ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ
ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ
પ્રકરણ ૩૨: “ખૂબ લડી મર્દાની વોહ તો…”(૨)
રાણી લક્ષ્મીબાઈએ એ પહેલાં પણ ૧૮૫૪થી ૧૮૫૭ સુધી, ઘણા પત્રો લખીને ન્યાયની માગણી કરી હતી. ૧૮૫૭ના બળવા વખતે પણ એમનું વલણ એ જ હતું, પણ ન્યાય માટેની ઝંખના પણ એટલી જ પ્રબળ રહી એટલે અંગ્રેજો વિરુદ્ધ એમના મનમાં આક્રોશ તો વધતો જ જતો હતો. એમની નજરે ન્યાય એક જ રીતે થાયઃ અંગ્રેજ હકુમત સંધિનું શબ્દશઃ પાલન કરે અને દામોદર રાવને ગંગાધર રાવના વારસ તરીકે સ્વીકારીને રાજા તરીકે માન્યતા આપે; અને જ્યાં સુધી એ પુખ્ત વયે ન પહોંચે ત્યાં સુધી રાણીને એના વાલી તરીકે રાજકાજ સંભાળવાનો અધિકાર આપે. આ સિવાયની કોઈ પણ ઉદાર શરતોને રાણીએ ઠોકર મારી દીધી. દાખલા તરીકે, ૨૨મી ઍપ્રિલ, ૧૮૫૪ના પત્રમાં રાણીએ ગવર્નર જનરલ ડલહૌઝીને રાજ્યમાં સીધું બ્રિટિશ શાસન લાગુ કરવાનું એક મહિના માટે મોકૂફ રાખવાની વિનંતી કરી હતી અને એ દરમિયાન એમણે પોતાની વફાદારી સાબીત કરી દેવાની તૈયારી પણ દેખાડી હતી.
રાણીએ કહ્યું કે આમ છતાં, જો એ નિર્ણય લાગુ કરાશે તો “અમારા લોકો જેને લશ્કર કહે છે તેની પાંચસો કટાયેલી તલવારો અને નુકસાન કરી ન શકે તેવી પચાસ તોપો ભારે દુઃખ સાથે, પણ બીજો કોઈ દેખાડો કર્યા વગર તમારા (ગવર્નર જનરલના) એજંટને સોંપી દેશું.”
ગવર્નર જનરલ પાસેથી ન્યાય નહીં મળે તેમ લાગતાં રાણીએ લંડનમાં કોર્ટ ઑફ ડાયરેક્ટર્સને અપીલ કરી. આમાં જે ભાષા વાપરી છે તે તીક્ષ્ણ બુદ્ધિ અને હિંમતનો પરિચય આપે છે. એણે જે દલીલો કરી છે તેમાં અંગ્રેજોની સત્તા સામે નમતું ન મૂકવાની તૈયારી દેખાય છે. રાણી હિંમતથી એનું રાજ્ય લઈ લેવાના પગલાને પડકારે છે. એ મુદ્દાવાર લખે છેઃ
ઝાંસીના હમણાંના અને પહેલાંના શાસકોને ઈસ્ટ ઇંડિયા કંપનીની બ્રિટિશ સરકારથી સ્વતંત્રપણે ઝાંસીના પ્રદેશ અને સરકારમાં સંપૂર્ણ અને અકાટ્ય અધિકાર છે. આ અધિકાર કોઈ સંધિ દ્વારા કે બીજી રીતે ઈસ્ટ ઇંડિયા કંપનીના હાથમાં ગયો નથી અથવા તો રાણી અથવા એના પુરોગામીઓએ ફરજ ચૂકવાને કારણે કે લડાઈમાં અથવા (સામા પક્ષના) વિજયને કારણે ખોયો નથી.
આ અધિકાર રાજા ગંગાધર રાવના અવસાન પછી કોઈ વારસ ન હોવાને કારણે ઉપરી સરકારના હાથમાં જતો નથી. હિન્દની સરકારે દત્તકનો ઇનકાર નથી કર્યો, દત્તક લેવાની અસરનો ઇનકાર કરે છે.
રાણી આગળ સીધો જ સવાલ કરે છેઃ
દત્તક લેવાની અસરોનો સ્વીકાર ન કરવાથી ઈસ્ટ ઇંડિયા કંપનીને ઝાંસીની માલિકી મળી જાય છે? એને કારણે શું એને અધિકાર મળી જાય છે કે ઝાંસીના રાજ્યનો વહીવટ કરે અને પ્રદેશનો ઉપભોગ કરે?
અરજીનો બંધ વાળતાં રાણીએ લખ્યું કે,
આ કેસને કારણે હિન્દના બધા રાજાઓ અને જાગીરદારોમાં અજંપો છે. સૌ ભારે ઇંતેજારીથી એના પરિણામની રાહ જુએ છે અને તેઓ એના પરિણામ પરથી નક્કી કરશે કે બ્રિટિશ સરકારનો ભરોસો કરવો કે કેમ.
પરંતુ કોર્ટ ઑફ ડાયરેક્ટર્સ માટે ડલહૌઝીએ કહી દીધું તે જ કાયદો હતો.
આમ છતાં હજી સુધી રાણીએ અંગ્રેજી હકુમત સામે છડેચોક બહાર આવવાનો નિર્ણય નહોતો કર્યો. એને કિલ્લો છોડી દીધો અને શહેરના મહેલમાં સાદું જીવન ગાળવાનું શરૂ કરી દીધું એમના પત્રોમાં છેક ૧૮૫૭ની શરૂઆત સુધી સંઘર્ષ ટાળવાનું વલણ રહ્યું. ૨૩મી જૂનના એક પત્ર દ્વારા કંપનીએ ઝાંસીના રક્ષણની જવાબદારી રાણીને સોંપી હતી. એના જવાબમાં રાણીને અંગ્રેજ વહીવટીતંત્ર તરફથી પત્ર મળ્યો તેમાં રાણીને જિલ્લાની જવાબદારી સોંપવાનું જાહેરનામું સાથે બીડ્યું હોવાનું લખ્યું હતું પણ હકીકતમાં જાહેર-નામું હતું નહીં. ૨૯મી જુલાઈએ રાણીએ જાહેરનામું નથી મળ્યું એવી જાણ કરી. એનાથી પહેલાં અને તે પછી, રાણીએ ત્રણ પત્રો મોકલ્યા હતા એનો જવાબ મળ્યો નહોતો એટલે આ પત્રમાં રાણીએ શંકા દેખાડી કે પત્રવાહકો બળવાખોરોના ભયથી કાં તો પહોંચ્યા જ નથી અથવા તો બળવાખોરોની બીકને લીધે જવાબ લીધા વિના ભાગી છૂટ્યા છે
તે પછી બનેલા બનાવોની વિગતો રાણીએ પોતાના ૧લી જાન્યુઆરી ૧૮૫૮ના પત્રમાં આ રીતે આપી છેઃ
રાજ્યમાં અરાજકતાની સ્થિતિ જોઈને પૂર્વ અને પશ્ચિમેથી દાતિયાની રાણી અને ઓરછાના રાજાએ ઝાંસીના ઘણા પ્રદેશ કબજે કરી લીધા.
ત્રીજી સપ્ટેમ્બરે (૧૮૫૭) ઓરછાના રાજાએ ૪૦ હજારનું દળકટક ઉતાર્યું. એના લશ્કરમાં ૨૮ તોપો હતી. બીજા જાગીરદારો પણ એમાં ભળ્યા. લડાઈમાં ઝાંસીના ઘણા માણસો માર્યા ગયા. મેં મદદ માગી પણ મને જવાબ મળ્યો કે કંપનીની ફોજ જબલપુરમાં એકઠી થાય છે. બે મહિના પછી ઓરછા અને દાતિયાની ફોજો હટી ગઈ પણ ઝાંસીના પ્રદેશો પરથી કબજો ન છોડ્યો. લડાઈમાં રાણીએ પોતે ખર્ચ કર્યો. રાણી કહે છે કે બ્રિટિશ મદદ વિના એ પોતાના કરજનો ભાર ઉતારી શકે તેમ નથી.
રાણીએ નિરાશા પણ વ્યક્ત કરી છે કે –
“કમિશનર મને મદદ કરવા તૈયાર હોય એમ નથી જણાતું કારણ કે એણે એના ૯મી નવેમ્બરના પત્રમાં લખ્યું છે કે બ્રિટિશ ફોજની હમણાં એના હેડક્વાર્ટર્સ પર જરૂર છે. આવા ટૂંકી દૃષ્ટિવાળા માણસોને બ્રિટિશ સર્વોપરિતાનો ખ્યાલ નથી અને મને તેમ જ આખા દેશને પાયમાલ કરી નાખવા માગે છે…”
રાણીની ભાષામાં ક્યાંય દાસતાની છાંટ પણ નથી. એ તો સમોવડિયા શાસક તરીકે બ્રિટિશ હકુમત સાથે વાત કરે છે!
રાણી વિરુદ્ધ બ્રિટિશ સરકારના કાવાદાવા
રાણીના તમામ પ્રયત્નો છતાં અને બળવાખોરો વિરુદ્ધ રાણીએ મદદ આપી હોવા છતાં અંગ્રેજો એમના દત્તક પુત્રને માન્યતા આપવા તૈયાર નહોતા. એમને એમના પર ભરોસો નહોતો. ઊલટું, એમને એમના વાજબી અધિકારથી વંચિત કર્યા પછી પણ એમની વિરુદ્ધ કંઈક ને કંઈક કરતા રહ્યા. એમને માલિક તરીકે નહીં પણ ટ્રસ્ટી તરીકે મિલકતનો સ્વીકાર કરવા સૂચવ્યું; રાણીએ પોતે માલિક હોવાનું કહીને ટ્રસ્ટી બનવાની ના પાડી. ટ્રસ્ટી તરીકે પણ કોઈ બૅંકરને જામીન બનાવવાનો હતો. રાણીને આ અપમાનજનક લાગ્યું. જો કે, અંગ્રેજ સરકારે આમાં નમતું આપ્યું અને સાદી પહોંચ પર મિલકત સોંપી દીધી. બદલામાં રાજ્યના કામકાજ માટે પહેલાં કંઈ દેવું હતું તેની જવાબદારી રાણી પર નાખી કારણ કે હવે મિલકત રાણીના હાથમાં માલિક તરીકે આવી હતી. આ દેવું પેન્શનમાંથી વસૂલ કરવાની વાત આવી પણ રાણીએ એનો ઇનકાર કરતાં અંતે પેન્શન જ બંધ કરી દેવાયું. રાણી હસ્તક કેટલાક બાગ હતા તેમાંથી એક રહેવા દઈ બીજા બધા બાગ અંગ્રેજ હકુમતે લઈ લીધા. રાણીએ જે જમીન દાનમાં આપી હતી તે પણ અંગ્રેજી હકુમતે પોતાના કબજામાં લઈ લીધી.
ગૌવધની છૂટ
ઝાંસીમાં ગૌવધની બંધી હતી પણ અંગ્રેજોએ એની ફરી છૂટ આપી. રાણીએ ૨૧મી ઓગસ્ટ ૧૯૫૪ના પત્રમાં સરકારને લખ્યું કે તમે મારું રાજ્ય તો અન્યાયથી ઝુંટવી લીધું, હવે મારા અને મારી પ્રજાના ધર્મ પર હુમલો કરો છો. લક્ષ્મીબાઈએ આનાં ગંભીર પરિણામો આવવાની ચેતવણી પણ આપી. આ નિર્ણય બાબતમાં હકુમતમાં પણ વિવાદ હતો કે હજી હમણાં જ રાજ્ય ખાલસા કર્યું છે ત્યારે આ નિર્ણય કસમયનો હતો. સામે પક્ષે એવી દલીલ હતી કે નિર્ણય ફેરવવાનો અર્થ એ થશે કે આપણે લક્ષ્મીબાઈને રાજ્ય પાછું આપવા તૈયાર છીએ.
આ બધાં અપમાનો ઉપરાંત રાજ્ય ખાલસા કરી લેવાયા પછી ફોજને વીખેરી નાખવામાં આવી હતી, પરિણામે બેરોજગારી ફેલાઈ હતી અને અંગ્રેજ હકુમત વિરુદ્ધ ક્રોધ વધતો જતો હતો. પાંચમી જૂને વિદ્રોહ શરૂ થયો તે વખતની લક્ષ્મીબાઈની ભૂમિકા વિશે પણ અંગ્રેજી હકુમતમાં બે મત હતા. આમાંથી ગવર્નર જનરલ કૅનિંગને રાણી પર વિશ્વાસ નહોતો. એને ખાતરી હતી કે રાણીએ આડકતરી રીતે બળવાખોરોને ટેકો આપ્યો હતો અને ઝાંસી પર સૈન્ય મોકલીને રાણીને કેદ કરી લેવાની જરૂર હતી.
તો, રાણીએ પણ એક બાજુથી અંગ્રેજો પર દબાણ ચાલુ રાખ્યું હતું તો બીજી બાજુથી અગમચેતી રૂપે બીજી તૈયારી પણ ૧૮૫૭થી જ શરૂ કરી દીધી હતી.
આપણે ગયા અઠવાડિયે પાંચમી જૂનથી શરૂ થયેલા બળવાની થોડી વિગતો જોઈ લીધી છે એટલે હવે એ ખૂનામરકીમાં ઊંડા નહીં ઊતરીએ, માત્ર આપણે રાણી લક્ષ્મીબાઈની ભૂમિકા પર ધ્યાન આપીશું. એમણે સંગઠિત થઈને અંગ્રેજો સામે લડવાની યોજના કરી રાખી હતી, તે નીચેના બે પત્રોમાંથી પ્રગટ થાય છે.
રાણીએ રાજા મર્દનસિંહને આ પત્રો લખ્યા છે. બળવા પછી લલિતપુર અને સાગરની સેનાઓએ અંગ્રેજી પલટનોનો ખાતમો બોલાવીને રાજા મર્દન સિંહને સરદારી સોંપી હતી. પહેલો પત્ર વિ. સં. ચૈત્ર સુદ ભૌમ (મંગળ) તિથિ(?) સંવત ૧૯૧૪ (ઈ. સ. ૧૮૫૮)ના લખાયેલો છે. લક્ષ્મીબાઈ બહુ આદરપૂર્વક મર્દનસિંહને સંબોધિત કરે છે અને કહે છે કે દુલારેલાલના હાથે મોકલેલો પત્ર મળતાં તમે ફોજની તૈયારી કરો છો તે જાણ્યું. ‘હમારી રાય હૈ કે વિદેસિયોં કા સાસન ભારત પર ન ભઓ ચાહિજે ઔર હમકો અપુન કે બડૌ ભરોસો હૈ ઔર હમ ફૌજ કી તૈયારી કર રહે હૈં. અંગરેજન સે લડવૌ બહુત જરૂરી હૈ.” (મુકામ ઝાંસી)
બીજો પત્ર પણ રાજા મર્દન સિંહને જ શ્રાવણ સુદ ૧૪, સોમવાર, સંવત ૧૯૧૪ના રોજ લખેલો છે. આ પત્રમાં રાણીએ વ્યૂહની ચર્ચા કરી છે. રાણી વ્યૂહ સમજાવતાં મર્દનસિંહને કહે છે: અપુન “આપર ઉહાં કે સમાચાર ભલે ચાહિજે, ઇહાં કે સમાચાર ભલે હૈં. આપર અપુન કી પાતી આઈ સો હાલ માલુમ ભને શ્રી મહારાજ સાહ ગઢ કી પાતી કો હવાલો દઓ સો માલુમ ભઓ. આપર ઈહાં સે લિખી કે આપ સાગર કો કૂચ કરેં. ઉહાં દો કંપની બિચ મેં સાહબન કી હૈ ઉનકો મારત વ ખેડત સાહગઢ વારે રાજા કો લિવા સીધે ઉત ફૌજ કે સીધે કાલપી કુચ કરેં. હમ વ તાત્યા ટોપે વ નાનાસાહબ ફૌજ કી તૈયારી મેં લગે હૈં સો આપ સીધે નોંટ (?)ઘાટ પર સર હિયૂ રોજ (હ્યૂ રોઝ) કી ફૌજ કો મારત વ ખેડત કાલપી કો કૂચ કરેં. ઈહાં સે હમ આપ સબ જને મિલ કે ગ્વાલિયર મેં અંગરેજન પર ધાવા કરેં. પર દેર ન ભઓ ચાહિજે. દેખત પાતી કે સમાચાર દેવેમેં આવૈ. (મુકામ કાલપી).
અહીં જોવાનું એ છે કે રાણી લક્ષ્મીબાઈએ આ પત્રોમાં ભારતની વાત કરી છે, માત્ર ઝાંસીની નહીં. એટલે “મેરી ઝાંસી નહીં દૂંગી” એ પ્રત્યાઘાત તો તાત્કાલિક સામે આવી પડેલી સ્થિતિનો હતો. આપણી પાસે રાણીની મનઃસ્થિતિ જાણવા માટે બીજાં કોઈ સ્વતંત્ર સાધન નથી પરંતુ. રાણી લક્ષ્મીબાઈને જરૂર એમ લાગ્યું હોવું જોઈએ કે અંગ્રેજો જે આખા દેશમાં કરે છે તે જ ઝાંસીમાં કર્યું છે. આમ રાણીએ એને માત્ર વ્યક્તિગત અન્યાય નહીં, અન્યાયી વ્યવસ્થા તરીકે જૂએ છે. રાણીનો એક પત્ર છે જેમાં એમણે ‘સુરાજ’(સ્વરાજ) શબ્દનો ઉપયોગ કર્યો છે. (કમનસીબે એ મૂળ પત્ર મળ્યો નથી, કોઈ વાચકને મળે તો એ બહુ ઉપયોગી થશે. અહીં એનો પાઠ આપું છું –
“ શ્રી મહારાજા શ્રી રાજા મર્દનસિંહ બહાદુર જૂ દેવ ઐતે શ્રી મહારાની લક્ષ્મીબાઈ…… આપર અપુન કી વ હમારી વ શાહગઢ ઔર તાત્યા ટોપે કી જો સલાહ કરી થી કે સુરાજ ભઓ, શાસન ભઓ ચાહિજે. ઐ હી હમારી રાય…અપુનો હી દેસ હૈ… (પોષ સંવત ૧૯૧૪).”
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની વીરગાથા આવતા પ્રકરણમાં સમાપ્ત થશે.
૦૦૦
સંદર્ભઃ
૧. Rani Lakshmibai of Jhansi, Shyam Narayan Sinha, Chugh Publications, Allahabad, 1980 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)
૨. झांसी की रानी (ऐतिहासिक उपन्यास) वृंदावन लाल वर्मा, मयूर प्रकाशन, झांसी/दिल्ली. छठ्ठा संस्करण,1956 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)
૩. झांसी की रानी लक्ष्मीबाई, दत्तात्रेय बलवंत पारसनीस (मराठी से हिंदी में अनुवाद) गांधी हिन्दी पुस्तक भंडार, साहित्य भवन जान्स्टनगंज, प्रयाग. दूसरा संस्करण,1925. (ઇંટરનેટ પર ઉપલબ્ધ)
૪. કરજો યાદ કોઈ ઘડી…શહીદોના પત્રો. (મૂળ હિન્દી ‘યાદ કર લેના કભી…શહીદોં કે ખત’નો અનુવાદઃ દીપક ધોળકિયા) પ્રકાશન વિભાગ, ભારત સરકાર, ૧૯૯૭.