(૧) આપણું મેઘાલય, આપણો “મેઘાલયન યુગ”
૧૧,૭૦૦ વર્ષ પહેલાં શરૂ થયેલા આધુનિક ભૂસ્તરશાસ્ત્રીય યુગ હૉલોસીનના બે ભાગ મનાતા હતા પણ હવે આંતરરાષ્ટ્રીય સંશોધકોની એક ટીમે એનો ત્રીજો આખા હૉલોસીન યુગને ત્રણ ભાગમાં વહેંચી નાખ્યો છે અને એને આપણા મેઘાલય રાજ્યનું નામ આપ્યું છે. આમ આપણે હૉલોસીન યુગના ‘ઉપભાગ મેઘાલયન યુગમાં જીવીએ છીએ. આ કાલખંડો ભૂસ્તરીય રચનાઓને આધારે બનાવાયા છે. હૉલોસીન યુગની શરૂઆત ૧૧,૭૦૦ વર્ષ પહેલાં ગ્રીનલૅંડથી થઈ અને એનો બીજો ભાગ ૮,૩૦૦ વર્ષ પહેલાં દેખાયો એને નૉર્થગ્રિપિયન યુગ નામ અપાયું. હવે હૉલોસીનનો ત્રીજો તબક્કો જોવા મળ્યો છે, જે ૪૨૦૦ વર્ષ પહેલાં શરૂ થયો, અને એને મેઘાલયન યુગ નામ આપવામાં આવ્યું છે.
મેઘાલયની માઓમ્લૂ ટેકરીની એક ગુફામાંથી સ્ટેલાગ્માઇટના સ્તંભ મળ્યા તે ૪૨૦૦ વર્ષ જૂના છે. આ પહેલાંના ગ્રૅનલૅંડિયન અને નૉર્થગ્રિપિયન ભાગો બરફના થરોની તપાસ કરીને નક્કી થયા હતા પણ આ ત્રીજો ભાગ સ્ટેલાગ્માઇટ પરથી નક્કી થયો છે
ગુફામાં છતમાંથી પાણી ટપકતું હોય તે નીચે ચૂનાના થર પર પડતાં આખો સ્તંભ બની જાય છે.
અમેરિકાની લોંગ બીચ યુનિવર્સિટીના પ્રોફેસર સ્ટેંલી ફિની કહે છે કે હિમયુગના અંત પછી છેક મેઘાલયન યુગ આવ્યો ત્યારે માનવસભ્યતાનો વિકાસ થઈ ગયો હતો અને પૃથ્વીના સાતે સાત ખંડોમાં આ સમયે ખેતી શરૂ થઈ. ઇંટરનૅશનલ યુનિયન ઑફ જિઓલૉજિકલ સાયંસિઝ (IUGS)એ નવા નામાભિધાનને માન્યતા આપી છે.
સંદર્ભઃ
00૦
(૨) પુત્રની આશામાં પેદા થાય છે વિકૃત સંતાન
આપણા દેશમાં એલોપથીની દવાઓના નિયંત્રણની વ્યવસ્થા તો છે, પણ દેશી આયુર્વૈદિક દવાઓ માટે એવી કોઈ વ્યવસ્થા નથી. બીજી વાત એ કે એ નિર્દોષ છે અને એની સાઇડ ઈફેક્ટ નથી થતી એવી માન્યતા છે. અમુક અંશે એમાં શ્રદ્ધા પણ ભાગ ભજવે છે. પરંતુ આનો લાભ કઈને ઠગારા વૈદ્યો પરિવારોને ભોળવે છે અને એમને પુત્ર થાય તે માટે દવાઓ આપે છે. . સ્ત્રી-પુરુષના ગુણોત્તરમાં હરિયાણા સૌથી પાછળ છે. દેશની સરેરાશ દર એક હજાર પુરુષ સામે ૮૯૮ સ્ત્રીઓની છે પણ હરિયાણામાં દર એક હજાર પુરુષ સામે માત્ર ૮૩૨ સ્ત્રીઓ છે.
પરંતુ ‘ઇંડિયા બાયો સાયન્સ’ નામની સંસ્થાએ હરિયાણામાં કરાયેલા એક અભ્યાસનાં પરિણામ હાલમાં જાહેર કર્યાં છે તે ચોંકાવનારાં છેસુતપા બંદ્યોપાધ્યાય નિયોગી, ઇંડિયન ઇંસ્ટીટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ અને હેલ્થ ફાઉંડેશન ઑફ ઇંડિયાએ ખોડખાંપણવાળાં બાળકો કેમ મોટી સંખ્યામાં પેદાથાય છે તેનો કેટલાંય વર્ષો સુધી સતત અભ્યાસ કરીને જણાવ્યું છે કે ગર્ભવતી સ્ત્રીઓને અપાતી આયુર્વૈદિક દવાઓ એના માટે જવાબદાર છે. ત્રણ ઔષધિઓમાં શિવલિંગી(Bryonia laciniosa), માજૂફળ (Qtuercus infectoria) અને નાગકેસર(Mesua ferrea) વપરાય છે. આ ઔષધિઓમાં અમેરિકન ફૂડ એંડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશને શરીર માટે સહ્ય એટલી ધાતુ વિશે નક્કી કરેલા ધોરણ કરતાં સીસું દસગણું અને પારો ચારગણો હોવાનું જણાયું. આટલી ભારે માત્રામાં શરીરમાં ગયેલી ધાતુ ઑરનું કવચ ભેદીને ગર્ભને નુકસાન કરે છે. શિવલિંગી ‘પુત્રજીવક’ના નામે મળે છે.
00૦
(૩) ‘બ્રેન ગેમ્સ’થી મગજ સતેજ નથી બનતું.
વીડિયો ગેમ્સવાળા પ્રચાર કરતા હોય છે કે બ્રેન ગેમ્સથી બાળકનું મગજ તીક્ષ્ણ બને છે અને એમનો IQ છે, પણ કૅનેડાની વેસ્ટર્ન યુનિવર્સિટીના ન્યૂરોસાયંટિસ્ટોએ એક પ્રયોગ કરીને દેખાડ્યું છે કે આ વાત સાચી નથી. તમે કોઈને એક ગેમની ટ્રેનિંગ આપો અને ધારી લો કે એનો IQ સુધરવાથી બીજી કોઈ ગેમમાં પણ સારું કરશે, તો એ ધારણા ખોટી પડશે.
Neuropsychologiaમાં આ રિપોર્ટ પ્રકાશિત થયો છે. એમણે અમુક લોકોને એક ગેમની તાલીમ આપી અને પછી બીજી ગેમ રમવા માટે આપી. એમની સાથે રમનારાને કોઈ જાતની તાલીમ નહોતી મળી, આમ છતાં બન્નેના સ્કોર સરખા રહ્યા. ૨૦૧૦થી આ પ્રયોગ ચાલતો હતો, એમાં ૧૧,૦૦૦ લોકોને કોઈ એક ગેમની તાલીમ અપાઈ હતી પરંતુ નિષ્કર્ર્ષ એ નીકળ્યો કે આવી તાલીમ એક જ ગેમમાં પાવરધા બનાવે છે.
અભ્યાસલેખના એક લેખક કહે છે કે યાદશક્તિ સુધારવાના બીજા રસ્તા છે – બરાબર ઊંઘ લો, નિયમિત વ્યાયામ કરો, બરાબર ભોજન કરો અને ભણો. તમે જો તમારી સમજશક્તિ વધારવા માગતા હો તો બહાર ફરવા જાઓ, દોડો અને મિત્રો સાથે હળોમળો.
સંદર્ભઃ https://mediarelations.uwo.ca/2018/07/30/brain-game-doesnt-offer-brain-gain/
00૦
(૪) પ્રાણીઓ સ્નાયુઓનો ઉપયોગ કરીને પાણી બચાવે છે.
રણનું વહાણ (અને વાહન) ઊંટ દિવસો સુધી પાણી વિના જીવી શકે છે. આપણી માન્યતા એવી છે કે એ શરીરમાં પાણી ભરી લે છે. એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ વિચાર કર્યો કે પ્રાણીઓના પ્રજનનમાં ચરબીના ઉપયોગ વિશે તો સમ્શોધનો થયાં છે, પણ પ્રજોત્પત્તિમાં પાણીની પણ જરૂર પડે છેં. નવા જન્મેલા બાળપ્રાણી કે ઈંડાના બંધારણમાં ૭૦ ટકા પાણી હોય છે તે ક્યાંથી આવે છે? હાલમાં થયેલાં સંશોધનો પરથી સમજાયું કે જળશોષ (ડીહાઇડ્રેશન) થાય ત્યારે સ્નાયુઓના મોટા અણુ તૂટવા લાગે છે અને પાણીનું સંતુલન જાળવી રાખે છે. આના પરથી એરિઝોનાની સંશોધક ટીમે પ્રજનન કરે તેવી અને ન કરે તેવી અજગર માદાઓને પાણી ન મળવાથી અણુ તૂટવાની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. એમણે જોયું કે પ્રજનનક્ષમ માદાઓને ત્રણ અઠવાડિયાં સુધી પાણી ન આપવાથી એ વધારે દૂબળી થઈ ગઈ. આના પરથી જાણી શકાયું કે એમણે પ્રોટીન તૂટવાની પ્રક્રિયાનો ઉપયોગ પાણીના સંગ્રહ માટે કર્યો.
પર્યાવરણ બદલાવા લાગ્યું છે એટલે પ્રાણીઓને પાણીના સ્રોતો ઓછા મળતા જશે. આ સમ્યોગ્ગોમાં પ્રાણીઓ પોતાના જ સ્નાયુઓમાંથી પાણી મેળવી શકે છે. Biological Sciencesના૨૭ જૂનના અંકમાં આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગર્ભાવસ્થામાં પ્રાણીઓને નિયમિત રીતે પાણીની જરૂર પડે છે પણ પાણી ન મળે તો સ્નાયુઓમાં સંઘરાયેલું પાણી મોટા ભાગે કામ આવતું હશે.
સંદર્ભઃ
૧. http://rspb.royalsocietypublishing.org/content/285/1881/20180752
૨. https://www.sciencedaily.com/releases/2018/07/180726172533.htm
૦૦૦