મિત્રો,
આપણે શ્રી જુગલકિશોરભાઈ વ્યાસનો લેખ ‘ગાંધીજી, ગુજરાત અને ગૂજરાત’ વાંચ્યો. આજે શ્રી જુગલભાઈ એક રસપ્રદ મુદ્દાની ચર્ચા કરે છે.
ભાઈશ્રીઓ અને બહેનશ્રીઓ!
એ છે – ‘શ્રી’નો ખેલ. નરમાંથી નારી બનાવી દેવાની એની શક્તિ. વિચિત્ર લાગે છે ને?. આપણે જે ભાષા બોલીએ છીએ તેનાં ઊંડાણમાં જવાનો અનુભવ એટલો આનંદદાયક હોય છે કે બસ, એક વાર એનો સ્વાદ ચાખીએ તો પછી ધરાઇએ જ નહીં, આવો, જુગલભાઈ શું કહે છે તે જોઇએ –
0-0-0-0-0-0
કોશના નીયમોમાં જેનો ઉલ્લેખ જો કે નથી તેવો શબ્દ ‘શ્રી’ પાંચમી આવૃત્તીની પ્રસ્તાવના સુધી ‘શ્રી.’ (પુર્ણવીરામચીહ્ન સાથેનો) રહ્યો છે. પછી તેની સાથેનું પૂર્ણવીરામચીહ્ન નીકળી ગયેલું જોવા મળે છે.
આપણે જાણીએ છીએ કે શ્રી મોટે ભાગે પુરુષનામો સાથે જ વપરાય છે પણ શ્રીના લગભગ બધા જ અર્થો નારીજાતીમાં છે!! સ્ત્રીઓના નામ આગળ એને લગાડતાં જ કેટલાક ટીકા કરી બેસે છે પણ પુરુષોને પોતાના નામ આગળ નારીજાતીસુચક અર્થો લગાડવામાં કોઈ વાંધો નથી હોતો !
આપણે એ પણ જાણીએ છીએ કે નામની આગળ લાગતો શબ્દ ’શ્ર” એ ખરેખર તો ‘શ્રીયુત’ કે ‘શ્રીમાન’નું સંક્ષીપ્ત રુપ છે. એટલે પુરુષોએ પોતાના નામની આગળ તેને મુકવો હોય તો શ્રી. એમ પુર્ણવીરામ.ચીહ્ન સાથેનો જ મુકવો જોઈએ, કારણ કે નહીં તો તે નારીજાતીસુચક બનીને પુરુષોની મજાક કરી બેસે !
હવે ઉપર જણાવ્યું છે તેમ કોશની મારી પાસેની છેલ્લી આવૃત્તીમાંની પ્રસ્તાવનાઓમાં તે શ્રી. (પુર્ણવીરામચીહ્ન સાથેનો) રુપે લખાયો છે. અને તે જ સાચું ગણાય. છતાં રુઢ થઈ ગયેલા શબ્દ તરીકે આજે ફક્ત શ્રી લખાય તો ચલાવી લેવામાં વાંધો ન હોવો જોઈએ અને એ જ કારણસર મહીલા નામોની સાથે એને લગાડાય તે પણ સહજ અને સાચું ગણાવું જોઈએ. મહીલાઓને લગાડાતું ‘શ્રીમતી’ કુમારીકાઓને લાગુ પડતું ન હોઈ મહીલાઓના નામ સાથેના સાદા શ્રીને શ્રીમતીનું ટુંકું ન ગણતા બધી જ બહેનો માટે સાદો શ્રી રહે તે ઉચીત ગણાય. (આને ફક્ત ભાષાકીય બાબત જ રાખીને નારીમુક્તી ચળવળ સાથે આપણે અહીં જોડતા નથી).
હવે હું આપને એ બતાવવા માગું છું કે કોશમાં તેનો પ્રયોગ કયાં ક્યાં થયો છે ? જુઓ –
૧) કુલનાયકશ્રીના નીવેદનમાં ફક્ત શ્રી છે;
૨) પ્રકાશકના નીવેદનામાં શ્રી. છે;
૩) કોશની જે પુરવણી પ્રગટ થઈ (પહેલી આવૃત્તી, ઑક્ટોબર – કોશના પ્રથમ પાને ઓક્ટોબર છપાયું છે ! – ૨૦૦૫)તેના “પ્રકાશકીય નિવેદન”માં ફક્ત શ્રી લખાયો છે;
૪) પુરવણીની જોડણીકોશસમીતી વતી ચંદ્રકાંત શેઠની નોંધમાં પણ શ્રી જ છે;
૫) કોશમાંની કુલ પાંચ પ્રસ્તાવનાઓમાંની ત્રીજી સીવાયની બધી જ પ્રસ્તાવનાઓમાં પુર્ણવીરામચીહ્ન સાથેનો શ્રી. લખાયો છે. (ત્રીજી આવૃત્તીમાં કોઈનું નામ નહીં હોવાથી ત્યાં તે શક્ય પણ નહોતું.)
એવું કહી શકાય કે પાંચમી આવૃત્તી પછી ’શ્રી’ પુર્ણવીરામ.ચીહ્ન વગરનો થયો છે.
પાંચેય પ્રસ્તાવનાઓને વાંચતાં તે સમયના સંપાદકોની ચીવટ, ઝીણામાં ઝીણી બાબતોની નોંધ આપવાની નીષ્ઠા વગેરેથી મસ્તક નમી જાય છે. સાહીત્યરસીકોએ આ પાંચેય પ્રસ્તાવનામાં છલોછલ પ્રગટ થતી કાર્યનીષ્ઠાનો અભ્યાસ કરવા જેવો છે. મેં મારા બ્લૉગ પર આ પ્રસ્તાવનાઓ આપવાની શરુઆત કરીને ત્રણેક પ્રસ્તાવનાઓ ટાઈપ કરીને મુકી હતી પણ સમયના અભાવે બાકીની બન્ને બહુ લાંબી હોવાને લીધે પણ મુકી શક્યો નહોતો. એને પ્રગટ કરવાનું બહુ મન રહ્યું છે.
xxxx
(આ પ્રસ્તાવનાઓ પર ‘મારી બા્રી’માંથી ડોકિયું કરવા મળશે તો આનંદ જ થશે)