આજથી હું આ નવી લેખમાળા શરૂ કરું છું.
એના બે ભાગ છેઃ પહેલો ભાગ ‘ગુલામી’ – એમાં આપણે કઈ રીતે પરતંત્ર બન્યા તેનું વિવરણ હશે. બીજો ભાગ છે, ‘આઝાદી માટેનો સંઘર્ષ’ – એમાં આઝાદ થવા માટે દેશવાસીઓએ અંગ્રેજ શાસનનાં ૧૯૦ વર્ષ દરમિયાન કેવા સંઘર્ષ કર્યા તેની વાત કરશું. આ શ્રેણીમાં આપણે દર ગુરૂવારે મળશું.
દીપક ધોળકિયા
૦-૦-૦
ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ
ભાગ ૧: ગુલામી
પ્રકરણ ૧ : પરતંત્રતાનાં બીજ
ભારતની પરતંત્રતાનાં બીજ તો વવાયાં ઇંડોનેશિયાના એક નાના ટાપુ ‘પુલાઉ રુન’ પર (પુલો રુન અથવા પુલોરૂન પણ કહે છે). ટાપુ બહુ નાનો છે; ૫.૨ કિલોમીટર લાંબો અને ૮૦ મીટર પહોળો! સાંજના ફરવા નીકળ્યા હો તો એક કલાકમાં ઘરે પાછા આવી જાઓ. નક્શામાં દેખાડો તો દેખાય નહીં. દસ-બાર ફૂટ લાંબોપહોળો નક્શો હોય તો ઇંડોનેશિયાના બાંદાના સમુદ્રના ટાપુઓમાં પુલાઉ રુન કદાચ દેખાય. (ઈંડોનેશિયા અસંખ્ય ટાપુઓનો દેશ છે).
૧૬૦૩માં ઇંગ્લૅન્ડના કેટલાક પ્રવાસીઓ ત્યાં ઊતર્યા. એ વખતે આ પુલાઉ રુન પર રહેવાની જગ્યા પણ નહોતી, પીવાનું પાણી પણ નહોતું, માત્ર વૃક્ષો હતાં. પરંતુ એમનો એક ખાસ ઉદ્દેશ હતો. એ લોકો ‘ઈસ્ટ ઇંડિયા કંપની’ના માણસો હતા. આ ટાપુ પર જાયફળ મોટા પ્રમાણમાં થતાં હતાં અને એમનો વિચાર જાયફળનો વેપાર કરવાનો હતો. જાયફળ માટે તો પાતાળલોકમાં જવું પડે તો પણ એમની તૈયારી હતી. પુલાઉ રુન પર આજના ભારતીય ચલણમાં જોઈએ તો એક પૈસાના ખર્ચ સામે ૩૨૦ રૂપિયા મળતા. એટલે કે ૩૨,૦૦૦ ટકા નફો!
આથી જ બ્રિટનના રાજા જેમ્સ પહેલાનું ટાઇટલ ‘કિંગ ઑફ ઇંગ્લૅન્ડ, સ્કૉટલૅન્ડ, આયર્લૅન્ડ, ફ્રાન્સ, પુલો-વે (પુલો આઈ કે પુલાઉ આઈ) પુલો રુન (પુલાઉ રુન) હતું. પુલાઉ રુનના પ્રવાસીઓને મન એનું મહત્ત્વ સ્કૉટલૅન્ડ કરતાં જરાય ઓછું નહોતું!
બાંદા ટાપુઓના નિવાસીઓની ખાસિયત એ હતી કે એ કોઈને પોતાનો રાજા નહોતા માનતા. એમની પંચાયત સર્વોપરિ હતી. ઓરાંગ કેયા, એટલે કે પંચાયતના મુખીનો પડતો બોલ ઝીલવા એ તત્પર રહેતા. એશિયામાં તો ગ્રામ સમાજનું મહત્ત્વ બહુ જ હોય છે. અગ્નિ એશિયામાં બધા નિર્ણયો પંચાયત ‘આદત’ (સર્વસંમતિ)થી લેતી. પાડોશના ટાપુઓ, નીરા અને લોન્થોર પર તો ડચ (હૉલૅન્ડ)નું દબાણ એટલું હતું કે એ પોતાની મરજીથી કંઈ ન કરી શકતા. ડચ લોકો અંગ્રેજી ઈસ્ટ ઇંડિયા કંપનીથી બે વર્ષ પહેલાં જ આવીને સ્થાયી થઈ ગયા હતા. પરંતુ હજી પુલાઉ આઈ અને પુલાઉ રુનમાં પંચાયતોના હાથમાં બધું હતું.
અહીં ઈસ્ટ ઇંડિયા કંપનીના માણસો અને બાંદાવાસીઓના સંબંધો સારા રહ્યા. ૧૬૧૬માં ડચ કંપનીના માણસોએ પુલાઉ રુન પર હુમલો કરવાની કોશિશ કરી ત્યારે રુનવાસીઓએ અંગ્રેજો પ્રત્યે પોતાની વફાદારી જાહેર કરી. એમણે વફાદારીના સોગંદ લીધા, એટલું જ નહીં, એમણે નવા સત્તાધીશોને રુનની પીળી માટીના દડામાં વિકસાવેલો જાયફળનો નાનો રોપો ભેટ આપ્યો. આ બહુ મોટી વાત હતી કારણ કે રુનવાસીઓ કદી આવા રોપા કોઈને આપતા નહીં અને જાયફળનાં બીજનું જીવના જોખમે રક્ષણ કરતા. જાયફળના ઉત્પાદન પરનો એમનો ઇજારો તૂટી ન જાય એટલે આવો વિશ્વાસ એ કોઈ પર નહોતા કરતા.
ઈસ્ટ ઇંડિયા કંપનીના માણસોએ રુન પર પ્રેમપૂર્વક પોતાનું આધિપત્ય તો સ્થાપ્યું પણ એમાંથી એક નવી સમસ્યા ઊભી થઈ. ઇંગ્લૅન્ડના રાજાએ એમને કોઈ પ્રદેશ પર વર્ચસ્વ સ્થાપવાની છૂટ નહોતી આપી. એમણે માત્ર વ્યાપાર કરવાનો હતો. આથી ઈસ્ટ ઇંડિયા કંપની માત્ર બ્રિટિશ તાજ વતી રુનવાસીઓની વફાદારી સ્વીકારી શકતી હતી. તાજને ઈસ્ટ ઇંડિયા કંપનીનું આધિપત્ય આ સ્વીકાર્ય નહોતું અને એણે પુલાઉ રુન ટાપુ પર નાકાબંધી કરી દીધી. ચાર વર્ષની નાકાબંધી પછી ઈસ્ટ ઇંડિયા કંપનીએ ટાપુ ઇંગ્લૅન્ડના રાજાને સોંપી દીધો. રાજા રુન પર કબજો મળતાં બહુ ખુશ થયો.
આ દરમિયાન, ઇંગ્લૅન્ડમાં રાજકીય ઉથલપાથલનો એક આખો ગાળો આવી ગયો. ચાર્લ્સ પહેલાએ ૧૬૨૯માં પાર્લમેન્ટનું વિસર્જન કરી નાખ્યું અને ૧૬૪૦ સુધી પાર્લમેન્ટ વિના જ શાસન ચલાવ્યું. ૧૬૪૦માં રાજાના સમર્થકો અને પાર્લમેન્ટના સમર્થકો વચ્ચે ગૃહ યુદ્ધ ફાટી નીકળ્યું. એનો બીજો દોર ફરી ૧૬૪૭માં શરૂ થયો અને ચાર્લ્સ પહેલાને મૃત્યુદંડ અપાયો. રાજાશાહીનો અંત આવ્યો, પાર્લમેન્ટ ફરી સ્થપાઈ, ૧૬૫૩માં ઑલિવર ક્રોમવેલે (Oliver Cromwell) રાજાને સ્થાને ‘લૉર્ડ પ્રોટેક્ટર’ તરીકે સાર્વભૌમ સત્તા પ્રાપ્ત કરી. આમ છતાં, પુલાઉ રુન માટે ઇંગ્લેન્ડને હંમેશાં કૂણી લાગણી રહી. ક્રોમવેલે તો એમાં વધારે ઉમેરો કર્યો. એણે ત્યાં પોતાના પ્રેસ્બિટેરિયન સંપ્રદાયના લોકોને વસવા મોકલ્યા. ‘લંડન’ નામનું જહાજ ભરીને બકરાં, મરઘાં, કોદાળી, પાવડા, ખ્રિસ્તી પ્રાર્થનાઓ (Psalms)નાં પુસ્તકો મોકલીને કાયમી વસાહત ઊભી કરવાનાં પગલાં લીધાં. પરંતુ ડચ સેના સાથે ઝપાઝપી થતાં આ જહાજને સેન્ટ હેલેના ટાપુ તરફ વાળવું પડ્યું.
પરંતુ ક્રોમવેલે બીજું એક પગલું પણ લીધું જે માત્ર રુન માટે નહીં ઈસ્ટ ઇંડિયા કંપની માટે બહુ મહત્વનું હતું. એણે કંપનીને બીજા પ્રદેશોમાં જઈને પોતાની વસાહતો સ્થાપવાનો અધિકાર આપ્યો! જો કે રુન માટે ડચ હકુમત સાથે સાઠ વર્ષથી ચાલતી લડાઈમાં તો ઇંગ્લૅન્ડે સમાધાનનો માર્ગ લીધો. ક્રોમવેલ પછી ઇંગ્લૅન્ડમાં રાજાશાહી ફરી સ્થપાઈ હતી. નવા રાજા ચાર્લ્સ બીજાએ પુલાઉ રુન સહિત બાંદાના ટાપુઓ હૉલૅન્ડને સોંપી દીધા અને બદલામાં હૉલૅન્ડે એને ઉત્તર અમેરિકામાં ન્યૂ ઍમ્સ્ટર્ડૅમ અને મૅનહટન આપી દીધાં. ‘લંડન’ જહાજને સેન્ટ હેલેના તરફ વાળવું પડ્યું એટલે ટાપુ તો કંપનીના કબજામાં આવી ગયો, પરંતુ ચાર્લ્સ બીજાએ જે વર્ષે આ સમજૂતી કરી એ જ વર્ષે ઈસ્ટ ઇંડિયા કંપનીએ ‘બોમ્બે’ (હવે મુંબઈ)માં પોતાની ફૅક્ટરી* સ્થાપી દીધી હતી!
ફૅક્ટરી એટલે કારખાનું નહીં, પણ કંપનીનું મુખ્ય કાર્યાલય સ્થાનિક એજન્ટોની ઑફિસો, અને વેપારનો માલ રાખવાની જગ્યા).
ઉપર ડાબી બાજુની તસવીર ઈસ્ટ ઇંડિયા હાઉસના મૂળ મકાનની છે. ઈ.સ. ૧૬૦૦માં કંપનીની સ્થાપના થયા પછી એ આ મકાનમાંથી કારોબાર કરતી. તે પછી છેક ૧૬૪૮માં જમણી બાજુએ દર્શાવેલી જગ્યાએ એણે એક મકાન લીધું અને ૧૭૨૯માં એ પાડીને સંપૂર્ણ સુધારા કરીને નવી ઇમારત ખડી કરી. રાણીએ ભારતના શાસનનો સીધો કબજો ૧૮૫૮માં લઈ લીધો ત્યાં સુધી ‘બ્રિટિશ ઇંડિયા’ પરની હકુમત આ જ મકાનમાંથી કંપનીના હોદ્દેદારો કરતા હતા. ૧૮૬૦માં કંપનીને સંકેલી લેવાઈ અને એની અસ્ક્યામતો સરકારના હાથમાં આવતાં આ મકાન થોડા વખત માટે ‘ઇંડિયા ઑફિસ તરીકે વપરાતું રહ્યું.
૦-૦-૦
મુખ્ય સંદર્ભઃ
The Honourable Company: A History of the English East India Company by John Keay: Harper Collins Publishers EPub Edition © JUNE 2010 | ISBN: 978-0-007-39554-5 :: Copyright © John Keay 1991.
ઇંટરનેટ પરથી પણ પૂરક સામગ્રી અને ફોટા લીધા છે જેના સંદર્ભ યોગ્ય સ્થાને મૂળ લેખમાં જ આપેલા છે. આ લેખ વ્યવસાયિક હેતુ માટે નથી અને સંદર્ભમાં દર્શાવેલાં પુસ્તકો અથવા ઇંટરનેટ પરથી લીધેલી માહિતીનો ઉપયોગ પણ વ્યાવસાયિક હેતુઓ માટે નથી કર્યો.
આધારભૂત ઐતિહાસીક માહિતિ આપતી શ્રેણીનો લાભ મળતા આનંદ થયો. આભાર.
Dipakbhai,
સરસ માહિતીપૂર્ણ લેખ.
ફિરોઝભાઈ.
ટોરંટો, કેનેડા
________________________________
સરસ શ્રેણી. વાંચવાની મજા આવશે.
Reblogged this on RKD-रंग कसुंबल डायरो.