્ર રહેવું, ભારતમાં ભળવું કે પાકિસ્તાનમાં – તે પોતે જ નક્કી કરે. પરિણામે, ભારત આઝાદ થયું તે સાથે જ, પણ અલગ રીતે, આ રજવાડાં પણ સાર્વભૌમ, સર્વોપરિ બન્યાં, જે ભારતના ઇતિહાસમાં કદાચ અશોક અને અકબરના શાસનથી માંડીને કેટલીયે સદીઓમાં પહેલી વાર બન્યું. જો કે, અકબર કે ઔરંગઝેબના શાસન વખતે પણ ઘણાં રજવાડાં એમના હસ્તક નહોતાં અને એમને લડાઈઓ કરવી પડતી હતી. સંપૂર્ણ સર્વોપરિતા તો અંગ્રેજો જ સ્થાપી શક્યા હતા.

પરંતુ ઍટલીની જાહેરાતનો પહેલો મુદ્દો ખૂબ મહત્ત્વનો હતો. બ્રિટન આઝાદી આપવા તૈયાર હતું પરંતુ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ, એ બે દાવેદારોમાંથી કોના હાથમાં સત્તા સોંપવી? એક જ રસ્તો હતો કે બન્ને સંપી જાય અને સંયુક્ત સરકાર બનાવે. કોંગ્રેસે તો માઉંટબૅટનના આગમન પહેલાં જ કોંગ્રેસ વર્કિંગ કમિટીનો ઠરાવ આઠમી માર્ચે જ સરકારને મોકલી આપ્યો હતો. કોંગ્રેસની ધારણા હતી કે ઍટલીની જાહેરાત પછી કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સમજુતી થાય અને સંયુક્ત સરાકાર બને તે શલ્ય નહોતું. વળી, એને એ પણ ભય હતો કે બંગાળ અને પંજાબ આખાં ને આખાં કોઈ એક ભાગમાં જશે અથવા એમને સ્વતંત્ર બનાવી દેવાશે. જાન્યુઆરીમાં પંજાબમાં ખીઝર હયાત ખાન તિવાનાની યુનિયનિસ્ટ પાર્ટીની સરકારને ઉથલાવી પાડવાનો મુસ્લિમ લીગે પ્રયાસ કર્યો હતો, પરિણામે ત્યાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં.

કોંગ્રેસનો ઠરાવ વાઇસરૉયને મોકલતાં જવાહરલાલ નહેરુએ આ બનાવો તરફ ઇશારો કરતાં લખ્યું કે પંજાબમાં હાલમાં બનેલા બનાવો પછી એના ભાગલા કરવાનું જરૂરી છે અને એ જ વાત બંગાળને લાગુ પડે છે, કારણ કે કોઈને પણ પરાણે બીજાના અંકુશ હેઠળ મૂકવાનું સારું નથી. નહેરુએ કહ્યું કે જે સેન્ટ્રલ ગવર્નમેન્ટ બને તેના હાથમાં સંપૂર્ણ સત્તા હોવી જોઈએ અને એ આખા દેશની કૅબિનેટ હોય.

માઉંટબૅટને ભારત આવીને કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓ સાથે વાટાઘાટો શરૂ કરી દીધી. એમને કોંગ્રેસના અભિપ્રાયની ખબર હતી. સરદાર વલ્લભભાઈ અને નહેરુ પંજાબ અને બંગાળના ભાગલાની શરતે પાકિસ્તાનની માગણી સ્વીકારવા તૈયાર હતા, પણ મૌલાના આઝાદને એમ હતું કે માઉંટબૅટન થોડી સૂઝ વાપારીને જિન્ના સાથે વાત કરે અને એમનો અહં સંતોષે તો ભાગલા ટાળી શકાય. ૧૩મી માર્ચે ગાંધીજીએ પટનામાં જાહેરમાં બોલતાં ભાગલાનો વિરોધ કર્યો હતો.

ભાગલા થાય તો નાણાકીય વ્યવસ્થા, લશ્કરનું વિભાજન વગેરે ઘણી વાઅતોનો પણ નિકાલ લાવવાનો હતો. એટલે માઉંટબૅટન સૌથી પહેલાં વચગાળાની સરકારના નાણા પ્રધાન અને મુસ્લિમ લીગના નેતા નવાબઝાદા લિયાકત અલી ખાનને મળ્યા. લિયાકત અલીએ ભારે કરવેરા નાખીને વચગાળાની સરકારને લોકોમાં અપ્રિય બનાવી દીધી હતી, નહેરુ ભારે કરવેરાના સખત વિરોધી હતા. લિયાકતે માઉંટબૅટનને કહ્યું કે હિન્દુ કોંગ્રેસ સાથે રહી શકાય એમ નથી એટલે ભાગલા કરવા જ પડશે. એમણે ત્યાં સુધી કહ્યું કે કોંગ્રેસ સાથે સત્તામાં ભાગીદાર બનવા કરતાં જો સિંધના રણમાં પાકિસ્તાન બનાવાશે તો પણ લીગ એ પસંદ કરશે.

૩૧મી માર્ચથી ૪ ઍપ્રિલ વચ્ચે માઉંટબૅટને ગાંધીજી સાથે કુલ દસ કલાક વાત કરી. ગાંધીજીએ એમાં ભાગલાનો વિરોધ કર્યો અને સૂચવ્યું કે જિન્નાને પ્રીમિયર બનાવી દેવા અને કોંગ્રેસ એમાં સહકાર આપે, માત્ર જિન્નાની કૅબિનેટ જે નિર્ણય લે તે દેશના બધા નાગરિકોના હિતમાં હોય તે જોવાની જવાબદારી માઉંટબૅટન પોતે સંભાળે. વાઇસરૉય ડઘાઈ ગયા. એમણે પૂછ્યું કે જિન્ના આ સૂચન માનશે? ગાંધીજીએ કહ્યું કે હું શુદ્ધ નિયતથી આ કહું છું. મૌલાના આઝાદ કહેતા હતા તેમ આમાં જિન્નાનો અહં સંતોષાતો હતો અને એ માની પણ જાય.

જો કે ગાંધીજી સાથે માઉંટબૅટનની વાતચીત ચાલતી જ હતી તે દરમિયાન નહેરુ પહેલી ઍપ્રિલે વાઇસરૉયને મળ્યા અને કોંગ્રેસની ભાગલાની માગણી દોહરાવી. તે પછી ગાંધીજીએ વાઇસરૉયને લખી નાખ્યું કે હું કોંગ્રેસને મારી વાત સમજાવી શક્યો નથી અને આ વાતચીતમાંથી ખસી જાઉં છું.

ગાંધીજી પછી પાંચમી અને છઠ્ઠી ઍપ્રિલે માઉંટબૅટને જિન્નાને નોતર્યા. માઉંટબૅટનને લાગ્યું કે જિન્ના ‘ઠંડા, ઘમંડી અને ઘૃણાથી ભરેલા’ લાગ્યા. પાંચમીની સાંજે લૉર્ડ અને લેડી માઉંટબૅટન સાથી બાગમાં ફોટો પડાવતાં જિન્નાએ લેડી માઉંટબૅટન પાસે ગોઠવાતાં ટકોર કરી કે “બે કાંટા વચ્ચે એક ફૂલ”! આમાંથી એમના અને માઉંટબૅટનના સંબંધોની ગુણવત્તા દેખાય છે, બીજા દિવસે વાઇસરૉયે જિન્ના અને એમનાં બહેનને ડિનર માટે બોલાવ્યાં ત્યારે જિન્નાએ કહ્યું કે કોંગ્રેસ પાકિસ્તાન ન આપવું પડે તે માટે કંઈ પણ કરશે. એમણે મુસલમાનો પર હિંદુઓના અત્યાચારોનું ભયાવહ ચિત્ર રજૂ કરીને પાકિસ્તાનની માગણી પર ભાર મૂક્યો.

જિન્ના સાતમી અને આઠમી ઍપ્રિલે પણ વાઇસરૉયને મળ્યા. બીજા દિવસની મુલાકાતમાં માઉંટબૅટને એમને પૂછ્યું કે “તમે મારી જગ્યાએ હો તો શું કરો?” જિન્નાએ ક્ષણના વિલંબ વિના જવાબ આપ્યો કે “હું પાકિસ્તાનની માગણી સ્વીકારી લઉં અને લશ્કરનું પણ વિભાજન કરું”, માઉંટબૅટને પૂછ્યું કે “જે સિદ્ધાંત પ્રમાણે પાકિસ્તાન બનાવીએ તે જ સિદ્ધાંત પંજાબ અને બંગાળને પણ લાગુ પડે?” જિન્ના માટે આ અણધાર્યો સવાલ હતો. એમણે તરત ના પાડી કે આ બન્ને પ્રાંતો પોતાને પંજાબી કે બંગાળી તરીકે ઓળખાવે છે અને એમની રાષ્ટ્રીય એકતા તોડી પાડવાથી કંઈ લાભ નહીં થાય.

માઉંટબૅટન સમજી ગયા કે પાકિસ્તાન આપવું પડશે, કારણ કે મુસ્લિમ લીગમાં જિન્ના જે કહેશે તે જ થશે. બીજી બાજુ, ગાંધીજી પાસે અપ્રતિમ તાકાત હતી પણ જાતે જ પોતાને કોઈના પ્રતિનિધિ નહોતા માનતા. બીજી બાજુ કોંગ્રેસે પંજાબ અને બંગાળને પણ એ જ સિદ્ધાંત લાગુ પાડવાની શરતે પાકિસ્તાનની માગણી સ્વીકારી લીધી હતી.

જિન્નાએ પણ પાછા જઈને વિચાર કર્યો. આ પહેલાં ૧૯૪૬માં કેબિનેટ મિશને પંજાબ અને બંગાળને અવિભાજિત રાખવાનું સૂચવ્યું હતું અને કયા ફેડરેશનમાં (પાકિસ્તાનના ફેડરેશનમાં કે ભારતના ફેડરેશનમાં તેનો નિર્ણય પ્રાંતો પર છોડ્યો હતો. આમાં દેશના ભાગલા કર્યા વિના બે સ્વતંત્ર ફેડરેશનની વ્યવસ્થા હતી, જિન્ના એ નકારી ચૂક્યા હતા. હવે પંજાબ અને બંગાળ આખાં મળે એવી શક્યતા ન રહી. આથી એમણે આસામના પણ ભાગલા કરવાનું સૂચન કર્યું. વાઇસરૉયે નહેરુનો અભિપ્રાય માગ્યો તો એમણે તરત હા પાડી દીધી. લિયાકત અલી ખાને પણ કહ્યું કે પ્રાંતના ભાગલા કરવાનો સિદ્ધાંત સ્વીકારી લીધા પછી આસામના ભાગલાનો ઇનકાર કરી શકાય એમ નથી.

જૂનની બીજી તારીખે કોંગ્રેસ, મુસ્લિમ લીગના નેતાઓ અને શીખ પ્રતિનિધિ બલદેવ સિંઘ વાઇસરૉયને મળ્યા. બલદેવ સિંઘ પંજાબના ભાગલા કરવાની દરખાતને કારણે ગુસ્સામાં હતા. વાઇસરૉયે કહ્યું કે મુસ્લિમ બહુમતી અને બિનમુસ્લિમ બહુમતીના ધોરણે ભાગલા પાડવાના હોય તો પંજાબના ભાગલા પાડવા જ પડે. એમણે સૌ નેતાને એક મુસદ્દો આપ્યો. નહેરુ અને સરદારે એના માટે સંમતિ આપી દીધી, પણ જિન્નાએ કહ્યું કે એ પોતે લીગને પૂછ્યા વિના કંઈ ન કરી શકે, લોકો જ અમારા માલિક છે. વાઇસરૉયે એમને સમય આપ્યો. રાતે ૧૧ વાગ્યે જિન્ના વાઇસરૉયને મળ્યા અને કહ્યું કે લીગ આ દરખાસ્ત માની લેશે એવી આશા છે!

જિન્ના ફરી ૩ તારીખની સવારે મળ્યા. ત્યારે માઉંટબૅટન લખે છે તેમ એમણે જિન્નાને કહ્યું કે “તમે મુસ્લિમ લીગ વતી નહીં સ્વીકારો તો હું એમના વતી બોલીશ…મારી શરત એક જ છે, અને તે એ કે હું સવારે મીટિંગમાં કહું કે ‘શ્રી જિન્નાએ મને ખાતરી આપી છે અને મને એનાથી સંતોષ છે’ ત્યારે તમે મારી વાતને ખોટી નહીં પાડો અને હું તમારી સામે જોઉં ત્યારે તમે માથું હલાવશો…”

૩ જૂન ૧૯૪૭ના માઉંટબૅટને નેતાઓની પરિષદમાંપોતાની યોજના જાહેર કરી. કોંગ્રેસની અને શીખોની તો લેખિત સંમતિ મળી ગઈ હતી. મુસ્લિમ લીગ વતી બોલતાં માઉંટબૅટને જિન્ના સામે જોયું અને જિન્નાએ માથું હલાવ્યું…!

આ યોજના ‘માઉંટબૅટન પ્લાન’ તરીકે ઓળખાય છે. એના મુખ્ય સિદ્ધાંતો હતાઃ

૧. દેશના ભાગલાના સિદ્ધાંતનો બ્રિટિશ સરકાર દ્વારા સ્વીકાર.

૨. અનુગામી સરકારોને ડોમિનિયન સ્ટેટનો દરજ્જો.

૩. બ્રિટિશ કૉમનવેલ્થમાંથી નીકળી જવાનો અધિકાર.

વાઇસરૉયે રેડિયો બ્રોડકાસ્ટમાં આખી યોજના વિગતે રજૂ કરી. તે પછી નહેરુ બોલ્યા, એમણે આ નિર્ણયને અણગમતો, પણ અનિવાર્ય, ગણાવ્યો. નહેરુ પછી જિન્ના બોલ્યા. એમણે આ કહ્યું કે આ પ્લાન આપણી ઇચ્છા મુજબનો નથી પણ સમાધાનના રસ્તા જેવો માનીને એ સ્વીકારવો કે નહીં તે હવે આપણે વિચારવાનું છે.

માઉંટબૅટન પ્લાન પર બ્રિટનના માર્ક્સવાદી નેતા રજની પાલ્મે દત્તની ટિપ્પણી હતીઃ

“માઉંટબૅટન પ્લાનનું કેન્દ્રીય નવું લક્ષણ દેશના ભાગલા છે. બ્રિટિશ હકુમતની મુખ્ય બડાશ તો એ હતી કે એણે દેશને એક કર્યો. બ્રિટિશ શાસનની બે સદીઓ પછી, જે દેશ બે હજાર વર્ષ પહેલં અશોક હેઠળ અને ફરી સાડાત્રણ સૈકા પહેલાં અકબર હેઠળ એક થયો હતો તે ફરી વિસંવાદી ટુકડાઓમાં વિભાજિત થઈ ગયો છે…બધાં જવાબદાર વર્તુળો એટલા જોરથી ભાગલાને વિનાશક માને છે કે દરેક એનો દોષ બીજાને માથે મઢવાની કોશિશ કરે છે…(ભાગલા) ભારત માટે મહા દૂષણ છે. એ કાયમી ઉકેલ નથી, ઉલ્ટું એમાં ઝઘડાનાં બીજ છે. મુસ્લિમ લીગે ‘કપાયેલું’ પાકિસ્તાન માત્ર એ જ કારણે સ્વીકાર્યું છે કે એ પોતાની સરહદો વિસ્તારવા માટે લડાઈ ચાલુ રાખી શકે. કોંગ્રેસ સંયુક્ત સાર્વભૌમ લોકશાહી પ્રજાસતાકના ધ્યેયને વરેલી છે.”

સંદર્ભ લિંક્સઃ

૧. શોધગંગા

૨.રજની પાલ્મે દત્ત

૩. ‘Creating a New Medina’ by Venkat Dhulipala ( આપુસ્તક અહીંથી મફત ડાઉનલોડ કરી શકાશે).

Science Samachar : Episode 14

. સ્તનના કૅન્સરમાં બીજી શસ્ત્રક્રિયાની જરૂર નહીં રહે!

કૅલિફોર્નિયા ઇંસ્ટીટ્યૂટ ઑફ ટેકનોલૉજી (Caltech)ના પ્રોફેસર લિહોંગ વાંગે સ્તનના કૅન્સરની બધી જ ગાંઠો એકી સાથી કાઢી શકાય તે માટે નવી ઇમેજિંગ ટેકનોલૉજી વિકસાવી છે. સામાન્ય રીતે સ્તનના કૅન્સરમાં એક જ સર્જરીમાં બધી ગાંઠો કાઢી શકાતી નથી. જે દર વર્ષે ૬૦થી ૭૫ ટકા દરદીઓને બીજી વાર શસ્ત્રક્રિયા કરાવવી પડે છે.

આથી, મોટા ભાગે તો આખું સ્તન કાઢી નાખવાની સર્જરી (Mastectomy) કરાતી હોય છે. પરંતુ સ્તનને બચાવી રાખવાની રીતમાં માત્ર કૅન્સરવાળી ગાંઠ કાઢવાની શસ્ત્રક્રિયા (Lumpectomy) કરાય છે. પરંતુ, એમાં જે પેશીઓ કાઢવામાં આવે છે તે લૅબમાં મોકલાય છે જ્યાં એની પાતળી સ્લાઇસ કરે નખાય છે. ગાંઠ એની સપાટી પર જોવા મળે તો સર્જ્યને ગાંઠને વચ્ચેથી તો કાઢી નાખી પણ આસપાસ હજી કૅન્સર બાકી રહ્યું છે. નવી ઇમેજિંગ ટેકનિકથી પહેલી સર્જરી પછી તરત જોઈ શકાશે કે કૅન્સર બાકી રહ્યું છે કે કેમ. એની મદદથી સર્જ્યન એકીસાથે બધી ગાંઠો કાઢી શકશે અને દરદીને બીજી શસ્ત્રક્રિયાની લાચારીમાંથી મુક્તિ મળશે. આમ સ્તનના કૅન્સરનો ઇલાજ વધારે સસ્તો પણ થશે.

સંદર્ભઃ અહીં

. અવકાશયાત્રીઓની શારીરિક ક્ષમતા ઘટી જાય છે?

કૅન્સાસ યુનિવર્સિટીએ અવકાશયાત્રીઓ પાછા આવે તે પછી એમના પર અવકાશમાં રહેવાની શી અસર થઈ તે જાણવા અભ્યાસ હાથ ધર્યો તો જાણવા મળ્યું કે અવકાશયાત્રીઓના શરીરમાં ઑક્સીજનના ભ્રમણની ગતિ ઓછી થઈ જાય છે એટલે ઑક્સીજન ઓછો શોષાય છે, પરિણામે એમની શારીરિક ક્ષમતા ઘટી જાય છે. યુનિવર્સિટીના એક્સરસાઇઝ થૅરપીના આસિસ્ટન્ટ પ્રોફેસર કાર્લ ઍડ અને એમના સાથીઓએ જ્‍હૉનસન સ્પેસ સેંટર સાથે સહયોગ કરીને છા મહિના કે તેથી વધારે સમયની અવકાશયાત્રાએથી પાછા ફરેલા નવ સ્ત્રીપુરુષ અવકાશયાત્રીઓ વિશેની માહિતીનો અભ્યાસ કર્યો.

અવકાશયાત્રીઓ ઇંટરનૅશનલ સ્પેસ સ્ટેશન પર જતાં પહેલાં ખાસ કરીને સાઇક્લિંગની કવાયત કરતા હોય છે. એમાં કેટલો ઑક્સીજન શરીરમાં શોષાય છે, હિમોગ્લોબિનનું સ્તર શું રહે છે, સ્નાયુને કેટલો ઑક્સીજન મળે છે વગેરે રેકૉર્ડ તપાસ્યાં. અવકાશયાત્રાએથી પાછા ફર્યા બાદ બે દિવસની અંદર ફરી સાઇક્લિંગની એક્સરસાઇઝ કરાવતાં જોવા મળ્યું કે શરીર ૩૦થી ૫૦ ટકા ઓછો ઑક્સીજન લે છે. આથી એમની શારીરિક ક્ષમતા પણ ઘટી જાય છે.

આ પ્રયોગ ભવિષ્યના અવકાશયાત્રીઓની શારીરિક ક્ષમતા ટકાવી રાખવાના ઉપાયો શોધવામાં મદદ કરશે.

સંદર્ભઃ અહીં

. ટીબીના બૅક્ટેરિયાને મારી નાખવાની નવી રીત

ટીબીના બૅક્ટેરિયાનો જલદી ખાતમો બોલાવી દેવામાં ભારતીય વૈજ્ઞાનિકોને સફળતા મળી છે. દિલ્હીની JNUના સેંટર ફૉર મોલેક્યૂલર મૅડિસીનના યુવાન સંશોધકોએ શાલ વૃક્ષ (સાગ કે રાળનું વૃક્ષ)નાં પાંદડાંમાંથી એમણે એક બેર્જેનિન નામનું ફીટોકૅમિકલ સંયોજન છૂટું પાડીને ઉંદર પર પ્રયોગ કર્યો. આ સંયોજન એમણે ૬૦ દિવસ સુધી ઉંદરને આપ્યું તો જોવા મળ્યું કે એના ફેફસામાં લાગુ પડેલાં બૅક્ટેરિયા સોગણી ઝડપે નાબૂદ થઈ ગયાં. સામાન્ય રીતે જે ઍન્ટીબાયોટિક તે જીવાણુને મારી નાખે છે પણ સાગમાંથી મળેલું બેર્જેનિન ઇમ્યૂન સિસ્ટમને એક પ્રકારના શ્વેતકણમૅક્રો ફેજની અંદરનાં બેક્ટેરિયાને મારવા માટે પ્રોત્સાહિત કરે છે.

Frontiers in Cellular and Infection Microbiology નામના સામયિકમાં એમનો લેખ છપાયો છે. સંશોધક ટીમના નેતા ગોવર્ધન દાસ કહે છે કે ટીબીનાં બૅક્ટેરિયા દવાનો સામનો કરવાની શક્તિ કેળવી લે છે, પણ શાલ વૃક્ષનું બેર્જેનિન ઇમ્યૂન સિસ્ટમ પર કામ કરે છે, એટલે ટીબીના ઇલાજ તરીકે એ વધારે સફળ રહી શકે છે. સંશોધકોએ પહેલાં તો આ સંયોજનનો ઉપયોગ કરીને બૅક્ટેરિયા પર સીધો હુમલો કર્યો, પરંતુ એમના પર કશી અસર ન થઈ પણ જ્યારે ઇમ્યૂન સિસ્ટમ પર એનો પ્રયોગ કર્યો ત્યારે ઇમ્યૂન સિસ્ટમ સક્રિય બની ગઈ અને બેક્ટેરિયાને મારી નાખ્યાં.

સંદર્ભઃ અહીં

. આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની આકૃતિમાં સંશોધકોએ ઉત્સુકતા ઉમેરી!

અમેરિકાના બર્કલી રાજ્યમાં યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયાના સંશોધકો દીપક પાઠક, પુલકિત અગ્રવાલ, એલેક્સેઇ એફ્રોસ અને ટ્રેવર ડૅલરે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના એક એજન્ટમાં (આકૃતિમાં) ઉત્સુકતાનું ઘટક ઉમેરીને AIને માનવ બાળકની વધુ નજીક લાવવામાં સફળતા મેળવી છે. એમણે એક AIમાં ઉત્સુકતાનું તત્ત્વ ઉમેર્યું અને સુપર મારિયો અને વિઝ્ડૂમની ગેમ્સ શિખવાડી. જેમાં ઉત્સુકતા ઉમેરી હતી તે એજન્ટે તો જાતે શીખીને કામ પાર પાડી લીધું પણ જેનાં ઉત્સુકતા નહોતી ઉમેરી તે એજન્ટ દિવાલ સાથે માથું પછાડતો રહ્યો. એ જ રીતે વિઝ્ડૂમમાં પણ નવું શીખવા માટેઉત્સુકએજન્ટે જાતે જ રસ્તો શોધી લીધો.

આ વીડિયો જૂઓઃ

આમ AI વિચારીને પોતાનું કામ કરતો થઈ ગયો. આપણા માટે આ સારું છે?

સંદર્ભઃ અહીં

Maoist Violence

 

ગયા મહિનાની ૨૫મી તારીખે માઓવાદીઓએ (communist Party of India- Maoist) છત્તીસગઢ રાજ્યના બસ્તર વિસ્તારમાં સુકમા પાસે CRPFના ૨૫ જવાનોને મોતને ઘાટે ઉતારી દઈને દેશનું હૈયું હચમચાવી દીધું. આ વિસ્તારમાં માઓવાદીઓનો લગભગ સંપૂર્ણ કબ્જો છે. ૨૦૧૦માં માઓવાદીઓના હુમલામાં ૭૫ જવાનો માર્યા ગયા હતા. નક્સલવાદના જનક ચારુ મજુમદારે હિંસા દ્વારા ક્રાન્તિનો માર્ગ લીધો હતો અને તે પછી અત્યાર સુધીમાં અનેક નિર્દોષોના જાન ગયા છે.

માઓવાદીઓ કોઈને પણ પોલીસના બાતમીદાર ગણાવીને મારી નાખતા હોય છે. બીજી બાજુ સલામતી દળો પણ માઓવાદી હોવાની શંકા પરથી કોઈને પણ પકડી જાય છે, મારી નાખે છે. આમ સામાન્ય આદિવાસી બન્ને બાજુથી મરવા જ સર્જાયેલો હોય એવું છે. પરંતુ માઓવાદીઓની અંદર પણ એટલા બધા મતભેદ છે કે આપણને એના વિશે કંઈ જાણવા મળતું નથી. માત્ર ૨૦૧૨માં ઓડીશામાં માઓવાદી સંગઠનના સ્થાપક સબ્યસાચી પંડાનો એક પત્ર બહાર આવ્યો છે એમાંથી ઘણું જાણી શકાય છે. સબ્યસાચી પોતે ગણિતમાં ગ્રેજ્યૂએટ થયો છે. એના પિતાએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો હતો, પછી CPI (M)માં જોડાયા અને ત્રણવાર ધારાસભ્ય બન્યા. સબ્યસાચી (૪૮ વર્ષ)ની પણ ૨૦૧૪માં ધરપક્ડ કરી લેવાઈ અને અત્યારે એ જેલમાં છે.

આદિવાસીઓના અધિકારો માટે લડવાનો દાવો કરતા માઓવાદીઓ વચ્ચે કેવા મતભેદો છે અને કેવી અસમાનતા અને દાદાગીરી છે તે આ પત્રમાંથી જાણવા મળે છે. માઓવાદીઓના ઓડીશા અને આંધ્રનાં બે જૂથો ભળી ગયાં તે પછી આંધ્રના ‘કૉમરેડો’ની દાદાગીરી વિશે પંડાએ માઓવાદી નેતૃત્વને લખ્યું તે પછી એને બરતરફ કરવામાં આવ્યો.

પંડાએ ખરેખર તો બે પત્રો લખ્યા. એક તો પાર્ટીના બધા સભ્યોજોગ ત્રણ પાનાંનો પત્ર હતો અને બીજો સોળ પાનાંનો પત્ર સુપ્રીમ કમાંડર ગણપતિને અને બીજો નારાયણ સન્યાલ (વિજય દાદા) અને અમિતાભ બાગચી (સુમિત દાદા)ને લખ્યો. ગણપતિને તો પત્ર મળ્યો જ, પણ બીજા બેને મળે તે પહેલાં જ એ કોલકાતામાં પોલીસના હાથમાં પહોંચી ગયો. આ ત્રણેય જણ જેલમાં છે.

સ્વામી લક્ષ્મણાનંદની હત્યા

જો કે આ મતભેદોની શરૂઆત તો ૨૦૦૮માં સબ્યસાચીની દોરવણી હેઠળ્ કંધમાલમાં સ્વામી લક્ષ્મણાનંદ સરસ્વતીની હત્યા થઈ તે વખતથી શરૂ થઈ ગયા હતા. માઓવાદીઓને એમ હતું કે આ હત્યાનો દોષ ખ્રિસ્તી આદિવાસીઓ પર આવશે અને એ કારણ એમના પર પોલીસની તવાઈ ઊતરતાં એ લોકો નક્સલવાદીઓની પાસે આવશે, પણ આવું કંઈ ન થયું. આથી માઓવાદી નેતાઓ પંડાથી નાખુશ હતા. એના પર નજર રાખવાની જવાબદારી આંધ્રના નેતા કિશનજીને સોંપવામાં આવી, પણ કિશનજીનું પોલીસ એન્કાઉંટરમાં નવેમ્બરમાં મૃત્યુ થતાં સબ્યસાચી હવે મુક્ત હતો.

અંતે ઓડીશાના માઓવાદી સંગઠનને આંધ્રના સંગઠનમાં જોડી દેવામાં આવ્યું. સબ્યસાચીએ પોતાના પત્રમાં આના વિશે અને બીજી ઘણી બાબતો વિશે ફરિયાદો કરી છે. એણે કેટલાક નેતાઓ પર આક્ષેપ કર્યો કે આ નેતાઓ પોતાને માલિક માને છે અને બીજા કાર્યકર્તાઓને નોકર. સબ્યસાચીએ બે ઇટાલિયનોનું અપહરણ કર્યું તે પછી એની પાછળ બે માઓવાદીઓને નેતાઓએ મોકલ્યા હતા. સબ્યસાચી કહે છે કે એ લોકો એનું શારીરિક નહીં તો રાજકીય કાસળ કાઢવા આવ્યા હતા.

અકારણ હત્યાઓનો વિરોધ

પીપલ્સ વૉર ગ્રુપના નેતાઓ (ખાસ કરીને તેલુગુ નેતાઓ)) વિશે સબ્યસાચીએ આક્ષેપ કર્યો કે એમને ઘમંડ છે. BR નામનો તેલુગુ કૉમરેડ કહે છે કે કિશનજીએ કંઈ કામ નથી કર્યું એણે એક પણ પોલીસવાળાને માર્યો નાથી. સબ્યસાચી પૂછે છે કે એક પોલીસવાળાને મારવાથી ક્રાન્તિ થઈ જવાની છે? પોલીસના જાસૂસ હોવાનું કહીને લોકોને મારી નાખવાની માઓવાદી રીતની સબ્યસાચી આકરી ટીકા કરે છે.

૨૦૧૧માં માઓવાદીઓએ ઓડીશાના બીજૂ જનતા દળના ધારાસભ્ય જગબંધુ માઝીની હત્યા કરી. માઝી પણ મૂળ માઓવાદી હતો અને એમને શરણે થવા તૈયાર હતો. સબ્યસાચી લખે છે કે એ તો અપંગ, વ્હીલ ચેરમાં હતો. એને શા માટે મારી નાખ્યો?

ટ્રેડ યુનિયનના નેતાની હત્યા

“આપણે ટ્રેડ યુનિયનમાં બહુ નબળા છીએ. તેમ છતાં CITUના યુનિયન નેતા થામાસો મુંડાને મારી નાખ્યો અને યુનિયનની ઑફિસ જમીનદોસ્ત કરી દીધી. આપણે કોઈને પણ પોલીસનો બાતમીદાર અને આપણો દુશ્મન કહીને મારી નાખીએ છીએ, પણ આ તો વર્કરો માટેની જગ્યા હતી! એ લખે છે કે આપણા પક્ષમાં સામંતવાદી લોકશાહી છે અને આપણે ફાસીવાદી RSS જેમ વર્તન કરીએ છીએ. જાણે લોકો પ્રત્યે આપણી કોઈ જવાબદારી જ નથી. આપણા કોઈ માણસ પકડાઈ જાય તે પછી આપણે કંઈ કરીએ તો પણ બદલામાં માત્ર આંધ્રના સાથીને છોડવાની જ માગણી કરીએ છીએ.

ઓડિયા સાથીઓના ભોજનની ટીકા

તેલુગુ કૉમરેડો ઑડિયા કૉમરેડોને નીચી નજરે જૂએ છે એનું ઉદાહરણ આપતાં એણે લખ્યું કે ઑડિયા સ્ટાઇલમાં બનાવેલા ભાત (પાણીવાળા ભાત) એમને પસંદ નથી આવતા અને કહેતા હોય છે કેઓડિયા સાથીઓનું નીચું દેખાડવા કહેતા હોય છે કે આ તો ભેંસનું ખાણ છે. આમલીના પાણીમાં ઓડિયાઓને ખાંડ નાખવા જોઈએ અને તેલુગુ સાથીઓ મરચું પસંદ કરે. સામુદાયિક રસોડામાં એમને કહે કે ખાંડથી ડાયાબિટિસ થાય. મરચું જેટલું નાખવું હોય તેટલું નાખો. એની ફરિયાદ એ છે કે આંધ્રવાળા પોતાનો ખોરાક પણ બધા ઉપર ઠોકી બેસાડે છે.

માર્ગોસાબુ વાપરો, ગુપ્તાંગો શેવ કરો

આંધ્રવાળા નેતાઓએ સૌ ઑડિયા સ્ત્રી-પુરુષ સાથીઓને ‘માર્ગો’ સાબુથી નહાવાની મનાઈ કરી! માર્ગો ઑડીશામાં જ બને છે પણ આંધ્રવાળાઓએ કાયદો બનાવ્યો કે બધા લાઇફબૉયથી જ નહાઈ શક્શે, પણ લાઇફ્બૉય તો વિદેશી કંપની બનાવે છે! આપણે કહીએ તો છીએ કે લોકલ પ્રોડક્ટ પર સામ્રાજ્યવાદી પ્રોડક્ટો હુમલો કરે છે. તો માર્ગો લોકલ સાબુ છે એ વાપારવાની મનાઈ શા માટે?

વળી સૌ સ્રી-પુરુષ સાથીઓને આંધ્રવાળાઓએ બ્લેડ પણ આપી. નિયમ એવો કે સૌએ પોતાનાં ગુપ્તાંગોના વાળ ‘શેવ’ કરવા! ખાસ કરીને સ્ત્રી-સાથીઓ પર આ હુકમ સખ્તાઈથી લાગુ કરાય છે તે ઉપરાંત સૌને માટે બધાં કપડાં ઉતારીને જ નહાવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

નાણાકીય ખાયકી

પંડા ખાયકીનો પણ આક્ષેપ કરે છે. કૉમરેડો પાકો હિસાબ નથી આપતા. કહી દે છે કે દસ હજાર રૂપિયા ખર્ચ્યા. ક્યાં અને કેમ ખર્ચ્યા તે કહેતા નથી. એક સાથીએ ૧૫ લાખ રૂપિયા ભેગા કરી લીધા. માઓવાદીઓ શસ્ત્રો અને દારુગોળો મેળવે છે તે એક જ જગ્યાએથી કે એક જ ભાવે નથી મળતાં. સબ્યસાચી લખે છે કે અમુક માલ ૨૦૦ રૂપિયામાં મળે છે તો એ જ માલ અમુક વખતે ૧૨૦૦ રૂપિયામાં મળે છે. હવે કોઈ પણ સાથી ઊંચામાં ઊંચી કીંમત દેખાડીને પૈસા ખાઈ જાય છે.

આ પત્ર પછી ૨૦૧૩માં સબ્યસાચીની પત્ની શુભશ્રીએ પોતાના સંપર્કો મારફતે રાજ્ય સરકારને સંદેશો પહોંચાડ્યો હતો કે સરકાર કૂણું વલણ લે તો સબ્યસાચી શરણે થઈ જવા તૈયાર છે.

(રાહુલ પંડિતાના લેખ પર આધારિત)

http://www.openthemagazine.com/article/india/the-final-battle-of-sabyasachi-panda

૦-૦-૦

આજે તો સબ્યસાચી પંડા જેલમાં છે. એની ધરપકડ પણ કદાચ કોઈ ગોઠવણ પ્રમાણે જ થઈ હોય તો પણ કહેવાય નહીં. પરંતુ પોલીસના તાબામાં એનું એન્કાઉંટર ન થાય તો હમણાં તો એ પોતાના સાથીઓથી તો બચ્યો જ છે.

પંડાએ મહત્ત્વનો આક્ષેપ તો એ કર્યો છે કે ત્રીસ વર્ષથી વધારે સમયથી આપણે આદિવાસીઓમાં કામ કરીએ છીએ પણ હજી સુધી આદિવાસીઓના વિકાસનું સરકારથી અલગ કોઈ મૉડેલ આપણે બનાવી શક્યા નથી.

ગરીબોનું ભલું કરવા નીકળેલા આ લોકોએ ખરેખર તો હિંસાનો માર્ગ લઈને આદિવાસીઓનું, પોતાનું અને દેશનું નુકસાન જ કર્યું છે. ૨૫ જવાનો પણ ત્યાં બનતા રસ્તાનું રક્ષણ કરવા જ ગયા હતા. રસ્તો બને તો માઓવાદીઓની પકડ ઢીલી પડી જાય. જનતાને હિંસાથી જીત ન મળે, જનતાને અહિંસક આંદોલન મારફતે જ જીત મળે. હિંસાનો આશરો લેનારા અંતે તો આંતરિક કલહ અને અધઃપતનનો જ શિકાર બને.

0-0-0

“Live by the sword, die by the sword

(એસ્કિલસના નાટક ઍગામેમ્નૉનમાંથી)

Science Samachar : Episode 13

. જાંબુમાંથી સોલર સેલ

IIT રૂડકીના વૈજ્ઞાનિકોએ જાંબુમાંથી સોલર પાવર માટેના સેલ બનાવ્યા છે. ત્યારે વપરાતા સઓલર સેલ કરતાં એ વધારે કાર્યક્ષમ છે. Dye Sensitised Solar Cells (DSSCs) અથવા Gratzel cells માટે એમણે જાંબુમાં કુદરતી રીતે મળતા રંગકણોનો ફોટો સિન્થેસાઇઝર (પ્રકાશ સંશ્લેષક) તરીકે ઉપયોગ કર્યો. ફોટો સિન્થેસાઇઝએ પ્રકાશને શોષી લે છે અને જાંબુમાં આ ક્ષમતા બહુ ઘણી હોય છે. મુખ્ય સંશોધક સૌમિત્ર સત્પતિ કહે છે કે IITના કૅમ્પસમાં જાંબુનાં ઝાડ ઘણાં છે અને એનો રંગ ઘેરો હોવાને કારણે એમ વિચાર આવ્યો કે એ કદાચ ફોટો સિન્થેસાઇઝર તરીકે કામ આપી શકે.

સંશોધકો એથેનૉલ વાપરીને જાંબુનો રંગ છૂટો પાડ્યો અને એમાં કાળી મોટી દ્રાક્ષ અને નાની બી વગરની દ્રાક્ષનો રસ પણ ભેળવ્યો.

આ પદ્ધતિએ સોલર સેલ મળતા થઈ જાય તો સૌર ઊર્જા ઘણી સસ્તી થઈ શકે. સંશોધક ટીમના બીજા સભ્યો નિપુણ સાહની અને અનુભવ રાઘવ પણ કહે છે કે આ નવા સોલર સેલનું મોટા પાયે ઉત્પાદન બહુ જલદી શરૂ થઈ શકશે.

સંદર્ભઃ અહીં

૦-૦-૦

. પ્લાસ્ટિક ખાતી ઈયળ

આખી દુનિયામાં પ્લાસ્ટિકનો નાશ કેમ કરવો એ મોટી સમસ્યા રહી છે. દુનિયામાં દર વર્ષે એકસો અબજ પ્લાસ્ટિકની થેલીઓ કે પેકિંગ મટીરિયલ વપરાય છે, પ્લાસ્ટિક કુદરતી રીતે નાશ પામતું નથી. એ કાં તો સમુદ્રમાં જાય છે અથવા મ્યૂનિસિપાલિટીએ બનાવેલી લૅન્ડફિલમાં (જ્યાં કચરો એકઠો કરવામાં આવતો હોય છે). આપણા દેશમાં તો ગાયમાતાઓ રસ્તામાં ભટકતી હોય છે અને ઊકરડામાંથી ખાય છે. એમાં પ્લાસ્ટિક પણ આવી જાય. મૃત ગાયોના પેટમાંથી પ્લાસ્ટિકની થેલીઓ નીકળી હોવાના સમચાર નવા નથી.

પરંતુ સંશોધકોને એક એવી ઈયળની પ્રજાતિ મળી છે, જે પ્લાસ્ટિક ખાય છે. આવો અ-જૈવિક પદાર્થ કોઈ જીવ ખાય નહીં. એટલું જ નહીં આ ઈયળને પ્લાસ્ટિક મળે તો બસ…મઝા આવી ગઈ. એની ખાવાની ઝડપ પણ વધી જાય છે. ચિત્રમાં જુઓ, આ ઈયળે પ્લાસ્ટિકના શા હાલ કરી નાખ્યા છે. આ ઈયળોને માછલાં પકડવા માટેના ગ્લ તરીકે ઉપયોગ કરાય છે અને એ મધપૂડામાં ઊછરતી હોય છે.

એક વાર મધમાખી પાળવાની શોખીન ફેડરિકા બર્તોચિની અને એક જીવવિજ્ઞાની મધપૂડો સાફ કરતાં હતાં ત્યારે એમણે આ ઈયળો જોઈ. એમણે પ્લાસ્ટિકની થેલીમાં ભરી દીધી અને રાખી મૂકી. થોડી વાર પછી થેલીમાં છેદ થઈ ગયા હતા. એમને થયું કે આ ઈયળ પ્લાસ્ટિક ખાય છે કે શું? એમણે થોડી ઈયળને મસળી નાખી અને એને થેલી પર લગાડી દીધી. પરિણામ એ જ આવ્યું. એનો અર્થ એ કે આ ઈયળમાં કોઈ એવો એન્ઝાઇમ છે જે પ્લાસ્ટિક પર પ્રક્રિયા કરે છે. કદાચ આવો એન્ઝાઇમ બનાવી શકાય તો લૅન્ડફિલ (જ્યાં શહેરનો કચરો જમા થતો હોય તે જગ્યા) પર છાંટવાથી પ્લાસ્ટિકની સમસ્યાનો ઉકેલ થઈ જાય!

સંદર્ભઃ અહીં

. ઘૂંટણ બદલવાની જરૂર નહીં પડે!

તમને ઑસ્ટિઓ-આર્થારાઇટિસ છે? તો આ સમાચારથી તમને આનંદ થશે, ભલે ને, નજીકના સમયમાં એનો લાભ ન પણ મળે. ખાસ કરીને ઘૂંટણના સાંધામાં જ્યાં બેહાડકાં ભેગાં થાય છે ત્યાં બન્ને વચ્ચે ગાદી હોય છે. એને કાર્ટિલેજ કહે છે. એ ઘસાઈ જતાં હાડકાં સામસામે અથડાય છે. આનો એક જ ઉપાય છે, ઘૂંટણની ઢાંકણી બદલો. પણ અમેરિકાની પિટ્સબર્ગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ શરીરમાંથી જ સ્ટેમ સેલ લઈને 3D પ્રિંટિંગની મદદથી કાર્ટિલેજ બનાવી. (સ્ટેમ સેલ એટલે બહુકોશી જીવ એટલે આપણા પોતાના શરીરનો કોઈ પણ કોશ, જે બીજા કોશો પણ પેદા કરી શકે અને થોડા ફેરફાર સાથે નવી જાતના કોશ બની શકે) આમાં ત્રણ વસ્તુ જોઈએઃ સ્ટેમ સેલ, એનો વિકાસ થઈ શકે એવાં જૈવિક ઘટકો અને કોશને કાર્ટિલેજનું રૂપ આપે એવું માળખું.

આ પ્રયોગ સફળ થયો છે. ઑસ્ટીઓ-આર્થરાઇટિસથી આગળ વધીને જોઈએ તો શરીરના કોઈ પણ ઘાયલ થયેલા ભાગ માટે પણ આ પદ્ધતિનો ઉપયોગ થઈ શકશે.

સંદર્ભઃ અહીં

૦-૦-૦

. કૅન્સરને કેમ રોકવું તે હાથી પાસેથી શીખો!

આપણા શરીરમાં કોશનું વિભાજન થાય ત્યારે DNAમાં પણ ફેરફાર થઈ જવાની શક્યતા રહે જ છે. આવા ફેરફારોને કારણે કૅન્સર થાય છે. બધા જ કોશમાંથી કૅન્સર થવાની શક્યતા હોય તો બહુ મોટા કદના જીવ સામે વદ્ધારે મોટું સંકટ ગણાય કારણ કે એના શરીરમાં કોશો પણ ઘણા હોય છે.

પરંતુ એવું નથી. હાથી માણસ કરતાં કેટલો મોટો છે, પણ એને કૅન્સર નથી થતું. બીજી બાજુ આપણા અને ઉંદરના કદ વચ્ચે કેટલો મોટો ફેર છે! પરંતુ છેક ૧૯૭૭માં રિચર્ડ પેટો નામના વૈજ્ઞાનિકે કહ્યું હતું કે માણસ અને ઉંદરને કૅન્સર થવાનો દર લગભગ સરખો છે. મોટા કદના પ્રાણીને કૅન્સર થવાની શક્યતા ઓછી હોય છે એ વાત આજે Peto’s Paradox તરીકે જાણીતી છે.

આફ્રિકી હાથીના જેનૉમનો અભ્યાસ કરતાં જોવા મળ્યું કે એનામાં TP53 નામના જીન્સ વધારે સંખ્યામાં છે જે કૅન્સરને દબાવી દે છે. માણસના શરીરમાં આ જીન્સ ઓછા હોય તો કૅન્સર થાય. એટલે હવે સંશોધનની નવી દિશા ઊઘડી છે. TP53 જીન્સનો ઉપયોગ કરીને કૅન્સર સામે માણસને રક્ષણ આપી શકાય?

સંદર્ભઃ અહીં અને અભ્યાસ વિશે વધારે વિગતો માટે અહીં


10th May, 1857

ભારતના પહેલા સ્વતંત્ર્ય સંગ્રામનો પ્રારંભ ૧૮૫૭ના મે મહિનાની ૧૦મી તારીખે થયો. આ ઘટનાને ૧૬૦ વર્ષ પૂરાં થાય છે. આ આખી ઘટનાનું રોમાંચક વર્ણન વેબગુર્જરી પર કૅપ્ટન નરેન્દ્ર ફણસેની નવલકથામાં મળે છે. વ્યાપક સમયફલક પર ચિત્રિત આ કથામાં આવતા વળાંક અત્યંત રસપ્રદ છે. આજે ભારતના ઇતિહાસની આ મહાન ઘટનાને યાદ કરવા માટે હું એમની નવલકથાના ભાગ-૨, પ્રકરણ ૮નું પુનઃ પ્રકાશન ‘મારી બારી’ રૂપે કરું છું. જો કે શરૂઆત ભાગ ૨- પ્રકરણ ૭નાં અંતિમ વાક્યોથી કરી છે.

દીપક ધોળકિયા.

૦-૦

૧૮૫૭ના વર્ષની શરૂઆત હતી. કેન્ટોનમેન્ટમાં શાંતિ હતી. અફસરમેસમાં પાર્ટીઓ ચાલતી હતી. જિમખાનામાં મેળાવડા અને મનોરંજનના કાર્યક્રમ ચાલતા હતા.

દેશમાં શાંતિ વર્તાતી હતી,પણ ઉકળતા ચરુ પરના ઠંડા દેખાતા ઢાંકણા જેવી. તેમાં ઉકળતો લાવા ક્યારે ચરુ ફાડીને બહાર નીકળશે, તેનો કોઈને ખ્યાલ નહોતો.

ભાગ ૨ પ્રકરણ ૮

૧૮૫૭ વિપ્લવના વાયરા

કલકત્તાની નજીક આવેલ દમદમ ગામમાં કંપની સરકારનો દારૂગોળાનો ભંડાર હતો. બંગાળની સેનામાં વપરાતી ‘બ્રાઉન બેસ’ (Brown Bess)રાઈફલનાં લાખો કારતૂસો અહીં સંઘરાય. અહીંથી બંગાળ, બિહાર અને અવધમાં કાર્યરત રિસાલા અને પાયદળના સૈનિકો માટે દારૂગોળો મોકલવામાં આવતો.

દમદમથી વીસેક માઈલ દૂર આવેલી ૩૪મી BNI માટે દારૂગોળો લેવા ગયેલા ભૂમિહાર ક્વાર્ટર માસ્ટર હવાલદારે ત્યાં કામ કરનાર એક મજૂરનું સ્પૃશ્યાસ્પૃશ્યતાના મુદ્દા પર અપમાન કર્યું.

“સાહેબ, મને અડકવાથી તમારો ધર્મ ભ્રષ્ટ થાય છે; પણ વર્ષોથી ગાય અને સૂવરની ચરબીવાળાં કારતૂસ મોંમાં નાખીને તમે કેવા પાવન છો, એ તો કહો?”

“તું કહેવા શું માગે છે?”

મજૂરે વાત કહી અને હવાલદાર કમકમી ગયો.

તે સમયે બ્રાઉન બેસ તથા નવીનવી દાખલ થયેલી P-53 રાયફલનાં કારતૂસ કાગળની બીડી જેવી ભૂંગળી આકારનાં હતાં. કાગળની આ ભૂંગળીમાં માપસરનો દારૂ અને એક ગોળી મુકાતી. દારૂને ભેજ ન લાગે તે માટે કાગળની બન્ને બાજુએ ગાય કે ડુક્કરની ચરબીનો લેપ લગાડવામાં આવતો. રાયફલમાં ગોળી ચઢાવવા માટે આ ભૂંગળીનો ઉપરના ભાગનો કાગળ દાંતથી ફાડી, તેમાં ભરેલ દારૂ અને ગોળીને રાયફલની નળીમાં ઠલવાય અને મોગરી જેવા સળિયા વડે તેને નળીમાં ધરબવામાં આવતાં. મોઢામાં રહેલ કાગળનો ટુકડો સિપાઈઓ થૂંકી નાખતા. કારતૂસના કાગળ પર નિષિદ્ધ માંસની ચરબીના લેપ લગાડવામાં આવે છે તેની માહિતી સૈનિકોને આપવામાં આવી નહોતી. હવે તે વાત ચારે તરફ વાયુવેગે ફેલાઈ ગઈ. ગામોમાં આ વાત ફેલાતાં સ્થાનિક પ્રજા આ વિરોધમાં સામેલ થઈ. ધર્મગુરુઓએ જાહેર કર્યું કે જે કોઈ આ કારતૂસનો ઉપયોગ કરશે, તેને ધર્મ બહાર કરવામાં આવશે. ૩૪મી BNIના સીઓ કર્નલ વ્હીલર પોતે ઉત્સાહી ધર્મપ્રચારક હતા અને જે કોઈ સિપાઈ ધર્માંતરણ માટે તૈયાર હોય તેને સ્વીકારવા તૈયાર હતા. લગભગ તે સમયે નજીકની ૫૬મી BNIના કૅપ્ટન હૅલીડેનાં પત્નીએ બાઈબલનું ઉર્દુ તથા દેવનાગરીમાં ભાષાંતર કરાવી આસપાસની બટાલિયનોમાં મફત વહેંચવાની શરૂઆત કરી.

આ વાતની જાણ થતાં સિપાઈઓ તથા સ્વારોએ નિષિદ્ધ કારતૂસ વાપરવાનો ઇન્કાર કરવાની શરૂઆત કરી, તેની પરિણતિ થઈ ૩૪મી BNI બટાલિયનના મંગલ પાંડેના ઇતિહાસમાં.

ઇતિહાસનો આ સમય એવો હતો કે સરકાર ત્યારે બંગાળની સેનાને શીખો સામે લડવા પંજાબ મોકલતી હતી. સેનાનાં કેટલાંક ઘટક તો અફઘાનિસ્તાન પણ રવાના કરવામાં આવ્યાં હતાં. આ પ્રદેશો કંપની સરકારની હદની બહાર હોવાથી ત્યાં જતા સૈનિકોને ખાસ ભથ્થું આપવામાં આવતું. ભારત છોડતાં પહેલાં લૉર્ડ ડલહૌસીએ આ ભથ્થું બંધ કર્યું, જેના કારણે દેશી સૈનિકો અત્યંત ક્ષુબ્ધ હતા. તેમાં ભ્રષ્ટ કારતૂસના ઉપયોગની વાતથી તથા ધર્માંતરણની અફવાથી બળતામાં ઘી હોમાયું. સૈનિકોમાં ભારે ઉહાપોહ થયો હતો અને હવે તેઓ કંપની સરકારનો ખુલ્લેથી વિરોધ કરતા થયા હતા.

***

રોજ સાંજે રીટ્રીટનું બ્યૂગલ વાગે તે પહેલાં રિસાલદાર પાંડે ગંગા કિનારે આવેલા મંદિરે જતા. આ એ જ મંદિર હતું, જ્યાં તેમને જગત પહેલી વાર મળ્યો હતો. કેટલીક વાર તેઓ જગતને તેમની સાથે મંદિર લઈ જતા. એક દિવસ તેમણે જગતને બોલાવ્યો. રેજિમેન્ટની ફાટકની બહાર નીકળતાં તેમણે જગતને આ બાબતમાં સવાલ પૂછ્યો.

“જી સાહેબ, કારતૂસની વાત BNIની ત્રણે બટાલિયનોમાં ફેલાઈ છે. ગઈકાલે જ મારા પાડોશી ૪૦મી BNIના હવાલદાર માનસિંહનો સંબંધી, જે બૅરેકપોરની એક BNIમાં કાર્યરત છે, રજા પર આવ્યો હતો. તેણે વાત કરી કે ત્યાંના સૈનિકો ખુલ્લી રીતે આ કારતૂસ વાપરવાનો ઇન્કાર કરી રહ્યા છે. ઘણા સૈનિકોને તેમના ધર્મ બહાર કરવામાં આવ્યા હતા. તેમને ખ્રિસ્તી ધર્મ અંગિકાર કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી એવું તે કહેતો હતો.”

“તમે જાતે આ બાબતમાં શું જાણો છો ?”

“થોડા દિવસ પહેલાં રવિવારે અમે પટણા ગયા હતા. ત્યાં ચોક અને રસ્તાઓની ચોકડીઓ પર અંગ્રેજ પાદરીઓ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતા હતા અને દેશી માણસો તેમના ભાષણનું ભાષાંતર કરતા હતા. તેમના ધર્મપુસ્તકોનાં હિંદી અને ઉર્દુ ભાષાંતરવાળાં પુસ્તકો તેઓ મફત વહેંચતા હતા.”

આ સાંભળી રિસાલદાર ઊંડા વિચારમાં પડી ગયા.

“જગતસિંહ, આ ચિહ્નો સારાં દેખાતાં નથી.”

બૅરેકપોરમાં ૩૪મી BNIમાં મંગલ પાંડે અને જમાદાર ઈશ્વરી પ્રસાદને અપાયેલ ફાંસીના તથા બટાલિયનને નિ:શસ્ત્ર કરી બરખાસ્ત કરવામાં આવી હતી તેના સમાચાર બંગાળની સેનામાં ફેલાઈ ગયા હતા.

મે મહિનાની દસ તારીખે મેરઠ અને લખનૌમાં બળવો ફાટી નીકળ્યો. નાના સાહેબ પેશ્વા અને લખનૌનાં બેગમ હઝરત મહલ જાહેર કરે કે તેઓ શહેનશાહ બહાદુરશાહ ઝફરના લીલા નેજા નીચે અંગ્રેજ સરકારને ભારતમાંથી કાઢી મૂકવા એકઠા થયા છે તે પહેલાં આ શહેરોમાં દેશી સૈનિકોએ બળવો પોકાર્યો.

કંપની સરકારની બિહાર તથા બંગાળસ્થિત સેનાના અધિકારીઓને ટેલિગ્રામ દ્વારા ‘સિચ્યુએશન રિપોર્ટ’ મળતા હતા, પણ તેમણે તેની જાણ દેશી અફસરોને થવા દીધી નહિ. તેમને ડર હતો કે આ વાત બહાર પડતાં તેમના સૈનિકો બળવામાં જોડાશે. પરંતુ મરઘાને ટોપલા નીચે સંતાડવાથી સૂરજ થોડો ઉગ્યા વગર રહેશે? બળવાના અધિકૃત સમાચાર તો સૈનિકોને ન મળ્યા, પણ અફવાઓ – જેને ફોજમાં ‘બઝાર ગપ’ કે ‘લંગર ગપ’ કહેવાય છે, ચારે તરફ ફેલાવા લાગી હતી.

એક નિ:શ્વાસ મૂકી પાંડે બોલ્યા, “ખુશીની વાત એ છે કે આપણો રિસાલો હજી સરકારને વફાદાર છે.”

જગત બુદ્ધિમાન યુવક હતો. તેને આંતર-યુદ્ધનાં એંધાણ નજર આવ્યાં. દાનાપુરમાં તેની શરન, નાની અને બાળકો સુરક્ષિત નહોતાં. ગંગા પાર આવેલ તેનું નાનકડું ગામ રુદ્રપુર શાંત અને સુરક્ષિત હતું. તેણે તેના પરિવારને ઘેર મોકલી આપ્યું. તેને પોતાને પણ રિસાલા પર અભિમાન હતું. તેને લાગ્યું કે સૈનિકોની વફાદારી જોઈ તેમને સૌને કોઈ સ્થળે વિપ્લવ ઠારવા મોકલવામાં આવશે.

તેનો અંદાજ સાચો ઠર્યો. થોડા દિવસ બાદ જગતના રિસાલાને ભાગલપુર મોકલવામાં આવ્યો.

તે સમયે બંગાળના કમાન્ડર-ઈન-ચીફ જનરલ એન્સન હતા. તેમના તાબા નીચે બંગાળ, બિહાર, અવધ, દિલ્હી અને પંજાબમાં ફેલાયેલી સેના હતી. લખનૌ, મેરઠ, કાનપુર, ઝાંસી, દિલ્હી અને બિહારમાં બાબુ કુંવરસિંહની સેનાએ વિપ્લવમાં ભાગ લીધો હતો. તેને ડામવા તેમણે પૂરી સેનાને સાબદી કરી કૂચ કરવાનો આદેશ આપ્યો. બળવાને ડામવા એન્સને દેશી સેનાનો ઉપયોગ કરવાને બદલે ઇંગ્લેન્ડથી અને બ્રહ્મદેશમાં તહેનાત કરાયેલી સ્કૉટિશ હાઈલેન્ડર, આયરિશ તથા અંગ્રેજ સેનાઓ મોકલી. સ્થાનિક પ્રજામાં ડર પેદા કરવા દેશી રિસાલાઓ અને BNIની બટાલિયનોને બિહારના શહેરી અને ગ્રામવિસ્તારોમાં મોકલી. ૧૦૫મા રિસાલાને આ વ્યૂહરચનાની હેઠળ ભાગલપુર મોકલવામાં આવ્યો.

વિપ્લવ હવે બિહારમાં પ્રસર્યો. જગદીશપુરના એંશી વર્ષના રાજાબાબુ કુંવરસિંહને પુત્ર નહોતો. તેમણે તેમના નાના ભાઈ અમરસિંહને દત્તક લીધો. કંપની સરકારે તે નામંજૂર કર્યું. કુંવરસિંહ પાસેથી મહેસુલની લેણી નીકળતી રકમની વસુલી માટે સરકારે તેમની રિયાસત પર જપ્તી આણી. બાબુ કુંવરસિંહ તેમની વણકેળવાયેલી સેના સાથે યુદ્ધે ચડ્યા. તેમને જનતાનો સાથ મળ્યો. જગદીશપુરની રિયાસતથી દાનાપુરની દેશી સિપાઈઓની બ્રિગેડ દૂર નહોતી. કુંવરસિંહે તેમને અંગ્રેજોની ધૂંસરી ત્યાગી તેમની સેનામાં જોડાવા કહેણ મોકલ્યું, પણ સિપાઈઓ તેમના અફસરોને વફાદાર હતા. કુંવરસિંહે એકલા જ યુદ્ધ ચાલુ રાખ્યું. હવે તો મેરઠ અને લખનૌના બળવાના સમાચાર બધે ફેલાઈ ગયા હતા. ૧૦૫મા રિસાલાને ભાગલપુર તથા તેની આસપાસના વિસ્તારમાં કંપની સરકારની દહેશત ફેલાવવાનું કામ સોંપવામાં આવ્યું. રોજ તેમના અસવારોની ટુકડીઓ પૂરા શસ્ત્રાસ્ત્ર સાથે પેટ્રોલિંગ પર નીકળવા લાગી.

***

એક દિવસ બપોરે રિસાલદાર પાંડેએ જગતને બોલાવ્યો.

“જગતસિંહ, અમારા એક અગત્યના અંગત કામમાં તમારી મદદ જોઈએ. તમે અમારું કામ કરી શકશો ?”

“આપ કેવી વાત કરો છો, સાહેબ ? આપ ફક્ત હુકમ કરો, કામ થઈ જશે.” જગતે જવાબ આપ્યો.

“અમારા જમાઈ પંડિત વિદ્યાપતિ ઝા આરા શહેરમાં રહે છે. જજ રૉબિન્સનની સિફારસથી સરકારે તેમની નિમણૂક કલકત્તાની સંસ્કૃત કૉલેજના કુલપતિ તરીકે કરી છે. વિદ્યાપતિ કલકત્તા જવા તૈયાર નથી. તેમને અમારી આગ્રહભરી સલાહ આપશો કે તે તત્કાળ આ નોકરી સ્વીકારીને સપરિવાર કલકત્તા ચાલ્યા જાય. આરા અને પટણા સુરક્ષિત નથી. ત્યાં રહેનારા હજારો નાગરિકો વિપ્લવનો ભોગ બનશે.”

“જી, રિસાલદાર સાહેબ. અમે કાલે વહેલી સવારે નીકળી જઈશું.”

“સાંજે રોલ કૉલ બાદ અમારી પાસેથી રજામંજૂરીનો હુકમ લઈ જજો.”

સાંજે જગત રિસાલદાર પાસે ગયો. તેમણે તેને રજામંજૂરીનો હુકમ આપ્યો અને કહ્યું, “તમે આ પહેલાં પાર્વતી કે પંડિતજીને મળ્યા નથી, તેથી તમારી વાત પર તેમને વિશ્વાસ ન થાય તે બનવાજોગ છે. તેમને અમારી પૂજામાંનું આ સુવર્ણપદક આપશો. અમારા અંતકાળ સિવાય આ સદીઓ જૂનું પવિત્ર પદક અન્ય કોઈ પાસે ન જાય તે અમારા પરિવારના સદસ્યો જાણે છે. પદક જોઈને તેઓ અમારા સંદેશને આજ્ઞા સમજી તેના પર અમલ કરશે. ”

૨૪મી જુલાઈ ૧૮૫૭ના રોજ જગત સાદા નાગરિકના પોશાકમાં ભાગલપુરના ઘાટથી દાનાપુર જવા રવાના થયો. ત્યાંથી તેને જમીન માર્ગે આરા જવાનું હતું.

બીજા દિવસે સવારે તે દાનાપુર ઉતર્યો. બિહારમાં રેલવે લાઈન બિછાવવા માટે સર્વેની શરૂઆત થઈ હતી. પહેલો તબક્કો પટણા અને આરા વચ્ચે હતો, તેથી આરામાં રેલવે અને મિલિટરીનું થાણું સ્થાપવામાં આવ્યું હતું. તેમને સાધનસામગ્રી અને રસદ પહોંચાડવા પટણા અને દાનાપુરથી ઊંટ અને બળદની વણજાર ચાલતી હતી. ઊંટના કાફલાના માલિક પૈસા લઈને મુસાફરોને માર્ગમાં પડતા શહેરે લઈ જતા. ૨૫મીના રોજ જગતને દાનાપુરથી આરા જતી ઊંટની વણજાર મળી ગઈ. રસ્તામાં ઊંટ-સવારોમાં એક જ વાત ચાલતી હતી : દાનાપુરમાં બળવો ફાટી નીકળવાની ઘડીઓ ગણાતી હતી.

દાનાપુર બ્રિગેડમાં ત્રણ દેશી બટાલિયનો હતી. ત્યાંની ગૅરીસનના કમાન્ડર મેજર જનરલ લૉઈડને દેશી સૈનિકોની બહાદુરી અને વફાદારી વિશે કોઈ શક નહોતો, પરંતુ કમાન્ડર-ઇન-ચીફે હુકમ મોકલ્યો હતો કે આ ત્રણે બટાલિયનોની રાઈફલો જપ્ત કરવી. આગળ શું કરવું તેનો હુકમ બાદમાં મોકલવામાં આવશે.

૨૫મી જુલાઈના રોજ જનરલ લૉઈડે રાઈફલ જપ્ત કરવાને બદલે રાઈફલમાંથી ગોળી છોડવા માટે જરૂરી તણખો પેટાવતી પરકશન કૅપનું બંડલ સોંપી દેવાનો હુકમ કર્યો. સૈનિકો સમજી ગયા. તેમના જનરલ હવે તેમને નિમકહરામ ગણવા લાગ્યા હતા. પરકશન કૅપ વગર રાઈફલ નકામી હોય તેથી રાઈફલ શરણે કરવી અને કૅપ જતી કરવી એક જ વાત હતી. તેમણે પરકશન કૅપ સોંપી દેવાનો ઇન્કાર કર્યો. કોઈ સૈનિક તેની કતારમાંથી બહાર ન નીકળ્યો. જનરલે તેમને કડક શબ્દોમાં કહ્યું કે તેમના હુકમનું પાલન ન કરનાર સૈનિકોને બળવાખોર જાહેર કરી તેમને ગોળીએ દેવાશે. જવાનો ટસના મસ ન થયા. અંતે જનરલના અફસરોએ દાનાપુરમાં હાજર અંગ્રેજોની 10th Foot અને 5th Fusiliersના સૈનિકોને બોલાવી. આ ત્રણેય દેશી બટાલિયનોને બળવાખોર જાહેર કરી, તેમના પર ગોળીબાર કરવાનો હુકમ કર્યો. અંગ્રેજોએ તરત તેનું પાલન કર્યું. ત્રણ હજારમાંના મોટા ભાગના દેશી જવાનો મૃત્યુ પામ્યા કે ઘાયલ થયા. જે બચી શક્યા તે પરેડ ગ્રાઉંડ પરથી પોતપોતાનાં હથિયાર લઈને આરા ભણી નાઠા. દાનાપુરથી આરા લગભગ ૩૫ માઈલ દૂર હતું. તેમને ખબર હતી કે બાબુ કુંવરસિંહ તેમની સેના સાથે આ વિસ્તારમાં હતા. તેમણે કુંવરસિંહની સેના સાથે મળી જવા પ્રયાણ કર્યું.

પ્રકરણ ૯નો એક અંશઃ

૨૫ જુલાઈ ૧૮૫૭ – જે રાતે જગતસિંહે આરામાં પ્રવેશ કર્યો તે વિપ્લવના ઇતિહાસમાં કાયમ માટે કંડારાઈ છે, પણ તે અન્ય કારણસર.

અંગ્રેજ ઇતિહાસકાર મૅલીસન અને સર જૉન કેએ લખ્યું છે કે તે રાતે કુંવરસિંહે આરા પર ઘાલેલા ચાર દિવસના ઘેરાનો કૅપ્ટન રૅટ્રેના પચાસ શીખ સિપાઈઓએ બહાદુરીપૂર્વક પ્રતિકાર કરી કુંવરસિંહના હુમલાને ખાળ્યો. મુઠ્ઠીભર સૈનિકોએ કુંવરસિંહની ૨૦૦૦ સૈનિકોની ફોજને શહેર પર કબજો કરવા દીધો નહિ. આ ઘેરાનો ખરો પ્રતિકાર કરનાર શીખ પ્લૅટુન કમાન્ડર હુકમ સિંહનું નામ ઇતિહાસનાં પાનાંઓમાં ભાગ્યે જ જોવા મળશે. જો કે બે સિવિલિયન અંગ્રેજોને વિક્ટોરિયા ક્રૉસ એનાયત થયા હતા !

જગતસિંહ ૨૮મીની સાંજે ભાગલપુર પહોંચ્યો અને પાંડેને પૂરી વાત કહી. દાનાપુરના બળવા અને દેશી સૈનિકોની હત્યાની અફવા રિસાલામાં પહોંચી હતી, પણ અધિકૃત સમાચાર કોઈ જાણતું નહોતું. અંગ્રેજ અફસરોને તેની પૂરી જાણકારી હોવા છતાં તેઓ તેમના દેશી સૈનિકોને સમાચાર આપતા નહોતા. રિસાલાના ઘણા સૈનિકોનાં કુટુંબીજન દાનાપુરની બ્રિગેડમાં નોકરી કરતાં હતાં. સૌને તેમની ચિંતા હતી અને તેમની ખુશહાલીના કોઈ સમાચાર ન હોવાથી વ્યથિત હતા. જગતસિંહે પાંડેને નજરે જોયેલી માહિતી આપી ત્યારે તેઓ ચોંકી ગયા. આ વાત રિસાલાના જવાનો સુધી પહોંચે તો તેની અસર ગંભીર પરિણામ લાવી શકે તેવું હતું.

“જગતસિંહ, આ વાત હાલ તમારા સુધી જ રાખશો.”

પાંડે તરત સીઓને મળવા ગયા અને તેમને પૂરી વાત કહી. શાણા અને અનુભવી અંગ્રેજ કમાન્ડરોએ બંગાળની ભારતીય સેનામાં દરબારની પ્રથા શરૂ કરી હતી. મહિનામાં એક વાર યોજાતા આ સૈનિક સંમેલનમાં બટાલિયનના બધા અફસર અને જવાન હાજર રહે. તેમાં સીઓ સૈનિકોનો હોંસલો વધારતી વાત કહેવા ઉપરાંત સૈનિકોને લગતા પ્રશ્નોના ઉકેલ લાવે. તેમને મળવા જોઈતા ભોજન, રહેઠાણ જેવા લાભ અને રજાઓ મળે છે કે નહિ, તેની ચોકસાઈ કરે. યુદ્ધની હાલતમાં જવાનોને તેમના કંપની કમાન્ડર દ્વારા યુદ્ધની બાબતમાં જરૂરી માહિતી આપે, જેથી સૈનિકો જાણી શકે કે તેમની આસપાસ તથા તેમના સાથી સૈન્યમાં શું થઈ રહ્યું છે.

૧૦૫મા રિસાલામાં છેલ્લા બે મહિનાથી દરબાર યોજાયો નહોતો. હવે સ્થિતિ વણસતી જતી હતી. પાંડેએ સીઓને વહેલી તકે દરબાર બોલાવી જવાનોનું હૈયાધારણ કરવા ઉત્તેજનાત્મક શબ્દો કહેવાની આવશ્યકતા સમજાવી.

દાનાપુરના હત્યાકાંડ વિશે રિસાલાના કામચલાઉ સીઓ મેજર નિકોલ્સને સિચ્યુએશન રિપોર્ટ (પ્રવર્તી રહેલ હાલતના અહેવાલ) દ્વારા પૂરી માહિતી મળી હતી, પણ તેમણે તે વિશે પાંડેને કશું કહ્યું નહિ. ફક્ત યોગ્ય સમયે દરબાર બોલાવીશું, એટલું કહ્યું.

સીઓને પાંડે મળ્યા બાદના ૨૪ કલાકમાં એક એવો પ્રસંગ બની ગયો, જેની હકીકત જાણી કેવળ બંગાળની સેના જ નહિ, ઈંગ્લંડની પ્રજા સુદ્ધાં કાંપી ગઈ.

કુંવરસિંહ યુદ્ધની રણનીતિમાં કુશળ હતા. તેમણે આરા શહેરને ઘેરો ઘાલી અંગ્રેજોને એવું ભાસવા દીધું કે તેઓ આરાની ટ્રેઝરી લૂંટવામાં મશગૂલ છે. અસલમાં તેમણે ચુનંદા સૈનિકો લઈ દાનાપુરથી નીકળેલી કૅપ્ટન ડન્બારની આધુનિક શસ્ત્રોથી સુસજ્જિત ૪૦૦ સૈનિકો અને છ અંગ્રેજ અફસરોની ફોજ પર છાપો મારવાની યોજના કરી હતી અને તેમની હિલચાલ પર સતત નજર રાખતા હતા. ૨૯મી જુલાઈ, ૧૮૫૭ની રાતે આરાથી દોઢ માઈલ દૂર આવેલા આંબાવાડિયામાં રાતવાસો કરી રહેલી કૅપ્ટન ડન્બારની થાકેલી સેના મધરાતે કુંવરસિંહે તેમના સૈનિકો સાથે અચાનક છાપો માર્યો. ચોંકેલા અફસરો અને તેમના સૈનિકો પ્રતિકાર કરે તે પહેલાં કુંવરસિંહના સૈનિકોએ તેમને વ્યૂહરચનાની જાળમાં એવી રીતે ફસાવ્યા કે કૅપ્ટન ડન્બાર, તેમના છ અફસરો અને ૧૮૦ સૈનિકો આ છાપામાં મૃત્યુ પામ્યા. બચેલા સૈનિકો નાસીને માંડ દાનાપુર પાછા પહોંચ્યા. આ સમાચાર સાંભળી ચારે તરફ હાહાકાર મચી ગયો. ૩૦મી જુલાઈએ દેશભરમાં ટેલિગ્રાફના વાયર ધણધણી ઊઠ્યા. કુંવરસિંહનો આ એક માત્ર વિજય નહોતો. ત્યાર બાદ તેમણે કૅપ્ટન લુગાર્ડ તથા ક્રાઈમિયાના યુદ્ધમાં પ્રખ્યાત થયેલા સેનાપતિ લૉર્ડ માર્ક કર જેવા યોદ્ધાઓને પરાજિત કર્યા.

કૅપ્ટન ડન્બાર ૧૦૫મા રિસાલાના સીઓના ખાસ મિત્ર હતા. તેમના મૃત્યુના સમાચાર સાંભળી તેઓ વ્યગ્ર થયા. સાથેસાથે ક્રોધમાં સળગી ઊઠ્યા. તેઓ ભૂલી ગયા કે કૅપ્ટન ડન્બાર બાબુ કુંવરસિંહનો અને તેમની સેનાનો સંહાર કરવા નીકળ્યો હતો. યુદ્ધમાં હારજીત થતી હોય છે અને પરાજયનો અંજામ મૃત્યુમાં થઈ શકે છે. યુદ્ધમાં પાસા પલટાય છે તે સીઓ જાણતા હતા, પણ આટલી હદ સુધી આવું કંઈ થશે તે તેઓ કલ્પી શક્યા નહોતા. તેમણે પાંડેને બોલાવી બીજા દિવસે સવારે દસ વાગે સૈનિકોનો દરબાર બોલાવવાની આજ્ઞા કરી.

૦-૦-૦

આગળ પ્રકરણ ૧૦ અને ૧૧ વાંચતાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે. અહીં આપેલી લિંક [‘પરિક્રમા’] પર ક્લિક કરવાથી કેપ્ટન સાહેબની આખી નવલકથાના બધા હપ્તા મળી જશે.

આજની ‘મારી બારી’ પસંદ આવે તો અભિનંદનના અધિકારી કૅપ્ટન સાહેબ છે એ કહેવાની જરૂર નથી જોતો.

Science Samachar : Episode 12

. વાડ થઈને ચીભડાં ગળે!

આપણા લિવરમાં કેટલાયે બહાદુર કોશો છે જે લિવરનું કામકાજ નિયમસર ચલાવવામાં મદદ કરીને એનું રક્ષણ કરે છે. પરંતુ, કહે છે ને, કે વાડ થઈને ચીભડાં ગળે, તેના જેમ આપણી સામે ટકી શકતા નથી. શરીરનો માલિક જ જો પોતાના વાહનનો દુરુપયોગ કરવા માગતો હોય તો આ કોશો અંતે માલિકના પ્લાન પ્રમાણે ચાલે છે.

કૅનેડામાં ટોરોન્ટોના વૈજ્ઞાનિકો લાંબા અભ્યાસ પછી એ તારણ પર પહોંચ્યા છે કે બહુ ચરબીવાળો આહાર અને આપણી સ્થૂળતા આવા વીરોને પણ અવળે રવાડે ચડાવી દે છે. તે પછી એ ઇંસ્યુલિનની સામે અવરોધ પેદા કરે છે, જેને પરિણામે ડાયાબિટીસ-2ની સ્થિતિ પેદા થાય છે.

આ રિપોર્ટ Science Immunology મૅગેઝિનમાં પ્રકાશિત થયો છે. વૈજ્ઞાનિકોએ ઉંદર અને માણસના લિવરના CD8+T શ્વેતકણો લીધા અને એમણે દેખાડ્યું કે જાડા માણસોના શરીરમાં આ કોશો સૂઝી જાય છે અને પોતાનું રી-પ્રોગ્રામિંગ કરીને રોગની સામે લડવાને બદલે રોગના સહાયક બની જાય છે. વૈજ્ઞાનિકો એ જાણવા માગતા હતા કે લિવર શા કારણે આટલો બધો ગ્લુકોઝ છોડે છે. એમણે અમુક ઉંદરોને ભારે મેદવાળો ખોરાક ખવડાવ્યો. પછી સરખામણી કરી તો જોયું કે આ ઉંદરોના લોહીમાં સાકરનું પ્રમાણ વધારે હતું. લિવર શરીરની જરૂરિયાત પ્રમાણે ગ્લુકોઝ બનાવે છે અને એનો સંગ્રહ કરે છે. ઇન્સ્યુલિન હૉર્મોન એને જાણ કરે છે કે ગ્લુકોઝ જમા રાખવો કે લોહીને આપવો. હવે, લિવરની અંદરના કોશો જ ઇન્સ્યુલિનનો આદેશ કાને ધરતા ન હોય તો લિવર તો ગ્લુકોઝ છોડ્યા જ કરશે! એટલે ટૂંકમાં લિવરના શ્વેતકણો ઇન્સ્યુલિનનું કહ્યું ન માને અને તમારાં ભજિયાં-પાતરાં કે છોલે-ભટૂરેનું કહ્યું માને તો વાંક કોનો?

સંદર્ભઃ અહીં

૦-૦-૦

. સોડાવાળાં ડ્રિંક્સ મગજને નુકસાન કરે છે?

imageબોસ્ટન યુનિવર્સિટી તરફથી પ્રકાશિત થયેલા બે અભ્યાસલેખો દેખાડે છે કે આવાં ડ્રિંક્સની અસર મગજ પર અને આપણી યાદશક્તિ પર પડે છે. બેમાંથી એક અભ્યાસલેખ તો માત્ર ‘ડાએટ સોડા’ વિશેનો છે. એનાં પરિણામ તો એમ દેખાડે છે કે દરરોજ જે લોકો ડાએટ સોડા (ડાએટ કૉક) પીતા હોય એમના પર તો ત્રણગણી ખરાબ અસર દેખાય છે.

Boston University School of Medicine (MED)નાં ન્યૂરોલૉજીનાં પ્રોફેસર અને આ બન્ને અભ્યાસલેખોનાં માર્ગદર્શક લેખક સુધા શેષાદ્રી/Sudha Seshadri કહે છે કે મીઠાં પીણાં લેવામાં કંઈ ફાયદો હોય એમ લાગતું નથી અને ખાંડને બદલે કોઈ સ્વીટનર વાપરવાથી પણ કંઈ ફરક પડતો નથી. કદાચ પહેલાંના જમાનામાં પીતા. તેમ સાદું પાણી જ લેવું જોઈએ.

બન્ને લેખોના મુખ્ય લેખક મૅથ્યૂ પેઇઝ કહે છે કે મીઠાં અથવા કૃત્રિમ રીતે મીઠાં બનાવેલાં પીણાંની હૃદય પરની અસર વિશે તો જાણીએ છીએ, પણ મગજ ઉપર શું અસર થાય છે તેની ખબર નથી પડી.

આ પહેલાં ૧૯૪૦-૫૦ના ફ્રૅમિંગહાઉસ હાર્ટ સ્ટડી (FHS) થયો હતો.પહેલો લેખ Alzheimer’s & Dementiaમાં આ વર્ષની પાંચમી માર્ચે છપાયો. એના માટે સંશોધકોએ FHSમાં ભાગ લેનારની ત્રીજી પેઢીના ૪૦image૦૦ લોકોને લીધા અને એમાંથી સોડા, ફળનો રસ નિયમિત લેતા હોય તેમને પસંદ કર્યા. જે લોકો સૌથી વધારે આવાં પીણાં પીતા હતા, એમનાં મગજ અકાળે વૃદ્ધ થતાં જણાયાં, ઘટનાને લગતી યાદશક્તિ પણ નબળી હતી અને હિપોકૅમ્પસ સંકોચાયેલું હતું. આપણી લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની યાદશક્તિ હિપોકૅમ્પસ પર આધારિત છે. દિવસમાં એક વાર ડાએટ સોડાલેનારના મગજનું દળ પણ ઓછું હોવાનું જોવા મળ્યું.

બીજો અભ્યાસલેખ આ મહિનાની ૨૦મીએ Strokeમાં પ્રકાશિત થયો છે. એમાં એમણે જે લોકોને સ્ટ્રોક આવ્યો હોય કે અલ્ઝાઇમર્સને કારણે સ્મૃતિભ્રંશ થયો હોય એવા લોકોને તપાસ્યા. ૨,૮૮૮ જણની ઉંમર ૪૫ ઉપર હતી અને ૧,૪૮૪ની ઉંમર ૬૦ની ઉપર હતી. દસ વર્ષ સુધી એમને અભ્યાસમાં રાખવામાં આવ્યા. આમાં એમને જોવા મળ્યું કે ડાએટ સોડાને કારણે ડિમેન્શિયા થાય છે એવું તો જોવા ન મળ્યું પરંતુ જે લોકો રોજ એક વાર ડાએટ સોડા પીતા હતા એવા લોકોનું પ્રમાણ ત્રણગણું હતું. આમ ડાએટ સોડા કારણ ન હોય પણ કંઈક સંબંધ છે. ડાએટ સોડાને સ્ટ્રોક સાથે કંઈક સંબંધ છે એ તો જાણીતી વાત છે, પણ ડિમેન્શિયા સાથે કંઈ સંબંધ હોય તેવી શક્યતા આ પહેલી વાર દેખાઈ છે.

સંદર્ભઃ અહીં

૦-૦-૦

. જાગ્રતાવસ્થાથી ઉપરના સ્તરની ચેતના?

imageઆપણે જેને જાગ્રતાવસ્થા કહીએ છીએ તેનાથી પણ ઉપર ચેતનાનું કોઈ સ્તર છે?સસેક્સ યુનિવર્સિટીના સંશોધકોને આનો પુરાવો મળ્યો છે, પરંતુ એ અવસ્થા ખાસ સંયોગોમાં જ જોવા મળી છે, ખાસ કરીને ભ્રાન્તિજનક(માદક)ઔષધ LSDના પ્રભાવ હેઠળ. યુનિવર્સિટીના સૅક્લર સેન્ટર ફૉર કૉન્શ્યસનેસ સાયન્સના કો-ડાયરેક્ટર પ્રોફેસર અનિલ શેઠ કહે છે તેમ આ અવલોકન દેખાડે છે કે મગજ સામાન્ય જાગ્રૂતિમાં જે રીતે વર્તે છે તેના કરતાં સાયકેડૅલિક ડ્રગ્સ (ભ્રમણા પેદા કરે તેવાં ઔષધો)ની અસર નીચે જુદી રીતે વર્તે છે. દરેક અવસ્થામાં જ્ઞાનતંતુઓ જે સંકેતો મોકલે છે તે જુદા પડે છે. આપણે સૂતા હોઈએ તેના કરતાં જાગતા હોઈએ તે સ્થિતિમાં સંકેતો વિવિધ પ્રકારના હોય છે. આ સંક્તોને ગણિતની દૃષ્ટિએ આંક આપી શકાય છે. એ રીતે LSD આપ્યા પછી સંકેતો માપતાં એ મગજમાં કોઈ પણ સ્થળે પહોંચતા જણાયા. આમ એમનું વૈવિધ્ય સામાન્ય જાગ્રતવસ્થા કરતાં વધાએ ઊંચું જોવા મળ્યું. હમણાં સુધી જે અભ્યાસ થયો છે તે જાગ્રતાવસ્થાની નીચેના સ્તરના એટલે કે બેહોશીની અવસ્થામાં, કે માણસ સૂતો હોય તે વખતે જોવા મળતા સંકેતો હતા એટલે સંશોધકો આ તારણને જાગ્રતાવસ્થાથી ઉપરના સ્તરના સંકેત ગણે છે. એમણે LSD આપ્યા પછી બ્રેન ઇમેજિંગ ટેકનૉલૉજીથી મગજનીચુંબકીય પ્રક્રિયાની તસવીરો લીધી તો આ ચિત્રમાં જોવા મળે છે તેવી (લાલ રંગની) અનિશ્ચિત રૂપની પ્રક્રિયા જોવા મળી. પરંતુ એનો આંક જાગ્રતાવસ્થાની પ્રક્રિયા કરતાં ઊંચો હતો.

બીજા એક સંશોધક ડૉ. મુત્તુકુમારસ્વામીએ કહ્યું કે બીજાં ત્રણ માદક ઔષધોનો પણ અખતરો કરતાં જાગ્રતાવસ્થાથી ઉપરના સંકેતો મળ્યા. આથી, આવી કોઈ અવસ્થા સર્જાય છે એટલું નક્કી થાય છે. પરંતુ સંશોધકો સ્પષ્ટતા કરે છે કે જાગ્રતાવસ્થાથી ઉપરની ચેતનાવસ્થા ‘વધારે સારી’ કે ‘ઇચ્છવાયોગ્ય’ છે એવું નથી સાબીત થયું. માત્ર માદક ઔષધોનો નિયંત્રિત રીતે ઉપયોગ કરવાની શક્યતા ઊભી થઈ છે.

સંદર્ભઃ અહીં

૦-૦-૦

.પ્રવાહી લેન્સવાળાં ઇલેક્ટ્રિક ચશ્માં

બેતાળાં ન પહેર્યાં હોય તો વાંચી ન શકો, મોબાઇલમાં નંબર ન દેખાય અને ભૂલથી બહાર પહેરીને નીકળી જાઓ તો દૂરનું ન દેખાય. બાય-ફોકલ હોય તો વાંચતી વખતે માથું નીચું કરવું પડે અને તરત કોઈ સાથે વાત કરવી હોય તો ચશ્માની ઉપરથી જોવું પડે.

પરંતુ હવે આવતાં થોડાં વર્ષોમાં એવાં ચશ્માં આવી જશે કે તમે એને જેમ ફાવે તેમ વાળી શકશો. આવાં ચશ્માં બની ગયાં છે પણ હજી તો એ આદિમ અવસ્થામાં છે!

યૂટાહ યુનિવર્સિટીના ઇલેક્ટ્રિકલ અને કમ્પ્યુટર એંજીનિયરિંગના પ્રોફેસર કાર્લોસ માસ્ત્રાન્જેલો અને એમના વિદ્યાર્થી નઝમુલ હસને આ ચશ્માં બનાવ્યાં છે. Optics Expressના ૧૭મી જાન્યુઆરીના અંકમાં આનો રિપોર્ટ છપાયો છે.

આંખના લેન્સ જે રીતે વર્તે તેને ધ્યાનમાં રાખીને આ ચશ્માં બનાવ્યાં છે અને એમાં કેટલીયે ઇલેક્ટ્રિકલ, મૅકેનિકલ અને કમ્પ્યુટર સંબંધી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.image

હમણાં તો જરાક નંબર બદલાઈ જાય એટલે વળી ભાગો ડૉક્ટર પાસે, નવા નંબર કઢાવો, દુકાને જાઓ, ચશ્માં ખરીદો. પણ આમાં એવું કંઈ નહીં, એના લેન્સ ગ્લિસરીનના બનેલા છે અને એને લવચીક પાતળા બે પડ વચ્ચે ભર્યું છે. ઇલેક્ટ્રોમેકેનિકલ સિસ્ટમ દ્વારા એને ફ્રેમમાં ગોઠવી દેવાય છે. લેન્સ એક જ છે પણ એમાં જરૂર પ્રમાણે ફેરફાર કરી શકાય છે એટલે એ બે લેન્સનું કામ આપે છે.

આમાં બે વ્યવસ્થા છેઃ એક તો ડૉક્ટરે તમને આપેલો નંબર. એ એક ઍપ દ્વારા એમાં નાખવાનો હોય છે. તે પછી એમાં અંતર પ્રમાણે ફેરફાર કરવાની વ્યવસ્થા પણ છે. તે ઉપરાંત તમે ઓચિંતા જ બીજે નજર ફેરવી લો તો માત્ર ૧૪ મિલીસેકંડમાં જ, એટલે કે આંખના પલકારાની ઝડપ કરતાં પણ ૨૫ ગણી વધારે ઝડપે લેન્સ પોતે જ એ અંતરને અનુકૂળ બની જાય છે એટલે તમને સ્પષ્ટ દૃશ્ય મળે છે. માસ્ત્રાન્જેલો કહે છે કે આમ જૂઓ તો એનો અર્થ એ કે તમે જિંદગીમાં એક જ વાર ચશ્માં ખરીદશો અને બાકીના બધા ફેરફાર એમાં જ થયા કરશે. એટલે કે આંખમાં થતા બધા જ ફેરફારોનો જવાબ તમારાં ચશ્માં આપી દેશે.

ચશ્માંની દુકાનો હવે બંધ. નંબર પણ એક જ વાર કઢાવવાનો. હવે બોલો, “હાશ…!” (મોતિયો આવે તો ઉતરાવવો પડે કે નહીં તે હજી આ બનાવનારાઓએ કહ્યું નથી!)

સંદર્ભઃ અહીં

Science Samachar : Episode 11

) આકાશમાં આતશબાજી

આ ઉલ્કાપાત ખરેખર તો થૅચર ધૂમકેતુના રજકણો છે. બીજા ધૂમકેતુઓનો ભ્રમણકક્ષાનો સમય ૨૦૦થી ૧૦,૦૦૦ વર્ષનો છે. થૅચર ધૂમકેતુને ભ્રમણકક્ષામાં ચક્ર પૂરું કરતાં ૪૧૫ વર્ષ લાગે છે. Lyrid નામનું કારણ એ કે એ Lyra (લાઇર કે વાજિંત્ર)નામના નક્ષત્રમાં છે. તસવીરમાં ચતુષ્કોણ દેખાય છે તે  Lyra  છે અને એની ઉપર Vega (અભિજિત) તારો છે. (હિંદુ જ્યોતિષમાં અભિજિતને નક્ષત્ર માનવામાં આવે છે).

સંદર્ભઃ અહીં

) બેક્ટેરિયા અને ફૂગ કઈ ભાષામાં વાત કરે છે?

નેધરલૅન્ડ્સની પર્યાવરણ સંસ્થાના સંશોધકોની એક ટીમે સૌ પહેલી વાર શોધી કાઢ્યું છે કે બૅક્ટેરિયા અને ફૂગ જેવા બે તદ્દન અલગ પ્રકારના જીવો પરસ્પર સંવાદ માટે  ‘ટર્પિન’ તરીકે જુદી જુદી સુગંધોનો ઉપયોગ કરે છે!  સંશોધકો કહે છે કે માત્ર બૅક્ટેરિયા અને ફૂગ વચ્ચે જ નહીં, પરંતુ આપણા ગ્રહ પર વાતચીત માટે સૌથી વપરાતી ‘ભાષા’ પણ આ ટર્પિન છે.

એક ગ્રામ માટીમાં અબજો સૂક્ષ્મ જીવો હોય છે. આથી “વક્તાઓ” ઘણા હોય તેમાં નવાઈ નથી. આ રાસાયણિક સંપ્રેષણ કદાચ સમગ્ર જીવ સૃષ્ટિની ભાષા હોય તો નવાઈ નહીં.  વનસ્પતિમાં વળગતી ફૂગ ફુઝેરિયમ ટર્પિનની ગંધ પેદા કરે છે તેને માટીનું બૅક્ટેરિયમ સૂંઘી શકે છે. એ જવાબમાં પોતાનું ટર્પિન પેદા કરે છે. એ જ રીતે છોડ અને જીવાત પણ ટર્પિન પેદા કરીને એકબીજાને સંદેશ આપે છે. જો કે આ વાત વૈજ્ઞાનિકો ઘણા વખતથી જાણતા હતા પણ સૂક્ષ્મ જીવાણુઓ વચ્ચે પણ ટર્પિન વાતચીતનું માધ્યમ છે તે હવે ખબર પડી. દરેક જીવ કદાચ ટર્પિનમાં વાત કરતો હોય એ શક્ય છે. આમ આપણે પણ વાતચીત કરતા હોઈએ ત્યારે સાથે સાથે ટર્પિનમાં પણ વાત કરતા હોઈએ એવું ન બની શકે?

સંદર્ભઃ અહીં

 0-0-0

() નિર્જીવમાંથી સજીવની ઉત્પત્તિ?

વિસ્કૉન્સિન-મૅડિસન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો એ ગહન સવાલનો જવાબ શોધવામાં લાગ્યા છે. જીવન ક્યાંથી આવ્યું? એમણે જૈવિક રસાયણોનાં બહુ નાનાં વાયલ અને Fool’s goldનું મિશ્રણ બનાવાવાનું શરૂ કર્યું છે. આ આખો સેટ સતત હાલ્યા કરે છે.

(Fool’s gold એટલે મિનરલ પાઇરાઇટ્સ કે આયર્ન પાઇરાઇટ્સ. એનો રંગ સોના જેવો ચમકે છે પણ સોનું નથી. Pyrites મૂળ ગ્રીકમાંથી બનેલો શબ્દ છે, જેનો અર્થ છે, આગ. એ કોઈ પદાર્થ સાથે ઘસાય ત્યારે તણખા ઝરે છે).

સંશોધકો જોવા માગે છે કે જીવન બન્યું એવી રાસાયણિક પ્રતિક્રિયા શક્ય છે કે કેમ? યુનિવર્સિટીના વનસ્પતિ શાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રોફેસર ડેવિડ બૉમ કહે છે કે શરૂઆતનું જીવન ખનિજની સપાટી પર શરૂ થયું હોવું જોઈએ. આજે પણ શરીરના કોશોની ઘણી પ્રક્રિયાઓમાં આયર્ન-સલ્ફર ઉત્પ્રેરક તરીકે કામ કારે છે. આથી એમણે આયર્ન પાઇરાઇટની પસંદગી કરી છે.

સંશોધકો આયર્ન પાઇરાઇટના સૂક્ષ્મ કણો અને ઑર્ગેનિક રસાયણોને હલાવીને ભેળવે છે. એમની ધારણા છે કે પાઇરાઇટના સૂક્ષ્મ કણ અમુક રાસાયણિક ઊર્જા સાથે પ્રતિક્રિયા કરે તો રસાયણ આપમેળે વધ્યા કરે. આવી દરેક વાયલનૅ અલગ કરીને સંઘરી લેવી. તે પછી પ્રયોગ ચાલુ રહે અને એ રીતે જે સૌથી શક્તિશાળી પ્રતિક્રિયા હશે તે આપોઆપ વસાહત ઊભી કરી લેશે. ખરેખર એવું થશે તો જડમાંથી ચેતન બન્યું એમ સાબીત થશે.

સંદર્ભઃ અહીં

() વિટામીન ‘ડી’ની ઉણપ છે? હા…હા…હા….

જરાક નબળાઈ લાગે તો મનમાં થાય કે વિટામિન ‘ડી’ની જરૂર છે. બસ, પછી ગોળીઓ ગળ્યા કરો. ન્યૂ યૉર્ક ટાઇમ્સમાં ગિના કલાટા આવા વહેમને દૂર કરે છે અને કહે છે કે વીટામિન ‘ડી’ ઓછું હોય તો ઑસ્ટિઓપોરોસિસ થાય, હાડકાં બરડ થઈ જાય. પણ છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન અમેરિકાના મેન શહેરમાં આઠ લાખ દરદીઓ પાસેથી મળેલી માહિતી પ્રમાણે એમને આવી કોઈ તકલીફ ન હોવા છતાં એમણે વિટામિન ‘ડી’ માટે લોહીની તપાસ કરાવડાવી અને એમનો વિટામિન ‘ડી’ની ગોળીઓ દ્વારા ઇલાજ કરવામાં આવ્યો. હકીકત એ છે કે એક મિલીલીટર લોહીમાં૨૦થી ૩૦ નૅનોગ્રામ વિટામિન ‘ડી’ હોય તો એને ઉણપ ન કહેવાય. જેમના લોહીમાં એક મિલીલીટરમાં ૨૦ નૅનોગ્રામ વિટામિન ‘ડી’ હોય તેવી તંદુરસ્ત વ્યક્તિને વધારાનું વિટામિન આપવાથી દેખીતો કોઈ લાભ નથી થતો. વિટામિન ડી કૅલ્શિયમ અને ફોસ્ફરસના રૂપાંતર માટે જરૂરી છે અને એટલું તો સૂરજના તડકામાંથી મળી જાય છે. એટલે વિટામિન ‘ડી’ વિશે ચિંતા કરવાનું છોડી દેવામાં જ ડહાપણ છે.

સંદર્ભઃ અહીં

Shantabai Dhanaji Dani

૧૯૨૫-૨૬ના અરસાની આ વાત છે. નાશિકમાં એક મરાઠા કુટૂંબે એમના મહાર કોમના મિત્ર ધનાજીને કુટુંબ સહિત જમવા નોતર્યા. ઘરમાં મોટો પ્રસંગ હતો. ઘણા મહેમાનો હતા. ધનાજી દીકરીને લઈને ગયા. પંગત પડી ત્યારે મિત્ર ધનાજીને ગમાણમાં લઈ ગયો અને બન્નેને ખાવાનું પીરસ્યું. છ-સાત વર્ષની છોકરી હેબતાઈ ગઈ. આ શું? ગાયોના છાણ-મૂત્રની વાસ વચ્ચે જમવાનું? બાપને પૂછ્યું, આમ કેમ? બાપે કહ્યું, “દીકરી, આપણે મહાર છીએ અને એ લોકો મરાઠા. એમની સાથે બેસીને આપણે જમીએ તો એ લોકો અભડાઈ ન જાય?” દીકરીને સમજાયું નહીં, અભડાવું એટલે શું. બાપે સમજાવ્યું, આપણે એમને અડકી ન શકીએ. દીકરીને થયું કે અડકીએ તો શું થાય? બાપે ધીરજથી સમજાવ્યું કે આપણે અડકીએ તો એમનેય પાપ લાગે અને આપણનેય પાપ લાગે. દીકરીની મનમાં બીજો સવાલ પેદા થયો. આ પાપ એટલે શું? “ખરાબ કામ એટલે પાપ” બાપે કહ્યું. દીકરી મૌન રહી પણ એના મનમાં વિચારનો વંટોળ ઊઠ્યો.ક જ સવાલ મનમાં ચકરાવા લેતો રહ્યો. અડકવું એ ખરાબ કામ કેમ કહેવાય? આ લોકો કૂતરાં-બીલાડાંને અડકે તો પાપ ન લાગે અને માણસને અડકે તો પાપ લાગે?

આ કથા છે નાતજાતની બદી સામે ઝઝૂમનાર એક હિંમતવાન દલિત સ્ત્રી શાંતાબાઈ ધનાજી દાણીની.

૦-૦-૦

clip_image002નાશિકની ભાગોળે ખડકાલી ગામમાં ૧૯૧૯માં શાંતાબાઈનો જન્મ. ધનાજી દૂધ વેચીને કમાય. પણ કોઈ કારણસર આ ધંધો પડી ભાંગ્યો. એની પાસે કામ ન અરહ્યું માએ જે કંઈ થોડાઘણા પૈસા હતા તેમાંથી ઘરની ઝૂંપડી પાસેની જમીન ખરીદી લીધી અને રોજ એનું ઘાસ કાપીને વેચી આવે. એમાંથી રોજેરોજનું ગુજરાન ચાલે. પરંતુ એક દિવસ ઘાસની જમીન પર આગ લાગી ગઈ. બધું ઘાસ અને એમની ઝૂંપડી પણ બળીને રાખ થઈ ગઈ. ખાવા માટે ઘરમાં રોટલીનો ટુકડો મળવાનું પણ મુશ્કેલ થઈ ગયું. આમ છતાં,માતાપિતાનેદીકરીને ભણાવવાનો બહુ શોખ. દીકરી ભણ્યા વિનાની ન રહી જાય એવી એમની ઇચ્છા. ખાસ કરીને માતા તો કહેતી કે દીકરી, ભણી લે બરાબર. આપણે રહ્યાં ગરીબ. ભણવા સિવાય આપણો ઉદ્ધાર નહીં થાય. દીકરી મન પરોવીને ભણતી પણ હતી પણ પાચમા ધોરણમાં પહોંચી ત્યારે પિતાના મિત્રને ઘરે જમવા જવાનું થયું. તેનાથી એ અંદરથી હલબલી ગઈ. આ અનુભવ પહેલો તો હતો, પણ છેલ્લો નહોતો. સ્વાભિમાન માટેના સંઘર્ષની આ કથાની હજી તો શરૂઆત જ હતી.

શાંતાબાઈનો જન્મ થયો ત્યારે એમના કરતાં એક મોટી બહેન સોનુ અને એક મોટો ભાઈ શંકર, બે મોટાં ભાઈબહેન હતાં પણ શંકરનું મૃત્યુ થઈ જતાં પિતાને ફરી પુત્રની આશા હતી, પણ દીકરી આવતાં પિતાએ કહ્યું કે “મારી બધી આશાઓ શાંત થઈ ગઈ. હું તો મૂંગો થઈ ગયો”. બાપે એટલે એનું નામ જ શાંતા રાખી દીધું. બાપનું મન દીકરાની આશામાં તરફડતું હતું. એમાં જ એને દારુની લત લાગી. પણ મા તે મા. એને તો દીકરાદીકરીનો ફેર ન જ હોય. એણે તો દીકરીમાં પોતાના શ્વાસ બાંધી દીધા. મોટી દીકરી સોનુને તો બાળપણમાં જ પરણાવી દીધી હતી અને એ બહુ દુઃખી હતી. પતિ એને લાકડાં વીણવા મોકલે, એની પાસે છાણાં થાપવાનું કામ કરાવે અને એની બધી કમાણી ઝુંટવી લે. સોનુને ખાવા પણ ન આપે. આથી માને હતું કે શાંતાને તો ભણાવીશ જ. માએ ગાંઠ વાળી લીધી હતી કે મારી દીકરી ભણીગણીને આગળ વધશે જ.

દીકરીને સારું શિક્ષણ મળે તે માટે માએ એને મિશનરી સ્કૂલમાં દાખલ કરાવી. સ્કૂલના મુખ્ય શિક્ષક દાણી સાહેબ છોકરાંઓ વચ્ચે ઊંચનીચનો ભેદ ન રાખતા. મા છ વર્ષની શાંતાને લઈને એમની પાસે ગઈ અને કહ્યું, “માસ્તરસાહેબ, મારી દીકરીનું ધ્યાન રાખજો. મારાથી બનતું બધું કરીશ.” મા સ્વાભિમાની પણ બહુ, એક વખત છોકરી નિશાળેથી ઘરે પાછી આવી અને ઘરમાં ડબરા ખોલીને જોયું કે કંઈ ખાઅવાનું છે. બધા ડબરા ખાલી. એ ભૂહને કારણે રડવા લાગી. પાડોશીએ પૂછ્યું તો એણે ભાખરી માગી. પાડોશી પણ એવા જ ગરીબ. પણ એ જ વખતે મા આવી પહોંચી. એણે સાંભળી લીધું કે છોકરી ભીખ માગે છે. એણે એક સોટી ઉપાડીને ફટકારવા માંડી. અધમૂઈ થઈને શાંતા ત્યાં જ સૂઈ ગઈ. પછી મોડેથી માનો ગુસ્સો ઠંડો પડતાં ક્યાંકથી ખાવાનો જોગ કરી આવી અને દીકરીને ખવડાવ્યું.

દાણી સાહેબની કાળજીથી શાંતાબાઈનું શાળાનું શિક્ષણ પૂરું થયું અને એમને મહિલા તાલીમ કૉલેજમાં પ્રવેશ મળી ગયો. એમને થયું કે કૉલેજ તો ભેદભાવોથી પર હશે પરંતુ એ જ્યાં ગયાં ત્યાં નાતજાતના ભેદ એમનો પીછો છોડતા નહોતા. તાલીમ પૂરી કર્યા પછી એમને વિંચુર ગામમાં શિક્ષિકા તરીકે નોકરી મળી.

clip_image004 ૧૯૪૨માં શાંતાબાઈની કૉલેજમાં ડૉ. આંબેડકર આવ્યા. એમના ભાષણનો શાંતાબાઈ પર ભારે પ્રભાવ પડ્યો. તે સાથે જ એમનો સંપર્ક કર્મવીર દાદાસાહેબ ગાયકવાડ (ભાઉરાવ કૄષ્ણજી ગાયકવાડ) સાથે પણ થયો. દાદાસાહેબ ડૉ. બાબાસાહેબ આંબેડકરના નિકટના સાથી હતા. રીપલ્બ્લિકન પાર્ટી પણ એમણે જ સ્થાપી. ૧૯૭૧માં એમનું મૃત્યુ થયું. ૧૯૬૮માં ભારત સરકારે એમને ‘પદ્મશ્રી’નું બહુમાન આપ્યું. ૨૦૦૨માં એમની જન્મ શતાબ્દી નિમિત્તે ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. દાદાસાહેબનાં લગ્ન શાંતાબાઈની એક પિતરાઈ બહેન સાથે થયાં હતાં એટલે એમની સાથે મળવાનું પણ થતું. આમ શાંતાબાઈ જાહેર જીવન તરફ આકર્ષાયાં.

૧૯૪૬માં શાંતાબાઈએ ૧૯૩૨ના પૂના પેક્ટ વિરુદ્ધના આંદોલનમાં ઝંપલાવ્યું. એમાં એમની ધરપકડ પણ થઈ. બીજી ગોળમેજી પરિષદમાં ‘ડિપ્રેસ્ડ ક્લાસિસ’ (દલિતો) માટે અનામત મતદાર મડળની વ્યવસ્થા કરવામાં આવી. ગાંધીજીએ આનો વિરોધ કર્યો હતો એમનું કહેવું હતું કે ડિપ્રેસ્ડ ક્લાસિસ હિંદુ સમાજનો ભાગ જ છે અને આ સમસ્યા હિંદુ સમાજની છે. સરકારે જાહેરાત કરી ત્યારે ગાંધીજીએ યરવડા જેલમાં ઉપવાસ શરૂ કર્યા. અંતે ડૉ. આંબેડકર એમને મળ્યા. એમાં એમણે “ગાંધીજીનું જીવન બચાવવા” માટે અનામત મતદાર મંડળની વાત પડતી મૂકી. બદલામાં ગાંધીજી સંમત થયા કે બ્રિટીશ વડા પ્રધાન રામ્સે મેક્ડોનલ્ડના કોમી ચુકાદામાં ડિપ્રેસ્ડ ક્લાસિસ માટે ૭૧ સીટો અપાઈ હતી તેને બદલે કોંગ્રેસ ૧૪૮ સીટો ડિપ્રેસ્ડ ક્લાસિસના ઉમેદવારોને આપશે. આ સમજૂતી પૂના પૅક્ટ તરીકે ઓળખાય છે.

પૂના પૅક્ટ વિરુદ્ધના આંદોલન પછી શાંતાબાઈ બધા સામાજિક મોરચે આગળ રહેવા લાગ્યાં. આઝાદી પછી પણ એમણે દલિતોના અધિકારો માટે બોલવાનું બંધ ન કર્યું. એટલું જ નહીં. ડૉ. આંબેડકરે બનાવેલી ઇંડીપેન્ડન્ટ લેબર પાર્ટીના સિદ્ધાંતોનું પાલન કરતાં એમણે મહારાષ્ટ્રમાં ભૂમિહીન ખેતમજૂરોને પણ સંગઠિત કર્યા.

૧૯૬૮માં મહારાષ્ટ્રના રાજ્યપાલે એમની નીમણૂક રાજ્ય વિધાન પરિષદમાં કરી. આ પદ પર એમણે ૬ વર્ષ સેવા આપી. ૧૯૮૯માં સિત્તેર વર્ષની ઉંમરે એમણે રાજકીય ક્ષેત્રમાં રસ લેવાનું ઓછું કરી નાખ્યું અને પોતાનું બધું ધ્યાન મનમાડ અને નાશિકના ગ્રામીણ વિસ્તારોમાં છોકરાછોકરીઓ માટે નિશાળો ઊભી કરવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું. આમાં ફંડની ખેંચ પડતાં એમણે અને દાદાસાહેબ ગાયકવાડનાણ બીજાં પત્નીએ પોતાનું સોનું વેચીને નાણાં ઊભાં કર્યાં.

આ પહેલાં ૧૯૮૭માં શિક્ષણ ક્ષેત્રમાં એમની સેવાઓની કદર રૂપે સાવિત્રીબાઈ ફૂળે પુરસ્કાર આપવામાં આવ્યો. ૧૯૮૫માં મહારાષ્ટ્ર સરકારે એમને દલિત મિત્ર પુરસ્કાર જાહેર કર્યો પરંતુ શાંતાબાઈએ એનો અસ્વીકાર કર્યો અને કહ્યું કે સરકાર દલિતો માટે ખરેખર કંઈ કરવા માગતી હોય તો દલિતોના રહેણાક વિસ્તારોમાં ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરે અને પીવા લાયક પાણી પહોંચાડે એ જ એમનો ખરો પુરસ્કાર હશે.

સમાજમાં સમાનતા અને જાતિભેદ નાબૂદ કરવા માટે સતત સંઘર્ષ કરનારી આ વીરાંગનાનું ૨૦૦૧માં અવસાન થયું. આજે ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે એમની એક અનન્ય શિષ્યાને વંદન કરીએ.


સંદર્ભઃ

Sharmila Rege. Writing Caste, Writing Gender: Reading Dalit Women’s Testimonies. Zubaan, 2006.

સ્રોતઃ https://goo.gl/kq3KzQ (અને જસ્ટિસ ન્યૂઝ, ફૅમિનિઝમ-ઇંડિયા)


The ist week of April before 100 years

આજથી સો વર્ષ પહેલાંના ઍપ્રિલનું પહેલું અઠવાડિયું દુનિયાના ઇતિહાસમાં મહત્વનું છે. ૧૯૧૪થી વિશ્વયુદ્ધ ચાલતું હતું પણ અમેરિકા હજી યુદ્ધમાં જોડાયું નહોતું. ૧૯૧૭ની બીજી ઍપ્રિલે અમેરિકાના રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સને અમેરિકી કોંગ્રેસને યુદ્ધ મોરચે અમેરિકાના સૈનિકોને ઉતારવાની મંજૂરી આપવા અપીલ કરી અને ચાર દિવસ પછી છઠ્ઠી તારીખે કોંગ્રેસે જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું. એ વખત સુધી અમેરિકા તટસ્થ હતું પરંતુ જર્મનીએ તટસ્થ દેશોનાં જહાજો પર પણ હુમલા શરૂ કરી દીધા હતા એટલે દુનિયામાં આક્રોશ વધી ગયો હતો.

imageઆ પહેલાં જર્મનીએ મૅક્સિકોને અમેરિકા યુદ્ધમાં ઊતરે તો એની સામે લડવા પોતાના પક્ષમાં લેવાની કોશિશ કરી હતી. મૅક્સિકો એને સાથ આપે તો અમેરિકાના ટૅક્સાસ, ન્યૂ મૅક્સિકો અને ઍરીઝોના પ્રદેશો ફરી પાછા મેળવવામાં મૅક્સિકોને મદદ કરવાનું જર્મનીએ વચન આપ્યું. જર્મનીના વિદેશ વિભાગે જાન્યુઆરીમાં મૅક્સિકોના જર્મન ઍમ્બેસેડરને એક ટેલીગ્રામ મોકલીને આ દરખાસ્ત રજૂ કરી હતી. (આ સાથેની તસવીર જૂઓ) જર્મનીના વિદેશ મંત્રી આર્થર ઝિમરમનના નામ પરથી એ ‘ઝિમરમન ટેલીગ્રામ’ તરીકે ઓળખાય છે. આ ટેલીગ્રામ બ્રિટનના હાથમાં પડતાં દુનિયામાં ખળભળાટ મચી ગયો. તે પછી માર્ચમાં ઝિમરમને બેધડક કહી દીધું કે આ ટેલીગ્રામ સાચો છે. આથી અમેરિકામાં જર્મની સામે યુદ્ધ જાહેર કરવાની જોરદાર માંગ શરૂ થઈ ગઈ હતી.

વિલ્સને કોંગ્રેસને મોકલેલા સંદેશમાં જર્મનીએ તટસ્થ દેશોનાં જહાજો પર કરેલા હુમલાઓનો ઉલ્લેખ કરીને કહ્યું કે, આ લડાઈ બધા દેશોની વિરુદ્ધ છે. અમેરિકાનાં જહાજો પણ ડૂબ્યાં છે, અમેરિકીઓ માર્યાગયા છેપડકાર સમગ્ર માનવજાત સામે છે. એનો કેમ મુકાબલો કરવો તે દરેક દેશે જાતે જ નક્કી કરવાનું છે. આપણે જે નિર્ણય લેશું તે શાણપણ અને વિવેકભર્યો જ હોવો જોઈએ.આપણે આવેશને કોરાણે મૂકવો પડશે. આપણો હેતુ વેર વાળવાનો કે આપણી શક્તિનો વિજયવંત ફાંકો દેખાડવાનો નહીં પણ માત્ર અધિકાર, માનવ અધિકારનું ગૌરવ સ્થાપવાનો હોવો જોઈએ, જેના આપણે એક માત્ર સમર્થક છીએ.”

અમેરિકાએ પહેલાં તો વોલંટિયર દળ ઊભું કરવાનો પ્રયાસ કર્યો પરંતુ પછી લશક્રી ભરતી ફરજિયાત બનાવી. આથી યુદ્ધમાં સતત નવા સૈનિકો જોડાતા રહ્યા. આ રીતે અમેરિકાનો નિર્ણય જર્મની સામે લડતાં બ્રિટન અને ફ્રાન્સ માટે બહુ લાભકારક રહ્યો, કારણ કે રશિયા યુદ્ધમાંથી ખસી ગયું હતું. એ વખતે રશિયામાં ઝારનું શાસન અવ્યવસ્થાની ગર્તામાં ગયું હતું અને લોકોમાં ભારે અસંતોષ હતો. રશિયન સૈન્યમાં પણ ઝાર જબ્બર અજંપો હતો.

એ વખતે રશિયામાં સામ્યવાદી ક્રાન્તિનાં ચક્રો ગતિમાન થઈ ગયાં હતાં અને સૈન્યની ‘સોવિયેતો’માં (સોવિયેત એટલે સલાહ. અહીં સમિતિ અથવા પંચાયત એવો અર્થ છે. સોવિયેત સંઘ આવી નાની સોવિયેતોનો સંઘ હતો) પણ કમ્યુનિસ્ટોનું જોર વધારે હતું. રશિયન સૈનિકોની હાલત એવી હતી કે એમની પાસે પહેરવા માટે સારા બૂટ પણ નહોતા. એવામાં લેનિને ‘સામ્રાજ્યવાદી-મૂડીવાદી’ યુદ્ધનો વિરોધ કરતાં સૈનિકો મોરચા છોડીને ભાગવા લાગ્યા હતા.

આ ટાંકણે અમેરિકાએ યુદ્ધમાં ઝંપલાવતાં જર્મની સામે મજબૂત મોરચો મંડાયો. અમેરિકાને પોતાને પણ આ યુદ્ધનો બહુ ફાયદો થયો.

૧૯૧૪માં યુદ્ધ શરૂ થયું ત્યારે અમેરિકી અર્થતંત્ર મંદીમાં હતું પણ યુદ્ધ શરૂ થતાં યુરોપમાં એનો માલ મોટા પાયે જવા લાગ્યો. અમેરિકા પોતે તો યુદ્ધમાં હતું નહીં એટલે એના માટે તો યુદ્ધ એક વેપારની તક જેવું હતું. એ યુદ્ધમાં આવ્યું એટલે સરકારે આખા અર્થતંત્રને યુદ્ધ માટેના ઉત્પાદન તરફ વાળ્યું. આને કારણે ઉદ્યોગોનો વિકાસ થયો. યુદ્ધ પોતે જ આ રીતે એક ઉદ્યોગ છે! પરંતુ યુવાનો લશ્કરમાં જતાં માનવશ્રમની ખેંચ પડી. એટલે સ્ત્રીઓને પણ શ્રમબળમાં સામેલ કરવામાં આવી. આની સામાજિક અસર એ પડી કે સ્ત્રીઓના હાથમાં પણ પૈસા આવતા થયા અને એમને વધારે સ્વતંત્રતા મળી. અમેરિકામાં સ્ત્રીઓને મતાધિકાર નહોતો, પરંતુ એના માટે આંદોલન ચાલ્યું અને ૧૯૨૮માં મતાધિકાર મળ્યો. સ્ત્રીઓની આ સ્વતંત્રતાના મૂળમાં ‘મૂડીવાદી’ યુદ્ધ છે, એ પણ નોંધવા જેવું છે. ૧૯૨૯ સુધી તો અમેરિકી અર્થતંત્ર પૂરવેગે આગળ ધપતું હતું; યુદ્ધ બંધ થયા પછીના એક દાયકા સુધી અર્થતંત્ર ધમધમતું રહ્યું. લોકોની ખરીદશક્તિ પણ વધી હતી, આથી ઉપભોક્તાવાદને પણ બળ મળ્યું, પરંતુ અતિ ઉત્પાદનને કારણે માલનો ભરવો થવા લાગ્યો અને ૧૯૨૯માં અમેરિકા મહામંદીમાં સપડાયું.

ભારતમાં અસર

ભારત બ્રિટનની વસાહતી બેડીમાં હતું. બ્રિટને એનો ભરપૂર લાભ લીધો. ભારતમાંથી ઘણા સૈનિકોને મેસૅપોટેમિયા (ઈરાક)ના મોરચે મોકલવામાં આવ્યા, એમાં આઠ હજારના જાન ગયા. આમ બ્રિટને પોતાની સૈનિકશક્તિ વધારવા માટે પોતાની સત્તાનો ઉપયોગ કર્યો. એક સમજૂતી એવી હતી કે ભારતીય સૈનિકોને યુરોપમાં ન મોકલવા, તેમ છતાં ભારતીય સૈનિકોને ફ્રાન્સના મોરચે જર્મની સામે મૂકવામાં આવ્યા. સ્થિતિ એ હતી કે ભારતના ૧૫ લાખ સૈનિકો યુરોપના આ યુદ્ધમાં ઊતર્યા હતા. આ રીતે બ્રિટિશ સામ્રાજ્યના કોઈ પણ દેશ કરતાં ભારતે વધારે સૈનિકો મોકલ્યા!

ભારતના અર્થતંત્રને પણ અમેરિકાની જેમ કંઈ ખાસ લાભ ન થયો, ઉલટું, એને ઘસારો જ પહોંચ્યો કારણ કે બ્રિટને જ એનો ઉપયોગ મનફાવતી રીતે કર્યો. આની સામે લોકોમાં ઉગ્ર રોષ હતો. આથી સ્વદેશી પ્રત્યે લોકોનું વલણ વધવા લાગ્યું.

જોવાનું એ છે કે યુદ્ધ શરૂ થયું ત્યારે ગાંધીજીએ ઍમ્બ્યુલન્સ કોર ઊભી કરવાની કોશિશ કરી હતી, પણ પછી સીધા જ બ્રિટનના યુદ્ધપ્રયાસોમાં સહકાર આપવા સંમત થયા એટલું જ નહીં એમણે જુવાનોને લશ્કરમાં ભરતી કરાવવા માટે ઝુંબેશ પણ શરૂ કરી.

ગાંધીજીનું કહેવું હતું કે બ્રિટન સંકટમાં હોય ત્યારે એનો ગેરલાભ ન લેવાય. ગાંધીજીને આશા હતી કે વિશ્વયુદ્ધના અંત પછી બ્રિટન ભારતની ભૂમિકાની કદર કરશે અને પોતાની પકડ ઢીલી કરશે. પરંતુ એવું ન થયું. ગાંધીજીને બ્રિટનની શુભ નિષ્ઠામાંથી વિશ્વાસ ઊઠી ગયો. દરમિયાન જલિયાંવાલા બાગના હત્યાકાંડ પછી તો એમને બ્રિટનની ઉદ્દંડતા જ નજરે ચડવા લાગી. પછી એમણે તરત જ ખિલાફત આંદોલન અને અસહકાર આંદોલન શરૂ કરીને બ્રિટન વિરુદ્ધ જંગ શરૂ કરી દીધો.

૧૯૧૪થી ગદર પાર્ટી પણ બ્રિટનની વિરુદ્ધ અને આઝાદી માટે સક્રિય બની ગઈ હતી, જો કે એ સફળ ન થઈ. પરંતુ દેશમાં ગાંધીજીના માર્ગથી અલગ સશસ્ત્ર ક્રાન્તિના માર્ગે ચાલનારાઓની સંખ્યા પણ વધી ગઈ. રામપ્રસાદ બિસ્મિલ, ભગત સિંહ વગેરે આ જ પરંપરામાં શહીદ થયા.

પહેલા વિશ્વયુદ્ધે દુનિયાની વિચાર પદ્ધતિને અને સામાજિક-રાજકીય અને અર્થિક વ્યવસ્થાને નવી દિશા આપી એમ કહેવામાં અતિશયોક્તિ નથી. બ્રિટનની જગ્યાએ અમેરિકાનું પલ્લું ભારે થવા લાગ્યું હતું અને બીજા વિશ્વયુદ્ધ પછી તો એમ જ કહી શકાય કે બ્રિટનને જીતવાની ભારે કિંમત ચુકવવી પડી. પરિણામે ભારતના સંદર્ભમાં સાપે છછૂંદર ગળ્યા જેવી એની હાલત હતી. પહેલા વિશ્વયુદ્ધે ભારતને જે આંચકો આપ્યો તેનાં વમળો લાંબા વખત સુધી ફેલાતાં રહ્યાં અને અંતે સ્વાધીનતાના કિનારે જઈને શમ્યાં.

૦-૦-૦

%d bloggers like this: