Truth in practice (4)

સત્યઃ વ્યવહારમાં (૪)
મનુષ્ય X મનુષ્ય

આ સંબંધો ખાસ પ્રકારના છે. પહેલા પ્રકારમાં બે વસ્તુઓની સમીપતાને આપણે સંલગ્નતા અને અભિન્નતા તરીકે જોઈ, કાર્યકારણનો પ્રભાવ પણ જોયો. બીજા પ્રકારમાં એક વસ્તુ વિશે મનુષ્યના સાપેક્ષ અભિપ્રાયની વાત જોઈ. પરંતુ, મનુષ્ય અને મનુષ્યના સંબંધોમાં એવું નથી. એમાં બન્ને પક્ષ એકબીજા માટે અભિપ્રાય આપી શકે છે. બીજાંઓ અને મનુષ્ય વચ્ચે આ ફેર છે. વળી, આ અભિપ્રાય પોતે પણ સંબંધોના વિકાસમાં ભાગ ભજવે છે. દાખલા તરીકે, આ તમે વામ્ચો છો તેને બદલે કલ્પના કરો કે હું તમારી સમક્ષ ભાષણ કરૂં છું. તમે તન્મય થઈને સાંભળો છો. મારો અભિપ્રાય એવો બંધાય છે કે તમે મારાથી પ્રભાવિત થાઓ છો. તમારો પણ એ જ અભિપ્રાય હોય એમ બને? કદાચ તમે કંટાળતા હો, માત્ર સૌજન્ય ખાતર ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરતા હો, પરંતુ, તમારી પાસે બેઠેલો તમારો મિત્ર તો બહુ જ કંટાળે છે અને મનમાં વિચારે છે કે “બહુ લપલપ કરે છે!” શ્રોતાઓમાં એકાદ જણને ખરેખર એવું લાગે કે હું ખરેખર સારૂં બોલું છું. આવું બનતું હોય છે ને? વળી, સમય જતાં આ દરેક અભિપ્રાયમાં ફેરફાર પણ થતો હોય છે એ પણ આપણે જાણીએ છીએ. હું તમારૂં મૂલ્યાંકન કરૂં છું, તો સામે પક્ષે તમે પણ મારૂં મૂલ્યાંકન કરો છો! આ બધા અભિપ્રાય વ્યક્તિગત છે, સમયાધીન છે અને એ કારણે સાપેક્ષ છે. આવા અભિપ્રાયોમાં પ્રતિપાદિત થઈ શકે એવું સત્ય નથી.

આપણા સંબંધો સતત આવા મૂલ્યાંકનને અધીન રહે છે. એટલે જ, આપણે જ્યારે યોગ્ય મૂલ્યાંકન કરવામાં મુશ્કેલી અનુભવીએ ત્યારે પૂછતા પણ હોઈએ છીએઃ “તમે શું કહેવા માગો છો?” ક્યારેક તો ગુસ્સામાં અને ક્યારેક વધારે સમજવા માટે આ સવાલ કરતા હોઈએ છીએ. આવો પણ આપણો અનુભવ છે જ ને? આમ, મૂલ્યાંકન અભિપ્રાયો બનાવવા માટે જરૂરી છે. અહીં કોઈ ‘ઈતર’ નથી! એટલે મૂલ્યાંકનનો અધિકાર બન્ને પક્ષ આપમેળે અને સ્વાભાવિક રીતે જ સ્થાપિત કરી લે છે. આ અધિકાર એમના મગજના વિકાસના સ્તરનું પરિણામ છે.

મૂલ્યાંકનનાં નિર્ણાયક પરિબળો
આપણી શારીરિક ઉંમર કઈં પણ હોય, માનસિક ઉંમર બહુ મોટી હોય છે. આપણે કહી શકીએ કે આપણી ઉંમર એક હજાર વર્ષ છે! હું કહેવા એ માગું છું કે મૂલ્યાંકનનો આધાર આપણી અંદર જ હોય છે. આપણું શરીર જેટલું વજન સહન કરી શકે તેના કરતાં મન અનેકગણું વજન સહન કરી શકે છે. મૂલ્યાંકનમાં મન જે રીતે ઘડાયું હોય તેની ભૂમિકા મહત્વની રહે છે. આ લેખમાળાના બીજા ભાગમાં આપણે કલ્પના, વ્યક્તિગત અને સામુદાયિક સ્મૃતિ માન્યતામાં શો ભાગ ભજવે છે તે જોયું. એની છાયા તરીકે ભાષામાં વિશેષણોના સ્થાનની પણ ચર્ચા કરી. ઇતિહાસ તો ખરો જ, પરંતુ ભૂગોળ પણ આપણા ઘડતરમાં ભાગ ભજવતી હોય છે. આપણે આ માન્યતાઓને આધારે મૂલ્યાંકન કરીએ છીએ. આપણે સામુદાયિક સ્મ્રુતિને આધારે જાતિઓ બનાવીએ છીએ અને ‘મારી જાતિ’, ‘તારી જાતિ’ એવા ભેદ કરીએ છીએ પણ એ માત્ર સાપેક્ષ છે. એને ટેકો આપે એવો આધાર આપણી પાસે નથી હોતો. આપણે વિચારવાની એક જાતની ટેવ વિકસાવી લઈએ છીએ અને એને વળગી રહીએ છીએ. આવતી દરેક વ્યક્તિને આપણે એ લાગુ કરવાની કોશિશ કરીએ છીએ. દાખલા તરીકે, એક જાતિ વિશે કહેવત છેઃ એક જ સ્થાને તમે xxxx અને સાપને એક સાથે જૂઓ તો પહેલાં xxxxને મારો! આ કહેવત દક્ષિણ ભારતમાં પણ જોવા મળી, જો કે એમાં xxxxને સ્થાને yyyyનું નામ લેવાય છે.

જ્યારે પણ તમે એ જાતિની કોઈ વ્યક્તિના સંપર્કમાં આવશો ત્યારે આ માન્યતા એ વ્યક્તિના મૂલ્યાંકનમાં ભાગ ભજવશે. આપણી પહેલી પ્રતિક્રિયા એ હશે કે આ માણસનો બહુ ભરોસો ન કરવો. કારણ? બસ, એક ટેવ; જાણે એક આદિમ ભયનો એ ભાગ હોય. એ જીવનને જોખમમાં મૂકે એવો ભય નથી. પરંતુ આપણી માન્યતાએ એને આદિમ ભયનો દરજ્જો આપ્યો હોય છે. વ્યક્તિગત રીતે આપને એ માન્યતાને ચકાસવા માટે એ જાતિની દરેક વ્યક્તિને મળીએ અને ફરીથી એ જ તારણ પર પહોંચીએ તો જુદી વાત છે, પરંતુ એવી ચકાસણીની જરૂર પણ નથી સમજતા. આપણે કલ્પેલા સંબંધોના સત્યને સમજવા માટે કશું જ નથી કરતા, આપણી માન્યતાઓને જ ‘પ્રતિપાદક’ માની લઈએ છીએ. સામાન્ય રીતે, આપણી માન્યતાઓને પડકારવાની આપણી તૈયારી નથી હોતી.

વિશેષણો વિનાની દુનિયા
એ જ રીતે આપણે ભાષામાં વિશેષણો લાવ્યા છીએ. એ આપણી માન્યતાઓનું જ પ્રતિબિંબ છે. વર્ણનાત્મક વિષેષણો ઉપરાંત અભિપ્રાયમૂલક વિશેષણો પણ હોય છે. આપણે પહેલાં જોયું છે તેમ ‘સારૂં’, ‘ખરાબ’ આવાં વિશેષણો છે. આપણે માનીએ છીએ કે વેશ્યા ખરાબ હોય. આ વ્યવસાય શી રીતે બન્યો તેના તરફ ધ્યાન આપ્યા વિના જ આપણે મૂલ્યાંકન કરી લઈએ છીએ, હવે અહીં વિશેષણ વિનાની ભાષાની દુનિયાનો એક દાખલો લઈએ.

આમાં ઓકૅમ નામના એક તર્કશાસ્ત્રી અને ચિંતકના ઓજારની મદદ લઈશું, એ છે, ઓકૅમની કાતર (Ocam’s Razor). એક વાક્ય પર એ ચલાવી જોઈએ. વાક્ય છેઃ “દીપક સારો માણસ છે.” – અહીં ચાર ઘટક છે. (૧) દીપક (૨) સારો (૩) માણસ (૪) છે. હવે ઓકૅમભાઇની કાતર ઉપાડો અને એક એક ઘટકને વારાફરતી તપાસી જાઓ. આવું કઈંક બનશેઃ

પહેલાં ત્રીજું ઘટક ‘માણસ’ લઈએ. આ શખ્સને તમે એક નજરે જોઈને કહી શકશો કે એ માણસ છે. આમ તમે પોતે જ એના પ્રતિપાદક બની જાઓ છો. તમે એનું નામ ન જાણતા હો તો પણ ચાલે. કોઈના માણસ હોવા બાબતમાં નામનું કામ નથી. એટલે જ આપણે કહી શકીએ છીએ કે “રસ્તામાં એક માણસ બબડતો જતો હતો”. નામ જાણ્યા વિના જ એ માણસ છે તે આપણે જાણી શકીએ છીએ.

હવે પહેલા ઘટક એટલે કે નામને તપાસીએ. નામ તો એક મા્ણસને એના સમરૂપથી અલગ પાડવાની એક રીત છે. તમે નામ પૂછ્યું અને એણે જવાબ આપ્યો. બધા એને એ જ રીતે ઓળખે છે. આ રીતે એ પોતે નામનો પ્રતિપાદક બની જાય છે. પોતાની સાથે નામને સાંકળીને એ નામને પણ પોતાના અસ્તિત્વ પૂરતી મર્યાદિત વાસ્તવિકતા આપે છે.

ચોથું ઘટક એટલે કે, ‘છે’ વ્યાકરણની વ્યવસ્થા છે, જે દીપક નામના માણસનું અસ્તિત્વ ટકે ત્યાં સુધી આ પ્રકારનાં અભિપ્રાયવાચી વાક્યમાં જરૂરી છે. એ માણસનું અસ્તિત્વ આ ‘છે’નું પ્રતિપાદક છે.

હવે ત્રીજું ઘટક ‘સારો’ શબ્દ રહે છે. આ સાપેક્ષ શબ્દ છે. એના સંપર્કમાં તમે આવ્યા અને તમને જે અનુભવ થયો તેને તમે આ વિશેષણ દ્વારા વર્ણવો છો. આ શબ્દની સત્યતાનો પુરાવો બહાર નહીં, તમારી અંદર છે અને એ તમારા સંસ્કાર, ટેવ અને માન્યતામાંથી જન્મે છે. ઓકૅમ આ શબ્દ પર કાતર ચલાવે છે! હવે વાકય રહી જાય છેઃ “દીપક માણસ છે”! અહીં ‘સારો’ને બદલે ‘ખરાબ’ વાપરો તો પણ ઓકૅમની કાતર ચલાવવી જ પડે! અભિપ્રાયો, વિશેષણો અને માન્યતાઓ વિનાની આ નક્કર દુનિયા છે. આ સત્ય પર આધારિત સંબંધો જ સાચા સંબંધો છે. વ્યક્તિને મળીએ ત્યારે માન્યતાઓ, સ્મૃતિઓ આપણી સાથે રહેશે જ. એનો ઇન્કાર ન થઈ શકે પરંતુ હું સજાગ રહી શકું તો એમનો હસ્તક્ષેપ ટાળી શકું અને સાચા સંબંધો સ્થાપી શકું. હું કઈ રીતે સામી વ્યક્તિનું મૂલ્યાંકન કરૂં છું, તે માત્ર સામી વ્યક્તિનું જ નહીં, આપણને પોતાને જાણવા માટેનું પણ બહુ મહત્વનું સાધન છે.

માન્યતાઓનું અસ્થાયી સ્વરૂપ
નજીકના ભૂતકાળમાંથી એક ઉદાહરણ લઈએઃ બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મની અને બ્રિટન સામસામે હતાં. આ સ્મૃતિ અને અનુભવ પરથી જે માન્યતા બને તે પ્રમાણે એમના સંબંધોનો અભ્યાસ કરીએ તો બન્ને વચ્ચે આજે પણ શત્રુતા હોવી જોઈએ. પરમ્તુ એવું નથી. જૂની માન્યતાઓને રદ કરવાથી જ આ મિત્રતા શક્ય બની હશે. બીજા ઘણા દેશોને આપણે સ્મૃતિ અને અનુભવના આધારે બનેલી માન્યતાઓની જાળમાંથી બહાર આવવાની સલાહ આપી શકીએ. માન્યતાનું સ્વરૂપ અસ્થાયી હોય છે અને એને સભાનપણે પણ બદલી શકાય છે.

આજે આપણી જે માન્યતાઓ હોય છે તેને આપણે અનાદિ અને શાશ્વત માનીએ છીએ. આ પોતે પણ એક માન્યતા છે અને એનો આધાર ભ્રાન્તિમૂલક છે. ઇતિહાસ જોઈને કહી શકીએ કે આપણો વિકાસ શી રીતે થયો છે. આ વિકાસ યાત્રા દરમિયાન માન્યતાઓમાં સૂક્ષ્મ ફેરફારો થતા રહે છે, પરંતુ આપણે માત્ર ભૌતિક પરિવર્તનો જોઈ શકીએ છીએ. વૈચારિક પરિવર્તનોની બાબતમાં આપણે ગુંચવાઇ જઇએ છીએ. આર્યો અહીં આવ્યા ત્યારે ગોપાલક હતા, સમય બદલાતો ગયો અને આજે આપણે આ સ્થિતિએ પહોંચ્યા છીએ. આ લાંબી યાત્રા દરમિયાન માત્ર ભૌતિક પરિસ્થિતિ બદલાઈ? કયાં નવાં પરિબળો જોડાયાં? આપણી માન્યતાઓમાં કઈં ફેરફાર નહીં થયા હોય? પરંતુ આપણી સ્મૃતિ એવો આભાસ આપે છે કે આપણી માન્યતાઓ અનાદિકાળથી બદલાઈ નથી. સ્મૃતિમાં અનાયાસ ખાડા પડતા હોય છે, તે તો આપણો રોજનો અનુભવ છે. આથી શાશ્વત પોતે જ એક ભ્રાન્તિમૂલક માન્યતા બનીને રહી જાય છે.

ભ્રાન્તિઓ
ફરી આપણા નજીકના ભૂતકાળમાંથી એક ઉદાહરણ લઇને ભ્રાન્તિઓને સમજવાની કોશિશ કરીએ. ભ્રાન્તિ શું છે?. સામાન્ય રીતે એમ મનાય કે આપણા સમાજમાં અનેક ધર્મો છે અને એને આધારે અનેક કોમો બની છે. કોમવાદને દૂર કરવો હોય તો ધર્મને દૂર કરવો જોઇએ. ધર્મ ન હોય તો કોમનો આધાર શું? સાચી વાત. પરંતુ, આપણા દેશના ઇતિહાસમાં બે એવા નેતા થઈ ગયા છે, જે ધાર્મિક નહોતા. એક નાસ્તિક હતા અને બીજા ઈશ્વર વિશે કઈં વિચારતા જ નહોતા. બન્ને ધાર્મિક ક્રિયાકાંડોને પસંદ કરતા નહોતા. પરંતુ બન્નેએ એમના ધર્મોને આધારે બનેલી કોમોને વાસ્તવિક માની! ધર્મ વાસ્તવિક ન હોય તો કોમ કેમ વાસ્તવિક હોય? આમ એ માન્યતા ખોટી પડે છે કે માણસ ધર્મમાં ન માનતો હોય તો કોમમાં પણ નહીં માનતો હોય! આ માન્યતા માત્ર એક ભ્રાન્તિ છે. દાખલો તો એમ દેખાડે છે કે આ નેતાઓ ધર્મને છોડી શક્યા, કોમને નહીં! આથી માત્ર ધર્મનો વિરોધ કરનારા ઉદારમતવાદી જ હોય, એમ માનવું એ ભ્રાન્તિ છે.

આપણે જોયું કે માન્યતાઓ સાચા સંબંધો બનાવવામાં હસ્તક્ષેપ કરતી હોય છે. આ માન્યતાઓ બનવાની પ્રક્રિયા શી છે? એનાં કારણો શાં? ઘણું તો આવી ગયું, પરંતુ આ વિષય પર આગળ હવે પછી. આજે નહી…

%d bloggers like this: